Opinion Magazine
Number of visits: 9572544
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગલા સુવર્ણ જયંતી અને આપણે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 April 2021

બાંગલાદેશની સ્વાધીનતાની સુવર્ણજયંતી અને બંગબંધુ શેખ મજિબૂર રહેમાનની  શતાબ્દીનો  અવસર કેવળ ભારતીય ઉપખંડ સારુ જ નહીં વિશ્વમાનવતાની દૃષ્ટિએ સુધ્ધાં એક સીમાઘટના છે, અને એમાં પણ ભારતે ભજવેલ મુક્તિભૂમિકાની રીતે આપણે માટે એની સાથે ભાવાત્મક સંધાન સવિશેષ હોય તે સ્વાભાવિક છે. એટલે શેખ હસીનાના વિશેષ નિમંત્રણથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમાં સત્તાવાર સહભાગી ન કરાયા હોત તો એ અજુગતું જ લેખાત. આપણા વડા પ્રધાનનું સામેલ થવું યોગ્ય જ થયું, એમ કહેવું તે વાસ્તવકથન માત્ર છે.

બાંગલા સ્વાધીનતાની સુવર્ણજયંતીએ આપણે પક્ષે હરખ અને સ્વરાજચિંતન બંને સહજ હતાં અને છે. જો કે વડા પ્રધાન મોદીએ એમની અવસરસહજ ઊલટથી બાંગલા મુક્તિસંગ્રામની પોતાની સહભાગિતા અધોરેખિત ઢબે બોલી બતાવી એણે મિશ્ર પ્રતિભાવો સહિતનાં ટીકાટિપ્પણ  પ્રેર્યાં  હોઈ એ સંદર્ભમાં ઘટતી નુકતેચીનીને  અવશ્ય અવકાશ છે. એને  વિશે સહેજસાજ બે શબ્દો કહી આપણે એક જ ઉપખંડના યથાસંભવ હમવતનીને ધોરણે વ્યાપક સહવિચારમાં જવું પસંદ કરીએ તે ઈષ્ટ લેખાશે.

‘સંઘર્ષમાં ગુજરાત’ એ પુસ્તકની આરંભિક આવૃત્તિને પાછલે પૂંઠે બાંગલા મુક્તિ સત્યાગ્રહમાં સામેલ થઈ તિહારમાં જેલ (અલબત્ત પ્રતીકાત્મક સંકેત રૂપ) વહોરવાની જિકર નવી આવૃત્તિમાં નથી એવી ટીકા (અને મૂળ વિગત બાબતે પ્રશ્નાર્થ) સાંભળવા મળે છે. પણ એને વજન આપવાપણું હોય તો એટલું જ છે કે નવી આવૃત્તિ વખતે એ વાત એટલી અગત્યની નહીં જણાઈ હોય; પરંતુ વખતનાં વાજાં વખતે વાગે એ ન્યાયે ઢાકાની સરજમીં પર સુવર્ણગાનના હિસ્સા તરીકે એનું મહત્ત્વ ઢેકો કાઢે એ પણ સહજ છે. બાકી, મોદી ગુજરાતના મુખ્ય મંત્રી થયા તે પછી એમની સત્તાવાર વેબસાઈટ પરના હુલાવેલાફુલાવેલા પરિચયદાવા અને જાહેર ટીકા પછી એમાં થયેલી સુધારચેષ્ટા હવે ઇતિહાસવસ્તુ છે તે છે.

પણ તિહાર જેલમાં પ્રતીકવાસ લગી લઈ ગયેલ સત્યાગ્રહ વિશે થોડું સમજી લેવું જરૂરી છે. ઈંદિરા ગાંધી વડા પ્રધાન તરીકે બાંગલા સ્વાધીનતા સંગ્રામની તરફે વધુ સક્રિય બને એવી માંગ સાથેનો એ ‘સત્યાગ્રહ’ હતો. તે ઉપરાંત એમાં જેમ પાકિસ્તાન સરકારની કુચેષ્ટાનો વિરોધ નિહિત હતો તેમ એટલો જ બોલકો વિરોધ ઈંદિરા ગાંધીની સરકારે સોવિયત રશિયા સાથે જે મૈત્રી સંધિ  કરી એનો પણ હતો. બાંગલા પ્રશ્ને અમેરિકા અને બીજાંની પાકતરફી રુખનો રાજનયિક ઉત્તર ઇંદિરાજીએ આ સંધિ રૂપે શોધ્યો હતો. જનસંઘે ત્યારે એ વિશે જે પણ કહ્યું હોય, જનતા અવતારમાં તેમ પહેલી એન.ડી.એ. સરકારમાં અને આજની તારીખે રશિયા સાથેનો આ સંબંધ બરકરાર છે અને નરેન્દ્ર મોદીનાં સત્તાવાર ઉદ્‌ગારોમાં પણ યથાપ્રસંગ આ મૈત્રી છલકતી માલૂમ પડે છે.

જ્યાં સુધી વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ (એટલે કે ભારત સરકારે) બાંગલા સ્વાધીનતા સંગ્રામની તરફે વહેલી સક્રિયતા દાખવવાનો સવાલ છે, એમણે એ બાબતમાં લશ્કરી વડા સાથે મંત્રણાપૂર્વક ચોક્કસ સમયપત્રક નક્કી કર્યું હતું અને એ મુજબ આગળ વધ્યાં હતાં. માણેકશાએ સૂચવેલ સમયપત્રકની યથાર્થતા ફતેહ સાથે અંકિત થયેલી છે.

લશ્કરી કારવાઈ વહેલી હાથ ધરાઈ હોત તો પૂર્વ બંગાળમાં જાનહાનિ અને મહિલા રંજાડ ઓછાં થયાં હોત એવી ટીકાને અવશ્ય અવકાશ છે, પણ કોને ખબર મામલો ફતેહને બદલે ‘ડ્રો’માં યે પરિણ્મયો હોત. ગમે તેમ પણ, માણેકશાએ જે મુદ્દત પાડી એનો ઇંદિરા ગાંધીએ સંબંધિત વિશ્વસત્તાઓને સમજાવવામાં ઉપયોગ કર્યો.

વિશ્વભરમાં લોકમત ઘડતરની એવી જ એક બળુકી કોશિશ એ ગાળામાં કરનાર એક શખ્સિયત તે જયપ્રકાશ નારાયણ હતા. બાંગલાદેશની સુવર્ણજયંતીને અવસરે એમનું સ્મરણ આ ઉપખંડના એકંદર મુક્તિસંઘર્ષની રીતે તેમ વિશ્વમાનવતાના વ્યાપક સંદર્ભમાં લાજિમ છે. કૉંગ્રેસની જે બેઠકમાં ગાંધીજીએ વિભાજન નહીં સ્વીકારવાની છેલવેલ્લી વાત કરી તેમાં એમની તરફેણમાં જે અણુમતી અવાજો ઊઠયા તે જેપી, લોહિયા, બાદશાહ ખાન એમ ગણ્યાગાઠયા હતા. ભાગલા પડીને જ રહ્યા તે પછી પણ ભારત-પાક સમજૂતી માટેની ગેરસરકારી કોશિશમાં જેપી હંમેશ સક્રિય રહ્યા. ઉર્દૂ અને બંગાળીના મુદ્દે, પૂર્વ બંગાળ (પાકિસ્તાન) પર કરાચી-રાવલપિંડીની જોહુકમી તેમ જ તે સિવાયનીયે શોષણશાહી અને છતી બહુમતીએ પણ શેખ મુજિબૂર રહેમાનને સમગ્ર પાકિસ્તાનના વડા પ્રધાન નહીં થવા દેવાની દાંડાઈ સહિતના આંતરપ્રવાહોથી જયપ્રકાશ પરિચિત હતા અને ઉત્તરોત્તર પૂર્વ બંગાળ જાણે ઈસ્લામાબાદ હસ્તકનું સંસ્થાન (કોલોની) હોય એવી બદહાલત બાબતે તે સભાન અને સમસંવેદિત હતા. જ્યારે પૂર્વ બંગાળમાં મુક્તિસંગ્રામનો પ્રથમ પ્રસ્ફોટ થયો ત્યારે મુસહરી(બિહાર)ના આંતરિયાળ ગામડામાં દટાઈ નક્સલસંત્રસ્ત ઇલાકામાં સામાન્ય કાર્યકરોની સલામતીની બાલાશ સાથે જનસાધારણની સહભાગી સુખાકારી માટે સેવાજીવનમાં ડૂબેલા જયપ્રકાશે બહારની દુનિયા તરફ ખેંચાઈ વિશ્વમત કેળવવામાં પોતાનો ધર્મ જોયો.

ભાગલા પછી અને છતાં વિનોબા, જયપ્રકાશ, લોહિયા સૌ આખા ઉપખંડને એક એકમ તરીકે કલ્પતા રહ્યા અને કોઇ સમવાયી, અર્ધસમવાયી સમજૂતી ઝંખતા રહ્યા. વિનોબાએ તો એ.બી.સી. ત્રિકોણ – અફઘાનિસ્તાન, બર્મા (મ્યાંમાર) અને સિલોન જેવું એકમ – સૂચવ્યું હતું. એક વાકયમાં કહેવું હોય તો ધર્મકોમને નામે રાષ્ટ્રની વ્યાખ્યાનું અને એને અનુસરતા ભાગલાનું સર્મથન એમણે કદાપિ કર્યું નહીં. બાંગલાદેશની ઘટનાને ધર્મકોમ પર આધારિત દ્વિરાષ્ટ્રવાદને નકારનારા ઉન્મેષ તરીકે તેમ સંસ્થાનવાદમાંથી પ્રજાકીય મુક્તિની અથાગ ચાહ તરીકે જયપ્રકાશે જોઈ અને વિશ્વલોકમતને કેળવવા એ નીકળી પડયા. ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં, માણેકશાના યોજકત્વમાં લશ્કરી કારવાઇ અડોઅડની આ બિનસરકારી કોશિશ કેટલી અસરકારક રહી હશે એનો અંદાજે અણસાર શેખ મુજિબે છુટકારા પછી લંડન અને દિલ્હીનાં સંબોધનોમાં જે રીતે આદર, આભાર અને કૃતજ્ઞતા સહ જયપ્રકાશનું નામ લીધું એના પરથી આવે છે, પણ ઇંદિરા સરકારે એમના પર જે દબાવ બનાવ્યો એને પરિણામે બંગબંધુએ ઢાકા પહોંચ્યા પછી જે સંબોધન કર્યું એમાંથી જેપીનું નામ ગાયબ હતું. આગળ ચાલતાં એમણે બાંગલાદેશમાં એકાધિકારનો બિનલોકશાહી રવૈયો લીધો જે ઇંદિરાજીના ૧૯૭૫-૭૭ના કટોકટીવાદ જેવો જ હતો.

ખરું જોતાં, કેમ કે ચિત્રમાં હિંદુત્વ રાજનીતિ આધારિત ભા.જ.પ. છે, બાંગલાદેશ સંદર્ભે બેત્રણ વિશેષ નિરીક્ષણો લાજિમ છે. ભા.જ.પ. બાંગલાદેશનું સમર્થન કરે છે ત્યારે હિંદુત્વ રાજનીતિની ધર્મકોમ આધારિત રાષ્ટ્રવ્યાખ્યાનું શું થાય છે ? ભા.જ.પ. એ વિગત જરૂર આગળ કરી શકે કે અમારા (જનસંઘના) સ્થાપક મુખર્જી પ્રથમ પ્રધાનમંડળમાં જોડાયા ત્યારે હિંદુ મહાસભા સાથે પૂર્વે સંધાન છતાં પ્રધાનમંડળ છોડયા પછી એમણે એમાં પાછા ફરવું યોગ્ય નહોતું  ગણ્યું, કેમ કે હિંદુમુસ્લિમ સૌને સાર્વત્રિક પુખ્તવયમતાધિકારના પ્રજાસત્તાક બંધારણ પછી કોઇ એક ધર્મકોમબધ્ધ પક્ષ હોય તે એમને ઇષ્ટ નહોતું લાગતું. જનસંઘનું સભ્યપદ મુસ્લિમો માટે આરંભથી જ ખુલ્લું હતું. આ વિગત સાચી છતાં વસ્તુતઃ લંઘાતી અને ઊણીઅલૂણી છે; કેમ કે ભા.જ.પે. રાષ્ટ્રની ધર્મકોમનિષ્ઠ વ્યાખ્યાનો હિંદુત્વવિચાર છોડયો નથી. જો મુખર્જી હિંદુ મહાસભામાં પાછા ન ફર્યા એ વિચારતાંતણો આગળ લંબાવીએ તો એમણે રાષ્ટ્રની વ્યાખ્યામાં ધર્મકોમ છાંડીને આજકાલ જેને બંધારણીય અગર નાગરિક રાષ્ટ્રવાદ (કૉન્સ્ટિટ્યુશનલ / સિવિક નૅશનલિઝમ) કહેવાય છે તેમાં ઠરવાપણું હતું.

અખંડ બંગાળ અને એના નેતૃત્વની વાત નીકળી જ છે તો મુખર્જી વિશેનો એક કોયડો રજૂ કરું? એ બંગાળમાં ફઝલૂલ હક મંત્રીમંડળના સભ્ય હતા. ૧૯૪૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો જે વિધિવત્‌ ઠરાવ થયો તે એમણે મૂકેલો હતો. તેમ છતાં, હિંદુ મહાસભાના અગ્રણી મુખર્જી હક પ્રધાનમંડળમાં ચાલુ રહ્યા હતા. દેશને પૂછ્યા વગર અંગ્રેજ સરકારે વિશ્વયુદ્ધમાં આપણને સંડોવ્યા ત્યારે પ્રાંતિક સ્વરાજ અનુસાર રચાયેલાં કૉંગ્રેસ પ્રધાનમંડળોએ રાજીનામાં આપવું પસંદ કર્યું હતું. હક-મુખર્જી મંત્રીમંડળને આ પ્રકારે વિરોધ નોંધાવવું જરૂરી લાગ્યું નહોતું. આગળ ચાલતાં હિંદ છોડો ચળવળના દિવસોમાં, આ ચળવળ બ્રિટિશ યુદ્ધયત્નમાં અવરોધ કરતી હોઈ તેના નેતાઓને સરકારે પકડવામાં વિલંબ ન કરવો જોઈએ એવી મુખર્જીની સલાહ પણ રેકર્ડ પર છે. (મારા ખયાલ પ્રમાણે મધોકે મુખર્જીનું ચરિત્ર લખ્યું છે. બને કે એમાં આ અંગે કોઈક ખુલાસો કે સમજૂત હોય.) દરમિયાન, અહીં એ પણ સાંભરે છે કે ભારત-પાક વિભાજનની ચર્ચાના મહિનાઓમાં સ્વતંત્ર બંગાળનો વિચાર પણ ચાલ્યો હતો. નેતાજીના ભાઈ શરદચંદ્ર બોઝ વગેરેએ એની પહેલ કરી હતી. મુખર્જી એમાં નહોતા, કેમ કે સ્વતંત્ર બંગાળમાં મુસ્લિમ બહુમતી હોત. આવી જ અમૂઝણ અખંડ પંજાબના રાજકારણમાં પૂર્વે લજપતરાય જેવાઓને પણ થયેલી સમજાય છે. ભારતમાં હિંદુ બહુમતી પણ પંજાબમાં મુસ્લિમ બહુમતી એ પ્રશ્ન હતો. બંધારણીય અને નાગરિક રાષ્ટ્રવાદના ખયાલ પાસે એનો ઉકેલ હોઈ શકતો હતો, પણ … પ્રાંતિક સ્તરે મુસ્લિમ બહુમતીના ખયાલે બંગભંગ વખતની એકતાને આગળ ચાલતાં પાછી પાડી અને જે ‘ભદ્રલોક’ હતો તેને મુસ્લિમ બહુમતીવાળા અખંડ બંગાળથી હટીને વિભક્ત ભારતમાં ગોઠવાવું વધુ સલાહભર્યું લાગ્યું એ ઇતિહાસવસ્તુ છે.

સ્વરાજ માત્ર કૉંગ્રેસને નથી મળ્યું, સૌને મળ્યું છે એવી પકવ સમજને ધોરણે ગાંધીનહેરુપટેલની સ્વરાજત્રિપુટીએ જેમાં હાડના કૉંગ્રેસવિરોધી આંબેડકર અને મુખર્જી પણ હોઇ શકે એવું પ્રધાનમંડળ રચવાનો પથ પ્રશસ્ત કર્યો હતો. પૂર્વ બંગાળ(પાકિસ્તાન)માંથી હિંદુ હિજરત ચાલુ રહી ત્યારે મુખર્જીએ પ્રધાનમંડળ છોડયું હતું અને પશ્ચિમ બંગાળ પાછા ફર્યા હતા. નેહરુએ પાકિસ્તાન સાથે સમજૂતી કરી કે સરહદની બંને બાજુએ લઘુમતી પંચ હોવું જોઇએ જેથી ભારતના મુસ્લિમો કે પાકિસ્તાનના હિંદુઓ પોતાને અરક્ષિત ન અનુભવે. પાકિસ્તાન સાથે સમજૂતીની જરૂરત ક્ષુબ્ધ ને રોષે ભરાયેલ પશ્ચિમ બંગાળને સમજાવવાની ફરજ ભાંગલી તબિયતે કોલકાતા પહોંચી વલ્લભભાઇએ બજાવી હતી. (૨૦૦૨ના ગુજરાતમાં સત્તામંડળીને સારુ લઘુમતી પંચ અને માનવ અધિકાર પંચ નઠારા વિપક્ષરૂપ બલકે શત્રુવત્‌ હતાં, એ સાંભરે છે?)

૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરને પગલે બાંગલાદેશમાં હિંદુવિરોધી હુલ્લડો થયાં હતાં એ જાણીતું છે. એ  અરસામાં આપણે ત્યાં એક સંવેદનશીલ વીરનાયિકા લેખે ઉભરેલું વ્યક્તિત્વ તસલિમા નસરીનનું હતું. ‘લજ્જા’ નવલકથામાં એમણે બંગબંધુ સમર્થક હિંદુ પરિવાર પરનો કોમી આતંક ચીતર્યો હતો. સ્વાભાવિક જ ભા.જ.પ. વર્તુળોમાં (જેમ દેશના મોટા ભાગના લોકોમાં) નસરીનનું નામ ઉંચકાયું હતું. બાંગલા મુલ્લાશાહીથી સંત્રસ્ત તસલિમાએ ભારતમાં શરણ લીધા પછી કેટલેક વર્ષે ‘લજ્જા’ની અનુનવલ લખી છે જેમાં પેલો બાંગલા હિંદુ પરિવાર ભારતમાં સ્થાયી થઇ હિંદુત્વ રાજનીતિમાં જોડાઇ અંતે કેવો પાછો પડે છે અને હતાશા અનુભવે છે એનું ચિત્ર જોવા મળે છે. ભાઇ, ઉગાર ધર્મકોમની રાજનીતિમાં નથી પણ બંધારણીય રાષ્ટ્રવાદ ખીલવવામાં છે. આજના બાંગલાદેશમાં પણ બિનસાંપ્રદાયિક અભિગમ છતાં આ પ્રકારના પ્રશ્નો જાગતા રહે છે એમ વખતોવખત મળતા હેવાલો પરથી સમજાય છે. ગમે તેમ પણ, ‘લજ્જા’ વખતે ગા-ગા-લ-ગા સૌને સારુ એની અનુનવલ જાતતપાસમાં મદદરૂપ જરૂર થઈ શકે. બાંગલાદેશની સુવર્ણજયંતીએ ભારત સારુ એમાં ખાસું ખાણદાણ રહેલું છે.

બાંગલાદેશની સુવર્ણજયંતી જેમ હરખટાણું તેમ પડકારટાણું લઇને આવે છે. ઇતિહાસનો બોધપાઠ સરહદની બંને બાજુએ સદૈવ સંભળાતો અને સમજાતો રહો. બંગબંધુ અને ઇંદિરા ગાંધી કે શેખ હસીના અને નરેન્દ્ર મોદી, અવામી લીગ કે ભા.જ.પ.થી હટીને એ મૂલ્યો પણ ધ્યાન ખેંચતાં રહો જે ગાંધીનહેરુપટેલની આબોહવામાં ભારત સરકારે સ્થાપવા કોશિશ કરી હતી અને ગાંધીજેપીલોહિયાની પ્રજાસૂય ભૂમિકામાં જેની સતત જિકર થતી રહે છે.    .

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 02 તેમ જ 15

Loading

અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી કેટલીક નાગરિક હિલચાલ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|13 April 2021

મિત્રો, વિપુલભાઈ કલ્યાણીએ જ્યારે મને આ વિષય પર વીસેક મિનિટ વાત કરવાનું આમંત્રણ આપ્યું, ત્યારે મેં એમને કહેલું કે મારું વલણ સ્ત્રી કેન્દ્રિત હોય છે એટલે હું સ્ત્રીઓને સ્પર્શતા મુદ્દા પર વાત કરીશ, અને એમણે હા પાડેલી. વિષયનો વિચાર કરીએ તો અભિવ્યક્તિની રૂંધામણનો અંગ્રેજી સરળ અર્થ Sensorship થાય. અભિવ્યક્તિ પર રોક, લગામ કે સ્વતંત્રતા પર કાપ. લોકશાહીને વરેલું ભારતીય બંધારણ વાણીસ્વાતંત્ર્યને અધિકાર માને છે. મને તો આજનો આ વેબિનાર પણ રૂંધામણને ટાઢી પાડતી હિલચાલ જ લાગે છે.

આ વિષયની વાત કરતાં નારી આંદોલનની પહેલાં થોડી પૂર્વભૂમિકા જોઈએ. ૧૯૭૫માં યુનોએ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ અને પછી દશક જાહેર કર્યું. સાર્ક દેશોએ બાલિકા વર્ષ અને દશક ૧૯૯૦-૯૧થી જાહેર કરેલું. આમ સ્ત્રીઓ અને બાલિકાઓનાં દરજ્જા પર દુનિયાભરનાં દેશોનું ધ્યાન ખેંચાયું અને નારી આંદોલનની ચળવળને વેગ મળ્યો તે પહેલાંથી જ સ્ત્રીઓ એ વિશે વિચારતી થઈ ચૂકી હતી. ભારતમાં મહાત્મા ગાંધીનાં નેતૃત્વ હેઠળનાં સ્વતંત્રતા આંદોલનમાં સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને રચનાત્મક કાર્યોમાં એમનું યોગદાન નોંધપાત્ર રહેલું તો સુભાષ બોઝ સાથે પણ સશસ્ત્ર ક્રાંતિમાં સ્ત્રીઓ જોડાયેલી એ હકીકત છે. ભારતમાં તો વૈદિક કાળથી જ વિદુષીઓ પોતાની અભિવ્યક્તિ કરતી હતી. અલબત્ત, મધ્યકાલીન યુગમાં એ હિલચાલ મંદપ્રાણ થઈ ગયેલી. આધુનિક કાળમાં ૧૯૭૫થી થયેલી શરૂઆતનો પડઘો ગુજરાતમાં સાહિત્યિક ક્ષેત્રે કુન્દનિકા કાપડીઆની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’થી પડ્યો અને ધરતીકંપ જેવી સ્થિતિ પેદા થયેલી. તે અગાઉ ઇલા આરબ મહેતાની બત્રીસ પૂતળીની વેદના પણ આવેલી. ધીરુબહેન, વર્ષાબહેન, હિમાંશીબહેનની વાર્તાઓ પણ સ્ત્રીઓની સમસ્યાને વાચા આપતી નજરે ચડે. આમ સ્ત્રીઓના દરજ્જા પર જનજાગૃતિનું વહેણ શરૂ થયું. ૧૯૯૫માં બિજીંગમાં મળેલાં મહાસંમેલનમાં પ્લાન અને એક્સન માટે પ્લેટફોર્મની ઘોષણા થઈ અને સ્ત્રી મુદ્દાઓ માટે દુનિયા સક્રિય થવા લાગી. 

આ પરિસ્થિતિ પ્રોત્સાહક લાગે ત્યારે વાસ્તવિકતાની ચર્ચા જરૂરી છે. અભિવ્યક્તિની રૂંધામણની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ છે ઘરથી અને માની કૂખથી. બાલિકાની ભૃણહત્યા માની કૂખમાં કરવામાં આવે એટલે એનું પહેલું રૂદન કે ચીસ જ રૂંધાઈ જાય. ગુજરાતમાં પણ આ ચીસ સંભળાતી નથી એટલી આંકડાકીય વિગતો મળે છે જેનાં પરિણામે સ્ત્રી-પુરુષ સંખ્યા અસંતુલિત થઈ ચૂકી છે. આ સીલસીલો એનાં ઉછેરમાં આહાર, પોષણ, વસ્ત્રપરિધાન, શિક્ષણ, લગ્ન, કારકિર્દી, બોલચાલ, હરવાફરવાની છૂટ, જાતીય હિંસા, વૃદ્ધાવસ્થામાં આધાર જેવી અનેક બાબતો સુધી પહોંચે છે. આ તમામ પાસા પર એની અભિવ્યક્તિ પર બંધી છે. અલબત્ત, સરકારી કાયદાઓ, અનેક યોજનાઓ સ્ત્રીઓનાં સંરક્ષણ માટે છે, છતાં પારિવારિક અને સામાજિક સેન્સરશીપ તો છે જ.

આ પહેલાં સ્ત્રીઓ પોતે પોતાની અભિવ્યક્તિને ગીતો કે ગરબા દ્વારા વાચા આપી છે ત્યારે યાદ આવે આ ગરબો : “તળાવને કાંઠે મા ને દીકરી મળ્યાં, ધ્રુસકે ધ્રુસકે રડ્યાં કે સરોવર ઊભરાઈ ગયાં.” આમ અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતાં રસ્તાઓ જડે છે. સ્ત્રીઓએ પોતાની ભાવનાઓની અભિવ્યક્તિ પ્રભાતિયાં, હાલરડાંથી લઈ છેક મરસિયાં સુધી કરી છે. માને પોતાની સમસ્યાની વાત કરવી હોય તો તળાવને કાંઠે પાણી ભરવા જાય ત્યારે કરવાની. આજે તો હવે પાણી ભરવા તળાવને કાંઠે જવાનું ઓછું થયું છે, છતાં જ્યાં તેઓ જતાં હશે ત્યાં વખતે આ પરંપરા રહી પણ હોય! પાણી નળથી આવતું થઈ ગયું છે. વળી હવે તો ‘કર લો દુનિયા મુઠ્ઠી’મેં તેમ Social Media હાથવગું છે એટલે પરિવર્તન પણ આવ્યું છે. અહીં એક સ્પષ્ટતા બીજી પણ કરવાની છે કે સ્ત્રીઓની વાત કરતી વખતે તે કયા વર્ગ, વર્ણ, જાતિની છે તે સતત ધ્યાનમાં રાખવું પડે. ઉપલા વર્ગની સ્ત્રીઓ પર પણ હિંસા થાય છે અને જેઓ દલિત, લઘુમતી, આદિવાસી, વંચિત છે તેમને જે હિંસાનો ભોગ બનવું પડે છે તે પોતાના સામાજિક દરજ્જાને કારણે તો છે જ ઉપરાંત પિતૃસત્તાક પરિબળોનાં કારણે પણ છે. કાર્યસ્થળ પર અસમાન વેતન અને જાતીય હિંસાનું જોખમ પણ છે જ. આંતરજાતીય લગ્ન કરનાર યુગલોને ઓનર કિલિંગનો ભોગ પણ બનવું પડે છે. આમ પોતાનાં નિર્ણયો લેવા માટે સ્વતંત્રતાને અકબંધ રાખવા ઉત્સુક યુવતીઓને અવળાં પરિણામો પણ ભોગવવાં પડતાં હોય છે. આવી હિંસાનો વિરોધ કરવો કે તેને વિશે બોલવું લખવું એટલું આસાન નથી. 

જેને આંદોલન કે ચળવળ રૂપે અથવા વ્યક્તિગત પ્રયાસથી મૂલવવા માટે જે માહિતી મળવી જોઈએ તે વિશે અંગત પ્રયાસની વાત અહીં હું કરીશ. સમયમર્યાદાનાં કારણે રાજકીય સેન્સરશીપ જેવા મુદ્દે વાત કરી શકાશે નહીં છતાં અનુભવની વાત કરવી છે એટલે સેન્સરશીપ શબ્દપ્રયોગને ધ્યાનમાં રાખીને જ કહીશ. સામાન્ય રીતે આપણાં મન પર સેન્સરશીપ ફિલ્મો પર હોય એ વાત દ્રઢ થયેલી છે. વર્ષો પર મુંબઈથી સોનલ શુકલ અને એમની સંસ્થા ‘વાચા’ દ્વારા (ઘણું કરીને) એક પરિસંવાદ કે કાર્યશાળાનું અમે વલસાડમાં આયોજન કરેલું. મુંબઈ / મહારાષ્ટ્ર અને ગુજરાતની ગુજરાતી ભાષામાં લખતી લેખિકાઓ ભેગી થયેલી અને આ મુદ્દે જ ચર્ચા હતી. મોટા ભાગની લેખિકાઓએ વ્યક્તિગત અને સામાજિક પાબંદી કે સેન્સરશીપ પર પોતાની અભિવ્યક્તિ કરેલી એવું ઝાંખુંપાંખું યાદ છે. રાજકીય પાબંદીઓ વિશે ખાસ કોઈ વાત ધ્યાનમાં આવેલી નહીં.

ત્યાર પછી વર્ષ-બે વર્ષ પર જ ફરી બીજાં જૂથની લેખિકાઓને વલસાડમાં મળવાનું થયું અને આ મુદ્દે ચર્ચા થઈ તો પણ ખાસ બદલાવ નજરે ન ચડ્યો. વીતેલાં વર્ષોમાં પણ અમારી જુદા જુદા સ્ત્રીસમૂહો સાથે અવારનવાર ચર્ચા થતી રહી, પરંતુ એ લગભગ સરખી જ રહી. તો પણ હું કેટલાંક પુસ્તકોની વાત કરીશ જેનાં કારણે અભિવ્યક્તિની રૂંધામણ ટાઢી પડતી હોઈ એવી લાગણી તો થઈ. કુન્દનિકાબહેનનાં ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા પછી એમનાં પર આવેલાં વાચકોના પત્રોનું સંપાદન એમની સાથે કરવાની મને તક મળેલી જેનું નામ હતું : ‘આક્રંદ અને આક્રોશ – સાત પગલાં આકાશમાં મિષે પત્રો’. આ પત્રોમાં કેટલાક અંગત પત્રો પણ હતા જેમાં સ્ત્રીઓએ પોતાની સમસ્યાઓની અભિવ્યક્તિ કરી છે.

અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી દિશાનું એ પ્રથમ ચરણ હતું એવું મને લાગે છે. જો કે તે પહેલાં ‘અસ્તિત્વ’ જેવી સંસ્થા દ્વારા હિંસાનો વિરોધ કે ઉકેલની દિશામાં વિચારનું આચારમાં રોપણ એ અભિવ્યક્તિની રૂંધામણના ટાઢી પાડતી પ્રક્રિયા હતી એવું હવે લાગે છે. ડો. નીરા દેસાઈ અને ડો. ઉષા ઠક્કર સંપાદિત સ્ત્રી અભ્યાસ શ્રેણીમાં ડો. ઈલા પાઠક સાથે ‘સ્ત્રીઓ પર હિંસા વસમી વાસ્તવિકતા’ પુસ્તક સહલેખક તરીકે લખેલું જે તમામ વયની સ્ત્રીઓ પરની હિંસા અને ઉકેલ પર સારો પ્રકાશ પાડે છે. ડો. શિરીન કુડચેડકર સંકલિત ઈન્ડો-કેનેડિયન લેખિકાઓનાં પુસ્તક’ Violence against Women – Women against Violence’માં લખવાની તક મને મળેલી. ડો. કલ્પના શાહ અને ડો. હિમાંશી શેલત દ્વારા ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ’, સુરત ખાતે આયોજિત સેમિનાર અને સંપાદિત પુસ્તક’ સાહિત્યમાં નારી ચેતનામાં મને અને આમ્રપાલી દેસાઈને મળેલો વિષય અભિવ્યક્તિની સ્વતંત્રતાની સમસ્યા અને પડકારોનું લેખન, ડો.ઈલા ભટ્ટની સેવા સંસ્થાનાં મહિલા શ્રમશક્તિનાં ડો. અક્ષય દેસાઈ – ડો. નીરા દેસાઈ સંપાદિત-અનૂદિત ગુજરાતી અહેવાલમાં સંચાર માધ્યમોનું  પ્રકરણ, ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓ અને બાલિકાઓના મુદ્દાને સ્પર્શતી વાર્તાઓનું સંપાદન આશા વીરેન્દ્ર સાથે ‘ગાંઠે બાંધ્યાં અગનફૂલ’ અને ‘અદીઠી ભોંયનાં રાતાં ફૂલ’, ઓક્સફામની પુસ્તિકા ‘હાથ ઝાલણ‘ A Hand to Holdનો અનુવાદ સાથે સંકળાવાનું બન્યું – આ તમામ કાર્યમાં મને અભિવ્યક્તિની રૂંધામણમાં ટાઢક આપતી નારી ચળવળ કે હિલચાલ લાગી છે. નાનાં નગરમાં રહીને પણ તૃણમૂળથી વૈશ્વિક અનુસંધાન સાધી શકાય છે તેની આ નાનકડી ઝલક છે. નારી આંદોલનમાં હાલ મને બે ચળવળ ધ્યાનાકર્ષક લાગે છે તે ઈવ એન્સલર પ્રેરિત ‘One Billion Rising-OBR જેનું ગુજરાતી મેં ‘સો કરોડનો મહાનાદ’ કર્યું છે અને #MeToo’. એક વાત ઉમેરવાનું પણ મન છે કે નિરીક્ષક, ભૂમિપુત્ર, નયા માર્ગ અને ઓપિનિયનમાં પણ અભિવ્યક્તિને સ્થાન મળ્યું છે જેણે રૂંધામણને ટાઢી પાડવામાં સહાય કરી છે. અહીં મારે ‘નારીમુક્તિ’ સામયિકને પણ યાદ કરવું જોઈએ. Social Mediaનાં કારણે એ તક હવે વિશાળ ફલક પર મળે છે.

મને આશા છે કે આપને મારું આ વક્તવ્ય ઉચિત લાગશે. આ તક આપવા બદલ વિપુલભાઈનો દિલી આભાર.

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

[ઓપિનિયનના રજત રાણ અવસરે ‘અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ’ નામક વેબિનાર માટે : 11 ઍપ્રિલ 2021] 

જત ઉમેરવાનું કે,

“અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલમાં ઉમેરણ જરૂરી છે. જેમ કે આધુનિક ગરબામાં સરૂપબહેનનો ગરબો “સરખી સહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરીને કહીશું રે લોલ”, પૂરા ગુજરાતમાં પ્રચલિત થયેલો અને હજી ગવાતો રહ્યો છે. તે રીતે વિભૂતિ, મીનળબહેન, ખેવના અને અન્ય લેખિકાઓનાં નામો પણ પોતાનાં પ્રદાન માટે ઉલ્લેખનીય છે. સરૂપબહેનને તો પોતાનાં નાટક માટે પણ સેન્સરશીપનો ભોગ બનવું પડ્યું હતું. જેની નોંધ લેવી જરૂરી છે. એમણે અમદાવાદમાં કલમ, મુંબઈમાં મીનલબહેન અને સાથીદારોએ લેખિની, વલસાડ – અમદાવાદ મળી વિમેન રાઈટર્સ કલેક્ટિવ, પ્રતિભા ઠક્કર – સ્ત્રીઆર્થ જેવાં ઉપક્રમો પણ થયા. જો કે કહેવું રહ્યું કે એનાથી જુવાળ ફેલાયો ન કહેવાય કારણ કે સ્ત્રીઓ હજી પણ પોતાની અંગત ઊલઝનોથી બહાર આવી શકી નથી. છતાં અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી હિલચાલ તો ખરી. 

બીજી એક વાત પણ ઉલ્લેખનીય છે કે નિર્ભયા ઘટના સમયે આખો દેશ જાગી ઊઠેલો અને મોટી હિલચાલ દેખાતી હતી પણ પછી બળાત્કારની ઘટનાઓ બનતી રહી અને ક્યાંક રાજકીય હાથો બનવાનો મુદ્દો બનતો હોય તેવી સ્થિતિ પણ દેખાતી રહી છે. ક્યારેક તો એવું લાગે કે સ્ત્રીઓની સમસ્યાના મુદ્દાનું સરકારીકરણ થઈ રહ્યું હોય ! ઉમેરવાનું તો ઘણું છે. તો પણ કહી શકાય કે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢક આપતા પ્રયત્નો થતા રહ્યા છે, રહે છે અને થશે. અન્ય મિત્રો પણ પોતાની જાણકારીનું ઉમેરણ કરે તો માહિતી સમૃદ્ધ જ બનશે.”

[26/04, 12:48] Saroopben Dhruv: Hiren nu lakhelu Bhagatsinh vishe Itihas ni biji baju. Jenathi ant censorship movement sharu kari. 1984. Maru lakhelu R

[26/04, 12:53] Saroopben Dhruv: Raj privartan Dur darshan ma censor thayu. 1987. Highcourt ma gaya jitya 2000. Maru lakhelu Suno Nadi Kya kaheti hai. Theatre ma censor thayu. 2oo4. Fari movement pan courtma n gaya. Jitela e natak DD e na j batavyu . Technical problem batavyo.

[26/04, 12:55] Saroopben Dhruv: Haji ek Maanasjaat 1986 ma DDe adhu shooting karavine atkavyu.

પ્રાપ્ત વિગતો. 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

ભડવીર ભાઉ

પંચમ શુક્લ|Poetry|13 April 2021

ભાઈઓ, બહેનો; હું છું ભાઉ,
શૂળીનો ઘા સોયથી ટાળું.
ઝરૂખડેથી રૂપાળીની,
નેહ નીતરતી નજરું ન્યાળું..
છપ્પનની છાતીનું બખ્તર,
હું પહેરું, સૌને પહેરાવું.
એકે હજારો સમરાંગણમાં,
ઢીમ ઉપર બસ ઢીમ જ ઢાળું.  
ભલે વાયરા વલખાં મારે,
પવનસૂત થઈ હું પથરાઉં.
ભારેલો અગ્નિ લઈ ચાલું,
તમે કહો ત્યાં 'તે/તા' પ્રગટાવું.

13/4/2021

Loading

...102030...1,9361,9371,9381,939...1,9501,9601,970...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved