Opinion Magazine
Number of visits: 9680233
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહામારીને નામે હત્યાકાંડ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 May 2021

આ લખાય છે ત્યારે પાંચ રાજયોની ચૂંટણીનાં પરિણામો આવવા માંડ્યાં છે. બહુ ગાજેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કુલ 292માંથી તૃણમૂલ 204 સીટો પર તો ભા.જ.પ. 81 સીટો પર આગળ છે. તામિલનાડુમાં 234માંથી ડી.એમ.કે. 149 પર તો એ.ડી.એમ.કે. 80 સીટો પર આગળ છે. કેરળની 140 સીટોમાંથી સી.પી.એમ. 67 પર, કૉન્ગ્રેસ 37 પર આગળ છે, આસામમાં ભા.જ..પ 75 અને કૉન્ગ્રેસ 48 સીટો પર આગળ છે. પુડુચેરીમાં એન.ડી.એ. સત્તા પર આવે તો નવાઈ નહીં. ગુજરાત પેટાચૂંટણીમાં ભા.જ.પ.નો 1 વધુ વિજય થયો છે. એમ લાગે છે કે આસામમાં ભા.જ.પ. અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલને સત્તા મળશે. મમતાનો 1200 મતે વિજય થયો છે. એ વિષે પછી વાત, પણ આજે ચૂંટણીએ કોરોના વધારવામાં જે ભાગ ભજવ્યો છે એ જોઈએ.

મહામારીમાં મૃત્યુ થાય એ સમજી શકાય એવું છે, પણ તંત્રોની બેદરકારી અને પ્રજાની બેવકૂફીને કારણે મૃત્યુ ખૂબ વધી રહ્યાં છે. આમાં ચૂંટણીપંચ પોતાની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ગયું છે અને તેને લીધે વેઠવાનું પ્રજાએ આવ્યું છે. ચૂંટણીપંચ બરાબર જાણતું હતું કે નેતાઓની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને કોવિડ 19ની ગાઈડલાઇન્સનું પાલન થતું જ નથી, છતાં તે તરફ તેણે દુર્લક્ષ સેવ્યું, પરિણામે સંક્રમણે માઝા મૂકી. આજે સ્થિતિ એ છે કે રોજના ચારેક લાખ નવા કેસ નોંધાવીને ભારત વિશ્વમાં મોખરે ઊભું રહ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે પંચ પર હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ એવી ટિપ્પણી કરતાં ચેતવણી આપી હતી કે ચૂંટણીનાં પરિણામો વખતે ગાઈડલાઇન્સનું પાલન નહીં થાય તો કોર્ટ મતગણતરી રોકશે, પણ લોકો મતગણતરી પછી બેફામ થયાં ને ચૂંટણી પંચે રાજ્યોને આવા લોકો પર એફ.આઇ.આર. કરવાની વાત કરીને સંતોષ માનવો પડ્યો. બંગાળમાં માસ્ક વગર ભીડ થઈ અને રસ્તા પર ફટાકડા ફૂટયા, ચેન્નાઈમાં ભીડને લાડુ વહેંચાયા, એટલું ઓછું હોય તેમ બાળકોને પણ જીતમાં સામેલ કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીની મતગણના વખતે હાથરસમાં હજારોની ભીડે કાઉન્ટિંગ હોલમાં ઘૂસવાની કોશિશ કરી. એમાં જ એક કેન્દ્ર પર મતગણતરી કરનારા 4 કર્મચારીઓ સંક્રમિત હતા. એક વાત સ્પષ્ટ છે કે સર્વનાશ કોરોનાએ કર્યો તેના કરતાં ચૂંટણીએ વધુ કર્યો છે ને ખબર નહીં, રેલીઓ ને પરિણામો નિમિત્તે થયેલી ભીડ આવનારા દિવસોમાં શું વીતાડશે? એમાં કોઈ શંકા નથી કે કોરોનાને રોકવામાં તંત્રો નિષ્ફળ ગયાં છે ને આ નિષ્ફળતા કોઈ પણ ગુનાહિત કૃત્યથી જરા પણ ઓછી નથી.

એક વાર કેન્દ્રના આરોગ્ય મંત્રીને પૂછવામાં આવ્યું કે મહામારીના કાળમાં ચૂંટણીઓ રોકી શકાઈ હોત, પણ તેમણે જવાબ આપવા પોતે સક્ષમ નથી એમ કહીને વાત ટાળી. એટલું નક્કી છે કે ચૂંટણી ઘણાં રાજ્યોમાં સંક્રમણનું કારણ બની છે ને તેને કારણે જે મૃત્યુ થયાં છે તેને હત્યાથી જુદું નામ આપી શકાય એમ નથી. સરકારો કામ કરે છે તેની ના નથી, પણ તેની કામ કરતાં કામની જાહેરાત વધુ હોય છે. જેટલાં લોકોને રસી મૂકાઈ છે તે કુલ વસતિના બે ટકાથી વધુ નથી ને દેખાવ એવો છે કે રસીકરણમાં ભારતે જગ જીતી લીધું છે. એવો જ લવારો કોરોનાનું જોર નરમ પડતાં વિજય મેળવી લીધાનો થયેલો. એને કારણે તંત્રો અને લોકો મહામારી પરત્વે ઉદાસીન બન્યાં ને દાટ એણે વાળ્યો.

સરકાર અને પંચની ઉદાસીનતાએ કેવો ભાગ ભજવ્યો છે તેનું ઉદાહરણ ઉત્તર પ્રદેશે પૂરું પાડ્યું છે. ત્યાં પંચાયતી ચૂંટણીમાં 706 પ્રાથમિક શિક્ષકોનાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયાં છે. શિક્ષક સંઘે 2 મેએ થનારી મતગણતરી મોકૂફ રાખવા મુખ્ય મંત્રી અને ચૂંટણીપંચને પત્ર લખ્યો ને સાથે મૃતકો યાદી પણ બીડી, પણ કૈં થયું નહીં. શિક્ષક સંઘે ચૂંટણી સ્થગિત કરવાની ને થવાની જ હોય તો સ્ટાફને વેક્સિન આપવાની તથા ચૂંટણી પ્રશિક્ષણ ઓનલાઈન આપવાની માંગ કરી, પણ સરકારે ને પંચે એ તરફ ધ્યાન ન આપ્યું ને 700થી વધુ શિક્ષકો મરણશરણ થયાં. આ મૃત્યુ રોકી શકાયાં હોત, એ કોરોનાને કારણે થયાં તેનાં કરતાં તંત્રોની અને બેદરકારીને કારણે વધુ થયાં છે. આમ તો ટેવ પ્રમાણે સરકારો સંવેદનાઓ પાઠવતી હોય છે કે થોડા લાખ, રાખ પાછળ ફેંકતી હોય છે, પણ એવો વિવેક દાખવવાનું પણ કોઈને સૂઝયું નથી. હોય એ તો ! તંત્રો કોને કહ્યાં છે !

એ સંદર્ભે ગુજરાત સરકાર ખાસી સંવેદનશીલ છે. એણે સંવેદનાનું ને થોડા લાખનું પોટલું તરત જ ભરુચ માટે ખોલી નાખ્યું. સારું છે કે કોઈ ઘટના બને એટલી રાહ સરકાર જુએ છે, બાકી તો એમને એમ પણ કોઈને ત્યાં પોટલું પહોંચી જાય તો નવાઈ નહીં. જો કે, ભરુચ માટે જાહેરાત કરી તે તો ખરેખર 18 જણાંનાં કોલસા પડ્યા એટલે. સરકારે તરત જ તપાસ સોંપી ને મૃતકોના પરિવારોને ચાર ચાર લાખની (સ)હાય જાહેર કરી. કેમ જાણે એ મેળવવા જ અગ્નિસંસ્કાર પહેલાં મરનાર ભડથું થયાં હોય !

ગયા શુક્રવારની મધરાતે ભરુચની એક હોસ્પિટલમાં આગ ફાટી નીકળી અને 16 કોરોના દરદીઓ તથા બે નર્સોનો ભડકો થઈ ગયો. એમાંના 12 વેન્ટિલેટર પર હતા. વેન્ટિલેટરમાં સ્પાર્ક થતાં મોડી રાત્રે આગ લાગી ને પછી જે થવાનું હતું તે થયું. જો કે થોડા દરદીઓને બચાવી લેવાયા. આમ તો આ અકસ્માત છે ને એને એ જ રીતે જોવાનો રહે, પણ અકસ્માતની પરંપરા સર્જાય ત્યારે એ અકસ્માત ન રહેતાં બેદરકારીનો નાદાર નમૂનો બને છે. હોસ્પિટલોમાં દરદી રોગને કારણે મરે તે સમજી શકાય, પણ આગથી મરે ને એવી આગ એકથી વધુ  વખત કોવિડ હોસ્પિટલમાં ને તે પણ આઇ.સી.યુ.માં જ લાગે તો એને દર વખતે અકસ્માત ગણી શકાય નહીં. એવે વખતે સરકાર તપાસ સોંપીને અને સહાય ફાળવીને રહી જાય તો તે માનવીય સંવેદના ધરાવતી નથી, એવો જ એનો અર્થ થાય. ગયા ઓગસ્ટમાં અમદાવાદ અને જામનગરમાં આઇ.સી.યુ.માં આગની ઘટનાઓ બની, તે પછી સપ્ટેમ્બરમાં વડોદરામાં પણ આઇ.સી.યુ.માં જ આગ લાગી, તો નવેમ્બરમાં રાજકોટમાં પણ એમ જ બન્યું, એ ઓછું હોય તેમ સુરતની એક આઇ.સી.યુ.માં ગયા મહિને આગ લાગી. ગુજરાતમાં અત્યાર સુધીમાં આગમાં 36 કોરોના દરદીઓનો ધુમાડો થયો છે. આ બધું છતાં રેઢિયાળ તંત્રો આગલી ઘટનાઓમાંથી કૈં શીખતાં નથી ને નિર્દોષોનું આવી બને છે.

આ તો તંત્રોની વાત થઈ, પણ પ્રજા તરીકે આપણા જેવી દંભી, મતલબી અને નિષ્ઠુર પ્રજા બીજી નથી. એક તરફ ડોક્ટરો, નર્સો અને સેવાભાવી સંસ્થાઓ જીવનું જોખમ ખેડીને દરદીઓને બચાવવાની કોશિશ કરે છે ત્યાં કેટલાંક લોકો પૂરા બેશરમ થઈને ધંધો કરી રહ્યાં છે. કોઈ હજારોનું એમ્બ્યુલન્સનું  બિલ ફાડે છે તો કોઈ રેમડેસિવિરનાં કાળાબજાર કરી ગજવાં ભરે છે. કેટલાકની હોજરી ભરાતી જ નથી એટલે સુરતમાં નકલી રેમડેસિવિરની ફેક્ટરી જ નાખે છે ને 60 હજાર ઇન્જેકશન્સ બનાવીને 5 હજાર તો બજારમાં વેચી પણ મારે છે. મીઠું અને ગ્લુકોઝ ભેળવીને ઇન્જેક્શન્સ બનાવતી એક ટોળકી પકડાઈ છે. ઝેર મોંઘું પડ્યું હશે, બાકી ગ્લુકોઝ, મીઠાની જગ્યાએ એ નાખીને પણ નકલી રેમડેસિવિર બનાવતાં આવા હેવાનો અચકાય એમ નથી. આ ટોળકી પાસેથી 1 કરોડ રોકડા અને 2.73 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ લોકો ગરીબ નથી, પાસે પૈસા છે ને વધુ કમાવા લોકોની જિંદગી જોડે રમત રમે છે. આટલી હિંમત આવા લોકોમાં એટલે આવે છે, કારણ કાયદો કૈં બગાડી શકવાનો નથી એવી એમને ખાતરી હોય છે. બગાડે તો પૈસા વેરીને છટકી શકાય એમ છે, એટલે ગુનો કરતા રહે છે.

એમાં નાનો વેપારી કે લારીવાળો પણ બાકાત નથી. કોવિડના દરદીને ઇમ્યુનિટી વધે તેવી ચીજવસ્તુઓ લેવાની ભલામણ થતી હોય છે એટલે સંબંધીઓ લીંબુ, સંતરા, મોસંબી, નાળિયેર વગેરે લેવાં દોડે છે. આ જરૂરિયાત ઊભી થયાની ખબર પડે તો માનવતા દાખવીને સસ્તું આપવાની કોશિશ બધાંએ કરવી જોઈએ, પણ સામેવાળો કતલખાનામાં આવ્યો હોય તેમ બધાં જ એને વધેરવા તૈયાર થઈ જાય છે. એ જ કારણ છે કે 50 રૂપિયે કિલોના લીંબુ 150 રૂપિયે થઈ જાય છે, 10-20નું નાળિયેર 100 રૂપિયે વેચાય છે. સરકારનો ઇજારો પોતાને મળી ગયો હોય તેમ બધાં જ લૂંટવા લાગે છે. એ બિચારા જાણતા નથી કે લૂંટનારને લૂંટનારા પણ છે. એટલીસ્ટ, સરકાર તો માથે છે જ ! આ બધામાં સાધારણ માણસને તો જાણે જીવવાનો અધિકાર જ રહ્યો નથી. તે બિલ ભરી શકે એમ નથી. સો રૂપિયાનું નાળિયેર ખરીદવાની ત્રેવડ ન હોય ત્યાં ઓક્સિજન, ઇન્જેકશન્સ, એમ્બ્યુલન્સ સુધી તો એ જવાનો જ કેવી રીતે હતો? એનો મરો તો ઉધાર ઉછીનું કરીને સ્વજનને બચાવવા મથે ત્યારે થાય છે ને વક્રતા એ હોય છે કે સ્વજન સ્મશાન થઈ જાય છે ને બિલ ભરવાનાં બાકી રહી જાય છે. તે તો એવી પ્રાર્થના જ કરવાનો કે મરવાનું જ હોય તો હોસ્પિટલ સુધી ન જવાનું થાય તો સારું, કારણ સ્વજન ને સંપત્તિ, બંને ગુમાવવાનું તેને કોઈ રીતે પરવડે એમ નથી …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 મે 2021

Loading

ચાલો, ગાંધીજીનું મગજ ખોલીએ …

વિશાલ ભાદાણી|Opinion - Opinion|3 May 2021

‘ન્યુરો-એન્લાઈટન્મેન્ટ-યુગ’માં આપનું હાર્દિક સ્વાગત છે!

વાત છે પહેલી ઑગસ્ટ ૧૯૬૬ની. સ્થળ છે અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીની અગાસી. ચાર્લ્સ વ્હીટમેન નામનો એક “સજ્જન” પોતાની બંદૂક લઈને યુનિવર્સિટીના ૧૪ લોકોને મારી નાખે છે. અનેક લોકોને ઘાયલ કરે છે. ઘેરથી નીકળતા પહેલાં તેણે પોતાની મા અને પત્નીને પણ મારી નાખ્યાં. આ ઘટનાએ આખા અમેરિકાને હચમચાવી દીધું! ત્યાં સુધી કે ટાઈમ મેગેઝીને તેના કવર-પેજ પર આ વ્યક્તિનો ફોટો છાપ્યો. અંતે પોલીસે તેને ઠાર માર્યો. આ વર્તનનું કોઈ ખાસ કારણ? એ તપાસવા માટે પોલીસે એક ઇન્વેસ્ટીગેશન હાથ ધર્યું. પડોશીઓને ચાર્લ્સ વિશે પૂછ્યું તો લોકોએ કહ્યું એ તો એકદમ સજ્જન માણસ હતો અને કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો નથી કર્યો. અને અમારાં પડોશીઓના કૂતરાને પણ એ ફરવા લઈ જતો, એટલો માયાળુ માણસ હતો. પોલીસે એનું ઘર તપાસ્યું તો એમને ચાર્લ્સની ડાયરી મળી જેમાં એણે લખ્યું હતુંઃ “છેલ્લા કેટલાક સમયથી મારી અંદર શું ચાલી રહ્યું છે એ સમજાતું નથી. મને ઢંગધડા વગરના વિચારો આવે છે અને ખૂબ માથું દુઃખે છે. હું કંઇક એવું કરી બેસું કે જે મારે ન કરવું જોઈએ તો હું એવું ઇચ્છું છું કે મારાં મગજની autopsy કરવામાં આવે અને જોવામાં આવે કે એમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ.” આ કામ માટે એણે ત્રીસ હજાર ડોલરનો ચેક પણ ડાયરીમાં મૂકેલો. ત્યાર બાદ એની ઇચ્છા પ્રમાણે તેના મગજનો ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો અને જે પરિણામ આવ્યું એ સૌ માટે આશ્ચર્યજનક હતું. ચાર્લ્સના મગજમાં મોટી ગાંઠ હતી. મગજના જે ભાગમાં ગાંઠ હતી તેને amygdala કહેવાય છે જે આપણામાં રહેલા ગુસ્સા, હિંસા, ભય વગેરે જેવા ભાવોનું નિયંત્રણ કરે છે. એટલે એણે જે હત્યાઓ કરી તેને માટે એના મગજના amygdalaમાં જે ગાંઠ હતી તે જવાબદાર હતી એવું તારણ નીકળ્યું!

આ ઘટનાથી ગુનાખોરી અને હિંસાને સમજવાના અનેક રસ્તાઓ ખૂલી ગયા. હવે ધારો કે તે દિવસે ચાર્લ્સને પકડીને તેના મગજની ગાંઠ દૂર કરવામાં આવી હોત અને એના મગજનું amygdala ફરી નૉર્મલ થયું હોત તો શું તેના પર કેસ થવો જોઈએ, એને સજા થવી જોઈએ? બીજો પ્રશ્ન શું કોઈ પણ વ્યક્તિ આવી બીમારીનો હવાલો દઈને કંઈ પણ કરી શકે? અને વળી, આપણે હિંસાનું કારણ બીમારી છે જ એવું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકીએ? આવા પ્રશ્નો પણ બહુ ચર્ચાયા. પણ, એક વાત તો સાબિત થઈ ગઈ આપણે માનીએ કે ન માનીએ પણ આપણા બધા જ ભાવો, પ્રેમથી લઈને ઈશ્વરમાં શ્રદ્ધા સુધીનું બધું જ આપણા મગજમાં રહેલા કોષોના પરસ્પર વ્યવહારોની જ નીપજ હોય છે. એટલે“પ્રેમ” કે “ઈશ્વર પરની શ્રદ્ધા” પ્રગટાવનારા કોષોને આપણે બહારથી નિયંત્રિત કરી શકીએ તો કોઈ પણ માણસની ભાવાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક અનુભૂતિઓ પર ધાર્યો પ્રભાવ પાડી શકાય!

ન્યુરોલોજીમાં જે સંશોધન થઈ રહ્યું છે તેનાથી માનવમનનાં અનેક રહસ્યો સામે આવી રહ્યાં છે અને અત્યાર સુધી જે black-box કહેવાતું એવું માનવ મન હવે વાંચી અને ઉકેલી શકાય છે. Functional Magnetic Resonance Imaging (FMRI) અને Event Related Potentials (ERP) દ્વારા બહારના વાતાવરણમાં જે કંઈ પણ થાય છે તેની માનવ મગજ પર ક્યાં અને કેવી અસર થાય છે એ જાણી શકાય છે. સંશોધનોનો લાભ લેવામાં સૌથી આગળ કોર્પોરેટ જગત હોય છે અને ઘણાંખરામાં તો તેનું સીધું રોકાણ જ હોય છે, કારણ કે જેટલા વધુ ગ્રાહકોને આકર્ષી શકાય એટલો વધુ નફો મળે! એટલે ‘neuro-marketing’ અને ‘FOMO’ (Fear Of Missing Out) જેવા શબ્દો આજે ખૂબ જ જાણીતા બન્યા છે. ધીમે ધીમે માણસનું મગજ hack કરવાની જાણે કે હરીફાઈ ચાલી છે અને કોઈને ય એનો કોઈ જ વાંધો નથી. ટી.વી. અને ઈન્ટરનેટમાં જે પ્રકારે કોર્પોરેટ અને પોલિટિકલ માર્કેટિંગ કરવામાં આવે છે તેમાં ન્યુરોલોજીનો ઉપયોગ કરીને આપણી ખરીદી કરવાની અને મત આપવાની નિર્ણયશક્તિને આરામથી “હાઈજેક” કરી લીધી છે.

આપણે ન્યુરોલોજી-સંશોધનમાં એવા તબક્કે આવીને ઊભા છીએ કે જ્યાંથી આપણે માનવ-વર્તન માટે જવાબદાર મગજના જે તે કોષને બરાબર જાણી રહ્યા છીએ. એટલે અત્યારે સુધી જે બીમારીઓ પકડાતી જ નહોતી અને જે અસાધ્ય લાગતી હતી તેની સારવાર શક્ય બની છે. Bionic આંખ અને Prosthetic પગ વડે લોકોનું દિવ્યાંગપણું ઘટ્યું છે. માનવ સ્વભાવ પ્રમાણે આપણે જે વસ્તુ જાણી લઈએ પછી એને નિયંત્રિત કરવાની સહજવૃત્તિ હોય છે. એટલે આપણે ન્યુરોલોજી અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ને સાથે જોડીને માનવ-વર્તનને બહારથી નિયંત્રિત કરવાની દિશામાં એટલા આગળ નીકળી ગયા છીએ કે આપણે હવે બહુ જલદી વિચારોને સીધા જ સ્ક્રીન પર જોઈ શકીશું (વધુ જુઓ Moran Cerf)! તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ મોબાઈલ પર જોવા માટે તૈયાર છો ને? જીવનમાં ન્યુરોલોજી બધાં જ પાસાઓ આટલી હદે ઊંડી અસર કરી રહ્યું છે ત્યારે આવા યુગને ‘ન્યુરો-એન્લાઈટન્મેન્ટ-યુગ’ કહીએ તો વાંધો આવે?

આ દિશામાં આગળ વધીએ એટલે આપણને Neuroethics નામની એક આખી વિદ્યાશાખા મળે છે જેમાં માણસ જે કંઈ નૈતિક મૂલ્યોને લગતા નિર્ણયો લે છે તેની પાછળ મગજની કઈ બાયોલોજી અને કેમિસ્ટ્રી કામ કરે છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. લાઈ-ડિટેકટર કેવી રીતે કામ કરે છે એ આપણે જાણીએ છીએ. હવે ન્યુરોલોજી, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને બાયો-સાયન્સીસ સાથે મળીને આપણને મૂલ્ય કેળવણીમાં ચોક્કસ મદદ કરી શકે તેમ છે. શરૂઆતમાં કોઈ રોગની સારવાર તરીકે શોધાયેલ દવાને આગળ જતાં “અન્ય” હેતુઓ (better than well) માટે વાપરવાનો ઇતિહાસ જાણીતો છે. જેમ અમુક પ્રકારનાં ડ્રગ્સ લેવાથી શારીરિક ક્ષમતાઓમાં વધારો કરીને રમતવીરો મેડલ જીતી શકે એમ જ અમુક પ્રકારનાં ડ્રગ્સ લેવાથી માણસની નૈતિક નિર્ણય લેવાની ક્ષમતામાં પણ અસર પહોંચાડી શકાય. દુનિયાભરમાં જે સત્તા અને રાજકારણ એક સમયે કોલસાની ખાણોને લગતા વ્યવસાયોમાં હતાં, ખનીજ તેલના કૂવા-ધારકો પાસે હતાં એ જ અને એથી અનેકગણાં વધારે અત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસે છે.

શું મગજમાં દવા ભરીને તેની પાસેથી અમુક પ્રકારનું કામ લેવું યોગ્ય છે? આ નૈતિક પ્રશ્ન બહુ થોડો સમય જ નૈતિક રહેશે. મિલિટરીમાં આના ફાયદાઓ દેખાવા લાગ્યા છે. અમેરિકામાં આજે ૪૦,૦૦૦ લોકોના મગજમાં ચીપ ફીટ કરેલી છે. આ બધા લોકોને કોઈને કોઈ બીમારી સામે લડવામાં આ ચીપ મદદ કરે છે. પણ, જો એવી ખબર પડે કે ચીપનાં અમુક ફંક્શન બદલવાથી આપણા સૈનિકોને શરીરિક પીડાનો અનુભવ જ ન થાય તો એ નિર્ણય લેતાં કેટલી વાર! (અત્યાર સુધી જે ફિલ્મોમાં થતું એ હવે હકીકત થઇ શકે!) આપણી દુઃખદ યાદોને ભૂલવા માટેની દવા(Propranolol)ને તો FDA માન્યતા મળેલી છે!!

આ જ ન્યુરોલોજીનો ઉપયોગ કરીને મૂલ્ય-કેળવણી કેવી રીતે કરવી જોઈએ તેનાથી આપણે યોજનો દૂર છીએ! જે વિજ્ઞાનનો ઉપયોગ કરીને માણસને જે તે વસ્તુ ખરીદવા એની જાણ બહાર મજબૂર કરવામાં આવે છે અથવા તો જે તે પાર્ટીને મત આપવા માટેની તેની માનસિકતાને તૈયાર કરવામાં આવે છે એ જ વિજ્ઞાનનો ઉપયોગ સારા કામ માટે ન થઈ શકે? મૂલ્ય-કેળવણીમાં આપણે નિષ્ફળ શા માટે જઈએ છીએ તેના ઘણાં કારણો છે જેમાંનુ એક મૂલ્ય અને મગજના કોષો વચ્ચેના આંતરસંબંધો વિશેનું આપણું અજ્ઞાન છે. પણ, હવે જ્યારે આ અજ્ઞાનનું જ્ઞાન થયું છે ત્યારે તેનો માર્ગ શોધવો રહ્યો.

સસ્તન પ્રાણીઓ અને ન્યૂરોલોજી

સામાન્ય રીતે એવું માનવમા આવે છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ અને પરંપરાઓ માણસમાં મૂલ્યો રોપે છે. પણ શું એ સાચું છે? પૅટ્રિશિયા ચર્ચલેન્ડના પુસ્તક ’બ્રેઈન-ટ્રસ્ટ’માં દલીલ કરવામાં આવી છે કે ધર્મો પહેલાં આપણું મગજ મૂલ્યોની સમજ ધરાવતું હતું. આ વાતને થોડી વ્યવસ્થિત સમજવા માટે આપણે ઈવોલ્યુશનરી બાયોલોજીમાં જવું પડશે. થોમસ લેવીસ નામના માનસશાસ્ત્રી (Neurologist) જણાવે છે કે સરીસૃપ જીવો અને સસ્તન જીવોમાં જે તફાવત છે એમાં સૌથી મોટો અનુકંપાનો છે. એટલે કે સરીસૃપો ઈંડાં મૂકે છે અને એ ઈંડાં બચ્ચાં બને ત્યાં સુધીની તેની મુખ્ય જવાબદારી હોય છે. એકવાર ઈંડામાંથી બચ્ચાં નીકળી જાય પછી માતાપિતાની જવાબદારી ઘણી ઘટી જાય છે. પણ સસ્તન જીવો જે બચ્ચાંને જન્મ આપે છે એમને પ્રકૃતિએ વિશેષ જવાબદારી આપી છે. બચ્ચાંને જન્મ આપ્યા બાદ તેઓએ એમની સુરક્ષા, ખોરાક, પ્રેમ, વાતચીત તેમ જ અમુક અંશે શિક્ષણની જવાબદારી ઉઠાવવાની હોય છે. આમાં પ્રેમ અને સુરક્ષાની વચ્ચે ‘અનુકંપા’ આવે છે. આમ, એક સસ્તન જીવ તરીકે માણસમાં અનુકંપા સહજ છે. સસ્તન જીવોને સમૂહમાં રહેવા માટે કેટલાક વણલખ્યા નિયમો પાળવા પડતા હોય છે. પ્રત્યેક સસ્તન માટે પોતાના સમાજમાં રહેવું એ અનિવાર્ય બની જાય છે કેમ કે તો જ એ ટકી શકે છે. એટલે એણે જો પોતાના સમાજમાં રહેવું હોય તો એ સ્વીકારવું પડે કે મારી બહેન કે મારો ભાઈ મારો ખોરાક નથી! હાથીઓમાં પણ આપણે ઘણાં વિશેષ મૂલ્યો જોઈ શકીએ છીએ. જેમ કે જૂથના કોઈ પણ હાથીનું મૃત્યુ થાય તો આખું ય જૂથ ત્રણ દિવસ સુધી એ જગ્યાએ જઈને ઊભા રહે છે. માણસ, એક સસ્તન પ્રાણી તરીકે સામાજિક પ્રાણી છે અને એના મગજની કુદરતી ડિઝાઇન જ એવી છે કે જે એને સામૂહિક-જીવન માટે જરૂરી એવાં મૂલ્યો સહજ પાળે છે.

અત્યારે મૂલ્યો ધોવાઈ રહ્યાં છે એવી એક ફરિયાદ છે પણ એ માત્ર સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે છે. કારણ કે માણસને વ્યક્તિવાદી જીવનશૈલી વધુ માફક આવતી જાય છે જે ખરેખર તો તેની કુદરતી ડિઝાઇનથી વિરુદ્ધ છે. સ્વતંત્રતા (સ્વચ્છંદતા વાંચવું) અને અધિકારોને નામે માણસ પોતાના એકલા માટે એવી બાબતો પસંદ કરે છે જે સમૂહ માટે હાનિકારક હોય છે. આ અર્થમાં ’ફરજ’ના અર્થમાં ધર્મ આધારિત વર્તવું એ આપણું વધુ સાહજિક વર્તન છે કેમ કે એમાં સમૂહનો વિચાર છે.

હવે માણસના મગજ અને મૂલ્યો વચ્ચેનાં સંબંધને વધુ વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. ન્યૂરોલોજી એમ કહે છે કે માણસ બે રીતે મૂલ્ય-વિષયક નિર્ણયો લે છેઃ ૧) વૃત્તિસહજ – સસ્તન પ્રાણી તરીકે તુરત લેવાતા નિર્ણયો અને ૨) તર્કસહજ – ધર્મ અથવા શિક્ષણ દ્વારા શીખીને તાર્કિક રીતે વિચારીને સમય લઈને લેવાતા નિર્ણયો. આપણને પ્રશ્ન થાય કે આ બેમાંથી કઈ રીતે નિર્ણય કરવામાં આવે તો બહુજન હિતાય નિર્ણયો લઇ શકાય? હાર્વર્ડના જોશુઆ ગ્રીન નામના એક પ્રોફેસરે એક સરસ પ્રયોગ કર્યો. પચાસ વ્યક્તિઓને નેચર કૅમ્પ માટે એક ટાપુ પર લઇ જવામાં આવ્યાં. એક દિવસ સૌને ત્યાંના આદિવાસીઓને મળવા લઇ જવામાં આવ્યા. પછી એમને કહેવામાં આવ્યું કે આ લોકોને સ્વાસ્થ્ય અને શિક્ષણના ગંભીર પ્રશ્નો છે; શું તમારામાંથી કોઈ આમને થોડું પણ દાન આપી શકો? એટલે પચાસમાંથી લગભગ ત્રીસેક લોકોએ તરત હાથ ઊંચા કર્યા. આવા જ બીજા જૂથને એક સેમિનાર હૅાલમાં બેસાડીને એ જ આદિવાસીઓના જીવન વિષે વિસ્તારથી સમજાવવામાં આવ્યું અને અંતે કહેવામાં આવ્યું કે આ લોકોને સ્વાસ્થ્ય અને શિક્ષણના ગંભીર પ્રશ્નો છે; શું તમારામાંથી કોઈ આમને થોડું પણ દાન આપી શકો? જે લોકોને દાન આપવું હોય એ હૉલની બહાર એક ફોર્મ છે એ ભરી દેજો. તો પચાસમાંથી માત્ર સાત જણાએ દાન આપવાની તૈયારી બતાવી. આનો અર્થ એ થયો કે માણસ આજે પણ  વૃત્તિસહજ જે નિર્ણયો કરે છે તે વધુ અસરકારક છે અને તર્ક-સહજ નિર્ણયો ઓછા કરે છે. વિચારીને પગલાં ભરવાં જોઈએ એ મૂલ્ય-વિષયક નિર્ણયોમાં ખોટું સાબિત થાય છે.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આપણા મગજમાં એક ખાસ જગ્યા છે (સર્કિટ) જે આપણાં મૂલ્યોને લગતા નિર્ણયો કરે છે. આપણે સાચું બોલીશું કે ખોટું, કોઈને છેતરીશું કે મદદ કરીશું, દાન દઈશું કે નહીં, બીજાની પીડા જોઈને આપણને અનુકંપા થશે કે નહીં, ખોટું કર્યા પછી પસ્તાવો થશે કે નહીં અને ન્યાયિક સમાજ-જીવન માટે આપણે શું કરીશું આ બધાનો જ્યાં ફેંસલો થાય છે એને કહે છે Right Temporal Parietal Junction. ગાંધી-મૂલ્યોને ન્યરોલોજીના પરિમાણથી જોઈ શકાય? ગાંધીવાદીઓ આમ કેટલા સહમત થાય એ પ્રશ્ન છે પણ તો આ વાત અનેક દરવાજાઓ ખોલી શકે તેમ છે.

એટલે હવે વાત, ગાંધીમૂલ્યો અને ન્યૂરોલોજીની

ગાંધીજી જે મૂલ્યોને જીવ્યા એમાંનું એક છે અનુકંપા-તાદાત્મ્ય (Empathy). અન્યાયની લાગણીનો મને જેવો અનુભવ થાય છે એવો જ અનુભવ બીજાને પણ થતો હોય છે એ ભાવે દક્ષિણ-આફ્રિકામાં સત્યાગ્રહનાં મંડાણ થયાં. જો મારાં ભાઈ-ભાંડુઓ પાસે પૂરતાં કપડાં ન હોય અને હું અમલદારી ઠાઠવાળાં કપડાં પહેરું એ બરાબર ન કહેવાય. આ અનુકંપામાંથી નીપજતા વિચારો છે. માત્ર ગાંધીજી જ નહીં આપણે પણ અન્યનું દુઃખ જોઇને ક્ષણવાર વત્તી-ઓછી માત્રામાં દ્રવી તો જઈએ જ છીએ. અન્ય પ્રત્યેની અનુકંપા, એમને મારાથી દુઃખ ન પહોંચાડાય એવો અહિંસાનો ભાવ પણ એમાં કામ કરે છે.

હજુ વધુ આગળ સમજીએ તો મગજના (હૃદયના નહીં!) જે કોષો અનુકંપા પેદા કરે છે તેને Mirror Neurons કહેવાય છે જે આપણામાં અન્ય પ્રત્યે સહાનુભૂતિ જગાડે છે. આ મિરર ન્યૂરોન્સની શોધ ઈટાલીમાં થઇ છે. અન્યને પીડામાં જોઈને આપણી આંખની કોર ભીની થવી, એના માટે કશુંક કરવું અને સમાજના લોકોને અમુક પીડાઓ ભોગવી જ ન પડે તેના વિશે સતત મંથન કરવું એ જો એક મૂલ્ય તરીકે આપણે બાળકોમાં કેળવવું હોય તો મિરર ન્યૂરોન્સને હેતુપૂર્વક છંછેડ્યા વગર શક્ય નથી. કુદરતે આ ન્યુરોન્સ આપ્યા છે પણ તે ન્યુરોન્સ સતત સક્રિય રહે અને કુંઠિત ન થઇ જાય તેવું વાતાવરણ સર્જન કરવું પડે અને એવી પ્રવૃત્તિઓ બનાવવી પડે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાર્યરત મૂળ ભારતીય ન્યુરોલોજીસ્ટ એવા ડૉ. વી.એસ. રામચંદ્રન આ મિરર ન્યૂરોન્સને ‘ગાંધી-ન્યુરોન્સ’ કહે છે! શું ગાંધીજીના મગજમાં રહેલાં મિરર ન્યૂરોન્સ વધારે સક્રિય હતા એમ કહી શકાય? ગાંધીજીના મગજમાં રહેલા મિરર ન્યૂરોન્સ ખૂજ જ સક્રિય રહેતા તો એની પાછળ કેવાં ન્યુરોલોજિકલ કારણો અને પરિબળો જવાબદાર હતાં? શું એમની ખોરાક/ઉપવાસ પદ્ધતિ જુદી હતી? કે એમનું વાંચન અને મનન વિશેષ હતું? શું એમની ઈશ્વર પરની શ્રદ્ધાએ એમાં કોઈ ભૂમિકા ભજવી હશે?

બીજું ગાંધી-મૂલ્ય છે ‘સત્ય’. દર્શકે એક વેધક સવાલ પૂછેલો છેઃ ‘સત્યમેવ જયતે’ને ઇતિહાસ અનુમોદન આપે છે? આપણે જરા જુદા સંદર્ભમાં પૂછીએ કે શું જીવ-વિજ્ઞાન અને ઉત્ક્રાંતિ સત્યને અનુમોદન આપે છે કે પછી સત્ય એક સાંસ્કૃતિક ખ્યાલ છે? ગાંધીજીએ સત્યના જે પ્રયોગો કર્યા તેને ન્યુરોલોજી કેવી રીતે જુએ છે એ તપાસ ઘણું અજવાળું પાથરી શકે. સત્ય સાથે અહિંસાનો પણ વિચાર કરવો રહ્યો. કુદરતમાં માણસ સિવાયના મોટા ભાગના જીવોમાં ‘હિંસા’ નૈતિક પ્રશ્ન ન રહેતાં જીવન ટકાવી રાખવા માટેનો નિર્વિકલ્પ માર્ગ છે. તો એક માણસ બીજા માણસ પ્રત્યે હિંસક બને છે ત્યારે તેના મગજના ક્યા ભાગમાં કેવી અસર થાય છે એ જાણીને આવા માણસો ક્યારે ક્યારે અને કેવી કેવી હિંસા કરી શકે તેનો નકશો ન બનાવી શકાય? ‘સર્વોદય’ અને ‘સત્યાગ્રહ’ જેવા શબ્દો બોલીએ, સમજીને બોલીએ, એમાં વિશ્વાસ રાખીએ, એના માટે પ્રયત્નો કરીએ, લોકોને એના વિશે જાગૃત કરીએ ત્યારે આપણા મગજના ક્યા ભાગમાં કેવી અસર થાય છે એ એમ.આર.આઈ. અને ઈ.આર.પી. જેવી ટેક્નોલોજી દ્વારા જોઈએ તો કેવું?

શિક્ષણ જગતમાં વારંવાર જે વાક્યપ્રયોગ થાય છે એ છેઃ “આપણે સારો માણસ બનાવવો જોઈએ.” આપણે પ્રામાણિકતાથી, આ ઉદેશ્યની સફળતા વિશે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે હજારો શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓના ધ્યેયમંત્રમાં મનુષ્યત્વ ઉજાગર કરવાની વાત હોય છે. એક સાદી સમજ પ્રમાણે આવાં ધ્યેય-મંત્રોમાં મોટા ભાગનાં ગાંધી-મૂલ્યો આવી જાય છે. આવાં મૂલ્યોને આત્મસાત કરવા માટે આખી જીવનશૈલી બદલવી પડે. પણ, ગાંધીવિચાર આધારિત જીવનશૈલી આપણે અપનાવી શકતા નથી ત્યારે આપણે ન્યુરોલોજી પાસે જવું જોઈએ અને આપણાં ધ્યેયમંત્રોને સાધવા માટે કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેનાથી વિદ્યાર્થીઓના મગજમાં જ ફેરફાર થાય (જેમ અત્યારે સોશિયલ મીડિયા કરી રહ્યું છે તેમ) અને તેના પર હકારાત્મક અસર પહોંચાડી શકાય તેનું એક વ્યાપક આયોજન માગવું જોઈએ.

આમ કરવા જતાં જે કેટલાક પ્રશ્નો ઝાંખા ઝાંખા દેખાય છે તે નીચે પ્રમાણે છેઃ

• આપણે સત્ય જ બોલીએ એવી ગોળીઓ (કોઈપણ આડ અસર વગરની) બજારમાં મળે તો આપણે આપણાં સંતાનોને ખવરાવીએ?

• સરકાર શાળા/કૉલેજનાં બધાં જ બાળકોને આવી ગોળી લેવાની ફરજ પાડી શકે?

• તમારાં કારખાનાં/સંસ્થાઓમાં ચોરીના બનાવો ન બને તે માટે તમે તમારા કર્મચારીઓને ચોરી ન કરે તેવી ગોળીઓ ફરજિયાતપણે (એકાદ ઇન્સેન્ટીવ સાથે) ખવરાવો ખરા?

• જો ગાંધીજી હોત તો આવી ગોળીઓનો વિરોધ કરત કે સમર્થન આપત? કેવી રીતે?

• શું સામાજિક પ્રશ્નો ઉત્ક્રાંતિનો ભાગ નથી?

• ભવિષ્યમાં માનવવર્તનને નિયંત્રિત કરતી આવી ગોળીઓ (તેનું સ્વરૂપ ગોળીને બદલે મોબાઈલ એપ્લિકેશન કે અન્ય ટેક્નોલોજીનું પણ હોઈ શકે) નહીં જ આવે એવું ખાતરીપૂર્વક કહી શકાય?

શુ અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યના ન્યુરોલોજિકલ આધારો છે? વારંવાર સત્યાગ્રહ કરનારનું બ્રેઈન-સ્કેન કરીએ તો કેવું દેખાય? પોતાની ભૂલો નિખાલસતાથી સ્વીકારતા બાપુના મગજનો કયો ભાગ એમને એવું કરવા પ્રેરતો? પોતે કહેલી બે વાતોમાં વિરોધાભાસ લાગે તો છેલ્લે કહેલી વાતને અંતિમ ગણવી એવું કહેતા બાપુ શું ન્યુરોપ્લાસ્ટિસિટીનું ઉદાહરણ હતા? આઇન્સ્ટાઇનના મગજની જેમ આપણે બાપુનું મગજ સાચવ્યું હોત તો આમાંનું ઘણું જાણી શકાત, ખરું ને?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 11-13

Loading

* નિર્બન્ધ અંત્યેષ્ટિ *

પંચમ શુક્લ|Poetry|3 May 2021

ટેરવાંઓ  મ્યૂટ છે ને લાગણી મ્યૂટન્ટ છે,
પ્રશ્નની પીડા જવાબો પાર ને પર્યંત છે.

સાંભળું તો ક્યાંથી મર્મર રક્તની હું સાભળું?
ઉર મહીં વાગ્યા કરે શું? કોઈ ઘેરા ઘંટ છે?

છે જરૂર લક્ષ્મણને મૃતસંજીવનની તે છતાં,
રામની સામે ચીરી છાતી ઊભા હનુમંત છે.

પથ્થરો ઊચકીને સૌના હાથમાં આંટણ પડ્યા છે,
વાંદરાઓ ઝાડ પર પાછા જવા ઉત્કંઠ છે.

અગ્નિને ખોળે નથી કેવળ સીતાનું શીલ, અહીં –
રાજ્યની ને ધર્મની અંત્યેષ્ટિયે નિર્બન્ધ છે.

2 / 5 / 2021

* કોરોનાકાળમાં બંગાળ ઈલેક્શનના પરિણામ પછી.

* પ્રથમ પંક્તિના વિચારબીજનું સૌજન્ય:  ખેવના દેસાઈ 

Loading

...102030...1,9461,9471,9481,949...1,9601,9701,980...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved