Opinion Magazine
Number of visits: 9571171
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા” વિશે

સુમન શાહ|Opinion - Opinion|23 June 2021

In reference to my write-up on શુભ ઘડી : Loose Connection Series : one of my FB friends, Mr Devang Vaidya recommended me to refer ‘Aesthetic Validity of Marriage’ written by well-known philosopher Kierkegaard. Devang lives in London UK and a good reader of philosophy. I liked Kierkegaard as an Existentialist though he is a theist thinker. I went through the said portion in “Either / Or” and here put forward its ટૂંકો ભાવાર્થ into GujaratI for all :

++

લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા વિશે કિર્કેગાર્ડ વાચકને ‘મારા મિત્ર’ કહીને વાત માંડે છે. એટલે આપોઆપ કિર્કેગાર્ડ સાથે કે એ પ્રોટેગનિસ્ટ સાથે આપણો હળવો અનુબન્ધ રચાય છે. કહે છે :

મારા મિત્ર ! તું જોઈ રહ્યો છું એ આ લાઇનો હમણાં જ લખાઇ છે. એ વડે મારે તને એમ ઠસાવવું છે કે તું લગ્નનો શત્રુ નથી પણ એનો ઠઠ્ઠો કરવાને તું તારી વક્ર દૃષ્ટિ અને વ્યંગનો દુરુપયોગ કરતો હોઉં છું.

હું સમજું છું કે તું વાયવી વાતો નથી કરતો, બધું સરસ નીરખું છું, અને ક્યારેક તો વળી મૅદાન મારી જઉં છું. પણ હું એ કહીશ કે તું કદાચ ત્યાં જ ખોટો છું. તારી જિન્દગી ઍપ્રોચ-રન્સથી વિશેષ નથી, એટલે કે તું ઉપાડા બહુ લઉં છું. તું જેનાથી બ્હાવરો પડી જઉં છું એ છે પ્રેમનો પહેલપહેલો હરખ, હર્ષાવેશ. સુન્દર છોકરી તરફથી એકાદ સ્મિત કે નયનકટાક્ષ મળે … એ પાછળ લાગેલી હોય છે તારી કલ્પનાઓ.

હું અહીં તને લગ્નની સુન્દરતા, કલામયતા, બતાવવા માગું છું, અને મારે તને એ પણ બતાવવું છે કે જીવનની અનેકાનેક અડચણો વચ્ચે સુન્દરતાને શી રીતે ટકાવી શકાય.

તને મારી વાત કરું : હું ઈશ્વરનો ઋણી છું ને કહું કે સૌ પહેલાં હમેશાં મેં મારી પત્નીને ચાહી છે. અમે પહેલાપહેલા પ્યારનાં અડપલાં કે જાતીય ભોગને માટેના નુસખા નથી કરતા. અને સાચું કહું કે એ મને ચાહે છે ને હું એને ચાહું છું. અમારા સુસ્થિર લગ્નજીવનનું રહસ્ય એ છે કે સતત અમે અમારા પહેલા પ્યારને નવી નવી રીતે માણીએ છીએ. એ એક એવી ક્રિયા-પ્રક્રિયા છે જેમાં પાછલા પસ્તાવા-બસ્તાવા તો છે જ નહીં.

Picture Courtesy : Prime Magazine

જ્યારે તું મિત્ર ! બધું ઊલટું જ કરું છું – ચોરીચપાટી. લોક જાણે નહીં એમ તું લપકું છું ને એમના સુન્દર સુખદાયી સમયોને હરી લઉં છું. પછી એ ફૅન્ટમ-ઇમેજને, ભૂતિયા છબિને, ગજવે ઘાલીને ભમું છું ને જ્યારે જરૂર પડે, બધાંને દેખાડતો ફરું છું. એમાં, એ લોકોને તો કદાચ કશું ગુમાવવાનું છે નહીં, પણ તું તારો સમય, તારી શાન્તિ, તારું ધૈર્ય ઘણું ગુમાવું છું. તને તો ખબર છે જ કે તું કેટલો અધીરિયો છું.

આ પછી કિર્કેગાર્ડ સુભટોની, સાહસવીરોની અને નવલકથાકારોની વાત કરે છે – એ કે તેઓ સુખી શાન્ત લગ્નજીવનની આશ કરતા’તા ને કેવી કેવી, માન્યામાં ન આવે એવી, કસોટીઓ દાખવતા’તા. એમાં, સુન્દર કલામય તત્ત્વ તો પ્રેમ છે, કહો કે, પ્રેમને એ લોકોએ કામે લગાડ્યો છે. એક વાર જો પ્રેમમીમાંસાનો મહિમા ગળે ઊતરી જાય, પ્રેમસંઘર્ષ, વ્યથા, અને પ્રેમનો નીતિ કે ધર્મ સાથેનો સમ્બન્ધ સમજાઈ જાય, તો પછી પેલા કઠણ કાળજાના નિર્દયી બાપાઓ વગેરેની કે લગન વખતનાં પેલાં સખી-સખાઓની જરૂરત જ નહીં પડે.

કિર્કેગાર્ડ કહે છે કે પ્રેમની સહજ જરૂરિયાત જાગી હોય તો રોમાન્ટિક લવ તરત જ થઈ જાય છે. પણ અમર પ્રેમ, સાચા નીતિમય જીવનની જેમ, સૈન્દ્રિય હોય છે. એ રૂપે જ એને ચર્ચના આશીર્વાદ મળે છે. પણ કિર્કેગાર્ડ પાછા મહિમા તો કરે છે પ્રેમનો જ. કહે છે કે લગ્નજીવનમાં પ્રેમ જ ખરું તત્ત્વ છે. પણ પછી પૂછે છે : પહેલું શું? પ્રેમ કે લગ્ન? ઉત્તરાર્ધ શેનાથી સરજાવાનો?

કહે છે : પ્રેમ મારે મન બૅટલ-ક્રાય છે. ને વરસોથી પરિણિત છું એટલે પહેલા પ્યારની વિજય-પતાકા લ્હૅરાવતો લડું છું. પહેલો પ્યાર સ્વતન્ત્રતા અને જરૂરિયાતનું સંમિશ્રણ છે અને એ સ્વત: સિદ્ધ થઈ જતો હોય છે. મારા જુવાન મિત્ર ! લગ્ન ઈશ્વરને પ્રસન્ન કરે છે. જો કે અવિવાહિતો માટે શાસ્ત્રોમાં ક્યાં ય આશીર્વચનો મેં જોયાં નથી. એ ખરું કે શાસ્ત્રોની અનન્તતા કલા છે પણ એ અનન્તતાને સ-અન્ત કરી શકાય છે, તે અ-કલા છે. પોતાની જિન્દગીમાં માણસ એક જ વાર પ્રેમમાં પડે છે. લગ્ન એ કે હૃદય પહેલા પ્રેમને વળગી રહે …આ પછી કિર્કેગાર્ડ રોમાન્ટિક અને મૅરિડ લવની વાત છેડે છે. મૅરિડ લવ પઝેશનથી શરૂ થાય છે અને એક ઇતિહાસ સરજાય છે. એમાં વફાદારી હોય છે, જો કે, વફાદારી રોમાન્ટિક લવમાં પણ હોય છે. તો તફાવત શું છે? પતિ ધારો કે પંદર વર્ષ વફાદારીથી જીવે, કશું લાભતો નથી, સિવાય કે પઝેશન. જ્યારે, વફાદાર રોમાન્ટિક

પંદર વર્ષ રાહ જોઇ શકે છે, ને એ પછી એને એનો રીવૉર્ડ – પુરસ્કાર – મળે છે.

કિર્કેગાર્ડ ભારે વ્યંગમાં એમ જણાવે છે કે બધું છતાં પતિ કલામય જીવ્યો હોય છે કેમ કે એના માટે પઝેશન કશી મૃત વસ્તુ નથી હોતી, બલકે પઝેશન એણે નિરન્તર હાંસલ કર્યું હોય છે. એ મથ્યો હોય છે, કહો કે, લડ્યો હોય છે – સિંહો જોડે નહીં, માનવભક્ષીઓ જોડે નહીં, પરન્તુ મહા ભયાનક શત્રુ એવા પોતાના સમય સાથે. એ પ્રકારે, મૅરિડ લવનો શત્રુ સમયમાં વસે છે, એનો જય ગણો તો જય સમયમાં વસે છે.

પ્રેમને મિત્ર, તું અમુક ઉમ્મર સાથે જોડે છે, કોઈ એક વ્યક્તિના પ્રેમને અમુક સમયગાળાની ચીજ લેખે છે, ને પછી એ બધું તું તારી જિતને ખાતર અજમાવ્યા કરે છે, આમથી તેમ થયા કરે છે, વાંકોચૂંકો, ભલે; પણ તારે એ સત્ય સ્વીકારવાની જરૂર છે કે પ્રેમને હમેશાં સમયમાં સાચવવો જોઈશે. એમ કરવું જો તને અશક્ય લાગતું હોય તો સમજી લે કે પ્રેમ પણ એક અશક્યતા જ છે.

એકબીજાંને અંગેના ફરજપાલનને કે કર્તવ્યને તું જો પ્રેમનો શત્રુ ગણતો હોઉં તો તું જાણે, હું તો કર્તવ્યને પ્રેમનો મિત્ર ગણું છું. કેમ કે મારે મન કર્તવ્ય કંઈક ને પ્રેમ કંઈક એવું નથી. કર્તવ્ય મારા પ્રેમને પોષે છે, એ જ એનું પ્રોટીન છે. પ્રેમને માટે જે કંઈ હોય એ બધું પવિત્ર અને સારું જ હોય છે. અને પ્રેમને માટે ન હોય એ ગમે એટલું સુખદ કે લલચાવનારું હોય, નકામું છે. 

મિત્ર ! મારાં પ્રેમમય અભિનન્દન સ્વીકારજે પણ એ સ્ત્રીનાં ખાસ સ્વીકારજે કેમ કે એનાં અભિનન્દનમાં મૈત્રી અને સાચકલાઇ ઘણી હશે. તું મને અનુકૂળ ને ગમતીલો મહેમાન છું. મારા ઘરે મળ્યાને તારે ઘણો વખત થઈ ગયો, આવજે ઇચ્છા થાય ત્યારે, રહેજે રહેવાય એટલું. જવું હોય ત્યારે જતો પણ રહેજે …

++

I opine this version of the work “Either / Or” is not in so good English. એ કારણે કે કદાચ મારે કારણે મને એટલું બધું કમ્ફર્ટેબલ ન લાગ્યું …

તેમ છતાં, કિર્કેગાર્ડ લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા પ્રેમમાં જુએ છે એટલું ચૉક્કસ, અને મને એ બહુ જ ગમ્યું છે.

જો કે એમણે આપણા જમાનાનાં લગ્ન કે લગ્ન પાછળની આપણી પ્રવર્તમાન વિવિધ માનસિકતાઓ જોઈ હોત તો શું કહેત એ પ્રશ્ન છે …

ભલે, જય પ્રેમનો છે એથી જુદું શું જોઇએ?

= = =

(June 23, 2021: USA)

Loading

સુખાકારીના ભોગે આબકારીનો ખેલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 June 2021

ગાંધીવાદી કાર્યકર અન્ના હજારેએ તેમના વતનગામ રાલેગણ સિદ્ધિમાં દારૂબંધી દ્વારા તેમના જાહેર કાર્યોનો આરંભ કર્યો હતો. અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના સાથી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં દિલ્હીમાં દારૂ પીવાની ઉંમર ૨૫ વરસથી ઘટાડીને ૨૧ વરસની કરી દીધી છે !  આ નિર્ણયથી દિલ્હી સરકારની આબકારી (દારૂ પર લેવાતો કર) આવકમાં રૂ.૨,૦૦૦ કરોડનો વધારો થશે. સ્થાપનાકાળથી જ ગુજરાતમાં દારૂબંધી અમલી છે. રાજ્ય સરકારે વડી અદાલતમાં થોડા મહિના પહેલાં સોગંદનામુ કરીને આલ્કોહોલ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દારૂ ફૂડની વ્યાખ્યામાં આવતો ન હોવાનું જણાવ્યું છે. પરંતુ ગયા બે મહિનાના આંશિક લોકડાઉનમાં સરકારે જીવન જરૂરિયાતની ચીજો સિવાયનું વેચાણ કરતી દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો ત્યારે તેમાંથી પરવાના ધરાવતી દારૂની દુકાનોને બાદ રાખી હતી ! રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગાયોનાં સંરક્ષણ અને ગોસંવર્ધન માટે દારૂ પર વધારાનો સરચાર્જ લેવામાં આવે છે. રાજસ્થાનના દૌસા જિલ્લાના સાયપુર પાખર ગામે દારૂની દુકાનની હરાજીમાં  ૯૯૯ કરોડની બોલી લાગી હતી. જો કે રાજસમંદ જિલ્લાના થાનેટા ગામના લોકો પાંચ વરસથી દારૂવિરોધી આંદોલન કરે છે. ગામના તમામ લોકોનો આ અંગે મત જાણવા ગુપ્ત મતદાન યોજાયું તો ૯૬ ટકા લોકોએ દારૂની દુકાનના વિરોધમાં મત આપ્યો ! લીંબુઉછાળ સમય માટે દેશનું રાજ મળે તો ગાંધીજીની ઈચ્છા સૌ પહેલાં દારૂબંધી દાખલ કરવાની હતી. પણ આજે દેશમાં દારૂ અંગે કેવી કરુણ-દુ:ખદ અને રમૂજી  સ્થિતિ પ્રવર્તે છે તેના આ કેટલાક દાખલા છે.

આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજીના રચનાત્મક કામોમાં જ દારૂનિષેધનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આઝાદ ભારતમાં તેનો ખાસ અમલ થતો નથી. બંધારણના માર્ગદર્શક સિદ્ધાન્તોમાં દારૂબંધીની જોગવાઈ છે અને તે રાજ્ય યાદીનો વિષય છે. દેશમાં આજે ગુજરાત ઉપરાંત બિહાર, મિઝોરમ અને નાગાલેન્ડમાં જ પૂર્ણ દારૂબંધી છે. લક્ષદ્વીપ, મણિપુર, હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દારૂબંધી અમલી છે. કેટલાક રાજ્યોએ થોડા સમય માટે દારૂબંધી દાખલ કરી હતી. કૉન્ગ્રેસ સહિતના રાજકીય પક્ષોના સ્પષ્ટ વલણના અભાવે દારૂબંધી દેશના રાષ્ટ્રીય એજન્ડાનો ભાગ કદી બની નથી.

‘એઈમ્સ’ દિલ્હીના ૨૦૧૯ના એક સર્વે અનુસાર દેશની વસ્તીના લગભગ ૧૫ ટકા કે ૧૬ કરોડ લોકો દારૂ પીએ છે. તેમાંથી ૫.૭૦ કરોડ લોકો તેના કાયમી બંધાણી છે. પુખ્ત વયના ૩૩ ટકા પુરુષો અને ૨ ટકા સ્ત્રીઓ દારૂ પીવાની આદત ધરાવે છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ત્રિપુરા, ગોવા અને અરુણાચલમાં આ પ્રમાણ ૫૦ ટકા છે. બંગાળમાં ૩૮ ટકા, ઝારખંડમાં ૧૮.૯ ટકા, બિહારમાં ૧૫.૫ ટકા, મહારાષ્ટ્રમાં ૧૩.૯ ટકા અને ગુજરાતમાં ૫.૮ ટકા લોકો દારૂ પીએ છે. આઘાતજનક બાબત એ છે કે ૧૦થી ૧૭ વરસની વયના ૨૫ લાખ બાળકો અને કિશોરો નિયમિત દારૂ પીતા હોવાનું માલુમ પડ્યું છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૧૯માં દેશમાં ૧૬ કરોડ લોકો દારૂ અને ૩.૧ કરોડ લોકો ભાંગના નશીલા ઉત્પાદનોનો ઉપયોગ કરતા હતા. ભારતમાં એક દારૂડિયો વરસે સરેરાશ ૧૮.૩ લીટર દારૂ પીએ છે. જે વૈશ્વિક સરેરાશથી ઘણો વધારે છે. દુનિયાના લોકો આરોગ્ય માટે નુકસાનકારક હાર્ડ ડ્રિંક્સ સરેરાશ ૪૪ ટકા જ લે છે જ્યારે ભારતમાં તેનું પ્રમાણ ૯૨ ટકા છે.

દારૂની વ્યક્તિના આરોગ્ય અને સામાજિક-આર્થિક જીવન પર ગંભીર અસરો પડે છે. દારૂ દારૂડિયાને પી જાય છે તે વાત સંપૂર્ણ સાચી છે. ભારતના ગરીબો અને કામદારો આર્થિક તકલીફો, કુટુંબની જવાબદારીઓ, ગરીબી-બેકારી અને કમરતોડ વૈતરાના થાક અને માનસિક તણાવમાંથી મુક્તિ માટે મુખ્યત્વે સસ્તો, દેશી, ઝેરી અને વધુ સ્પિરીટયુક્ત દારૂ પીએ છે. લઠ્ઠા તરીકે જાણીતા સસ્તા દેશી દારૂના ઓવરડોઝથી દર ૯૬ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. વરસે ૨.૬ લાખ દારૂડિયા દારૂને કારણે લીવરની ખરાબી અને કેન્સર જેવા રોગ તેમ જ અકસ્માતને લીધે મરી જાય છે. જે પોણા સાત કરોડ લોકો દારૂનું રોજ સેવન કરે છે તેમાંથી માંડ ત્રણ ટકા લોકોને જ તેમની આ લત છોડાવવાના ઉપાયોની દેશમાં વ્યવસ્થા છે.

દારૂના સેવનની વ્યક્તિનાં સ્વાસ્થ્ય પર તો અસર પડે જ છે તેના સમગ્ર કુટુંબને પણ તે બરબાદ કરે છે. ઘરનાં બાળકો અને સ્ત્રીઓ પર તેની વધુ અસર પડે છે. દારૂનું વ્યસન ગરીબોમાં વધુ હોઈ તેમની ગરીબીમાં વધારો થાય છે. દારૂ પીનાર વ્યક્તિ કુટુંબની આવકનો આઠમો ભાગ દારૂ પાછળ વેડફે છે. દારૂડિયા પુરુષો પત્ની–બાળકોની મારઝૂડ કરે છે અને કમાણીના પૈસા ઘરમાં આપતા નથી. ઘરમાં કાયમ કજિયા કંકાસ કરે છે અને બાળકોનું શિક્ષણ બગડે છે

કલ્યાણ રાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો દારૂના દૂષણની અસરોથી વાકેફ હોવા છતાં તેના વેચાણથી થનારી આવક માટે લોકોની સુખાકારીનો ભોગ લે છે. દારૂના વેચાણમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે દેશના તમામ રાજ્યોની દારૂના વેચાણ પરના ટેક્સની કુલ આવક ૨૦૧૯માં રૂ. ૨.૪૮ લાખ કરોડ હતી. રાજ્યોની કુલ આવકમાં આબકારી આવકનો હિસ્સો ૧૬થી ૨૦ ટકા હોઈ કોઈ રાજ્ય સરકાર તે જતી કરતી નથી. ઉત્તર પ્રદેશની માસિક આબકારી આવક રૂ. ૨,૫૦૦ કરોડ  અને વાર્ષિક રૂ. ૩૧,૫૧૭.૪૧ કરોડ હતી.

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આરોગ્યના કારણોસર દારૂ પીવાનો પરવાના ધરાવતા લોકોને નિર્ધારિત ૫૮ દુકાનોથી દારૂનું વેચાણ થાય છે. ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮ના પાંચ વરસોમાં ગુજરાતને આવા પરવાના ધારકોના દારૂના વેચાણથી રૂ.૬૬.૪૭ કરોડની આવક થઈ હતી. બિહારમાં દારૂબંધી દાખલ થઈ તે ૨૦૧૫-૧૬ વરસે તેની દારૂના વેચાણની આબકારી આવક રૂ. ૪,૧૦૦ કરોડની હતી. પરંતુ રાજ્યની આ આવક બિહારીઓએ વાર્ષિક ૧૫થી ૨૦ હજાર કરોડ દારૂ પાછળ ખર્ચ્યા તેનાથી થઈ હતી. એટલે સરકારો જો તેની આબકારી આવકનો મોહ છોડે તો લોકોના નાણા વધુ ઉપયોગી બાબતોમાં ખર્ચાવાની શક્યતાઓ રહેલી છે.

આબકારી અને આરોગ્યમાંથી સરકારો આબકારી પસંદ કરીને દારૂબંધીને તડકે મૂકે છે. નાગરિકોની સલામતી જ નહીં સુખાકારી પણ રાજ્યની જવાબદારી છે. જો તે વ્યાપક લોકશિક્ષણથી થઈ શકે તો સારું છે. નહીં તો રાજ્યે દારૂનિષેધના લાંબાટૂંકા ગાળાના પગલાં ભરવા જોઈએ. વળી જ્યાં પૂર્ણ કે આંશિક દારૂબંધી અમલી છે ત્યાં તેનો ચુસ્તીથી અમલ અને અન્યત્ર જનજાગૃતિના પગલાં લેવા જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બાલુભાઈ મગનલાલ દેસાઈ – ઘાસવાલા ઉર્ફે મોટાકાકા : કઠોરતાની ભીતર કરુણા

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|22 June 2021

પિતૃદિને શ્વસુરજીનું વ્યક્તિચિત્ર

વલસાડમાં એક સમય એવો હતો કે મોટાકાકા બોલો એટલે પરિચિતો સમજી જાય કે બાલુકાકાની વાત થઈ રહી  છે. વાસ્તવમાં અંતર્મુખી, બે શબ્દની જરૂર હોય તો એકનો ઉપયોગ કરે, મોટા કુટુંબ-કબીલામાં પોતે કોઈને અંગત નિર્ણય લેતા ન રોકે અને સામી વ્યક્તિની અંગત સ્વતંત્રતાને માન આપે પણ ઈચ્છે કે પોતે કહ્યું તે થાય એટલે એ કામ મોટા ભાગે એમના વતી કીકુકાકા અને નાનાકાકા કરે. વળી દરેક વખતે બાઈ તો એમની મોટી ઢાલ! એને મોટાકાકા વતી મુકાદમગીરી કરવામાં કોઈ સંકોચ નહીં એટલે એણે પોતાનાં સાતેસાત સંતાનોને સીધાં દોર અને મુઠ્ઠીમાં રાખ્યાં ને સંસારલીલામાં ઝઝૂમતાં રાખ્યાં એમાં શ્રવણકુમાર મારો ઘરવાળો અશોક શિરમોર. હા, તો મૂળ વાત મોટાકાકાની જ કરીએ.

મોટાકાકા સગપણે મારા શ્વસુરજી અને બાઈ ઉર્ફે શાંતાબહેન મારાં સાસુમા. બાળપણથી જ કુટુંબના વડા દીકરા તરીકે બાલુકાકાને આદરમાન મળતું એટલે પછી એ કાયમી રહ્યું. પહેલાં તો મુંબઈની મુખ્ય પોષ્ટ ઓફિસમાં નોકરી કરી, પરંતુ પછી વલસાડ જ સ્થાયી થયા. પહેલાં હનુમાન શેરી ,છીપવાડને નાકે ગોદામ અને છેલ્લા દિવસોમાં જલતરંગ, હાલર રોડ ખાતે રહ્યા. વલસાડમાં રહ્યા તે દરમિયાન ઘાસ, કેરી અને ચીકુનો વેપાર વિકસાવ્યો. કીકુકાકા હરહંમેશ સાથે ને સાથે. પોતાના સાત સંતાન અને પોતે સાત ભાઈબહેનો એવો મોટો મસ કબીલો પણ સંતાનો માટે વહેરોવંચો બિલકુલ નહીં. મારું લગ્ન થયું ત્યારે કુટુંબની સ્ત્રીઓ, બાળકો અને  પુરુષો પોતપોતાની રીતે અલગ રસોડે જમવા મથી રહ્યાં હતાં પરંતુ સમજાતું નહીં કે કોણ કોને વધારે ચાહે છે! એક બાજુ રાજકારણ, સમાજકારણ કે આર્થિકકારણે ગરમાગરમ ચર્ચા ચાલતી હોય, આપણને એમ લાગે કે હવે આ લોકો એકબીજા સાથે નહીં બોલે અને મોઢું પણ નહીં જુએ ત્યાર રસોડામાં બાઈ કોઈને કે કોઈને મગજ ખવડાવતી હોય એવું દ્રશ્ય જોવા મળે! વળી મોટાકાકા બોલ્યા એટલે બ્રહ્મવાક્ય!

દિવાળીની આસપાસ ખાસ કરીને શ્રાદ્ધના દિવસો અગાઉથી ઘાસકાપણી શરૂ થાય, કદાચ ડિસેમ્બરથી માર્ચ ચીકુ અને પછી કેરી પાડવાનું શરૂ થાય અને ભર તાપમાંથી મોટાકાકાનું ઘરમાં આગમન થાય એટલે સોય પડે તો પણ અવાજ સંભળાય એવું પીન ડ્રોપ સાયલન્સ! રેડિયો જ મનોરંજનનું સાધન હતો એટલે રેડિયો ચાલુ હોય તો સ્વીચ ઑફ્ફ! એક પ્રકારની લશ્કરી શિસ્ત! એમને હાથમાં પાણી માંગવાની આદત ન હતી એટલે પાણિયારે પાણી પીવા આવે પણ નજરેથી કાંઈ ન ચૂકે! મેં તો એમને ખાસ હસતા ન જોયેલા પણ કેરીબજારમાં સતીશ, ઘાસની ગોદીએ અદીભાઈ એ બધા સાથે બેસતા તેથી હવે ક્યારેક વાતવાતમાં તેઓ કહે કે બાલુકાકાની વાત જુદી! અમારી સાથે તો ખૂબ ખીલતા ને વાત કરતા! બાકી એમનો પહેરવેશ અને ખોરાક સાદો. ખાદી અપનાવ્યા પછી આજીવન ખાદીધારી રહ્યા. પ્રથમ દર્શને કઠોર લાગે. આંખોમાં એ જ રૂક્ષતા, બોલી બરછટ લાગે પણ એમને જેટલા કડક ગણવામાં આવતા એટલા કડક તે ન હતા એવું હવે મને લાગે છે. ૮૬ વર્ષની જીવનયાત્રા અને સિત્તેર વર્ષની દામ્પત્યયાત્રા એમને પલ્લે રહી.

એમના વિશે સાંભળેલી વાત લખું તો કલ્પનાતીત લાગે! પ્રજાસમાજવાદી ડો. અમૂલ દેસાઈ એમના નાનાભાઈ. મોટાકાકાએ વલસાડમાં જે મૂળ સોતું કાર્યબીજ રોપેલું અને એમના પિતાજી મગનકાકાનો જે મિજાજ હતો તેના આધારે પ્રજાસમાજવાદીઓને મોરારજીકાકાના ગઢમાં પ્રવેશ મળ્યો. મોરારજીકાકાને વિશ્વાસ હતો કે પોતે ચૂંટણી ન હારે! મૂળભૂત તો મગનકાકા અને મોરારજીકાકા મિત્રો હતા પરંતુ મગનકાકાને મોરારજીકાકાનો આત્મવિશ્વાસ વધારે પડતો લાગેલો અને તેઓ આમને સામને થઈ ગયા. એમના પુત્ર અમૂલભાઈ ડોક્ટર તો ખરા સાથે નિર્ભય અને સ્પષ્ટવક્તા, બુદ્ધિશાળી તો ખરા જ. એમને પ્રજાસમાજવાદીઓએ પસંદ કર્યા અને પછીની બધી વાત ઇતિહાસ છે. મોરારજીકાકા હાર્યા. ૧૯૫૩થી લગભગ ૧૯૬૯ સુધી પારડી ખેડ સત્યાગ્રહ ચાલ્યો. ૧૯૮૪-૮૫ સુધી તો એ સત્યાગ્રહની યાદમાં નીકળતી રેલીમાં આવતા નેતાઓ, મિત્રો માટે વલસાડનું સરનામું બાલુકાકાનું ગોદામનું ઘર હતું.

નવનિર્માણ આંદોલન પછી ઘાસવાલા પરિવારમાં રાજકારણના નામે ઉદાસીનતા શરૂ થઈ ચૂકેલી. તે પહેલાં ગુજરાત અને વલસાડનાં રાજકારણમાં ખાસ કરીને નગરપાલિકામાં બાલુકાકાનું અને રાજ્યસ્તરે અમૂલકાકાનું નામ ગણાતું તો ખરું. મોટાકાકા લગભગ પાંચેક મુદત સુધી નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયેલા એવું અશોકની સ્મૃતિમાં છે. મોટાકાકા હોય કે અમૂલકાકા એમને વિરોધપક્ષે બેસવાની જેટલી ફાવટ તેટલી સત્તાપક્ષે નહીં! લોકશાહીમાં વિરોધપક્ષ તો બોલકો ને મજબૂત હોવો જ જોઈએ એ મિજાજ બરકરાર. બાકી નગરપાલિકાનો મતદાર વિભાગ, ઘાસકાપણીના શ્રમજીવીઓ અને પશુચારા માટે ઘાસની વ્યવસ્થા હોય કે મુંબઈમાં દાક્તરી મદદ માટે વલસાડથી કોઈએ પણ જવાનું હોય મોટાકાકાના વલસાડનાં ગોદામનાં કે અમૂલકાકાની વૃંદાવન હોસ્પિટલનાં અને ઘરનાં બારણાં ચોવીસે કલાક ખુલ્લાં. તે સમય એવો હતો કે ગોદામના નાકે શેરડીના રસનાં કોલાનું ભાડું કે મુંબઈની સાઉથ ઈન્ડિયન રેસ્ટેરન્ટ અરાસાનું ભાડું કોઈ વાર આવે જ નહીં કારણ કે નાસ્તાપાણી અને મહેમાનગતિમાં જ પૂરું થઈ જાય! અમૂલકાકા તો નાતજાતથી પર એટલે શુભ પ્રસંગે જાહેર જમણવાર માટે વાત અલગ પણ મોટાકાકાને લોકોને જમાડવામાં ભારે રસ. પ્રસંગોપાત્ત અમે સુધારાની કે ઓછાં માણસોની વાત કરીએ તો કહેતા કે હારાં ખરાં રેજાલાં ને ચિહટાં દેહું!

પ્રજાસમાજવાદી વિચારધારાનો પલટો કોંગ્રેસ તરફ ઢળ્યો ત્યારે મોટાકાકા સ્વતંત્ર પક્ષ તરફ ઢળ્યા અને ૧૯૬૭માં વલસાડમાં વિધાનસભાની બેઠક પર ઊભા રહી ડો. કેશવભાઈ પટેલ સામે ચૂંટણી હારેલા. આમ પ્રજાસમાજવાદી કે સ્વતંત્ર પાર્ટી બન્નેને વલસાડ પ્રવેશમાં ઘાસવાલા કુટુંબ નિમિત્ત ખરું. એ અર્થમાં એમને માટે વલસાડ સામા પૂરે તરવાનું સ્થળ ગણાય પણ તેઓ અડગ, અડીખમ ને મજબૂત રહ્યા તેમાં વિશાળ પરિવારની, મિત્રોની અને ઘડોઈનાં નવઘરની એકતા બરકરાર હતી એવું હવે મને લાગે છે. જો કે પછી બન્ને પક્ષ રહ્યા નહીં અને તેઓ બન્ને ભાઈઓ પણ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાયા. અને હવે તો ઘાસવાલા પરિવારના કેટલાક સભ્યોનો ઝોક ભા.જ.પ. તરફ પણ ખરો.

દર વરસે ઘાસના ભાવ નક્કી કરવાનો સમય આવે. ક્યારેક લીલો તો ક્યારેક સૂકો દુકાળ હોય તો વેપારી અને સરકાર બન્ને વચ્ચે સંતુલન રાખવું પડે, મોટાકાકા ઘરે આરામ ખુરશીમાં ઝૂલતા હોય તો કલેક્ટર એમને મળવા આવે અને પૂરતું માન આપી એમની સાથે પરિસ્થિતિને પહોંચી વળવાની વ્યૂહરચના ગોઠવે તે તો અમે પણ જોયેલું. પોતે પણ કલેક્ટરાલયમાં જાય, કોઈ વાર ઠરાવ ને આવેદનપત્ર વગેરે પણ આપવાના હોય કે ઘાસના ભાવ પણ નક્કી કરવાનાં હોય ત્યારે સાથે એમની વેપારી મંડળી હોય, નક્કી કરીને જાય કે કલેક્ટરની સામે અંદરોઅંદર ગરમાગરમીનું નાટક પણ કરવાનું ને કરે જ. પછી થાબડભાણાં થાય ક્યારેક પોતે ધારેલું કરે ને ક્યારેક જનહિતમાં જતું પણ કરે. ક્યારેક ગાંધીનગર પણ જાય અને મંત્રીઓને મળે ત્યારે નાદુરસ્ત તબિયતને લીધે પોતાનું ખાવાનું ઘરેથી લઈ જાય પણ બાકીના સાથે હેવમોર વડોદરા જાય જ અને મરચાં વગરનું ભોજન પણ થોડું આરોગે! ઘરેથી વડાં-પૂરી લઈ જાય, મારે હજી એની બાઈ જેવી ગુણવત્તાની પરીક્ષા અદીભાઈને આપવી પડતી હોય છે જેમાં મને મઝા પણ આવે છે. મને બરાબર  યાદ છે કે ઘરે પાપડ વણવા બે’નો આવે અને બાઈ જો મજૂરી માટે રકઝક કરે તો મોટાકાકા પૂરતી મજૂરી ચૂકવવાનો આગ્રહ રાખે. એક વાર ઘરકામ સહાયકે તેલ લીધું એટલે બાઈને ચોરીનો વહેમ પડ્યો, બાઈ ગરમ પણ મોટાકાકા કહે કે ચોરી એટલે કરે છે કે તમારે ત્યાં વધારે જુએ છે અને એને ઘરે અછત છે! એ ચોરી કરીને પણ બંગલો તો નથી બાંધી શકી, એનાં છોકરાંનું પેટ ભરાય એટલું જ લઈ જાય છે! પછી કહે કે તારાં છોકરાંને તું એમને અંબીફુઈ અને ઢેડકીફુઈથી સંબોધવા કહે છે અને આવું વિચારે છે! જો કે બાઈ ગાંજ્યાં ન જાય તે કહેતાં કે લાવો, લખલૂટ રૂપિયા તો હું પણ લુંટાવું! આમ કોકા પહેરીને નીકરી પડવાનું તે તમને પોહાય, મારે તો સંસાર ચલાવવાનો છે! મોટાકાકાની એ જ લઢણે અશોક પણ વાત કરે. ત્યારે મને બાઈ યાદ આવે જ.

બાઈનાં ગયાં પછી એક વણલખ્યો નિયમ અમે પાળેલો કે ત્રણે દીકરાએ મોટાકાકાની કાળજી રાખવાની. દિવસે બે વાર જમાડવાની અને રાત્રે અમારાં કુટુંબ વારાફરતી એમની સાથે રહે. મને યાદ આવે છે કે એમના જમવાના સમય દરમિયાન ગામગપાટામાં નગરપાલિકા અને રાજકારણની જાણીઅજાણી વાતો કરવામાં એમને મજા પડતી. હું એમની અને અમૂલકાકાની વાતો ટેપ કરવાનું ચૂકી ગઈ. કેટલુંક લખ્યું પણ ઘણું રહી ગયું. આ સમય દરમિયાન જ એમના પિતૃવાત્સલ્યનો અનુભવ થયો. મારા પિતા અને બાઈના મૃત્યુનો સમયગાળો લગભગ સરખો એટલે એક દિવસ મને પૂછે કે બાઈ તો કાગળ નથી લખતી પણ ઈશ્વર (મારા પિતા) લખે કે? આ વાતથી આંસુ ન આવે તો જ નવાઈ!

અમારાં દીકરા-વહુ આનંદ અને હેતલ માટે એમને પ્રેમભાવ ખરો. એક-બે વાર હેતલને ખાદી અપાવવા લઈ ગયેલા. અમારી ઘરે રહેવા આવવાનું તો ન જ ગમે પણ વાત નીકળે તો મને  કહે કે આનંદની રૂમ પર રહેવા જવા! ત્યારે આનંદ આર્થિક રીતે સ્થિર થવાનો સંઘર્ષ કરતો હતો અને નાના ફ્લેટમાં રહેતો! એમની દ્રષ્ટિએ જો કોઈ કામ બરાબર ન કરી શકે તો એક જ શબ્દ મોઢે આવે, ‘પાજી!’ એમને હારવું પસંદ ન હતું. અમને કોઈવાર કહી પાડતા કે મફતમેં ખાના, મસ્જિદને સોના ઔર ઉપરસે સીનાજોરી! પણ પછી મનમાં કાંઈ ન હોય! આનંદને હંમેશાં કહેતા કે આપણે તો સિંહ, એમ જ રહેવાય! સિંહ ઘાસ ન ખાય, ભલે પોતે ઘાસવાલા હતા! એમને ફોટા પડાવવાનું બિલકુલ ન ગમતું એટલે એમના ખાસ ફોટા ન મળે પરંતુ બાઈ તો પહેરવા-ઓઢવાનાં ભારે શોખીન અને જીવંત વ્યક્તિત્વની માલકિન એટલે તક મળે તો ધરાર ફોટો પડાવે જ. મોટાકાકાના તેવર ઉન્ન્તભ્રૂ પણ બાઈની ઈચ્છા ક્યારેક પૂરી કરે.

એમના બે મિત્રો ખાસ, જયંતીકાકા અને ભીખુકાકા. બન્ને એમને નિયમિત મળવા આવે. એ બન્ને સ્કૂલમાં સાથે કામ કરતા પણ રાજકારણની સૂઝસમજ ધરાવતા એટલે મોટાકાકાના રાજકીય સલાહકાર પણ ખરા. એક થાળીમાં શાંતિભુવનનું ભૂસું અને મેથિયું એ એમની જ્યાફત. મગનકાકાએ મ્યુનિસિપાલિટીની શાળામાં શિક્ષકની નોકરી કરેલી એટલે કહેલું કે ચોથા વર્ગના કર્મચારીઓનાં બાળકો ભણી શકે એવી શાળા શરૂ કરવી એ સપનું દીકરાઓએ પૂરું કર્યું. જો કે હવે ઘાસવાલા સ્કૂલનાં રૂપરંગ બદલાઈ રહ્યાં છે. આનંદને પોતાના દાદાજીઓની પરંપરાનું પાલન કરવું ગમે છે, એ જ મોટી મૂડી.

… તો, આ મોટાકાકા ઉર્ફે બાલુભાઈ ઘાસવાલાનું શબ્દચિત્ર પુત્રવધૂ દ્વારા.

—

e.mail : bakula.ghaswala@gmail.com

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

...102030...1,8391,8401,8411,842...1,8501,8601,870...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved