Opinion Magazine
Number of visits: 9570819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરદાર પટેલ અને મણિબહેન : પિતાપુત્રીની અદ્દભુત જોડી

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2021

સરદાર પટેલ અને મણિબહેન – પિતાપુત્રીની આ જોડી વિશ્વના પટ પર પણ ભાગ્યે જ જોવા મળે એવી અદ્દભુત છે. બંનેએ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું. એવી અજોડ સાદગી અને એવી અજોડ દેશસેવા વિશ્વના પટ પર ભાગ્યે જ જોવા મળે … 

31 ઑક્ટોબર, સરદાર પટેલના જન્મદિન નિમિત્તે અંજલિ આપતી લેખશ્રેણી, વ્યાખ્યાનશ્રેણીનાં આયોજનો થયાં. સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની છે કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષથી સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે, એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડાપ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ભારતરત્ન વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો પણ ઘણું. 

બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો.

ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો? તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ 'હા'માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું. 

રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા 'રેમિનિસન્સ'માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડી વારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા.

1950ની 12 ડિસેમ્બરે વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપ પરથી ભારતીય હવાઈદળના ડાકોટા વિમાનમાં તેમને મુંબઈ લઈ જવાયા. 15 ડિસેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું, ‘સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં.’ પ્રકાશ ન. શાહે એક લેખમાં લખેલું વાક્ય યાદ આવે છે, ‘સરદારને કટ્ટરતાથી નહીં પણ કૃતજ્ઞતાપૂર્વક ઇતિહાસવિવેક સાથે સંભારી શકીએ એવી પુખ્તતા અમને પ્રાપ્ત થાઓ!’

આવી જ પુખ્ત કૃતજ્ઞતા સાથે યાદ કરવા જેવાં છે સરદાર પટેલનાં પુત્રી મણિબહેનને. પિતાપુત્રીની આ જોડી વિશ્વના પટ પર પણ ભાગ્યે જ જોવા મળે એવી અદ્દભુત છે.

પત્ની ઝવેરબાના મૃત્યુનો તાર મળ્યો તેને ખિસ્સામાં મૂકી દઈ સરદાર પટેલે પોતાનું કામ પૂરું કર્યું એ વાત બહુ જાણીતી અને ફેમિનિસ્ટોને ગુસ્સે કરે એવી છે. પણ લોખંડી પુરુષનું હૃદય પથ્થરનું નહોતું. સરદારની ત્યારે 31 વર્ષની ભર યુવાની. છસાત વર્ષની દીકરી અને ચારપાંચ વર્ષના દીકરા પર સાવકી માનો ઓછાયો ન પડે એ માટે તેમણે સગાંવહાલાંના આગ્રહ છતાં એમણે ફરી પરણવાની ચોખ્ખી ના પાડી.

કાકા વિઠ્ઠલભાઈ પટેલ બન્ને બાળકોને મુંબઈ લઈ ગયા. મણિબહેન મુંબઈની ક્વિન મેરી હાઈસ્કૂલમાં ભણતાં. સરદાર વિલાયત જઈને બેરિસ્ટર થયા અને મણિબહેનને લઈ અમદાવાદ આવ્યા અને મણિબહેનને કૉન્વેન્ટ સ્કૂલમાં મૂક્યાં. પછી ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયાં અને પિતાનો કાર્યભાર સંભળવા લાગ્યાં. 

એ 1925ની સાલ હતી. અંગ્રેજોએ લોકો પર શિક્ષાત્મક કરવેરો લાદ્યો હતો. કર ન ભરી શકનાર લોકોની અસ્કયામતો સરકાર કબજે કરતી. ગાંધીજી અને સરદાર પટેલે ‘ના-કર’ ચળવળ ઉપાડી. મણિબહેને તેમાં જોડાઈ સ્ત્રીઓને બોરસદ સત્યાગ્રહમાં જોડાવાની પ્રેરણા આપી.

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયો. સરકારે ખેડૂતો ઉપર આકરો વેરો મૂક્યો હતો અને તેની વસૂલી માટે જુલમ કરવા માંડ્યો. ગાંધીજીના કહેવાથી સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી. મણિબહેને મીઠુબહેન પિટીટ અને ભક્તિબા દેસાઈ સાથે મળી સ્ત્રીઓને લડતમાં જોડાવા પ્રેરણા આપી. સ્ત્રીઓ બહોળી સંખ્યામાં સત્યાગ્રહમાં જોડાઈ. તેઓ સરકારે જપ્ત કરેલી જમીનો પર ઝૂંપડીઓ બાંધી તેમાં રહી સત્યાગ્રહ કરતાં.

૧૯૩૮માં રાજકોટ રજવાડાના દિવાન દ્વારા થતા અત્યાચારના વિરોધમાં સત્યાગ્રહ થયો. સિત્તેર વર્ષનાં કસ્તૂરબા નાદુરસ્ત તબિયત છતાં તેમાં જોડાયાં. મણિબહેન બા સાથે રાજકોટ ગયાં. સરકારે બંનેને છૂટા પાડવાનો આદેશ આપ્યો તેના વિરોધમાં મણિબહેન અનશન પર ઊતર્યાં ને બા સાથે રહેવાની મંજૂરી મેળવીને જ જંપ્યાં.

મણિબહેને અસહકારની લડત, મીઠાના સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો અને અનેક વાર જેલવાસ ભોગવ્યો. પિતાપુત્રીએ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું. સ્વાતંત્ર્ય સંગ્રામના અંતિમ અને સ્વાતંત્ર્ય પછીના તરતના તબક્કામાં ઊભા થયેલા અત્યંત મુશ્કેલ સંજોગોમાં તેમને સતત પિતાની દરેક રીતે સંભાળ રાખી. 

1950માં સરદારનું મૃત્યુ થયું. ત્યાર પછી મણિબહેન મુંબઈ આવ્યાં અને સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓમાં સેવા આપી. ભારતને સ્વતંત્રતા મળી તે પછી તેમણે તેમના પિતાના જીવન અને ભારતીય સ્વતંત્રતાની ચળવળને આવરી લેતું એક પુસ્તક પણ લખ્યું. મણિબહેનની રાજકીય કારકિર્દી પણ હતી. તેઓ ગુજરાત પ્રાંત કાઁગ્રેસ કમિટીના ઉપ-પ્રમુખ હતાં, બે વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં, ગુજરાત રાજ્ય કાઁગ્રેસના સેક્રેટરી અને પ્રમુખ પણ રહેલાં, કટોકટીનો વિરોધ કર્યો હતો અને જનતા પક્ષની ટિકિટ પર ૧૯૭૭માં મહેસાણામાંથી ચૂંટાઈ આવ્યાં હતાં. ગૂજરાત વિદ્યાપીઠ, બારડોલી સ્વરાજ આશ્રમ અને નવજીવન ટ્રસ્ટ સાથે તેઓ સંકળાયેલા હતાં. તેમનું અવસાન ૧૯૯૦માં થયું હતું. ઈ.સ. ૨૦૧૧માં સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ અને નવજીવન પ્રકાશને મળીને તેમની ગુજરાતી ડાયરી છાપીને પ્રકાશિત કરી.

સરદાર પટેલ કહેતા, ‘ક્રોધ ન કરો. લોખંડ ભલે ગરમ થાય પણ હથોડાએ તો ઠંડું જ રહેવું જોઈએ, નહીં તો એ ખુદ પોતાનો હાથો બાળી નાખશે.’ અને ‘જ્યારે જનતા એક થઈ જાય છે ત્યારે તેની સામે ગમે તેટલું ક્રૂર શાસન પણ ટકી શકતું નથી તેથી તમામ ભેદભાવ ભૂલાવીને એક થઈ જાઓ.’

છે ને આજે અને આવતીકાલે અને હંમેશાં યાદ રાખવા જેવી વાત? 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 ઑક્ટોબર 2021 

Loading

દેવદાસીની કુપ્રથા હજુ જીવંત છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2021

આ વરસના ફેબ્રુઆરી મહિનામાં કર્ણાટકના વિજ્યનગર જિલ્લાના કુડલિગી ગામની બાવીસ વર્ષની દલિત યુવતીએ તેને બળજબરીથી દેવદાસી બનાવવાનો વિરોધ કર્યો હતો. ‘દેવદાસી નિર્મૂલન કેન્દ્ર’ની સહાય અને પરિવારની હૂંફથી તે દેવદાસી બનતાં બચી ગઈ હતી. પુરીના જગન્નાથ મંદિરના બાણું વર્ષનાં દેવદાસી શશિમણિનું ૨૦૧૪માં અવસાન થયું, ત્યારે માધ્યમોમાં તેમને છેલ્લા દેવદાસી ગણાવી, દેવદાસીની કુપ્રથા નામશેષ થઈ ગયાના નગારા પીટ્યા હતા. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ૨૦૧૫માં થયેલા સુધારામાં, દલિત-આદિવાસી સ્ત્રીઓને દેવદાસી બનાવવાના કૃત્યને, અત્યાચારની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યું હતું. શશિમણિના અવસાન પછીના વરસે, સંસદ કાયદામાં સંશોધન કરી દેવદાસીને અત્યાચારની વ્યાખ્યા સામેલ કરે અને કર્ણાટકના કુડલિગીની યુવતીનો આ વરસે દેવદાસી બનવાનો ઈન્કાર- દેવદાસીની કુપ્રથા આજે પણ જીવંત હોવાનો પુરાવો છે.

ભારતમાં ‘દેવદાસી’ના નામે વેશ્યાવૃતિને ધાર્મિક આધાર આપવાની હલકટ પ્રથાનો ઇતિહાસ બહુ દીર્ઘ અને જટિલ છે. ‘દેવની દાસી’ એવો સામાન્ય અર્થ ધરાવતી આ પરંપરા મુજબ, મંદિરોમાં નાચગાન માટે સ્ત્રીઓનો ઉપયોગ છઠ્ઠી સદીમાં શરૂ થયાનું મનાય છે. બારમી સદીમાં આ પરંપરા તેના ચરમ પર હતી. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં, કાલિદાસના ‘મેઘદૂત’માં, અશોકના શિલાલેખોમાં અને ચીની મુસાફર હ્યુ-એન-સાંગના પ્રવાસ વર્ણનોમાં એનો ઉલ્લેખ મળે છે. કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ પ્રથા હતી. આજે દેવદાસીમુક્ત ગુજરાતમાં મહમદ ગઝનીએ ઈ.સ. ૧૦૨૬માં સોમનાથ પર ચડાઈ કરી, મંદિર લૂંટ્યું ત્યારે તેમાં ૫૦૦ દેવદાસીઓ હતી. જુદા જુદા રાજ્યોમાં આ પ્રથા દેવદાસી, જોગિણી, મુરળી, દેવકન્યા, અછૂતી, સુલે, ભાવિણી જેવાં વિવિધ નામે ઓળખાય છે.

ગરીબ દલિત કન્યાઓને કુમળી વયે દેવદાસી બનાવી વેશ્યા બનવા મજબૂર કરાય છે. આ કુપ્રથાને ધર્મનું સમર્થન છે. ગામનો ધનાઢ્ય જમીનદાર ગામના નિર્ધન દલિતની રૂપાળી સગીર દીકરીની પોતાની દેહવાસના માટે ‘દેવદાસી’ તરીકે પસંદ કરે છે. ધાર્મિક અંધશ્રદ્ધા, દેવીના પ્રકોપનો ડર, શિક્ષણનો અભાવ અને ગરીબી કન્યાઓને દેવદાસી બનાવે છે. દેવદાસી બનવા માટે કન્યાનું વિધિપૂર્વક દેવી યેલમ્માને સમર્પણ કરાય છે.

જાણીતા મરાઠી લેખક-પત્રકાર ઉત્તમ કાંબળેએ એમના શોધપુસ્તક, ’દેવદાસી’માં દેવી યેલમ્માની ઉત્પતિની જે દંતકથા વર્ણવી છે તે મુજબ, સેંકડો વરસો પૂર્વે બ્રાહ્મણ યુવતી બળાત્કારીઓથી બચવા ભાગી, ત્યારે તેને યેલમ્મા નામક દલિત યુવતીએ આશરો આપીને બચાવી હતી. એટલે બ્રાહ્મણોએ રક્ષક યેલમ્માને દેવી ગણી તેનું મંદિર બનાવ્યું હતું. કાળક્રમે યેલમ્માનો મહિમા વધ્યો અને સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ, એને પોતાનો દેહ સમર્પિત કરવા માંડી. રક્ષણહાર પોતે જ ધર્મપ્રણિત યૌનશોષણનો શિકાર બને એવી પુરોહિતવર્ગની કુટિલતા રચાયેલી અહીં જોવા મળે છે.

આરંભે મંદિરમાં દેવદાસીનું સ્થાન અને મહત્ત્વ પૂજારી પછીનું હતું. તે અખંડ સૌભાગ્યવતી અને શુકનવંતી મનાતી હતી. પરંતુ પિતૃસત્તા અને સામંતવાદના પ્રભુત્વે દેવદાસીને પૂજારીઓ અને જમીનદારોની હવસ તરફ ધકેલી હતી. જે સ્ત્રીને દેવદાસી બનાવાય તે લગ્ન કરી શકતી નહીં. ક્યારે ય પોતાના ઘરે પરત જઈ શકતી નહીં. ગામનો જમીનદાર તેની સાથે લગ્નબાહ્ય સંબંધ રાખતો, પણ તેના ગુજરાનની જવાબદારી લેતો નહીં. દેવદાસીને તો ગામના છેડે ઝૂંપડીમાં રહેવું પડતું અને મજૂરી કરવી પડતી. મંદિરમાં નાચગાન કરતી દેવદાસી કદી મંદિરના ગર્ભગૃહમાં જઈ શકતી નહીં. તેની દયનીય સ્થિતિનું વર્ણન કરતાં ‘બ્રોકન પીપલ’ પુસ્તકમાં સ્મિતા નરુલા લખે છે :  ‘દેવદાસી ગામમાં અલગ રહે છે. દલિત પુરુષો સહિત તમામ પુરુષો એમનો ઉપભોગ કરે છે. દેવદાસી સાથેના બળજબરીથી થતા શરીરસંબંધને કોઈ બળાત્કાર ગણતું નથી.’

દેવદાસી પ્રથાની નાબૂદી માટે પ્રયાસોનો દક્ષિણમાં પેરિયાર રામાસ્વામી નાયકરે અને મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલેએ આરંભ કર્યો હતો. ડો. આંબેડકરે ૧૯૩૬ અને ૧૯૩૮માં દેવદાસી અને વેશ્યાઓની સભાઓ કરીને, તેમને કલંકિત જિંદગી છોડી સ્વમાનભેર જીવવા હાકલ કરી હતી. ૧૮૯૩માં મૈસુર સરકારે મંદિરમાં દેવદાસીઓના નાચગાનને પ્રતિબંધિત કરતો કાયદો કર્યો હતો. ૧૯૨૦માં શાહુ મહારાજે કોલ્હાપુર રાજ્યમાં દેવદાસી નાબૂદીનો નિયમ ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે ૧૯૩૪માં ‘બોમ્બે દેવદાસી પ્રતિબંધક કાયદો’ બનાવ્યો હતો. આઝાદી પછી કર્ણાટક અને આંધ્ર સરકારે દેવદાસી પ્રથા વિરુદ્ધ કાયદા બનાવ્યા હતા. તેમ છતાં આ પ્રથા બેરોકટોક એટલા માટે ચાલે છે કે મોટા ભાગના રાજ્યોની સરકારોના કાયદા દેવદાસીને જ ગુનેગાર ઠેરવે છે ! દેવદાસીને આ વિકૃત પ્રથામાં ધકેલનાર કે તેનો ઉપભોગ કરનારને કોઈ સજાની જોગવાઈ જ કાયદાઓમાં નથી.

દેશમાં દેવદાસીના પ્રમાણ અંગે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. મહિલા સાંસદ ઉષાપ્રકાશ ચૌધરીએ પહેલીવાર ૨૫મી ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ લોકસભામાં દેવદાસીઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આઝાદી પછીના પાંત્રીસ વરસોમાં દોઢ લાખ અને વરસે સાડા ચાર હજાર કન્યાઓને દેવદાસી બનાવાતી હોવાની રજૂઆત કરી હતી. માત્ર દક્ષિણ ભારતમાં જ પાંચ લાખ દેવદાસીઓ હોવાનો એક અન્ય અભ્યાસનો અંદાજ છે. તેમાંથી પંચાણુ ટકા દલિત સ્ત્રીઓ અને અઠ્ઠાવન ટકા ત્રીસ વરસ કરતાં ઓછી વયની હતી. કર્ણાટકની દેવદાસીઓ અંગેનો ૨૦૧૮નો અભ્યાસ, રાજ્યમાં નેવું હજાર દેવદાસીઓ હોવાનું  જણાવે છે. દેવની આ દાસીઓના સંતાનો સાવ  અનાથ ગણાય છે. દેવદાસીનું સંતાન પુત્રી હોય તો તેણે દેવદાસી જ બનવું પડે છે. દેવદાસીના એંસી ટકા બાળકો નિરક્ષર હોય છે. અને બાળમજૂરી કરે છે. દેશના નાના મોટા શહેરોના દેહવ્યાપારમાં ધકેલાયેલી સ્ત્રીઓનો મોટો હિસ્સો દેવદાસીઓનો હોય છે, કેમ કે મંદિરો અને જમીનદારો એમનું પેટ ભરતા નથી.

સામાજિક સંસ્થાઓ, કાર્યકરો અને સરકારી વહીવટી તંત્ર દેવદાસી નિર્મૂલન, દેવદાસી મુક્તિ અને તેમનાં પુન:સ્થાપનનું કાર્ય કરે છે. કેટલાંક મુક્ત થયેલાં દેવદાસી પણ આ કામ સાથે જોડાયેલાં છે. મહિલા અનામત, મહિલા શિક્ષણ અને મહિલા સમાનતા જેવા મુદ્દે સમાજમાં થોડી પ્રગતિ જોવા મળે છે. પણ દેવદાસીની કુપ્રથાનો અંત આણવા બાબતમાં  ઝાઝુ કશું થયું નથી. નારી આંદોલનમાં દેવદાસી મુક્તિને પ્રાધાન્ય મળ્યું નથી. દલિત આંદોલનમાં પણ દેવદાસીનો સવાલ કદી મુખ્ય મુદ્દો બન્યો નથી. સરકારો અને રાજકીય પક્ષોમાં પણ આ બાબતે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. સ્ત્રીને દેવી કે શક્તિ માનવામાં આવે છે. નવરાત્રિ તો શક્તિની આરાધનાનું પર્વ છે. આ દિવસોમાં સહુ શક્તિની આરાધના કરે છે. ત્યારે શોષણનો ભોગ બનેલી અને નારીને પૂજવાના દંભનું પ્રતીક બની રહેલી દેવદાસીઓને શક્તિ નહીં તો કમ સે કમ સ્ત્રી તરીકેનું તેનું સ્થાન – સન્માન મળી રહે તો ય ઘણું.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સ્વાતંત્ર્યસેનાની અને કલાકાર સરલાદેવી મઝુમદારને ઓળખો છો ?

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2021

આઝાદ ભારતના ૭૫માં વર્ષમાં આવેલી ગાંધીજયંતી નિમિત્તે લોકભારતી સણોસરા ખાતે ‘ગાંધી ચિત્રકથા’ નામના સુંદર પુસ્તકનું વિમોચન થયું. ગાંધીશતાબ્દી વર્ષે પ્રકાશિત થયેલા આ પુસ્તકને સાર્ધ શતાબ્દી નિમિત્તે નવા રૂપેરંગે અને નવ ભાષાઓમાં પુન: પ્રકાશિત કરવામાં આવ્યું. તેનાં ચિત્રો અને લેખન સરલાદેવી મઝુમદાર નામનાં સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યાં છે.

સરલાદેવીનાં પરિવારજનોની ઇચ્છા એવી કે આ નવે પુસ્તકોનું વિમોચન, એમના જ શબ્દોમાં  ‘નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા ગાંધીવિચારને વરેલા વડીલો દ્વારા સ્થાપિત અને વિકસિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય ગાંધીવિચાર અનુશીલન કેન્દ્રમાં’ થાય. લોકભારતીએ પ્રસન્નતાપૂર્વક આ શુભ ભાવનાને વધાવી લીધી અને મુંબઈ – વલ્લભવિદ્યાનગરથી આવેલાં સરલાદેવીના પરિવારજનો તેમ જ પ્રકાશક ભરતભાઈ – કેતનભાઈ રાજ્યગુરુની હાજરીમાં યોજાયેલા એક સાદા, સુંદર, સુઘડ કાર્યક્રમમાં ‘ગાંધી ચિત્રકથા’ પુસ્તકોનું વિમોચન થયું. આ પુસ્તક અને તેની લેખિકા વિશે જાણવું વાચકમિત્રોને ખૂબ ગમશે.

જજ પિતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતાં માને ત્યાં 1911માં સરલાદેવી મઝુમદારનો જન્મ. શિક્ષિત – સંપન્ન પરિવારમાં થયેલો ઉછેર અને ગાંધીઊર્જાથી ભરેલાં વાતાવરણને પરિણામે તેમનામાં નાની વયથી જ ઉચ્ચ મૂલ્યો અને દેશભક્તિ કેળવાયાં. 

સરલાદેવીને જન્મજાત કલાકાર કહી શકાય. 13મા વર્ષે ‘કુમાર’ની રંગોળીસ્પર્ધામાં વિજેતા થયાં. એ વખતે ‘કુમાર’ના તંત્રી કલાગુરુ રવિશંકર રાવળ હતા. કોઈ ઔપચારિક શિક્ષણ વગર 16મા વર્ષે એમણે ઑલ ગુજરાત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો અને સર્ટિફિકેટ ઑફ મેરિટ મેળવ્યું. ગ્રેજ્યુએશન પછી ચિત્રનું ઔપચારિક શિક્ષણ મેળવવા તેઓ કર્વે યુનિવર્સિટી(અત્યારની એસ.એન.ડી.ટી.)માં દાખલ થયાં અને ચિત્રમાં પ્રોફિશ્યન્સી ઈન આર્ટસ – અનુસ્નાતક સ્તરની ડિગ્રી મેળવી.

1935માં સરલાદેવીનાં લગ્ન ઈંગ્લૅન્ડમાં ભણેલા અને નારીસ્વાતંત્ર્યના પુરસ્કર્તા એવા પુરેન્દ્ર મઝુમદાર સાથે થયાં. લગ્ન પછી એમણે જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાંથી ગવર્નમેન્ટ ડિપ્લોમા લીધો. એ વખતે ત્યાં મિ. વિલિયમ એવર્ટ ગ્લૅડસ્ટોન સોલોમન નામના ખૂબ કાબેલ ગણાતા પ્રિન્સીપાલ હતા. એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરલાદેવીએ કરેલાં ચિત્રો જોઈ તેઓ એટલા પ્રસન્ન થયા કે સીધો ત્રીજા વર્ષમાં પ્રવેશ આપ્યો. સુપ્રસિદ્ધ ચિત્રકાર જગન્નાથ મુરલીધર અહિવાસીના હાથ નીચે તૈયાર થઈ સરલાદેવીએ ડિપ્લોમા અને બૉમ્બે આર્ટ સોસાયટીનું સર્ટિફિકેટ ઑફ મેરિટ બન્ને મેળવ્યાં. આ ગાળામાં તેમણે રામાયણ, શિવમહિમ્નસ્તોત્ર, બાળકૃષ્ણલીલા વગેરે વિષયો પર ચિત્રો કર્યાં. સાથે ગુજરાતી અને મરાઠી સામયિકો માટે પણ ચિત્રો બનાવ્યાં.

દેશ મહાત્મા ગાંધી પ્રેરિત આંદોલનોની ઊર્જાથી ધબકતો હતો. સરલાદેવીના મોસાળમાંથી ઘણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેતા હતા. સરલાદેવીએ પણ ઝંપલાવ્યું, દેશનાં કામોમાં સક્રિય થયાં અને જેલ પણ ભોગવી. એ પછી તેમણે ગ્રામસેવા શરૂ કરી. થોડાં વર્ષ મુંબઈ નજીકના નાના ગામમાં કામ કર્યું. સ્વતંત્રતા મળ્યા પછી ભરૂચ જિલ્લાના સુણેવ ખુર્દ ગામમાં મકાન બાંધીને ત્યાં સેવાપ્રવૃત્તિઓ શરૂ કરી.

કલાપ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. કરાડીના ગાંધી સ્મૃતિ ભવન માટે વાઈસરૉય લૉર્ડ અરવિનને પત્ર લખતા ગાંધીજીનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવી આપ્યું હતું. જે થોડાં વર્ષ ફૉર્ટ, મુંબઈના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં મુકાઈ અત્યારે એમના કાયમી પ્રદર્શનમાં છે. સાબરમતી આશ્રમનું મહાદેવભાઈ દેસાઈનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવ્યું છે.

સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દી નિમિત્તે બહાર પડેલું ‘બાળકોના વિવેકાનંદ’ પુસ્તક જોઈ સરલાદેવીને આવું જ એક પુસ્તક મહાત્મા ગાંધીની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરવાનો વિચાર આવ્યો. તેઓ સાબરમતી આશ્રમમાં લગભગ આખું વર્ષ રહ્યાં અને ચિત્રો, પુસ્તકોનો અભ્યાસ કરીને વૉટર કલરમાં 27 ચિત્રોની ગાંધી ચિત્રકથા રચી. એ પેઢીનાં બાળકોએ ગાંધીજીને જોયા ન હોય. દેશ અને દુનિયા પર તેમનો જે જાદુ છવાયો હતો, તેનો પણ એમને ખ્યાલ ન હોય. ગાંધીજીના સદ્દગુણો બાળકોનાં હૃદયમાં ઊતરે એ માટે સરલાબહેને ગાંધીજીવનમાંથી એવા પ્રસંગો પસંદ કર્યા જેમાં સત્ય, પ્રેમ, કરુણા, અભય આદિ મૂળભૂત ગુણો પ્રગટ થતા હોય. પ્રસંગો સંબંધિત લખાણ પણ પોતે જ તૈયાર કર્યું. પછી આ જ ચિત્રો સુધારા વધારા સાથે ઓઈલ પેઈન્ટમાં બનાવ્યાં.

૧૯૬૮-૬૯ દરમ્યાન ગાંધીશતાબ્દી નિમિત્તે આ પુસ્તકનું પ્રકાશન મુંબઈ ગાંધી સ્મારક નિધિએ કર્યું. એનું બીજું સંસ્કરણ નવભારત પ્રકાશન મંદિરે કર્યું હતું. તેનો અંગ્રેજી અનુવાદ તેમના મામા હેમંતકુમાર નીલકંઠે કર્યો, જેમણે થોડો સમય ગાંધીજી સાથે વીતાવ્યો હતો અને ગાંધીજીની રોજનીશીના થોડા ભાગનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો હતો. ‘ગાંધી ચિત્રકથા’નો હિન્દી અનુવાદ સરલાદેવીનાં ભાભી કુરંગીબહેન દેસાઈ (કવિ નરસિંહરાવ દિવેટિયાનાં દોહિત્રી કવયિત્રી મનોજ્ઞા દેસાઈ અને પ્રણવ દેસાઈનાં મા) અને તેમનાં બહેન ચિત્રાબહેન દેસાઈએ કર્યો હતો. આ બંને બહેનોએ નારાયણભાઈ દેસાઈના પુસ્તક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ના અનુક્રમે હિન્દી અને અંગ્રેજી અનુવાદો પણ કર્યા છે. કુરંગીબહેનનાં મા લવંગિકાબહેને એ જમાનામાં ગ્રીક ટ્રેજેડી પર એક પુસ્તક લખ્યું હતું.

‘ગાંધી ચિત્રકથા’ના મરાઠી, તમિળ, તેલુગુ અને મલયાલમ અનુવાદો જે તે રાજ્યોની ‘ગાંધી સ્મારક નિધિ’ઓએ કરાવ્યા. હવે તેના કન્નડ, બંગાળી, અસમિયા અને પંજાબી અનુવાદો પણ ઉપલબ્ધ છે. અમેરિકામાં ગાંધીજીના પગલે અશ્વેતોના અધિકાર માટે અહિંસક ચળવળ ચલાવનાર ડૉ. માર્ટીન લ્યુથર કિંગ જૂનિયરનાં પત્ની કોરેટા કિંગના હાથે આ પુસ્તકના અંગ્રેજી અનુવાદનું લોકાર્પણ થયું હતું.

ગાંધીશતાબ્દી દરમ્યાન થતાં ચિત્રપ્રદર્શનોમાં તેમનાં ચિત્રો મુકાતાં અને કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, સ્વામી ચિન્મયાનંદ જેવા મહાનુભાવો સહિત ઘણા લોકો તેનો લાભ લેતા. ગુજરાતના સર્વોદય મેળાઓમાં પણ એમનાં ચિત્રો મુકાતાં.

૧૯૭૫ – આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ નિમિત્તે સરલાદેવીએ ઉપનિષદકાળથી લઈ તત્કાલીન સમય સુધીના કાલખંડ દરમ્યાન પ્રસિદ્ધ થયેલી મહિલાઓનાં ચિત્રો કર્યાં. આ ચિત્રો ટૂંકાં લખાણો સાથે અનેક જગ્યાએ પ્રદર્શિત થયાં. આવનારી પેઢીઓ માટે કલા અને જીવનનો ભવ્ય વારસો મૂકી 2001માં સરલાદેવી મઝુમદારે ચિરવિદાય લીધી.

વધતી જતી હિંસાનો પ્રતિકાર કેમ કરવો એ એક મોટી સમસ્યા આજે બધા દેશોને મૂંઝવી રહી છે. તે સાથે ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આફતો અને કોવિડ – ૧૯ જેવી મહામારીએ વિશ્વને ઘેર્યું છે. સૌ પોતપોતાની રીતે પોતાની જીવનશૈલી અંગે સભાન થઈ રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધીના જીવન, કાર્ય અને વિચારોનું ફરી એક વાર અવલોકન કરવા જેવું છે.

એક રસપ્રદ વાત – આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે આઠેક વર્ષના એક બાળકે બાપુને ગોળી વાગી રહી છે એવું ચિત્ર જોઈ દુ:ખી થઈને સરલાદેવીને એ ચિત્ર કાઢી નાખવા કહ્યું. સરલાદેવીને ખ્યાલ આવ્યો કે એક સાદા ચિત્રથી પણ બાળકના મન પર કેવી અસર થઈ શકે છે. તેમણે તરત એ ચિત્રને દૂર કર્યું. 

બીજી એક રસપ્રદ વાત. વિદેશમાં પણ ગાંધી વિચારનો પ્રચાર કરતી સંસ્થાઓ છે. તેવી એક અમેરિકા, કેનેડા સ્થિત સંસ્થાનો ૨૦૧૯માં સંપર્ક કરીને આ પુસ્તકની નવી આવૃત્તિ વિષે તેમને જાણકારી આપી તેના જવાબમાં તેમણે તેમની લાઈબ્રેરીમાં રહેલી ૫૦ વર્ષ જૂની ‘ગાંધી ચિત્રકથા’નો ફોટોગ્રાફ મોકલી આપ્યો. આમ આ પુસ્તકની પરદેશમાં પણ નોંધ લેવાઈ હતી.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઑક્ટોબર 2021

Loading

...102030...1,6981,6991,7001,701...1,7101,7201,730...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved