Opinion Magazine
Number of visits: 9674571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમનું અદ્ભુત ઊર્મિકાવ્ય – ‘The Gift of Magi’

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|24 December 2021

Love is responsibility of an ‘I’ for ‘thou’ પરંતુ સાંપ્રત ભૌતિકવાદી સમયમાં માણસને સંબંધોમાં રહેલું છીછરાપણું સતત પજવે છે, અને એવું જ માણસના પ્રકૃતિ કે પરમ તત્ત્વ સાથેના સંબંધનું પણ છે. પૂરી તીવ્રતાથી, પૂરી ઉત્કટતાથી અને પૂરી સભાનતાથી આપણે સંબંધ જોડી શકતા નથી, તેથી સંગતિ (Meeting) અધૂરી જ નહિ અણપ્રિછી રહી જાય છે. (1) સંબંધોનું ક્ષેત્રફળ માપવામાં સંબંધોનું ઊંડાણ જાણવાનું આપણે ચૂકી જઈએ છીએ.

પ્રેમ અને પીડા એક સિક્કાની બે બાજુઓ છે. ઘણાં લોકો પ્રિયજનને પામવાની અદમ્ય ઈચ્છામાં જીવનભર શેકાતા રહે છે. પરંતુ પ્રેમ તો વિસર્જનની પ્રક્રિયા છે, સુગંધ પુષ્પના સૂક્ષ્મ વિસર્જનનું જ પરિણામ છે. પ્રેમની પરિસમાપ્તિ અનહદ આનંદમાં જ હોય છે, લાગણી કે પ્રેમને પૈસા, પાવર કે પોઝિસન સાથે ઝાઝો સંબંધ નથી એનો સાચો સંબંધ અદૃવ્ય (Non matter) સાથે હોય છે. ‘પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે, પ્રેમ તો દિલની સચ્ચાઈ માગે છે’. પ્રેમની ઉદ્દાત લાગણીને અભિવ્યક્ત કરતી, પ્રેમમાં સર્વસ્વના  સમર્પણની ભાવનાને રજૂ કરતી,  ‘તેન ત્યક્તેન ભુંજિથા’ની ભારતીય ભાવનાને સાંગોપાંગ રજૂ કરતી, ઓ હેનરીની ટૂંકીવાર્તા ‘The Gift of Magi’ વિશે અહીં ચર્ચાનો ઉપક્રમ છે.

‘કથાવિમર્શ’માં નરેશ વેદ નોંધે છે તેમ – ‘ટૂંકીવાર્તા કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં મુકાયેલ એક પાત્રની એક ક્ષણ પર મંડાયેલી હોય છે. એ એક પાત્રને એક વિશિષ્ટ પશ્ચાદભૂ અથવા પરિવેશ સમક્ષ મૂકે છે અને એ પરિસ્થિતિમાંના એનાં ભૌતિક કે માનસિક કાર્યને આલેખે છે, એના હાર્દમાં હોય છે સંઘર્ષનું તત્ત્વ’ (2) સંઘર્ષ માનવજીવનની નિયતિ છે. જીવનયાત્રાના માર્ગમાં દરેક વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે છે . જીવનમાં દરેક ઘટના આપણી યોજના કે ઈચ્છા મુજબ ન થાય, વિઘ્ન કે અડચણ આવે તો માણસ દુઃખી થાય, વ્યગ્ર કે અસ્વસ્થ થઇ જાય. આર્થિક બાબતોનો અભાવ કે નાણાંભીડ એક એવી જ બાબત છે. પૈસા, પ્રેમ સિવાયની દરેક બાબતને પ્રભાવિત કરે છે અને અંતે સાચો પ્રેમ વિજયવંત બનીને બહાર આવે જ છે.

સાંપ્રત વિશ્વની સૌથી મોટી સમસ્યા માનવીય સંબંધોનો હ્રાસ છે. વિશેષ કરીને આજની  ઉપભોક્તાવાદી દુનિયામાં ભૌતિકતા પાછળ દોડતો માણસ લાગણીભર્યા માનવીય સંબંધોની દોડમાં પાછળ રહી ગયો છે. પતિ પત્ની વચ્ચેના દામ્પત્યજીવનમાં શુષ્કતા અને લાગણીહીનતાનું વાતાવરણ પ્રવર્તે છે. તેવા સમયમાં અમેરિકન વાર્તાકાર વિલિયમ સિડની પોર્ટર(ઓ.હેનરી)ની 1905માં પ્રગટ થયેલી ટૂંકીવાર્તા ‘The Gift of Magi’ (ગુજરાતી અનુવાદ – ‘ રજવાડી ભેટ) (3) આજે પણ એટલી જ આકર્ષક, અસરકારક અને યથાર્થ લાગે છે. પ્રસન્ન દામ્પત્યનો પ્રેરણાદાયક અનુભવ કરાવતી ‘ધ ગિફ્ટ ઓફ માગી’  પતિપત્ની વચ્ચેના અણમોલ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જીવનનો સાચો આનંદ કશુંક મેળવી લેવામાં, કશુંક પ્રાપ્ત કરવામાં નથી પણ ત્યાગમાં છે, કુરબાનીમાં, બલિદાનમાં છે. ઇશાવાસ્ય ઉપનિષદ કહે છે તેમ ‘તેન ત્યક્તેન ભુંજીથા’ ત્યાગીને આનંદ માણવામાં છે. ઘણાં લોકો પ્રિયજનને ખુશ કરવા નાનાવિધ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ કરતાં હોય છે, ધન દોલત કે સંપત્તિની ચમક દમકથી એને આંજી નાખવા માંગતા હોય છે . હા, ‘પૈસાની ચમક દમકથી સ્ત્રીને આકર્ષી શકાય છે, પરંતુ એકવાર સંબંધમાં બંધાયા પછી સ્ત્રીઓને મન પૈસા, સુખ –સાહ્યબીની સરખામણીએ પોતાની લાગણીઓની માવજત, હૂંફ અને એક વ્યક્તિ તરીકેનું તેનું મહત્ત્વ વધારે અગત્યનું બની જાય છે.’ (4)  પોતાની પ્રિય ચીજ વસ્તુ કે પૈસા કરતાં સ્ત્રી પ્રિયજનને વધુ મહત્ત્વનું ગણે છે. તેને મન સંબંધનું મહત્ત્વ વધારે છે. ઓ હેનરીની આ વાર્તા આર્થિક ભીંસની વચ્ચે પણ એકબીજા માટે નાતાલની ભેટ ખરીદવા એક યુવાન દંપતી કેવો સંઘર્ષ કરે છે, તેની વાત માંડે છે.

 ત્રીજા પુરુષ કથક દ્વારા કહેવાયેલી હોવાથી ‘ધ ગિફ્ટ ઓફ માગી’ ( રજવાડી ભેટ) ભાવકોમાં એક પ્રકારની વિશ્વસનીયતા ઊભી કરે છે.

‘સ્ત્રી પુરુષના સંબંધોમાં ‘પ્રેમ’ જેવી અદ્ભુત અને અનિવાર્ય લાગણી બીજી કોઈ નથી.’ – આ વિધાનને ચરિતાર્થ કરનાર આ ટૂંકીવાર્તાના પાત્રો છે જીમ અને દેલા. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ઉપરના માળે પચાસ રૂપિયાના ભાડાના મકાનમાં રહેતા આ યુવાદંપતીનો ભૂતકાળ ભવ્ય હશે એવું અતીતની યાદો પરથી લાગે છે. ભૂતકાળમાં સારો પગાર મેળવનાર જીમની, જેમ્સ ડિલિંગહેમ યંગના નામની નીચેના દરવાજે લાગેલી નેમપ્લેટ એના ભવ્ય ભૂતકાળની ચાડી ખાય છે. તે સમયે ડિલિંગહેમ નામ સમાજમાં મોભાદાર ગણાતું, પણ હવે આવક ઓછી થવાની સાથે જ … ‘નાણાં વગરનો નાથિયો ..’ની જેમ સમાજમાં તેનો માન મરતબો ઘટવા માંડે છે. સાથે નામ પણ સંકોચાઈને ‘D’ પૂરતું સીમિત થઇ જાય છે. નિમ્ન મધ્યમવર્ગીય ગણી શકાય એવું ઘર, ખપ પૂરતું રાચરચીલું, ઘરના ડોરબેલ પર ન કોઈનો હાથ પડ્યો છે, ન કોઈ મહેમાન આવે છે, કોઈ કાગળ કે સંદેશની તો વાત જ કેવી ? આર્થિક તંગી સામાજિક સંબંધોને કેટલી બૂરી રીતે પ્રભાવિત કરે છે !! આવી કપરી, અછત અને અભાવની પરિસ્થિતિ વચ્ચે પણ ઘરનાં ધણી ધણિયાણી વચ્ચે ભરપૂર પ્રેમ હતો. પ્રેમ કે લાગણીનો અભાવ ક્યારે ય નથી થયો. બંનેનું દામ્પત્ય પ્રસન્ન અને સુમધુર હતું . દેલાને મન પૈસા કરતાં પતિનો પ્રેમ વધુ મહત્ત્વનો છે. પોતાની લાગણીઓને સારી રીતે સમજતો જીમ જ એનું સર્વસ્વ છે. આમ પણ સ્ત્રીઓને મન પૈસા, સુખ સાહ્યબીની સરખામણીએ પોતાની લાગણીઓની માવજત, હૂંફ અને એક વ્યક્તિ તરીકેનું તેનું મહત્ત્વ વધારે અગત્યનું બની જાય છે.’

‘ધ લાસ્ટ લીફ’, ‘ધ રેનસમ ઓફ રેડચીફ’ અને ‘ધ કોપ એન્ડ ધ એન્થમ’ જેવી લોકપ્રિય કૃતિઓના સર્જક અને અમેરિકાના મોપાંસા તરીકે જાણીતા વાર્તાકાર ઓ હેનરીનો જન્મ 11 સપ્ટેમ્બર 1862માં ઉત્તર કેરોલિનાના ગ્રીન્સબરોમાં થયો હતો. (મૃત્યુ 1910 ન્યુયોર્ક). ટૂંકીવાર્તાને અંતે તણખાની જેમ આશ્ચર્યજનક અંત માટે જાણીતા વાર્તાકાર વિલિયમ સિડની પોર્ટરની આ ટૂંકીવાર્તાનું સૌંદર્ય Irony છે. વાર્તાનું શીર્ષક જ વક્રતાનું સૌંદર્ય પ્રગટ કરનારું છે.’ ધ ગિફ્ટ ઓફ માગી (અંગ્રેજીમાં Magi – મજાઈ)  સામાન્ય વર્ગના દંપતી જીમ અને દેલાનો ઉદ્દાત પ્રેમ અભિવ્યક્ત કરવા લેખક શીર્ષક દ્વારા કથાનો તંતુ બાઈબલની જાણીતી કથા સાથે જોડે છે. જેમાં આજથી બે હજાર વર્ષ પૂર્વે બેથલેહેમની ધર્મશાળાની ગમાણમાં જન્મેલા ઉદ્ધારક, રાજાઓના રાજા અને માનવજાતના મસીહા પ્રભુ ઈસુને સન્માનવા, અર્ચન આરાધન માટે પૂર્વના ત્રણ સુજ્ઞપુરુષો લાંબી મજલ કાપીને આવે છે. તેઓ નવા જન્મેલા રાજાને અતિ મૂલ્યવાન ભેટસોગાદોનું અર્પણ ચઢાવે છે. નાતાલ પ્રસંગે ભેટ આપવા લેવાની કળા જગતને શીખવાડનાર અ ત્રણ સુજ્ઞપુરુષો ઈરાનના મગ પ્રદેશના માગી – રાજપુરોહિતો હોવાનું મનાય છે. તેઓ જ્યોતિષ, ખગોળ, તારા, નક્ષત્રોના જાણકાર હતા અને પોતાના પ્રાચીન જરથોસ્તી ગ્રંથોની ભવિષ્યવાણી – ‘ મનુષ્ય મહાપ્રકાશની ઉજ્જવળતા સગી આંખે નિહાળવા પામશે’(5)ને  આધારે તેઓ યાકોબના વંશમાં જન્મનાર સિતારાની રાહ જોઈ રહ્યા હતા. હવે જે દિવસે આકાશમાં તેમણે પ્રકાશિત તારાની નિશાની જોઈ, ત્યારે આ રાજપુરોહિતોએ પોતાની સઘળી સંપત્તિ વેચીને, બાળરાજાને ચરણે ધરવા અતિ મૂલ્યવાન નજરાણારૂપે નીલમ, માણેક અને મોતી તથા સોનું રૂપું, બોળ અને લોબાન ખરીદ્યું અને દુર્ગમ વાટની વિપત્તિઓ વટાવતાં બેથલેહેમ પહોંચી ગભાણમાં પોઢેલા બાળરાજાને ભેટ ચઢાવી. આ પ્રસંગ પછી વિશ્વમાં ક્રિસમસના તહેવાર પર ભેટ સોગાદની આપ લે એક પરંપરા બની ગઈ છે. વિશેષ કરીને પશ્ચિમના જગતમાં પ્રેમભેટનું શું મહત્ત્વ હોય છે એ આ ટૂંકીવાર્તા દર્શાવે છે. દેવપુત્ર પ્રભુ ઈસુના જન્મપ્રસંગે પૂર્વના માગીઓએ ઉત્તમોત્તમ ભેટથી તેમનો આવકાર કર્યો, તેમની સેવા કરી. ભેટમાં ભાવ (કિંમત) કરતાં ભાવના વધુ મહત્ત્વની હોય છે. પોતાના પ્રિયને આપવાની ભેટ તો ઉત્તમ જ હોય ને ? અને ઉત્તમ ભેટ માટે સર્વસ્વનું સમર્પણ કરવું પડે તો પણ તે તૈયાર હોય છે. વક્રતા એ છે કે આ ટૂંકીવાર્તાના નાયક નાયિકા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને પોતાના પ્રિયને ઉત્તમ ભેટ (રજવાડી ભેટ) આપવી છે!!

‘ગિફ્ટ ઓફ માગી’ વાર્તાનું કથાનક જીમ અને દેલા નામના બે પાત્રો ,પતિ પત્નીની આજુ બાજુ જ વિસ્તાર પામ્યું છે. વાર્તાનો કેન્દ્રવર્તી પ્રસંગ છે નાતાલની ભેટ ખરીદવા અંગેનો. વાર્તાની નાયિકા દેલા ક્રિસમસ (નાતાલ) પૂર્વે – આગલા દિવસે પોતાના પ્રિય પતિ જીમ માટે કશીક મૂલ્યવાન ભેટ ખરીદવા વિચારે છે. પરંતુ હાથમાં માત્ર પંદર રૂપિયા ને સિત્યાસી પૈસા (એક ડોલર સિત્યાસી સેન્ટ) જ છે અને તેમાં ય વળી સાડત્રીસ પૈસા તો છૂટું પરચૂરણ છે. આટલા પૈસા પણ દેલાએ શાકભાજી કે કરિયાણાવાળા સાથે ભાવમાં માથાકૂટ કરીને બચાવ્યા છે ! વાર્તાને પ્રારંભે આવતું આ વર્ણન જીમ અને દેલાની આર્થિક પરિસ્થિતિનો વાસ્તવિક ચિતાર આપે છે. ઘરની આર્થિક ભીંસથી દેલા પરેશાન છે. ટૂંકી આવક અને એમાં પાછું ઘરભાડું અને ઘરખર્ચ ? કરકસરથી જીવનનું ગાડું ગબડાવતા દંપતી પૈસા પૈસા માટે સંઘર્ષ કરે છે. આવી કંગાળ અને કપરી પરિસ્થિતિમાં પણ દેલા પોતાના પ્રિય જીમને કશુંક શ્રેષ્ઠ આપવા વિચારે છે. જીમ માટેની ભેટની ચીજ તો મહામૂલી જ હોવી જોઈએ – પોતાને જે સૌથી પ્રિય છે તેને માટેની ભેટ તો ઉત્તમોત્તમ જ હોવી ઘટે. કશુંક ફાંકડું, કશુંક વિરલ, કશુંક અફલાતૂન ખરીદવું છે, પણ શું ? મૂંઝવણ અને મનોમંથન અનુભવતી દેલા રૂમના મોટા, લાંબા આયના સામે ઊભી રહે છે, આયનો અહીં એક Prompt તરીકે પ્રયોજાયો છે જે કથાને વેગ આપે છે. આયનામાં જોતાં જ દેલાને એક વિચાર આવે છે, એની આંખ ચમકી ઊઠે છે, જાણે ઊપાય મળી ગયો ! પણ … તરત જ, વળતી પળે એના ચહેરાનો રંગ પડી જાય છે. એક સાથે બંને ભાવોનું તુમૂલ યુદ્ધ ચહેરા પર સર્જાય છે. આખરે એક નિર્ણય પર આવતી દેલા આયના સામે ઊભી રહીને પોતાનો અંબોડો છોડે છે . પગની પાની સુધી લાંબા સુંદર સોનેરીવાળનો ધોધ વહી આવે છે.

વાર્તાકથક ફરી ભાવકને રૂબરૂ કરાવે છે આ દંપતીની મૂલ્યવાન મતા સાથે. બંને પાસે એક એક મૂલ્યવાન ચીજ હતી. જીમ પાસે હતું બાપ દાદાની નિશાની સમું ‘સોનાનું ખિસ્સા ઘડિયાળ’ અને દેલાની મતા હતી એનો પગની પાની સુધી રેલાતો સોનેરી કેશકલાપ. બંને માટે અમૂલ્ય. દેલાના વાળની સુંદરતાનું મૂલ્ય શું છે ? એ તો લેખકે શેબાની રાણીનો સંદર્ભ ટાંકીને સ્પષ્ટ કરી દીધું છે. જુઓ – ‘રાજા સોલોમનને મળવા આવેલી શેબાની રાણી સામેના કપડાં સૂકવવાના ઝરૂખાવાળા મકાનમાં રહેતી હોત તો કોઈ દહાડો, દેલાએ, એ જુએ એમ પોતાના વાળ સૂકવવા માટે છુટ્ટા મૂકી દીધા હોત, ને એમ કરીને એણે રાણીના જર ઝવેરાતની, એની ભેટસોગાદોની વિસાત કોડીની કરી નાખી હોત ‘(6) શેબાની રાણી રાજા સોલોમનના જ્ઞાનથી પ્રભાવિત થઇ અઢળક ભેટ સોગાદો સાથે તેને મળવા આવી હતી. પરંતુ લેખકે આ અઢળક હીરા મોતી, ધન દોલતની ભેટ સોગદોને દેલાના સોનેરીવાળ સામે ક્ષુલ્લક બનાવી દીધી, કેમ કે એ બુદ્ધિથી પ્રેરાઈને અપાયેલી ભેટ હતી, જ્યારે દેલાના વાળ …. જે હવે પછીના સમયમાં પ્રેમની અમૂલ્ય ભેટ થવાની હોઈ, પૈસા કરતાં પ્રેમ કેટલો મહાન છે તે દર્શાવી આપ્યું છે.

‘પ્રેમ એ સંપૂર્ણતાનું બંધન છે, એ પહેરી લો.’ (ગીતોનું ગીત 8.7 બાઈબલ) જાણે આ વાત દેલાએ ધારણ કરી લીધી છે. સ્ત્રીનું એક આભૂષણ એના વાળ હોય છે. અહીં તો દેલાની ઓળખ સમા એને પ્રિય વાળ હતા અને છતાં પોતાના પ્રિય માટે, પોતાના જીમ માટે દેલા એ કુરબાન કરવા મન મક્કમ કરી તૈયાર થાય છે. પોતાની પ્રિયવસ્તુનો ત્યાગ કરવાની પળ ઓળખી લેવી પડે. દેલા એ પળ ઓળખી તૈયાર થઇ, છતાં સ્ત્રી સહજ સ્વભાવને કારણે આ વિચાર માત્રથી તે થોડી વાર તો ક્ષુબ્ધ થઇ ગઈ, આંખમાં આંસુ આવી ગયાં પણ મન મક્કમ હતું. મક્કમ મનોબળ સાથે એ વાળ ખરીદનાર મેડમ સેફ્રોનીની દુકાને ગઈ અને બસો રૂપિયામાં વાળનો સોદો કર્યો. પોતાના સુંદર, સોનેરીવાળ ગુમાવ્યાનું દુઃખ પોતાના પ્રિય જીમને માટે ક્રિસમસ ગિફ્ટ તરીકે અસ્સલ પ્લેટિનમની સાદી પણ ઘડામણીમાં અણિશુદ્ધ સાંકળી ખરીદવાની વ્યવસ્થા થઇ ગઈ તેના આનંદમાં ભુલાઈ ગયું. જીમની સોનાની ખિસ્સા ઘડિયાળ માટે દેલાએ પોતાના સોનેરીવાળના બદલે ખરીદેલી સાંકળી માત્ર ઘડિયાળ જ નહિ, પણ પતિપત્નીને બાંધનાર મજબૂત પ્રેમબંધનનું પ્રતીક પણ બની રહે છે.

જીમ માટે ભેટ લઈને ઘરે પહોંચ્યા પછી દેલા વિચારે છે કે વાળ કપાવી નાખવાથી જીમને ખરાબ તો નહિ લાગે ને ? પતિને ખરાબ ન લાગે તેની ચિંતા કરતી દેલા માથામાં ગુચ્છાંદાર ઝુલ્ફાં લગાવે છે, પણ સ્કૂલગર્લ જેવી લાગતી દેલા આયનામાં પોતાનું પ્રતિબિંબ જોઈ ડરી જાય છે. જીમ નારાજ ન થાય અને પોતે એને ગમતી રહે માટે પ્રભુને પ્રાર્થના કરે છે. – ‘ભલા ભગવાન, હજી ય હું રૂપાળી લાગું છું એવું જીમને લાગવા દેજે’.

સામાન્ય રીતે જીમ ક્યારે ય મોડો ઘરે આવતો નહોતો. પણ આજે દરરોજ કરતાં મોડો આવ્યો હતો અને થોડો ગંભીર પણ લાગતો હતો. કુટુંબની જવાબદારીએ આ બાવીસ વર્ષના નવજુવાનને જવાબદારીઓના બોજ તળે દાટી દીધો હતો. જીમ અનિમેષ નજરે દેલાને તાકી રહે છે, પણ નજરના ભાવ કળવા દેલા માટે મુશ્કેલ છે, કેમ કે જીમની આંખે ન ગુસ્સો, ન અચંબો, ન અસંમતિ, ન નારાજગી – જે ભાવની કલ્પના કરીને દેલા બેઠી હતી તેમાનું કશુંયે નહિ … જીમની આ નજર સહન ન થતાં દેલા જાતે જ કહી દે છે કે, – ‘… મેં મારા વાળ કપાવી નખાવ્યા છે, મેં એ વેચી કાઢ્યા છે તને નાતાલની ભેટ આપવા. તને ભેટ આપ્યા વિના મારાથી જીવાય એમ નહોતું.’ જીમને પ્રેમથી સમજાવતાં પોતે એને માટે કેવી સુંદર ભેટ લાવી છે તે કહે છે. સ્ત્રીને મન સંબંધનું મહત્ત્વ વધારે છે. ‘દરેક નારીમાં એક સંવેદનશીલ, લાગણીસભર, સંભાળ લેનાર આકર્ષક સ્ત્રી છુપાયેલી હોય છે. વાસ્તવિક જીવનમાં તે કેટલી હદે વ્યક્ત થશે તેનો આધાર સ્ત્રી પોતે પોતાની સાથે અને પુરુષ તે સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરે છે, તેના ઉપર છે.’ (7)

જીમ દેલાની વાતથી શૂન્યમનસ્ક થઇ ગયો છે. મહાપરાણે તેના મુખમાંથી એક વાક્ય નીકળે છે … ‘તેં તારા વાળ કપાવી કાઢ્યા ?’ કેટલું વિડંબનાત્મક, કેટલું વ્યંજનાત્મક અને વક્રતાપૂર્ણ છે !! જીમ જાણે  છે એના વાળનું મહત્ત્વ ! જીમને ખબર છે, જેને માટે બાપ દાદાની નિશાનીરૂપ વારસાગત અને પોતાને પ્રિય સોનાની ઘડિયાળ વેચી હતી એ વાળ ..!! એ વાળ કપાઈ ગયા હતા ? જીમનું આ દુઃખ એને નિરાશ કરી દે છે. જીમના દુઃખથી અજાણ દેલા મુગ્ધપણે એને પૂછે છે કે, -‘… જેવી છું તેવી હું તને ગમતી નથી ? વાળ વગર પણ હું જે છું તે જ છું.’ (પૃ.77 રજવાડી ભેટ) દાંપત્યજીવન જીવનની આ જ સૌથી મોટી મોકાણ છે, કે સૌંદર્ય ને કોઈ એક અંગ પૂરતું સીમિત ગણી લોકો એને જુએ છે પણ – ‘કોઈ એક વસ્તુ કે અંગમાં  સુંદરતા નથી સૌંદર્ય તો અખિલાઈમાં છે. દરેક દંપતીએ સમજવું જ રહ્યું.

જીમને હજુ પણ વિશ્વાસ બેસતો નથી, એને હજીયે આશા છે કે એ મજાક કરે છે. પણ  એની પાછળનું કારણ ભાવક જાણે છે. જ્યારે દેલા તો પોતાના કાર્યને, પોતાના ત્યાગને, બલિદાનને યોગ્ય ઠેરવવા પોતાનો પક્ષ મુકતી જાય છે – કે ‘ … આજ તો નાતાલની આગલી સાંજ છે … મારા પ્રત્યે ભલો થા. એ ગયા તો તારા સારું ગયા … પણ તારા પ્રત્યેના મારા પ્રેમનો તો કોઈ કદી અંદાજ લગાવી શકે એમ નથી.’ (પૃ.77 રજવાડી ભેટ) જીમ ધીરે ધીરે તંદ્રામાંથી જાગે છે અને કોઈ ભયાનક દુ:સ્વપ્નમાંથી બહાર આવ્યો હોય એમ, દેલાને બાહુપાશમાં લઈ તેના પ્રત્યે લાગણી દર્શાવતાં, પોતાના દૈનિક જીવનના આર્થિક હિસાબોની ગણતરીને ક્ષુલ્લક ગણાવે છે પોતાના પ્રિય પાત્રને ખુશ કરવા, દેલાની ભેટને અણમોલ સાબિત કરવા બે હજાર વર્ષ પહેલાની ઘટનાને યાદ કરે છે. – બેથલેહેમની ગમાણમાં જન્મેલા બાળઈસુના દર્શને પૂર્વના માગીઓ આવ્યા હતા, એ રાજવી પ્રવાસી, માગીઓની ભેટ – નજરાણામાંનું તો અહીં કઈ હતું નહિ ! તો શું હતું ? જીમ પોતાના ઘસાઈ ગયેલા ઓવરકોટમાંથી એક પડીકું કાઢીને ટેબલ પર ફેંકે છે અને પોતાના મનની વાત દેલાને કહે છે .. – ‘ચાહે કેશકર્તન હો, ચાહે ટકો – મૂંડો … હું નથી માનતો કે આમાંનું કંઈ કરતાં કંઈ મારી વહાલકુડી ભણીનો મારો લગાવ ઘટાડી નાખે …’ (પૃ. 78 રજવાડી ભેટ) જીમના અંતરનો આ ઉદ્દગાર દેલા પ્રત્યેના એના અસીમ પ્રેમનું પ્રમાણ છે. દેલાને એ પડીકું ખોલીને જોવા કહે છે, જેથી થોડીવાર પહેલાં દેલાની વાળ કપાવી નાખવાની વાત સાંભળી શૂન્યમનસ્ક થઇ ગયેલા જીમની માનસિક સ્થિતિનો ખ્યાલ આવશે.

પડીકું ખોલીને જોતાં જ દેલા આનંદથી ઉછળી પડે છે પણ તરત જ વળતી પળે એક ફળફળતો અફસોસ નીકળી પડે છે. સ્ત્રીસહજ આંસુની સાથે એનું આક્રંદ કોઈના આશ્વાસનથી પણ શમે એવું નહોતું. દેલાના આક્રંદનું કારણ જીમની ભેટ હતી – ત્રણ સુંદર કાંચકાઓનો સેટ !! આજ Irony, આજ વાર્તાનું સૌંદર્ય ! કારણ કે જીવતરની વિડંબના કહો કે વિધિની નિષ્ઠુરતા.  સમયે માણસની માંગ પૂરી થતી નથી …! પોતાના જે સુંદર લાંબા વાળ માટે દેલા, ઘણાં સમયથી કાચબાના શુદ્ધ કવચમાંથી બનાવેલા આ કિંમતી કાંચકા ખરીદવા ઈચ્છતી હતી પણ … પૈસાની સગવડ નહોતી !! કેટલીયે વાર દેલા દુકાનની બારીમાંથી એ કાંચકાને જોયા કરતી અને વિચારતી કે જીવનમાં ક્યારે ય એ મળશે એ આશા નહિવત હતી, કાંચકા મેળવવા એનું હૈયું કેટલું ઝંખ્યું હતું ! જે અસંભવ હતું તે સંભવ થયું હતું, આજે એ સુંદર, કલાત્મક કાંચકા એના હતા પણ …. અફસોસ ! જે સુંદર વાળ માટે આ કાંચકા હતા એ જ નહોતા !!  એનો એ સોનેરી કેશકલાપ જ ચાલ્યો ગયો હતો. માનવજીવનની આજ વિડંબના છે. ઓ હેનરીએ આ વાર્તાનું ઘડતર જ Ironyથી કર્યું છે. નિયતિ માનવીની કેવી મશ્કરી કરે છે કે, સમયે જેની જરૂર હોય તે વસ્તુ સમય વીતી ગયા પછી મળે ! દેલા યથાર્થને સ્વીકારતી કાંચકાને પ્રેમથી છાતી સરસા ચાંપી રાખી આંખોમાં આંસુ અને હોઠો પર આછું સ્મિત લાવી જીમને આશ્વાસન આપે છે કે, -‘મારા વાળને વધતાં વાર નથી લગતી, જીમ!’

પેલા હિન્દી ગીતની જેમ – ‘જગને છીના મુજસે, મુજે જો ભી લગા પ્યારા’ની જેમ  વિધિની મજાક હજુ પૂરી થઇ નહોતી, જીમે હજુ સુધી દેલાની ભેટ જોઈ નહોતી. માનવભાગ્યની વક્રતા તો જુઓ, દેલાએ ખુલ્લી હથેળીમાં જીમ આગળ પોતાની ભેટ ધરી – ‘દેલાની ઝગમગતી ને ઉમંગથી છલકાતી ભાવનાનું એ જડ મૂલ્યવાન ધાતુ જાણે પ્રતિબિંબ પાડતી ઝળકી ઉઠી હોય એમ લાગ્યું’. પોતે કેટલી મહામહેનતે આ ભેટ શોધી હતી તેની વાત કરતાં દેલા, જીમ પાસે એની ઘડિયાળ માંગે છે. ઘડિયાળ પર આ સાંકળી કેવી લાગે છે તે મારે જોવું છે. પરિસ્થિતિને પામી ગયેલો જીમ વાતને વાળી લેવા કહે છે કે, – ‘દેલ ચાલ, નાતાલની આપણી ભેટો આપણે કોરે મૂકી દઈએ અને થોડી વાર પૂરતાં મૂંગા મરી રહીએ. આપણી ભેટો એટલી સરસ છે કે હાલ પૂરતી આપણાથી એને વપરાય તેમ નથી. તારે સારું આ કાંચકા ખરીદવા મેં મારું ઘડિયાળ વેચી દીધું …..’ પતિ પત્ની બંનેએ પોતાના પ્રિયપાત્રને ઉત્તમોત્તમ ભેટ આપવા પોતાની સૌથી વહાલી વસ્તુનું બલિદાન આપ્યું હતું. ભલે એ ભેટ હાલ પૂરતી નકામી સાબિત થઈ હોય પણ તેનું મૂલ્ય એની કિંમત અણમોલ સાબિત થઈ. એકબીજા માટે સર્વસ્વનું સમર્પણ કરવાની ભાવના જ પ્રેમનું પાયાનું પરિબળ છે. ભેટ આપનારની ભાવના અને પ્રેમની લાગણી શુદ્ધ હ્રદયનું દર્શન કરાવે છે. પ્રેમની સુંદરતાને, પ્રેમના સત્યને તે જ જાણે છે જેની દૃષ્ટિ નિર્મળ છે. જેનું હૃદય પવિત્ર છે. વિશ્વમાં સર્વત્ર આનંદને પ્રત્યક્ષ કરવામાં પછી તેને ક્યાં ય કશી બાધા નડતી નથી. વાર્તાકાર ઓ હેનરી ઉદ્દાત પ્રેમનું દર્શન જીમ અને દેલાના પાત્રો દ્વારા કરાવે છે ખરા પણ … એમનો મૂળ ઉદ્દેશ તો દેવના પ્રેમને દર્શાવવાનો છે કેમ કે, દેવે આ પાપી જગતના ઉદ્ધાર માટે પોતાના એકાકીજનિત દીકરાને આપ્યો અને એમ કરીને પોતાનો પ્રેમ આપણાં પ્રત્યે દર્શાવ્યો. જુઓ વચન કહે છે કે – ‘For God so loved the world that He gave His only Son, so that everyone who believes in Him shall not perish but have eternal life’ (John 3:16 KJV) અને આ દિવ્યપ્રેમના પુરસ્કાર માટે, અદ્ભુત અવતરણને આવકારવા આવેલા માગી સુજ્ઞ પુરુષોએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી ઉદ્દાત પ્રેમનું દુન્યવી ઉદાહરણ પૂરું પાડ્યું. જીમ અને દેલાનો  પ્રેમ એ ગોત્રનો છે. તેમની નજર પ્રભુ ઈસુના પ્રેમ પર છે. આ દુન્યવી જગતમાં તેમણે ‘કેટલા આઘાત, કેટલા અપમાન અને વધસ્થંભ પર કેટલી વેદના વેઠી !! તેમની આસપાસ માણસની જે બધી નિષ્ઠુરતા, સંકુચિતતા અને પાપ રહેલાં છે તે પણ તેમના ચરિત્રની મૂર્તિના ઉપાદાન છે. પંક ને પંકજ જેમ સાર્થક બનાવે છે તેમ જ માનવજીવનના સમસ્ત અમંગલને તેમણે પોતાના આવિર્ભાવ દ્વારા સાર્થક કરી બતાવ્યું છે’.(8)

‘ઈચ્છાની અંતિમ ચરિતાર્થતા પ્રેમમાં છે. પ્રેમમાં શા માટે, શું થશે ? વગેરે પ્રશ્નો હોઈ શકતા જ નથી; પ્રેમ પોતે જ પોતાનું લક્ષ્ય છે. વિના પ્રયોજને સમસ્તનો ત્યાગ કરવો.  ત્યાગ સાથે પ્રેમનો એક ભારે સંબંધ છે, એવો સંબંધ કે કોણ પહેલો ને કોણ પછી એ નક્કી કરવું મુશ્કેલ થઇ પડે. પ્રેમ વિના ત્યાગ સત્ય બનતો નથી, વળી ત્યાગ વિના પ્રેમ સત્ય બની શકતો નથી.’(9)

પરિસ્થિતિજન્ય વક્રતા (Situational Irony) અને નાટ્યાત્મક વક્રતા(Dramatic Irony)નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતી આ ટૂંકીવાર્તાનું મૂળ કથાનક Fabulaથી આકાર પામ્યું છે. ઘટનાઓને કાળક્રમે ગોઠવીને કથક એની પુન: પ્રસ્તુતિ કરે છે. કૃતિમાં આર્થિક તંગી, સંઘર્ષ પેદા કરનારું પરિબળ બને છે. જેને કારણે નાયક – નાયિકામાં દુઃખની લાગણી સાથે પ્રેમ પણ પ્રગટે છે અને પોતાના પ્રિય માટે સર્વોત્તમ સમર્પિત કરવાની ભાવના જન્મે છે. સહજીવનની સફળતાનો આધાર એકબીજા સામે બેસીને આંખમાં આંખ પરોવવામાં નથી પરંતુ એકબીજા સામે બેસી એક જ દિશામાં આંખ દોડાવવામાં છે. આપણે ત્યાં કરોડો લગ્નો થાય છે પણ એમાંથી યુગલ કેટલાં એ મોટો પ્રશ્ન છે ? ‘ધ ગિફ્ટ ઓફ માગી’ (રજવાડી ભેટ) આદર્શ યુગલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પતિ પત્ની વચ્ચેના અનન્ય પ્રેમ અને ત્યાગની  આ સર્વકાલીન કથા આજે પણ એટલી જ યથાર્થ લાગે છે.

e.mail : arvindvaghela1967@gmail.com

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ      

દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર

વિકિપીડિયા – ઓ હેનરી 

બાઈબલ – kjv

(1)  (પૃ.165,166 . સાયલન્સ ઝોન – ગુણવંત શાહ)

(2)  (પૃ.97. કથાવિમર્શ – નરેશ વેદ)

(3)  ( ગુજરાતી અનુવાદ – ‘રજવાડી ભેટ – દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર)

(4) (પૃ.૩૩  પણ હું તો તને પ્રેમ કરું છું. લેખક – હંસલ ભચેચ)

(5) (પૃ.૧૨૬ ચોથો સુજ્ઞ પુરુષ. દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર)

(6) (પૃ. 73 રજવાડી ભેટ. દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર)

(7)  (પૃ 217 હું તો તને ..) 

(8) (પૃ.144  – પ્રવચન શાંતિનિકેતન)

(9) (પૃ.12   –  પ્રવચન શાંતિનિકેતન)

Loading

એક ફોટોજર્નાલિસ્ટનું ચંબલના ડાકુઓ સાથેનું એસાઇમેન્ટ …

કિરણ કાપુરે|Opinion - Opinion|24 December 2021

ફોટોજર્નાલિસ્ટ તરીકે પ્રશાંત પંજિયારનું નામ જાણીતું છે. ફોટોજર્નાલિસ્ટનું કાર્ય છબિ દ્વારા ન્યૂઝ સ્ટોરી દર્શાવવાનું છે અને પ્રશાંત પંજિયારની તે બાબતે ખ્યાતિ આંતરરાષ્ટ્રિય સ્તર સુધી પહોંચી છે. તેઓએ ‘ઇન્ડિયા ટુડે’ અને ‘આઉટલુક’ જેવાં મીડિયા સંસ્થાનોમાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમના વિશે વાત કરવાનો ઉપક્રમ એટલો જ કે હાલમાં તેમનું એક પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’ પ્રકાશિત થયું છે. પુસ્તકના પ્રકાશક નવજીવન ટ્રસ્ટ છે અને તેમાં પ્રશાંત પંજિયારે તેમની તસવીર સાથે પૃષ્ઠભૂમિમાં રહેલી અજાણી સ્ટોરીઝને મૂકી છે. તેમનું સૌથી પ્રસિદ્ધિ અને પ્રશંસા પામેલું કાર્ય ચંબલ ઘાટીનું છે, જ્યાં તેમણે વર્ષો સુધી રહીને ત્યાંના ડાકુઓનું તસ્વીરી દસ્તાવેજિકરણનું કામ કર્યું. તે સિવાય પણ એંસી-નેવુંના દાયકાની મહત્ત્વની ઘટનાઓના પ્રશાંત સાક્ષી રહ્યા છે. પ્રશાંતનાં કાર્યનું ફલક વ્યાપક છે પણ તેની ઝલક તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’માં જોઈ શકાય છે.

ફોટોજર્નાલિસ્ટ તરીકે ભારતનો ઇતિહાસ ઉજ્જવળ નથી અને સ્થાનિક ભાષાઓના અખબારોમાં તો આજે પણ તેઓની સ્થાયી જગ્યા નથી. અંગ્રેજી અખબારો અને મેગેઝિનોમાં ફોટોજર્નાલિસ્ટોને અવસર આપ્યા છે અને આ અવસર હજુ તો આપવાની શરૂઆત થઈ હતી તે વખતે પ્રશાંતે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તે વખતે કંઈ કારકિર્દી ઘડવાનો ઇરાદો નહોતો, બસ શોખથી ફોટોગ્રાફીની શરૂઆત થઈ. ફોટોગ્રાફી કરવી તે નિજાનંદ તો હતો જ, પણ ખૂબ જલદી તેઓ ચંબલના એક એસાઇમેન્ટ સાથે સંકળાયા. કામ હતું ચંબલની ઘાટીમાં ડાકુઓ વિશે જાણવા-સમજવાનું. ચંબલ ઘાટી ડાકુઓ માટે કેન્દ્રસમી રહી છે. દેશના મધ્ય વિસ્તારમાં આવેલાં આ ક્ષેત્રમાં સામંતી અને જાતિ વ્યવસ્થાની સામે બળવો કરીને ડાકુની ટોળકીમાં સામેલ થવું સામાન્ય હતું.

પ્રશાંતે ડાકુઓની આ દુનિયા જોઈ ત્યારે જે કલ્પના કરી હતી તેનાથી તદ્દન જુદું હતું. પ્રશાંત એક મુલાકાતમાં નોંધે છે કે, તેઓ ફિલ્મોમાં દર્શાવવામાં આવતાં ડાકુઓથી તદ્દન જુદા હતા. સામાન્ય રીતે ફિલ્મોમાં ડાકુઓ કુર્તા પહેરતા અને તેઓના ખભે અથવા કમરમાં કારતૂસો રહેતી અને સાથે તેઓ ઘોડા પર જ આવતા. પરંતુ પ્રશાંત જ્યારે ચંબલ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની પાસે ઘોડા કે વાહનો નહોતાં. ચાલીને જ તેઓ સફર કાપતા અને સામાન્ય રીતે પોલીસનો યુનિફોર્મ પહેરતા હતા. સૌથી અગત્યનું કે ડાકુગીરીથી થતી તેમની કમાણી ખૂબ નહોતી, બલકે એવું કહી શકાય કે શહેરમાં એક સામાન્ય ચોર કરતાં પણ તેઓની પાસે ઓછા પૈસા રહેતાં.

પ્રશાંતને જ્યારે ચંબલમાં જવાનું થયું તે કાળે ફૂલનદેવીની ગેંગે 22 રાજપૂત લોકોને મારી નાંખ્યા હતા તે ઘટના તાજી હતી. આ ઘટનાની પ્રતિક્રિયા એટલી તીવ્ર આવી કે તત્કાલિન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વી.પી. સિંઘે રાજીનામું આપ્યું હતું. બસ, આ પછી કલ્યાણ મુખરજી નામના એક રિસર્ચ સ્કોલર પ્રશાંત પાસે આવ્યા. કલ્યાણને ડાકુઓના સમાજ પર એકેડેમિક રિસર્ચ કરવું હતું. થોડો વિચાર કર્યા બાદ એક અન્ય સાથી બ્રિજરાજ સિંઘ સાથે તેઓ ચંબલ જવા ઉપડ્યા.

પોતાના ખર્ચે પ્રોજેક્ટ પાર પાડવાનો હતો એટલે તેમાં ઝડપથી કામ કરવાનો પણ ઉદ્દેશ હતો. પરંતુ જ્યારે પ્રશાંત, કલ્યાણ અને બ્રિજે આ કામ ઉપાડ્યું અને તેઓ ચંબલના કેટલાક ક્ષેત્રમાં જઈ આવ્યા ત્યારે તેમને લાગ્યું કે આપણે એક ડાકુની ગેંગ ઉપર જ પુસ્તક કેમ ન લખીએ? તે વખતે મલ્ખનસિંઘ નામના ડાકુની ગેંગ કુખ્યાત હતી. મલ્ખનસિંઘ ‘બાઘી’ બન્યો હતો તેના માલિકના અત્યાચાર સામે. તેની બગાવત તેને દાસ્યૂ સમ્રાટ ગેંગનો મુખિયા બનાવ્યો હતો.

મલ્ખનસિંઘને મળવાનો રોમાંચ પ્રશાંતને હતો, પણ આ સાહસમાં જોખમેય હતું. જે વ્યક્તિને પોલીસ શોધતી હોય તેની પાસે પહોંચવું પ્રશાંત અને તેમના સાથીઓ માટે સરળ નહોતું. પહેલાં તો પ્રશાંત અને તેના સાથીઓ એવાં સ્થાને પહોંચ્યા જ્યાં તેમને મલ્ખનસિંઘના ગેંગના ઇન્ફોર્મર હોવાની બાતમી મળી. આ ઇન્ફોર્મરો પાસે તેઓએ મળવાનો મેસેજ મોકલ્યો. મલ્ખનસિંઘે તેમાં કોઈ રસ ન દાખવ્યો. પરંતુ જ્યારે તે આત્મસમર્પણનો વિચાર કરવા લાગ્યો ત્યારે તેણે પ્રશાંત અને તેના સાથીઓને મળવાનો સમય આપ્યો. એકાદ વર્ષ બાદ આ સંયોગ ઊભો થયો હતો અને રાતની મુસાફરી કરીને તેઓ મલ્ખનસિંઘના ગેંગના ઠેકાણે પહોંચ્યા. તે જાણતો હતો કે ત્રણ પત્રકારો તેની શોધખોળ કરી રહ્યા છે. પ્રશાંત કહે છે કે જ્યારે તેને પહેલીવાર મળ્યા ત્યારે તેને લાગ્યું કે અમે તટસ્થ પત્રકારો છીએ અને તેના આત્મસમર્પણ વિશે મધ્ય પ્રદેશ સરકાર સાથે વાતચીત કરીશું. જો કે અમે તો વળતી વેળા સુધી અમારું કામ કરી ચૂક્યા હતા. અમારી પાસે મલ્ખનસિંઘની માહિતી અને છબિઓ આવી ચૂકી હતી.

આ મુલાકાત પછી મહિનામાં જ મલ્ખનસિંઘે આત્મસમર્પણ કર્યું અને પછીથી પ્રશાંત ને તેના સાથીઓએ જેલમાં તેની મુલાકાત કરીને એક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું નામ છે : ‘મલ્ખન : ધ સ્ટોરી ઑફ બેન્ડિટ કિંગ’. મલ્ખન સિંઘ સ્થાનિકો વચ્ચે લોકપ્રિય હતો. ચંબલનો તે છેલ્લો ડાકુ હતો. તે સામાન્ય ગુનેગારોની જેમ ડાકુ નહોતો બન્યો, બલકે તેનું સ્વમાન ઘવાયું અને તે આ માર્ગે વળ્યો. સિંઘને ચંબલ બેહદ પસંદ હતું. તે પોતે દારૂ નહોતો પીતો અને ન તો તેમના સાથીઓને પીવા દેતો. તે ગરીબોનો મસીહા હતો અને મંદિરો નિર્માણ કરાવતો. તેની ગેંગના સભ્યને સ્ત્રીઓ સાથે અણછાજતું વ્યવહાર કરવાની છૂટ નહોતી. જો ક્યારેક તેમનો સામનો મહિલા સાથે થાય તો તેના ગેંગના સભ્યો તરત તે મહિલાના ચરણસ્પર્શ કરતા.

જ્યારે મલ્ખાન અને તેની ગેંગે આત્મસમર્પણ કરવાનો દિવસ આવ્યો, ત્યારે તેને જોવા માટે આસપાસના ગ્રામજનો એકઠા થયા હતા. આત્મસમર્પણ નિશ્ચિત જગ્યા પર થયું અને પોલીસ અને ગેંગ સમાધાની કરવા પર સંમત થયા. આત્મસમર્પણ પૂર્વે મલ્ખાને તેના મૂળ ગામ બિલાઓમાં રાતવાસો કર્યો હતો. તે અને તેના ગેંગે ત્યાં પૂજા કરી, ફાયરીંગ કર્યું. પછી તેઓએ તસ્વીર ખેંચાવડાવી. આ બધું જ થયું ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ ત્યાં હાજર રહ્યા હતા. અહીંયા જ તેમની સાથે પ્રશાંત સહિત તેમના સાથીઓએ મલ્ખન સિંઘ સાથે વાતચીત કરી. સરકારના પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. મલ્ખનના પિતા તે દિવસે એ જોઈને દુઃખી હતા કે તેમનો દીકરો કાયદા સામે સમર્પણ કરી રહ્યો છે. બસ, ત્યાંથી મલ્ખનને જેલમાં લઈ જવામાં આવ્યો. 1983માં જ્યારે મલ્ખાનને પેરોલ મળ્યા ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ મલ્ખાન સાથે ચંબલ ગયા હતા. ચંબલ તેઓ મલ્ખાનના દીકરા અને દીકરીને મળ્યા હતા.

મલ્ખાન સિંઘની સ્ટોરી કાગળ પર ઉતરે તે દરમિયાન પ્રશાંતનું ચંબલ વિસ્તારમાં રહેવાનું સારું એવું બન્યું હતું. તેમ છતાં મલ્ખન ગેંગ દ્વારા થયેલી ખૂનાખરાબી વિશે સાંભળ્યું ન હતું. પ્રશાંત એવું યાદ કરે છે કે, પુસ્તક અંગે કામ કરતા હતા તે વખતે ગનફાયર અને ડાકુઓના મૃતદેહોના તેઓ સાક્ષી રહ્યા હતા. આવા જ એક કહેવાતા ડાકુઓને મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંત ત્યાં હાજર હતો. પાનસિંઘ તોમરને પણ મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંતની ત્યાં હાજરી હતી અને પોલીસે પાનસિંઘને મારીને તેનો મૃતદેહ લોકોને જોવા માટે મૂકી રાખ્યો હતો. પોલીસ સાથે ડાકુ ગેંગ સાથે થતી ખૂનાખરાબી ત્યારે સામાન્ય હતી.

ચંબલમાં જવાનું બન્યું ત્યારે પ્રશાંતની ઉંમર ચોવીસ વર્ષની હતી અને પછીથી પ્રશાંતને જમીન સંબંધિત મુદ્દાઓમાં વધુ રસ જાગ્યો. ચંબલ અગાઉ પણ તેઓ બિહારમાં નક્સલ મૂવમેન્ટને જોઈ ચૂક્યા હતા. પણ તે કહે છે કે આ બધો રોમાંચ તો હતો જ, પણ તેમાં ક્યાં ય હળવાશ નહોતી. ડાકુઓને સમજવાનો આ ગંભીર પ્રયાસ હતો. પ્રશાંતનું કહેવું છે કે નક્સલીઓ અને ડાકુઓ સ્થાપિત હિતો સામે અન્યાય વિરુદ્ધ જંગ છેડવાને લઈને ઊભા થાય છે. પરંતુ તેઓ અલગ છે. નક્સલીઓનો પ્રયાસ સામંતી વ્યવસ્થાને તોડી પાડવાનો હોય છે જ્યારે ડાકુઓ એવી કોઈ ક્રાંતિ કરવાનો વિચાર ધરાવતા નથી, તેઓ માત્ર આ સામંતી વ્યવસ્થામાં ન્યાય ઝંખે છે. 1940થી 60 સુધીમાં ચંબલમાં ડાકુઓ કહેરના સમાચાર પૂરા દેશમાં ચમકતા હતા. પરંતુ પછીથી તેમનો અસ્તકાળ શરૂ થયો અને તેઓ લૂંટ બંધ કરી અને તેઓ અપહરણ-ખંડણીમાં પડ્યા. અને નેવુંનો દાયકો આવતાં આવતાં ચંબલ ડાકુઓથી મુક્ત થઈ ચૂક્યું હતું.

પ્રશાંત પંજિયારના અનુભવની આ ઝલક છે તેનું વિસ્તૃત વર્ણન અને અન્ય તસ્વીરો માટે ‘ધેટ વિચ ઇઝ અનસિન’ પુસ્તક ખરીદવું રહ્યું.

e.mail : kirankapure@gmail.com

Loading

એ દસ વરરસમાં સાવરકરે લાકડી પણ હાથમાં લીધી નહોતી

રમેશ ઓઝા|Opinion - Opinion|23 December 2021

ઈ.સ. ૧૯૦૦ની સાલમાં વિનાયક દામોદર સાવરકરે તેમનાં વતન નાસિકમાં ‘મિત્ર મેળા’ની સ્થાપના કરી. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૦૨માં પૂના ભણવા ગયા. ૧૯૦૪માં ‘અભિનવ ભારત’ નામનાં સંગઠનની સ્થાપના કરી. ૧૯૦૫માં બી.એ.ની પરીક્ષામાં પાસ થઈને ૧૯૦૬માં લંડન ભણવા ગયા. ૧૯૦૯ના જુલાઈ મહિનામાં મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કર્યું. વરસ પછી ૧૯૧૦માં તેમને લંડનથી ભારત લાવવામાં આવ્યા. આરોપ એવો હતો કે લંડનમાં અને ભારતમાં થતાં ખૂનોમાં સાવરકરનો હાથ છે. ૨૪મી ડિસેમ્બર ૧૯૧૦ના રોજ તેમને ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. ૩૧મી જાન્યુઆરી ૧૯૧૧ના રોજ તેમને બીજીવાર બીજા એક આરોપમાં ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. સાધારણપણે બન્ને સજા સાથે ભોગવવાનું જજ કહેતા હોય છે, પરંતુ સાવરકરને ૨૫ વરસનાં કારાવાસની સજા એક પછી એક ભોગવવાનો ચુકાદો આપવામાં આવ્યો.

કુલ ૫૦ વરસની સજા. કદાચ બ્રિટિશ સામ્રાજ્યના ઇતિહાસમાં રાજકીય આરોપીને આવી સજા પહેલી અને છેલ્લી વાર કરવામાં આવી હતી. આ સજા અમાનવીય હતી. ઈરાદો સાવરકરના મનોબળને તોડી નાખવાનો, ચીડ કાઢવાનો અને હિંસાનો માર્ગ અપનાવતા કે હિંસા માટે ઉશ્કેરનારા અન્ય લોકોને ચેતવવાનો હતો. ઓછામાં પૂરું સાવરકરને આંદામાન મોકલવામાં આવ્યા. તેમના મોટાભાઈને પણ આવી જ આકરી સજા કરવામાં આવી હતી. અંગ્રેજોએ આવી સજા કરી એની પાછળનું કારણ સાવરકરની ચાલાકીઓ હતી. અંગ્રેજોએ કચકચાવીને ગુસ્સો કાઢ્યો હતો.

આવી આકરી સજા અમાનવીય હતી એમાં કોઈ શંકા નથી. સાવરકર સાથે અન્યાય કરવામાં આવ્યો હતો એમાં પણ કોઈ શંકા નથી. સાવરકર આખા દેશની સહાનુભૂતિનો વિષય હતા અને તેમને તે મળી પણ હતી. પણ ત્યારે કોઈએ કહ્યું નહોતું કે સાવરકરને આવી સજા તેમની જાનફેસાની માટે કરવામાં આવી છે, બહાદુરી માટે કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અને દેશના એ સમયના લબ્ધપ્રતિષ્ઠ નેતાઓએ પણ નહોતું કહ્યું કે સાવરકરને કોઈ શૌર્ય બતાવવા માટે આવી સજા કરવામાં આવી હતી. ભારતમાં સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે સાવરકર વધારે પડતી ચાલાકીઓનો શિકાર બન્યા છે. માટે તેમના માટે સહાનુભૂતિનો ભાવ સર્વત્ર હતો. શૌર્ય સાથે તેને કોઈ સંબંધ નહોતો. આ સિવાય વાય.ડી. ફડકેએ તેમના ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ નામના ગ્રંથમાં કહ્યું છે એમ મુંબઈ, પૂના અને નાસિક જિલ્લાના લોકો સાવરકરથી નારાજ હતા. તેમને એમ લાગતું હતું કે સાવરકર સુરક્ષિત જગ્યાએ બેસીને અને પોતાનું ભણતર ચાલુ રાખીને અમારા છોકરાવને હિંસા કરવા ઉશ્કેરે છે. આમ કેટલાક લોકોની તો સહાનુભૂતિ પણ નહોતી.

આ છતાં ય એમાં કોઈ શંકા નથી કે સાવરકર દેશની સહાનુભૂતિનો વિષય હતા. પ્રત્યક્ષ શૌર્ય સાથે તેમનો દૂરદૂરનો પણ સબંધ નહોતો. આ અખો વૃત્તાંત તપાસીને તમે પોતે વિચારો અને કહો કે ૧૯૦૦ની સાલમાં સાવરકરે મિત્ર મેળાની સ્થાપના કરી ત્યારથી લઈને ૧૯૧૦-૧૧માં તેમને કાળાપાણીની સજા કરવામાં આવી ત્યાં સુધીનાં દસ વરસમાં સાવરકરે એવું કયું મહાન કૃત્ય કર્યું જેને હિંસક ક્રાંતિ કે વિદ્રોહ તરીકે ઓળખાવી શકાય? એ દસ વરસમાં તેમણે પોતે શૌર્યનું કોઈ કૃત્ય કર્યું નહોતું. તેમણે પોતે ક્યારે ય બંદૂક અને રિવોલ્વર તો દૂરની વાત છે, લાકડી પણ હાથમાં લીધી નહોતી. તેમણે પોતે અંગ્રેજોનો કોઈ કાયદો તોડ્યો નહોતો. ઊલટું લંડન સ્ટેશને તેમની ધરપકડ કરવામાં આવી એ પછી લંડનમાં તેમને ભારત મોકલવા માટેનો ખટલો ચાલ્યો ત્યારે તેમણે અંગ્રજ-રાજ માટેની વફાદારી જાહેર કરી હતી. ક્રાંતિકારીઓ સાથે તેમનો સ્નાનસૂતકનો સંબંધ નથી એવો બચાવ કર્યો હતો. કોઈને ખાતરી કરવી હોય તો એ ખટલામાં સાવરકરનું બચાવનામું ઉપલબ્ધ છે. રહી વાત ફ્રાન્સના સમુદ્રમાં ઊડી મારવાની અને નાસી જવાના પ્રયત્નની તો એ પણ બચી નીકળવાનું એક છેલ્લું આવલું હતું. તેમની ગણતરી ફ્રાન્સમાં રાજ્યાશ્રય મેળવવાનો હતો.

લંડનની માફક મુંબઈની અદાલતમાં પણ સાવરકરે બીજાની (દેશદાઝ ધરાવતા ક્રાંતિકારીઓ જેમનું પ્રેરણાસ્થાન સાવરકર પોતે હતા) સામે દાવ ઉલટાવીને બીજાના ભોગે હાથ ઊંચા કરીને બચી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ગયા લેખમાં મેં જાણીતા હિંદુવાદી નેતા અને હિંદુ મહાસભાના સભ્ય બેરિસ્ટર મુકુંદરાવ જયકરની આત્મકથાનો હવાલો આપ્યો હતો. જયકર સાવરકર જેમાં આરોપી હતા એ જેક્સન ખટલા વિષે લખે છે: … ‘the feeling at the Bar, which I shared fully, was in strong disapproval of the attitude adopted by the accused in both these cases and it was felt that the level of dignity, courage and integrity which the cause of Indian freedom had reached during the two previous trials of Tilak and Paranjape had been immeasurably lowered by the attitude of the accused in these two later cases.’ (The Story of My Life, page 103.) જયકર લખે છે કે લોકમાન્ય તિલક અને મહાદેવ શિવરામ પરાંજપે સામેના રાજદ્રોહના ખટલામાં એ બન્ને (તિલક અને પરાંજપે) આરોપીઓએ જે શાલીનતા, હિંમત અને પ્રામાણિકતા દાખવ્યાં હતાં તેનો અહીં સદંતર અભાવ હતો. અદાલતમાં આરોપીનું વલણ આઝાદી માટેની લડાઈનું સ્તર નીચે લઈ જનારું હતું.

કોણ આમ કહે છે? બેરિસ્ટર જયકર જે સાવરકરના સમકાલીન હતા અને હિંદુવાદી નેતા હતા. તેમણે તેમની આત્મકથાના બીજા ખંડમાં હજુ એક પ્રસંગ નોંધ્યો છે. જયકર રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા. તેમણે મિશનના ખારના આશ્રમમાં વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું જેમાં સાવરકરની મુક્તિ પછી તેમને વક્તા તરીકે બોલાવ્યા હતા. એ સભામાં સાવરકરે કહ્યું હતું કે નૈતિકતા અને મૂલ્યનિષ્ઠા એક દુર્ગુણ છે. (પૃષ્ઠ ૫૪૧) જી હા, ચોંકવાની જરૂર નથી, આમ જ કહ્યું હતું. જયકરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સાવરકરના આવા અભિપ્રાયના પરિણામે સભામાં હોહા મચી ગઈ હતી.

એ ગાંધીનો યુગ હતો. જો આજનો યુગ હોત તો હિન્દુત્વવાદી દેશપ્રેમીઓએ તાળીઓ પાડી હોત અને સીટીઓ વગાડી હોત!

હજુ એક પ્રમાણ આપું? અપ્પાસાહેબ પટવર્ધન મહારાષ્ટ્રમાં સાને ગુરુજીની કક્ષાના લોકસેવક તરીકે ઓળખાય છે. તેમણે ‘માઝી જીવન-યાત્રા’ના નામે આત્મકથા લખી છે. એ આત્મકથામાં એક પ્રકરણ (પ્રકરણ ૧૦) સાવરકર વિષે છે. ગાંધીજી રત્નાગિરિના પ્રવાસે ગયા ત્યારે અપ્પા પટવર્ધને ગાંધીજીને પૂછ્યું હતું કે સાવરકર અહીં રત્નાગિરિમાં છે અને અમે તેમના સંપર્કમાં છીએ તો અમે તેમની સાથે કામ કરીએ? ગાંધીજીએ તેમને કહ્યું હતું; ‘આમ તો કશો વાંધો નથી, પણ જરા સંભાળીને. બહુ ઊંડો માણસ છે.’ આનો પરિચય અપ્પાસાહેબને બીજા જ દિવસે થઈ ગયો હતો. અપ્પાસાહેબ લખે છે કે ગાંધીજી બીજે દિવસે સાવરકરને મળવા ગયા. તેઓ ગાંધીજીની સાથે હતા. એ મુલાકાતનો વૃત્તાંત મુંબઈના ‘શ્રદ્ધાનંદ સાપ્તાહિક’માં પ્રકાશિત થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાવરકરને મળીને ગાંધીજી ગદ્દગદ્દ થઈ ગયા હતા અને  ધન્યતાનો અનુભવ કર્યો હતો. એ અહેવાલ ‘રત્નાગિરીચે વાર્તાહર જોશી કડુંન’ના નામે સાવરકરે પોતે લખ્યો હતો અને મુંબઈ મોકલ્યો હતો. (પૃષ્ઠ, ૨૫૪-૨૫૫)

સાવરકર નૈતિકતા, મૂલ્યનિષ્ઠા અને સાધનશુદ્ધિને દુર્ગુણ સમજતા હતા એવું કહેનારા હજુ વધુ દસ-બાર પ્રમાણ હજુ આપી શકું એમ છું પણ એની હવે જરૂર નથી, જ્યારે સાવરકરનું પોતાનું લખાણ ઉપલબ્ધ છે. શિવાજી મહારાજે મુસ્લિમ સિપાઈઓની હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેના હિંદુ સિપાઈઓને ભોગવવા માટે વહેંચી દેવી જોઈતી હતી એમ સાવરકરે તેમના મરાઠી ગ્રંથ ‘સહા સોનેરી પાન’માં લખ્યું છે અને કહ્યું છે કે સદ્દગુણ હિંદુઓની કમજોરી છે. સાવરકર તેને ‘સદગુણ-વિકૃતિ’ તરીકે ઓળખાવે છે. આ શબ્દપ્રયોગ મારો નથી, સાવરકરનો પોતાનો છે. − સદગુણવિકૃતિ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6961,6971,6981,699...1,7101,7201,730...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved