Opinion Magazine
Number of visits: 9571505
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમસ્યા એ છે કે દેશમાં શાસકો ઓછા અને રાજકારણી વધુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 June 2021

દેશનું દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે દેશ એક સાથે અનેક વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલો છે ત્યારે દેશના શાસકો, શાસકો ઓછા છે અને રાજકારણીઓ વધુ છે. તેમની નજર માત્ર અને માત્ર ચૂંટણીઓ જીતીને સત્તા પર કબજો કરવા ઉપર છે અને શાસનના મોરચે જરા પણ નથી. વિદેશનીતિના મોરચે, અર્થનીતિના મોરચે, કોરોનાસંકટના મોરચે, કાયદો અને વ્યવસ્થાના મોરચે કે બીજા કોઈ પણ મોરચે સરકાર સમ ખાવા પૂરતો પણ સફળતાનો દાવો કરી શકે એમ નથી. શાસન તેમની પ્રાથમિકતા નથી. તેમની પ્રાથમિકતા છે; સત્તા અને એ દ્વારા હિંદુઓની કહેવાતી રાજકીય-સામાજિક સરસાઈ, જેને તેઓ હિંદુરાષ્ટ્ર કહે છે. નિર્બળને ધોલ મારવાની ચેષ્ટા જો હિંદુરાષ્ટ્રમાં હિંદુઓની શક્તિ ગણાતી હોય તો એ હિંદુરાષ્ટ્રની દયા જ ખાવી જોઈએ. ઇતિહાસ એમ કહે છે કે માથાભારેપણાની કિંમત માથાભારેપણું કરનારા લોકો જ સૌથી વધુ ચૂકવતા હોય છે. જે લોકો સાથે માથાભારેપણાનો વહેવાર થતો હોય એ લોકો ચેતીને જીવતા શીખી જાય છે અને ચેતતો નર સદા સુખી એવી કહેવત તો તમે સાંભળી જ હશે.

ખેર, આ દેશમાં એવા કેટલાક લોકો છે જેમને લઘુમતી કોમ સામે બહુમતી કોમની કોમી સરસાઈમાં જ રસ છે પછી દેશ ભલે ખાડે જાય. તેમને ખબર છે કે આ માટે સત્તા જરૂરી છે અને માટે તેઓ કોઈ પણ સંજોગોમાં વર્તમાન શાસકોને ટેકો આપવાના છે. પરંતુ આ દેશમાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમને ધોરણસરનું શાસન કરનારા શાસકો જોઈએ છે. એવા શાસકો જેઓ લોકોની ઈચ્છા અને એષણાનો આદર કરે. એવા શાસકો જેઓ લોકોની ફરિયાદને કાન આપે. એવા શાસકો જેઓ લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરે અને લોકતાંત્રિક સંસ્થાઓના અધિકારોનો આદર કરે. એવા શાસકો જે સમસ્યાઓ અને પ્રશ્નોથી ભાગે નહીં પણ તેનો સામનો કરે. એવા શાસકો જેઓ પોતાથી ચડિયાતા તેજસ્વી માણસોની સલાહ અને સેવાનો લાભ લે. એવા શાસકો જેઓ લઘુતાગ્રંથિથી ન પીડાતા હોય. એવા શાસકો જેઓ અન્ય રાજકીય પક્ષોની રાજકીય હાજરીનો આદર કરતા હોય. એવા શાસકો જેઓ રાજ્યોના બંધારણીય અધિકારો(ફેડરલિઝમ)નો આદર કરતા હોય.

હકીકત એ છે કે જેને આપણે ભક્તો તરીકે ઓળખાવીએ છીએ એવા આંધળા ટેકેદારોની સામે ધોરણસરનું શાસન અને મર્યાદાનું પાલન કરનારા ધોરણસરના શાસકોની ઈચ્છા ધરાવનારા ભારતીય નાગરિકોની સંખ્યા ચાર ગણી છે. તેઓ વિકલ્પની તલાશમાં છે અને તે વિષે સતત ચર્ચા ચાલી રહી છે. માત્ર ભારતમાં નહીં, વિદેશોમાં પણ ભારતનાં લોકતંત્રના ભવિષ્ય વિષે ચર્ચા ચાલી રહી છે.

આમ જુઓ તો અહીં જે વિવેચન કરવામાં આવ્યું છે અને જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા છે એમાં જ વિકલ્પ રહેલો છે. જો માથાભારે રાજકારણ વર્તમાન સત્તાધારીઓનો માર્ગ હોય તો તેનો વિકલ્પ ધોરણસરનું શાસન જ હોઈ શકે. કયો રાજકીય પક્ષ કે રાજકીય પક્ષોનો મોરચો બી.જે.પી.નો વિકલ્પ બની શકે એ વિષે વિચારવાની જગ્યાએ સૌથી પહેલા તો અત્યારે જે જે રાજ્યોમાં ગેરબી.જે.પી. રાજકીય પક્ષોની સરકારો છે તેણે પોતાનાં રાજ્યમાં ધોરણસરનું જવાબદાર શાસન આપવું જોઈએ. શાસકીય અભિગમ સભ્યતા અને મર્યાદાવાળો હોવો જોઈએ અને શાસનના કેન્દ્રમાં ભેદભાવ વિના પ્રજાની સુખાકારી અર્થાત્ વિકાસ હોવો જોઈએ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જે સફળતા મળી છે એ આનું પરિણામ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પણ મરાઠી અસ્મિતા અને મરાઠી માણસને ન્યાયનું રાજકારણ કરવાની જગ્યાએ સભ્યતા અને મર્યાદાવાળું ધોરણસરનું વિકાસલક્ષી શાસન કરી રહ્યા છે તેને કારણે એક શાસક તરીકેની તેમની પ્રતિષ્ઠામાં ખૂબ મોટો વધારો થયો છે. આવો જ પ્રયાસ છતીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ કરી રહ્યા છે. ઓડીશામાં નવીન પટનાયક પણ ધોરણસરનું શાસન આપી રહ્યા છે.

તામિલનાડુમાં તાજાતાજા અને પહેલીવાર મુખ્ય પ્રધાન બનેલા એમ.કે. સ્તાલીને પણ કમાલ કરી બતાવી છે. તેમણે આર્થિક સલાહકાર સમિતિની રચના કરી છે અને એમાં જે વ્યક્તિઓની તેમણે પસંદગી કરી છે તેમનાં નામ સાંભળશો તો આભા થઈ જશો. રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન, ગયા વરસે નોબેલ ઇનામ મેળવનારાં એસ્થર ડફલો, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમ્‌, વિશ્વભરમાં વિકાસના અર્થશાસ્ત્રમાં નામના ધરાવનારા અને સ્વેચ્છાએ ગરીબની જિંદગી જીવનારા ગરીબ તરફી અર્થશાસ્ત્રી જૉં દ્રેઝ અને કેન્દ્ર સરકારનાં નાણા સચિવ રહી ચૂકેલા એસ. નારાયણ તામિલનાડુ સરકારની આર્થિક સલાહકાર સમિતિના સભ્યો છે. પાળવા તો વાઘ પાળવા બાકી ગલુડિયાં પાળીને શો લાભ! એવા માણસો કોઈ ખપના નથી જે કોણ છે એ શોધવા માટે ગૂગલનો આશરો લેવો પડે.

તો વાતનો સાર એ છે કે તમામ રાજ્યોમાં ગેરબી.જે.પી. સરકારના શાસકોએ લોકતાંત્રિક મર્યાદા, માનવીય સભ્યતા અને ભેદભાવરહિત વિકાસકેન્દ્રી શાસન કરવું જોઈએ. આ ત્રણ ચીજ એવી છે જેનો બી.જે.પી.ના રાજમાં સાર્વત્રિક અભાવ છે અને ઉપર કહ્યું એમ ભારતના સોમાંથી ૭૫ નાગરિક એને માટે ઝંખે છે.

અહીં એક વાત જણાવી દેવી જોઈએ કે ભારતનો સમવાય ઢાંચો હિન્દીભાષિક રાજ્યોને છોડીને મૂળભૂત રીતે અસ્મિતાજન્ય છે. હિન્દીભાષિક રાજ્યો પણ થોડેઘણે અંશે પોતાની અસ્મિતા ધરાવે છે. હિંદુ રાષ્ટ્રવાદી અસ્મિતા જેટલી આક્રમક બનશે અને પ્રાદેશિક અસ્મિતાઓને હાંસિયામાં ધકેલશે એટલી પ્રાદેશિક અસ્મિતાઓ પ્રતિકાર કરનારી જવાબી બનશે. આ સ્થિતિમાં પ્રાદેશિક પક્ષોએ પ્રાદેશિક અસ્મિતાઓનું રાજકારણ કરવાની જરૂર નથી. તેઓ જો સત્તામાં આવે તો તેમણે ભેદભાવરહિત વિકાસલક્ષી શાસન કરવું જોઈએ. હિંદુ અસ્મિતાના આક્રમણનો ભોગ બની રહેલી પ્રાદેશિક અસ્મિતાઓ એની મેળે પ્રતિકારક બનશે. જે રાજકીય પક્ષો અત્યાર સુધી અસ્મિતાઓનું રાજકારણ કરી રહ્યા છે તેમણે પણ શાસક તરીકે અસ્મિતાઓ ઘૂઘરો ફગાવી દેવો જોઈએ, જે રીતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધો છે. રાજ્યોના મતદાતાઓને એની મેળે જ જાણ થશે કે કહેવાતું હિંદુ રાષ્ટ્ર હિંદુ ધાર્મિક અસ્મિતાનું માથાભારે રાજ છે જેમાં અમારી પ્રાદેશિક અસ્મિતાને પાછળ ધકેલવામાં આવે છે. હિંદુ રાજ અન્યાયી તો છે જ અને ઉપરથી એમાં વિકાસની તો કોઈ વાત જ કરવામાં નથી આવતી. એક દિવસ કદાચ એવો પણ આવશે કે સમવાય ભારત (એટલે કે રાજ્યો) કેન્દ્ર સામે મોરચો માંડશે.

અને છેલ્લી જરૂરિયાત છે કપરાં સંજોગોમાં પણ હાર કબૂલ નહીં કરવાનો આત્મવિશ્વાસ અને થાક્યા વિનાની અખૂટ મહેનત. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ આનો પરિચય કરાવ્યો હતો. એ સિવાય મહારાષ્ટ્રમાં શરદ પવારે, આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીએ, બિહારમાં તેજસ્વી યાદવે, છતીસગઢમાં ભૂપેશ બઘેલે અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે આત્મવિશ્વાસ સાથે હામ હાર્યા વિના જે મહેનત કરી હતી તેનું પરિણામ આપણી સામે છે. બિહારમાં તેજસ્વી યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળને સૌથી વધુ બેઠકો મળી હતી. બિહારમાં વિજેતા તેજસ્વી યાદવ છે.

રહી વાત પરંપરાગત ગઠબંધનો અને કોના કેટલા વોટના સમીકરણોની તો મને એમ લાગે છે કે એ પ્રકારનું રાજકારણ હવે અપ્રાસંગિક બની રહ્યું છે. મર્યાદા, માણસાઈ, ભેદભાવરહિત વિકાસ, આત્મવિશ્વાસ અને મહેનત આ પાંચ ચીજો જ્યાં હશે ત્યાં બી.જે.પી.ને પરાસ્ત કરી શકાય છે. છેલ્લાં કેટલાંક વરસોનો અનુભવ આમ કહે છે. બી.જે.પી. પાસે છેલ્લી બે ચીજ છે, પહેલી ત્રણનો અભાવ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 જૂન 2021

Loading

આજ ખરું અવતરવાનું ટાણું, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 June 2021

હૈયાને દરબાર

‘હૈયાને દરબાર’ પંદરમી માર્ચ, ૨૦૧૮થી ‘મુંબઈ સમાચાર’માં શરૂ કરી, ત્યારે મારા પ્રિય અને સુજ્ઞ વાચકો વિશે મને શ્રદ્ધા હતી જ કે મારી અન્ય કોલમોની જેમ આ સંગીતમય કોલમને કલાપ્રેમી વાચકો બિરદાવશે જ. બીજું, ‘મુંબઈ સમાચાર’ હંમેશાં માતૃભૂમિ, માતૃભાષા, આપણી સંસ્કૃતિ વિશે સજાગ રહ્યું હોવાથી તંત્રી નીલેશ દવેનો સહયોગ પણ મળ્યો. ગુજરાતી ગીતોનો અઢળક ખજાનો આપણી પાસે છે છતાં, માત્ર પાંચ-પચીસ ગીતો જ લોકોને ખબર હોવાથી મને હંમેશાં એમ થતું લોકોને આપણી ભાષાનાં અદ્ભુત ગીતો વિશે માહિતગાર કરીશું તો જ એમને આપણા આ અમૂલ્ય વારસાની ખબર પડશે. આપણે આપણાં ભાષા-સંગીત-સંસ્કૃતિ આપણા પછીની પેઢીને આપીશું નહીં તો એ ખતમ થઈ જશે. આ વાત મેં તંત્રી નીલેશભાઈ સાથે કરી અને એમણે ઉમળકાપૂર્વક કોલમ શરૂ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પહેલી જ કોલમથી વાચકોનો ઉત્તમ પ્રતિસાદ મળવા લાગ્યો. ગુરુવાર એટલે મારે માટે વાચકોના પ્રેમનો વાર. કોલમ વાંચીને સવારમાં થોડાક ફોન તો આવી જ જાય. આ પ્રેમ મારી ઊર્જા વધારતો હોવાથી એક-બે વાર કોલમ બંધ કરવાનો વિચાર આવ્યો હોવા છતાં એ અટકી નહીં, પરંતુ ગુજરાતી ગીતોનો મહાસાગર એવો અનંત છે કે એનો સામેનો છેડો દેખાય જ નહીં. એટલે તરાય એટલું તરીને આપણે જ પાછા વળવું પડે. મને લાગે છે કે પાછા વળવાનો સમય આવી ગયો છે.

હવે તો ગુજરાતી મનોરંજન ઉદ્યોગનું જબરજસ્ત મેકઓવર થઈ ગયું છે. સુગમ સંગીતનું સ્થાન અર્બન ગુજરાતી સંગીતે લીધું છે, જેમાં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. લોકસંગીત આધુનિક સ્વરૂપે પુનર્જન્મ લઈ રહ્યું છે. ઈન્ડો-વેસ્ટર્ન સ્પર્શ આપીને ગુજરાતી ગીતો થોડાં બોલીવૂડિયા-હોલીવૂડિયા બની રહ્યાં છે. અનેક પડકારો છતાં ગુજરાતી અર્બન મ્યુઝિક માટે અઢળક એવન્યુ ખૂલી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોનું કલેવર બદલાતાં સંગીત પણ આપોઆપ બદલાયું છે. સંગીતકારોને વધુ સારા કલાકારો, ટેક્નિશિયનો અને અનુકૂળ બજેટ સાથે કામ કરવાની શક્યતાઓ ઊભી થઈ છે. ‘બેટર હાફ’, ‘કેવી રીતે જઈશ’ જેવી અર્બન ફિલ્મો પછી ગુજરાતી સંગીતનો સિનારિયો સદંતર બદલાયો છે. તેમ છતાં, કર્ણપ્રિય ગુજરાતી સુગમ સંગીત અથવા કાવ્યસંગીતનાં મૂળ તત્ત્વ-સત્ત્વ ટકી રહે એ જોવું જરૂરી છે. મેલડીના ભોગે કે શબ્દોની તડજોડ દ્વારા સર્જાયેલાં ગીતોનું આયુષ્ય ઓછું હોય છે. આપણી ભાષાનું માધુર્ય, કાવ્યત્વ અને શબ્દભંડોળ જળવાઈ રહે એ પ્રકારે સંગીત સર્જાય અને બાળકોને નાનપણથી જ માતૃભાષા તેમ જ ગુજરાતી ગીતો પ્રત્યે સજાગ કરવામાં આવે, એમને સંભળાવવામાં આવે તો ગુજરાતી ગીતો કર્ણોપકર્ણ પેઢી દર પેઢી સુધી સચવાઈ શકે. અમેરિકામાં વસતાં જાણીતાં ગુજરાતી ગાયિકા ફાલુ શાહ અમેરિકન સોંગ્સ ગાય છે પણ ઘરમાં શુદ્ધ ગુજરાતીમાં જ બોલવાનો નિયમ. એમનો દસ વર્ષનો દીકરો ગુજરાતી ભાષા તો બોલે જ છે, પરંતુ ‘પંખીઓએ કલશોર કર્યો’ જેવાં ગુજરાતી ગીતો પણ આસાનીથી ગાય છે. ભાષા-સંસ્કૃતિને ટકાવવા મા-બાપે આટલું કરવું અનિવાર્ય છે.

હવે, ‘હૈયાને દરબાર’ કોલમ ગીતોની પ્રસ્તુતિ છે એટલે ગીતની વાત તો કરવી જ પડે. કેટલાં ય સરસ ગીતો સ્મૃતિપટ ઉપર આવી રહ્યાં છે, પરંતુ છેવટે એક પ્રાર્થના સાથે જ સમાપન કરવાની ઈચ્છા થાય છે. કોવિડ નામનો કાળમુખો નાગ આખા વિશ્વને ભરડો લેશે એવું કોઈએ સ્વપ્ને ય વિચાર્યું નહોતું. આ સંજોગોમાં પ્રાર્થના જીવન જીવવાનું બળ આપે છે.

ચારેકોર પીડા પ્રસરી રહી હોય ત્યારે સકારાત્મક રહેવું ઘણું કઠિન છે. છતાં, હિંમત હાર્યા વિના સૌએ સજાગ રહેવાનું છે. દુનિયા આખી સંકટ કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે ઈશ્વરને ફક્ત એમ જ કહેવાનું મન થાય છે કે,

આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
બધુંએ જિતાય, પણ એક તું ના જિતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું …!

અવિનાશ વ્યાસે લખેલું, સ્વરબદ્ધ કરેલું આ ગીત સ્વયં સ્પષ્ટ છે. બસ, શ્રદ્ધાનો દીવો જલતો રાખવાનો છે. ગાયક મુકેશે ગાયેલાં ગુજરાતી ગીતોમાં આ ગીત પણ ખાસ્સું પ્રખ્યાત છે. શ્રદ્ધાની વાત છે તો એક સરસ પ્રેરક પ્રસંગ યાદ આવે છે.

એક ગામમાં ઘણા દિવસથી વરસાદની વાટ જોવાતી હતી. લોકો વરસાદ વિના ત્રાસી ગયા હતા. ગામના લોકોએ ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું?

ધર્મગુરુએ સલાહ આપી : ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાનાં-મોટાં સ્ત્રીપુરુષ એકઠાં થયાં. તેમાં એક નાની બાળકી પણ આવી. તેના હાથમાં છત્રી જોઈને કેટલાક લોકોએ તેની મશ્કરી કરી. ‘વરસાદનું ઠેકાણું નથી ને જુઓ આ છોકરી તો છત્રી લઈને આવી!’

ધર્મગુરુએ પણ આશ્ચર્ય પામી તેને પૂછ્યું : ‘બેટા, છત્રી કેમ લાવી છે?’ સાવ સરળતાથી નિર્દોષભાવે પેલી બાળા બોલી : ‘તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ અહીં ભેગાં થયાં છીએ એટલે વરસાદ તો આવશે જને? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું.’

પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? એટલે જ શ્રદ્ધા હશે અને સજાગતા હશે તો આ કપરા કાળમાંથી ઝડપથી બહાર આવીશું.

કુંદનિકા કાપડિયાની એક સરસ પ્રાર્થના સાથે લેખ પૂરો કરીએ :

મને શીખવ હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં
તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું
તે મને શીખવ.

૧૨૫થી વધુ ગીતોની સર્જન પ્રક્રિયા, એ ગીતોના કવિ, સ્વરકાર અને ગાયક સાથે એ ગીત વિશેની વાતચીત, એમના અનુભવો, ગીતનાં હાર્દ અને લોકપ્રિયતા વિશે વિસ્તૃત વિગતો આ કૉલમમાં આપી. ત્રણ વર્ષ પહેલાં ભરાયેલો 'હૈયાનો દરબાર' હવે બરખાસ્ત થાય છે, વિરામ લે છે. દરેક આરંભનો અંત નિશ્ચિત છે છતાં, આરંભ ઉત્તમ હોય તો લોકોની સ્મૃતિમાં એ જ રહે છે.‌ ધારું છે કે ગુજરાતી સુગમ સંગીતના દસ્તાવેજ તરીકે આ ગીતોની કથા ભવિષ્યમાં સુગમ સંગીતના ચાહકોને ઉપયોગી થશે.‌ કુંદનિકા બહેનની ઉપરોક્ત સકારાત્મક પ્રાર્થના સાથે 'હૈયાને દરબાર'ની વાચકોને અલવિદા. પરંતુ, આપણી ગુજરાતી ભાષાના સુંદર ગીતોને માણતાં રહેજો અને નવી પેઢી સુધી પહોંચાડતાં રહેજો. કહેવાયું છે ને કે,  साहित्यसंगीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः સાહિત્ય સંગીત અને કલાવિહીન મનુષ્ય પૂંછડી વિનાના પશુ સમાન ગણાય છે. સંગીત તો કલાઓમાં સર્વ શ્રેષ્ઠ છે. એની સાથેનો નાતો જાળવવાથી તન-મનની તંદુરસ્તી સુધરે છે.‌

બાકી, પહેલી જુલાઇએ બસ્સોમાં વર્ષમાં પ્રવેશનાર એશિયાના સૌપ્રથમ, હજુ સુધી કાર્યરત અખબાર 'મુંબઈ સમાચાર' સાથેની પચીસ વર્ષની સફર બેશક સુહાની રહી એનો આનંદ છે.‌ મળીશું ક્યારેક, ક્યાંક, કોઈક નવાં સ્વરૂપે! 

—————–

આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સોમાં નવ્વાણું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કૈંકને માર્યા તમે કૈંકને તાર્યા
ને ધર્યા તમે વિધ વિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
અવતરતાં લાગે કેમ વાર?
શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે કોણ તાણે તારું ઉપરાણું?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
આ ચંદ્રમા તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વીંધીને અવકાશે આદમ
દોડ્યો આવે ને દોડ્યો જાય
બધુંએ જિતાય, પણ એક તું ના જિતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

•   ગીત-સંગીત : અવિનાશ વ્યાસ    •   ગાયક : મુકેશ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 જૂન 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=693369

Loading

સુશાંતસિંહના મૃત્યુએ જગાડેલા સવાલો હજી હવામાં તરે છે

સોનલ પરીખ|Opinion - Opinion|24 June 2021

એન્જિનિયરિંગ માટેની એન્ટ્રન્સ ટેસ્ટમાં નિષ્ફળ જવાથી એક તરુણ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દીકરાની સ્થિતિથી ભાંગી પડેલો અનિરુદ્ધ કહે છે, ‘આપણી પાસે સફળ થવાની અનેક યોજનાઓ હોય છે, પણ નિષ્ફળ ગયા તો શું, એ વિશે કોઈ વાત પણ નથી કરતું.’ અને તે અલગ રહેતી પત્ની માયાને અને પોતાના કૉલેજના સાથીઓને બોલાવે છે. આ બધા કૉલેજના દિવસોમાં કેમ્પસમાં ‘લૂઝર્સ’ કહેવાતા પણ દરેક મુશ્કેલીમાં ઊંચું માથું રાખી ટકી જતા. પિતા અને તેના મિત્રોના વિદ્યાર્થીજીવન વિશે જાણીને દીકરામાં નવી હિંમત આવે છે. અનિરુદ્ધ કહે છે, ‘સફળતા અંતિમ નથી. નિષ્ફળતા પણ અંતિમ નથી. અગત્યનું એ છે કે તમે હિંમતથી ચાલતા રહો.’

2019ની ફિલ્મ ‘છિછોરે’ની આ વાર્તા છે. આવા ગંભીર વિષય પર હળવી પણ અસરકારક ફિલ્મ બનાવવા માટે નીતેશ તિવારી અભિનંદનના અધિકારી છે. તેમાં અનિરુદ્ધની ભૂમિકા સુશાંતસિંહ રાજપૂતે કરી હતી. તેનો અભિનય વખણાયો હતો. ત્યારે કોઈ એ જાણતું નહોતું કે ફિલ્મમાં ‘આત્મહત્યા એ કોઈ ઉપાય નથી.’ એમ કહેનાર સુશાંતસિંહ રાજપૂત બીજે જ વર્ષે પોતાનો પ્રાણ લેશે.

2020ના જૂન મહિનાની 14મી તારીખે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આખો દેશ એવો ખળભળી ગયો કે કોરોનાનો સકંજો પણ ભુલાઈ ગયો. આ ઘટનાને એક વર્ષ થઈ ગયું છતાં વિવાદો શમ્યા નથી. દરમ્યાન વર્ષ 2021માં ‘છિછોરે’ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો મરણોત્તર અવૉર્ડ જાહેર થયો છે.

પાંચ ભાઈબહેનોમાં સૌથી નાના સુશાંતને સૌ લાડથી ‘ગુલશન’ કહેતા. પટણામાં જન્મ, કૉલેજ દિલ્હીમાં કરી. ઘણું વાંચતો. એસ્ટ્રોનટ બનવાના કે એરફૉર્સમાં જવાનું સ્વપ્ન જોતાં સુશાંતે પરિવારના આગ્રહથી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એ શાહરૂખ ખાનથી ખૂબ પ્રભાવિત હતો એટલે સ્વપ્નોમાં બૉલિવૂડ પણ આવતું. ભણતાં ભણતાં શ્યામક દાવરના નૃત્યવર્ગો અને બેરી જોન્સનના અભિનયવર્ગો ભર્યા. એવો રસ પડી ગયો કે ચોથા વર્ષમાં કૉલેજ છોડી મુંબઈ આવી ગયો. આડીઅવળી જોબ્સ, નાદિરા બબ્બરનું ‘એકજૂટ’, 2008થી ફિલ્મો-ટી.વી.ની શરૂઆત, દિગ્દર્શનમાં રસ, ‘કાઈપો છે’, ‘પીકે’, ‘ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી’, ‘એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ બાર ફિલ્મો, છ ટી.વી. શો, નવ અવૉર્ડ, દસ નૉમિનેશન – ગ્રાફ ઊંચો ચડતો ગયો. તેને ‘નેક્સ્ટ શાહરૂખ ખાન’ શબ્દોથી અભિનંદી શેખર કપૂરે ‘પાની’ ફિલ્મમાં લીધો. આ ફિલ્મ પછીથી યશરાજ ફિલ્મે લીધી, સુશાંતનો કોન્ટ્રાક્ટ કૅન્સલ થયો અને રહસ્યમય ઘટનાઓની શરૂઆત થઈ, જેનો અંત 2020ની 14મી જૂને તે તેના ઘરમાં પંખા પર લટકેલો મળી આવ્યો એ ઘટનામાં આવ્યો.

હકીકતો ખૂલતી ગઈ, કહાણીઓ બનતી ગઈ. માધ્યમોએ તેના મૃત્યુને અશોભનીય રીતે ચગાવ્યું. તેને ડિપ્રેશન અને બાયપોલાર ડિસઑર્ડર હોવાનું કહેવાયું, ડ્રગ્સ અને સંબંધોના કિસ્સા ઊભા થયા. યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું. 200થી વધુ લેખો એ ગાળામાં જ છપાયા. હજી વણઝાર ચાલુ જ છે. આ બધાથી, ખલાસ થઈ ગયેલી એક આશાસ્પદ જિંદગી પાછી નથી આવવાની. એના મૃત્યુથી જાગેલા અનેક સવાલો હજી હવામાં તરે છે.

સેલિબ્રિટિઝ અને સ્યુસાઈડ વચ્ચે શો સંબંધ છે? 1964માં ગુરુ દત્તે આત્મહત્યા કરી – દારૂ અને ઊંઘવાની ગોળીઓનું મોટું પ્રમાણ એના મૃત્યુનું કારણ હતું. એની ચર્ચાઓ હજી ઊખળ્યા કરે છે. કારકિર્દી શિખરે હતી, પણ ગીતા સાથેનાં લગ્ન ભાંગવાની અણી પર હતાં, વહીદા સાથેના સંબંધો ભવિષ્ય બતાવતા ન હતા. તેણે એકથી વધારે વાર આત્મહત્યાની કોશિશ કરેલી. શા માટે આ પ્રતિભાશાળી માણસ શરાબમાં ડૂબી ગયો? શા માટે મરી ગયો? કોઈ કાઉન્સેલર, કોઈ સકાયાટ્રિસ્ટને કેમ ન મળ્યો?

1994માં મનમોહન દેસાઈએ આપઘાત કર્યો. અનેક સફળ ફિલ્મોના સર્જક. પીઠનો દુ:ખાવો હતો, છેલ્લી ફિલ્મો સફળ નહોતી થઈ, પત્ની મૃત્યુ પામી હતી. નંદા સાથે પરણવાના હતા. કોઈ રસ્તો નહીં બચ્યો હોય? દિવ્યા ભારતી પડી ગઈ. સિલ્ક સ્મિતાએ સ્લીપિંગ પિલ્સ લીધી. પ્રત્યૂષા બેનર્જી અને જિયા ખાને ગળે ફાંસો ખાધો. કુલજિત રંધાવાએ તેની ગર્લફ્રેન્ડ બીજા સાથે પરણવાની હતી એટલે આપઘાત કર્યો. ભાવિ પતિ પરણેલો નીકળ્યો એટલે ગર્લફ્રેન્ડે પણ આપઘાત કર્યો. આ લોકો કોઈ ચિઠ્ઠી વગેરે છોડી જતા નથી એટલે એમનાં મૃત્યુ અકસ્માત, આત્મહત્યા અને હત્યા આ ત્રિપાંખિયા પ્રશ્નથી ચૂંથાઈ, વિવાદોનાં થોડાં વમળ જન્માવી એક દિવસ જંપી જાય છે. દુનિયા ફિલ્મોની હોય કે ફિલ્મબહારની, કોઈના માટે રોકાવાની ફૂરસદ કોને છે?

આ તો બોલિવૂડના થોડાં ઉદાહરણો છે. શોધીએ તો બીજાં અનેક મળે. હોલિવૂડની સેલિબ્રિટિઓ પણ આમાંથી બાકાત નથી. બધી રીતે સુખી અને સફળ નીવડેલી સેલિબ્રિટિઓ શા માટે જીવનનો અંત આણે છે?

ફ્રાન્સની લેખિકા એમિલિ ડર્ખનિલે ‘સ્યુસાઈડ’ નામનું પુસ્તક લખ્યું છે. તેણે આત્મહત્યાના પ્રકારો પાડ્યા છે અને સ્ટારડમને જીવલેણ કહ્યું છે. આ દુનિયાની સફળતા અને ચકાચોંધ લોભામણાં છે. પણ તેની પાછળ રહેલી નિષ્ફળતા અને અસલામતીની ભૂતાવળ કોઈને દેખાતી નથી. આત્મરતિ અને અહંકારના આ વિશ્વમાં સાચો સાથ કે સાચું માર્ગદર્શન મળતું નથી. કુટુંબજીવન નહીંવત હોય છે. શિક્ષણ કે વાંચનવિચારનો પાયો હોતો નથી. જીવસટોસટની હરીફાઈ, ઈમેજની ચિંતા, જૂથવાદ, એકલતા, ઉગ્રતા, શત્રુભાવ આ બધાથી મોટા પ્રમાણમાં એંક્ઝાયટી જેને પર્ટર્બેશન કહે છે તે જન્મે છે. સતત આ સ્થિતિથી વિચારો એક જ ઉગ્ર-તીવ્ર લાગણી પર એકાગ્ર થતા જાય છે – અ સ્ટેટ ઑફ હોપલેસનેસ, હેલ્પલેસનેસ એન્ડ વર્થલેસનેસ. પછી કોઈ રસ્તો બચતો નથી. ભયાનક આવેશની આગમાં તર્ક, જાણકારી, ઈચ્છા બધું સળગી જાય છે અને માણસ પોતાને ખલાસ કરી નાખે છે.

અપરાધની દુનિયાની જેમ ફિલ્મી દુનિયામાં પણ વન-વે એન્ટ્રી છે. એક વાર દાખલ થઈ જાઓ પછી નીકળી ન શકો. રસ્તાઓ અત્યંત લપસણાં હોય છે અને સફળતા, લોકપ્રિયતા ને સંબંધો અત્યંત બટકણાં હોય છે. ગ્લિટઝ અને ગ્લેમરના ઝળહળાટ પાછળ એકલતા અને અસલામતીનું ગાઢ અંધારું હોય છે. સામાન્ય તારણ એવું છે કે સ્ત્રીઓ આત્મહત્યાની વાતો વધારે કરે છે અને પુરુષો આત્મહત્યા વધારે કરે છે, પણ બૉલિવૂડમાં સ્ત્રીઓની આત્મહત્યાનું પ્રમાણ વધુ છે, કેમ કે અહીં સુંદરતાની બોલબાલા છે ને સંબંધો સ્વાર્થના છે. યુવતીઓ પાસે જાતજાતની અલિખિત અપેક્ષાઓ રખાય છે, શોષણ થાય પણ છે અને થવા દેવાય પણ છે. પ્રિયંકા ચોપરાએ આત્મહત્યાની કોશિશ એકથી વધારે વાર કરી છે. દિપિકા પદુકોણ અને સુસ્મિતાએ ડીપ્રેશનની સારવાર લીધાનું કબૂલ કર્યું છે.

ભારતમાં માનસિક સ્વાસ્થ્ય ઉપેક્ષિત અને પ્રતિબંધિત પ્રકારનું ક્ષેત્ર છે. પણ સુશાંતસિંહની આત્મહત્યા પછીની પોસ્ટ્સ જોઈ 32 વર્ષની ઉંમરે યુનિયન મિનિસ્ટર બનેલા મિલિંદ દેવરાએ પોતાના ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારોની વાત બહુ નિખાલસતાથી કરી હતી અને આ સ્થિતિમાં પ્રોફેશનલ હેલ્પની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.

આત્મહત્યાની વૃત્તિ એ ડિપ્રેશનનો સૌથી ખરાબ તબક્કો છે, પણ એ તબક્કે પણ માણસ ખરેખર મરવા માગતો નથી. એ ઈચ્છતો હોય છે પીડાનો અંત. તે સંકેતો આપતો હોય છે, પણ વ્યસ્ત જીવનશૈલીમાં રત આસપાસના લોકો તેને પકડી શકતા નથી. સુશાંતના કિસ્સામાં નોકરોને પગાર વહેલા ચૂકવવા, પોસ્ટનાં લખાણ, ફોન પરની વાતો, ઇમેજમાં મૂકેલું ‘સ્ટારી નાઈટ્સ’ ચિત્ર – આ બધા સંકેતો હતા.

‘સ્ટારી નાઈટ્સ’ ચિત્ર વાન ગૉગે પાગલખાનામાં સારવાર દરમ્યાન રચ્યું હતું. બીજે વર્ષે 37 વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી હતી. તેની પ્રતિભાને તેના જીવતા કોઈએ ઓળખી નહીં. તેનાં સૂરજમુખી ઊભાં સળગી ગયાં. આ ઘટનાને સવાસો વર્ષ થયાં. અદમ્ય સર્જકતા, પરિસ્થિતિઓ, હતાશાઓ, આત્મહત્યાઓનો સિલસિલો ચાલુ છે. જીવ લઈ લેતી હતાશામાંથી ઉગરવાની કોઈ ટેકનોલોજી કેમ નહીં શોધાઈ હોય?

e.mail : sonalparikh1000@gmail.com

Loading

...102030...1,8371,8381,8391,840...1,8501,8601,870...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved