Opinion Magazine
Number of visits: 9570655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિજયની તબાહી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 October 2021

સંગીતકાર ખય્યામનું અવસાન થયું, ત્યારે મેં સુરતના સમાચારપત્ર ‘ગુજરાત મિત્ર’માં એક લેખ લખ્યો હતો. તેમાં મેં એક માહિતી આપી હતી કે નિર્માતા-નિર્દેશક રમેશ સહેગલે ૧૯પ૮માં રાજ કપૂર અને માલા સિન્હાને લઈને ‘ફિર સુબહ હોગી’ ફિલ્મ બનાવી હતી, તે રશિયન લેખક ફ્યોદોર દોસ્તોયેવસ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ પરથી પ્રેરિત હતી. ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ ૧૮૬૬માં પ્રકાશિત થઈ હતી અને તે દોસ્તોયેવસ્કીની સૌથી મહાન કૃતિ ગણાય છે. ૧૯મી સદીની સાંસ્કૃતિક અને સાઇકોલૉજિકલ ક્રાંતિઓ એનું સૌથી મહત્ત્વનું સ્થાન છે, કારણ કે એમાં માનવતાની શાશ્વત દુવિધા ચીતરવામાં આવી હતી. આ ફિલ્મનાં ગીતો સાહિર લુધિયાનવીએ લખ્યાં હતાં અને સાહિરના કહેવાથી જ, ત્યારે નવોદિત ગણાય તેવા ખય્યામ પાસે તેનું સંગીત કમ્પોઝ કરવામાં આવ્યું હતું. સાહિરે કારણ આપ્યું હતું કે ખય્યામે ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ વાંચેલી છે, એટલે એ વધુ સારો ન્યાય આપી શકશે.

આ લેખ મેં મારા ફેસબુક પેજ પર મૂક્યો હતો, તે વાંચીને ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ના સંદર્ભ પ્રત્યે અશ્વિન ચંદારાણાનું ધ્યાન ખેંચાયું. તેમણે મને મૅસેજ કરીને મારો નંબર મેળવ્યો અને ફોન કરીને કહ્યું કે ‘ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ના ગુજરાતી અનુવાદ માટે હું પ્રસ્તાવના લખું. ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ અને ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ બંને બુનિયાદી રૂપે માણસના આંતરિક અપરાધબોધ અને વિવેકબુદ્ધિની વાત કરે છે, એ આ પ્રસ્તાવનાનો સંદર્ભ છે.

ર૮ વર્ષની ઉંમરે વિદ્રોહી ગતિવિધિઓ બદલ ફ્યોદોર દોસ્તોયેવસ્કીને મૃત્યુદંડની સજા કરવામાં આવેલી. એમની પર બંદૂર તાકવામાં જ આવી હતી, અને ઝાર(રશિયન સમ્રાટ)નો સંદેશો આવ્યો કે તેમને મૃત્યુદંડમાંથી માફી આપવામાં આવી છે અને તેના બદલે તેમને સાઈબેરિયામાં કાળી મજૂરી કરવા મોકલી આપવામાં આવશે. દોસ્તોયેવસ્કીએ પોતાનું મોત નજર સામે જોયું હતું. એની અસર દૂરગામી હતી. સાઈબેરિયામાં સજા કાપીને તેઓ પાછા આવ્યા, એ પછી તેમણે પોતાની મહાન નવલકથાઓ લખી હતી. દોસ્તોયેવસ્કીની તમામ નવલકથાઓમાં મૃત્યુ પડછાયો બનીને સરકતું રહે છે. હત્યારાઓ અને પીડિતોને અત્યંત ઘાતકી અને ઘૃણાસ્પદ રીતે ચીતરવાની એમનામાં મજબૂરી આવી ગઈ હતી.

આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ, એમ્પથી એટલે કે હમદર્દીને માણસ હોવાના અગત્યના પુરાવા તરીકે જુએ છે. બીજા લોકોનાં દુઃખ-દર્દને, તેમના અનુભવોને સમજવાની ક્ષમતા વગર નૈતિક જીવનની કલ્પના કરાવી અશક્ય છે. તાજેતરના માનસિક અભ્યાસો કહે છે કે ગંભીર સાહિત્ય વાંચવાથી હમદર્દીમાં વધારો થાય છે, અને આપણે બીજા લોકોના પેંગડામાં પગ ઘાલીને જીવનનાં જોડાં કયાં ડંખે છે, તે સમજી શકીએ છીએ. સાહિત્યનાં એ પાત્રો, જે આપણા જેવાં નોર્મલ નથી, તે આપણને એક વૈકલ્પિક ભયાનક દુનિયા જોવા મજબૂર કરે છે, જેથી આપણે આપણી દુનિયાને દુષ્ટ બનતી બચાવી રાખવા મહેનત કરીએ.

એરિક મારિયા રિમાર્કની નવલકથા ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ આ જ સંદર્ભમાં એક અગત્યનું પુસ્તક છે. તેમાં પ્રથમ મહાયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો કેવી રીતે આત્યંતિક શારીરિક અને માનસિક યાતના ભોગવીને નોર્મલ જિંદગી જીવવાનું ભૂલી જાય છે, તેની વાર્તા છે. ફ્રેન્ચ વિચારક જ્યાં-પોલ સાર્ત્ર, જે ખુદ એક પ્રખર યુદ્ધ-વિરોધી હતા, એકવાર તેમણે લખ્યું હતું કે “તમે જો વિજયોને ગહેરાઈથી જુઓ, તો તમને એ પરાજયથી બહુ અલગ ના દેખાય” સાર્ત્ર રપ વર્ષના હતા ત્યારે ૧૯ર૯માં પુસ્તકરૂપે પ્રકાશિત થયેલી ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ની પ્રસ્તાવનામાં એરિક મારિયા રિમાર્કેએ એ જ વાતનો પડઘો પાડતાં લખ્યું હતું “(આ પુસ્તકમાં) એક એવી પેઢીના લોકોની વાત કરવાનો પ્રયાસ છે, જે તોપમારામાંથી તો બચી ગયા હતા, પણ યુદ્ધે તેમને તબાહ કરી દીધા હતા.”

યુરોપિયન સાહિત્યની અગત્યતા એ છે કે તેમણે યુદ્ધો જોયાં છે. યુદ્ધ કઈ રીતે પેઢીઓની પેઢીઓને, શરીરથી અને મનથી, ખતમ કરે છે તે લેખકોને ખબર છે. યુદ્ધોની ભયાનકતા જો યુરોપમાંથી આવી હોય, તો યુદ્ધ-વિરોધિતા પણ ત્યાંથી જ આવી છે. બીજાં સમાજો અને દેશોએ આ સમજવા જેવું છે. એટલા માટે ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’નું ગુજરાતીમાં પ્રકાશન અગત્યની ઘટના છે, ખાસ કરીને ભારતની નવી પેઢીને યુદ્ધનો ચસ્કો લાગ્યો છે ત્યારે ખાસ.

તમારા હાથમાં આ નવલકથા છે, તે તમારે કેમ વાંચવી જોઈએ?

ભારતના મધ્યમ-વર્ગને યુદ્ધની ટ્રેજેડી શું કહેવાય અને સૈનિકોની જિંદગીની વાસ્તવિકતા કેવી હોય એ ખબર નથી, એટલે બંદૂકો અને બૉમ્બથી બધી સમસ્યાઓનાં સમાધાન શોધવાનું ફૅશનેબલ થઈ ગયું છે. બીજી-ત્રીજી પેઢીના ભારતના મધ્યવર્ગી લોકોને ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’માં સ્વર્ગ જોવાની ટેવ પડી ગઈ છે (અથવા ટેવ પાડવામાં આવી છે), અને એને લાગે છે કે ભારતે મહાન થવું હોય તો જરીપુરાણી, દકિયાનૂસી સમાજવાદી, ઉદારવાદી અને લોકતાંત્રિક વ્યવસ્થાને તોડી-ફોડીને હથોડાછાપ વ્યવહાર અપનાવવો જોઈએ.યુદ્ધ શું કહેવાય એ લોકોને ખબર નથી. યુરોપના ઘણા દેશોમાં જે રાજકીય-સામાજિક ચિંતન અને વ્યવસ્થાઓ છે, એ તેમનાં યુદ્ધોની લોહિયાળ વાસ્તવિકતામાંથી ઘડાઈ છે. આપણે ત્યાં યુદ્ધ એ ટેલિવિઝન કે સિનેમાની ફેન્ટસી રહી છે. સેનાને પરદા ઉપર કે સોશિયલ મીડિયાના બૉક્સમાં જોવા-ચર્ચવાથી એક પ્રકારનું વીરત્વ તો પેદા

થાય, પરંતુ એની વાસ્તવિકતા ખબર ન પડે.

વીરત્વનું આ સરળીકરણ એટલા માટે થયું છે, કે આપણે જીવનને બ્લેક ઍન્ડ વ્હાઈટમાં જોતા થયા છીએ. આપણે સામાજિક દ્વંદ્વને ઇતિહાસના સંદર્ભમાં કે શાસનની નિષ્ફળતાના સંદર્ભમાં જોતા નથી. આપણે એને ‘દુશ્મન’ના અપરાધ તરીકે જોઈએ છીએ.

જગતને સારા અને ખરાબ એવા સીધા વિભાજનમાં જોવાની આપણી ટેવને કારણે આપણને એનાં સમાધાન પણ સર્જિકલ સ્ટ્રાઈકની જેમ ધમાકેદાર અને ફટાફટ જોઈએ છે. આપણે જેને દેશની સમસ્યા કહીએ છીએ, એ પારિવારિક બખેડાથી અલગ નથી. એક જ પિતાનાં સંતાનો એકબીજાંને પુણ્યાત્મા અને પાપી ગણે એવો આ ઘાટ છે. ઘરમાં તો આપણે આવા દ્વંદ્વનો ઉકેલ તડજોડથી લાવીએ છીએ, પરંતુ સામાજિક અને વૈશ્વિક સ્તરે આપણે આવી છૂટ આપતા નથી. ત્યાં આપણા માટે જગત બે ભાગમાં, ઇષ્ટ અને અનિષ્ટમાં વહેંચાયેલું છે અને જગતને શ્રેષ્ઠ બનાવવાનો એક માત્ર રસ્તો અનિષ્ટનો સંહાર છે. તમામ યુદ્ધો આવા સરળીકરણમાંથી આવ્યાં છે.

ર૦૧૬માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પહેલીવાર એક અમેરિકન ગીતકાર-સંગીતકારને આપવામાં આવ્યું હતું. બોબ ડીલન એનું નામ. માનવાધિકાર અને યુદ્ધ-વિરોધી ઝુંબેશમાં બોબ ડીલનનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. આ નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે તેણે જે ભાષણ આપ્યું હતું તેમાં તેણે કહ્યું હતું કે તેનાં ગીતો પર ત્રણ પુસ્તકોની અસર રહી છે : હેરમન મેલ્વિલેનું ‘મોબી ડીક’, ગ્રીક મહાકાવ્ય ‘ધ ઓડીસે’ અને ‘ઑલ કવાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’. એમાં ડીલને કહ્યું હતું –

‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ ખોફનાક વાર્તા છે. આ એ પુસ્તક છે, જ્યાં તમે તમારું બાળપણ ગુમાવી દો, સાર્થક દુનિયામાં તમારો વિશ્વાસ અને વ્યક્તિઓ માટેની ફિકર ગુમાવી દો. એક દુઃસ્વપ્ન વળગી જાય છે. મોત અને પીડાના રહસ્યમય વમળમાં સપડાઈ જઈને તમે તમારા વિનાશને રોકવા પ્રયાસ કરો છો. નકશા પરથી તમારું નામોનિશાન મિટાવી દેવામાં આવે છે. એક સમયે તમે મોટાં સ્વપ્નોવાળા એક નિર્દોષ યુવાન હતા, જેમને ગીતો ગાવાં હતાં. એક સમયે તમે જીવન અને જગતને પ્રેમ કરતા હતા અને હવે તમે એના ફુરચા ઉડાવી રહ્યા છો. તમને રોજ ભમરીઓ ડંખ મારે છે અને તમારું લોહી ગરમ કરે છે. તમે ઘેરાઈ ગયેલા જાનવર જેવા છો. તમે ક્યાં ય ફીટ થઈ શકતા નથી. અવિરત હુમલા થઈ રહ્યા છે, ઝેરી ગૅસ છૂટી રહ્યો છે, ગૅસોલીન સળગી રહ્યું છે, રોગચાળો છે, મળ-મૂત્ર છે, ચારે તરફ જીવન વીખેરાઈ રહ્યું છે અને તોપમારાના અવાજો આવી રહ્યા છે. આ પૃથ્વી પરનું નર્ક છે, કાદવ-કીચડ છે, કાંટાળી વાડ છે, ઉંદરોથી ભરેલા ખાડા છે, ઉંદરોએ કાતરી નાખેલાં મૃત શરીરો છે અને કોઈક તમને બૂમ મારે છે, “એઈ, ઊભો થા અને લડ.”

‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ આ યુદ્ધ-તરફી માનસિકતા તોડવાનું કામ કરે છે. આ પુસ્તક સાહિત્યની પહેલી સૌથી મોટી યુદ્ધ-વિરોધી નવલકથા છે, અને એટલે એ તમામે વાંચવી જોઈએ. દ્વિતીય મહાયુદ્ધ વખતનો જર્મન ઇતિહાસ તો બહુ કુખ્યાત રીતે બધાને ખબર છે, પણ જર્મનીમાં નાઝી પાર્ટીનો હજુ ઉદય થઈ રહ્યો હતો ત્યારે આ નવલકથા આવી હતી, અને ૧૯૩૩માં નાઝીઓ સત્તામાં આવ્યા ત્યારે જાહેરમાં જે પુસ્તકોને સળગાવવામાં આવ્યાં હતાં તેમાં ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ પહેલું હતું. ૧૯૩૦માં આ નવલકથા પરથી બનેલી ફિલ્મનું જર્મન થિયેટરોમાં પ્રદર્શન થયું, ત્યારે પાછળથી હિટલરનો પ્રચાર મંત્રી બનેલો ગોબેલ્સ નાઝી કાર્યકરોને લઈને અંદર ઘૂસી ગયો હતો અને ધમાલ મચાવી હતી.

‘ઑલ કવાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ જર્મનીમાં પ્રગટ થઈ અને ટૂંકા ગાળામાં તેની બાર લાખ નકલો ખપી ગઈ હતી. ૧૯ર૯માં મહામંદીનો દૌર હતો છતાં, બ્રિટન, ફ્રાંસ, અને અમેરિકામાં તેની દસ લાખ નકલો વેચાઈ હતી. ૧૯૭પમાં એકલા અમેરિકામાં તેની ૪,૪રપ,૦૦૦ નકલો વેચાઈ હતી. આ નવલકથા વિશ્વની પ૦ ભાષાઓમાં અનુવાદિત થઈ છે અને એની અંગ્રેજી આવૃત્તિની વર્ષે ર૦,૦૦૦ નકલો વેચાય છે.

મારી જો ભૂલ ના થતી હોય, તો ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ ગુજરાતી ભાષામાં પહેલીવાર આવે છે. અશ્વિન ચંદારાણાએ તેનું ભાષાંતર સરસ કર્યું છે. આ પ્રકારની વેસ્ટર્ન ક્લાસિક નવલકથાને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા પસંદ કરવી, તે જ એક સાહસનું કામ છે. આપણી સરહદો શાંત છે, પણ ગમે ત્યારે સળગી ઊઠવાની દહેશત હંમેશાં હોય છે, ત્યારે યુદ્ધ જીવનમાં કેવી તબાહી લાવે છે, તેને યાદ રાખવા માટે ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ એક હાથવગો દસ્તાવેજ છે. આજે ભલે પુસ્તકો સળગાવાતાં ના હોય, તમને ભ્રમિત કરવા માટે ગોબેલ્સ તો આસપાસ હોય જ છે. એટલા માટે થઈને પણ આ નવલકથા વાંચવા જેવી છે.

દોસ્તોયેવસ્કીએ ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’માં લખ્યું હતું તેમ, “પોતાના રસ્તે ભૂલા પડવું એ બીજાના રસ્તે સાચા પડવા કરતાં બહેતર છે.”

(પુસ્તકમાંથી સાભાર)

વડોદરા

‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ : લેખક – એરિક મારિયા રિમાર્ક, અનુવાદક – અશ્વિન ચંદારાણા : પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, પહેલી આવૃત્તિ, ૨૦૨૦, રૂ. ૩૫૦/-

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 04-05

Loading

આઝાદીની ચળવળમાં કલાકારોનું યોગદાન

અભિજિત વ્યાસ|Opinion - Opinion|30 October 2021

ભારતની આઝાદીના અમૃતપર્વનું આ વર્ષ છે. એક આખી પેઢી સ્વતંત્રતા મળ્યા પછી જન્મીને આથમી ગઈ છે, તેમ કહીએ તો પણ ચાલે. આજના નવયુવાનોને એ સમયની ખાસ કોઈ ઝાંખી નથી, તેમ તે સમયની વાત કરી શકે તેવાં લોકો પણ હવે દિવસે-દિવસે ઓછાં થતાં જાય છે. ત્યારે એ સમયને ફરી ત્વદૃશ કરવો હોય તો આપણે ફોટોગ્રાફી અને ચિત્રકળા જેવાં કલામાધ્યમો પાસે જવું પડે છે. આ નિમિત્તે આપણા કલાકારોએ આ આદોલનમાં શું યોગદાન આપેલું, તે જાણવું અને વિચારવું રહ્યું.

ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ગાંધીજીનું બહુ મોટું પ્રદાન હતું અને એમનો પ્રભાવ જનમાનસ ઉપર પણ બહુ મોટો હતો. જ્યારે સમગ્ર જન એમનાથી પ્રભાવિત થયું હોય ત્યારે કલાકારો તે પ્રભાવથી મુક્ત રહી જ ન શકે, પછી તે કોઈ પણ માધ્યમનો કલાકાર હોય. આપણે ત્યાં એવી એક માન્યતા છે કે ગાંધીજીને કલામાં રસ નહોતો, પણ એ વાત ખોટી છે. ગાંધીજીને કલામાં રસ તો હતો જ, પણ કલાની એમની વ્યાખ્યાઓ સાથે આજના કલાકારો સહમત ન થઈ શકે. ગાંધીજીએ બિથોવનના સંગીતને સાંભળેલું. અને એમને ચિત્રોમાં પણ રસ હતો. અને વિશ્વના કેટલાક મોટા અને પ્રસિદ્ધ ગણાયેલા ફોટોગ્રાફરોને એમણે ફોટા પાડવા માટે અનુમતિ આપેલી. જેનું ઉદાહરણ હેન્રી કાર્ટિયર બ્રસોના ફોટાઓમાં જોઈ શકાય છે.

હરિપુરામાં જ્યારે કાઁગ્રેસનું અધિવેશન ભરાયેલું, ત્યારે મંચ અને પંડાલના સુશોભનનું કાર્ય નંદલાલ બોઝને સોંપવામાં આવેલું. એમની સાથે જ સહાયમાં ગુજરાતના રવિશંકર રાવળ પણ કાર્યરત હતા. ૧૯૪રના 'ક્વિટ ઇન્ડિયા’ આંદોલન સમયે ફ્રાન્સીસ ન્યૂટન સેઝાએ તેમાં ભાગ લીધેલો, જેના પરિણામે એમને જે.જે. સ્કૂલ ઑફ આટ્‌ર્સમાંથી કાઢી મૂકવામાં આવેલા. સેઝાએ એ પછી કોઈ આટ્‌ર્સ સ્કૂલની કે અન્ય કોઈ ડિગ્રી લીધી નહીં અને તો પણ પછીથી તેઓ એક ચિત્રકાર તરીકે વિશ્વપ્રસિદ્ધ થયા.

કલાનું એવું એક પણ માધ્યમ નહોતું, જે એ સમયથી પ્રભાવિત નહોતું. ગાંધીજી એમના આશ્રમમાં રોજ બંને સમય પ્રાર્થના ગવડાવતા હતા. એ પ્રાર્થના વ્યવસ્થિત રીતે ગવાય ને રજૂ થાય એ માટે ગાંધીજીએ સંગીતકાર વિષ્ણુ દિગંબર પલુસ્કરજીની પાસેથી એક માણસ માગેલો, જે આશ્રમવાસીઓને આ પ્રાર્થના તૈયાર કરાવી શકે. અને પલુસ્કરજીએ એમના શિષ્ય નારાયણ મોરેશ્વર ખરેને ગાંધીજીની સેવામાં મોકલેલા. ખરેજીએ ગાંધીજીએ પસંદ કરેલાં અનેક ભજનોને સ્વરબદ્ધ કરેલાં. અત્યારના સમયમાં જે 'વૈશ્ણવજન તો તેને રે કહીએ’નો ઢાળ પ્રચલિત છે, તે ખરેસાહેબે સ્વરબદ્ધ કરેલો છે. ખરેજી દાંડીયાત્રામાં પણ ગાંધીજીની સાથે રહૃાા હતા.

ફિલ્મી દુનિયામાં પણ અનેક લોકો આ બધા સમયથી પ્રભાવિત હતા. કેટલીક ફિલ્મોનું નિર્માણ અને સર્જન આ આંદોલનના પ્રભાવમાં થયેલું. 'કિસ્મત’ને બ્રિટિશ સરકારે પ્રતિબંધિત જાહેર કરેલી. અને પછીથી એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સ્વતંત્રતાની સાથે-સાથે જ ભાગલાની દારુણ વેદના પણ આવી. આ વેદનાથી સૌથી વધુ પ્રભાવિત ચિત્રકારો થયા.

સાહિત્યમાં આ બધી ઘટનાઓનું નિરૂપણ ખાસ્સું થયું છે. સાથે જ ચિત્રકળાને પણ યાદ કરી શકાય. ખાસ તો, બે મહત્ત્વના ભારતીય ચિત્રકારોમાં તૈયબ મહેતા અને સતીષ ગુજરાલનાં ચિત્રોમાં આ ભાગલાની વેદના ખાસ ધ્યાન ખેંચે છે.

સી.વી.એમ. કૉલજ ઑફ ફાઇન આટ્‌ર્સના દ્વારા યોજાયેલા વેબિનાર 'આઝાદીની ચળવળમાં કલાકારોની ભૂમિકા’માં વ્યક્ત કરેલા વિચારો. વક્તાઓ સર્વશ્રી નટુ પરીખ, કનુ પટેલ, મનહર કાપડિયા, રાજેન્દ્ર થાનકી અને અભિજિત વ્યાસ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 05 તેમ જ 12

Loading

કળા શીખી કે શીખવી શકાય?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 October 2021

આમ તો જન્મતાંની સાથે બાળક રડવાનું શીખે છે. એ ન રડે તો એને રડાવવામાં આવે છે, જેથી તેની જીવંતતાની પ્રતીતિ થાય. એ પછી એ બાળક સ્કૂલે અક્ષરજ્ઞાન ને અંકજ્ઞાન મેળવે છે ને એ પછી તે જુદા જુદા વિષયો શીખે છે. તેને ભાષા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ જેવા વિષયો ભણાવવામાં આવે છે. પછી એ વિદ્યાર્થી કોઈ ચોક્કસ વિષયમાં રસ લેતો થાય છે ને એનો ઊંડો અભ્યાસ કરી સ્નાતક, અનુસ્નાતક કે પીએચ.ડી. જેવી ડિગ્રી મેળવે છે ને એમ તે જે તે ક્ષેત્રમાં પારંગત થાય છે.

કેટલાક વિદ્યાર્થીઓ ચિત્રકળા, સંગીત, નૃત્ય, નાટ્યની તાલીમ મેળવે છે તો કેટલાક અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી જેવી ભાષાનું જ્ઞાન મેળવી તેનું સાહિત્ય શીખે છે. સાહિત્યના ઇતિહાસ દ્વારા વિદ્યાર્થી જે તે સાહિત્યનો ક્રમિક વિકાસ જાણે છે ને તે સાથે જ તે સાહિત્ય સ્વરૂપોનું જ્ઞાન પણ મેળવે છે. ગુજરાતીની જ વાત કરીએ તો મધ્યકાળનું સાહિત્ય શીખવાની સાથે જ વિદ્યાર્થી જે તે કાળના પ્રચલિત સાહિત્ય સ્વરૂપો, જેવાં કે પદ્યવાર્તા, આખ્યાન વગેરેનું જ્ઞાન પણ મેળવે છે, તો અર્વાચીન સાહિત્યથી માંડીને આધુનિક કે અનુઆધુનિક યુગના સર્જકોનો ને તેમની કૃતિઓનો પરિચય પણ વિદ્યાર્થીઓ મેળવે છે. કૃતિઓની સાથે જ જે તે યુગમાં વિકસેલા સાહિત્ય સ્વરૂપોની જાણકારી પણ વિદ્યાર્થીઓને મળતી જતી હોય છે.

શાળા શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ નિબંધ કે મુદ્દા પરથી વાર્તા લખવાનું શીખે છે. શિક્ષક જુદા જુદા વિષયો કે મુદ્દા આપીને નિબંધ કે વાર્તા લખવાનું કહે છે ને તેના માર્કસ આપે છે. ઘણા નિબંધો નિબંધમાળાના નિબંધોથી આગળ જતાં નથી. વર્ષાઋતુમાં 1947 પહેલાંનો વરસાદ જ પડ્યા કરતો હોય છે. 2021ના છાંટા  પણ સંભળાય એવું ખાસ બનતું નથી. હાઇ સ્કૂલમાં શિક્ષક છંદ, અલંકારની ઓળખ વિદ્યાર્થીને આપે છે. એ પરથી પરીક્ષામાં શિખરિણી, મંદાક્રાંતા, વસંતતિલકા જેવા છંદો કે ઉપમા, ઉત્પ્રેક્ષા અલંકારો ઓળખીને વિદ્યાર્થી વ્યાકરણના માર્કસ અંકે કરી લે છે. કોલેજમાં આત્મકથા, નવલકથા, વાર્તા, કવિતાનાં પુસ્તકો વિદ્યાર્થી ભણે છે કે એરિસ્ટોટલ, લોન્જાઈનસની સૈદ્ધાંતિક સમજ સાથે રસસિદ્ધાન્ત કે વક્રોક્તિ અંગે પણ જાણી લે છે, પણ ખાટલે મોટી ખોડ એ કે કવિતા કે વાર્તા કે લલિત નિબંધ કેમ લખાય તે પીએચ.ડી. થવા છતાં જાણી શકતો નથી. વર્ગમાં સાહેબ કવિતાનો કે વાર્તાનો આસ્વાદ કરાવશે, પણ કવિતા કે વાર્તા કેમ લખાય તે શીખવી શકતા નથી, સિવાય કે અધ્યાપક કે શિક્ષક પોતે લખતા હશે તો તે થોડુંઘણું માર્ગદર્શન પૂરું પાડશે, પણ એ લખવાનું શીખવવા અંગેના કોઈ પિરિયડ હોતા નથી એટલે એ શિક્ષણ પણ વર્ગખંડની બહારથી જ મેળવવું પડે છે. ભણવાને કારણે કોઈ સર્જક થતું નથી ને છતાં સર્જન અટક્યું નથી એનો અર્થ એવો કરવાનો રહે કે સર્જન શિક્ષણનું મહોતાજ નથી. સારું છે કે નથી, નહિતર કેટલા ય કવિઓ આપણને મળ્યા જ ન હોત ! પણ, એ પણ વિચિત્ર છેને કે વર્ષો વિતાવવા છતાં યુનિવર્સિટી શિક્ષણ સર્જનાત્મક વિધાઓ માટે ઉપકારક નીવડતું નથી.

આવું કેમ?

કેમ અનુસ્નાતક થવા છતાં ગુજરાતીનો વિદ્યાર્થી એક કવિતા કે વાર્તા લખવા જેટલું કૌશલ્ય કેળવી શકતો નથી? કલાપીની ગઝલો એ ભણશે ખરો, પણ એણે પોતે ગઝલ લખવી હોય તો તેને યુનિવર્સિટી કોઈ મદદ કરી શકતી નથી. જેટલા પણ સર્જકો ગુજરાતીમાં થયા છે એમને સર્જન કરવામાં નથી તો સ્કૂલે મદદ કરી કે નથી તો કોલેજ કે યુનિવર્સિટીએ કોઈ મદદ કરી. મદદ એટલે નથી કરી, કારણ સર્જનાત્મક લેખનનું કોઈ આયોજન જ જે તે અભ્યાસક્રમમાં થયું નથી કે થતું નથી. યુનિવર્સિટીઓ આ અંગેની વ્યવસ્થાઓ કરી શકે, પણ તેવું ખાસ થતું નથી. આ ન થાય તેનું કારણ પણ છે. મોટે ભાગે કોલેજોમાં અધ્યાપકો સાહિત્ય ભણાવતા હોય છે. આ ભણાવવા કરતાં સર્જનાત્મક લેખન જુદી બાબત છે. એ કોઈ સજ્જ સર્જક જ સમજાવી શકે. બધા સર્જકો એ સમજાવી જ શકે એવું ન પણ બને. એમ પણ બને કે વાર્તાકાર ઉત્તમ વાર્તા લખી આપે, પણ તે કેમ લખાઈ એ રહસ્ય ખોલવામાં તે પોતાને અસમર્થ અનુભવે. એ જ કારણ છે કે વાર્તા સમજાવી શકાય, પણ તે બધાથી લખી જ શકાય એની ખાતરી કોઈ આપી ન શકે. એનો અર્થ એવો થયો કે સર્જન પૂરેપૂરું ઉકેલી શકાય એવું દરેક કૃતિ માટે શક્ય નથી.

– તો, એમ માનવું કે સર્જન શીખવી શકાતું નથી? ના, સાવ એવું તો નથી. એ સાચું કે સર્જન પૂરેપૂરું પકડમાં આવતું નથી, એ કૃતિ પરથી ને કેફિયત પરથી થોડુંઘણું હાથવગું થાય એમ બને. છતાં, એ પણ ખરું કે સર્જનનો અણસાર તો આવી જ શકે. આવું  એટલે થયું છે, કારણ એ દિશામાં ગંભીર પ્રયત્નો પણ ખાસ થયા નથી, એટલે એ ખૂણો લગભગ વણસ્પર્શ્યો જ રહ્યો છે. આમ થવા પાછળ કેટલીક ગેરસમજોએ પણ ભાગ ભજવ્યો છે. એવું વર્ષોથી કહેવાતું આવ્યું છે કે સાહિત્ય એ કળા છે ને કળા શીખવી શકાતી નથી. એ સત્ય નથી એવું નથી, પણ તે અધૂરું સત્ય છે.

એમ કહેવાય છે કે પહેલી પંક્તિ ઈશ્વરદત્ત છે. એટલે કે કવિતાની પહેલી પંક્તિ ઈશ્વર આપે છે. આ માનવાનું ગમે, પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે પંક્તિ, ઈશ્વર આપે છે, આખી કવિતા આપતો નથી. બધું જો કુદરતે જ કરવાનું હોય તો કવિની જરૂર જ કેટલી રહે ! જેને કવિકર્મ કહી છીએ એનો કોઈ ફાળો સર્જનમાં ખરો કે કેમ? એ ખરું કે સર્જનની ક્ષણ કુદરત આપે છે ને કવિએ એને ઝડપવાની છે ને પોતાની સર્જનાત્મકતા કામે લગાડીને, અનુભવ અને અભ્યાસની મદદથી, સર્જનમાં પ્રવૃત્ત થવાનું છે. એટલે કળા ઈશ્વરદત્ત હોય તો પણ સર્જકે અભ્યાસ અને અનુભવથી એવું વિશ્વ સર્જવાનું છે જે અપૂર્વ આનંદનો અનુભવ ભાવકને કરાવે.

કહેવાનું તાત્પર્ય એ છે કે કળા કુદરતી હોય તો પણ તે શીખવી પડે છે. જાણવી પડે છે. લખાયું છે તે શું છે તે જો લખનાર જ ન જાણતો હોય તો બીજા તેને શું કામ જાણશે તે વિચારવાનું રહે. ગઝલ કુદરતી છે, તે સ્વીકારીએ તો પણ તેના છંદ, તેના પ્રાસ, અનુપ્રાસ જાણવા પડે, શીખવા પડે. આખેઆખી નખશિખ ગઝલ ઊતરી આવે એ શક્ય છે, પણ બધા ગઝલકાર માટે તે શક્ય છે એવી આગાહી કરી શકાય નહીં. કવિતા જાણવી જ પડે. જો શિક્ષક થવા બી.એડ. કરવું પડે, ડૉક્ટર થવા એમ.બી.બી.એસ. થવું પડે, પુલ કે મકાનો બાંધવા એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવી પડે, તો કવિ થવા કૈં નહીં કરવાનું? ઘાસ બનવા પણ જો જમીનની ઉપર ફૂટવું પડતું હોય તો એવું કેવી રીતે બને કે કૈં પણ ઘસડી મારીએ એટલે વાર્તા કે નાટક થઈ જાય? સોશિયલ મીડિયામાં કવિતાનો જે રાફડો ફાટે છે તે અજ્ઞાનનો મહાસાગર છે. એનું સુખ એ છે કે સાચું, ન તો લખનાર માટે જાણવું જરૂરી છે કે નથી તો તે વાંચનાર માટે જરૂરી ! જે નથી જાણતો તે એવા જ અજાણ વાચકો દ્વારા બિરદાવાય છે ને એવાં પ્રમાણપત્રોથી કહેવાતો કવિ પોરસાય છે. જે નથી જાણતો તે લખે છે ને જે નથી જાણતો તે એને વખાણે છે. આમાં વખાણનાર વધારે જવાબદાર છે, કારણ વાંદરાને દારૂ તે પાય છે. એને બદલે લખનાર થોડું જાણી લે તો કમ સે કમ એ અકવિતા કરવાથી તો બચશે. પણ આ મિત્રો, એવા ભ્રમમાં છે કે કવિતા કરવા કૈં પણ જાણવું જરૂરી નથી. અજ્ઞાન, જ્ઞાન કેવી રીતે હોય એવો સાદો સવાલ પણ એમને થતો નથી તે દુ:ખદ છે.

એ સાચું નથી કે કળા શીખવી પડતી નથી. સર્જકમાં શક્તિ હશે તો તે ઉત્તમ પરિણામ આપશે, પણ કૈં ન શીખવાથી સર્જક થઈ જવાય એ અશક્ય છે. ચિત્રકળા શીખવી પડે છે, વાદ્ય શીખવું પડે છે, ગળું સારું હોય તો ગાઈ શકાય, પણ બાગેશ્રી કે આશાવરી કે ભૈરવીની તાલીમ તો લેવી જ પડે. પગ હલાવ્યા વગર ભરતનાટ્યમ્‌ કે મોહિનીઅટ્ટમ્‌ આવડી જાય એવું તો સ્વપ્નમાં પણ બનતું નથી. શિલ્પ શીખવું પડે. જે એમ માને છે કે કવિતા કૈં પણ કર્યા વગર આવડી જાય, એ બીજાને તો ઠીક, પોતાને પણ છેતરે છે. કળા કુદરતી હોય તો પણ, તેનું જતન, સંવર્ધન તો સર્જક માત્રનો ધર્મ છે.

એ પાકું છે કે કોઈ યુનિવર્સિટી સર્જનાત્મક લેખન અંગે ગુજરાતમાં ગંભીર પ્રયત્ન કરવાની નથી, છતાં આશા તો રહે જ છે કે કોઈ યુનિવર્સિટી વાર્તા, કવિતા, નવલકથા વગેરે લખવાનું શીખવે. તેનો કોર્સ દાખલ કરે. વીર નર્મદ યુનિવર્સિટીએ એ દિશામાં સાહસ કરેલું, પણ અત્યારની સ્થિતિ શું છે તે ખબર નથી. અપેક્ષા એટલી ચોક્કસ રહે કે સર્જનાત્મક લેખનનું એવું પરિણામ મળે જે અન્ય યુનિવર્સિટીને આ પ્રકારનું સાહસ કરવા પ્રેરે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7091,7101,7111,712...1,7201,7301,740...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved