ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ, ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પાઠ ભણાવવામાં આવશે તેવો સરકારનો નિર્ણય જાહેરાત કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
હવે જોઈએ ધાર્મિક શિક્ષણ વિશે ભારતનું બંધારણ શું કહે છે.
બંધારણના અનુચ્છેદ – ૨૮ : અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા.
(૧) રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
(૨) રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઇ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને ખંડ(૧)નો કોઈ મજકૂર લાગુ પડશે નહીં.
(૩) રાજ્યે માન્ય કરેલી અથવા રાજ્યનાં નાણાંમાંથી સહાય મેળવી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતાં ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા તેને સંલગ્ન કોઈ કોઈ મકાનમાં ચલાવતી કોઈ ધાર્મિક ઉપાસના હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં સિવાય કે તે વ્યક્તિએ અથવા તે વ્યક્તિ સગીર હોય તો તેના વાલીએ એ માટે પોતાની સંમતિ આપી હોય.
¶ ભારતનાં બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે, ધાર્મિક શિક્ષણ ન આપી શકાય તો આ શિક્ષણ મંત્રી જાહેરાત કેવી રીતે કરી શકે? આપણે જોઈએ કે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ ગીતાને જ છે. એટલે બંધારણીય રીતે કોઈ પણ ધાર્મિક શિક્ષણ ન આપી શકાય એવું સ્પષ્ટ છે જ .. આવી જાહેરાતો ચૂંટણી આવી એટલે લોકોને છેતરવા લોલીપોપ સમાન છે કે પછી જાણી જોઈને માહોલ બગાડવા કે મતોનું ધ્રુવીકરણ કરવા આવી જાહેરાત કરવામાં આવે છે એ ચર્ચાનો વિષય છે. મને લાગે છે કે આ મુદ્દે પણ ભવિષ્યમાં આ જ સરકાર પોતાનું બયાન પાછું ખેંચશે, ચૂંટણી આવી એટલે ફકત ચૂંટણી લક્ષી નામની જાહેરાત સમજવી બાકી એમને ય ખબર છે કે કોઈ તો વિરોધ કરશે જ, કોઈ હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટે બંધારણીય બાબતોને મહત્ત્વ આપશે તો. ધાર્મિક શિક્ષણ માટે બંધારણ સ્પષ્ટ છે એટલે આ રદ્દ થશે ..
ખરેખર, જો બાળકોના ભવિષ્યની ચિંતા જ હોય તો જે ૭૦૦ શાળાઓમાં એક જ શિક્ષક છે એના પર વિચારો, શિક્ષકોની ઘટ છે એના પર વિચારો, શાળાઓની હાલત પર વિચારો, શિક્ષકોને આપવામાં આવતાં શિક્ષણ સિવાયના કામો દૂર કરો … એવા તો અનેક મુદ્દાઓ છે જેના પર કામ કરો આવી ખોટી ખોટી જાહેરાતો કરી પ્રજાને છેતરવાનું બંધ કરો ….!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 15