Opinion Magazine
Number of visits: 9570620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂઠાલાલની જય

ભરત વિઝુંડા|Poetry|1 February 2022

બધા કે’ તે સાચું જૂઠાલાલની જય,
કહે ગામ આખું જૂઠાલાલની જય !

પ્રતિષ્ઠા અને પદ ને પૈસાય આપે,
ને બદલામાં જાપું જૂઠાલાલની જય !

કરી પુષ્પવર્ષા ને બોલાવડાવે,
વિમાનો લડાકુ જૂઠાલાલની જય !

હવે જય શ્રી કૃષ્ણા કહેતી નથી ને
કરે છે એ બાયું જૂઠાલાલની જય !

પ્રથમ કોણ બોલે તો બોલે છે આખર,
અધિકારી બાબુ જૂઠાલાલની જય !

નથી બોલતો આ વખત ચૂંટણીમાં,
એ હારેલ રાજુ જૂઠાલાલની જય !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 15

Loading

કોરોના મૃત્યુઆંકનું દફન

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|1 February 2022

શીર્ષક કદાચ વિચિત્ર લાગી શકે છે. પરંતુ આપણા દેશ અને આપણા રાજ્યની આ કડવી વાસ્તવિક્તા છે. કોરોના મૃત્યુઆંકનું આપણી સરકારો દ્વારા દફન કરી દેવામાં આવ્યું છે.

અલબત્ત, આ અંગેની જાણકારી આપણા સહુ પાસે છે; કારણ કે આપણે તમામ લોકો આંખ, કાન ધરાવતા જીવિત લોકો છીએ. અને આપણે આપણી આંખોથી રાજ્યમાં બીજી લહેરની સ્થિતિ જોઈ પણ છે અને અનુભવી પણ છે. પરંતુ એ સમયે નહીં અને અત્યારે આ ચર્ચા કરવી પડી રહી છે, તેનું એક અગત્યનું કારણ એ છે કે હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશની રાજ્ય સરકારો  કોરોના મૃતકોના વારસદારોને રૂપિયા ૫૦ હજારની સહાય આપી રહી છે. જો કે વાત તો હતી રૂપિયા ચાર લાખની. કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૦માં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના વારસદારોને રૂપિયા ચાર લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી હતી. આ જાહેરાતને લગતો કાગળ અનેક લોકોની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્‌સ ઉપર મોટા પાયે વાયરલ પણ થયો. પરંતુ આ જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં કેન્દ્ર સરકારે આ નિર્ણયને પાછો પણ ખેંચી લીધો હતો. સુપ્રીમ કોર્ટે પણ કોરોના મૃતકોના વારસદારોને રૂપિયા ૪ લાખ આપવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ પી.એમ.કેર ફંડમાં હજારો કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરનાર કેન્દ્ર સરકારે વિના સંકોચે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો હતો કે સરકાર પાસે ચાર લાખ રૂપિયા જેટલી સહાય આપવા માટે પૂરતું ભંડોળ નથી. અને અંતે સુપ્રીમ કોર્ટે પણ રૂપિયા ૫૦ હજારની સહાયને મંજૂરી આપી. હાલમાં  રાજ્યોમાં રૂ.૫૦ હજારની આ સહાય આપવાની પ્રક્રિયા ચાલુ છે. જો કે આપણા રાજ્ય સહિત અનેક રાજ્યોમાં આ બાબત અંગે પૂરતા પ્રમાણમાં જાહેરાત કે પ્રચાર નથી થયા. પરિણામે અનેક સ્થળે સત્તાવાર મૃત્યુઆંક કરતાં ઓછી અરજીઓ આવી રહી છે. તો, આપણા રાજ્યમાં સત્તાવાર મૃત્યુઆંક કરતાં ઘણી વધુ અરજી આવી છે અને હજુ આ આંકડો વધવાની પૂરેપૂરી સંભાવના છે.

અમેરિકા અને ભારતની સરખામણી

યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકામાં પણ કોરોનાથી હાલત વકરેલી છે. વિકસિત દેશ હોવા છતાં કોરોના મહામારીના કારણે અમેરિકામાં સત્તાવાર મૃત્યુઆંક આઠ લાખ કરતાં વધુ છે. અમેરિકામાં આરોગ્ય સેવા ભારત કરતાં ઉન્નત છે, તેમ જ વસ્તીની ગીચતા ભારત કરતાં ઘણી ઓછી છે. તેમ જ તાજેતરનો ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે કે ઓમિક્રોનની આ લહેર માર્ચના અંત સુધીમાં ધીમી પડશે ત્યાં સુધી હજુ વધુ ૫૦ હજારથી ત્રણ લાખ લોકોના મૃત્યુ અમેરિકામાં થઈ શકે છે. તેની સામે આપણા દેશમાં સત્તાવાર મૃત્યુઆંક ચાર લાખ કરતાં વધુ છે. તો સવાલ એ છે કે અમેરિકા અને આપણા દેશના મૃત્યુઆંકમાં આટલો મોટો તફાવત શા માટે છે? તેની પાછળનું એક મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં ગમે તેવાં જમણેરી પરિબળોનું આધિપત્ય હોય તેમ છતાં ત્યાંના લોકશાહી માળખામાં એટલું લઘુતમ મૂલ્ય તો છે કે મૃત્યુઆંક ના તો ઓછો બતાવવામાં આવે છે, ના તો સંક્રમિત કેસોની સંખ્યા ઓછી બતાવવામાં આવે છે. માધ્યમોની સ્વતંત્રતા પણ આપણા કરતાં ત્યાં વધુ છે. અને એટલા માટે જ અમેરિકાનો સત્તાવાર મૃત્યુઆંક આપણા દેશ કરતાં બમણો છે.

જો કે અનેક અહેવાલો એ દર્શાવી ચૂક્યા છે કેકોરોના મહામારીની બીજી લહેરની સમાપ્તિ સુધીમાં આપણા દેશમાં ૪૦થી ૪૨ લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ સમગ્ર દેશમાં મૃત્યુઆંક છુપાવવાની જાણે કે હોડ ચાલી હતી! અને હવે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સહાય આપવામાં આવી રહી છે ત્યારે સહાય મેળવવા માટે આવી રહેલી અરજીઓની સંખ્યા સરકારનાં જુઠ્ઠાણાંને ખૂલ્લું પાડી રહી છે.

કોરોના મૃત્યુઆંકને લઈને ગુજરાતની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ પર રજૂ કરવામાં આવેલ સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં બીજી લહેરની સમાપ્તિ સુધીમાં ૧૦,૦૯૪ મૃત્યુ નોંધાયા હતા, જેની સામે હાલમાં કોરોના સહાય માટે આવેલી અરજીઓનો આંકડો ૯૦,૦૦૦ને પાર કરી ગયો છે. અને ખુદ રાજ્ય સરકાર સ્વીકારે છે કે ૫૮ હજાર જેટલી અરજીઓને સહાય ચૂકવી પણ દેવામાં આવી છે. આ આંકડા જોતાં જ્યારે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું સત્તાવાર રીતે પકડાઈ રહ્યું છે, ત્યારે હજુ ફરી એકવાર જુઠ્ઠું બોલવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટે કોરોના મૃત્યુની વ્યાખ્યામાં બદલાવ કર્યો હોવાથી ગુજરાતમાં મૃત્યુ આંકની સંખ્યા વધી છે! હવે સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોરોના મૃત્યુની વ્યાખ્યા કેવી રીતે બદલાઈ છે? સમગ્ર દુનિયામાં કોરોનાથી થતા મૃત્યુની એક જ વ્યાખ્યા છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે મૃત્યુ 'કોરોનાથી થયેલ મૃત્યુ' ગણવામાં આવે. ગુજરાત સરકાર કોમોર્બીડિટીથી થતા કોરોના મૃત્યુને 'કોરોના મૃત્યુ'તરીકે ગણવા નહોતી માંગતી. અલબત્ત ડાયાબિટીસ, કેન્સર કે અન્ય ગંભીર રોગોથી પીડાતા દરદીઓ  કોરોના સંક્રમિત થઈને મૃત્યુ પામે તો તેમના મૃત્યુનું તાત્કાલિક કારણ તો 'કોરોના' જ ગણાય. તેમ છતાં મૃત્યુઆંક ઓછો દર્શાવવા માટે ગુજરાત સરકારે મૃત્યુ આંકની દેખરેખ કરવા માટે એક ઓડિટ કમિટી પણ બનાવી હતી. કદાચ સમગ્ર દુનિયામાં અનોખું ઉદાહરણ આપણા રાજ્યનું જ હશે કે જ્યાં મૃતકોની ગણતરી માટે ઓડિટ કમિટી બનાવવામાં આવી હોય!

સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને અનેક વાર ફટકાર લગાવી છે. અને અત્યારે સહાયની રકમ ચૂકવવામાં જે થોડી ઘણી અસર દેખાઈ રહી છે, તેની પાછળ સુપ્રીમ કોર્ટની ફટકાર જવાબદાર છે. તેમ છતાં આ સહાય અંગે હજુ પૂરતા પ્રમાણમાં પ્રચાર થયો ન હોવાથી રાજ્યના અનેક લોકો આ બાબતથી માહિતગાર નથી. અનેક રજૂઆતો બાદ માત્ર બે દિવસ માટે માધ્યમોમાં આ અંગેની જાહેરાત આપવામાં આવી હતી, જે સ્વાભાવિકપણે અપૂરતી કહી શકાય.

સહાય મેળવવા માટે જે લોકોને માર્ગદર્શનની જરૂર હોય અથવા તો જે લોકો ઓનલાઈન ફોર્મ ભરવાનું જાણતા ન હોય તેવા લોકો માટે અમે એક 'હેલ્પ સેલ'ની શરૂઆત કરી હતી. એ દરમિયાન જે પ્રશ્નો સામે આવ્યા તે નીચે મુજબ છે.

એ સમયે મૃત્યુઆંક છુપાવવા માટે અનેક લોકો કે જેમનાં મૃત્યુ હોસ્પિટલમાં થયા હતા તેમને 'મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ’ આપવામાં આવ્યું નહોતું. પરિણામે જે લોકો પાસે એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. રિપોર્ટના પુરાવા નથી, તેવા લોકો આ 'મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ’ મેળવવા માટે હોસ્પિટલના ધક્કા ખાઇ રહ્યા છે.

દરદીના મૃત્યુ સમયે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ડેથ સ્લીપમાં મૃત્યુના કારણ તરીકે 'કોરોના’ સ્પષ્ટ દર્શાવ્યું હોય, તેમ છતાં જ્યારે 'મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ’ અત્યારે મેળવવું પડે છે, ત્યારે તેમાં મૃત્યુનાં કારણ 'કુદરતી' દર્શાવવામાં આવે છે. પરિણામે એક જ હોસ્પિટલના બે દસ્તાવેજોમાં ભયંકર વિરોધાભાસ છે. અને પરિણામે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજ્યની સૌથી મોટી,૧,૨૦૦ પથારીની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં આવી ઘટનાઓ સૌથી વધુ બની છે. અને રાજ્યભરમાં એક સાથે આવા કિસ્સા મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. માટે આ ચૂકને માત્ર 'તકનીકી ખામી' ગણાવી શકીએ નહીં, તે 'ઉપરના આદેશ'નું પરિણામ છે.

જે સમયે પંચાયતની ચૂંટણીઓ રાજ્યમાં હતી એ સમય દરમિયાન અરજી કર્યાના બે-ત્રણ દિવસ જેટલા ટૂંકા ગાળામાં સહાયની રકમ ચૂકવી દેવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલ અરજી કર્યાના મહિના ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં સહાયની રકમ મળવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે.

જેમની પાસે પુરતા દસ્તાવેજો હોય તેવી સાચી અરજીઓ પણ ધડાધડ નામંજૂર કરવામાં આવી રહી છે.

બીજી લહેર દરમ્યાન શું સ્થિતિ હતી, આપણે સહુ જાણીએ છીએ! એ સમયે એન્ટીજન અથવા આર.ટી.પી.સી.આર. રિપોર્ટની વ્યવસ્થા ના થઈ શકી હોય તો અનેક લોકોએ સી.ટી.સ્કેનના રિપોર્ટ કરાવ્યા હતા. જેમની પાસે સી.ટી.સ્કેન એકમાત્ર પુરાવો છે તેવા લોકો પણ આ સહાયથી વંચિત થઈ રહ્યા છે; કારણ કે સી.ટી. સ્કેનને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવેલ નથી.

સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે આ તમામ પ્રકારની હેરાનગતિ, એ મૃત્યુઆંકમાં વધારો ના થાય તે માટેની કોશિશ છે.

જો કે આ તો સહાય મેળવવા માટેના પ્રશ્નો છે. પરંતુ આ ફોર્મ ભરવવા માટે આવતી દરેક વ્યક્તિ જાણે કે કોરોનાની ભયાનકતાની એક જીવતી જાગતી વાર્તા હતી. લગભગ દરેક વ્યક્તિની વાતો સાંભળીને મને હંમેશાં એવું લાગતું કે આ વ્યક્તિઓ પોતાના સ્વજનને ગુમાવવાથી માનસિક શાંતિ ગુમાવી બેઠાં છે. અનેક લોકો સારવાર કે મૃત્યુની એ ક્ષણો યાદ કરીને અમારી સામે જ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડતા હતા. તો, અનેક લોકો મૃત્યુની એ ઘટનાની વાત વારંવાર અમારી સમક્ષ પુનરાવર્તિત કર્યા કરતા! મારી નજર સામે ય એ દિવસોનાં દૃશ્યો ઉભરી આવતાં. વાડજ સ્મશાનગૃહ એ મારો રોજની અવરજવરનો રસ્તો. સતત એમ્બ્યુલન્સના અવાજો, શબવાહિનીની છે’ક રીવરફ્રન્ટ સુઘી પહોંચેલી કતારો અને મારા ઘરના ધાબા પરથી સ્મશાનની ચીમનીમાંથી નીકળતો સતત ધુમાડો ય આજે ય મારી ઊંઘને છીનવે છે. જ્યારે મારા એક કુટુંબીજનની સ્થિતિ કોરોનાથી કથળી હતી, અને હું ય હોસ્પિટલમાં ખાલી જગ્યા શોધવા ભટકતી હતી, ત્યારે એક ડોકટરે ફોન પર કહ્યું હતું, “તમે આવશો ત્યારે કોઈનું તો મૃત્યુ થઈ જ ગયું હશે, એટલે જગ્યા ખાલી થઈ જશે”. આ સ્થિતિ પ્રવર્તતી હતી, રાજ્યમાં. તો, બીજી બાજુ પ્રધાન મંત્રીના નામથી નવીનીકરણ કરાયેલા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ પણ ચાલતી હતી. મારા કુટુંબીજનને ગુમાવી દીધા બાદ જ્યારે સ્મશાનમાં પહોંચ્યા ત્યારે એક છોકરો પોતાના ચાર કુટુંબીજનોના મૃતદેહ સાથે એકલો લાઈનમાં બેઠો હતો. આપણામાંથી કોણ આ યાતનાઓમાંથી પસાર નથી થયુ??

આ સમગ્ર ઘટનાક્રમ માત્ર પચાસ હજાર રૂપિયાની સહાય મેળવવાના સંદર્ભમાં નથી. મનુષ્યને જેમ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે, તે જ રીતે મનુષ્યના મૃત્યુનું પણ સન્માન જળવાવું જોઇએ. રાજ્યમાં બીજી લહેર દરમિયાન શું સ્થિતિ હતી, તેને વાગોળવી એટલે ઘા પર મીઠું ભભરાવવું. ઓક્સિજનના અભાવે, હોસ્પિટલમાં પથારીના મળવાના કારણે, આપણે આપણા અનેક સ્નેહીજનોને ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં મૃત્યુ પામ્યા છે. આર્થિક રીતે સંપન્ન લોકો કે જેઓ સારવારના બદલામાં લાખો રૂપિયા ખર્ચવા સુધ્ધા તૈયાર હતા, તેમ છતાં તબીબી સારવાર સમયસર ના મળવાના કારણે પોતાના સ્નેહીજનોને ગુમાવી ચૂક્યા છે. પોતાના નિકટ જનના મૃત્યુ બદલ આર્થિક સહાય લેવી એ ઘણીવાર પસંદગીની વાત નથી હોતી. પણ કદાચ આ નાનકડી રકમ ક્યાંક કોઈકને નાનકડી રાહત આપી શકે! અને આમ પણ આ લોકોના ટેક્સના રૂપિયા છે જેના ઉપર લોકોનો પૂરતો અધિકાર છે. પણ મૃત્યુનું પણ સન્માન ન જાળવતી રાજ્ય સરકાર સાધારણ લોકોને 'પોતાના સ્વજનનું મૃત્યુ કોરોનાથી થયું છે' તે સાબિત કરાવવા અહીંથી ત્યાં ધક્કા ખવડાવી રહી છે. આથી વધુ અપમાન અને અવહેલના બીજું શું હોઈ શકે?

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 11-12

Loading

રેલવેના ખાનગીકરણથી કોને ફાયદો થશે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|31 January 2022

સરકાર ભલે વારંવાર ઈન્કાર કરતી રહે પણ તેના પગલાં સૂચવે છે કે રેલવેનું ધીરેધીરે ખાનગીકરણ થઈ રહ્યું છે. કેટરિંગ, ટિકિટ બુકિંગ, પાર્કિંગ અને અન્ય સેવાઓ તો ક્યારની ય ખાનગી હાથોમાં છે. અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે આંશિક ખાનગી ધોરણે તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કર્યા પછી, ૧૦૯ રૂટ્સ પર ૧૫૧ ખાનગી ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દેશનાં સવાસો રેલવે સ્ટેશનોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના નામે ખાનગી કંપનીઓને સોંપી દેવાનાં છે. નીતિ આયોગ અને ૨૦૧૪માં રચાયેલી વિવેક દેબરોય સમિતિ પણ રેલવે પરનો સરકારનો એકાધિકાર ખતમ કરી દેવાનો મત ધરાવે છે.

ભારતની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું યોગદાન ધરાવતી રેલવે અંગ્રેજોની દેન છે. આઠમી મે ૧૮૪૫ના રોજ ભારતીય રેલવેની સ્થાપના થઈ હતી. ૧૮૫૩માં પહેલી ટ્રેન મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી.૧૯૨૫માં મુંબઈ-કુર્લા વચ્ચે પહેલી ઈલેકટ્રિક ટ્રેન દોડી હતી. ઈ.સ. ૧૯૦૦થી રેલવે સરકારના નિયંત્રણમાં છે. આઝાદ ભારતમાં રેલવેનો વિકાસ અને વિસ્તાર થયો છે. આજે તે ૬૭,૪૧૫ કિલોમીટરની લંબાઈ ધરાવતું દુનિયાનું ચોથું અને એશિયાનું બીજા ક્રમનું રેલવે નેટવર્ક છે. રોજ ૧૩,૧૭૦ રેલગાડીઓમાં ૨.૨૫ કરોડ લોકો પ્રવાસ કરે છે.

રેલવેના ખાનગીકરણના પ્રયાસો અગાઉ પણ થયા છે. પરંતુ વર્તમાનમાં તેની ગતિ વધી છે. હાલની કેન્દ્ર સરકારે ૨૦૧૭થી અલગ રેલવે બજેટ બંધ કર્યું અને રેલવેના વિકાસ માટેનું મૂડી રોકાણ ઘટાડવા માંડ્યું છે. ઉપરથી દેશની અર્થવ્યવસ્થાને રેલવે દ્વારા મજબૂત કરવા ખાનગી ક્ષેત્રોના મૂડી રોકાણને આવકારે છે. મોનેટાઈઝેશન, નેશનલ રેલવે પ્લાન અને રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તેણે ખાનગી ક્ષેત્રોના પ્રવેશનો માર્ગ મોકળો કર્યો છે.

રેલવેની કથિત બિનઉપયોગી સંપત્તિ એસેટ મોનેટાઈઝેશન હેઠળ ખાનગી ક્ષેત્રોના હવાલે થઈ રહી છે. બધાં જ શહેરોનાં રેલવે સ્ટેશનો આસપાસની જમીનો આજે સોનાની લગડી જેવી છે. એક અંદાજ મુજબ રેલવેની માલિકીની ૪.૮૧ લાખ હેકટર જમીન છે. ખાનગી ક્ષેત્રનો લાલચુ ડોળો વરસોથી તેના પર મંડાયેલો છે. રેલ પરિસરના વિકાસના નામે આ જમીનોના સોદા થવાના છે. રેલવેની મુખ્ય સંપત્તિમાં ૨,૯૩,૦૭૭ માલગાડીઓ, ૭૬,૬૦૮ પ્રવાસી કોચ અને ૧૨,૭૨૯ રેલવે એન્જિનનો સમાવેશ થાય છે.

રેલવેની અન્ય સંપત્તિઓમાં સ્ટેડિયમ, હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને મ્યુઝિયમ વગેરેને પણ ખાનગી કંપનીઓને આપી દેવાશે. શોષક કહેવાતા અંગ્રેજોએ રેલવેના કર્મચારીઓના કલ્યાણ માટે આ બધી વ્યવસ્થા ઊભી કરી હતી. પરંતુ કલ્યાણ રાજને વરેલી લોકશાહી સરકાર તેનો ખાતમો કરવા માંગે છે. અફસરોની ઊતરતી પ્રાથમિકતાને કારણે રેલવે શાળાઓ નામશેષ થઈ ગઈ છે. દેશમાં એક સમયે સસ્તું પણ સારું શિક્ષણ આપતી ૮૦૦ રેલવે સ્કૂલ્સ હતી. આજે માંડ ૯૦ બચી છે. દેશની ૮૭ કેન્દ્રીય વિધ્યાલયો રેલવેની જમીનો પર બંધાઈ છે અને રેલવે સ્કૂલ્સ ખાડે ગઈ છે. આ સ્થિતિ રેલવે હોસ્પિટલ્સ અને સ્ટેડિયમની પણ થવાની છે.

ખાનગી પેસેન્જર ગાડીઓ ઉપરાંત લગભગ સઘળી માલગાડીઓનું પણ પ્રાઈવેટાઈઝેશન થવાના એંધાણ વર્તાય છે. એસેટ મોનેટાઈઝેશન દ્વારા સરકાર રૂપિયા બે લાખ કરોડ અને ખાનગી ટ્રેનો ચલાવીને રૂપિયા ત્રીસ હજાર કરોડની રોકડી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ખાનગીકરણ કરવા માટે સરકાર રેલવેની ખોટને કારણે વધતા આર્થિક બોજાને પ્રમુખ કારણ ગણાવે છે. તે ઉપરાંત રેલવે સેવાની કથળતી ગુણવત્તા, આધુનિકીકરણનો અભાવ, ટ્રેનોની અનિયમિતતા, રેલવે અકસ્માતો, ભ્રષ્ટાચાર પણ અન્ય કારણો છે. ૨૦૧૮-૧૯માં રેલવેની આવકમાંથી ખર્ચ બાદ કરતાં રૂપિયા ૬૦૦ કરોડનો નફો થયો હતો. ગયા વરસનો રેલવેનો ઓપરેટિંગ રેશિયો ૯૮ ટકા હતો. અર્થાત્‌ ૯૮ રૂપિયા ખર્ચ સામે ૧૦૦ રૂપિયાની આવક થતાં સો રૂપિયે બે રૂપિયાનો નફો થયો હતો ઉત્પાદકતા અને નફાનો સિદ્ધાન્ત લાગુ પાડીને જ દર વરસે રેલવેના કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. એટલે રેલવે સાવ ખોટમાં ચાલે છે તે બાબત અર્ધસત્ય છે. રેલવેની આવકના સ્રોતમાં ભાડાંની આવક ઉપરાંત સરકારની મદદ અને દેશી-વિદેશી મૂડી-રોકાણ પણ છે. પરંતુ સરકાર નિર્ધારિત બજેટ જોગવાઈ કરતાં પણ ઓછા નાણાં રેલવેને આપે છે અને બીજી તરફ રેલવે મારફતે અર્થવ્યવસ્થા મજબૂત કરવા માંગે છે !

કરોડો લોકો માટેની લાઈફલાઈન એવી રેલવે પરિવહનનું સસ્તું અને સુગમ સાધન છે. દેશના લાખો ગરીબોની રોજીરોટી તેના પર નિર્ભર છે અને તેમની જિંદગીનો મહત્ત્વનો હિસ્સો છે. રેલવેનો ઉદ્દેશ માત્ર નફાનો નથી, પણ સૌને પરવડે તેવાં ભાડાંમાં સેવા આપવાનો છે. આ તેનું સામાજિક દાયિત્વ છે. છેલ્લાં થોડાં વરસોથી સરકાર રેલવે ટિકિટ પર યાત્રીને ૪૩ ટકા સબસિડી અપાતી હોવાની વિગત છાપે છે. આમ કરીને સરકાર રેલવેની ખોટનું કારણ સસ્તું ભાડું હોવાનું ઠસાવીને ગરીબોના ટ્રાન્સપોર્ટેશન માટેની તેની ફરજ વિસારે પાડી દેવા માંગે છે.

જો રેલવેનું ખાનગીકરણ થશે તો સ્વાભાવિક જ ભાડાં વધશે. ખાનગી કંપની ખોટ કરતાં કે દૂરના વિસ્તારની, ગામડાંની ટ્રેનો બંધ કરશે. એટલે ગરીબોને અગવડ પડશે. પાંત્રીસ વરસ માટે હાલના હયાત તમામ રિસોર્સ (ડ્રાઈવર, ગાર્ડ, ટ્રેન, સ્ટેશન, સિગ્નલ, ટ્રેક, બુકિંગ) સાથે સરકાર ખાનગી ટ્રેનો શરૂ કરવા માંગે છે. આંશિક ખાનગી ધોરણે અર્થાત્‌ રેલવેના ખાનગી સાહસ ‘ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન’ (આઈ.આર.સી.ટી.સી.) દ્વારા જે બે ખાનગી તેજસ એક્સપ્રેસ ટ્રેનો ચાલે છે તેનો અનુભવ ખાનગીકરણ કેટલું લોકવિરોધી હશે તે દર્શાવે છે. અમદાવાદથી મુંબઈ વચ્ચેની સૌથી ઝડપી અને મોંઘી શતાબ્દી એકસપ્રેસનું ભાડું રૂપિયા ૭૦૦ છે પણ તેજસનું રૂપિયા ૧૨૯૫ છે. દિલ્હી-લખનૌ વચ્ચે ૫૩ ટ્રેનો છે. સૌથી ઝડપી શતાબ્દી એકસપ્રેસ સાડા છ કલાકે પહોંચાડે છે તેનું ભાડું રૂપિયા ૮૦૦ છે તેના કરતાં ૧૦ મિનિટ વહેલા પહોંચાડતી ખાનગી તેજસ ટ્રેનનું ભાડું રૂપિયા ૧,૧૨૫ છે. સગવડ અને ભાડાં વચ્ચેનો આ તફાવત કોઈ પણ રીતે ખાનગીકરણને વાજબી ઠરાવતું નથી. વળી તેજસને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની ૩૩ ટ્રેનોના સમય બદલવા પડ્યા છે.

પી.પી.પી. ધોરણે રૂપિયા સો કરોડના ખર્ચે વિકસાવાયેલા દેશના પહેલા, ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશન (હવે નવું નામ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન) પર, પ્રવાસીઓ અને તેમના સગાંવહાલાંનાં વાહનોના પાર્કિંગ ચાર્જમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સહિતના પચાસ રેલવે સ્ટેશન પર સ્ટેશન રિડેવલપમેન્ટનો ખર્ચ પ્રવાસીઓ પાસેથી યુઝર ચાર્જના નામે વસૂલવામાં આવનારો છે. એટલે ખાનગીકરણ સરકારી સગવડોના ભોગે અને લોકોને હાલાકીમાં મૂકીને થઈ રહ્યું છે.

રેલવેના ખાનગીકરણની સૌથી મોટી અસર રોજગાર પર થશે. આજે દેશમાં રેલવે સૌથી મોટું રોજગારી પૂરું પાડતું સરકારી તંત્ર છે. રેલવેમાં ૧૭ લાખ જેટલા અધિકારી-કર્મચારી કામ કરે છે. ખાનગીકરણથી નવી ભરતી તો બંધ થઈ જ જશે મોટા પાયે છટણી થવાની અને રોજગાર ઘટવાની શક્યતા પણ રહે છે. સરકારે હાલમાં જ રેલવેની પચાસ ટકા ખાલી જગ્યાઓ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે તે પણ ખાનગીકરણની દિશાનું પગલું છે. રેલવેમાં કાયમી જેટલા જ હંગામી અને કોન્ટ્રાકટ વર્કર્સ છે. તેમની રોજીરોટી તો ખાનગીકરણ છીનવી જ લેશે. આ બાબતમાં બી.એસ.એન.એલ.ના ખાનગીકરણનું ઉદાહરણ આપણી નજર સમક્ષ છે જ. પરંતુ તેમાં માત્ર ૧.૭૦ લાખ જ કર્મચારીઓ હતા જ્યારે રેલવેમાં તેના કરતાં દસ ગણા વધુ છે.

સસ્તાં ભાડાંને કારણે રેલવે ખોટમાં ચાલે છે તેવો પ્રચાર કરતાં લોકો રેલવેની બાબુશાહી, ઉડાઉ ખર્ચા અને મોંમાથા વગરની આવકવૃદ્ધિની યોજનાઓ અંગે મોં બંધ રાખે છે. પહેલાં રેલવેની કામગીરી સાત ઝોનમાં વહેંચાયેલી હતી. આજે મેટ્રો સાથે સત્તર ઝોન છે. રેલવે ઝોનમાં થયેલી વૃદ્ધિ કેટલું સત્તા અને કામગીરીનું વિકેન્દ્રીકરણ કરે છે અને કેટલો ખર્ચ વધારો છે તેની તપાસ થતી નથી. રેલવેની આવકનો પાંસઠ ટકા હિસ્સો વેતન, પેન્શન અને વહીવટમાં જ ખર્ચાઈ જાય છે અને વિકાસ માટે નાણાં બચતાં નથી. તેનો ઉપાય વિચારાતો નથી.

ભાડાં ઉપરાંતની આવક મેળવવા રેલવેના બાબુઓ અવનવા કીમિયા અજમાવે છે. પસંદગીનાં રેલવે સ્ટેશનો પર યુઝર્સ ચાર્જ, નીચેની રિઝર્વ બર્થનું વધુ ભાડું, વધુ લગેજનો દંડ, ટ્રેનમાં પેસેન્જર્સને માલિસ કરવાની યોજના, પ્રિમિયમ ટ્રેનો(દુરંતો, રાજધાની, શતાબ્દી વગેરે)માં માંગ અને પુરવઠાના આધારે ફ્લેક્સી ફેર કહેતાં રિઝર્વ બર્થ જેમજેમ ભરાતી જાય તેમતેમ પાછળની રિઝર્વ બર્થનું વધુ ભાડું મુખ્ય છે. ખુદ સત્તાપક્ષના સાંસદોના વિરોધને લીધે આ પૈકીની કેટલીક યોજનાઓ પડતી મૂકવી પડી છે કે ‘કેગ’ના રિપોર્ટમાં ટીકા થઈ છે.

દુનિયાના કેટલાક દેશોમાં ખાનગી અને સરકારી ધોરણે ચાલતી ટ્રેનોનાં ભાડાંનો તફાવત પણ  વિચારવો જોઈએ. એક અભ્યાસમાં જણાયું છે કે બ્રિટનમાં ૩૫ મિનિટના ખાનગી ટ્રેન પ્રવાસનું માસિક ભાડું ૩૫૮ પાઉન્ડ છે જ્યારે એટલી જ મિનિટના સરકાર સંચાલિત ટ્રેન પ્રવાસનું ભાડું ફ્રાન્સમાં ૨૩૪, જર્મનીમાં ૯૫, સ્પેનમાં ૫૬ અને ઈટલીમાં ૩૭ પાઉન્ડ છે.

ઈ.સ. ૧૯૯૩માં માર્ગારેટ થેચરના શાસનકાળમાં બ્રિટિશ રેલવેનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. પણ હવે તેના વળતાં પાણી છે. ખાનગીકરણ પછી ટ્રેનોમાં ભીડ વધી છે, મરામત ઘટી છે અને અંતરિયાળ વિસ્તારની ટ્રેનો બંધ કરી દીધી છે. એટલે ૨૦૧૮થી કેટલાક રૂટ્સ સરકારે પોતાના હસ્તક લેવા પડ્યા છે. કોરોના કાળમાં ટ્રેનો બંધ રહેતાં થયેલી ખોટ પેટે બ્રિટિશ સરકારને ખાનગી કંપનીઓને ચાર અબજ પાઉન્ડની મદદ કરવી પડી છે. ભારતમાં પણ કોરોના મહામારીને કારણે પેસેન્જરો ઘટતાં ખાનગી તેજસ એકસપ્રેસ બંધ કરવામાં આવી હતી કેમ કે ઓછા પેસેન્જર્સને લીધે કંપનીને મળતો તગડો નફો બંધ થઈ ગયો હતો ! ભારતમાં રેલવેના ખાનગીકરણના ઝંડાધારીઓ માટે આ અનુભવ આંખ ઉઘાડનારો બનવો જોઈએ.

કેન્દ્રીય કેબિનેટના છેલ્લા વિસ્તરણમાં પૂર્વ નોકરશાહ અશ્વિની વૈષ્ણવની રેલવે મંત્રી તરીકે  પસંદગી થઈ હતી. ખાનગીકરણમાં તેઓ માહેર હોવાની તેમની યોગ્યતા રેલ મંત્રી તરીકેની તેમની પસંદગીનું કારણ હોવાનું માધ્યમોએ તે સમયે ચમકાવ્યું હતું એટલે પણ રેલવે હવે સામાજિક દાયિત્વના તેના મૂળ ઉદ્દેશને ભૂલી દૂઝણી ગાય બનવા જતાં ગરીબોના પરિવહન અને પેટ પર પાટુ મારે તો નવાઈ નહીં. વિકરાળ આર્થિક અસમાનતા ધરાવતા દેશમાં ખાનગીકરણ રેલવે પ્રવાસને મોંઘો અને થોડાં સાધન સંપન્ન લોકો માટે સીમિત બનાવી શકે છે. દેશભરમાં વિસ્તરેલી રેલવેની જાળ પણ સંકોચાઈ જવાની અને બરબાદ થઈ જવાની દહેશત રહે છે.

(તા.૦૫.૦૧.૨૦૨૨)

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,6141,6151,6161,617...1,6201,6301,640...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved