Opinion Magazine
Number of visits: 9673624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાગણીઓનાં બેસણાં

પાયલ ધોળકિયા|Poetry|6 March 2022

આ તે કેવાં બંધનનાં સ્પંદનો?
છુટાં છવાયા વાદળો પણ કાબૂમાં આવી જાય,
જ્યારે વર્ષાની ગર્જના થાય.
જેમ આભ ગુમાવ્યાની વેદના
ખરતા તારા સિવાય
કોઈ જાણી શકતું નથી,
તદ્દન એવું જ થાય છે
આ રહસ્યમય જીવનમાં,
દૂર વસતાં આપ્તજનોનો
સાથ હોવો એ આજે
ઓકિસજન જેવું ફરજિયાત બની ગયું છે,
સંબંધો હવે લાગણીનાં
વેન્ટીલેટર ઉપર પાંગરે છે.
લાગણીની ભિનાશની ખપ વર્તાય છે.
સાચવી લેજો આ સંબંધો ને,
નહીં તો એ દિવસ દૂર નથી,
જયાં લાગણીઓનાં પણ બેસણાંમાં જવું પડશે.

e.mail : payaldholakia666@gmail.com

Loading

બા અને બાપુ – દાંપત્યનું એક સુગંધી ચિત્ર

સોનલ પરીખ|Gandhiana|6 March 2022

કસ્તૂરબાની શોધ કરનારાઓને બા એકલાં મળે નહીં. બાપુમાં જ બાને શોધવા પડે. પછી એમ તો બામાં પણ બાને શોધવા પડે. ને ત્યાર પછી પ્રતીતિ થાય કે બેમાંથી એકે રીતે પૂરેપૂરાં, આખેઆખાં બા તો મળતાં જ નથી. બાએ પોતાના વિશે કશું કહ્યું નથી. લોકો એમને મહાત્માનાં પતિપરાયણ અર્ધાંગિની તરીકે જ ઓળખે છે. જેને અનુસરવાના સંસ્કાર બાનાં લોહીમાં વહેતા હતા એ પતિ દુનિયાથી એવો નિરાળો હતો કે દેશના જ નહીં, દુનિયાના ઇતિહાસને બદલી નાખનાર સંયોગો બાની આસપાસ સર્જાતા ગયા …

(22 ફેબ્રુઆરી – કસ્તૂરબાની પુણ્યતિથિ)

નારાયણ દેસાઈએ એમના પિતા મહાદેવભાઈનું જીવનચરિત્ર લખવા માંડ્યું ત્યારે મુશ્કેલી એ થઈ કે તેમને મોહન વિનાના મહાદેવ મળ્યા જ નહીં. પછી તેમણે મોહનમાં જ મહાદેવને શોધવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પુસ્તક સર્જાયું. કસ્તૂરબાની શોધ કરનારાઓને પણ આ જ અનુભવ થાય. બા એકલાં હાથમાં ન આવે. બાપુમાં જ બાને શોધવા પડે. પછી એમ તો બામાં પણ બાને શોધવા પડે. ને ત્યાર પછી પ્રતીતિ થાય કે બેમાંથી એકે રીતે એ પૂરેપૂરાં, આખેઆખાં બા તો મળતાં જ નથી.

મુશ્કેલી એ છે કે બાએ પોતાના વિશે કશું કહ્યું નથી. લોકો એમને મહાત્માનાં પતિપરાયણ અર્ધાંગિની તરીકે જ ઓળખે છે. ઉપરાંત આજથી દોઢ સદી પહેલાનો એ સમય પણ જુદો હતો અને જેને અનુસરવાના સંસ્કાર બાનાં લોહીમાં વહેતા હતા એ પતિ પણ દુનિયાથી નિરાળો હતો. એવો નિરાળો કે દેશના જ નહીં, દુનિયાના ઇતિહાસને બદલી નાખનાર સંયોગો બાની આસપાસ સર્જાતા ગયા.

તેર વર્ષની ઉંમરે પોતાનાથી થોડાક નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના લગ્નજીવન દરમ્યાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો અને ભારતની જ નહીં, સમગ્ર વિશ્વની શોષિત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્યપરિવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સિદ્ધાંતો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માના અર્ધાંગિની બનવું એ જ્વાળામુખીની ટોચ પર રહેવા જેવું કપરું કામ હતું. ગજું જોઈએ.
બામાં આ ગજું હતું. બાપુની પડખે રહીને બાએ પણ વિરાટ ઐતિહાસિક પરિવર્તનોનાં મૂળમાં પોતાની પ્રાણશક્તિ સીંચી હતી. કાઠિયાવાડની એક સંસ્કારી નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધી બાની યાત્રામાં કેવા વળાંકો, કેવા પડાવો આવ્યા હશે, તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું શું છોડ્યું હશે, શું શું અપનાવ્યું ને સ્વીકાર્યું હશે, પોતાને કેવી કેવી રીતે સજ્જ કર્યાં હશે તેની કલ્પના કરતાં મનમાં અજબ રોમાંચ, અજબ ઊથલપાથલ જાગ્યા વિના રહે નહીં.
પતિપત્નીનાં સંબંધો વિશે પુરાતન ધર્મશાસ્ત્રોથી લઈને આજની સંબંધોનાં મૅનેજમેન્ટની વિભાવનાઓ સુધી ઘણું લખાયું છે. સમસ્યાઉકેલ અને સ્નેહસુમેળનાં સેમિનારો થાય છે. આ બધાથી સંબંધો થોડાઘણા સુધરતા હશે. પરંતુ પોતાનું કલ્યાણ સાધતાં સાધતાં લોકસમુદાયને પણ કલ્યાણપથ પર સાથે દોરી જવાની સમજણ સાથે આગળ વધતાં દંપતી જૂજ હોય છે. કસ્તૂરબા અને ગાંધીજી આવાં પતિપત્ની હતાં. ત્યારે જ તો બા બાપુ માટે કહી શકે કે મારા જેવો પતિ તો દુનિયામાં કોઈને નહીં હોય અને બાપુ બા માટે કહી શકે કે મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.

22 ફેબ્રુઆરીએ કસ્તૂરબાની પુણ્યતિથિ હતી. બા વિશે બાપુના ઉદ્દગારો કેવા છે ? બાપુ લખે છે,

‘બા નિરક્ષર હતી. સ્વભાવે સીધી, સ્વતંત્ર, મહેનતુ અને મારી સાથે તો ઓછું બોલનારી હતી. તેને પોતાના અજ્ઞાનનો અસંતોષ ન હતો. હું ભણું છું અને પોતે પણ ભણે તો સારું એવી એની ઈચ્છા મેં કદી મારા બચપણમાં અનુભવી નથી. પણ તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ જુવાનીમાં મેં એને ભણાવવાના જેટલા પ્રયત્નો કર્યા તે બધા લગભગ નિષ્ફળ ગયા. જ્યારે હું વિષયની ઊંઘમાંથી જાગ્યો ત્યારે તો હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂક્યો હતો, એટલે બહુ વખત આપી શકું એવી મારી સ્થિતિ નહોતી રહી. શિક્ષક મારફતે ભણાવવાના મારા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. પરિણામે આજે કસ્તૂરબાઈની સ્થિતિ માંડ કાગળ લખી શકે અને સામાન્ય ગુજરાતી સમજી શકે એવી છે. જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદુષી સ્ત્રી હોત એવી મારી માન્યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઈ જ અશક્ય નથી એમ હું જાણું છું.

‘બામાં એક ગુણ બહુ મોટા પ્રમાણમાં છે, જે બીજી ઘણી હિંદુ સ્ત્રીઓમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેલો છે. મને-કમને, જ્ઞાન-અજ્ઞાનથી મારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે. અને સ્વચ્છ જીવન ગાળવાના મારા પ્રયત્નમાં મને કદી રોક્યો નથી. આથી, જો કે અમારી બુદ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારું જીવન સંતોષી, સુખી અને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે. બ્રહ્મચર્યવ્રતના પાલનમાં બા તરફથી કદી વિરોધ નથી થયો. અથવા તો બા કદી લલચાવનારાં નથી બન્યાં. મારી અશક્તિ અથવા આસક્તિ જ મને રોકી રહી હતી.

‘મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોયે તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશે ય રહેતી. પણ મારું જાહેર જીવન જેમ ઉજ્જ્વળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ. અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે, મારામાં અને મારા કામમાં-સેવામાં ભેદ ન રહ્યો. બા તેમાં તદાકાર થવા લાગી.

‘અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિથી અમે આત્મસંયમ સ્વીકાર્યો ત્યારથી અમારો સંબંધ સાચા મિત્રનો થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. અમારી ગાંઠ પહેલાં કદી નહોતી તેવી દૃઢ બની. મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે અને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કાર્યમાં સમાઈ જવામાં જ માન્યો. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બની. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.’

બા-બાપુના મધુર દાંપત્યમાંથી આજનાં દંપતીઓએ ઘણું શીખવા જેવું છે. એવું નહોતું કે લગ્નના પહેલા દિવસથી જ બેઉ સરસ ગોઠવાઈ ગયેલાં. બાપુનો તાપ ઓછો નહીં ને બા પણ દબાઈ જાય એવાં નહીં. લાલ કિનારવાળી એક સફેદ સાડી બાપુએ કાંતેલા સૂતરમાંથી બની હતી. એમને એ એટલી પ્રિય હતી કે એ સાડી ઓઢી જ ચિતાએ ચડવું એવી એમની આકાંક્ષા હતી. આ આકાંક્ષામાં ફક્ત પરંપરા નહીં, પ્રેમ પણ હતો. પ્રેમની સુંદર ઝલક બાપુએ બાને લખેલા આ શબ્દોમાં પણ મળે છે : ‘બા, તેં લખ્યું, મેં તારા માથા ઉપર જતાં હાથ પણ ન મૂક્યો. મોટર ચાલી ને મને પણ લાગ્યું, પણ તું દૂર હતી. તને બહારની નિશાની જોઈએ કે? એમ કેમ માની બેસે છે કે હું બહારથી નથી દેખાડતો, તેથી મારો પ્રેમ સૂકાઈ ગયો છે? હું તો તને કહું છું કે મારો પ્રેમ વધ્યો છે ને વધતો જાય છે … હું તને કેવળ માટીની પૂતળી નથી માનતો. વધુ શું લખું?’

યરવડા જેલમાં એક વાર બાપુએ ફકત દૂધ પર રહેવાનું નક્કી કર્યું. મહિનામાં બાપુનું વજન ખાસ્સું ઘટી ગયું. જેલના અંગ્રેજ સુપ્રિન્ટેન્ડન્ટે બચાવ કર્યો કે ગાંધીજી આ બધું કરે છે એમાં મારો વાંક નથી. બાએ પણ અંગ્રેજી ફટકાર્યું : ‘યસ, યસ. આઈ નો માય હસબન્ડ. હી ઓલ્વેઝ મિસ્ચિફ.’ ૧૯૪૨માં બાપુ ‘હિંદ છોડો’ની ઘોષણા કરવા સેવાગ્રામથી મુંબઈ જઈ રહ્યા હતા. એમને ખાતરી હતી કે સરકાર આ વખતે એમને નહીં જ પકડે. બાને હતું કે પકડશે જ, એટલે માંદાં હોવા છતાં બાપુ સાથે ગયાં. બા સાચાં ઠર્યાં. બાપુ તો પકડાયા જ, બીમાર બાને પણ અંગ્રેજોએ કેદ કર્યા. પછીનું દોઢ વર્ષ, બા-બાપુ પૂનાના આગાખાન પેલેસમાં કેદ રહ્યાં. ત્યાં જ બાપુના ખોળામાં બાનું મૃત્યુ થયું.

બાના મૃત્યુના બે દિવસ પહેલાં મનુબહેન ગાંધીએ નોંધ્યું છે, ‘બાપુજી પોતાનું બધું કામકાજ બંધ કરી મોટીબાની સેવા કરવામાં જ લીન થઈ ગયાં છે. ઘણોખરો વખત મોટીબા પાસે બેસવામાં જ ગાળે છે. મૃત્યુવેળાએ બાપુએ બાના માથે હાથ ફેરવ્યો. બાએ કહ્યું : ‘જાઉં છું. આપણે ઘણાં સુખદુ:ખ ભોગવ્યાં.’ ને જીવ નીકળી ગયો. બાપુની આંખમાંથી આંસુ સરી પડ્યાં.

કસ્તૂરબા-ગાંધીજીના લગ્નજીવનનું આવું સૌંદર્ય હતું. ગાંધીજી કહેતા કે બ્રહ્મચર્યવ્રત બાદ બા સાથેનો તેમનો સંબંધ વધુ ગાઢ અને પવિત્ર બન્યો હતો. પરંતુ એમણે એવું કોઈ વ્રત ન લીધું હોત તો પણ, એકમેક પ્રત્યેના પ્રેમ અને આદરના જોરે તેમણે ઉમદા દાંપત્યની આટલી જ ઊંચી મિસાલ પૂરી પાડી ન હોત?

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ફેબ્રુઆરી 2022 

Loading

પ્રેમનું પુષ્પ, પૂર્ણ મુક્તિમાં જ ઊઘડે છે : ઓશો

સોનલ પરીખ|Opinion - Opinion|5 March 2022

પ્રેમ તો એક સીડી છે. ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઊતરી શકાય. દોષ સીડીનો નથી, જવાબદારી સીડીની નથી. સીડી તો તટસ્થ છે. ઉપર કે નીચે તો માણસ જાય છે. પ્રેમ પૈસાને પણ કરી શકાય, પ્રેમ કામુકતા પણ બની શકે અને દિશા બદલાય તો પ્રેમ જગતની, પદાર્થની પાર પણ લઈ જાય. પ્રેમને પ્રજ્ઞાપૂર્વક સમજો. પ્રેમની સંભાવનાઓને જાણો. પ્રેમને જ પ્રેમ કરો અને એ પ્રેમ ધીરે ધીરે પ્રાર્થનામાં પરિણમશે. ટકોરા મારીએ તો દ્વારો ખૂલે છે. આપણે એ જ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે શોધીએ છીએ.

— ઓશો

અમેરિકાની ટેલિવિઝન હિસ્ટ્રીમાં ઓપ્રાહ વિનફ્રે શોનું બહુ મોટું નામ છે. આ ટૉક શોને 47 અવૉર્ડ્ઝ મળ્યા હતા અને એ પંદર વર્ષ ચાલ્યો હતો. આમાંના એક શોમાં એક વાર હૉલોકાસ્ટનો ભોગ બનેલા એક યહૂદી વૃદ્ધની મુલાકાત હતી. એની કહાણી, ક્રૂરતા વચ્ચે પાંગરેલા કોમળ પ્રણયની કહાણી હતી. વેલેન્ટાઈન ડે નિમિત્તે યાદ કરીએ એ કહાણીને :

એક કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બારતેર વર્ષનો એક યહૂદી છોકરો પુરાયો હતો. તેનાં માબાપને તેની નજર સામે જ મારી નંખાયા હતા. એક વાર કૅમ્પની કાંટાળી વાડની પેલી બાજુએ એક જર્મન છોકરી ફરવા નીકળેલી, તેણે આ દુ:ખી અને હતાશ છોકરાને જોયો. કરુણાથી તેનું હૃદય ભરાઈ ગયું. ગાર્ડની નજર ચૂકવી તેણે એક લાલ સફરજન ફેંક્યું. છોકરાએ એ ઝીલી લીધું, ખાધું અને આંખથી જ આભાર માન્યો. બીજા દિવસે સાંજે એ છોકરાના પગ આપોઆપ એ દિશામાં ગયા. મગજ કહેતું હતું,  ‘રોજ કોઈ આ તરફ શું કામ આવે?’ મન કહેતું હતું, ‘કદાચ આવે.’ ખરેખર એ દિવસે પણ પેલી છોકરી આવી અને સફરજન ફેંકી ચાલી ગઈ. લગભગ વીસ દિવસ પછી છોકરાએ કહ્યું, ‘કાલથી તું ન આવીશ. કાલથી હું અહીં નહીં હોઉં. કૅમ્પ બીજી જગ્યાએ જવાનો છે.’

પંદરેક વર્ષ પછી, ન્યૂયૉર્કની ફૂટપાથ પર એક યુગલ ફરતું હતું. નવી નવી, પ્રણયમાં ફેરવાઈ જવાની તૈયારી કરતી મૈત્રીથી બન્નેના ચહેરા ચમકતા હતા. વાતવાતમાં યુવાન બોલ્યો, ‘મેં હૉલોકાસ્ટનો અનુભવ કર્યો છે.’ યુવતીએ કહ્યું, ‘મેં અનુભવ તો નથી કર્યો, પણ એક કૅમ્પ નજીકથી જોયો છે. ત્યાં એક છોકરો હતો, એને હું રોજ સફરજન આપતી.’

યુવાન બોલ્યો, ‘અને એ છોકરાએ એક દિવસ કહ્યું કે કાલથી તું ન આવીશ, કારણ કૅમ્પ બીજી જગ્યાએ ફેરવાઈ રહ્યો છે …’

‘હા, પણ તને કેવી રીતે ખબર?’

‘એ છોકરો હું જ છું.’ અને થોડા દિવસમાં બન્ને પરણી ગયાં. વાતનું સમાપન કરતાં વૃદ્ધે કહ્યું, ‘તમે સમજી તો ગયા હશો, એ છોકરો અને એ યુવાન તે હું.’

પ્રેમ આવો છે – કૉન્સન્ટ્રેશન કૅમ્પ જેવી અમાનવીય સ્થિતિમાં પણ પાંગરી શકે અને ફૂલોની કોમળ સેજ પર પણ ન પાંગરે. પ્રેમની શરત એક જ છે કે એમાં બનાવટ કે ગણતરીઓ ચાલતાં નથી. કૉન્સન્ટ્રેશન કૅમ્પની કાંટાળી વાડની બન્ને બાજુ રહેલાં બેઉ પાત્રો કોઈ બનાવટ વિના, પોતાનું ખરું સ્વ લઈને ઊભેલાં હતાં, તેથી પ્રેમ એમના અસ્તિત્વમાં મૂળ નાખી શક્યો. 

ઓશો કહે છે, ‘પ્રેમમાં નિરાવરણ થવાનું છે તે આ અર્થમાં – પોતાને ઢાંકતાં તમામ આવરણો ફગાવી દો – જે છો તે જ બની રહો. બીજું કોઈ બનવાની જરૂર નથી. હું એ સ્થળને મંદિર કહું જ્યાં પ્રેમીઓ બિનશરતી પ્રેમ લઈને, કોઈ છૂપી પણ આકાંક્ષા વિના પરસ્પરને સમર્પિત થાય.’

અદ્દભુત વચનો છે ઓશોના : કહે છે, જીવન ત્યારે જ ભવ્ય બને છે જ્યારે તે પ્રેમના નિયમ અનુસાર કાર્ય કરે છે અને જીવન જ્યારે પ્રેમરહિત હોય ત્યારે જ અધમ બની જાય છે. નવ્વાણું ટકા લોકો વધતુંઓછું અધમ જીવન જીવે છે. એમને લાગે છે કે તેઓ પ્રેમ શું છે એ સમજે છે. આ ખોટી ધારણા જ તેમને પ્રેમની ખોજ કરતા અટકાવે છે. હકીકત એ છે કે જેમણે પ્રચંડતાથી પ્રેમ કર્યો હોય તેઓ પણ પ્રેમને બરાબર જાણતા નથી. કેમ કે પ્રેમ શબ્દોમાં કદી વર્ણવી શકાતો નથી. શબ્દો ખૂબ વામણા હોય છે અને પ્રેમ અત્યંત વિરાટ. ઈશ્વરને સમજી કે વર્ણવી શકાય તો પ્રેમને સમજી કે વર્ણવી શકાય.

બાળક આસપાસનું જોઈને શીખે છે ને પછી તેને પોતાના જીવનમાં પુનરાવર્તિત કરે છે. જેવો પ્રેમ એણે જોયો છે તેવો જ તે પણ કરે છે અને મીઠા, સુખદ, સ્નેહપૂર્ણ, કાળજી રાખતા કે પછી સ્વાર્થી, લુચ્ચા, ગણતરીબાજ, દંભી સંબંધોમાં બંધાઈ જાય છે. લોકો માને છે કે પોતે પ્રેમાળ છે, પણ સંબંધ ગમે તેટલો સારો હોય, અનેકવાર પ્રેમના નામે બનાવટ થતી જ હોય છે.

માટે ‘પ્રેમ શું છે એ ખબર નથી’ એ સમજો તો ત્યાંથી પ્રેમની શરૂઆત થાય. તો જ તમે બધી ધારણાઓ, પૂર્વગ્રહો, માન્યતાઓ, કલ્પનાઓ અને સંસ્કારોને બાજુ પર મૂકી શકશો. એ પૂર્ણ મુક્તિમાં અસ્તિત્વ આપમેળે ઊઘડશે અને પછી એના હૃદયમાંથી સુગંધ ઊઠશે. પ્રેમ આ સુગંધનું નામ છે. કેવી ભવ્ય હશે એ ક્ષણ જ્યારે તમે પ્રેમઊર્જાને તમારી આસપાસ એક આલોકમંડળની જેમ એક ખાસ સૌરભ સાથે વહેતી અનુભવશો!

પરમાત્માને પામવાનો એક માર્ગ ધ્યાનનો છે. જાગૃતિનો છે, બુદ્ધ, મહાવીર, લાઓત્સુ આ માર્ગના યાત્રી હતા. આ માર્ગ પ્રેમની જરાપણ ચર્ચા નથી કરતો, પણ તેમની સાધનાનો અંત પ્રેમમાં આવે છે. બુદ્ધે કહ્યું જ છે કે બુદ્ધત્વ સંપૂર્ણપણે ખીલી ઊઠે છે ત્યારે વ્યક્તિ નિરપેક્ષપણે પ્રેમપૂર્ણ, કરુણાપૂર્ણ બને છે. આમ ધ્યાનમાર્ગ પર પણ પ્રેમ છે ખરો, પણ એ જાગૃતિના પરિપાકરૂપે આવે છે. પ્રેમમાર્ગમાં સ્થિતિ વિપરીત છે. તેમાં સાધક પોતાને ઓગાળી દે છે. લીન થઈ જાય છે, વિલીન થઈ જાય છે. પવનમાં વાદળ સરે એમ પોતાને સરવા દે છે અસ્તિત્વની ભરપૂરતામાં. વાદળ પાસે કોઈ આકાંક્ષા, કોઈ નકાર, કોઈ અભિપ્રાય નથી. તે તો પવનને ઉપલબ્ધ રહે છે અને કોઈ ઉતાવળ વિના એ વહાવે તેમ વહે છે. જીવનમાં ક્ષણ ક્ષણ આવો પ્રેમ જીવી શકાય, જો માન્યતાઓ, પૂર્વગ્રહો, આગ્રહો, અહંકાર અને અપેક્ષાઓથી મુક્ત થઈ શકાય તો.  

એ વાત અગત્યની નથી કે તમે કોને પ્રેમ કરો છો. અગત્યની વાત એ છે કે તમે પ્રેમરૂપ બનો. માણસો ડરે છે. હું પ્રેમ આપું, પણ એ ન આપે તો? પણ પ્રેમનો પણ એક કાયદો છે. એ પડઘો પાડે જ. જો પડઘો ન પડતો હોય તો પોતાના મનને તપાસો. શક્ય છે કે તમે જેને પ્રેમ કહેતા હો, તમારા એ સંવેદનમાં જ ક્યાંક કોઈ ગરબડ હોય.

તો પછી ધર્મ પ્રેમને અધ:પતન કરાવનાર; માણસને સ્વાર્થી, ભોગી, ઉપરછલ્લો બનાવનાર કેમ માને છે? ઓશો કહે છે, પ્રેમ તો એક સીડી છે. ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઊતરી શકાય. દોષ સીડીનો નથી, જવાબદારી સીડીની નથી. સીડી તો તટસ્થ છે. ઉપર કે નીચે તો માણસ જાય છે. પ્રેમ પૈસાને પણ કરી શકાય, પ્રેમ કામુકતા પણ બની શકે અને દિશા બદલાય તો પ્રેમ જગતની, પદાર્થની પાર પણ લઈ જાય. પ્રેમને પ્રજ્ઞાપૂર્વક સમજો. પ્રેમની સંભાવનાઓને જાણો. પ્રેમને જ પ્રેમ કરો અને એ પ્રેમ ધીરે ધીરે પ્રાર્થનામાં પરિણમશે. પ્રેમને બે ટકા જેટલું પણ આપણે જાણતા નથી. અઠ્ઠાણું ટકા પ્રેમ તો અજ્ઞાત છે, કેમ કે એમાં આપણે રસ લેતા નથી. પણ ટકોરા મારીએ તો દ્વારો ખૂલે છે. આપણે એ જ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે શોધીએ છીએ.

પ્રેમની વાત આવે એટલે મૈત્રેયીદેવીનું ‘ન હન્યતે’ યાદ આવે જ. એની વાત આપણે કરી ગયા છીએ. એ પુસ્તકે સાબિત કર્યું છે કે પ્રેમ હણાય છે, છતાં નથી હણાતો અને દુન્યવી ભાષામાં સફળ ન થાય તો પણ  બધી દુનિયાદારી વચ્ચે જીવતો-જાગતો રહી શકે છે એટલું જ નહીં, તેનું હોવું જીવનને એક જુદું પરિમાણ આપે છે, જીવનને વધારે સભર અને સમૃદ્ધ કરે છે.

આવો પ્રેમ જીવનમાં ઉદિત થાઓ અને વિસ્તરો …!!

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ફેબ્રુઆરી 2022 

Loading

...102030...1,6111,6121,6131,614...1,6201,6301,640...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved