Opinion Magazine
Number of visits: 9673624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો પ્રવેશ અને બંધારણ

નેલ્સન પરમાર|Opinion - Opinion|2 April 2022

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ, ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પાઠ ભણાવવામાં આવશે તેવો સરકારનો નિર્ણય જાહેરાત કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવે જોઈએ ધાર્મિક શિક્ષણ વિશે ભારતનું બંધારણ શું કહે છે.

બંધારણના અનુચ્છેદ – ૨૮ : અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા.

(૧) રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.

(૨) રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઇ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને ખંડ(૧)નો કોઈ મજકૂર લાગુ પડશે નહીં.

(૩) રાજ્યે માન્ય કરેલી અથવા રાજ્યનાં નાણાંમાંથી સહાય મેળવી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતાં ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા તેને સંલગ્ન કોઈ કોઈ મકાનમાં ચલાવતી કોઈ ધાર્મિક ઉપાસના હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં સિવાય કે તે વ્યક્તિએ અથવા તે વ્યક્તિ સગીર હોય તો તેના વાલીએ એ માટે પોતાની સંમતિ આપી હોય.

¶ ભારતનાં બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે, ધાર્મિક શિક્ષણ ન આપી શકાય તો આ શિક્ષણ મંત્રી જાહેરાત કેવી રીતે કરી શકે? આપણે જોઈએ કે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ ગીતાને જ છે. એટલે બંધારણીય રીતે કોઈ પણ ધાર્મિક શિક્ષણ ન આપી શકાય એવું સ્પષ્ટ છે જ .. આવી જાહેરાતો ચૂંટણી આવી એટલે લોકોને છેતરવા લોલીપોપ સમાન છે કે પછી જાણી જોઈને માહોલ બગાડવા કે મતોનું ધ્રુવીકરણ કરવા આવી જાહેરાત કરવામાં આવે છે એ ચર્ચાનો વિષય છે. મને લાગે છે કે આ મુદ્દે પણ ભવિષ્યમાં આ જ સરકાર પોતાનું બયાન પાછું ખેંચશે, ચૂંટણી આવી એટલે ફકત ચૂંટણી લક્ષી નામની જાહેરાત સમજવી બાકી એમને ય ખબર છે કે કોઈ તો વિરોધ કરશે જ, કોઈ હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટે બંધારણીય બાબતોને મહત્ત્વ આપશે તો. ધાર્મિક શિક્ષણ માટે બંધારણ સ્પષ્ટ છે એટલે આ રદ્દ થશે ..

ખરેખર, જો બાળકોના ભવિષ્યની ચિંતા જ હોય તો જે ૭૦૦ શાળાઓમાં એક જ શિક્ષક છે એના પર વિચારો, શિક્ષકોની ઘટ છે એના પર વિચારો, શાળાઓની હાલત પર વિચારો, શિક્ષકોને આપવામાં આવતાં શિક્ષણ સિવાયના કામો દૂર કરો … એવા તો અનેક મુદ્દાઓ છે જેના પર કામ કરો આવી ખોટી ખોટી જાહેરાતો કરી પ્રજાને છેતરવાનું બંધ કરો ….!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 15 

Loading

મારે મરવું નથી, કારણ કે ..

સોનલ પરીખ|Opinion - Short Stories|2 April 2022

‘મારે મરવું નથી. મને બચાવી લો. કંઈ પણ કરો – મને જીવાડો.’

એ વૃદ્ધ સજ્જનનું ગળું ભરાઈ આવ્યું. ઉપસેલી નસોવાળા સૂકા બરછટ હાથે તેમણે ખુરશીના હાથા એવી રીતે પકડી રાખ્યા હતા કે જો છોડી દેશે તો મૃત્યુ ઊંચકીને તેને લઈ જશે! ફીક્કી ચામડી બેબાકળા ચહેરા પર કંપતી હતી. આંખોમાં ડર અને સ્તબ્ધતા થીજી ગયાં હતાં. તેઓ ખૂબ અસહાય અને હતાશ લાગતા હતા. હવા પણ જાણે તેમની પીડાના વજનથી ભારે ભારે થઈ ગઈ હતી.

‘કેન્સર ઘણું વધી ગયું છે.’ હું શબ્દો ચોર્યા વગર બોલી. તેમ કર્યા વગર બીજો રસ્તો નહોતો.

‘એટલે કે કોઈ આશા નથી ?  પ્લીઝ, એવું ન કહો. કહો કે આશા છે. રિપોર્ટ ફરી વાર જુઓ. તમારા સીનિયરની સલાહ લો. નિદાનમાં કદાચ ભૂલ હોય. તમે તો ડૉક્ટર છો. છેવટે એટલું કહો કે કૅન્સર જીવલેણ નથી.’

‘હું તમને લાંબો સમય વ્યવસ્થિત રાખવાની અને પીડા વગર જીવાડવાની કોશિશ કરીશ.’

‘પણ મારે મરવું જ નથી.’ તેમણે પોતાના ધ્રૂજતા હાથમાં મારી હથેળી જકડી લીધી. તેમના હાથ ઠંડા હતા; મૃત શરીરના હોય તેવા. પણ તેમની હથેળીનો કંપ હું મારી હથેળીમાં અનુભવી રહી. થોડી વારે મેં મારો હાથ હળવેથી સેરવી લીધો.

નીચું જોઈ તેઓ માથું ધુણાવતાં બબડતા હતા : ‘મારે મરવું નથી. મારે મરવું નથી ..’

*

દર વખતે આ જ દૃશ્ય ભજવાય. કોઈના માથા પર મૃત્યુ તોળાતું હોય, તેને મરવું ન હોય, તે બચવા માટે એવા કાલાવાલા કરે; જાણે અમે ડૉક્ટરો તેમને જિન્દગી આપવા સમર્થ હોઈએ! આ બધાની અસર હું ડૉક્ટર છું તો પણ; મને થાય તો ખરી. રોગ અને મૃત્યુ પાસે આખરે માણસ અસહાય છે એ સ્વીકારવું કંઈ સહેલું નથી. તે છતાં અમે છેક સુધી લડ્યે જતા હોઈએ છીએ. આવી રીતે વર્તીને તેઓ મારો આત્મવિશ્વાસ તોડી નાખતા.

હવે વાતો પૂરી થઈ ગઈ હતી. તેઓ આવતા ને આવતાંની સાથે રડવા માંડતા. હું પણ ચૂપચાપ રહેતી. તેમને રડવા દેતી, જોતી રહેતી. મને કરુણા પણ ઉપજતી અને ધીક્કાર પણ જાગતો. એવું વાતાવરણ ઊભું થયું, જાણે આ સ્થિતિમાં મેં એમને મૂક્યા હોય. અસાધ્ય કૅન્સરના મરણોન્મુખ રોગીઓની સારવાર ‘પેલિએટીવ કૅર’ની ખાસ તાલીમ મેં લીધી છે. અંત સમયની પીડા અને મૃત્યુને સહ્ય બનાવવામાં દર્દીઓને મદદ કરવી તે મારું કાર્યક્ષેત્ર છે. એટલે હું છેવટે તેમને આશ્વાસન આપતી, શાંત પાડવાની પૂરેપૂરી કોશિશ કરતી, થોડી આધ્યાત્મિક વાતો પણ કરતી; છતાં તેમનું રડવાનું કેમેય અટકતું નહીં. મારી ધીરજની કસોટી થવા લાગી ને અન્તે ક્ષોભ અને ત્રાસ પામીને હું તેમનો હાથ પકડી હળવેથી ઊભા કરતી અને બહાર મૂકી આવતી. એક રડતો વૃદ્ધ બીમાર પુરુષ અને તેને બહાર મૂકી જતી યુવાન ડૉક્ટર! એવું દૃશ્ય રચાતું કે બહાર બેઠેલાં દર્દીઓ, મારી રિસેપ્શનિસ્ટ અને વૉર્ડબૉય સુધ્ધાં તેમના તરફ સહાનુભૂતિથી અને મારા તરફ તિરસ્કારથી જોતાં. ક્યાં ય સુધી મને કળ ન વળતી.

*

‘તમે અત્યન્ત નિરાશ થઈ ગયા છો’ એક દિવસ મેં કહ્યું.

‘હા.’ તેમની આંખો છલકતી હતી.

‘તમને તકલીફ થાય છે. દુઃખાવો કે બળતરા?’

‘હા … ના … કદાચ. ખબર નથી પડતી.’ અને આંસુ સરવા માંડ્યાં.

ફરી વાર તેઓ હતાશાની અતળ ખાઈમાં ગરક થતા જતા હતા અને મને પણ ખેંચી જતા હતા. હું ખેંચાઈ રહી હતી. મને ગુસ્સો આવતો હતો. આખરે આયુષ્યના નેવુંમા વર્ષે મૃત્યુનો આટલો ડર શા માટે? સુખોદુઃખોથી ભરેલી એક લાંબી જિન્દગી તેમણે જીવી લીધી હતી, પછી આટલી વિહ્વળતા શા માટે? મને તેમના ખભા પકડી હલાવી નાખવાનું ને બૂમ પાડીને પૂછી લેવાનું મન થતું હતું :

‘આખરે, દીકરીથી ય નાની ઉંમરની ડૉક્ટર પાસેથી કેવા પ્રકારનું આશ્વાસન ઈચ્છો છો તમે?’

ખરેખર તો આ ક્ષણે એમની શાન્તિ અને ધૈર્યમાં તમામ અસહાયતા ઓગળી જવી જોઈએ. મૃત્યુને ગરિમાથી સ્વીકારી લેતાં અનેક યુવાનો અને બાળકો પણ મેં જોયાં છે. આ પુરુષ, આ ઉંમરે, આટલો બધો નિર્બળ કેમ બને છે? આટલો બધો કેમ પડી ભાંગે છે કે કેમેય કરીને તેને ઊભો કરી શકાતો નથી?

મારી અકળામણ વધતી હતી. કદાચ બહાર દેખાતી પણ હશે. તેઓ ધ્રૂજતા ધ્રૂજતા ચૂપચાપ બેઠા હતા. આંસુથી ખરડાયેલા ગાલ પર ફરી ફરી આંસુ વહેતાં હતાં.

મેં કહ્યું, ‘કદાચ બીજા કોઈ ડૉક્ટર તમને વધુ મદદ કરી શકશે. હું …’

‘ના, ના, મારે બીજા કોઈ પાસે જવું નથી. તમે મને છોડી ન દેશો.’

‘ભલે, નહીં છોડું.’

‘હું મરવા નથી માગતો મારે જીવવું છે કારણ કે … કારણ કે હું પ્રેમમાં છું.’

હું સ્તબ્ધ! પ્રેમમાં? આ ઉંમરે? કાન પર અથડાયેલા શબ્દો જાણે મનમાં પચતા નહોતા!

તેઓ તો જાણે ક્યાંક બીજે, બીજી દુનિયામાં ચાલ્યા ગયા હતા. મનમાં જાત સાથે વાત કરતા હોય એમ તેઓ બોલવા લાગ્યા, ‘અમારાં લગ્ન થયાં ત્યારે તે સોળ વર્ષની હતી.’ આટલાં ડર, પીડા અને કંપન વચ્ચે પણ તેમના ચહેરા પર એક કોમળ તેજ પથરાયું. થોડા ન સમજાય તેવા શબ્દો … પછી તેઓ ક્યાં ય સુધી મૌન રહ્યા. મારા મનમાં ચિત્ર આવ્યું – સાગરના તળિયે એક મરજીવો છીપ ભેગી કરી રહ્યો છે. મનમાં ઉછળતી ઉત્સુકતા દબાવી હું ધીરજથી તેમને જોતી રહી.

અંતે મૌન તૂટ્યું : ‘મેં વચન આપ્યું હતું કે જીવનભર તેને સંભાળીશ.’

હું પારાવાર ક્ષુદ્રતા અનુભવતી હતી. ‘મને કહ્યું કેમ નહીં?’

‘તમે પૂછ્યું નહોતું.’

‘હવે પૂછું છું. તમારાં પત્ની વિશે મને કહો.’

‘કહું?’ તેમના ચહેરા પર મેઘધનુષ ખીલી ઊઠ્યું.

‘હા. બધું કહો.’

અને તેઓ કહેવા લાગ્યા – ભાગલા વખતે સર્વસ્વ ગુમાવીને થાકેલાં શરીર, વિચ્છીન્ન આત્મા અને ચાર નાનાં બાળકો સાથે આ દેશમાં આવેલાં પતિ–પત્ની વિશે, દિવસે નાનીમોટી નોકરીઓ કરી રોટલો રળતા ને રાત્રે નાઈટ સ્કૂલમાં ભણતા યુવાન વિશે, કરકસરથી ઘર ચલાવતી, બાળકોને કેળવતી ને સંઘર્ષરત પતિના હૃદય પર શાન્તિનો હાથ ફેરવતી પ્રિયતમા વિશે, યુવાનીનાં વીતતાં ગયેલાં વર્ષો, સંઘર્ષનાં ધીરે ધીરે મળતાં ગયેલાં ફળ અને આયુષ્યની સરતી જતી રફતાર વિશે. ‘રોજ રાત્રે અમે છયે જણ ઢૂંબો વળીને જે મળ્યું હોય તે પ્રેમથી ખાઈ લેતાં, એકબીજાને ખવડાવી દેતાં. થાકથી તૂટી પડ્યો હોઉં ત્યારે એ ખભે હાથ મૂકીને કહેતી – ‘આપણે સાથે છીએ તો નવી જિન્દગી જરૂર મળશે ને હું ભાંગેલી કમર સીધી કરી વિશ્વાસપૂર્વક કામે લાગતો.’

આ બધું કહેતી વખતે તેમના અવાજમાં જરા ય કંપ ન હતો. તેમણે કહ્યું, ‘તમને કદાચ મારી વાત જૂના જમાનાની, ચીલાચાલુ લાગશે. પણ સાચું તો એ જ છે કે, અમારા પ્રેમે જ અમને શક્તિ આપી હતી. તેનું મોં જોઈને મારા પગમાં નવું જોમ આવતું ને મને જોઈને તેનામાં પ્રાણ પૂરાતો. આમ જ જીવન વીત્યું, બાળકો મોટાં થયાં, દુઃખો પણ પૂરાં થયાં અને હવે…’

ફરી તેમનો અવાજ તૂટી ગયો. આંખો વહેવા માંડી. પણ હવે હું આ આંસુનું મૂલ્ય જાણવા પામી હતી. પ્રેમનું આ કેવું સ્વરૂપ હતું! જે પ્રેમ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તેમને સ્થિર રાખતો હતો, તે જ પ્રેમ આ વયોવૃદ્ધ અવસ્થાએ તેમને બાળકની જેમ રડાવી રહ્યો છે! હું આમને ડહાપણના, સાંત્વનાના શબ્દો કેવી રીતે કહું? મને સમજાય છે, તેઓ સાચા છે. જેનો થરથરતો હાથ, હાથમાં લઈને જીવનભર સાથ આપવાનો કોલ દીધો હતો, જેને ગર્વથી, પ્રેમથી, અધિકારથી આજ સુધી રક્ષી હતી; તેને આ વૃદ્ધ અવસ્થાએ એકલી મૂકીને જઈ શકાતું નથી. પણ જવું તો પડશે. આ મૃત્યુનો ડર નથી, વિયોગનો પણ નથી; બસ એક જર્જરિત વૃદ્ધ નારીમૂર્તિ સામે આવે છે ને ધૈર્યના બધા બંધ તૂટી જાય છે.

‘ના, તમે ચીલાચાલુ નથી. જૂના જમાનાના નથી. આ પ્રેમ, આ સ્વપ્નો જ તો દરેક પુત્રનું જીવનબળ છે.’

તેમના હાથ પર હાથ મૂકીને હું બોલી, ‘તમારી વાત ખૂબ જ સુંદર અને અત્યંત અદ્ભુત છે.’

તેમણે બે હાથમાં મારી હથેળી પકડી, ‘એવું નથી. તમે આંખ ખોલીને જુઓ તો આવો પ્રેમ ઘણી જગ્યાએ દેખાશે.’

અને પહેલી વાર તેઓ શાન્તિપૂર્વક ગયા. મને શાન્તિ આપીને ગયા. હવે છેક મને સમજાયું કે તેઓ મારી પાસેથી શું ઈચ્છતા હતા. મારે તેમના હૃદય સુધી પહોંચવાનું હતું. તેમની પીડા સમજવાની હતી. દવા કે ઈલાજમાં નહીં; તેમની શાન્તિ પોતાના મનની વાત વહેંચવામાં હતી.

મને મારી અધિરાઈ માટે શરમ આવતી હતી. કેટલી ઉપરછલ્લી હતી મારી યુવાની અને જીવન તો કેટલું ગહન, કેટલું શાન્ત! ધીમા, ડગમગતા, સરખું સાંભળી કે બોલી ન શકતા જીર્ણ શરીરવાળા વૃદ્ધોને જોઈ તેમને નિરુપયોગી, નકામા, અકારણ જીવ્યા કરતા અને સંવેદનવિહોણા ધારી લેતા વાર નથી લાગતી; પણ યુવાનીનો ચળકાટ એક દિવસ ખલાસ થઈ જાય છે. ત્યાર પછી પણ પ્રેમ જીવતો હોય છે; જિન્દગીનો અર્થ જીવતો હોય છે. જો જોવા માગીએ તો દેખાય; અનુભવવા માગીએ તો જોઈ શકાય.

એ મારું છેલ્લું મિલન હતું. ત્યાર પછી તેઓ કદી ન આવ્યા. એક દિવસ સમાચાર મળ્યા કે તેઓ મૃત્યુ પામ્યા છે. મેં ઑફિસમાં કહેવડાવ્યું કે તેમને ત્યાંથી કોઈ પેપર્સ લેવા આવે તો મને મળે.

અઠવાડિયા પછી તેમના પુત્રને મળવાનું થયું. ચાલીસેક વર્ષનો ગંભીર સમજદાર પુરુષ. મેં પૂછ્યું, ‘તેમની છેલ્લી પળો કેવી વીતી?’

‘શારીરિક કષ્ટની ફરિયાદ નહોતા કરતા. પણ જીવ જતા વાર લાગી. વારે વારે મા સામે જોયા કરતા હતા.’

‘અને તમારાં મા?’

‘મારી મા છેલ્લાં વીસ વર્ષથી અંધ છે. તેની સારસંભાળનો બધો જ ભાર છેક સુધી પિતાજીએ ઉપાડ્યો. અમે ઘણું કહ્યું કે નર્સ રાખીએ, કૅરટેકર રાખીએ; પણ ન માન્યા. કહે : ‘મારે બીજું કામે ય શું છે? અત્યાર સુધી એણે મારી કેટલી સેવા કરી છે. થોડું હુંયે કરું ને નાનુંમોટું બધું પોતે જ કરતા. રોજ બહાર લઈ જાય. ઝીણું ઝીણું વર્ણન સતત કરતા જાય ને મા તેમનો હાથ પકડી ચાલતી હોય, રસથી સાંભળતી હોય. વચ્ચે પૂછતી જાય, ‘આ ઘંટડી શાની વાગી?’; ‘બાજુમાંથી શું દોડી ગયું?’; ‘આજે પાંદડાં કેમ બહુ ખખડે છે?’ ઘરમાં પણ બન્ને સાથે ને સાથે જ -’ પછી ગળું ખંખેરી કહે, ‘જોડી તૂટી, ડૉક્ટર.’

‘તમારાં મા બહુ દુઃખી થયાં હશે?’

એ ભાઈ નીચું જોઈ ગયા. થોડી વારે કહે,

‘શાન્ત હતી. આમ તો એક વાર બોલી હતી – ‘સારું થયું, મારા પહેલા તેઓ ગયા. મારે પહેલા જવાનું થાત તો એમને એકલા છોડી કેમેય જઈ ન શકત. તેમની જેમ વલખતી રહેત.’ મેં પૂછ્યું, ‘તને કોણે કહ્યું તેઓ વલખતા હતા? તો બોલી નહીં. છલકતી આંખે નીચું જોઈ ગઈ.’

‘તમે કહ્યું, શાન્ત હતી – ‘હતી’ શબ્દ વાપરેલો ને?’

‘હા.’

‘એટલે – એટલે કે …’

‘પિતાજી ગયા પછી ચાર દિવસે મા પણ મૃત્યુ પામી. ઊંઘમાં જ ચાલી ગઈ. પેલે દિવસે બોલી હતી કે હવે જીવીને શું કામ છે? ભગવાનની માળા કર્યા કરતી હતી આખો દિવસ.’

દર્દીના મૃત્યુ પછી સગાંવહાલાંને મળવાનો પ્રસંગ આવી રીતે ક્યારેક આવે. તેવે વખતે તેઓ વાતો કરવા આતુર હોય છે. તેમની લાગણીઓ ઘવાય નહીં, તેવી રીતે વાત ટૂંકાવવાની અમને તાલીમ અપાય છે. હું પણ આ શીખી છું. સૌજન્ય જાળવીને થોડામાં પતાવવું એ નિયમને અનુસરું છું. પણ તે દિવસે એ નિયમ મેં તોડ્યો. એ ભાઈએ તેમના પિતા વિશે ઘણી બધી વાતો કરી, કે દાદા કેવા ગરમ સ્વભાવના; પણ અત્યન્ત પ્રેમાળ હતા. રેફ્યુજીઓને કેટલી મદદ કરતા, પરિવારને કેટલો ચાહતા. અનેક પ્રસંગો. આ બધી વાતો મેં પૂરી સાંભળી. પણ મારી આંખો સામે એક જ દૃશ્ય રચાતું રહ્યું – ઝૂકી આવેલું આકાશ, સાંકડો રસ્તો, એકબીજાંનો હાથ પકડી ચાલ્યું જતું દમ્પતી અને તેમના પર મંજરીઓ ખેરવતાં ઘટાદાર વૃક્ષો!

*

દર્દીઓ તરફ જોવાની એક નવી દૃષ્ટિ મને મળી છે. વ્હીલચૅરમાં બેઠેલા, અધ્ધર જીવ અને ખોવાયેલી દૃષ્ટિવાળા, જીર્ણ-કંપતા શરીરવાળા વૃદ્ધોને જોઈને હું મારી જાત સાથે એક કમિટમેન્ટ કરું છું કે, તેમના અન્તની ઘોષણા કરવાની ઉતાવળ કરવાના બદલે હું તેમની સફરના મુકામોને, તેમની સાથે માણીશ. તેમની સ્મૃતિની અને મારી સમજની ગ્રંથિઓને ઓગાળીશ.

આખરે, આપણે શું જોઈએ – મુક્તિ, વિમોચન. ખરું ને?

(પ્રસિદ્ધ ‘કુમાર’ માસીકના 2011 એપ્રિલના ‘એક હજાર’મા ‘વાર્તા–વિશેષાંક’ના પાન 479 પરથી સાભાર .. .. ઉ.મ.)

લેખિકા સમ્પર્ક : સોનલ પરીખ, લોકભારતી ગ્રામવીદ્યાપીઠ, સણોસરા- 364 230 તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર

eMail: sonalparikh1000@gmail.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ અગિયારમું – અંકઃ 323 – May 31, 2015

165.Maare_Marvu_Nathi-SONAL_PARIKH-31-SeM-31-05-2015

Mobile_Edition

આ પોસ્ટ મોકલાઈ : 01-04-2022

@@@

Loading

ચલ મન મુંબઈ નગરી—139

દીપક મહેતા|Opinion - Opinion|2 April 2022

પહેલા ગુજરાતી ગ્રેજ્યુએટનું પહેલું નાટક

જ્યારે ખારાં પિસ્તાં ને બદામનું પડીકું ચાર આનામાં મળતું!

અંક બીજો

બીજા અંકનો પડદો ઉપડવાને થોડી વાર છે હજી. ખારાં બદામ-પિસ્તાંનું પડીકું ચાર આનામાં ખરીદીને પેટનો ખાડો થોડો પૂરી લીધો હશે. બટેટાં વડાં, સમોસાં, સેન્ડવિચ, પોપ કોર્ન વગેરે એ વખતે થિયેટરમાં વેચાતાં નહિ. એનું કારણ કદાચ હતું ખાવા-પીવાની બાબતમાં ઉજળિયાત વર્ગના ઘણાખરા લોકોના કડક વિધિ-નિષેધ. હા, ખભે ગમછો લટકાવેલા કોઈ ભૈયાજી પિત્તળની કિટલી લઈ થિયેટર બહાર ‘બામણિયા ચા’ વેચતા દેખાય ખરા. પહેલી ચાર-પાંચ રોમાં મુંબઈના જાણીતા શેઠિયાઓ, શેર બ્રોકરો, વેપારીઓ, જ મોટે ભાગે જોવા મળે. ક્યારેક કોઈક પારસી, ખોજા કે વહોરાજી પણ હોય. શેઠિયાઓએ બગલાની પાંખ જેવું ‘પરમસુખ’ ધોતિયું પહેર્યું હોય. ઉપર ૫૬ ઈંચનો એવો જ સફેદ ડગલો. ડગલાનાં સોનાનાં બટન ચમકતાં હોય. તો બે-ચારના ડગલામાં સોને મઢ્યાં હીરાનાં બટન પણ ઝગારા મારતાં હોય. ઉપલા ખિસ્સામાંથી સોનાની ચેન લટકતી હોય. તેને છેડે ગોલ્ડ પ્લેટેડ ઘડિયાળ. માથે ઝીણા ભરતકામવાળી ક્રીમ કે બ્રાઉન કલરની ટોપી. પગમાં કાળાં બૂટ-મોજાં. તો કોઈના પગમાં મોજડી. કેટલાકના હાથમાં ચાંદીની મૂઠવાળી સીસમની લાકડી. ટેકા માટે નહિ, મોભા માટે. આખા થિયેટરમાં ‘બૈરાં’ બહુ ઓછાં દેખાય. જે હોય તેમણે ભારે સાડી પહેરી હોય અને સોના-હીરાના દાગીના શરીર પર લાદ્યા હોય. ઈન્ટરવલમાં નજર પગના અંગૂઠા પર ખોડાયેલી રહે. અને હા, શેઠિયાની બાજુમાં જે ‘બૈરું’ બેઠું હોય તે તેમની ‘ઘરવાળી’ જ છે એમ માની લેવાની ભૂલ કરવી નહિ.

પણ હવે પડદો ઉપડવાની તૈયારીમાં છે. અરે, આ ઉપડ્યો!

પ્રવેશ પહેલો

“ગુજરાતીમાં હજુ સુધી આવું નાટક લખાઉં નથી ને આ પેલું છે. માટે એમાંની ખોડોને વાસ્તે માફ માગવાનો મને વધારે હક છે એવો મારો વિચાર છે.” આ શબ્દો લખાયા છે ૧૮૬૨ના ઓગસ્ટની પાંચમી તારીખે. લખનાર છે નગીનદાસ તુલસીદાસ. ઉંમર વર્ષ બાવીસ. વ્યવસાય? મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ. એ ઉંમરે પણ પોતાની પહેલી કૃતિને વિવેચકની દૃષ્ટિથી જોઈ શકે એટલા પરિપક્વ હતા નગીનદાસ. પ્રસ્તાવનામાં લખે છે : “આ નાટકના પહેલા બે અંકો અને છેલ્લા ત્રણ અંકોમાં કંઈ જ સંબંધ નથી એવું કેટલાકને લાગશે, પણ ઊંડી નજરે જોતાં માલમ પડશે કે તેઓમાં સંબંધ છે.” એ જમાનામાં આ નાટક દ્વારા લેખકે પુખ્તવયે થતાં પ્રેમલગ્નનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, એ વખતે જ્ઞાતિપ્રથાની પકડ એટલી મજબૂત હતી કે નાટકનાં નાયક-નાયિકા ભોગીલાલ અને ગુલાબ બન્ને એક જ જ્ઞાતિનાં છે એવું લેખકે જણાવવું પડ્યું છે.

નગીનદાસ તુલસીદાસ અને તેમનું નાટક ‘ગુલાબ’

સાહિત્યના વિવેચન અને ઇતિહાસમાં એક ભ્રમ એવો ફેલાયો છે કે આપણા સાહિત્યમાં પ્રાદેશિક કે વર્ગવિશેષની બોલીનો ઉપયોગ તો ગાંધી યુગથી જ શરૂ થયો. પણ આ નાટકના પહેલા બે અંકમાં લેખકે એ જમાનામાં બોલાતી વિવિધ બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કર્યો છે. સુરતી વેપારીની બોલી, ખલાસીઓ અને બંદર પરના મજૂરોની બોલી, પારસી તથા નાગર અમલદારોની બોલી, અરે, બ્રિટિશ જજની અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલી. અહીં પાત્ર અને પ્રસંગને અનુરૂપ થાય એવી રીતે પ્રયોજાઈ છે. અદાલતના સીનમાં તો બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કરવાની તક લેખકને મળી ગઈ છે. અંગ્રેજ જજ, અદાલતનો નાગર અધિકારી મધુવછરામ, અને જુદી જુદી કોમના સાક્ષીઓ. દાયકાઓ પછી ચંદ્રવદન મહેતાએ લખેલા નાટક ‘આગગાડી’ના પ્લેટફોર્મ સીનનો પુરોગામી બની રહે તેવો આ કોર્ટ સીન છે.

ગુજરાતી રંગભૂમિ પરના નાટકનું દૃષ્ય

પણ આ નગીનદાસ હતા કોણ? નગીનદાસનો જન્મ સુરતમાં, ૧૮૪૦માં. વેપારી કુટુંબ. આડતિયાનું કામ એટલે અટક પડી મારફતિયા. પ્રાથમિક શિક્ષણ સુરતમાં. પછી આગળ ભણવા મુંબઈ. ૧૮૬૨માં મુંબઈ યુનિવર્સિટીએ પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી. તેમાં માત્ર ચાર છોકરા પાસ થયેલા, ચારે મરાઠીભાષી. બીજે વર્ષે, ૧૮૬૩માં લેવાયેલી પરીક્ષામાં પાસ થઈ નગીનદાસ પહેલવહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ બન્યા. પોતે ભણેલા તે એલ્ફિન્સ્ટન કોલેજમાં જુનિયર દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. પછી વકીલ થયા, વકીલાત કરી. કોલેજમાં ભણતા ત્યારથી કવિ નર્મદ સાથે દોસ્તી. આ ગુલાબ નાટક નર્મદને જ અર્પણ કર્યું છે. નર્મદના સાપ્તાહિકનું ‘ડાંડિયો’ નામ પાડનાર પણ નગીનદાસ જ. તેમાં અવારનવાર લખતા પણ ખરા. ગુલાબ ઉપરાંત બીજું એક નાટક ‘માણેક’ પણ લખેલું જે ત્રિમાસિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’માં પ્રગટ થયેલું. પણ પુસ્તકરૂપે પ્રગટ થયું હોવાનું જાણવા મળતું નથી. નગીનદાસ આમ તો રોજ હવેલીમાં દર્શને જતા, ત્યાં બેસી ભજનો ગાતા. પણ મહારાજ લાયબલ કેસમાં સુધારાવાદીઓની સાથે રહેલા. નર્મદના પુનર્લગ્નને પણ ટેકો આપેલો અને નર્મદના અવસાન પછી પણ તેની પત્નીઓ ડાહીગૌરી, સવિતાગૌરી, અને પુત્ર સાથે સંબંધ ચાલુ રાખેલો. ૧૯૦૨માં ૬૨ વર્ષની વયે તેમનું અવસાન થયું.

પ્રવેશ બીજો

૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯ તારીખ, શનિવાર. પહેલવહેલું ગુજરાતી નાટક ‘રૂસ્તમ અને સોરાબ’ અને ફારસ ‘ધનજી ગરક’ નાના શંકર શેઠે બંધાવેલા ગ્રાન્ટ રોડ થિયેટરમાં ભજવાયું. તેમાં જે પારસી પુરુષોએ ભાગ લીધો હતો તેમાંના એક હતા નાનાભાઈ રૂસ્તમજી રાણીના. નાટ્યલેખક અને રંગકર્મી, કોશકાર. કવિ નર્મદ, કરસનદાસ મૂળજી જેવા સુધારકોના મિત્ર અને મદદગાર. વ્યવસાયે પહેલાં શિક્ષક, પછી લાઈબ્રેરિયન. ૧૮૫૭માં ધોબી તળાવ પર ‘યુનિયન પ્રેસ’ શરૂ કર્યું. પછીથી તે હોર્નિમન સર્કલ નજીક ખસેડાયું, જ્યાં હજી આજે પણ એ ચાલુ છે. શેક્સપિયરના ‘ટેમિંગ ઓફ ધ શ્રૂ’ પરથી બનાવેલું ‘ફેરાવન ફરન્ગીઝ’ તેમનું પહેલું નાટક. ‘પાક દામન ગુલજાર’ એલ્ફિન્સ્ટન નાટક મંડળીએ ૧૮૭૦-૭૧માં ભજવેલું. ૧૮૮૦માં ‘નાજાં શીરીન,’ ૧૮૮૧માં ‘કાળાં મેંઢાં,’ ૧૮૮૭માં ‘હોમલો હાઉ,’ ૧૮૯૩માં ‘વેહમાયલી નજર’, વગરે તેમનાં લખેલાં નાટકો મુંબઈની રંગભૂમિ પર સફળતાથી ભજવાયેલાં. હિંદુ દંતકથા પરથી લખેલું ‘સાવિત્રી’ ૧૮૮૨માં પ્રગટ થયેલું. ૧૮૬૫માં પ્રગટ થયેલ ‘શેકસપિયર નાટક’માં ‘કોમેડી ઓફ એરર્સ’ અને ‘ઓથેલો’ પરથી કરેલાં પારસી-ગુજરાતી રૂપાંતરો સમાવ્યાં છે.

પારસી રંગભૂમિ પર ભજવાતું એક પૌરાણિક નાટક

નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રૂસ્તમજી પૂનામાં કોમેસેરિયેટ ખાતાના કોન્ટ્રેકટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તારીખે. શરૂઆતનું શિક્ષણ પૂનામાં. ખાધેપીધે સુખી કુટુંબ, એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઈ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યાં.

૧૮૬૨ના અરસામાં આખા દેશમાં અને પરદેશમાં પણ ‘મહારાજ લાયબલ કેસ’ ખૂબ ગાજેલો. કરસનદાસ મૂળજીના ‘સત્યપ્રકાશ’ સામે જદુનાથજી મહારાજે લાયબલ(માનહાનિ)નો કેસ માંડેલો. એ સત્યપ્રકાશ છપાતું નાનાભાઈના યુનિયન પ્રેસમાં. એટલે કેસમાં નાનાભાઈ પણ સંડોવાયા. કેસ શરૂ થતાં પહેલાં મહારાજશ્રીએ પોતાના એક ખાસ માણસને નાનાભાઈ પાસે મોકલીને સંદેશો કહાવ્યો : ‘આ તો અમારો હિન્દુઓનો આપસનો ઝગડો છે. એમાં તમે નાહકના ખુવાર થઈ જશો. તમે એક વાર આવીને અમારી મૌખિક માફી માગી લો તો કેસમાંથી અમે તમારું નામ કાઢી નાખીએ.’ ત્યારે નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું : ‘મહારાજશ્રીને કહેજો કે તમારો હિંદુ ધરમ શું કહે છે  એની તો મને ખબર નથી. પણ મારો જરથોસ્તી ધરમ તો મિત્રદ્રોહને મોટું પાપ માને છે.’ છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે જ રહ્યા, કેસ લડવાનો અડધો ખરચ પણ પોતે આપ્યો, અને અંતે એ બંને કેસ જીત્યા.

નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમનું નાટક નાજાં-શીરીન

નગીનદાસે પોતાના નાટકમાં પારસી ગુજરાતીનો ઉપયોગ કરેલો, તો નાનાભાઈ મરાઠી ભાષાનો ઉપયોગ કરે છે. પારસી શેઠ અને નોકરની ભાષા પણ બહુ દેખીતી રીતે જૂદી પડી આવે તેવી છે. આ નાટકના નાયક બામજીને માથે પાંચ હજાર રૂપિયાનું દેવું છે. એ સબબ તેને પકડવા વોરંટ લઈને કોર્ટનો બેલીફ આવે છે. યાદ રહે, ૧૯મી સદીમાં દેવાદાર માટેનો બ્રિટિશ કાયદો બહુ કડક હતો. એ ફોજદારી ગૂનો ગણાતો અને દેવાદારને લાંબી કેદની સજા થઈ શકતી. નાનાભાઈના નાટક ‘નાજાં-શીરીન’ના એક દૃશ્યના થોડા સંવાદ :

શેહરીઆર (અંદરથી બૂમ) : થુને અંદર નેઈ જવા દેચ. ચાલ, જાં. નેઈ થો થારા માંથા ભોંઆગી નાંખેચ.

બેલીફ : ચલચલ, અમી કોન હયે તે ઓલખતેસ કાએ? માજા નાઉ મીસતર રામચંદર. તુજા બામજી શેઠ ઘરામદી અસતાની તૂ માલા મદી જાઊન નાહી દેઈત, પણ બગ, માઝા કામા મદી હરકત કેલીસ તર તુલા ચોકી મદી ગેઊન જાઈલ.

શેહરીઆર : શું ચૂકીમાં લેઈ જોએચ? થારા ભાપના કઈ ખાધાચ બાધાચ કે થું મેને ચુકીમાં લેઈ જાએચ? મારાં સીઠનાં હોકમ થેઈચ કે કોઈને એન્દર ઓવવા નેઇ દેચ. હું સીઠનાં પગાર નેથી ખોતીકે થેના હુકમ નેઈ માનેચ. ચાલ, જા.

બેલીફ : બગ, એ માલા મદી જાવુંન દે. તૂ હયેસ કોન? એરા હાયે એરા. (બેલીફ ધક્કો મારી દાખલ. શેહરીઆર પછવાડેછે પકડેચ.)

શેહરીઆર : શું કહ્યા, હું ઘેરા! થું ઘેરા! થેરા બાપ ઘેરા! થારા જીવ લેચ. થુંને મોરી નાખેચ!

બેલીફ : (બામજીને) મીસતર બામજીભાઈ બેહેલા બોગા તુમચા નાવ કાહે? તુમચે વરતી પાંચ હજાર રૂપીએ સાટી વોરંટ આહિત. તુમી રીસ્પેક્ટયાબલ મ્યાન આહે મ્હનૂન મી હાફ અવર લેટ રાહેલ. પાએઝલ તર મની દ્યા, નાહીતર ચાલા માજી સંગાતી. મીસતર બામજી! તુમી આમાલા બલેમ કરું નકો હો. અમી તર આમચી ડ્યૂટી બજાવતો.

અને હવે અમે પણ અમારી ડ્યૂટી બજાવીને બીજા અંકનો પડદો પાડી દઈએ છીએ.

ઇન્ટરવલ (સિર્ફ ૧૬૮ ઘંટો કા)

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 02 ઍપ્રિલ 2022

Loading

...102030...1,5801,5811,5821,583...1,5901,6001,610...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved