Opinion Magazine
Number of visits: 9674455
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતોને અન્યાયની પરંપરા

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|16 December 2021

દીપા મોહનન નામની ૩૬ વર્ષીય દલિત મહિલા કોટ્ટાયમ (કેરાલા) ખાતે ઇન્ટરનૅશનલ ઍન્ડ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર નેનોસાયન્સ ઍન્ડ નેનોટેક્નોલૉજીમાં સંશોધન-છાત્રા હતી. આ સંસ્થામાં નંદકુમાર નામના એક અધ્યાપક સપ્ટેમ્બર ૨૦૧૧થી દીપાને સંશોધનમાં અવારનવાર અને સતત અવરોધો પેદા કરતા હતા. આ અધ્યાપક પાછળથી સંસ્થાના નિયામક તરીકે બઢતી પામ્યા હતા. દીપા મોહનનને સ્ટાઇપેન્ડ, લૅબોરેટરીમાં પ્રયોગ, વિજ્ઞાનસાધનોનો ઉપયોગ કે બેસવાની સુવિધા સુધ્ધાં ન હતી. માત્ર દલિત હોવાના નાતે તે આ જાતિગત ભેદભાવનો ભોગ બની હતી. દીપાની ફરિયાદ પરથી યુનિવર્સિટીએ તેના આક્ષેપોની તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ દીપાના નંદકુમાર સામેના આક્ષેપો સાચા માન્યા છે. સમિતિએ દીપાને સંશોધન માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડવા ભલામણ પણ કરી હતી, આમ છતાં દીપાની સ્થિતિમાં કાંઈ જ ફરક પડ્યો નહીં.

દીપાએ પોલીસ તેમ જ યુનિવર્સિટી સત્તાધીશોને કરેલ ફરિયાદ છતાં તેને થતી હેરાનગતિનો અંત આવ્યો નહીં. પોતાની ફરિયાદનો છ વર્ષ બાદ પણ નિકાલ ન થતાં, તેણે આખરે ૨૯ ઑક્ટોબરના રોજ નંદકુમારની સંસ્થામાંથી હકાલપટ્ટીની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની ભૂખહડતાળ શરૂ કરી. તેનો એવો પણ આરોપ હતો કે તેના સંશોધન-માર્ગદર્શક ડૉ. રાધાક્રિષ્ણન તેમ જ યુનિવર્સિટી કુલપતિ સાબુ થોમસ, નંદકુમારને છાવરી રહ્યા હતા. કુલપતિનો બચાવ એવો હતો કે નંદકુમાર સારા શિક્ષણવિદ્દ હોવાથી તેમને બરતરફ કરી શકાય નહીં. દીપાએ તા. ૩૧ ઑક્ટોબરના રોજ ફેસબુક પર મૂકેલ પત્રમાં જણાવ્યું : ન્યાય માટેની આ લડતમાં હું પીછેહઠ કરીશ નહીં અને મારી આ લડત અત્યાર સુધીમાં જેમણે ગુમાવેલ છે, તેમના માટે છે. પોતાની નબળી તબિયતે પણ તેણે ભૂખહડતાળ ચાલુ રાખી અને ૧૧ દિવસ બાદ નંદકુમારની બરતરફી સાથે દીપા પોતાની ધ્યેયમાં વિજયી થઈ.

દીપાની આ જીત ઘણી મહત્ત્વની છે; કારણ કે બહુ ઓછા લોકો જાતિગત ભેદભાવ સામેની લડતમાં સફળ થયા છે. અગાઉ અનિલ મીના, બાલમુકુંદ ભારતી, સેંથિલ કુમાર, રોહિત વેમુલા, મુથુકિશ્નન અને પાયલ તડવીને જ્યારે ન્યાયની આશાનું કિરણ નજરે ન પડ્યું, ત્યારે તેમણે આત્મહત્યાથી પોતાનો જીવનનો અંત આણ્યો હતો. દીપાની આ સફળ લડત ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કરવા ઇચ્છતા દલિત વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરક છે. આ તમામ બનાવો સૂચવે છે કે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવનો હજુ અંત આવ્યો નથી. ઑગસ્ટ, ૨૦૨૧માં દિલ્હીની લક્ષ્મીબાઈ કૉલેજમાં રણજિત કૌર નામના અધ્યાપકે નીલમ નામની દલિત અધ્યાપક અને સંશોધનછાત્રાને જાહેરમાં લાફો માર્યો હતો. નીલમનો વાંક એટલો જ હતો કે તેણે કોઈ સભાની કાર્યવાહીમાં વાંચ્યા વિના સહી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ બનાવ નજરે જોનાર આંશુ જારવર નામના અધ્યાપકે કહ્યું : “૧૩ માણસોની હાજરીમાં બનેલ બનાવથી અમે હેબતાઈ ગયા હતા કે એક અધ્યાપક પોતાના સાથી અધ્યાપકને લાફો કેવી રીતે મારી શકે.” દિલ્હીની દોલતરામ કૉલેજમાં માનસશાસ્ત્રના અધ્યાપક લે. રીતુ સિંહે કૉલેજ-આચાર્ય સવિતા રૉય પોતે દલિત હોવાના નાતે પૂર્વગ્રહ રાખતા હોવાનો આરોપ સપ્ટેમ્બર, ૨૦૨૦માં કર્યો છે. તેનો આરોપ છે કે તે દલિત અધિકાર માટે સક્રિય તેમ જ ભા.જ.પ.ની ટીકાકાર હોવાથી આચાર્યએ તેને બરતરફ કરેલ છે, અમેરિકાની જ્યૉર્જ યુનિવર્સિટીમાં પીએચ.ડી. થયેલ અને આઈ.આઈ.ટી., મદ્રાસના અધ્યાપક વિપિન વીટીલે પોતે દલિત હોવાના નાતે થતી હેરાનગતિના મુદ્દે રાજીનામું ધરી દીધું હતું.

ભારતસરકારે દિલ્હીની એઇમ્સમાં નીચી જાતિઓના વિદ્યાર્થીઓ તરફ થઈ રહેલ ભેદભાવના આરોપોની તપાસ માટે ૨૦૦૬માં થોરાટ સમિતિની નિમણૂક કરી હતી.

આ સમિતિની ભલામણના આધારે ચલાવાતા ઑનલાઇન વર્ગના આઈ.આઈ.ટી. ખડગપુરના એક અધ્યાપકે આ વિદ્યાર્થીઓને એપ્રિલ, ૨૦૨૦માં બ્લડી બસ્ટડ્‌ર્ઝ તરીકે સંબોધ્યા હતા.

વર્તમાન કાનૂન મુજબ, શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ માટે ૭.૫%, અનુસૂચિત જનજાતિ તેમ જ ઓ.બી.સી. માટે ૨૭% અનામત બેઠકોની જોગવાઈ છે. મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓમાં આ નિયમ જળવાતો નથી. માત્ર વિદ્યાર્થીઓની બાબતમાં નહીં, પણ શિક્ષકોની ભરતીમાં પણ આ નિયમનો ભંગ થાય છે. ૨૦૧૯માં પ્રકાશિત એક અહેવાલ જણાવે છે કે દેશની આઈ.આઈ.ટી. સંસ્થાઓમાં માત્ર ૩% શિક્ષકો અનામત બેઠકોમાં ભરતી કરાયેલ છે. બૅંગાલુરુની આઈ.આઈ.એમ.માં ૫૧૨ અધ્યાપકો પૈકી માત્ર બે અધ્યાપકો અનુસૂચિત જાતિના હતા. જ્યારે અનુસૂચિત જાતિનો કોઈ અધ્યાપક નિમાયેલ ન હતો. અધૂરામાં પૂરું, દેશભરની આઈ.આઈ.ટી. સંસ્થાઓના નિયામકોના જૂથે અનામત બેઠકોની જોગવાઈમાંથી મુક્તિ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરેલ છે.

આપણી શિક્ષણ સંસ્થાઓમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં અધ્યાપકોની ૬,૨૨૯ જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૦૧૨ અનુસૂચિત જાતિ, ૫૯૨ અનુસૂચિત જનજાતિ અને ૧,૭૬૭ ઓ.બી.સી. જગ્યાઓ અનામત હતી. ઝારખંડમાં સીડો કાન્હુ પુરમુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સોના જહરિયા પિન્ઝ નામનાં આદિવાસી મહિલા છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે કે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં એસ.ટી.એસ.સી. સેલ હોતા જ નથી. આથી તેમને થતાં અન્યાયોનું નિવારણ થતું નથી. રોહિત વેમુલાની આત્મહત્યા બાદ એસ.સી.એસ.ટી. (અત્યાચાર નિવારણ) ધારામાં સુધારો કરાયો છે, પરંતુ તેમને થતા અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. આવા અત્યાચારો બે પ્રકારના હોય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. દા.ત., તેમની સામે જાતિગત કટાક્ષો કરવા, તેમને ટૉઇલેટ સફાઈનાં કામો સોંપવાં, તેમને અલગ બેસાડવા વગેરે પ્રત્યક્ષ અત્યાચારોનાં ઉદાહરણો છે. પરોક્ષ ઉદાહરણોમાં તેમને સ્ટાઇપૅન્ડ સ્કૉલરશિપની ચુકવણી અટકાવવી, હૉસ્ટેલ પ્રવેશનો ઇન્કાર, તેમની શૈક્ષણિક ગુણવત્તાની અવગણના, વગેરે ગણાવી શકાય.

સર્વોચ્ચ અદાલતે ઑક્ટોબર ૨૦૨૧માં એક ચુકાદામાં કહ્યું છે કે અત્યાચારના મોટા ભાગના કેસોમાં નબળાં અન્વેષણના કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે. કાયદા હેઠળના નિયમ ૭(૨)માં બનાવના ૩૦ દિવસમાં અન્વેષણ પૂરું કરવાની જોગવાઈ છે. આ જોગવાઈનું ભાગ્યે જ પાલન થાય છે. કાયદાની કલમ ૧૪(૨)માં રોજરોજ કેસ ચલાવી ચાર્જશીટ રજૂ થયાની તારીખથી બે માસમાં કેસ પૂર્ણ કરવા જોગવાઈ કરાયેલ છે. ૨૦૧૮માં પ્રગટ થયેલ અહેવાલમાં જણાવ્યું છે કે કેસ પૂર્ણ થતાં સરેરાશ ૫ વર્ષનો સમય લાગે છે. મોટા ભાગના કેસોમાં આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે. આ ધારા હેઠળ કેસો ચલાવવા માટે મોટા ભાગનાં રાજ્યો ખાસ અદાલતો સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. ૨૦૧૮માં પ્રગટ થયેલ અહેવાલ પ્રમાણે દેશના ૭૦૦ જિલ્લાઓમાંથી ૧૪ રાજ્યોના ૧૯૪ જિલ્લાઓમાં આવી ખાસ અદાલતો સ્થપાયેલ છે.

હજુ ગત માસે જ દેશની સર્વોચ્ચ અદાલતે પ્રિન્સ જયબીરસિંગ નામના દલિત યુવાનને મુંબઈ આઈ.આઈ.ટી.માં પ્રવેશ આપવા હુકમ કરેલ છે. તેણે સૌ પ્રથમ ખડગપુર આઈ.આઈ.ટી.માં પ્રવેશ માટે અરજી કરી હતી. તેના પિતા કૉન્સ્ટેબલ છે. ફી ભરવામાં એક દિવસ મોડું થતાં તેને પ્રવેશ આપવા ઇન્કાર કરાયો. મુંબઈ હાઈકોર્ટે તેની અરજી રદ્દ કરી દીધી હતી. આખરે સર્વોચ્ચ અદાલત તેની વહારે આવી છે. જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ બોપન્નાએ મુંબઈ આઈ.આઈ.ટી.ને અસંવેદનશીલ બનવા બદલ ઠપકો પણ આપ્યો છે.

(માહિતીસ્રોત : જનતાવીકલી, તા. ૨૬-૧૧-’૨૧)

૧૬, શ્યામવિહાર, એગોલા રોડ, પાલનપુર.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 06-07

Loading

વર્ષા અડાલજા : પ્રેરણા અને પરિશ્રમથી મહેકતો શબ્દ

દીપક મહેતા|Opinion - Literature|16 December 2021

આપણાં મોટા ગજાનાં સર્જક વર્ષા અડાલજાની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’નું હપ્તાવાર પ્રકાશન આવતી કાલ, તા. ૧૭ ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ થાય છે. આ પ્રકાશન એક કરતાં વધુ કારણોસર આપણા સાહિત્યમાં નોખી ભાત પાડે તેવું છે. પહેલું કારણ તો એ કે આપણી ભાષામાં સ્ત્રીઓએ, અને એમાં ય લેખિકાઓએ લખેલી આત્મકથા ભાગ્યે જ જોવા મળે છે. બીજું કારણ એ કે મુદ્રિત પુસ્તક તરીકે પ્રગટ થતાં પહેલાં તેનું પ્રકાશન ડિજિટલ સ્વરૂપે સોશિયલ મીડિયા પર હપ્તાવાર થવાનું છે. આવું આ પહેલી વાર જ બની રહ્યું છે. અને ત્રીજું કારણ એ કે આ આત્મકથા ‘સચિત્ર’ છે. આપણે ત્યાં જે આત્મકથાઓ પ્રગટ થઈ છે તે ભાગ્યે જ સચિત્ર હોય છે. બહુ બહુ તો લેખકના એક-બે ફોટા મૂક્યા હોય. પણ વર્ષાબહેને કાળજીપૂર્વક જાળવી રાખેલાં ફોટા, ચિત્રો, અન્ય દસ્તાવેજી સામગ્રીમાંથી ઘણું અહીં રજૂ થશે એવી આશા છે. પરિણામે આ પ્રકાશન દસ્તાવેજી દૃષ્ટિએ પણ મહત્ત્વનું બની રહે તેવો પૂરો સંભવ છે.

આ આત્મકથાના પ્રકાશન ટાણે વર્ષાબહેન વિશેનો એક લેખ અહીં મૂકું છું.

***

લગભગ પચાસ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂનનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઓફિસેથી ઘરે આવે છે. નવપરિણીત પત્નીના મોં  સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો અહીં છે.

પૂછે છે : કેમ, શું ચાલે છે?

આ ભંગાર ચોપડી વાંચું છું, ટાઈમ પાસ કરવા, બીજું શું?

એના કરતાં તું જ એક સારી ચોપડી લખ ને!

હું? મને લખતાં ક્યાં આવડે છે?

મોટા ગજાના લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.

અને બીજે દિવસે સાંજે પતિ મોંઘી દાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.

નવલકથા એટલે શું, કેવી રીતે લખાય, એની એ વખતે કશી ગતાગમ નહોતી એમ એ લેખિકાએ જ પછીથી કબૂલ્યું છે. પણ મુંબઈની રામનારાયણ રુઈયા કોલેજમાં ભણતાં ભણતાં અંગ્રેજી સુધારવા પી.જી. વુડહાઉસ, પેરી મેસન, આગાથા ક્રિસ્ટી, વગેરેને ખૂબ વાંચેલાં. એટલે કૈંક રહસ્યમય લખવાનું વિચાર્યું. પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું,  પણ પછી તો ધીમે ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી.  થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું : એક નવલકથા લખી છે.

પ્રકાશક : નામ શું નવલકથાનું?

નામ? નામ તો વિચાર્યું જ નથી.

એ વખતે પ્રકાશકની દુકાનમાં જાણીતા કવિ વેણીભાઈ પુરોહિત બેઠેલા. લેખિકાએ તેમને ટૂંકમાં પ્લોટનો ખ્યાલ આપ્યો. વેણીભાઈ કહે : નામ રાખો, પાંચ ને એક પાંચ. એ નવલકથાની લેખિકાનું નામ વર્ષા મહેન્દ્ર અડાલજા (લગ્ન પહેલાંનું નામ, વર્ષા ગુણવંતરાય આચાર્ય). જન્મ, ૧૦ એપ્રિલ ૧૯૪૦.

પાંચ ને એક પાંચ ૧૯૬૯માં પ્રગટ થઈ અને વર્ષાબહેને શબ્દની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પછી તો વર્ષાબહેને કલમ પકડી એટલું જ નહિ, કલમે પણ વર્ષાબહેનને પકડ્યાં. સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રોસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. વચમાંનાં ૪૮ વર્ષના સમયગાળામાં બીજાં ૫૦ પુસ્તકો પ્રગટ થયાં.

રહસ્ય કથા તો લખાઈ ગઈ. પછી પ્રકાશક કહે કે હવે સામાજિક નવલકથા લખો. અત્યારે એ વધુ ચાલે છે. ફરી વિમાસણ : આ સામાજિક નવલકથા તે વળી કઈ બલા? પણ નાનપણમાં જોયેલી સાઉથની ફિલ્મો મદદે આવી. એ બધી હતી સામાજિક ફિલ્મો. એ બધીને યાદ કરીને પોતાની રીતે પાત્રો અને પ્રસંગો ગોઠવતાં ગયાં. એક મહિનામાં તો કામ પૂરું. ફરી પહોંચ્યાં પ્રકાશક પાસે. મહામહેનતે પુસ્તક છપાયું. પછી ન્યાયાધીશને જ ગુનેગાર ઠેરવતી તિમિરના પડછાયા લખાઈ. પણ પછી ‘આતશ’ નવલકથાથી વર્ષાબહેનની કલમે પડખું બદલ્યું. એ અરસામાં તેઓ વાંચવા માટે જૂનાં અંગ્રેજી મેગેઝીન અવારનવાર ખરીદતાં. એક વાર રાતમાં દીકરી જાગી ગઈ. તેને સુવડાવતાં સુવડાવતાં વર્ષાબહેન ‘લાઈફ’ સામયિકનો એક અંક ઉથલાવવા લાગ્યાં. વિયેટનામ યુદ્ધના હૃદયદ્રાવક ફોટા તેમાં છપાયા હતા. અમેરિકાએ એક સ્કૂલ પર બોમ ફેંક્યો. ચારસો-પાંચસો બાળકોની લાશના ઢગલા. એ ઢગલામાંથી પોતાના બાળકની એકાદ નિશાની શોધવા મથતી બેબાકળી માતાઓ. અને મનમાં એક વિચાર ઝબકયો : મારી દીકરી તો ખોળામાં સૂતી છે. પણ આ બધી માતાઓ, તેમનાં બાળકોનું શું? મનોમન નક્કી કર્યું, વિયેટનામ યુદ્ધ વિષે નવલકથા લખવી. એ વખતે ગૂગલદેવ તો હજી પ્રગટ્યા નહોતા. એટલે મુંબઈની લાઈબ્રેરીઓ ખૂંદી. પુસ્તકો, સામયિકો, છાપાં, જ્યાંથી હાથ આવી ત્યાંથી એ યુદ્ધ વિશેની સામગ્રી મેળવી. એક વરસ પછી લખવાનું શરૂ કર્યું. દીકરીઓ હજી નાની. એટલે રાતે સાડા ત્રણ-ચારે રસોડામાં બેસીને લખવાનું. ‘આતશ’ને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ મળ્યો. ગુજરાત સરકારનું શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યું. પણ તેના કરતાં ય વધુ મહત્ત્વની વાત એ કે આ નવલકથાથી વર્ષાબહેન ડોક્યુ-નોવેલ, દસ્તાવેજી નવલકથાના લેખન તરફ વળ્યાં. પ્રેરણા કે સર્જકશક્તિ તો પહેલી. પણ માત્ર પ્રેરણા પર બધો મદાર નહિ. પ્રેરણાની સાથે પરિશ્રમના પરસેવાની મહેક પણ ભળવી જોઈએ, સર્જકના શબ્દમાં. 

વિયેતનામ તો દૂરની ભૂમિ. સહેલાઈથી જવાય નહિ. પણ મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી તો જઈ શકાય ને! હા, હાડમારી તો ઘણી ભોગવવી પડે એ આદિવાસી વિસ્તારમાં જતાં. પણ ગયાં. નાની દીકરી સાથે. બસનાં ઠેકાણાં નહિ. પથ્થર ભરેલા ખટારામાં મહામુશ્કેલીએ બેસવા મળ્યું. આદિવાસીઓને મળીને તેમની સમસ્યાઓ જાતે જોઈ-જાણી. પછી ઘરે આવીને લખી ગાંઠ છૂટ્યાની વેળા. પછી ઘણી ખટપટ કરીને એક વખત પહોંચ્યાં મુંબઈની આર્થર રોડ જેલમાં. ત્યાં જઈને સ્ત્રી કેદીઓને મળ્યાં, તેમની કેફિયતો સાંભળી. અને પછી લખી નવલકથા બંદીવાન. તેના પરથી બનેલું નાટક આ છે કારાગાર પણ સફળતાથી ભજવાયું. એક મિત્ર દંપતી અને તેમનો મેન્ટલી ચેલેન્જડ દીકરો. ત્રણેની સમસ્યા, વ્યથા, વર્ષાબહેન જાણે. પછી એક દિવસ બસમાં મુસાફરી કરતી વખતે એક સ્ત્રીને તેના આવા જ બાળક સાથે મહામુશ્કેલીએ મુસાફરી કરતી જોઈ. પહોંચ્યાં આવાં બાળકો માટેની હોસ્પિટલમાં. ત્યાં થોડા દિવસ બધું જોયું-જાણ્યું. અને પછી લખી નવલકથા ખરી પડેલો ટહુકો. આજે હવે તેની એટલી બધી ચર્ચા જોવા મળતી નથી, પણ એક વખત આપણે ત્યાં રક્તપિત્તના દરદીઓ, તેમની સમસ્યાઓ, તેમની સારવાર, વગેરેની સારી એવી ચર્ચા થતી. રક્તપિત્તના દરદીઓની સારવાર કરતા એક આશ્રમમાં પહોંચી ગયાં, અને ત્યાં થોડા દિવસ રહ્યાં. કથાની ભોંય વાસ્તવિકતાની. તેમાં પોતાની કલ્પનાથી જે છોડ ઉગાડ્યો તે નવલકથા ‘અણસાર’. તેને દિલ્હીની સાહિત્ય અકાદમીનો ૧૯૯૫ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો એવોર્ડ મળ્યો.

એ અરસામાં આપણે ત્યાં લઘુનવલની બોલબાલા. પ્રયોગપરાયણ અને પરંપરા જાળવીને લખનારા, એમ બંને પ્રકારના લેખકો તેના લેખન તરફ વળ્યા હતા. સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના એ વખતે ધીરુબહેન પટેલ તંત્રી. તેમણે એક લઘુનવલ લખવા વર્ષાબહેનને કહ્યું. બે બહેનોને લગતી એક વાત દસ દિવસમાં લખાઈ. ધીરુબહેને જ નામ પાડ્યું : મારે પણ એક ઘર હોય. ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નવલકથા માટેનું ઇનામ મળ્યું. એ લેવા માટે આજોલ ખાતે યોજાયેલા પરિષદના જ્ઞાનસત્રમાં વર્ષાબહેન ગયાં. પ્રવેશદ્વાર પાસે સૌથી પહેલાં સામે મળ્યા ઉમાશંકર જોશી. તેમણે લેખક ગુણવંતરાયની લેખિકા પુત્રીને ઉમળકાભર્યો આવકાર આપ્યો. બસ, તે દિવસથી ગુજરાતી સાહિત્યની દુનિયામાં લેખિકા તરીકે વર્ષાબહેનનો પ્રવેશ થયો. આ લઘુનવલને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. ૧૯૭૨માં દૂરદર્શનના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી પહેલવહેલી ગુજરાતી સિરિયલ આ નવલકથા પરથી બની હતી. ધર્મને નામે થતું સ્ત્રીનું શોષણ એ આજકાલની વાત નથી. શગ રે સંકોરું નવલકથામાં આવા શોષણની વાત થઈ છે. પણ તેની નાયિકા આવું શોષણ મૂંગે મોઢે સહન કરી લેતી નથી. કથાને અંતે તે પોતાના પતિને ઘર છોડી જવા ફરજ પાડે છે. આ નવલકથા એક અખબારમાં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી ત્યારે પહેલાં બે જ પ્રકરણ પછી કેટલાક વાચકોએ તેનો વિરોધ કર્યો અને નવલકથાનું પ્રકાશન અટકાવવા માટે ઝુંબેશ ચલાવી. પણ તેની સામે ઝૂક્યા વગર વર્ષાબહેને લખવાનું અને અખબારે તેને પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.

પ્રેરણાની સાથોસાથ પરિશ્રમની સુવાસથી મહેકતી અત્યાર સુધીની લેખિકાની નવલકથાઓમાં કલગીરૂપ ‘ક્રોસરોડ’ ૨૦૧૬માં પ્રગટ થઈ. તેમાં ૧૯૨૦થી ૧૯૭૦ સુધીના વિશાળ સમયપટને આવરી લીધો છે. આઝાદી પહેલાનું ગુજરાત અને આઝાદી પછીનું ગુજરાત કથાની પીછવાઈ બને છે. પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, વિચારધારાઓ, આદર્શો, વગેરે વચ્ચેની ખેંચતાણ રસપ્રદ રીતે આલેખાઈ છે. અ બધાં વાનાં વડે એક મહત્ત્વના કાલખંડને લેખિકા અસરકારક રીતે વાચકની આંખ આગળ ખડો કરી શકયાં છે. કથાનું સંકલન અને આલેખન ગોફ પદ્ધતિનું છે. વિવિધ સામગ્રી ધીમે ધીમે એકમેકમાં ગૂંથાતી જાય છે અને  મનોહર આકાર ઊભો કરે છે.

નવલકથા ઉપરાંત લેખિકા પાસેથી ૧૨ જેટલા વાર્તાસંગ્રહો મળ્યા છે. તેમાં હરિકથા અનંતા, અનુરાધા, તને સાચવે પારવતી, બીલીપત્રનું ચોથું પાન, એંધાણી, વગેરેનો સમાવેશ થાય છે. આ છે કારાગાર, વાસંતી કોયલ, મંદોદરી, શહીદ વગેરે નાટક-એકાંકીનાં પુસ્તકો વર્ષાબહેને આપ્યાં છે તો પૃથ્વીતીર્થ અને ન જાને સંસાર જેવા નિબંધસંગ્રહો પણ આપ્યા છે. શુક્રન ઈજિપ્ત, નભ ઝૂક્યું, શરણાગત, શિવોહમ્, અને ઘૂઘવે છે જળ, એ તેમનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો છે. પણ નાટક-એકાંકી હોય, નિબંધ હોય, કે પ્રવાસ વર્ણન હોય, તેમનું કોઈ પણ પુસ્તક વાંચતાં એ વાતનો અણસાર આવ્યા વગર રહેતો નથી કે હાડે કથાકારની કલમની આ નીપજ છે.

મૂળ વતન જામનગર, પણ જન્મ મુંબઈ. અને વર્ષાબહેન પાક્કાં મુંબઈકર. બી.એ. અને એમ.એ.નો અભ્યાસ પણ મુંબઈમાં. દસ વર્ષની ઉંમરે નાટકમાં કામ કરવાનું શરૂ કરેલું. એ વખતે છોકરીઓ તખ્તા પર ભાગ્યે જ જોવા મળતી. પણ માતા નીલાબહેન અને પિતા ગુણવંતરાયભાઈ બંનેનું સતત પ્રોત્સાહન. અલ્લાબેલી (ગુણવંતરાય આચાર્ય), મૃચ્છકટિકમ્ (શૂદ્રક્ના સંસ્કૃત નાટકનો કવિ સુન્દરમે કરેલો અનુવાદ), પૂર્ણિમા (રમણલાલ દેસાઈની નવલકથાનું રૂપાંતર), કવિ દયારામ, કાકાની શશી (કનૈયાલાલ મુનશી), ઝેર તો પીધાં છે જાણી જાણી (દર્શકની નવલકથાનું રૂપાંતર) જેવાં ગુજરાતી રંગભૂમિનાં સીમાચિહ્નરૂપ નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી. મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર અભિનેત્રી તરીકે નામ ગાજતું થયું. પણ લગ્ન પછી સ્વેચ્છાએ રંગભૂમિ છોડી. એ અંગે એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું “મને જીવનમાં કોઈ અફસોસ નથી. અભિનેત્રી તરીકે પરકાયાપ્રવેશ કરવાનો અનુભવ મને લેખનમાં બહુ કામ લાગ્યો છે.”

વર્ષાબહેન સુધા અને ગુજરાતી ફેમિના જેવાં સ્ત્રી સામયિકોના તંત્રી રહી ચૂક્યાં છે. મુંબઈની અને મુંબઈ બહારની સાહિત્યિક સંસ્થાઓ, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો સાથે સતત સંકળાયેલાં રહ્યાં છે. દાયકાઓથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાયેલાં રહેલાં વર્ષાબાહેન ૨૦૧૨માં તેના પ્રમુખ બન્યાં હતાં. પિતા ગુણવંતરાય આચાર્યની હયાતિમાં એક અક્ષર નહોતો પાડ્યો. પણ પછી? રણજિતરામ સુવર્ણચંદ્રક ગુણવંતરાયભાઈને ૧૯૪૫માં મળ્યો હતો. તે જ ચંદ્રક વર્ષાબહેનને મળ્યો ૨૦૦૫માં. તે ઉપરાંત નંદશંકર મહેતા ચંદ્રક, ક.મા. મુનશી એવોર્ડ, દર્શક એવોર્ડ, અને દિલ્હીની સાહિત્ય અકાદમીનો એવોર્ડ અણસાર નવલકથા માટે ૧૯૯૫માં મળ્યો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદેમીનો જીવન ગૌરવ પુરસ્કાર ૨૦૦૯માં મળ્યો. ક્રોસરોડ નવલકથાને તો અડધો ડઝન જેટલા પુરસ્કાર મળ્યા છે.

આ લખનારનો વર્ષાબહેન સાથેનો પરિચય ૧૯૬૧માં બંને જૂદી જૂદી કોલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારનો. વિલ્સન કોલેજની બહારના બસ-સ્ટોપ પર પહેલી વાર મળવાનું થયેલું. હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે. 

સૌ મિત્રો અને ચાહકો વતી વર્ષાબહેનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

Loading

કાવ્ય-અકાવ્ય તો ઠીક મારા ભૈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 December 2021

ટાંચણ અને ટિપ્પણ

જય વસાવડાએ એક રવૈયો મજાનો રાખ્યો છે કે વાંચવાલાયક પુસ્તકો અને જોવાલાયક ફિલ્મો વિશે વાચકોનું ધ્યાન વરસોવરસ દોરતા રહેવું. એમની હમણાંની યાદી(શતદલ, ‘ગુજરાત સમાચાર’, ડિસેમ્બર ૧, ર૦ર૧)માં એમણે પારુલ ખખ્ખરના કાવ્યસંગ્રહ ‘કરિયાવરમાં કાગળ’નોયે સમાવેશ કર્યો છે, તે નિમિત્તે કંઈક ઊહ અને અપોહના ખયાલથી થોડુંએક.

વાચનસૂચિમાં ‘કરિયાવરમાં કાગળ’નો સમાવેશ અલબત્ત સમુચિત જ છે. સામાન્યપણે બહોળો પ્રસાર ધરાવતા દૈનિકના વિશાળ વાચકગણને કવયિત્રીનાં નામ ને કામનો પરિચય નયે હોય. પણ પારુલના કિસ્સામાં એમનું નામ છેક અજાણ્યું ન ગણાય; કેમ કે ‘શબવાહિની ગંગા’એ એમને તાજેતરના મહિનાઓમાં ખરીખોટી પણ ખાસી ખ્યાતિ અપાવી છે. જયના ખયાલમાં આ વિગત હોઈ એમણે કવયિત્રીની કેટલીક હૃદ્ય પંક્તિઓ ટાંકવા સાથે ટિપ્પણી પણ જોડી છે કે “પારુલ ખખ્ખરને એકાદી પોલિટિકલ કવિતાને જ ત્રાજવે તોળવાની ભૂલ કરનારાને પોલિટિક્સમાં રસ હોય છે, પોએટ્રીમાં નહિ!”

જયની આ નુક્તેચીની બે રીતે ઘટાવી શકાય એમ મને લાગે છે : એક તો, પારુલ કવયિત્રી તરીકે ધ્યાનાર્હ છે તે છે જ. બીજું, આપણા સંદર્ભમાં મહત્ત્વની વાત એ છે કે કેવળ પોલિટિકલ ધોરણસર (ખરું જોતાં જો કે કારણસર) તે સ્વીકાર્ય અગર અસ્વીકાર્ય ન બનવી જોઈએ.

આ જે બીજી વાત, એના સંદર્ભમાં હું એકબે નિરીક્ષણ કરવા માગું છું. પ્રસ્તુત રચના (‘શબવાહિની ગંગા’)ને સરકારી સાહિત્ય અકાદમીના સત્તાવાર પ્રકાશન ‘શબ્દસૃષ્ટિ’માં અધ્યક્ષ-તંત્રી સ્તરેથી એમાં કવિતા બનતી નથી અને કેવળ ‘શબ્દોનું તિકડમ’ છે, કહીને ખતવવાની ચેષ્ટા થઈ. મુદ્દે, આ તર્ક બાબતે એટલું તો અવશ્ય કહી શકાય કે પ્રતિકારની કવિતા કહો, વિદ્રોહની કવિતા કહો, એનું ઇસ્થેટિક્સ સ્થાપિત પ્રવાહથી કંઈક જુદું પડતું હોઈ શકે. એને સમજવા સારુ સ્વાધ્યાય અને સંવેદનનું ફાઇન ટ્યુનિંગ આપણી કને બધો વખત હોય જ એવું ન પણ બને. ગમે તેમ પણ, પ્રતિકાર કે વિદ્રોહની કવિતા સાથે ચોક્કસ સંજોગોમાં અસુખ અનુભવાય ત્યારે એને અકાવ્યમાં મૂકવાની હદે મનોવૈજ્ઞાનિક તાણ વરતાતી હશે ? ન જાને.

જો કે ખરો મુદ્દો તો હજી આવે છે જેમાંથી તમને ને મને એટલું સમજાઈ રહે છે કે તંત્રી-અધ્યક્ષ સ્તરે આ પ્રશ્ન તત્ત્વતઃ કાવ્ય-અકાવ્યનો છે જ નહીં. એમના જ શબ્દોમાં “તેનો (અકાદમીનો) હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો છે … અકાદમી આવી રચના (‘શબવાહિની ગંગા’) અને આવાં (એટલે કે કેન્દ્રવિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાના વિરોધી, જેમની નિષ્ઠા ભારત નહીં, અન્યત્ર છે, વામપંથી, કથિત ‘લિબરલ્સ’, ‘લિટરરી નક્સલો’ જેવાં) વલણો સાથે શતપ્રતિશત સંમત નહોતી, નથી અને નહીં હોય.”

વાચકમિત્રોને યાદ આપું કે, ‘શબ્દસૃષ્ટિ’ની આ સત્તાવાર (અને સત્તાવાહી) ભૂમિકા સામે ૧૮૦થી વધુ અક્ષરકર્મીઓએ સ્વયંભૂ નિવેદન રૂપે કહ્યું હતું કે “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ કે ‘સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી’, તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રી, અકાદમી-અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.”

દર્શકની આદર્શલક્ષી વહેવારુ પહેલથી શક્ય બનેલી સ્વાયત્ત અકાદમી તો સત્તા-પ્રતિષ્ઠાનની વિચારધારાકીય તાંબુલવાહિની ન જ બને. પણ તે પૂર્વે હતી એ કાઁગ્રેસ સરકાર રચિત અકાદમીએ પણ જે ભાષામાં વાત નહોતી કરી તે ભાષામાં અકાદમી અધ્યક્ષે ર૦ર૧માં વાત કરી છે અને અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું કે કાવ્ય-અકાવ્યનો નિર્ણય સરકારી વિચારધારાને સ્વાધીન છે.

આ તબક્કે રૂસી લેખક શોલોખોવ સાંભરે છે. સર્જકપ્રતિભાના આ ધની વિચારધારાવાદના એવા તો બંધાણી અને ઘોર સત્તા-પ્રતિષ્ઠાન તરફી હતા કે એમણે સત્તાવાર સોવિયેત દૃષ્ટિબિંદુથી ઉફરાટે વિચારતા લેખકો સંદર્ભે લગારે દિલચોરી વગર કહેલું કે લશ્કર જ્યારે તાલબદ્ધ કૂચ કરી રહ્યું હોય, ત્યારે શિસ્તભંગ કરનાર સૈનિકને ગોળીએ દેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. શોલોખોવની લશ્કરી શબ્દાવલીથી પરહેજ કરીને પણ આપણે એટલું તો કહી જ શકીએ કે પારુલ ખખ્ખરની રચના પરત્વે વ્યક્ત થઈ રહેલી સત્તાવાર માનસિકતા સ્વતંત્ર અભિવ્યક્તિને વરેલા લેખકને કંઈ નહીં તો પણ unperson તો કરે જ છે.

પણ આપણે તંત્રી-અધ્યક્ષને કહીકહીને શું કહીએ ? અક્ષરકર્મીઓના નિવેદનને આટલા મહિના વીત્યા પછી ને છતાં એમને કોઈ પુનર્વિચારવિવેક જરૂરી લાગ્યાનું આપણી જાણમાં નથી. ઊલટું, આ નોંધ લખી રહ્યો છું, ત્યારે એમની પ ડિસેમ્બરની ફેસબુકનોંધ જોઉં છું કે, “ગુજરાત સાહિત્ય અકાદમીના વાચકોની મોટી સંખ્યા યુવાવયના, રાષ્ટ્રીયતા સાથે પ્રતિબદ્ધ … હોય તે ગુજરાતી સાહિત્યની ધ્યાન દોરે તેવી ઘટના છે … સાહિત્યને વિવાદ કે વિતંડાવાદથી અલગ રાખવામાં આવે, ત્યારે આવાં શુભ પરિણામ જોવા મળે છે.”

નોંધ્યું તમે? સહૃદયતાની કેળવણીનો આશય ગૌણક્રમે હોય તો હોય. રાષ્ટ્રીયતા સાથે પ્રતિબદ્ધતા હોય ત્યારે ‘શુભ પરિણામ’ જોવા મળે છે અને સ્વાયત્તતાનો આગ્રહ હોય કે પછી ‘એનિમલ ફાર્મ’ અને ‘૧૯૮૪’ની પૃષ્ઠભૂ સરખા વિચારધારાકીય બુલડોઝરનો વિરોધ હોય, અકાદમી-અધ્યક્ષના અધીન મત મુજબ તે વિતંડાવાદ છે. આ સંજોગોમાં કોઈ પણ સ્વમાની અક્ષરકર્મીએ ‘શબ્દસૃષ્ટિ’ સાથે શા સારુ જોડાવું, કોઈ તો કહો.

દરમિયાન, આભાર પારુલ અને જયનો (અલબત્ત, અકાદમી-અધ્યક્ષનો પણ) કે એક પાયાના મુદ્દા સારુ એમણે ઊહ ને અપોહનો અવસર આપ્યો.

ડિસેમ્બર ૬, ર૦ર૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 16

Loading

...102030...1,7021,7031,7041,705...1,7101,7201,730...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved