Opinion Magazine
Number of visits: 9674038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે, હિંદુ રાષ્ટ્રની સ્થાપના યોગીના હાથે થશે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 March 2022

૧૯૭૭માં રાજેન્દ્રકુમારની એક લોકપ્રિય ફિલ્મ આવી હતી, “આપ આયે બહાર આઈ.” પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોને જો ફિલ્મી લાઈનથી હાઈલાઈટ કરવાં હોય તો એવું કહેવાય કે “આપ આયે, યોગી આયે.” ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ધુઆંધાર વાપસી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની આશ્ચર્યજનક બહુમતી ભારતીય રાજકારણમાં નવી બહાર લાવનારી સાબિત થવાની છે.

યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીમાં બીજા નંબરના સૌથી મોટા નેતા સાબિત થયા છે. ભારતની જનતા વિકલ્પ પણ તલાશી રહી છે, અને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ઐતિહાસિક બહુમતીથી જીતાડીને એ દિશા ખોલી છે. કાઁગ્રેસનું પતન અટક્યુ નથી, અને પાંચ રાજ્યોનાં પરિણામો પછી તેમાં ઔર ગતિ આવશે. કાઁગ્રેસ હવે રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ખતમ થઇ ગઈ છે. એ વિકલ્પ આપ બની શકે છે.

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનો આ સાર આ પાંચ વાક્યમાં છે. આ પાંચ વાક્યોમાં ભારતના રાજકારણનું ભવિષ્ય પણ છે. 

ઉત્તર પ્રદેશમાં, અને ભારતીય રાજકારણમાં, ભારતીય જનતા પાર્ટીની પકડ યથાવત રહી છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ઉપલબ્ધિ છે. યોગી આદિત્યનાથ ૩૭ વર્ષમાં સળંગ બીજી વાર મુખ્ય મંત્રી બનનારા પહેલા નેતા છે. આ નોંધપાત્ર છે. યુ.પી.એ આજ સુધી કોઈ પણ મુખ્ય મંત્રીને સળંગ બીજી વાર ખુરશી આપી નથી. યોગીએ એ રોકોર્ડ કરીને ભા.જ.પ.માં તેમનું સ્થાન સૌથી ઉપર સાબિત કરી દીધું છે. યુ.પી.માં બીજીવાર મુખ્ય મંત્રી બનનારા એ ભા.જ.પ.ના પહેલા નેતા છે. પાંચ વર્ષ પૂરા કરનારા પણ એ ત્રીજા મુખ્ય મંત્રી છે. આ અગાઉ, યુ.પી.ના બીજા મુખ્ય મંત્રી સંપૂર્ણાનંદ અને અખિલેશ યાદવ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ૧૯૫૧થી લઈને ૨૦૦૭ સુધી રાજકીય અસ્થિરતાનો સિલસિલો રહ્યો હતો. ૨૦૦૭માં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પૂરી બહુમતી સાથે સરકાર બનાવી હતી અને તેમણે પાંચ વર્ષ પૂરાં કર્યા હતાં. માયાવતી જો કે ૨૦૧૨માં ફરી સત્તામાં આવી શક્યાં નહોતાં. તે ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનું સત્તામાં પુનરાગમન થયું હતું, અને અખિલેશ યાદવ બીજીવાર મુખ્ય મંત્રી બન્યા હતા. યાદવે પણ પાંચ વર્ષ પૂરાં કર્યા, પણ ૨૦૧૭માં ફરી સત્તામાં આવી ન શક્યા. એ વર્ષે, ભા.જ.પે. ૩૨૫ બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. એ પછી પાર્ટીએ ગોરખપુર મઠના મહંત અને ૧૯૯૮થી ભા.જ.પ.ના સાંસદ યોગી આદિત્યનાથને મુખ્ય.મંત્રી પદે બેસાડ્યા હતા.

યુ.પી.ની ચૂંટણી આ વખતે આસાન નહોતી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે જબરદસ્ત લડત આપી હતી. તેમણે જનતાના પ્રશ્નો અને સરકારના ગેરવહીવટના મુદ્દા ઉઠાવ્યા હતા. એ લોકો ટેલિવિઝન કે સોશ્યલ મીડિયા પરથી જ્ઞાન મેળવતા નહોતા, તેમના મનમાં ભા.જ.પ.ની વાપસીને લઈને કોઈ શંકા નહોતી. યુ.પી.ની ચૂંટણી એટલા પૂરતી જ મહત્ત્વની હતી કે ભા.જ.પ.ની બેઠકો વધે છે કે ઘટે છે.

એ સંદર્ભમાં, સમાજવાદી પાર્ટીએ પોતાને મુખ્ય વિરોધ પક્ષ તરીકે સાબિત કરીને યોગી સરકાર પર આગામી પાંચ વર્ષ માટે લગામ કસી છે. યોગી જો બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ધ્યાન નહીં આપે તો સ.પા. લગાતાર તેની વાતો કરતી રહશે.

યુ.પી.ની જનતાએ હિન્દુત્વને વોટ આપ્યા છે તે સાચું, પરંતુ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સમાજવાદી પક્ષને પણ જે બેઠકો આપી છે તે નજરઅંદાજ કરવા જેવું નથી. યોગીનું પ્રદર્શન શાનદાર તો છે જે, અખિલેશનો દેખાવ પણ તાળીઓને પાત્ર છે. યુ.પી.માં ચાર પક્ષીય મુકાબલો હતો; ભા.જ.પ., સ.પા., બ.સ.પા. અને કાઁગ્રેસ. પહેલાં બે સ્થાન તો ભા.જ.પ. અને સ.પા.એ લઇ લીધાં છે, પણ બ.સ.પા. અને કાઁગ્રેસનો દેખાવ એટલો કંગાળ છે કે તેમના વચ્ચે ત્રીજા નંબરની જગ્યા માટે લડાઈ છે!

દેખીતી રીતે જ, ગંગામાં તરતી લાશો કે બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓ માટે જનતાએ યોગી સરકારને માફ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશ કેમ અગત્યનું રાજ્ય છે

ભારતમાં  ઉત્તર પ્રદેશ એક માત્ર રાજ્ય છે જ્યાંથી લોકસભા અને રાજ્યસભામાં સૌથી વધુ સાંસદો આવે છે. વસ્તીની દૃષ્ટિએ પણ યુ.પી. સૌથી મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશ જો અલગ દેશ હોય તો ચીન, અમેરિકા અને ઇન્ડોનેશિયા પછી વસ્તીમાં તેનો ચોથો નંબર આવે.

ભારતના ૧૪ વડા પ્રધાનોમાંથી ૯ ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. આઝાદી પછી રાજકારણમાં જેમનો દબદબો રહ્યો છે તે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ પણ યુ.પી. રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ યુ.પી.ના વારાણસી બેઠકના સાંસદ છે.

ઉત્તર પ્રદેશનાં પરિણામો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે અત્યંત મહત્ત્વનાં છે. વડા પ્રધાનના જમણો હાથ અને ગૃહ પ્રધાન અમિત શાહે તો ઉત્તર પ્રદેશના મતદારોને સીધું જ કહ્યું હતું કે ૨૦૨૪માં નરેન્દ્રભાઈને જીતાડવા હોય તો યોગીજીને મત આપવો જરૂરી છે. જનતાએ યોગીને જીતાડ્યા છે અને તેનાથી ૨૦૨૪માં મોદીના જીતનો રસ્તો પણ ખૂલી ગયો છે. ભા.જ.પ.ના બે ગમતા એજન્ડા અમલમાં મુકવા માટે આ જીત અગત્યની છે – સમાન સિવિલ કોડ અને નાગરિકોની નેશનલ રજીસ્ટ્રી. યોગીનો વિજય ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની દિશામાં એક મહત્ત્વનું કદમ છે. એ શુભકાર્ય યોગીના હસ્તે જ થશે.

૨૦૨૪માં, મોદી ત્રીજી ટર્મ માટે ચુંટાઈને ઇતિહાસમાં તેમનું નામ દર્જ કરાવી દેશે.

યોગીનો ઉદય

દસ દિવસ પહેલાં, પત્રકાર કરણ થાપર સાથે એક ઇન્ટરવ્યૂમાં, દિલ્હીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અને જામિયા મિલિયા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નજીબ જંગે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'લો પ્રોફાઈલ' રહ્યા એ ચૂક હતી. “વડા પ્રધાન જ નહીં, પણ (ગૃહ પ્રધાન) શાહ પણ આ ચુંટણીનો ચહેરો નહોતા. સરકારની ઉપલબ્ધિઓ અને નાકામીનો સઘળો ભાર યોગી આદિત્યનાથ પર હતો. એ (વડા પ્રધાનની ગેરહાજરી) અત્યંત નેગેટિવ પરિબળ છે, અને તેના કારણે જ ભા.જ.પ.ની હાર થશે."

“વડા પ્રધાન હિન્દી પ્રદેશોમાં લાર્જર-ધેન-લાઈફ વ્યક્તિત્વ છે," નજીબ જંગે કહ્યું હતું, "તેમનામાં કરિશ્મા છે. એ અત્યંત સરસ રીતે બોલે છે. તેઓ જો યુ.પી.ની ચૂંટણીનો ચહેરો હોત તો ઘણો ફર્ક પડ્યો હોત."

અલબત્ત, બીજાં કારણો પણ હતાં. જેમ કે, ખેડૂત અંદોલનમાં સરકારનો જે વ્યવહાર હતો, રાજ્યમાં રખડતાં ઢોરોની સમસ્યાની જે રીતે ઉપેક્ષા કરાઈ હતી, યુવાનોમાં જબરદસ્ત બેરોજગારી અને યોગીએ જે રીતે કોવિડ મહામારીમાં અણઘડ રીતે વહીવટ કર્યો હતો તેની જનમાનસ પર ઘેરી અસર હતી.

યુ.પી.ની જનતામાં આ મુદ્દાઓને લઈને અસંતોષ તો હતો, પરંતુ વિરોધ પક્ષો અને મીડિયા જેવો દાવો કરતા હતા તેમાં આક્રોશ નહતો. જનતામાં આક્રોશ હોત તો યોગી સરકાર ઘરે બેસી ગઈ હોત, પરંતુ જનતા અસંતોષ સાથે મત આપીને ભા.જ.પ.ની બેઠકો થોડી ઓછી કરી છે અને સ.પા.ને થોડી મજબૂત કરી છે, તેનો અર્થ એ થયો કે તેને વિશ્વાસ છે કે ભા.જ.પ. તેમની સમસ્યાઓ તરફ ધ્યાન આપશે.

જંગના તર્ક બરાબર હતા, પરંતુ જનતાએ એ રીતે વોટિંગ કર્યું નથી. ઊલટાનું, યોગીને આગળ રાખીને ચૂંટણી જીતવાની વ્યૂહરચના કારગત નીવડી છે. યોગી સામે જે પણ ફરિયાદો હતી તે આ ચૂંટણીમાં ધોવાઇ ગઈ છે અને તેઓ એક કદાવર, નિષ્કલંક અને સક્ષમ નેતા તરીકે ઉભર્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે યોગી આદિત્યનાથ અને ભા.જ.પ.નો ચૂંટણી પ્રચાર (સમાજવાદી સરકારમાં) રાજકારણના અપરાધીકરણ અને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણની આસપાસ હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કાઁગ્રેસની પ્રિયંકા ગાંધીનો પ્રચાર બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓની આસપાસ હતો. જનતાએ એ મુદ્દાઓને અવગણીને હિન્દુત્વને વોટ આપ્યા છે તે સ્પષ્ટ છે.

પ્રિયંકાએ તો ૪૦ ટકા સ્ત્રીઓને વિધાનસભાની ટિકિટ આપીને એક નવો જ પ્રયોગ કર્યો હતો. ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં આ પ્રયોગ લાંબા ગાળે બધા પક્ષો અનુસરસે. ભારતમાં સ્ત્રી સશક્તિકરણની વાતો તો ખૂબ થાય છે, પરંતુ રાજકારણમાં જ સ્ત્રીઓને જેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેટલું મળતું નથી. ભલે કાઁગ્રેસને વોટ ન મળ્યા હોય, પ્રિયંકાની આ પહેલ એ દિશામાં ઘણી રચનાત્મક છે.

યોગીના આગામી યોગ

નોઇડા સ્થિત એક હિન્દી સમાચારપત્રના એડિટર સંજય શ્રીવાસ્તવ કહે છે કે યુ.પી.માં ૨૦૧૭ની ચૂંટણી પછી અચાનક જ મુખ્ય મંત્રી બનેલા યોગી આદિત્યનાથે પાંચ વર્ષોમાં પોતાની વિશેષ નો-નોનસેન્સ છબી બનાવી હતી. ગુંડાઓ અને માફિયાઓ સામે તેમની આકરી કાર્યવાહી બદલ તેમને ‘બુલડોઝર બાબા’ કહેવામાં આવતા હતા. એક કડક શાસકના રૂપમાં ખુદને સાબિત કરવામાં તેઓ સફળ રહ્યા છે. સાથે, યોગીનો પોતાના પરિવારનું ન હોવું, ભ્રષ્ટાચારના આરોપથી મુક્ત હોવું અને ભગવો પહેરવેશ તેમને હિન્દુઓના મોટા અને ઈમાનદાર નેતા તરીકે સાબિત કરે છે.

પાંચ વર્ષમાં યોગીએ તેમનો ચાહક વર્ગ ઊભો કર્યો છે, જે તેમને આગામી વડા પ્રધાન તરીકે જોવા માંગે છે. જો કે, એક મોટો વર્ગ તેમનાથી નારાજ પણ છે અને તેમને કટ્ટરતા વધારનારા તરીકે જુવે છે. લાગે છે આ ચૂંટણીમાં તેમના નારાજ વર્ગ કરતાં ચાહક વર્ગની મરજી ચાલી છે.

રાજ્યસભાનું સમીકરણ

વરિષ્ઠ પત્રકાર અનિલ જૈને બી.બી.સી.ને કહ્યું હતું કે રાજ્યોનાં ચૂંટણી પરિણામોની એક સીધી અસર રાજ્યસભામાં પડવાની છે. ૨૪૫ની સંખ્યાવાળી રાજ્યસભામાં હાલ આઠ બેઠકો ખાલી છે. ભા.જ.પ. પાસે અત્યારે ૯૭ બેઠકો છે. સહયોગીઓની મળીને તેનું સંખ્યાબળ ૧૧૪ થાય છે. આ વર્ષે એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધીમાં રાજ્યસભાની ૭૦ બેઠકો માટે ચુંટણી થવાની છે, જેમાં આસામ, હિમાચલ પ્રદેશ, કેરળની સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ પણ છે.

ઉ.પ્ર.ની ૧૧, ઉત્તરાખંડની એક અને પંજાબની બે બેઠકો માટે આવતા જુલાઈમાં જ ચૂંટણી છે. આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની અસર રાજ્યસભાની ચૂંટણીઓ પર પડશે. જૈન કહે છે, “ભા.જ.પ. રાજ્યસભામાં બહુમતીથી પહેલેથી જ દૂર છે, એટલે પાંચ રાજ્યોનાં પરિણામો પરથી એ નક્કી થશે કે રાજ્યસભામાં તે બહુમતીનાં આંકડાથી વધુ દૂર જાય છે કે નજીક આવે છે. તેની અસર રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં પડશે.”

રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં એક બીજી વાતનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રચારમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીની સક્રિયતા નહીંવત રહી હતી. ચાર વખત સત્તા સંભાળનાર માયાવતીનું મૌન એટલું ‘બોલકું’ હતું કે રાજકીય વર્તુળોમાં એવી ગપસપ ચાલે છે કે તેમણે ભા.જ.પ. સાથે અંદરખાને ગોઠવણ કરી લીધી છે અને ભા.જ.પ. તેમને આગામી રાષ્ટ્રપતિ પદ માટે ઊભાં કરશે.

બે અઠવાડિયા પહેલાં માયાવતીએ આવી ગપસપને ખારીજ પણ કરી હતી. યુ.પી.ની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું મહત્ત્વ છે અને તેને દલિત મતો મળશે એવી અમિત શાહની સૂચક ટીપ્પણીના સંદર્ભમાં જવાબ આપતાં એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, “દલિતો અને મુસ્લિમોમાં બી.એસ.પી.ના સ્થાન અંગે ગૃહ પ્રધાને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મતદાન પછી જ્યારથી નિવેદન કર્યું છે ત્યારથી હરીફ પાર્ટીઓ અને મીડિયાવાળાઓએ એવું બોલવાનું શરૂ કર્યું છે કે અમે ભા.જ.પ.ની ‘બી’ ટીમ છીએ. આમાં જો કે કોઈ સચ્ચાઈ નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં ભા.જ.પ.ના ટેકાથી જ માયાવતી મુખ્ય મંત્રી બન્યાં હતાં.

આવનારા દિવસોમાં માયાવતીની ભૂમિકા ચર્ચાનો મુદ્દો રહેશે. તેમની પાર્ટીએ ૧૨૨ બેઠકો પર એવા ઉમેદવારો ઊભા રાખ્યા હતા જે સમાજવાદી પાર્ટીની જાતિના જ હતા. આ એ બેઠકો હતી જ્યાં સ.પા.ની જીતની પૂરી સંભાવના હતી.

પંજાબમાં આપની ક્લીન સ્વિપ

પંજાબમાં પરંપરગત રીતે કાઁગ્રેસ અને અકાલી દલના હાથમાં સત્તા રહી છે. લોકો તેનાથી કંટાળી ગયા હતા અને આપના ઝાડુથી બંને પાર્ટીઓનો સફાયો કરી નાખ્યો છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ‘મફત’ આપવાની ઘોષણાઓ કરી હતી તેનાથી મતદારો લલચાયા જરૂર છે, પરંતુ કાઁગ્રેસમાં છેલ્લા એક વર્ષથી જે ઘમાસાણ મચ્યું હતું તેનો ફાયદો પણ મળ્યો છે. પહેલાં કેપ્ટન અમરિંદર સિંહ સામે આંતરિક વિદ્રોહ અને પછી ફૂટેલી તોપ જેવા નવજોત સિંહ સિદ્ધુને પક્ષનું સુકાન સોંપવાથી કાઁગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી.

દિલ્હી જેવા અડધા રાજ્યમાં કેન્દ્ર સરકારના ઘોંચ પરોણા વચ્ચે ટકી ગયેલી આમ આદમી પાર્ટીને પહેલીવાર આખું રાજ્ય મળ્યું છે, જેમાં તેના વહીવટ પર સંપૂર્ણ કબજો છે. કૈંક અંશે કેજરીવાલે ભા.જ.પ.ના નકશેકદમ પર સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું છે તે કારગત નીવડ્યું છે.

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, “કેજરીવાલની રાજનીતિનો મૂળ મંત્ર રોજગાર, સ્વાસ્થ્ય અને આમ આદમી માટે કામ કરવાનો છે. હવે એ રસ્તો એ તરફ જઈ રહ્યો છે. અમે આજે દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર આગળ વધી રહ્યા છીએ. કેજરીવાલ સરકારનું આ મોડેલ આગળ પણ સફળ થશે.”

ઉત્તર પ્રદેશમાં જેમ સળંગ બીજી વાર વાપસી કરનારા યોગી આદિત્યનાથ પહેલા મુખ્ય મંત્રી છે, તેવી રીતે આમ આદમી પાર્ટી બીજા રાજ્યમાં જઈને સરકાર બનાવનારી પહેલી પ્રાદેશિક પાર્ટી છે. આ બે હકીકતો, ભારતીય રાજકારણ ભવિષ્યમાં કેવી કરવટ લેવાનું છે તેની સાબિતી છે.

પ્રગટ : “મિડ-ડે”, 11 માર્ચ 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—136

દીપક મહેતા|Opinion - Opinion|12 March 2022

મુંબઈનું મહામૂલું ઘરેણું રાજાબાઈ ટાવર

મુંબઈના બેતાજ બાદશાહ પ્રેમચંદ રાયચંદે બંધાવ્યો એ ટાવર

જ્યારે માર્ક ટ્વેને મુલાકાત લીધી પ્રેમોદ્યાન બંગલાની

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક વિચાર આવ્યો : મુંબઈમાં એવી કેટલી જાહેર ઇમારતો છે જેની સાથે એક યા બીજી સ્ત્રીનું નામ જોડાયું હોય. અને હા, એ સ્ત્રી અંગ્રેજ નહિ, પણ ‘દેશી’ હોય. જે ત્રણ-ચાર નામ યાદ આવ્યાં તેમાં પહેલું નામ યાદ આવ્યું રાજાબાઈ ટાવર. બોલ ટાવર અને બેલ ટાવર કરતાં મુંબઈમાં ઘણા વધારે જોવા મળે કલોક ટાવર. તેમાં રાજાબાઈ ટાવર એટલે મુંબઈનું ઘરેણું. પણ આ રાજાબાઈ હતાં કોણ? ઘણું ઘણું શોધો : માત્ર એક જ વાત મળશે : રાજાબાઈ તે ૧૯મી સદીના મુંબઈના પ્રખ્યાત વેપારી, શેર બ્રોકર, દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદનાં માતા. જૈન વણિક લાકડાના વેપારી દીપચંદભાઈનાં પત્ની. બીજું કશું જાણતા નથી આપણે તેમના વિષે. હા, ૧૯૧૩માં દિનશા એદલજી વાચ્છાએ પ્રેમચંદભાઈનું જીવનચરિત્ર લખ્યું છે : Premchand Roychand : His Early Life and Career. તેના છેક છેલ્લા પાના પર રાજાબાઈનો ફોટો છાપ્યો છે.

એક જમાનાના મુંબઈના બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદ

રાજાબાઈના દીકરા પ્રેમચંદનો જન્મ સુરતમાં, ૧૮૩૨માં. એ જમાનાના બીજા ઘણા ગુજરાતવાસીઓની જેમ દીપચંદભાઈ પણ પોતાનું નસીબ અજમાવવા સુરત છોડી મુંબઈ આવ્યા. બે પાંદડે થયા. દીકરા પ્રેમચંદને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન(પછીથી કોલેજ)માં ભણાવ્યો. ૧૬ વરસની ઉંમરે પ્રેમચંદભાઈ શેર બ્રોકર બન્યા. કહેવાય છે કે એ વખતે અંગ્રેજી બોલી-લખી શકે તેવા તેઓ એકમાત્ર શેર બ્રોકર હતા, મુંબઈમાં. કમાયા, ઘણું કમાયા. મુંબઈના બેતાજ બાદશાહ બન્યા. મોટા મોટા અંગ્રેજ અમલદારો જ નહિ, ખુદ ગવર્નર સર બાર્ટલ ફ્રેરે સાથે પણ ઘરોબો.

૧૯૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારે એની પાસે પોતાનું મકાન નહોતું. એટલે શરૂઆત થયેલી ટાઉન હોલના મકાનમાં. થોડાં વરસ પછી યુનિવર્સિટી માટે અલગ મકાન બાંધવાની હિલચાલ શરૂ થઈ. આજે જે કોન્વોકેશન હોલ તરીકે ઓળખાય છે તે મકાન બાંધવા માટે સર કાવસજી જહાંગીરે એક લાખ રૂપિયાનું દાન આપ્યું. શરૂઆતમાં તેમણે એવી શરત મૂકી કે યુનિવર્સિટીનાં મકાન બાંધવા માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહિ. પણ દેખીતી રીતે જ આ રીતે યુનિવર્સિટી પોતાનાં કાંડાં કાપી આપી ન શકે. થોડી સમજાવટ પછી સરસાહેબે એ શરત પડતી મૂકી.

પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને લખેલો પત્ર

અને થોડા દિવસ પછી યુનિવર્સિટીને એક કાગળ મળ્યો : લાયબ્રેરીનું મકાન બાંધવા માટે બે લાખ રૂપિયાનું દાન આપવાનું જણાવ્યું હતું શેઠ પ્રેમચંદ રાયચંદે, ૧૮૬૪ના ઓગસ્ટની ૨૭મી તારીખે લખાયેલા એક પત્રમાં. પણ પ્રેમચંદભાઈને દાનની રકમથી સંતોષ નહોતો. એટલે ૧૮૬૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે ફરી પત્ર લખીને તેમણે બીજા બે લાખ રૂપિયાનું દાન આપ્યું, લાયબ્રેરીના મકાન સાથે કલોક ટાવર બાંધવા માટે. અને એ જ પત્રમાં વિનંતી કરી કે આ ટાવર સાથે તેમનાં માતા રાજાબાઈનું નામ જોડવામાં આવે.

આ ટાવર બંધાવવાનો વિચાર પ્રેમચંદભાઈને કેમ આવ્યો એ અંગે એક માનવી ગમે તેવી, પણ માનવાનું શક્ય નથી એવી દંતકથા પ્રચલિત છે. માતા વૃદ્ધ થયાં હતાં. આંખે લગભગ અંધાપો આવ્યો હતો. જૈન ધર્મના ક્રિયાકાંડ સમયસર કરવા માટે માતા આગ્રહી. એટલે દર પંદર મિનિટે ટાવરના ડંકા સાંભળીને માતા સમય જાણી શકે એટલા ખાતર પ્રેમચંદભાઈએ આ દાન આપ્યું! પણ આમાં ન માનવા જેવું છે શું? એ જમાનો હતો મુંબઈના શેર મેનિયાનો. અને એના મુખ્ય ખેલાડી હતા શેઠ પ્રેમચંદ. લાખો-કરોડોમાં આળોટતા હતા. માતૃભક્તિથી પ્રેરાઈને બે લાખનું દાન કરવું એ તો એ વખતે એમને માટે રમત વાત હતી.

પણ આ દંતકથા માની શકાય એમ નથી એનું કારણ રાજાબાઈ ટાવર અને પ્રેમચંદશેઠના રહેઠાણ વચ્ચેનું અંતર. રાજાબાઈ ટાવર તો જ્યાં હતો ત્યાં જ આજે પણ છે. પણ પ્રેમચંદશેઠ જે બંગલામાં રહેતા હતા એ બંગલો પણ હજી આજે ય મોજૂદ છે. એનું તે વખતનું નામ ‘પ્રેમોદ્યાન.’ યથા નામ તથા ગુણ. આજની ભાષામાં ગ્રાઉન્ડ પ્લસ વનનો બંગલો. તેના ફરતું મોટું, સુંદર ઉદ્યાન કહેતાં બગીચો. અને એ આવેલો છે ભાયખળામાં. હવે તમે જ કહો, ફોર્ટ વિસ્તારમાંના રાજાબાઈ ટાવરના ડંકા છેક ભાયખળામાં કઈ રીતે સંભળાય? માન્યું કે એ વખતે આજની જેમ મુંબઈમાં ઊંચાં ઊંચાં મકાનો નહોતાં, હવા અને અવાજનું પ્રદૂષણ નહોતું, વસ્તી ઘણી ઓછી હતી, ટ્રાફિક અને તેનો ઘોંઘાટ નહોતો. પણ તો ય ડંકા છેક ભાયખળામાં બેઠેલાં પ્રેમચંદશેઠનાં વૃદ્ધ, અશક્ત માને સંભળાય? યે બાત કુછ હજમ નહિ હોતી. માતૃપ્રેમથી પ્રેરાઈને ટાવર બંધાવ્યો એ ખરું.

પ્રખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં મુંબઈની મુલાકાતે આવેલા. ૧૮૯૫માં તેમણે બ્રિટિશ સામ્રાજ્યના દેશોની મુલાકાત લેવા માટે લેકચર ટૂર શરૂ કરેલી. કારણ? કારણ માથે ઘણું દેવું ચડી ગયું હતું. આ દેશોમાં જાહેર ભાષણો આપીને તેમાંથી જે આવક થાય તેમાંથી દેવું ચૂકવાઈ જશે એવો તેમનો ખ્યાલ. ટ્વેન ઉતરેલા એ જમાનાની પ્રખ્યાત વોટ્સન હોટેલમાં. ઘણા અંગ્રેજો અને રાજા-મહારાજાએ તેમના માનમાં ડિનર પાર્ટીઓ યોજેલી. પ્રેમચંદશેઠે પણ પોતાના ‘પ્રેમોદ્યાન’ બંગલામાં પાર્ટી રાખેલી. માર્ક ટ્વેન લખે છે કે જ્યારે અમે ભાયખળાની લવ લેનમાં આવેલા પ્રેમચંદ રાયચંદના બંગલે પહોચ્યા ત્યારે ભોંયતળિયાનો મોટો હોલ લગભગ આખો ભરાઈ ગયો હતો. અને હજી તો મહેમાનોની ઘોડા ગાડીઓ આવ્યે જતી હતી. ત્યાં હાજર લોકોને જોઈને મને લાગ્યું કે અહીં જાણે કે રંગોનો મેળો જામ્યો છે. ખાસ તો પુરુષોએ માથે પહેરેલા સાફામાં જે રંગવૈવિધ્ય હતું તે મેં બીજે ક્યાં ય ભાગ્યે જ જોયું હશે. મને કહેવામાં આવ્યું કે દરેક પ્રદેશ અને દરેક જ્ઞાતિને પોતાનો આગવો સાફો હોય છે એટલું જ નહિ, એ પહેરવાની આગવી રીત પણ હોય છે. પણ સૌથી વધુ રંગબેરંગી કપડાં કેટલાક છોકરાઓએ પહેર્યાં હતાં. એ કપડાંના રંગ એટલા તો ભડક હતા કે છોકરાઓ જાણે સળગી રહ્યા હોય એવું લાગે. મને કહેવામાં આવ્યું કે આ છોકરાઓ ધંધાદારી નાચનારા છે. એમણે કપડાં પહેર્યાં હતાં છોકરી જેવાં, પણ હકીકતમાં એ બધા હતા છોકરા. તેમાંથી બે કે ચાર છોકરા એક સાથે ઊભા થઈને ઘોંઘાટિયા સંગીત સાથે નાચતા હતા. તેમના હાવભાવ, અભિનયમાં વૈવિધ્ય હતું, પણ તેમના અવાજ મને તો કર્કશ લાગ્યા. અને સંગીતમાં એકતાનતા હતી, વૈવિધ્ય ઘણું ઓછું હતું.

ભાયખળામાં આજે ય અડીખમ ઊભેલો પ્રેમોદ્યાન બંગલો

આજે આપણને સવાલ થાય કે ભાયખળા જેવા વિસ્તારમાં બંગલો કેમ બંધાવ્યો હશે, પ્રેમચંદશેઠે? કારણ એ વખતે ભાયખળાનો વિસ્તાર, પરળનો વિસ્તાર, આજની ભાષામાં ‘અપ માર્કેટ’ કે ‘પોશ ’વિસ્તાર ગણાતો હતો. ત્યાંની ઘણી જમીન ડેવિડ સાસૂનની માલિકીની હતી. એ વખતે પણ આ વિસ્તારમાં પચરંગી વસ્તી હતી. પારસીઓના જરબાઈ બાગ અને રુસ્તમ બાગ પણ આ જ વિસ્તારમાં. જૈનોએ અહીં મોતીશા દેરાસર અને ઉપાશ્રય બાંધ્યું. ડેવિડ સાસૂને મેગન ડેવિડ સાસૂન સિનેગોગ બાંધ્યું. અને ૧૯૧૧માં ગ્લોરિયા ચર્ચને મઝગાંવથી ભાયખળા ખસેડવામાં આવી. અને ખુદ મુંબઈના ગવર્નરનો બંગલો હતો પરળમાં. ખાસ ધ્યાનપાત્ર વાત તો એ છે કે આ બધી જ ઇમારતો આજે પણ ઊભી છે.

પ્રેમચંદશેઠે બંધાવેલો બંગલો પણ આજે ય ઊભો છે, પણ ત્યાં હવે ચાલે છે આઠથી અઢાર વરસની અનાથ કન્યાઓ માટેનું છાત્રાલય! અને તે ઓળખાય છે ધ રેગીના પેસિસ કોન્વેન્ટ તરીકે. પ્રેમચંદશેઠ પાસેથી સાધ્વીઓએ આ બંગલો ખરીદી લીધો હતો. ૧૯૫૧માં ઇન્ટરનેશનલ ઓર્ગનીઝેશન ઓફ ધ કોન્ગ્રગેશન ઓફ ધ રિલીજિયસ ઓફ મેરી ઇમેક્યુલેટે આ બંગલો ખરીદ્યો. શરૂઆતમાં આ બંગલાનો ઉપયોગ સેન્ટ વિન્સેન્ટ મારિયા હોમ ફોર ડેસ્ટીટ્યૂટ ગર્લ્સ (છોકરીઓ માટેના અનાથાશ્રમ) તરીકે થયો. પછી ત્યાં રહેતી છોકરીઓને ભણાવવા માટે પ્રથમિક શાળા શરૂ થઈ. પછી તેમાં માધ્યમિક શાળા, રાત્રી શાળા, નોકરી કરતી સ્ત્રીઓ માટેની હોસ્ટેલ, વગેરે ઉમેરાતાં ગયાં. બંગલાના વિશાળ કંપાઉન્ડમાં આ માટે નવાં મકાનો બાંધવામાં આવ્યાં. પણ મૂળ બંગલામાં કશો જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બહુ જતનપૂર્વક તેની જાળવણી કરવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફોર્ટ કેમ્પસમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકાનો અવાજ ભાયખળા પહોંચે કે ન પહોંચે, આપણે તો રાજાબાઈ ટાવરની વાત કરવાને બદલે ભાયખળા જઈને, પ્રેમચંદશેઠનો બંગલો જોઈને વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેનને મળી આવ્યા. હવે પછી ફરી ભાયખળાથી રાજાબાઈ ટાવર જશું. એના બાંધકામની અવનવી વાતો તો જાણશું જ. પણ બે પારસી છોકરીઓના મોતની વાત પણ કરશું. એમનું મૃત્યુ એ આપઘાત હતું? ખૂન હતું? કે માત્ર અકસ્માત? વધુ રસિક ભાગ આવતા શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 માર્ચ 2022

Loading

વાચનયાત્રા

સમ્પાદક : મહેન્દ્ર મેઘાણી|Opinion - Opinion|12 March 2022

[1]

માવજતનો મંતર – દોલતભાઈ દેસાઈ

સુરતમાં ‘હકીમચાચા’ની દોઢસો વર્ષ જાણીતી દવાઓની દુકાન. કો’કવાર એ દુકાને જઈ ચાચા સાથે વાતો કરવાની મારી ટેવ. એક વાર એક નવયુવક ગોટી લેવા આવ્યો. પ્રથમ બાળકનો એ પિતા બન્યો હતો. હકીમને કહ્યું : ‘બાબાને પાવાની ગોટી આપો.’ હકીમે પૂછ્યું : ‘કેવી ગોટી આપું? એક વાર ઘસારાવાળી, બે વાર ઘસારાવાળી કે ત્રણ વાર ઘસારાવાળી?’ યુવક : ‘મને સમજ નથી પડતી. એક વાર ઘસારાવાળી ને ત્રણ વાર ઘસારાવાળી ગોટીમાં શો ફેર?’ હકીમ કહે : ‘એક વાર ઘસારાવાળી ગોટી, ઓસરિયા પર એક જ ઘસરકો કરો ને પાણી સાથે બાળકને પાવ, તો પેટ ચોખ્ખું રહે. જ્યારે ત્રણ વાર ઘસરકાવાળી ગોટી ત્રણ વાર ઘસવી પડે.’ યુવક : ‘પણ એમાં દવા તો એક જ પ્રકારની ને?’ હકીમ કહે : ‘બીલકુલ એક જ પ્રકારની દવા, પણ પૂટ પૂટમાં ફેર. એક ઘસરકાવાળી ગોટીમાં દવા ખૂબ ઘૂંટીને તૈયાર કરેલી, જ્યારે ત્રણ ઘસરકાવાળી ગોટીમાં દવા ઓછી ઘુંટેલી.’ યુવક કહે : ‘ઓહ! એટલે ફેર શો?’ હકીમ કહે : ‘માવજતનો!’

દવા એક જ, પણ માવજત જુદી! જેટલી માવજત વધારે તેટલી દવા પર પૂટ ચડે ને દવાની માત્રા વધે. પણ દવા એક જ. આ ‘માવજતનો મંતર’ મને હકીમચાચાએ સમજાવ્યો. આપણા જીવનમાંયે કેટકેટલી બાબતો માવજત માગે. રસોઈ માવજત માગે, આપણી કાયા માવજત માગે, બાળકોનો ઉછેર માવજત માગે, આપણો વ્યવસાય માવજત માગે, માંદગી માવજત માગે.

ઉદવાડા જાઓ તો ‘પટેલ બાપા’ની વાડી જોજો. વાડીમાં બે ફૂટ જ ઊંચા આંબા. વીસ વીસ કેરી લટકે! ફલાવર-વાઝમાં મુકાય એવાં આંબા-જમરૂખી. નાળિયેરીની એવી જાત જે માત્ર છ ફૂટ ઊંચી થાય અને ખૂબ નાળિયેર આપે. બાપાની સાઠ એકરની વાડી જોઈ, ‘આ બધું કેવી રીતે બને?’ એમ પૂછ્યું. બાપા કહે : ‘માવજત.’ માવજતના મંતરને સમજવો હોય તો એક જ રોજિંદી ક્રિયા લઈએ – રોટલો બનાવવાની ક્રિયા. લોટ-પાણી જુદાં હોય તેને અમુક પ્રમાણમાં એકઠાં કરવાં પડે. માવજત કરનારમાં પ્રમાણભાન હોય. પ્રમાણ ચુક્યા તો પદાર્થ બગડે. પછી મેળવીને લોટ ગુંદવો પડે. મસળવો પડે. મસળવાની ક્રિયા ધીરજ માગે. માવજત કરનારમાં ધીરજની ખૂબ જરૂર. મસળીને આખડિયે રોટલો થબેડતાં થાપવો પડે. હળવેક હાથે એ કરવું પડે. એટલે માવજત કરનારમાં હળવેક હાથે કામ કરવાની આવડત જોઈએ. એ રોટલાને તાવડીમાં ધીમે તાપે શેકવો પડે. માવજત કરનારમાં શેકવાની આવડત ને શેકાવાની ધીરજ અને ક્ષમતા જોઈએ. છેવટે કદાચ હાથ દાઝે, પણ રોટલાને દેવતા પર ફુલાવવો પડે. માવજત કરનારને તાપ સહન કરતાં આવડવો જોઈએ. એ સહનશક્તિ. અને છેવટે એ રોટલા પર ઘી કે તેલ (જેને સંસ્કૃતમાં ‘સ્નેહ’ કહેવાય) લગાડે. માવજત કરનાર પાસે પૂરતા પ્રમાણમાં ‘સ્નેહ’ હોવો જોઈએ. એક વાર માવજત કરી જુઓ : તમારો રોટલો રૂડો લાગશે.

[2]

હું થોડો ગાંડો થયો છું! – જ્યોતીન્દ્ર હ. દવે

ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડ્યો.

દર શનિવારે ધનસુખલાલ એને મળવા જતા. હું તે વેળા કબીબાઈ હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો. તે શાળાની સામે જ આવેલી એક દુકાનમાંથી જલેબી અને ગાંઠિયા કે એવું કોઈક ચવાણું લઈને પત્નીને આપવા સારુ એ ‘મેન્ટલ હોમ’માં જતા. એક વાર એ વિશે વાત નીકળતાં મેં એમને પૂછ્યું, ‘તમને આમ દર અઠવાડિયે ત્યાં જતાં કંટાળો નથી આવતો ? તમને એ ઓળખી શકે છે ખરી?’

‘અરે! બરાબર ઓળખે છે. મને દેખે છે એટલે દોડતી સામે આવે છે અને જે કંઈ હાથમાં આવે છે તે છુટ્ટું મારા પર ફેંકે છે. સુપરિન્ટેન્ડેન્ટે મને કહ્યું પણ ખરું કે, તમને જોઈને એ ઉશ્કેરાઈ જાય છે; તમે ન આવતા હો તો? અહીં એના ખાવાપીવાનો પ્રબંધ અમે કરીએ જ છીએ.’

‘ત્યારે જાઓ છો શું કામ?’ મેં પૂછ્યું.

‘અરે! એમ કંઈ થાય? એ તો ગાંડી થઈ ગઈ છે. મને ભલે ભૂલી જાય. પણ હું થોડો ગાંડો થયો છું? મારાથી એને કેમ ભુલાય?’

[3]

કેટલું મળ્યું? – મોહમ્મદ માંકડ

મેકસિકોના એક પ્રદેશમાં ઠંડા અને ગરમ પાણીના ઝરા પાસે પાસે આવેલા છે. ત્યાંની સ્ત્રીઓ પોતાનાં કપડાં પહેલાં ઉકળતા પાણીના ઝરામાં બોળે છે અને પછી બાજુના ઠંડા પાણીમાં તારવીને નીચોવી નાખે છે. આવી સગવડ જોઈને ત્યાં ગયેલ એક પ્રવાસીએ કહ્યું : ‘આવી સરસ કુદરતી સગવડ મળવાથી અહીંના લોકો ઈશ્વરનો આભાર માનતા હશે!’ ‘આભાર?’ ત્યાંના રહેવાસીએ સામે પ્રશ્ન કર્યો, ‘અરે અહીંના લોકો તો અફસોસ કરે છે કે ઝરામાં ગરમ પાણી તો છે પણ તે સાબુ કે સોડાવાળું નથી!’

કેટલાંક દુ:ખો આપણે પોતે ઊભાં કરીએ છીએ, એમાંનું એક દુ:ખ આપણા અસંતોષનું છે. સામાન્ય રીતે, માણસ પોતાને જે મળવું જોઈએ તે મળ્યું નથી, પોતાને કેટલો અન્યાય થયો છે એનો જ વિચાર કરે છે. આવા વિચારને કારણે તેનામાં અસંતોષ જન્મે છે અને અસંતોષમાંથી દુ:ખ જન્મે છે. આવી રીતે વિચારનાર માણસને અન્યાય થયો હશે અને તેને કારણે તેને કેટલુંક ગુમાવવું પડ્યું હશે; પરંતુ તેને જે પ્રાપ્ત થયું છે તેમાં કેટલી બધી વ્યક્તિઓનો ફાળો છે, તેનો તેને વિચાર આવે છે ખરો? આપણા જીવનની રચના એટલી અટપટી છે કે આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ તો પણ; આપણી પાસેનું બધું માત્ર આપણી શક્તિઓને કારણે જ પ્રાપ્ત થઈ શકે નહીં. કેટલી બધી વસ્તુઓ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં મળેલી હોય છે. કેટલું બધું મિત્રોને કારણે પ્રાપ્ત થયું હોય છે. કેટલું દેશને કારણે, સમાજને કારણે, જાણીતા અને અજાણ્યા લોકોને કારણે આપણને મળ્યું હોય છે. આપણે જે કાંઈ હોઈએ, જ્યાં હોઈએ, ત્યાં પહોંચવામાં કેટલી બધી વ્યક્તિઓનો ફાળો છે તેનો જો આપણે વિચાર કરીએ, તો એમના તરફ આપણા મનમાં આભારની લાગણી ઉત્પન્ન થયા વિના રહે નહીં. જે માણસ બીજાના ઋણનો સ્વીકાર કરે છે, તે ઊંડા સુખ અને સંતોષની લાગણી અનુભવી શકે છે.

[4]

એકલયાત્રા – ઉમાશંકર જોશી

દરેક મહાન વ્યક્તિના ભાગ્યમાં એકલાપણું લખાયેલું જ હોય છે. એ એક મનુષ્ય જીવનનો વસમો વિરોધાભાસ છે કે જેમ જેમ માણસ વિશ્વ સાથે તાદાત્મ્ય પામવાને માર્ગે વિકાસ સાધે, તેમ તેમ એ વિશ્વથી વધુ ને વધુ વિખૂટો પડતો જાય છે; બધાંને પોતાનાં કરવા જતાં પોતે જ એકલવાયો પડી જાય છે. મહત્તા એટલે જ મિત્રરહિત દશા. ટાગોર એકલાપણું પચાવી શક્યા એનું કારણ એ કે બાહ્ય સિદ્ધિઓની પાછળ એમની દોડ હતી જ નહીં. કવિ આનંદને લક્ષ્ય કરીને જ સારુંયે જીવન જીવ્યા છે. આનંદની યાત્રા એકલાએ કરી છે; પણ જે આનંદ પામ્યા તેની લૂંટ તો આખા જગત પાસે કરાવી છે.

[5]

સુવાસની અનાસક્તિ – ગુણવંત શાહ

સામેના છોડ પર ધ્યાનસ્થ થયેલા એક પુષ્પની હાજરી ઊંડી પ્રસન્નતાનો ભાવ જગાવી જાય છે. પુષ્પ પોતાની જગ્યા છોડીને સુગંધનો પ્રચાર કરવા ક્યાં ય જતું નથી. એ શાંતિથી પોતાના સ્થાને ઊભું છે. એનું હોવું એ જ પૂરતું છે. એને અપાર ધીરજ છે. આસપાસ કોઈ સુગંધ માણનારું છે કે નહીં, તેની ચિંતા એ કરતું નથી. પોતાનાં રંગ-રૂપને જોનારું કોઈ છે કે નહીં, એ વાતનો એને ઊચાટ નથી. પુષ્પનો દેહ નાશવંત છે. સાંજ પડ્યે એની પાંખડીઓ ખરી પડે છે. પરંતુ પુષ્પનું જે પુષ્પત્વ છે તે અક્ષર છે. પુષ્પ મરે છે; પણ પુષ્પત્વ જીવે છે. પુષ્પ પાસે સુગંધ છે, રંગ છે અને ભવ્યતા છે; પણ આ બધું કોઈને પહોંચાડવાની ચેષ્ટા એ નથી કરતું. એની ભવ્યતા આસપાસ પ્રસરે છે; કારણ કે એ છે. પુષ્પ એ પ્રચારક નથી; પ્રસારક છે. કોયલ ટહુકે છે; પણ તે શ્રોતાઓ માટે નથી ટહુકતી. ટહુકો એના અસ્તિત્વનો એક ટુકડો છે. કોયલનું સંગીત પ્રચરતું નથી; એ પ્રસરતું રહે છે. પ્રચારમાં અપેક્ષા છે, આકાંક્ષા છે; પ્રસારમાં નિજાનંદ છે, મસ્તી છે.

માણસને નિજાનંદ વહેંચવાની પણ એક વાસના જાગે છે. કોયલ પણ નિજાનંદ વહેંચે છે; પણ તે વાસના વગર. આનંદનો પૂંજ પડ્યો છે. કોઈને લેવો હોય તો ફાવે તેટલો લઈ લે, અને કોઈ નહીં લે તો પણ હરિ-ઈચ્છા. પોતાની આંતરિક સંપત્તિ પરખનારું કોઈ નથી, એનો અજંપો કેટલાક સંતોને પણ રહેતો હોય છે. પામર જીવોનો ઉદ્ધાર કરવાની ઉપદેશકોને ભારે આસક્તિ હોય છે. પુષ્પ અનાસક્ત છે. પોતાની સુગંધની સમજ આપવા માટે એ વર્ગો નથી ચલાવતું. ‘સુગંધ પ્રચારક મંડળ’ પણ એ નથી શરૂ કરતું.

[6]

લોકોને સાહિત્ય તરફ વાળવા – જયંત કોઠારી

ગુજરાતી વિવેચન શબ્દાળુતામાં રાચતું દેખાય છે. કહેવાનું ઓછું હોય ને ઘટાટોપ વધારે હોય. આવું બધું જોઈએ ત્યારે થાય કે સીધી સરળ ભાષા લખવી એ ખરેખર અઘરું કામ છે, ને અઘરું લખવું એ સહેલું કામ છે. સીધી, સરળ અભિવ્યક્તિ વિચારની ચોકસાઈ ને ચોખ્ખાઈ વિના સંભવતી નથી. અખબારી કૉલમની લખાણની ગુણવત્તા પર અસર જરૂર થાય છે. લખવા પાછળ જે દૃષ્ટિ તથા ખંત હોવાં જોઈએ, તે આપણા કટારલેખકોમાં નથી. કેટલાક તો ચાર-ચાર, પાંચ-પાંચ છાપાંઓમાં લખતા હોય છે. પછી ગુણવત્તા જળવાય કઈ રીતે? વધારે લોકો સુધી પહોંચી શકે એવાં સામયિકો ખૂટે છે. લોકો સુધી જે પહોંચે છે તે સાહિત્યિક નથી હોતાં અને જે સાહિત્યિક છે તેની ભાષા એવી છે કે લોકો સમજી ન શકે. બે વચ્ચે સમન્વય રચાવો જોઈએ. ‘મિલાપ’ એ કામ કરતું હતું. હવે આપણી પાસે એવું સામયિક નથી. લોકોને કલા અને સાહિત્ય તરફ વાળવા એ જ સવાલ છે. લોકો પુસ્તક લેવા ન આવે, તો તમે લોકો પાસે પુસ્તકો લઈ જાઓ. ‘લોકમિલાપ’ એ કામ કરતું આવ્યું છે.

જન્મ : 20 જૂન 1923 : સાત ઉપરાંત દાયકાઓથી સાહિત્યની ‘ગોવાળી’ કરનાર આ એકમેવ ‘ખેપિયા'ને સહૃદય વંદન. નવાણું વર્ષની વયે પણ આ નવા રમકડા – આઈપૅડની કરામત શીખવા મથતા આ યુવાન મહેન્દ્રભાઈને સલામ! એવી યુવાની સૌને મળો … જીવનની સંધ્યાએ મહેન્દ્રભાઈને નિરામય, સંતોષી તેમ જ આનંદકારી જીવન સતત મળજો … જય હો, મીમી!! 

– વિપુલ કલ્યાણી

 

‘ઓપિનિયન’ના તંત્રી–સમ્પાદક લંડનવાસી મિત્ર વિપુલ કલ્યાણીની ફેસબુક વૉલ પરથી સાભાર : https://www.facebook.com/notes/398619504473558/

— ઉત્તમ.મધુ ગજ્જર

@@@

મહેન્દ્રભાઈના પૌત્ર ભાઈ યશ ગોપાલ મેઘાણી વૉટસેપ સંદેશમાં લખે છે :

નમસ્તે,

લોકમિલાપ ઓનલાઇન પુસ્તક ભંડારમાં (71 વર્ષ જૂનો પુસ્તક ભંડાર) આપનું સ્વાગત છે. પુસ્તકોનું લિસ્ટ જોવા (મોટાભાગનાં પુસ્તકો પર 10% વળતર મળશે. 499 ₹ થી વધુની ખરીદી પર પોસ્ટ ચાર્જ પણ ફ્રી રહેશે : https://wa.me/c/918734918888

નવાં પુસ્તકો અને ઓફર્સની માહિતી મેળવવા આ ગ્રુપમાં જોડાશો : 

https://chat.whatsapp.com/LX3XiWPyv4Q1ab2ckc54k9

@@@

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 317 – March 08, 2015

Loading

...102030...1,6051,6061,6071,608...1,6201,6301,640...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved