Opinion Magazine
Number of visits: 9572547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણની હાલત ન સુધરે એને માટે આખું ગુજરાત તનતોડ મહેનત કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 April 2021

બાળક 6 વર્ષનું ન હોય તો એક જમાનામાં તેને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાતો ન હતો, ત્યારે ખાનગી સ્કૂલોનો વાવર ન હતો ને કે.જી., નર્સરીનો પવન પણ ફૂંકાયો ન હતો. એ પહેલાં બાલમંદિરનો થોડો ઉઘાડ થયેલો. છોકરું ઘરમાં પજવે તેના કરતાં બાલમંદિરનું માથું ખાય એ માતાને ઠીક લાગતું એટલે બાળકની ત્યાં પધરામણી થતી, ત્યાં પણ બાળક રમે તે કરતાં ભણાવી દેવાની ઉતાવળ તો હતી જ. એ પછી કે.જી., નર્સરી શરૂ થયું, એનો હેતુ પણ બાળકના નૈસર્ગિક વિકાસનો જ હતો, પણ પોતાનું બાળક એ.બી.સી.ડી. બોલતું થઈ જાય ને મહેમાનો સામે વટ પડે એવી માબાપને ઇચ્છા રહેતી ને મા ફરિયાદ કરતી કે વરસ થવા આવ્યું, પણ છોકરું, એપલ ખાવા છતાં, એ ફોર એપલ, બોલતું નથી. એટલે સ્કૂલોને પણ ચાનક ચડી, છોકરાંઓને અંગ્રેજ બનાવી દેવાની ને એમ ફી વધતી ગઈ ને પછી તો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. એમાં થયું એવું કે ખાનગી સ્કૂલોનો રાફડો ફાટયો ને સરકારી સ્કૂલો ઘટતી ગઈ. બાળકનો વિકાસ નાની ઉંમરે થાય એ સાચું, પણ તેને ભણાવીને બોચિયું કરી દેવાનું તો કોઈ પણ શિક્ષણ વ્યવસ્થામાં નથી. સારું છે કે માતા નર્સરીમાં જ બાળકને જન્મ નથી આપતી, નહિતર જન્મતાંની સાથે જ બાળક એ.બી.સી.ડી. બોલતું થઈ જાય. આવા પ્રકારના ઉતાવળિયા બાળશિક્ષણથી, આગળ જતાં બાળકને કોઈ લાભ થયાનું બહાર આવ્યું નથી, કારણ ડફોળ હોવાનું તો ઉંમર વધતાં જ ખબર પડે છે.

સાચું તો એ છે કે આપણે શિક્ષણ બાબતે સભાન જ નથી.

આપણે એ.સી., પંખા, તગડી ફી, માબાપનું સ્ટેટસ વગેરેને જ શિક્ષણ માની લીધું. એમાં બાળક ગૌણ થઈ ગયું. તે તો જાણે કાર કે રિક્ષામાં આવનજાવન કરતું દફ્તર જ થઈ ગયું. સરકારો ઘણી આવી ને તેણે પણ જોયું કે ખાનગી સ્કૂલોને લાઇસન્સ આપી દેવામાં જ “મળતર” છે ને એને પગલે કોઈ પણ પૈસાદાર હાલીમવાલીને સ્કૂલ ખોલવાની છૂટ આપી દેવાઈ. આ રીતે સ્કૂલો ખોલનારાને અડ્ડો ચલાવવો કે સ્કૂલ ચલાવવી, એ બેમાં બહુ ફરક ન હતો. સરકારે ખાનગી સ્કૂલોને સંચાલકોના રૂપમાં ઘણા સરમુખત્યારો પૂરા પાડ્યા છે ને એમણે નબળા આચાર્યો, નબળા શિક્ષકો ને તગડા વાલીઓને સાથે રાખીને શિક્ષણની પથારી ફેરવી દીધી છે. વાલીઓને સારી સ્કૂલને નામે વર્ષો સુધી સંચાલકોએ બેવકૂફ બનાવીને લૂંટયા જ છે. વાલીઓને પણ ખરા ખોટા ધંધા કરીને ફી ચૂકવવા સિવાય સંતાનનાં શિક્ષણ સંદર્ભે ભાગ્યે જ બીજું કૈં સૂઝ્યું છે. કોરોનામાં પણ એમને તો એક જ રસ રહ્યો છે. સ્કૂલો બંધ હોય તો ફી ન લેવાય ને ચાલુ હોય તો ફીમાં ઘટાડો થાય. એટલું થાય તો વાલીઓને ફરજ પૂરી થઈ ગયાનું લાગે છે. એની સામે સરકારી સ્કૂલો સુધરી રહી છે, પણ વાલીઓને શિક્ષણ કરતાં સંપત્તિ લૂંટાવવાનો રસ વધારે છે એટલે સરકારી સ્કૂલોને એ અસ્પૃશ્ય ગણે એમાં નવાઈ નથી.

એનો અર્થ એવો નથી કે બધી સરકારી સ્કૂલો ઉત્તમ છે ને બધી ખાનગી સ્કૂલો નબળી જ છે. એવું નથી. એવું હોત તો જે કૈં આશા હજી શિક્ષણ માટે છે એ દીવો ક્યારનો હોલવાઈ ગયો હોત. આ સંજોગોમાં પણ થોડા સાચા ને ઉત્તમ શિક્ષકો ને વિદ્યાર્થીઓ આવ્યા જ છે તે ભૂલવા જેવું નથી.

ત્રીસ માર્ચને રોજ શિક્ષણ મંત્રીએ એવી જાહેરાત કરી કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વિનાના 4,510 શિક્ષકો છે, એમાંથી એકલા અમદાવાદમાં જ 2,967 છે. આ તો શિક્ષણ મંત્રીનો આંકડો છે, એ ઉપરાંત લાયકાત વિનાના બીજા શિક્ષકો ન જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. RTE 2009થી અમલમાં આવ્યું. એ પહેલાં 1થી 7 માટે પી.ટી.સી.ની લાયકાત જરૂરી હતી. RTE પછી 1થી 5 માટે પી.ટી.સી. સમકક્ષ અને 6થી 8 માટે સ્નાતક કક્ષાના તાલીમી શિક્ષકનો આગ્રહ રખાયો. શિક્ષણ મંત્રીનું કહેવું છે કે તાલીમી શિક્ષકો ન મળતાં લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક કરવામાં આવી. અહીં પ્રશ્ન એ થાય કે ઢગલો તાલીમી અને લાયકાતવાળા શિક્ષકો બેકાર બેઠા હોય ત્યારે લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક કોણે અને કેમ કરી? એ તો દેખીતું છે કે લાયકાત વગરના શિક્ષકો એમને એમ તો સ્કૂલોમાં નહીં ભરાઈ નહીં હોય! એમની નિમણૂક કરનારાઓ લાયકાતવાળા હતા કે એ પણ એવા જ લેભાગુ હતા? કયો લાભ ખાટવા એ લોકોએ આવા શિક્ષકોની નિમણૂક કરી? શિક્ષણ મંત્રી નિખાલસતાથી લાયકાત વગરના શિક્ષકોની જાહેરાત કરે ત્યારે ગમે, પણ એવી નિખાલસતાથી સમસ્યા ઉકલતી ન હોય તો એનો કશો અર્થ નથી. શિક્ષણ મંત્રી પૂરી કડકાઈથી એવી ખોટી નિમણૂક આપનાર અધિકારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરે તો જ એ નિખાલસતા લેખે લાગે.

શિક્ષણ મંત્રીએ 25 માર્ચે એવી જાહેરાત પણ કરી કે રાજ્યમાં 9,710 શિક્ષકો અને 927 અધ્યાપકોની નવી ભરતી કરવામાં આવશે. આશા રાખીએ કે આ ભરતી લાયક અને તાલીમી ઉમેદવારોથી થાય. એ જ દિવસે શિક્ષણ મંત્રીએ એમ પણ કબૂલ્યું કે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં એક જ સરકારી શાળા છે. એનો અર્થ એ થયો કે સરકારી સ્કૂલમાં ભણવું હોય તો પણ વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ નથી ને તેણે ખાનગી સ્કૂલમાં જ જવું પડે. કમાલ તો એ છે કે દાયકા પહેલાં આ જ ગાંધીનગર જિલ્લામાં 10 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી જ. જો હતી, તો એ બંધ કેમ થઈ? ખરેખર તો ખાનગી સ્કૂલોને અપાયેલું વધારે પડતું ઉત્તેજન અને સરકારી સ્કૂલો ન ચલાવવાની દાનત આનાં મૂળમાં છે. શિક્ષણનું ધોરણ કથળ્યું એમાં ખાનગી સ્કૂલોને અપાયેલું ઉત્તેજન જવાબદાર છે. લાયકાત ને તાલીમ વગરના શિક્ષકો ખાનગી સ્કૂલોમાં વધુ નિમણૂક પામ્યા હોવાનો સંભવ છે, કારણ જે ખાનગી સ્કૂલોએ ધંધો જ કર્યો છે તે ઓછી લાયકાતવાળા શિક્ષકો નીમે તો ઓછા પગારથી ચાલી જાય. એમાં ઓછી લાયકાતવાળા પર ઉપકાર થાય ને વધુ ફીને કારણે નફાનો માર્જિન પણ વધે. આવો લાભ કોણ છોડે?

તાજેતરમાં જ પાટણ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનું બહાર આવ્યું છે. આવી રીતે ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, અધ્યાપકો બહાર પડે ને ધંધે લાગે તો આપણે કેવા ધંધે લાગી જઈએ તે કહેવાની જરૂર ખરી?

એક વાત સ્પષ્ટ છે કે આપણે શિક્ષણ જોડે ઘણી રમત કરી છે. એને ગંભીરતાથી લીધું જ નથી. એમાં ઘણા અખતરા થયા છે, કોરોના કાળમાં તો વધારે. એ પણ છે કે દરેક ક્ષેત્રમાં શિક્ષણની સાથે તાલીમ જરૂરી છે. પાઇલટ હોય ને વિમાન ચલાવતાં ન આવડે કે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય ને કાર ચલાવતાં ન આવડે કે સર્જયન હોય ને સર્જરી ન આવડે તો શું થાય તે સમજી શકાય એવું છે, છતાં બોગસ સર્ટિફિકેટ પર વેપલો કરનારાઓ મળી જ રહે છે. બધે જ વત્તે ઓછે અંશે આવી ભ્રષ્ટતા વ્યાપેલી જ છે, એમાં સૌથી વધુ ભ્રષ્ટતા શિક્ષણ ક્ષેત્રે છે. તે તરફ ધ્યાન ઓછું જ ગયું છે, કારણ તેનાથી થતું નુકસાન તરત દેખાતું નથી, પણ તેની દૂરગામી અસરો ઊંડી ને વ્યાપક હોય છે. એમાં લાયકાત કે તાલીમ વગરના શિક્ષકોથી કામ લેવાય જ નહીં, પણ આપણે શિક્ષકને બહુ હળવાશથી લીધો છે. એની પાસે કારકૂની કરાવીએ છીએ, વસતિ ગણતરી કરાવીએ છીએ. એને ચૂંટણીમાં જોતરીએ છીએ ને અપેક્ષા રાખીએ છીએ કે તે ઉત્તમ શિક્ષણ આપે. તે બી.એડ.ની તાલીમ લે છે તે વસતિ ગણતરીની માહિતી ભેગી કરવા? તે પીએચ.ડી. થાય છે તે શું પ્રિસાઇડિંગ ઓફિસર બનવા? આવાં કામો શિક્ષિત બેકારોને અપાય તો તેમને કામ અને દામ મળશે ને શિક્ષક તેની ફરજ સારી રીતે બજાવી શકશે.

એક તરફ શિક્ષણ મંત્રી લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક અંગે ફરિયાદ કરે છે, પણ શિક્ષણ વિભાગ જ સરખી લાયકાતવાળા શિક્ષકો વચ્ચે ભેદ કરે છે એ પણ જોવાવું જોઈએ. એક શિક્ષક પોતાની લાયકાત અને તાલીમને જોરે પૂરો પગાર મેળવે છે ને બીજો એટલી જ પાત્રતાવાળો શિક્ષક વિદ્યા સહાયક તરીકે ઓછો પગાર મેળવે છે ત્યારે લાયકાતવાળા શિક્ષકનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું નહીં? ખરેખર તો શિક્ષણ વિભાગે સમાન લાયકાત અને તાલીમ ધરાવતા શિક્ષકોને સમાન તકો આપી વિદ્યા સહાયકની જગ્યાને પૂરા પગારની જગ્યામાં તબદીલ કરી દેવી જોઈએ. આવું થશે?

એનું આશ્ચર્ય જ છે કે આપણે પટાવાળાની લાયકાત નક્કી કરી છે, પણ પ્રધાનની લાયકાત નક્કી કરી નથી. પ્રધાન લાયકાતવાળો મળી જાય તો નસીબ, પણ કોઈ અભણ પ્રધાન બની જાય તો તેને રોકી શકાતો નથી. એવા પ્રધાનના હાથ નીચે કામ કરતા અધિકારીઓ ઉચ્ચ લાયકાત ધરાવતા હોય તેની પૂરી કાળજી રખાય છે. ટૂંકમાં, મંત્રી અંગૂઠા છાપ હોય તો તેનો વાંધો નથી. એ કેવું વિચિત્ર છે કે સ્કૂલ ચલાવવા તાલીમની અપેક્ષા છે, પણ દેશ ચલાવવા કોઈ મંત્રી માટે લાયકાત કે તાલીમ જરૂરી નથી ગણાઈ!

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઍપ્રિલ 2021

Loading

નદી જોડાણની યોજનામાં આયોજન કેટલું?

કિરણ કાપુરે|Opinion - Opinion|2 April 2021

હાલમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંઘ ચૌવ્હાણ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે કરાર થયો; અને તે કરારને વધાવવા માટે ઓનલાઈન મિટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. ઘટના હતી મધ્ય પ્રદેશની કેન નદી અને ઉત્તર પ્રદેશની બેતવા નદીને જોડવાની. રાષ્ટ્રિય પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટને મૂકવામાં આવ્યો છે અને તેનો ખર્ચ પણ કેન્દ્ર દ્વારા ઊઠાવવામાં આવશે. બંને રાજ્યોના ભાગે માત્ર દસ ટકા રકમ ખર્ચ પેટે આવશે. આ પ્રોજેક્ટને પૂરો કરતાં આઠ વર્ષનો સમય અંદાજવામાં આવ્યો છે ને પ્રોજેક્ટનો પૂરો ખર્ચ 37,611 કરોડ થશે. ખર્ચની રકમ અને લાગનારા સમય પરથી આ પ્રોજેક્ટનો વ્યાપનો અંદાજ લગાવી શકાય. આ ઉપરાંત, તેનો જે લાભ ગણાવવામાં આવી રહ્યાં છે તે પણ મસમોટા છે. જેમ કે, દસ લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે, 62 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે અને તેનાથી સારી એવી વીજળીનું ઉત્પાદન પણ થશે. આવા તો અસંખ્ય લાભ મળશે તેવા દાવા કેન્દ્ર અને બંને રાજ્ય સરકાર કરી રહી છે. પરંતુ નદીઓને જોડવાનું કાર્ય એક પ્રોજેક્ટ માત્રથી થઈ જાય? જોડવાથી લાભ થાય કે નુકસાન? કુદરતને વળોટીને જ્યારે આવું પગલું લેવાય ત્યારે તેનું પર્યાવરણીય નુકસાન કેટલું થાય? ઉપરાંત, નદીઓને જોડીએ ત્યારે ડૂબમાં આવતાં વિસ્તારોનું શું? આવાં અનેક પ્રશ્નો અત્યારે આ રિવરલિંક પ્રોજેક્ટને લઈને પૂછાઈ રહ્યા છે. પ્રોજેક્ટને લઈને કાગળ અને ગ્રાઉન્ડ પર કેટલો ભેદ છે તે વિશે જાણીએ …

નદીઓને જોડવાને લઈને અનેકવાર કેન્દ્રની સરકાર પાસે પ્રસ્તાવ આવતા ગયા અને તેના પર વિચાર થયો, ક્યારેક અમલ માટે કરારેય થયા, પણ આજે જે સ્થિતિ કેન નદી-બેતવા નદી અંગે આવી છે તેવું નહોતું બન્યું. વિધિવત્ રીતે નદીઓને જોડવાની યોજનાનો અમલ આ રીતે નિર્ધારથી થયો નહોતો. આવું બન્યું એટલાં માટે કે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ જંગી લાભ બતાવીને તેને સાકાર કરવાનાં સ્વપ્નાં જોવામાં આવ્યાં તેમ તેની સામેના પડકાર પણ હતા. આ પડકારોને પહોંચી વળવાની અત્યાર સુધી ભીતિ હતી, પણ વર્તમાન સરકારે તે ભીતિને કોરાણે મૂકીને આ પ્રોજેક્ટના શ્રીગણેશ કરી દીધા છે.

નદીઓ જોડવાનો પહેલવહેલાં પ્રોજેક્ટ ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન બ્રિટિશ સૈન્ય એન્જિનિયર આર્થર થૉમસ કૉટન લાવ્યા હતા. તે કાળે નદીઓને જોડવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર અંગ્રેજોને નદીઓ વચ્ચે નહેર બનાવવાથી બંદરની સુવિધા નિર્માણ કરવાનો હતો. પણ આજે જેટલો આ પ્રોજેક્ટ ખર્ચાળ છે, તેમ તે કાળે તેની સામેની મુશ્કેલી ખૂબ હતી. તેથી તે વાત કાગળ પર જ રહી. પછી 1970માં તત્કાલિન સિંચાઈ મંત્રી ડો. કે.એલ. રાવ દ્વારા પણ નદીઓના જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા. તેમણે બ્રહ્મપુત્ર અને ગંગાનું પાણી દક્ષિણ રાજ્યના સૂકા પ્રદેશોમાં લાવવાનું આયોજન આપ્યું હતું. જો કે તેના પર કોઈ ઝાઝી ચર્ચા ન થઈ. પછી પણ કેન્દ્રીય સ્તરે નદીઓને જોડવાને લઈને રિપોર્ટ બનતા રહ્યા. દેશની અલગ અલગ નદીઓને જોડવાની તેમાં ચર્ચા થતી રહી, પરંતુ તેમ છતાં પ્રોજેક્ટને અમલમાં મૂકી શકાય તેવા યોગ ન આવ્યા.

1999માં નેશનલ ડેમોક્રેટીક અલયાન્સની સરકાર બની અને વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી આવ્યા ત્યારે નદીઓને જોડવાની યોજનાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ અને તે અંગે ખુદ વડા પ્રધાને પણ રસ લીધો. જો કે પર્યાવરણ અને અન્ય મુદ્દાના કારણે યોજના પડતી મૂકાઈ. યુ.પી.એ. સરકારના પ્રથમ ટર્મ દરમિયાન પણ આ પ્રોજેક્ટ પર કામ થવા માંડ્યું અને વડા પ્રધાન મનમોહનસિંઘની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રીઓએ કેન અને બેતવા નદી જોડાણને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પછી પણ યોજના સાકાર ન થઈ શકી. 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય સરકાર બની, ત્યાર બાદ નદી જોડાણને લઈને કામ જોરો પર થયું. રિપોર્ટ બન્યા, વિશ્લેષણ થયું, ચર્ચા થઈ અને તે પછી તેનાં પર અંતિમ ડ્રાફ્ટ બન્યો. મતલબ કે હવે આ કાર્યને પ્રાથમિકતા આપીને આગળ ધપાવવાનું છે.

નદીઓ જોડાણના પ્રસ્તાવ મૂકવાનો અને રદ કરવાનો સિલસિલો આટલાં વર્ષો સુધી ચાલતો રહ્યો. હવે જ્યારે આ ઘટના આકાર પામવા જઈ રહી છે ત્યારે તેના પણ પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. જેમ કે હાલની કેન-બેતવા નદીનાં જોડાણને લઈને વાઘોનું પન્ના અભયારણ્ય પર જોખમ ઊભું થયું છે. બીજું કે આ યોજના કાગળ પર જેટલી સુંદર બતાવી શકાય છે તેનું તેવું જમીની અમલીકરણ મુશ્કેલ છે તેવું નિષ્ણાતોનું માનવું છે. આ માટે કેટલાંક ઉદાહરણો પણ છે. ઉત્તર પ્રદેશમાં આવું એક ઉદાહરણ શારદા સહાયક નદીમાં જોવા મળે છે. 2000ના વર્ષમાં 260 કિલોમીટર લાંબી નહેર સાથે પૂર્ણ થયેલી આ યોજનાનું લક્ષ્ય 16.77 લાખ હેક્ટરને સિંચાઈ પૂરી પાડવાની હતી. પરંતુ તેમાં અડધા સુધી પણ ન પહોંચી શકાયું. આ ઉપરાંત, હજારો હેક્ટર જમીનમાં નદીનું પાણી જમા થતું રહે છે, જેનાથી અનેક પાક બરબાદ પણ થઈ રહ્યા છે. નદી જોડોમાં સરકાર જેટલું ગુલાબી ચિત્ર દાખવે છે તે વાસ્તવિકતા નથી, તેવું અનેક નિષ્ણાતો કહી રહ્યા છે.

પાણી મુદ્દે આજીવન કાર્ય કરનારાં તો આને જોખમી પ્રોજેક્ટ ગણાવે છે. નર્મદા બચાવ આંદોલનના મેઘા પાટકરનો પણ આ પરિયોજના અંગે જે મત છે તે જાણી લેવા જેવો છે. તેમનું કહેવું છે કે, આ પૂરી યોજના અવ્યવહારું છે. સામાજિક, આર્થિક અને પર્યાવરણની રીતે તેના પરિણામ ખૂબ ખરાબ આવી શકે છે. સરકાર એવું કહી રહી છે કે આ યોજનાથી પૂરની સમસ્યાથી બચી શકાશે. હવે જ્યારે ગંગાને માત્ર વીસ ટકા હિસ્સાને વળાંક આપવાની વાત છે ત્યારે તેનાથી પૂર કેવી રીતે રોકાઈ શકે? આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પાટકરનો એક અન્ય મુદ્દો આ યોજના હેઠળ ખર્ચનારાં નાણાં અંગેનો છે. દેશભરમાં નદીઓ જોડવાને લઈને કુલ સાડા પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ થનારાં છે. આટલી રકમ સરકાર ખર્ચી ન શકે તેવું પાટકરનું માનવું છે અને તે કારણે આ યોજનામાં કોર્પોરેટ જગતની એન્ટ્રી થશે અને પછી તેઓ તેની કિંમત વસૂલશે. મતલબ કે નદીઓ લોકોના હાથમાંથી સરકીને કંપનીઓના હાથમાં જશે.

નદીઓ જોડાણને લઈને સાવધાની ન રાખવામાં આવે તો તેનાથી ખુંવારી થઈ શકે છે. આ ખુંવારી હિમાલયી નદીઓમાં આપણે દર વર્ષે સમયાંતરે જોઈએ છીએ. હિમાલયમાં નદીઓનું જોડાણ થયું નથી, પરંતુ જે રીતે કુદરત સાથે ત્યાં છેડછાડ થઈ છે તેથી તે નદીઓના પ્રકોપ જોવા મળે છે. અમેરિકામાં પણ આ પ્રકારના પ્રયોગ થઈ ચૂક્યા છે. કોલેરાડોથી લઈને મિસિસિપી નદીના ઘાટ સુધી મોટી સંખ્યામાં આવી પરિયોજના બની છે અને તે યોજનામાં કળણ ભરાઈ ગયા હોવાથી આસપાસના વિસ્તારમાં પૂરનો પ્રકોપ વધવા માંડ્યો છે. આખરે આ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલાં બાંધોને તોડવા પડ્યા છે. તેના પર જે ખર્ચ થયો તે તો વેગળો. પાણીના જાણકારો કહે છે કે, ગંગા અને બ્રહ્મપુત્રમાં દર વર્ષે આવનારું કળણ મિસિસિપી નદીથી બમણું છે. સોવિયેત સંઘના યુગમાં સાઇબેરિયાની નદીઓને નેહરોની નેટવર્ક દ્વારા કઝાકિસ્તાન અને મધ્ય એશિયાના સૂકા પ્રદેશોની નદીઓ તરફ જોડવાનું કામ થયું હતું. યોજનાનો મુખ્ય ભાગ 2,200 કિલોમીટર લાંબી એક નહેર હતી. આ યોજનાથી અનેકગણું અનાજ પાકશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં જ્યાં નહેર પહોંચી ત્યાં કળણવાળી જમીન અને ખારા પાણીથી ખેડૂતોની કમર તૂટી ગઈ. 80ના દાયકામાં આ સમગ્ર યોજનાને પડતી મૂકી દેવામાં આવી.

પાણીની વિકરાળ સમસ્યા સામે જ્યારે તેના ઉકેલ શોધાય છે અને તે તરફ આવાં પ્રશ્નો ઊઠે ત્યારે તેનો વાસ્તવિક ઉકેલ શો હોઈ શકે, તે પણ જાણવું જોઈએ. જાણકારોના મતે પીવાનાં પાણીનું આયોજન અલગ અલગ ક્ષેત્રોમાં વેગવેગળું હોય છે. આના બદલે એક જ આયોજન થોપવું યોગ્ય નથી. આપણાં જ દેશમાં નાના પ્રયાસો દ્વારા નદીઓને પુર્નજીવિત કરવાના કિસ્સા પણ મોજૂદ છે, ત્યારે નદીઓને જોડવાનો જોખમી માર્ગ શું કામ લેવો?

આ વિશે જાણીતા પર્યાવરણવિદ્ અનુપમ મિશ્રનું કહેવું હતું કે, નદીઓને જોડવાનું કાર્ય પ્રકૃતિનું છે. જ્યાં બે નદી જોડાય છે ત્યાં તે જગ્યા તીર્થસ્થળ બની જાય છે. હવે નદીઓને નહેરો દ્વારા જોડવાનો પ્રયાસ થાય છે. આનાથી ખેડૂતોને તો નહીં પણ નેતાઓ અને અધિકારીઓને જરૂર લાભ થશે. મિશ્રનું આ પાણીના આયોજન અંગેનું ગણિત ખૂબ કિફાયતી હતું અને તે વાતનું તેઓ મોડલ પણ જમીન પર લાવી શક્યા હતા. પણ હવે યોજનાઓમાં મસમોટી રકમ ખર્ચીને પ્રયોગો થઈ રહ્યા છે અને નક્કર આયોજનનો અભાવ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|1 April 2021

હૈયાને દરબાર

સુગમ સંગીત ક્ષેત્રે ગાયનની જુગલબંદી ઓછી જોવા મળે. એમાં ય ગુરુ-શિષ્ય સાથે ગાતા હોય એ દૃશ્ય તો ભાગ્યે જ દેખાય. ફાગણી ફોરમનું એવું જ એક મઘમઘતું ગીત ફાગણના આરંભે સાંભળીને ખૂબ મજા આવી. હોળી-ધુળેટી દરમ્યાન ફાગણનાં ગીતોનો ગુલાલ સર્વત્ર ઊડતો હોય છે. વોટ્સએપ અને ફેસબુક ઉપર આ ગીતો સતત સર્ક્યુલેટ થતાં હોય છે. કવિ મેઘબિંદુએ લખેલું, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં પુરુષોત્તમભાઈ અને અમેરિકા સ્થિત એમના શિષ્ય કૃષાનુ મજમુદારે સાથે ગાયેલું ગીત ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ?’ આવી જ રીતે મળ્યું અને મજા પડી ગઈ. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો એ સાંભળ્યું જ હતું, પરંતુ કૃષાનુ સાથેની આ જુગલબંદીની મજા અનોખી હતી.

કૃષાનુ મજમુદાર અમેરિકા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે, પરંતુ સંગીત જાણે ગળથૂથીમાં મળ્યું છે. માતા માનસીબહેન સારું ગાઈ શકે છે, પિતા હરેનભાઈ સિતાર વગાડે છે. સાડાત્રણ વર્ષની ઉંમરે પહેલી વાર દૂરદર્શન પર ગીત રજૂ કર્યા બાદ વિવિધ ગુરુઓ પાસે એમણે તાલીમ લીધી. મુંબઈમાં જમનાબાઈ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધ્યક્ષ પરાશર દેસાઈ કૃષાનુના મોટા મામા અને કૃષાનુ એ જ સ્કૂલમાં ભણે એટલે એ કૃષાનુને ઘણું માર્ગદર્શન આપતા. સંગીતકાર રાસબિહારી દેસાઈ, પંડિત વિનાયક વોરા ઈત્યાદિ પાસે તાલીમ લીધા બાદ કૃષાનુએ સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે વિશેષ તાલીમ લીધી હતી.

‘હિન્દુ કોટ સ્ત્રી મંડળના એક કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈનાં પત્ની ચેલનાબહેને પહેલી વાર મને સાંભળીને પુરુષોત્તમભાઈને મારું નામ સૂચવ્યું હતું કે આ છોકરો ટેલન્ટેડ લાગે છે. એ વખતે અમે મુંબઈમાં અંધેરીમાં રહેતા હતા. મારી કોલેજ ટાઉનમાં હોવાથી પછીથી તો હું પુરુષોત્તમભાઈની અનુકૂળતા મુજબ એમની પાસે સંગીત શીખવા પહોંચી જતો. ગાયનમાં ભાવ અને ઠહેરાવ ખૂબ અગત્યના છે એ હું પુરુષોત્તમભાઈ પાસેથી જ શીખ્યો. અત્યારે અમેરિકામાં મારી જોબમાં વ્યસ્ત છું છતાં સંગીત સાથેનો નાતો બરકરાર છે. સુગમ સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, ગઝલ, સૂફી અને નવરાત્રિના ગરબા પણ કરાવું છું. મારી પત્ની દિતિ ખૂબ સરસ ગાય છે એટલે અમે સાથે પણ પ્રોગ્રામો કરીએ છીએ. અમારાં સંતાનોને પણ સંગીતમાં રસ છે. આઠ વર્ષની દીકરી તો અત્યારથી ‘પિચ’ પરફેક્ટ છે. જે સ્કેલ સંભળાવો એ તરત પારખી જાય. દીકરો પણ ગાવાનો શોખીન છે. આમ, પરદેશમાં હોવા છતાં અમે ભારતીય સંસ્કૃતિ સાથે સંપૂર્ણ જોડાયેલાં છીએ,’ કૃષાનુ કહે છે.

૧૯૯૫માં ‘સારેગમ’ શોમાં ભાગ લઈ ચૂકેલા કૃષાનુએ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે અન્ય એક ગીત, ‘મારાં લાલ રે લોચનિયાં…’માં પણ સરસ જુગલબંદી કરી છે. એની રસપ્રદ વાત કૃષાનુનાં માતા માનસીબહેને કરી.

એ કહે છે, ‘કૃષાનુ કોલેજમાં હતો ત્યારે પુરુષોત્તમભાઈનો એક કાર્યક્રમ જુહુના જલારામ ઓડિટોરિયમમાં હતો. કૃષાનુ કોલેજથી થાક્યો-પાક્યો આવ્યો હતો પણ અમારે એ કાર્યક્રમમાં જવું જ હતું એટલે અમને લઈ ગયો. અમે સહેજ મોડાં હતાં તેથી છેક છેલ્લી સીટમાં જઈને બેસી ગયાં. પુરુષોત્તમભાઈની નજર શાર્પ. એમણે કૃષાનુને જોયો, સ્ટેજ પર બોલાવ્યો અને ‘લાલ રે લોચનિયાં …’ ગીતમાં સાથ આપવા કહ્યું. પ્રસન્નકારી રાગ નંદનો સ્પર્શ ધરાવતું, ખાસ્સું અઘરું અને એક-બે વખત જ પુરુષોત્તમભાઈ પાસે સાંભળેલું આ ગીત એ સરસ નિભાવી ગયો. પુરુષોત્તમભાઈ આવી ચેલેન્જ ઘણી વાર આપતા. એટલે ગુરુ-શિષ્યની જુગલબંદીનાં અમારે માટે તો આ બે યાદગાર સંભારણાં છે. લાલ રે લોચનિયાં અને ફાગણનો ફાગ એમ બે ગીતો કૃષાનુને જુગલબંદીમાં ગાવાની તક મળી.’

પુરુષોત્તમભાઈનાં ગીતોની કમાલ એ જ છે. સાંભળવામાં સરળ અને ગાવામાં અઘરાં. છતાં એમણે કૃષાનુ જેવા અનેક શિષ્યો તૈયાર કર્યા છે. પુરુષોત્તમભાઈની ગાયકીની અસર એમના શિષ્યોમાં ય જોવા મળે છે. ગાવાની ક્ષમતા ધરાવતા અનેક નવોદિતોને પુરુષોત્તમભાઈએ તક આપી છે. તેઓ માને છે કે ગુજરાતીઓમાં કળાની પરખ છે. એમના સુધી સારું સાહિત્ય-સંગીત પહોંચવું જોઈએ.

આ તાજગીસભર ગીતના કવિ મેઘજીભાઈ ડોડેચા ‘મેઘબિંદુ’ છે. ‘ફાગણનો ફાગ …’ ગીતના સર્જન વિશે એ કહે છે, ‘પચીસેક વર્ષ પહેલાં હું ચિંતક હરિભાઈ કોઠારીની એક શિબિરમાં વડોદરા ગયો હતો. એપ્રિલની શરૂઆત હતી. સવારનું વાતાવરણ ખૂબ સરસ હતું. મોર-કોયલના ટહુકારા સંભળાતા હતા. પવન તો જાણે આપણને અડકીને જ રોમાંચિત કરતો હોય એવું લાગતું હતું. સવારનો વોક લઈ પાછો ઘરે આવ્યો અને ગીતની પહેલી પંક્તિ સ્ફૂરી; ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ …!’ પછી પાંચ-સાત મિનિટમાં આખું ગીત લખાઈ જતાં સંગીતકાર મિત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયને તરત ફોન કર્યો અને આ પંક્તિ સંભળાવી. તેઓ બહુ જ ખુશ થઇ ગયા. કહે કે તમે મને નિરાંતે આ ગીત સંભળાવજો. પછી થોડા જ દિવસમાં એમનો સામેથી ફોન આવ્યો કે મેઘજીભાઈ, પેલું ગીત આપો. એ ગીત લઈને હું એમના ઘરે ગયો. એમણે થોડા જ સમયમાં કમ્પોઝ કરી દીધું હતું. ગીત સંભળાવવા એમણે સંગીતકાર દક્ષેશ ધ્રુવને ખાસ ઘરે નિમંત્ર્યા હતા. દક્ષેશભાઈએ મને ફોન કરીને કહ્યું કે કવિ તમે તરી ગયા. પુરુષોત્તમભાઈએ ગીત ઉત્તમ કંપોઝ કરી દીધું છે. ખરેખર એમ જ થયું. આ ગીત પછીથી ઘણું લોકપ્રિય થયું.’

ઉલ્લેખનીય છે કે કવિ મેઘબિંદુનાં, જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૦ જેટલાં ગીતોનું સંકલન એમના ભાઇ મોહનકુમાર ડોડેચાએ તાજેતરમાં જ કર્યું તથા જામનગર સ્થિત લેફ્ટ. ડો. સતીશચંદ્ર વ્યાસની પરિકલ્પનામાં રમેશ જોશીએ એ ગીતોને યુટ્યુબ પર અપલોડ કર્યાં. મિત્ર સતીશચંદ્ર વ્યાસે મેઘબિંદુના ૮૦મા જન્મદિવસે એ ૮૦ ગીતોની પુસ્તિકા તૈયાર કરી અને એનું વિમોચન જામનગર ખાતે ચોથી માર્ચ ૨૦૨૧ના દિવસે જ કર્યું હતું. આ પણ એક સારું કામ થયું. સુગમ સંગીત ડિજિટલ પ્લેટફોર્મ પર સચવાય એ જરૂરી છે. કવિ રમેશ પારેખની જાણીતી રચના ‘ફાગણની ઝાળ ઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું …’ એ ગીત નયનેશ જાનીના સ્વરાંકનમાં કૃષાનુએ સરસ ગાયું છે. ફાગણ મહિનો જ રંગ-રાગ, મોજ-મસ્તીનો છે. કેસૂડાએ ધરતી પર કામણ કર્યાં હોય ત્યારે આપણે ય રંગાઈ જઈએ આ રંગોમાં!

—————— ————–

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં અહીં કેસૂડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યાંને
ઝૂમે છે આખું ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીએ…
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ…!

•   કવિ : મેઘબિંદુ   •   સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  

• ગાયક : કૃષાનુ મજમુદાર – પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=687842

Loading

...102030...1,9461,9471,9481,949...1,9601,9701,980...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved