Opinion Magazine
Number of visits: 9674591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલાઓની લગ્નની ઉંમર 21 અને મતદાનની 18?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 December 2021

કેન્દ્ર સરકારે કન્યાની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે. એમ કરીને પુરુષની લગ્નની કાયદેસરની ઉંમરની બરાબરી કરવાનો હેતુ છે ને સાથે જ લગ્ન મોડાં થતાં, સંતાનો પણ મોડાં થશે ને એ રીતે વસ્તી નિયંત્રણ કરવાનો ઉદ્દેશ પણ સરકારનો હોય એમ બને. જો કે, ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલ સમતા પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષા જયા જેટલીનું કહેવું છે કે જન્મ દર ઘટી જ રહ્યો છે એટલે વસ્તી નિયંત્રણમાં જ છે, તેથી કન્યાની લગ્નની ઉંમર 21ની કરવા પાછળ વસ્તી નિયંત્રણનો હેતુ નથી. મતલબ કે લક્ષ્ય વસ્તી નિયંત્રણ નથી. લક્ષ્ય મહિલા સશક્તિકરણનું છે. 18 વર્ષે કન્યાને લગ્ન ન કરવા દેવાથી મહિલા સશક્તિકરણ થાય છે એ શોધ જયા જેટલીની છે. જો કે, કઈ રીતે આમ કરવાથી મહિલા સશક્તિકરણ થાય છે એ એમણે જણાવ્યું નથી એટલે એમની વાત પર ભરોસો જ મૂકવાનો રહે. હા, બંનેની લગ્નની ઉંમર એક થઈ જતાં સ્ત્રી-પુરુષ સમાનતા સાચવાઈ ગઈ છે તે ખરું. વડા પ્રધાને પણ મહિલાઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારવાનો સંકેત વરસેક પર આપ્યો જ હતો ને તે પ્રમાણે લગ્નની કન્યાની ઉંમર 21ની  કરવામાં આવી છે. મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ જણાવ્યું છે કે તમામ ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાયની કન્યાઓની લગ્નની લઘુત્તમ વયમર્યાદા 21ની એક સમાન રીતે લાગુ કરાઈ છે. લોકસભામાં આ અંગેનો ખરડો રજૂ કરવામાં આવ્યો ને વિવાદ વધતાં તેને સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો છે. બાળવિવાહ ખરડો 2021 લોકસભામાં રજૂ થતાં વિપક્ષે રાજકીય શંકા દર્શાવી ભારે હોબાળો મચાવ્યો એટલે આ ખરડો પણ સંસદની સ્થાયી સમિતિને મોકલવાનું ઠરાવાયું હતું.

જયા જેટલીએ ઉંમર વધારવા બાબતે કારણો આપતાં જણાવ્યું છે કે 18ની ઉંમરે લગ્ન કરી દેવાતાં છોકરીઓ સ્કૂલ કે કોલેજનું ભણતર પૂરું કરી શકતી નથી. મહિલાઓની લગ્નની ઉંમરમાં વધારો થતાં હવે પુરુષ અને સ્ત્રીની લગ્નની ઉંમર સમાન થઈ ગઈ છે. આમ તો જૈવિક કારણોસર લગ્ન માટે સ્ત્રી અને પુરુષની ઉંમર અપવાદરૂપે જ સરખી હોય છે, બાકી બંને વચ્ચે ત્રણથી પાંચ વર્ષનો તફાવત આદર્શ ગણાય છે એટલે કે પુરુષ 21નો હોય તો સ્ત્રી 18ની આસપાસની પસંદ કરાતી. હવે કન્યા જ 21 ની હોય તો વરની ઉંમર 24 આસપાસની નક્કી થાય એમ બને. આ તફાવતનું કારણ એ છે કે કન્યા કુમારો કરતાં વહેલી પુખ્ત થાય છે ને આજના પ્રસાર માધ્યમોએ તેને એથી પણ વહેલી એટલે કે 15-16 ની આસપાસ જ પુખ્ત કરવા માંડી છે. તે બોયફ્રેન્ડ રાખે છે, તેની સાથે સંબંધ બાંધે છે ને કેટલાક કિસ્સાઓમાં બાળકને જન્મ પણ આપે છે.

આ પરિસ્થિતિમાં કન્યાની લગ્નની ઉંમર 21 થાય તો તે 21 પહેલાં સગીર ગણાશે, બાળક કહેવાશે. એક તરફ છોકરીઓ આજના બદલાયેલા સમયમાં 18થી વહેલી પુખ્ત થઈ જતી હોય તો તેને 21ની ઉંમરે પુખ્ત ગણવાનો ખરડો પસાર કરવાથી તે પુખ્ત હોવા છતાં બાલિકા જ ગણાશે ને એ દરમિયાન લગ્ન કરશે તો તે ગુનો ગણાશે. જે 18ની ઉંમરે છોકરી કાયદેસર રીતે પરણી શકતી હતી તે હવે પરણશે તો ગેરકાયદે ગણાશે. આજે પણ 45થી વધુ ટકા કન્યાઓને 18થી ઓછી ઉંમરે પરણાવી દેવાનું સામાન્ય છે, તે 18ની ઉંમરે પરણે તો પણ તે હવે ગેરકાનૂની ગણાતા ઓછી ઉંમરે પરણાવી દેવાની ટકાવારીમાં વધારો જ કરશે. એવાં  લગ્નો, જે અન્ય સંજોગોમાં કાયદેસર ગણાય તે ઉંમર 21ની થવાથી લગ્નને લગતા ગુનાઓનું પ્રમાણ વધારશે. એવાં લગ્નનો સંબંધ સંમતિથી થયો હોવાથી તે બળાત્કાર તો નહીં ગણાય, પણ તેનાથી થયેલું બાળક, લગ્નથી થયેલાં સંતાનનો કાનૂની દરજ્જો નહીં પામે તેમ બનવાનું. તે અનૌરસ ગણાશે. 18થી ઓછી ઉંમરે ગુનાઓનું પ્રમાણ ઓછું હતું તે 18ની ઉંમર 21 કરીને વધારવું છે?

હવે કન્યાની લગ્નની ઉંમર 18થી વધીને 21ની થતાં પુરુષ 24 પચીસનો યોગ્ય ઠરે એમ બને, કારણ બંનેની ઉંમરમાં જૈવિક કારણોસર તફાવત રાખવાનો હોવાથી 21ની પુખ્ત ઉંમર હોવા છતાં પુરુષને મોડું પરણવાનું મળે એમ બને. એટલું ખરું કે 21ની ઉંમર થતાં સ્ત્રી શિક્ષણ પૂરું કરી શકશે, પણ 18ની ઉંમરે પરણીને પછી પણ અભ્યાસ ચાલુ રાખનારી પરિણીતાઓ છે જ ! ને જેણે અભ્યાસ છોડવો જ છે તેને તો કોઈ પણ ઉંમર ક્યાં કોઈ રોકે છે? એમ બને કે સાસરું પરિણીતાને ભણવા પર રોક લગાવે ને એ ભણતી અટકે તો એટલું નુકસાન સો ટકા થાય. એટલા પૂરતું 21ની ઉંમર વધારવાનું સકારણ લાગે, પણ એનો કાયદો થતાં લાભ કરતાં નુકસાન વધારે થાય એમ બને.

એક વાત છે કે 18નો કાયદો હતો ત્યારે પણ કન્યાઓએ પરણવાનું ફરજિયાત ન હતું. એ જ રીતે લગ્નની ઉંમર 21ની થતાં પણ, પરણવાનું ફરજિયાત નથી, પણ 18ની ઉંમર 21ની થતાં લગ્ન સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધશે, કારણ કોઈ 20ની ઉંમરે પરણશે તો પણ તે ગુનો ગણાશે. એ પણ છે કે જેમ જેમ સભાનતા વધી છે તેમ તેમ છોકરીઓ 18ની ઉંમરે પરણવા બહુ ઉત્સુક નથી હોતી. તે હવે કેરિયર તરફ ધ્યાન આપતી થઈ હોવાથી ઘણી સ્ત્રીઓ 21ની થાય તો પણ લગ્ન કરવા જ બહુ રાજી નથી. આમ તો લગ્ન વગર જ રહેવા- જીવવાની સ્ત્રીઓની ટકાવારી વધતી જતી હોવાથી 21ની કાયદેસર ઉંમર પાર કરવા છતાં સ્ત્રીઓ ન પરણે એવી શક્યતાઓ વધુ છે. એટલે એવી સ્ત્રીઓને લગ્નની ઉંમર 18 કે 21 થાય તેનાથી ખાસ ફેર પડતો નથી. હા, પુખ્તતા નક્કી કરવાની સરકારની ગણતરી સમજાતી નથી. 18 વર્ષે જો સ્ત્રી કે પુરુષ મતાધિકારનો ઉપયોગ કરી શકે, લાઇસન્સ મેળવી વાહનો ચલાવી શકે કે મહિલા બાળકને જન્મ આપી શકે તો લગ્ન કરવામાં જ તે પોતે સગીર-બાળક કેવી રીતે ગણાય? કે 18ની ઉંમરે મતાધિકારનો સમજદારીપૂર્વક ઉપયોગ ન થતાં સરકાર નબળી બને છે એવું સરકારને લાગે છે? એટલે 21ની ઉંમર કરી છે? તો મતાધિકાર કેમ 21 વર્ષે નક્કી નથી થતો? એ નહીં થાય, કારણ એમ કરવા જતાં સારી સરકાર આવી જવાનું જોખમ છે. એ નથી સમજાતું કે કન્યાની લગ્નની ઉંમર વધારવાની માંગ કોઈએ કરી નથી કે એવી કોઈ કટોકટી પણ ઊભી થઈ નથી કે કન્યાની લગ્નની ઉંમર વધારવાનો ખરડો પસાર કરવો પડે. તો, એકાએક આવા ફેરફારો કરવાનો ઉછાળ સરકારને કેમ આવ્યો હશે તે નથી સમજાતું. વિપક્ષોના હુમલાઓ વેઠવાનો સરકારને શોખ છે તેથી સરકાર આવા તુક્કાઓ લડાવે છે કે કેમ તે નથી ખબર, પણ સામી ચૂંટણીએ સરકારે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું નથી તે સમજી લેવાનું રહે.

21ની ઉંમર કરવાનું એક કારણ એ પણ ખરું કે 18 કે તેથી ઓછી ઉંમરની કન્યાઓનાં લગ્ન થાય છે ત્યારે ઘણી કન્યાઓ પોતે જ કુપોષિત અને અવિકસિત હોય છે. દેખીતું છે કે તેવી કન્યા પરણે તો તેનું સંતાન તંદુરસ્ત ન હોય, આવાં બાળકોને ધરતી પર લાવીને કુપોષિત ભારત સર્જવાનું કોઈ સરકાર ન ઈચ્છે, પણ કુપોષણનો શિકાર તો 21ની કન્યા પણ હોઈ શકે છે. એટલે અહીં 18ની ઉંમર 21ની કરવાનો ઉપાય થાય એના કરતાં, કન્યાને પૂરતું પોષણ મળે એ જોવાય તે હોવો જોઈએ, પણ એવું કશું સરકારનાં મનમાં હોય એમ લાગતું નથી. સરકારનો હેતુ, કન્યાની લગ્નની ઉંમર 21 કરવા પાછળનો એ છે કે એ કુપોષણને કારણે થતાં બાળમૃત્યુનો કે માતૃમૃત્યુનો દર ઘટે ને એ ચિંતા કરવા જેવી છે જ, પણ એ પણ ન ભૂલવું જોઈએ કે બાળલગ્ન વિરોધી કાયદો હોવા છતાં કેટલીક જ્ઞાતિ-કોમોમાં બાળલગ્ન આજે પણ રોકી શકાતાં નથી. કેટલીક રૂઢિઓ અને રિવાજોને કાયદાથી નથી રોકી શકાતાં તેનું સબળ ઉદાહરણ બાળલગ્નો છે. કેટલીક કોમોમાં આજે પણ સમાજનો ચાલ હોવાને નામે 18થી ઓછી ઉંમરે કન્યાને પરણાવી દેવાતી હોય છે. હવે જે 18ની ઉંમરે લગ્ન કાયદેસર ગણાતાં હતાં તે 21ની ઉંમર નક્કી થતાં ગેરકાયદે ગણાશે, એટલું જ નહીં તે બાળલગ્નો ગણાશે. એટલે 21ની ઉંમરે જ લગ્ન કાનૂની ગણાતાં, તેથી ઓછી ઉંમરનાં લગ્નો બાળલગ્નોનું પ્રમાણ વધારશે ને તે સરકારને જમા પક્ષે નહીં નોંધાય તે નક્કી છે. એટલે ઘાટ ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવો થાય તો નવાઈ નહીં ! સરકારે આ મુદ્દે ફેરવિચારણા કરવી જોઈએ એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ડિસેમ્બર 202

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==17

સુમન શાહ|Opinion - Opinion|24 December 2021

લખતો થયો, લખતો રહ્યો છું, લખતો રહીશ …

મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી બા-એ સલેટમાં ચાર ખાનાં પાડીને ૧ ૨ ૩ ૪ લખેલાં. મારી જમણી હથેળીને પોતાની હથેળીથી લગીર ઘુમાવીને શીખવેલું કે : આ રીતે આ દરેકને એકદમના જાડા થાય ત્યાંલગી ઘૂંટ્યા કર – પતંગના દોરાની લચ્છી જેવા થવા જોઈએ : ઊપસેલી લીલી નસોવાળી એની હથેળી અને તેમાં સંગોપાયેલી હૂંફ મને હજી યાદ છે.

સલેટ એટલે કે, સ્લેટ. કાળી હોય. પાણી-ભેગો કોલસો ઘસીને સ્લેટની બન્ને બાજુઓને તદ્દન ચોખ્ખી રાખતો. લખેલું ભૂંસવા નાના ભીના કકડાનું ચૉવડ પોતું રાખતો. વર્ગના બીજા છોકરાઓ થૂંકીને કરતા. મારાથી એ દુર્ગન્ધ ભુલાઈ નથી. પૅણને ઓટલે ઘસીને હું એની અણીને માફકસરની રાખતો. સલેટના ઉપરના ભાગેથી એકાદ ઇન્ચ નીચે લાઈન મારતો ને એ ખાનામાં વચ્ચે ‘શ્રી સવા’ અને આજુબાજુ તારીખ અને વાર લખતો. પછી નીચે લેસન કરતો.

એ સાહેબો નિસબતવાળા. મારા વર્ગશિક્ષક ઘાંટો પાડીને કહેતા : લેસન ન લાવ્યા હોય એ ઊભા થાવ ! : ‘હોમવર્ક’ શબ્દ ન્હૉતા બોલતા. એમ ઊભા થવાનો પ્રસંગ મારે તો કદ્દી પણ નહીં પડેલો.

મારા હસ્તાક્ષર સારા, એ જમાનામાં કહેવાતું હતું એમ મોતીના દાણા જેવા. એવા ક્યારથી કાઢવા લાગેલો, યાદ નથી. પછી તો છેક કમ્પ્યૂટર પર લખવાનું ચાલુ થયું ત્યાંલગી મને બધાં જ ક્હૅ : તમારા અક્ષર બહુ સુન્દર છે, હાં : એટલે મને પાનો ચડતો ને હું વધુ ને વધુ સમય આપીને અક્ષર સારા કાઢતો. ઝડપ કરું તો પણ બગડતા ન્હૉતા.

પણ આપણા આ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયો ત્યારથી સુન્દર હસ્તાક્ષરની દરકાર કરવાનું આપોઆપ છૂટી ગયું. અંદરથી આવનારા ‘લખાણ’ પર જીવ વધુ ને વધુ સ્થિર થયો ને તે આજે પણ એમ જ છે. કાચી નૉંધ માટે કાગળ પર લખું છું ખરો પણ એ એવું તો ગૂંચપૂંચિયું હોય છે કે બીજી વાર મને પણ નથી ઉકલતું. કોઈ માને નહીં કે હવે મને માત્ર ને માત્ર કમ્પ્યૂટર-રાઇટિન્ગ જ ગમે છે; એ જ ખપે છે.

માધ્યમિકમાં હતો ત્યારે પહેલું લખાણ નિબન્ધ માટે હતું. એ જમાનામાં લગભગ બધા શિક્ષકો ‘જો હું વડાપ્રધાન હોઉં તો’, ‘ચાંદની રાતે ગાડાની મુસાફરી’, ‘તૂટેલા ચમ્પલની આત્મકથા’ જેવા વિષયો આપતા. મેં કદ્દી પણ ‘જો હું વડાપ્રધાન હોઉં તો’ નિબન્ધ નથી લખ્યો. અલબત્ત, મને લૉન્ગકોટના કૉલર પર ગુલાબ ખોસીને ઊભેલા જવાહરલાલ નહેરુની છબિ હમેશાં ગમતી.

સંકલ્પપૂર્વકનું પહેલું સર્જનાત્મક લેખન, વાર્તા માટે હતું. ડભોઇની કૉલેજના વાર્ષિક ‘દર્ભાવતી’-માં એ વાર્તા પ્રકાશિત થયેલી. એ પછી લખાયેલી વાર્તાઓ ‘આરામ’-માં અને ‘યુવક’-માં છપાયેલી. પહેલો વિવેચન-લેખ હતો, ‘મણિલાલની કાવ્યવિભાવના – પાંચ મુ્દા’. ત્યારે હું જુનિયર બી.એ.માં હતો. એ લેખ ‘બુદ્ધિપ્રકાશ’-માં છપાયેલો. તન્ત્રી યશવન્ત શુક્લે અમારા પ્રિન્સિપાલને લખેલું : તમારે ત્યાં એક વિદ્વાન ઊછરી રહ્યો છે, એનું ધ્યાન રાખજો : મને બહુ પોરસ ચડેલો.

બી.એ.ના વર્ષોમાં મને મારું તખલ્લુસ ‘સુન્દરમ્’-ની જેમ ‘સુમનમ્’ રાખવાનો વિચાર આવેલો. જો કે આવ્યો’તો એમ જ એ વિચાર ઝટ ઊડી ગયેલો ! એ રીતે, સારું થયેલું.

પ્રત્યક્ષ વિવેચન કહેવાય એવા લેખો ૧૯૬૬-૬૭થી શરૂ થયેલા, યશવન્ત દોશીના નિમન્ત્રણથી ‘ગ્રન્થ’-માં લખતો’તો. એ લેખનો પણ વાર્તા અંગે હતાં. વાર્તાસંગ્રહોનાં એ અવલોકનો હતાં.

મારું પહેલું પ્રકાશિત પુસ્તક ચેખવના ‘થ્રી સિસ્ટર્સ’ નાટકનો એ જ શીર્ષકથી કરેલો અનુવાદ છે, ૧૯૬૫. પછીની આવૃત્તિઓમાં બદલીને શીર્ષક ‘ત્રણ બહેનો’ કરેલું. મને હજી નથી સમજાતું કે મને શીર્ષકો અંગ્રેજી જ કેમ સૂઝે છે ! મારી કેટલી યે વાર્તાઓનાં એમ જ છે !

‘સમકાલીન’ દૈનિકમાં પહેલી નવલકથા ‘ખડકી’ હપતાવાર છપાયેલી – જો કે મેં તો પૂરેપૂરી લખીને મોકલેલી, ૧૯૮૭.

કોઈક વાર ‘બુદ્ધિપ્રકાશ’-માં અને ‘રે’-માં મારાં એક -બે કાવ્યો છપાયાનું યાદ છે. પહેલા પહેલા પ્યાર ઐસા હી હોતા હૈ, એ રીતે કાવ્યો કરેલાં. ‘તોટક’ જેવા સરળ અને ‘પૃથ્વી’ જેવા સરખામણીએ મુશ્કેલ છન્દમાં પણ કરેલાં. મેં પણ મૉંઘા મૂલની ડાયરી રાખેલી. નસીબ તો કેવું – એ જડતી જ નથી ! આજકાલ એવું થાય છે ખરું કે જુદા જ પ્રકારનાં કાવ્યો કરીશ ખરો.

શરૂ શરૂના આ સઘળા પ્રયાસો જોડે વર્તમાનના પ્રયાસોની સરખામણી કરું છું તો એક જ સત્ય બહાર આવે છે કે કોઇપણ લખાણ ઉત્તરોત્તર સુધરે છે ને એ સુધારને છેડો નથી હોતો. એ અનન્ત હોય છે. આજે તો મારા લખાણમાં એક પણ ભ્રાન્ત વાક્ય, એક પણ અનુચિત શબ્દ, કે એક પણ ખોટું વિરામચિહ્ન ઘૂસી ગયું હોય, મને જરાપણ પરવડતું નથી. અને ધાસ્તી પણ રહે છે કે ક્યાંક કંઈ-ને-કંઈ ચૂક તો થઈ જ હશે.

હૅમિન્ગ્વે ઊભાં ઊભાં લખતા હતા. ઘણા કહેતા હોય છે – સૂતાં સૂતાં લખું છું. હું બેસીને જ લખું છું. ટેબલ પર ક્વચિત, બાકી, હમેશાં કાગળ ને પૅડ ખૉળામાં રાખીને જ લખ્યું છે. હવે તો, ખૉળા સિવાયનું કશું જ નહીં, જુઓ ને, કમ્પ્યૂટરનું નામ જ લૅપ-ટૉપ છે, પછી !

મેં એક વાર રમૂજમાં લખેલું કે સાહિત્ય લખતાં બધાંને નથી આવડતું તે સારી વસ્તુ છે. પણ ‘નથી આવડતું’ વાતનો કેટલીક વ્યક્તિઓ ભારે ગર્વ લેતી હોય છે :

એકદમનું મુશ્કેલ નામ ધરાવતી વિદ્યુલ્લતાદ્યુતિરાણી ( વિદ્યુલ્લતા = વીજળીની લતા. એ લતાના જેવી જેની દ્યુતિ = તેજ છે, એવા તેજની રાણી ) કહેતી હોય : કવિતા-ફવિતા ! ના રે બાબા, એવી બધી ચાવળાઇ મને ના પરવડે ! : પાણીમાં છાશ જેવું સરળ નામ ધરાવતા રમણશી કહેતા હોય : એવું છે ભૈ, તમાર લોકની જેમ સબ્દોના સાથિયા પૂરવાનો ટૅમ મારે કાઢવો કાંથી -?

પણ જેઓને આછુંપાછું ય લખતાં આવડી ગયું હોય, જેમકે, બચીબેનને ગઝલ કે બચુભાઇને વાર્તા કે બકુભાઇને નિબન્ધ, તો એ લોકોને થોડાક જ દિવસમાં થાય, એવું શું કરું તો એકદમનું ફાંકડું લખાય ને ગ્રેટ થઈ જવાય – ! ‘એવું શું કરું’ નામનો પ્રશ્ન થાય એ સારી નિશાની છે. એક-ને-એક દિવસે એ લોકોને યોગ્ય રસ્તો દેખાઈ જાય છે.

યોગ્ય રસ્તો મને ક્યારે દેખાઇ ગયો, નથી ખબર. સાચું કહું તો, સાહિત્યલેખનનો કોઈ પણ રસ્તો અ-યોગ્ય નથી હોતો, દરેક લેખકે યોગ્યને શોધી લેવાનો હોય છે, કહું કે, સરજી લેવાનો હોય છે. આમ તો મારે મન લેખન પોતે જ સર્જન છે, કેમ કે ભાષા પોતે જ એક સર્જનાત્મક આવિષ્કાર છે. આ પાયાની વાત મનમાં એવી તો બેસી ગઈ છે ને તેથી વ્યાખ્યાન સંશોધન વિવેચન અનુવાદ ટુચકો કે જેને આજે ચૅટિન્ગ કહેવાય છે એ વાતચીતને પણ હું સર્જન ગણું છું – સર્જકતાની માત્રા ઓછીવત્તી હોઈ શકે છે …

શરૂમાં તો ભૂરી લીટીવાળા સફેદ ફુલ્સકૅપ પર લખતો, પછી ‘સન્લિટ બૉન્ડ’ જેવા પાતળા ને મુલાયમ પર. એ સાથે જ મનમાં એમ પણ ઊગેલું કે સીધી લીટીને આધારે લખવા કરતાં સીધી લીટીનું લખવું એ કસોટી છે. એટલે લીટી વિનાના કાગળ પર શરૂ કર્યું. એક પાછળ બીજો એમ એકદમના ડાહ્યા એ શબ્દો, એ ય તમારે રવાલ ચાલે વહ્યા જાય. લાઇનોથી સમ્પન્ન ફકરો કોઈ કામગરા સોનીએ ઘડીને સજાવેલી સૅરો જ જોઈ લો !

લખાણ છપાવા મોકલતાં પહેલાં કાર્બન મૂકીને કૉપિ ઘરે રાખી લેતો. પછી સાઇક્લોસ્લાઇડ આવ્યું, પરીક્ષાનાં પેપર એ પર કોતરતો’તો. પછી ઝેરોક્ષ આવ્યું ને છેલ્લે આવી લાગ્યો રૂડોરૂપાળો આ કમ્પ્યુટર-સ્ક્રીન …

શાહી મને કાળી જ ગમે, ભૂરી નહીં. એ ખડિયા સૂકાયેલા પડ્યા છે. કેટલી બધી ફાઉન્ટન પેનો – જાતજાતની; વડોદરાની ‘પ્રતાપ’થી માંડીને વિદેશની ‘લૅમિ’ સુધીની. ‘લૅમિ’ તો રૂપેરી ને હળદરિયા રંગની એમ બે-બે હતી. પણ એ બધી જ પેનો વ્હીલી પડીને કાયમ માટે સૂની પડી ગઈ છે. શાહીનું લખાણ ભૂસવા માટેનાં કરકરાં રબર, ને એ જો કામ ન આપી શકે, તો બ્લેડ. એ બધો જ સરંજામ કમ્પ્યૂટરના આગમને ભૂતકાળમાં દટાઈ ગયો છે તે આમ સારું છે પણ રોમૅન્ટિક સ્ટાઈલમાં મને એમ કહેવું સૂઝે છે કે – મારી એ ‘લૅમિ’ ક્યાં ગઈ? વિરહ એનો બહુ સતાવે મને – બેમાંની એકાદને તો જગાડો, પ્રભુ ! કાગળની એ સફેદ કુમાશ ને એની અનોખી સોડમને કેમ રે ભૂલી શકું? વગેરે.

ગણીએ તો મારા લેખનપુરુષાર્થની વય સાંઠ તો ખરી જ. એ દરમ્યાન મને એક ખબર એ પડી છે કે લેખનની મારી ક્ષમતા તો ખરી પણ ગુજરાતી ભાષાની પોતાની ક્ષમતા અપરમ્પાર છે. એમ પણ સમજાયું છે કે ભાષાના ભંડારમાં ઘણાં શબ્દબાણ છે – થોડાં જો મારા ભાથામાં હોય તો ધાર્યું નિશાન પાડી શકું …

(December 24, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

એ બે ન બને : સત્તા અને સાહિત્ય

દિલીપ રાણપુરા|Opinion - Opinion|24 December 2021

કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે? એવા સાહિત્યકારોનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે?

સત્તા, તે ગમે તે સમયની હોય કે ગમે તે સ્વરૂપની, ગમે તે પ્રદેશની, દેશની હોય, પણ તેને એક અભિશાપ લાગેલો જ છે, એ સદાય શબ્દથી ડરતી, થરથરતી રહી છે. સત્તા શબ્દની તાકાતને સમજે છે. એટલે તો એ એનાથી ડરે છે. પછી તે શબ્દ કવિતામાં વપરાય કે વાર્તામાં; નિબંધમાં વપરાય કે પત્રકારત્વમાં. સત્તા સામે ઝૂકી જનારા સાહિત્યકારો માત્ર વેપારીઓ જ ગણાય. કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે ખરો? એવા સાહિત્યકારોના સાહિત્યનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય શું માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે? માત્ર સૌન્દર્ય, માત્ર કલા, માત્ર સુષ્ઠુ સુષ્ઠુ જ સર્જન કરવાનું છે?

મોરારિદાસને ત્યાં આવકવેરાની રેઈડ થયા પછી એમની વિરુદ્ધ પત્રકારોએ લખ્યું. એથી મોરારિદાસે લેખકો, કવિઓ, છાપામાં લખતા હોય તેવા સર્જકોને પોતાને ત્યાં બોલાવી, આગતા સ્વાગતા કરી સર્જકોને ખરીદવા માગતા હોય એવી સ્થિતિ ઊભી કરી છે. મોરારિદાસ એવા સર્જકોને જ બોલાવે છે જેની પર સહેલાઈથી પ્રભાવ પાડી શકાય. એમણે ક્યારે ય રમણ પાઠકને બોલાવ્યા નથી, અહોભાવ સાહિત્યને બોદું કરે છે. કાં વ્યક્ત થવા દે, કાં તોડીફોડી નાખું – એમ કહેનારા સર્જકો મોરારિદાસના અસ્મિતા પર્વમાં જઈ ધન્ય બન્યાનું કહે ત્યારે ચક્કર આવી જાય છે. કમિટેડ ભક્તોની હાજરીમાં જ થતા સાહિત્યના આવા પરિસંવાદ કે કાવ્યસંમેલનથી સાહિત્યની કઈ સેવા થાય છે?

સાહિત્ય કદી પણ રાજ્ય, સમાજ, ધર્મ, સંઘ સાથે એકરૂપ નથી થઈ શકતું. તે આ બધી જ સંસ્થાઓને ઓળંગી જાય છે. એટલે તેની ઉત્તમત્તા માટે આવી સંસ્થાઓના આશ્રયની જરૂર નથી હોતી. આશ્રય સર્જકની અભિવ્યક્તિમાં અવરોધ ઊભા કરે છે. સાહિત્ય અકાદમીઓ એ પણ એક પ્રકારનો રાજયાશ્રય જ છે. પેન, તલવાર, સત્તા, અકાદમી ‘અસ્મિતા પર્વ’ કરતાં બળૂકી છે.

સશક્ત સાહિત્યકાર ક્યા રેય ભયભીત ન હોય, પણ એને ડર તો હોય છે, સત્તાનો નહીં, સીતમનો નહીં, અસ્તિત્વનો પણ નહીં, પણ પોતે જે કહેવા માગે છે તેને રુંધવાની શાસન પાસે અમર્યાદ સત્તાઓ અને સાધનો, યુક્તિઓ અને ઉપાયો હોય છે, એનો હોય છે. એના શબ્દ પર લોખંડી આવરણ ઢળી જ જાય છે. જે લોકો સુધી એનો અવાજ પહોંચવો જોઈએ ત્યાં સુધી એ ન પહોંચે, એનો જ ભય હોય છે; પણ કાળાંતરે એ લોખંડી આવરણ પણ પીગળી જતું હોય છે. સર્જકના વિલય પછી પણ શબ્દ તો ધબકતો હોય છે, વધુ બળુકો બનીને જીવતો હોય છે.

રમેશ સવાણી સમ્પાદિત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તિકા (સમ્પાદક–પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર.

નવી દૃષ્ટિ, નવા વિચાર, નવું ચિન્તન ગમે છે? તેના પરિચયમાં રહેવા નિયમિત રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવિન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  24/12/2021

Loading

...102030...1,6951,6961,6971,698...1,7101,7201,730...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved