Opinion Magazine
Number of visits: 9747008
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|28 May 2021

મ્હોંફાટ ગઝલ કહીશું,
બે છીપ ભરી લઈશું.

છલકાઈ રહ્યો છે ડૂમો,
ને આજ ડૂબી મરીશું.

એકેક દરદ તપાસી,
આ ઘાવ ભરી દઈશું.

પડઘો ય પડ્યો નહીં ને,
બદનામ થઈ જઈશું.

અવસાદ હજી બચ્યો છે?
તો ચાલ ગઝલ ઘુંટીશું!

27.5.’21. ગુરુવાર

e.mail : daveparesh1959@gmail.com

Loading

પગ પર કુહાડો

રૂપાલી બર્ક|Opinion - Opinion|28 May 2021

આજના ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના તંત્રી લેખમાં ચીનને લૅબમાં કોરોના વાઈરસ બનાવવા અંગે ખુલાસો કરવાનું સૂચન વ્યક્ત થયું છે. અનેક મામલે ચીનનો તુંડમિજાજ જોતા એની પાસેથી વિનમ્રતા કે સહકારની આશા રાખવી કેટલે અંશે પરિણામ લાવે? વૈજ્ઞાનિકો અને તજ્જ્ઞો પણ વુહાનની વૅટ માર્કૅટમાંથી કોરોના કુદરતી રીતે ઉત્પન્ન થયાની થિયરીમાં વજૂદ નહોતા જોતા. જે રીતે મહામારી ફેલાઈ, દેશો એનો સામનો કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. હવે પરિસ્થિતિમાં સુધારો થતા વાઈરસના ઉદ્ભવ તરફ વળી ધ્યાન ગયું છે. પ્રૅસિડન્ટ બાઈડને ઈન્ટૅિજન્સ ઍજન્સીસને આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. સત્ય શું છે એ તો સમય બતાવશે.

આપણા આદિમ પૂર્વજો માટે પ્રકૃતિના ઘટકો એવા બળ હતા જેનાથી એમને ભય લાગતો. સૂર્ય, ચંદ્ર, વીજળી, વાદળોનો ગડગડાટ, ધરતીકંપ, જ્વાળામુખી, પૂર, વાવાઝોડાં, જંગલી પ્રાણીઓ, ભૂતપ્રેત વગેરે. નૃવંશવિજ્ઞાન કે માનવશાસ્ત્ર, વગેરેના અભ્યાસો પરથી વિશ્વના જુદા જુદા સમુદાયોની માન્યતાઓ વિશે વાંચીએ છીએ આપણે. દા. ત. પ્રાચીન અમૅરિકાના ચૅરોકી આદિમ જાતિ ‘ગ્રેટ સ્પીરીટ’ — યુનૅલાનુહી, સૂર્યદેવીને પૂજતા. ભારતના સંતાલો મારાંગ બુરુ — પર્વતદેવને પૂજે છે. તો વળી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સુંદરવન વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ બોન બીબી — જંગલની દેવીની પૂજા કરે છે. બીજા શબ્દોમાં સમય જતા માનવીઓએ કુદરતી શકિતઓને નામ આપ્યા ને પોતાના આસ્થા-વિશ્વમાં સ્થાન આપ્યા.

ધર્મ આરુઢ થયા બાદ દેવી-દેવતાઓ માનવી જેવાં દેખાતાં અને વર્તતાં થયાં. માનવીએ પોતાની કલ્પનાથી ઘાટ આપ્યો ને દેવાલયોમાં સ્થાપિત કર્યા. એટલે જેમ આદિમ સમાજોમાં આપત્તિ કુદરત તરફથી આવતી મનાતી એમ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો, તેમ ભગવાન, ઈશ્વર, અલ્લાહ તરફથી આવતી મનાતી અને એના નિવારણ માટે એમની પૂજા, પ્રાર્થના, બંદગી કરવામાં આવવા લાગી.

ત્યારબાદ જેમજેમ દેશી રાજ્યો ને બાદમાં આધુનિક દેશો સ્થપાયા એટલે વર્ચસ્વ માટે મોટા પાયે લડાઈઓ અને યુદ્ધો થવાં લાગ્યાં. કુદરતી અથવા ગૉડસૅન્ટ આપત્તિમાં માનવસર્જીત આપત્તિનો ઉમેરો થયો. જમીન યુદ્ધ પછી હવા યુદ્ધ ને પછી પરમાણુ યુદ્ધ એમ દોર ચાલ્યો. હવા યુદ્ધ અને પરમાણુ યુદ્ધથી મૃત્યુઆંક અધધ વધ્યો, જેને લીધે સમૂહ વિનાશ (mass destruction) થવા લાગ્યો. હિરોશીમા-નાગાસાકી પરના અણુ હુમલા વિશે ક્યાં કંઈ કહેવાની જરૂર છે. પ્રથમ વિશ્વ યુદ્ધથી ક્લોરિન અને બીજા ઝેરી કૅમિકલ હથિયારોનો ઉપયોગ શરૂ થયો હતો. ઈરાન-ઈરાક યુદ્ધમાં (૧૯૮૦-૮૮), અમેરિકા-સોવિયત સંઘ (૧૯૪૫-૧૯૯૧) વચ્ચેના શીત યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ભરપૂર ઉપયોગ થયો. ત્યારબાદ આ સંઘર્ષોમાં સંડોવાયેલા દેશોએ સર્વ પ્રકારના રાસાયણિક હથિયારોના પ્રતિબંધ ઉપર સંમતિ આપી.

કોરોના વાઈરસના સંદર્ભે જે આશંકા વ્યક્ત કરાય છે એ આપણને જૈવિક હથિયાર (biological weapon) અથવા જીવાણું હથિયાર(germ weapon)ની ચર્ચા તરફ દોરી જાય છે. રાસાયણિક હથિયારોની માફક જૈવિક હથિયારો પણ સમૂહ વિનાશના હથિયારો (weapons of mass destruction) છે. જૈવિક હથિયારો બૅક્ટિરિયા, વાઈરસ, ફંગાઈ, વગેરેના સ્વરૂપમાં હોય છે અને મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. જૈવિક હથિયારો રોગ ફેલાવે છે જે મહામારીનું સ્વરૂપ પણ લઈ શકે છે. સાંપ્રત મહામારી હવાઈ મુસાફરીને લીધે આખા વિશ્વમાં જોતજોતામાં ફેલાઈ ગઈ એમ.

જૈવિક હથિયારો મકાનો, રસ્તા, પુલ, વગેરેને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ રોગ/મહામારીને નાથવાનો પડકાર અને એનો ભય ભલભલા દેશના ઘૂંટણ ટેકાવી દે એ આપણે જોયું. માનવ સંસાધન પરનો પ્રહાર એ એનો હેતુ હોય છે. ૨૦૧૩માં કુલ તાઈવાન સહિત ૧૮૦ દેશોએ Biological Weapon Convention(BWC)માં સહી કરી છે. આ કરાર મુજબ જે દેશો સભ્યો છે એમના પર યુદ્ધ દરમ્યાન જૈવિક હથિયારોના ઉપયોગ અને આ હથિયારો વિકસાવવા, પરિક્ષણ કરવા અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં, કેટલા ય દેશો અણુ હથિયારોના વધુ અઘરા અને મોંઘા માર્ગને બદલે સસ્તા પરંતુ વધુ ઘાતક હથિયારો વિકસાવવાનું ચાલુ રાખ્યું છે. સૌથી મોટો ભય અને સુરક્ષાસંબંધી ચિંતા વ્યક્ત થતા આવ્યા છે તે એ કે કોઈ ચસકેલ વ્યક્તિ કે આતંકી સંગઠન જૈવિક હથિયારો વિકસાવશે અથવા ચોરશે તો કેવું પરિણામ આવશે? ટ્રેલર આપણે જોઈ જ રહ્યા છે.

આ માનવ સર્જીત આપત્તિના નિવારણ માટે કોને શરણે જઈશું?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

‘શબવાહિની ગંગા’ની સાખે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 May 2021

કોલકાતાથી પ્રસિદ્ધ થતા સુપ્રતિષ્ઠ અંગ્રેજી દૈનિક ‘ટેલિગ્રાફ’(૧૯ મે)માં મેહુલ દેવકલાએ પારુલ ખખ્ખરની રચના ‘શબ્દવાહિની ગંગા’ને વિશે અને મિશે જે લખ્યું તે ફ્રન્ટપેજ આખા પર પથરાઈ વિશ્વ-વાઇરલ થઈ ગયું! એનું નિમિત્ત પકડીને હું કેટલીક ચર્ચા કરવા ઇચ્છું છું, પણ શરૂઆત જરા પાછળ જઈને માર્ચ માસના ‘અખંડ આનંદ’થી કરીશ. કવિમિત્ર હરિકૃષ્ણ પાઠક વર્ષોથી એમાં એકાન્તિક નિષ્ઠાપૂર્વક કાવ્યકોણનું સંપાદન બલ્કે સંમાર્જન કરે છે. એમાં આ જ કવયિત્રીની એક રચના પ્રગટ થઈ છેઃ

લાગ્યો લાગ્યો લૂણો સરકાર,
કે બંગલો માંગે સમારકામ.
છેક પાયેથી પાંગરતો ક્ષાર,
કે બંગલો માંગે સમારકામ.

હવે જ્યારે પાયેથી જ લૂણો લાગી રહ્યો છે, ત્યારે કવયિત્રી સમાપન તરફ જતાં પૂછે છે :

તમે ક્યાં લગ આ ગાબડાં ઢાંકશો રે,
તમે ક્યાં લગ આ થીંગડાં મારશો રે.

ઠીક છે, તમે કહેશો, ‘શબવાહિની ગંગા’ સિવાય પણ પારુલ ખખ્ખર વ્યાપક સામાજિક સંજ્ઞાન લેતાં રહ્યાં છે, ભલે ક્યાંક એમની છાપ સકારાત્મક ભાવગીતોના સેલારામાં કે હૃદયભીની વાર્તાસૃષ્ટિના હેલારામાં રમતી લેખિનીની હોય, પણ એ સામાજિક સંજ્ઞાન નથી લેતાં એવું છેક નથી.

વારુ. માર્ચમાં પ્રકાશિત ‘બંગલો માગે સમારકામ’ વસ્તુતઃ ક્યારે રચાઈ હશે તે આપણે જાણતા નથી. પણ એટલું ખસૂસ સમજાય છે કે સિસ્ટમ સડિયલ હોવાની પારુલની પ્રતીતિ છે. સિસ્ટમ સાથે કામ પાડનારા તંત્રશાહો ગાબડાં ઢાંકવામાં કે થીંગડાં મારવામાં ઇતિશ્રી જુએ છે. બેલાશક એ અધૂરી ને અધકચરી કામગીરી છે.

પણ કોવિડ-૧૯ની બીજી લહરમાં વાઇરસની વિભીષિકા સાથે કામ પાડવામાં, હાલ લગી કહો કે વાણીના વ્હાટવૉશે કામ લેતી જે નેતૃત્વશૈલી પ્રગટપણે ઊભરી રહી એના પર સીધા પ્રહાર સાથે પારુલનું સામાજિક સંજ્ઞાન ગુણાત્મકપણે આગળ વધે છે. બધાં કવયિત્રીની હિંમતને દાદ આપે છે. – અને એમાં કશું ખોટું પણ નથી. પણ હિંમતમાંથી જે પુખ્ત હોઈ શકતી સમજ ફોરે છે, મારી દૃષ્ટિએ ખરી ગુણાત્મક્તા એમાં છે.

કવયિત્રીએ તો જે કહેવા જેવું લાગ્યું તે એમની કથિત જમણેરી છાપથી ઉફરાટે સંવેદનસોંસરી ઢબે કહી નાંખ્યું. આપણે જરા આ આખા ગાળામાં નેતૃત્વને ઉકેલવાનો પ્રયાસ કરીએ તે ઠીક રહેશે. ગયે વરસે સપ્ટેમ્બર અધવચ શીર્ષ નેતૃત્વમાં કોવિડ મદમર્દનનો એક દર્પીલો આવિર્ભાવ રૂંવે-રૂંવે સોડાવા લાગ્યો હતો. ચાલુ વરસે ફેબ્રુઆરીમાં ડાવોસ ખાતે વર્લ્ડ ઇકોનૉમિક ફોરમ મળ્યું, ત્યારે અમારે ત્યાં બધું ઊકલી ગયું છે અને હવે અમે જગતની ખિદમતમાં છીએ એવી હુંકારનમ્ર રજૂઆત થઈ હતી. ઘરઆંગણે આ રજૂઆતમાં ‘વિશ્વગુરુ’નો ભાવ પ્રગટપણે દેખાતો હતો. વૅક્સિન વિશે વિશ્વ પરત્વે દાનવીર મુદ્રા પણ પૂરતા પ્રચાર સાથે પ્રસાર પામવા લાગી હતી. પ્રસાર ઓછો ને પ્રચાર ઝાઝો, એ જો કે સદાની તાસીર રહી છે. થોડાં અઠવાડિયાં પર ટીકોત્સવ શરૂ થયો ન થયો અને ખાલી-ખાલી ખખડવા લાગ્યો, ત્યારે તો પ્રસારશૂન્ય પ્રચાર પણ પાછો પડ્યો હતો. રાષ્ટ્રવાદને નામે ખરુંખોટું રાષ્ટ્રીય અભિમાન અને એ જેમાં  મૂર્ત થતું હોય એવું નેતૃત્વ. (ઉપરાષ્ટ્રપતિ વેંકય્યા નાયડુના શબ્દોમાં ‘ઈશ્વરનું વરદાન’ – ‘ગૉડ્ઝ ગિફ્ટ’.) અને પ્રચારનશાની જે વિકૃતિ, એની તો શી વાત! આપણે જે વૅક્સિન અન્ય દેશોને આપ્યાં તે પૈકી ૮૪% આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ કાયદેસરની જવાદારીવશ હતું. એ કોઈ દાનેશ્વરી ભારતચેષ્ટા નહોતી, પણ કાનૂનબદ્ધ જવાબદારી હતી.

બીજી લહરની પરાકાષ્ઠા સાથે સરકાર (શીર્ષ નેતૃત્વ) ઊંઘતાં ઝડપાયા વિશે કદાચ ખાસ કોઈ બહસની આવશ્યકતા ન હોવી જોઈએ. વાઇરસ અંગેની નિષ્ણાતી પૅનલ પરથી રાજીનામું  આપી તાજેતરમાં છૂટા થયેલા વૈજ્ઞાનિક શાહીદ જમીલનું એક પાયાનું અવલોકન છે કે આપણે ત્યાં ટોચના નીતિઘડવૈયાઓ (નમો નેતૃત્વ અંગે રૂપાળું શબ્દઝભલું) પ્રમાણ આધારિત નિર્ણય અંગે હાડનો વિરોધ ધરાવે છે. ડેટા આધારિત નિર્ણય-પ્રક્રિયા કેમ જાણે અહીં છે જ નહીં. કથિત રાષ્ટ્રગૌરવ અને વ્યક્તિગત તરંગબુટ્ટો એ બેની કોકટેલ તમને એવી હાલતમાં મૂકે છે જે કાં તો નિષ્પરિણામી છે કે પછી ઘોર વિપરીતપરિણામી.

નમો વર્ષોમાં કલ્ચર સેક્રેટરી અને પ્રસારભારતીના સી.ઈ.ઓ.ની પાયરીએ રહેલા જવાહર સરકારે પ્રત્યક્ષ કાર્યાનુભવને સહારે જે તપસીલ આપી છે, એ જોતાં ‘પ્રમાણ આધારિત નિર્ણય’ને બદલે પ્રસ્તુત કોકટેલ શક્ય બને એવી આખી યંત્રણા(મિકેનિઝમ)નું ન જોવું હોય તો જ ન જોઈ શકાય એવું ચિત્ર સાંપડે છે. બધા પ્રધાનોના સચિવોથી માંડીને ખાતાકીય સચિવોની નિમણૂક સીધી પી.એમ.ઓ. (વડાપ્રધાન સ્તો) હસ્તક, જે તે ખાતાના સચિવ સાથે (સંબંધિત પ્રધાનથી નિરપેક્ષપણે) સીધો સૂચનાવહેવાર : શરૂમાં જે હર્ષોદ્રેક હતો, કથિત ‘નિર્ણાયક નેતૃત્વ’નો, એ નેતૃત્વ એક નિયંત્રક અને બિનખુલ્લી તાસીરમાં ગયું. દરેક અગત્યની નિમણૂક સીધી વડા પ્રધાન દ્વારા – અલબત્ત, આર.એસ.એસ., આઇ.બી. અને જાસૂસી વડાના ‘ઇનપુટ્સ’ ખરાં, પણ સૌથી અગત્યનું ‘ઇનપુટ’ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનુંઃ જવાહર સરકારના શબ્દોમાં આ એક સ્તાલિનસહજ સંરચના છે. અને હા, સંસદીય લોકશાહીને વ્યવહારમાં પ્રમુખીય તંત્રમાં ફેરવી નાખતી પેરવી તો ઉઘાડી છે.

બીજી લહરની સાથે કામ, પાડવામાં શીર્ષ નેતૃત્વની નિષ્ફળતા સાફ દેખાઈ (કવયિત્રીના શબ્દોમાં ‘રાજા નંગા’ વરતાયા) ત્યારે કંઈક પથસંસ્કરણ, કંઈક હોસલાઅફઝાઈ અને કંઈક સરકારી બચાવકામગીરી એમ સંઘે ‘પૉઝિટિવિટી અનલિમિટેડ’ (સકારાત્મકતા અપરંપાર) એવી હવા બનાવતી મુદ્રામાં નિજનું મોચન લહવાની કોશિશ કરી. સંઘના રાષ્ટ્રીય મુખપત્ર ‘ઑર્ગેનાઇઝર’(૨૩ મે)ની કવરસ્ટોરી ‘પૉઝિટિવિટી અનલિમિટેડ’ છે, તો સરસંઘચાલક ભાગવતના ઠીક ઠીક પ્રસારિત વ્યાખ્યાનનું વસ્તુ પણ એ જ હતું.

ભાગવતના એક અવલોકનને મેં હમણાં જે ત્રણ વાનાં કહ્યાં – પથસંસ્કરણ, હોસલાઅફઝાઈ અને સરકારી બચાવકામગીરી – એના સંદર્ભમાં, એમના જ શબ્દોમાં મૂકું તો “ક્યા જનતા, ક્યા શાસન, ક્યા પ્રશાસન, સભી ગફલતમેં આ ગયે.” જનતા બાબતે તો જાણે કે બરોબર કે માસ્ક અને શારીરિક દૂરતા એ બંનેના ચુસ્ત પાલનમાં શિથિલતા બેલાશક ટીકાપાત્ર છે અને આ બાબતમાં સ્વયંસ્ફૂર્ત શિસ્ત અને આગ્રહ જરૂરી છે. પણ સરસંઘચાલકે એકીશ્વાસે જનતા સાથે ‘ક્યા શાસન, ક્યા પ્રશાસન’ એવો જ ઉલ્લેખ કર્યો, તે સાથે એનો કાકુ જોતાં શાસન અને નેતૃત્વની જવાબદારી પરનો ભાર અકારણ ઓછો થઈ જાય છે અને ગફલતગોથામાં જે મુદ્રા અને જે માનસિકતાની શીર્ષ સ્તરે સિંહજવાબદારી હોવી જોઈએ, તે લગભગ સોયનાકામાંથી પસાર થઈ ગયેલા ઊંટ જેવો ચમત્કાર સરજી અળપાઈ જાય છે. (સંભારો, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના ઉદ્ગારો કે સરકારે પહેલી લહેર પછી હાથ ઊંચા કરી દીધા એમ કહેવું મનઘડંત (મિથ) છે, અને સત્યથી દૂર એવું કોઈ બીજું વિધાન હું કલ્પી શકતો નથી.)

આ તબક્કે નોંધવું જોઈએ કે ‘ક્યા શાસન, ક્યા પ્રશાસન’ એ પ્રકારના ઉલ્લેખમાં જે મોળપ અને મોડપ હતી તે સંઘશ્રેષ્ઠી રામ માધવે સહેજસાજ પૂરી જરૂર કરી. રામ માધવના શબ્દોમાં “સહેજ વધુ પારદર્શિતા (ટ્રાન્સપરન્સી), લોકો જોડે સહેજ વધુ સંપર્કસંડોવણી (ઍન્ગેજમેન્ટ), રચનાત્મક આલોચના પરત્વે સહેજ વધુ ખુલ્લાપણું (ઓપનનેસ) અને એવું સહજ વધુ ખુલ્લાપણું પ્રબુદ્ધ નિષ્ણાતમત પરત્વે જરૂરી છે.” આ રીતે જોઈએ તો ભાગવતનું વ્યાખ્યાન દેખીતી ‘ક્લીન ચિટ’ છતાં ‘ક્લીન ચિટ’ કદાચ નથી. રચનાકારને રાજાનું જે રૂપ દેખાયું તે જોઈ શકાય એવી સગવડ જો એના સગડ પકડીએ તો એમાં કદાચ પડેલી પણ છે. અલબત્ત, ન તીક્ષ્ણ દંડ, ન યથાર્હ દંડ પણ હળવીક ટપલી શો મૃદુ દંડ તમે એને નિઃસંકોચ કહી શકો. ચાણક્યે જેનો મહિમા અને અનુમોહના કીધાં છે તે યથાર્હ દંડ દેવામાં સરસંઘચાલક ઊણા ઉતર્યા છે. છેલ્લાં વર્ષોમાં સરકારના જોડીદારને બચાવકાર તરીકે સતત ઝળકતા રહેલા અનુપમ ખેરને પણ આ દિવસોમાં એટલું તો લાગ્યું અને સમજાયું છે કે સરકારે પોતાની ‘પ્રતિભાનિખાર’ (ઇમેજબિલ્ડિંગ) અંગેના અગ્ર અભિગમથી હટીને પોતાની જવાબદેહી સ્વીકારવી રહે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડી(સિમલા)ના ભા.જ.પ.ચહેતા નિયામક મકરંદ પરાંજપેએ પણ નોંધ્યું છે કે મોદીની છાપ નીચે ગઈ છે અને એમનો ઘમંડ તેમ જ અજેયતાની આભા બેઉ પાછાં પડ્યાં છે. વધુમાં, બિલકુલ શાહીદ જમિલની જેમ, પરાંજપેએ ઉમેર્યું છે કે આપણો વૈજ્ઞાનિક સમુદાય ચેતવણીનાં જે વેણ ઉચ્ચારે છે, તે સરકારે કાને ધરવાં જોઈએ.

ગમે તેમ પણ, બીજી લહરને અંતે જે વિભીષિકાનો અનુભવ (અને તે બાબતે શીર્ષ બેજવાબદારી) વરતાયાં એ આખું ચિત્ર અરુણ શૌરીએ અરુંધતી રૉયને ટાંકીને કહ્યું છે તેમ ‘અ ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમેનિટી’ છે અને તે માટે સિસ્ટમ નહીં પણ નેતૃત્વ દ્વારા ‘સિસ્ટમેટિક પરવર્ઝન ઑફ ધ સિસ્ટમ’ જવાબદાર છે.

‘શબવાહિની ગંગા’નું દૃશ્ય રચનાકારને રાજા નંગા એમ કહેવા પ્રેરે છે તે કોઈ અભદ્ર, અશિષ્ટ ઉદ્ગાર નથી. હમણાં અરુણ શૌરી અને અરુંધતી રૉયનું જે અવલોકન સંભાર્યું તે ‘રાજા નંગા’ સરખી સહજોક્તિમાં સચોટ અભિવ્યક્તિ પામે છે.

વિશ્વસાહિત્યના ઇતિહાસમાં આ અમર ઉક્તિ અનોખા પરીકથાકાર હાન્સ ક્રિશ્ચન એન્ડરસેનને નામે દર્જ છે. દિવ્ય વસ્ત્રોને નામે રાજાની વાસ્તવિક નિર્વસ્ત્રતા બાબતે સૌ ચૂપ ને મૂંગુંમંતર હતું, ત્યારે એક બાળકનો ઉદ્ગાર આવી પડ્યો હતો કે ‘રાજા નાગો!’ યુરોપના વિવિધ દેશોમાં તેમ આપણે ત્યાં ય આ કુળની વાર્તા જૈન પરંપરામાં મળે છે.

આ વસ્તુ સમજ્યા વગર પારુલ ખખ્ખર પર તર્કમુક્ત, કમરપટ્ટા તળેની હિંસ્ર ભાષામાં જે સતત મારો ચાલ્યો એને વિશે શું કહીશું. ભાઈ, તમારું મૂલ્યાંકન જુદું હોય તો તર્ક અને વિગતસહ ધોરણસરની ચર્ચા કરોને. જેમ પારુલના તેમ તમારાયે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પરત્વે સમાદર જ છે. સવાલ ધારાધોરણસરની ચર્ચાનો છે.

દરમિયાન, હમણાં તો, શબવાહિની ગંગાની સાખે જે સમજ સાફ થઈ તે ખરી.

મે ૨૪, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 01 અને 15

Loading

...102030...1,9421,9431,9441,945...1,9501,9601,970...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved