Opinion Magazine
Number of visits: 9570275
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભરત દવે

આરાધના ભટ્ટ|Opinion - Interview|3 March 2022

[આશરે સાતેક વરસ આસપાસના સમયાંતરે, ઑસ્ટૃાલિયાના ‘સૂર-સંવાદ’ રેડિયો માટે, ભરતભાઈ દવેની આરાધનાબહેન ભટ્ટ દ્વારા લેવાયેલી મુલાકાતનો પાઠ ]

આપણા ચિત્તમાં કળાકાર અને ખ્યાતિ એ બે શબ્દો અખંડપણે જોડાયેલા છે. કલાની સાધના શુદ્ધ કલાપ્રેમ માટે થાય, એ આજે એક વિરલ ઘટના બનતી જાય છે. દરેક કલાનું ક્ષેત્ર આજે સેલ્ફ-માર્કેટિંગ તેમ જ પોતાને અને પોતાની કલાને શ્રેષ્ઠ ગણાવનાર કલાકારોથી ભર્યુંભાદર્યું છે, ત્યારે એમાં કેટલાક એકલપેટા મરજીવાઓ શાંત સૂરે પોતાનો રાગ આલાપે છે. એવો એક સૂર છે અમદાવદના નાટ્યકાર અને હાડોહાડ કલાના જીવ ભરત દવેનો. એમનો સૂર જેટલો શાંત છે એટલો જ સ્થિર અને મક્કમ છે.

ઓમ પૂરી, અનુપમ ખેર, નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાઓ સાથે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કલાનો અભ્યાસ કરનાર ભરત દવેએ ગુજરાતી રંગભૂમિને તેમના લેખન અને દિગ્દર્શનથી સમૃદ્ધ કરી છે. અંગ્રેજી, સંસ્કૃત, ગ્રીક, રશિયન, ગુજરાતી જેવી અનેક ભાષાઓની માતબર સાહિત્યિક કૃતિઓના નાટ્ય રૂપાંતરો રજૂ કરવાની હિંમત દાખવનાર આ મર્મજ્ઞ કળાકાર સહજપણે સ્વીકારે છે કે ધંધાદારી દૃષ્ટિએ તેઓ એક સફળ દિગ્દર્શક નથી, છતાં એમના કલાપ્રેમમાંથી પ્રાપ્ત થતો પરિતોષ એમની વાણીમાં છલકાય છે. એમનું પરિશુદ્ધ આત્મનિરીક્ષણ, એમના જીવનનાં સંઘર્ષો અને સિદ્ધિઓ આલેખતી એમની આત્મકથા ‘મારી રંગયાત્રા’ ૨૦૦૨માં પ્રગટ થઇ. લેખન, સંગીત, નૃત્ય, ચિત્રકળા આ બધા જ એમના રસના વિષયો છે અને એ દરેકમાં એમની સૂઝ પણ ખરી. એમની લેખમાળા ‘ચળવળ નામે’ માટે એમને ૨૦૧૭ના વર્ષ માટેનો ‘કુમાર ચંદ્રક’ પણ એનાયત થયો હતો.

પ્રશ્ન : ભરતભાઈ, બાળપણથી જ આપને કલાઓ પ્રત્યે અને વિશેષતઃ રંગભૂમિ પ્રત્યે અઢળક પ્રેમ રહ્યો છે. આપનાં માતા-પિતા તો આ ક્ષેત્રનાં નહોતાં, પછી આ કલાપ્રેમનાં મૂળ ક્યાં રહેલાં છે?

હા, હું એવું તો નહીં કહી શકું કે મને કશું વારસામાં મળેલું છે, પણ મને જે જન્મગત મળેલું એની હું સતત ઝંખના કરતો રહ્યો અને એમાં કાબેલ થવા મથતો રહ્યો. મારા કુટુંબમાંથી એવો વારસો કે એવું વાતાવરણ મળ્યાં હોય એવું હું નથી માનતો. એ વાત સાચી કે નાનપણમાં મેં કલાની જે ઉત્તમ અભિવ્યક્તિઓ જોઈ અને એની સામે મેં જે પ્રતિભાવ આપ્યો એ મારો મૌલિક પ્રતિભાવ હતો. કારણ કે મેં જે જોયું તે મારી સાથેના, મારી ઉંમરના કેટલા ય લોકોએ જોયું હશે, પણ દરેકનો પ્રતિભાવ સરખો નથી હોતો, એટલે મારી ભીતરમાં મારી જે એક સ્વતંત્ર ઓળખ હતી, મારે જે દિશામાં જવું હતું એણે તરત જ એનો પડઘો પાડ્યો. એટલે મારું જે કંઇ છે તે મારા પ્રયત્નથી બનેલું છે.

પ્રશ્ન : બાળપણનું શું બહુ યાદગાર બન્યું છે?

બાળપણમાં મને સારી સારી વસ્તુઓ જોવા મળી. જામનગરમાં મારું બાળપણ વીત્યું અને ત્યાં મહારાજા દિગ્વિજયસિંહજી એ વખતે જીવતા હતા. અને એમના રાજ્યાશ્રયથી અનેક નાટક, નૃત્ય, સંગીતનાં જૂથો જામનગરમાં આવતાં. એ બધું જોવાનો અને જાણવાનો એક સુવર્ણ અવસર મને જામનગરમાં મળ્યો. એને કારણે કેટલાક રાષ્ટ્રીય કક્ષાના કલાકારોને હું એટલી નાની ઉંમરે જોઈ શક્યો. અને જ્યારે તમે કોઈ બહુ જ ઉત્તમ કક્ષાની કલાને જુઓ ત્યારે તમારા મનમાં એવા માપદંડ બને. એટલે એ રીતે હું આ બધી વસ્તુઓ પ્રત્યે દોરાયો. એની સાથે સાથે હું ચિત્રકલા કરતો, મને ગાવાનો બહુ શોખ હતો, એટલે હું ગીતો ગાતો, તબલા વગાડતો, સિતાર વગાડતો. અને આ બધાના વર્ગો ભરીને એની વિધિસરની તાલિમ લેવાના મેં પ્રયત્નો કરેલા. જામનગર નાનું શહેર અને કલાસંસ્થાઓ પણ ત્યાં ભાગ્યે જ, એટલે જે કોઈ તક મળી એમાંથી મેં તાલિમ લેવાના અને શીખવાના પ્રયત્નો કર્યા. હું ઘણું બધું વાંચતો, મારી જાતે હસ્તલિખિત અંકો બનાવતો, મને ફિલ્મોનો પણ બહુ શોખ, એટલે જાતે નાટકો ભજવવાં, નાના પ્રોજેક્ટરથી ભીંત ઉપર ફિલ્મો પાડવી અને એને આનુષંગિક જે કંઇ કરવું પડે તે બધું હું કરતો.

પ્રશ્ન : આપે ઘરનાંનો ભારે વિરોધ સહન કરેલો. એ વિરોધને બદલે ઘરમાંથી જો ઉત્તેજન મળ્યું હોત તો ભરત દવે આજે ક્યાં હોત?

હવે એ તો દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને જન્મે છે. પછી એનો પોતાનો પુરુષાર્થ અને એને નસીબની કેટલી મદદ મળે છે એના પર એના ભવિષ્યનું અને એનું લક્ષ્ય નિર્માણ થાય છે. મને પણ એવા તરંગ-તુક્કા ક્યારેક આવે કે હું પણ પૃથ્વીરાજ કપૂરનો દીકરો હોત તો મારો વિકાસ કેવો થયો હોત? પણ પૃથ્વીરાજના બધા દીકરાઓ રાજ કપૂર જ થયા છે, એવું પણ નથી. એટલે મોટા કલાકારની કુખે જન્મ લો એટલે તમે ઉત્તમ કલાકાર બનો એવું પણ નથી. ઘણા કલાકારો એવા છે જે શૂન્યમાંથી આગળ વધ્યા છે, અને મોટાં સર્જન કરી શક્યા છે. પણ એક વાત સાચી છે કે નાની ઉંમરથી મારે જે દિશામાં જવું હતું એ દિશાની તાલિમ અને વાતાવરણ જો મને મળ્યા હોત તો હું મારી કલાને ચોક્કસ વધુ સારી ધાર આપી શક્યો હોત. કારણ કે માણસનું શરીર અને મન એ પણ સંગીતના સાજ જેવા છે. તમે એનું જે પ્રકારનું ટ્યુનીંગ કરો એ પ્રકારે એ વાગે. હું એમ.એ., એલએલ.બી. કર્યા પછી, છેક છવીસ વર્ષની ઉંમર પછી, મારે જ્યાં જવું હતું ત્યાં, ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ સુધી પહોંચી શક્યો. એ દરમ્યાનમાં હું એવું ભણ્યો જે મારા રસના વિષયો હતા જ નહીં. આપણે ત્યાં જે પરંપરાગત રીતે જરૂરી જણાય છે કે કારકિર્દી બનાવવા માટે અમુક ડિગ્રી લેવી જ પડે જેથી આર્થિક સલામતી નિશ્ચિત થાય, એ દિશામાં મેં કામ કર્યું. એમાં મારા કુટુંબમાં મારા વડીલો સામે મેં જે કંઇ લડત આપી, જે કંઇ હું મનમાં હિઝરાયો-મૂંઝાયો, વ્યથિત થયો અને મારી જાતે મેં એમાંથી જે માર્ગો કાઢ્યા, કે નસીબ જોગે મને એમાંથી જે માર્ગો મળ્યા, એને કારણે કમ સે કમ હું પચીસ વર્ષ પછી દિલ્હીની ‘નેશનલ સ્કુલ ઓફ ડ્રામા’ સુધી પહોંચી શક્યો. પણ એવા અનેક લોકો છે જે એ ઉંમર સુધીમાં તો સ્થાઈ થઇ જતા હોય છે. પણ મારા સમયમાં ચીલો ચાતરવાની હિંમત મોટા ભાગનાં મા-બાપોમાં નહોતી. અને એમાં પણ નાટક-સિનેમામાં પોતાના સંતાનને પ્રોત્સાહન આપવાની હિંમત બધાં મા-બાપ નહોતાં દેખાડી શકતાં, કારણ કે એમાં જનારા બધા મોટે ભાગે નિષ્ફળ જાય છે અને જૂજ લોકો જ સફળતા પામે છે. પણ એવા મરજીવાઓ પણ હોય છે જે માત્ર સલામતીનું કોચલું લઈને જીવવા નથી માંગતા, એ સંઘર્ષ કરવા માંગે છે.

પ્રશ્ન : આપને એવું લાગે છે કે આજે ગુજરાતી પ્રજામાં સામાન્યપણે બધી જ કલાઓમાં જે વેરાન પ્રવર્તે છે તે આપણી આ માનસિકતાનું પરિણામ હશે? આપણે આપણાં સંતાનોને કલાઓ તરફ જવા પ્રોત્સાહન નથી આપતાં એને કારણે અનેક શક્યતાઓવાળા યુવાનો કલાક્ષેત્રે પોતાનો વિકાસ નહીં કરી શકતા હોય?

લાંબા સમયના ચિંતન પછી અને સ્વાનુભવના આધારે હું કહી શકું કે ગુજરાતી પ્રજાની તાસીર કંઇક સાવ જુદી છે. મરાઠી, બંગાળી, કન્નડ એ બધી પ્રજાઓ કરતાં આપણે મૂળભૂત રીતે એક વેપારી કોમ છીએ. આપણે બહુ સાહસિક કહેવાઈએ છીએ, પણ એ સાહસિક એટલે વેપાર-ધંધાની ખોજમાં સાહસિક. આપણે ત્યાં કલા-સંસ્કૃતિનો વારસો બીજી ભાષાઓ કે બીજાં રાજ્યો જેટલો સમૃદ્ધ નથી. અને એટલે જ એક-બે ને બાદ કરતાં રાષ્ટ્રીય કક્ષાના સંગીતકારો આપણને ગુજરાતમાંથી મળ્યા નથી. તે જ રીતે ફિલ્મક્ષેત્રે કે અન્ય કલાઓમાં ગુજરાતી કલાકારો કેટલા મળે? અને આપણે ત્યાં જે કલાકારો છે તેમની પ્રતિષ્ઠા ગુજરાતની બહાર વધારે બની છે, ગુજરાતના લોકો એમના વિષે ઓછું જાણે છે. આપણે ત્યાં છાપાંમાં લખતા માણસો મોટા સાહિત્યકાર ગણાય છે અને પુસ્તકો લખે તેને કોઈ ગણતું નથી.

પ્રશ્ન : ૨૦૧૨માં આપની આત્મકથા, ‘મારી રંગયાત્રા’ પ્રકાશિત થઇ. એ લખવાની પ્રેરણા ક્યાંથી મળી?

બનવાજોગ છે કે જે કારણોસર મેં મારી નાટ્યપ્રવૃત્તિ બંધ કરી, મનમાં ને મનમાં ઘણું બધું મૂંઝાઈને જ્યારે મારા અંગત મિત્રો સાથે પણ મારા વિચારોની આપ-લે કરતો બંધ થયો, જ્યારે હું મારી ભીતર જ જોતો રહ્યો અને ચિંતન કરતો રહ્યો, ત્યારે એમાંથી મને એમ થયું કે મારે જાતે સ્પષ્ટ થવું જોઈએ. મેં જે કર્યું છે તે શું કામ કર્યું, ક્યાં પહોંચવા માટે કર્યું, અને હું ક્યાં પહોંચ્યો છું, મેં જે કર્યું એનો મને વિષાદ કે પશ્ચાતાપ છે, કે મને જે મળ્યું અને મેં જે ભોગવ્યું એનો મને આનંદ છે … અ બધું અવલોકન કરતાં કરતાં મને થયું કે મારી પોતાની સ્પષ્ટતા ખાતર મારે લખવું જોઈએ. એટલે એ પુસ્તક મારું પોતાનું, મારી જાતને સ્પષ્ટીકરણ છે. મારી અંદર જે કંઇ ગૂંચવણો, મૂંઝવણો, જટિલતાઓ રહી હોય એને ઉકેલવાનો એ એક પ્રયાસ છે. મને ખબર નથી કે હું એમાં કેટલો સફળ થયો છું અને હજી કેટલી ગૂંચવણો મારી ભીતરમાં પડી છે કે કેટલા વિરોધાભાસો પડ્યા છે. હું મારી નબળાઈઓને જરા ય અવગણતો નથી. જે કંઇ થયું છે અને મળ્યું છે એમાં એ નબળાઈઓનો પણ એટલો જ સહયોગ છે, કારણ કે વ્યક્તિ બને છે બંનેથી.

પ્રશ્ન : આપના જીવનના પડાવોમાં દિલ્હીનો એન.એસ.ડી.નો કાળ નિર્ણાયક સમય છે. ત્યાં પ્રવેશ મેળવવા માટે પણ આપે ખાસ્સા સંઘર્ષો કરેલા. એન.એસ.ડી.એ શું આપ્યું?

જો સૌથી મોટી વાત કહું તો એન.એસ.ડી.એ મને જ્ઞાનની બારીઓ ખોલી આપી, એણે આખું આકાશ આપી દીધું. હું જેને માટે ઝંખતો હતો, જેને માટે ઝૂરતો હતો, જે મારી અંદર માત્ર આદર્શરૂપે રહેલું એ આદર્શને એન.એસ.ડી.ના વાતાવરણે એક નક્કર રૂપ આપ્યું. અઢળક પુસ્તકો, જાતજાતના નાટ્યપ્રયોગો, ફિલ્મો, મોટામોટા કલાકારો બધા મને જોવા-સાંભળવા મળ્યા. મારી નજર સામે આખો દરિયો ઉછળી પડ્યો. એણે મને પ્રેરણા આપી, ઘણા બધા રોલ-મોડેલ્સ આપ્યા, એક આત્મવિશ્વાસ આપ્યો, એક દૃષ્ટિ આપી, એક હિંમત આપી. કલા એક અસીમ સાગર છે, એમાં કોઈ મંઝીલ નથી. એ મારી મંઝીલ હોય પણ એ આખરી મંઝીલ તો હોઈ જ ન શકે. એટલે જ્યારે બહુ મોટામોટા અભિનેતાઓ એમ કહે કે મારું ઉત્તમ હજી આવવાનું બાકી છે એને હું આ અર્થમાં સમજુ છું. વધારે જાણવાથી આપણી અલ્પતા આપણા ધ્યાનમાં રહે છે.

પ્રશ્ન : નાટ્યકાર-કલાગુરુ ઈબ્રાહીમ અલ્કાઝી વિષે આપે ઘણું બધું લખ્યું છે. એમણે શીખવેલા પાઠ પૈકી એવું શું છે જે ચિત્ત પર અંકિત થઇ ગયું હોય? 

હું એવું માનું છું કે કદાચ મારી અંદરનો જ પડઘો એ અલ્કાઝી છે. મારે જે બનવું છે, મારા જે માપદંડો છે, મારા જે આદર્શો છે, નાનપણથી હું જે કરવા ઈચ્છતો હતો, તેનું મૂર્ત સ્વરૂપ અલ્કાઝી છે. એની નિયમિતતા, એનો પુરુષાર્થ-મહેનત, એની ચોખ્ખાઈ, સજ્જતા … બધું ચોખ્ખું, આકર્ષક, મનભાવન હોવું જોઈએ એવો આગ્રહ, જેને એક શિસ્ત કહીએ, એ મને અલ્કાઝીએ આપી. ઘણા લોકો કલાકારોને અલગારી માને છે. પણ અલ્કાઝીએ એક નોખો કન્સેપ્ટ આપ્યો કે કલાકાર એટલે જેનામાં શિસ્ત હોય. ઘણા લેખકો કે અભ્યાસીઓના ખંડમાં તમે જાવ તો ચારે બાજુ પુસ્તકોના ઢગલા હોય, કાગળો અને બધું ઊડતું હોય, કલાકારે મેલો-ઘેલો ઝભ્ભો-લેંઘો પહેર્યો હોય, હાથમાં સિગરેટ કે પાઈપ હોય, વાળ વધેલા હોય, દાઢી વધેલી હોય. એની સામે અલ્કાઝી સાવ જુદી જ પ્રકૃતિના. એકદમ સુટેડ- બુટેડ રહે, શરીર પર અત્તર છાંટે, એમની ઓફિસ પણ ચોખ્ખી, તમે જાવ તો એકદમ પ્રસન્નતાની લાગણી થાય, એમના અક્ષરો પણ એટલા જ સરસ, ભાષા પણ ચોખ્ખી, એટલા વિનયી-વિવેકી, કામમાં એટલી સફાઈ જોવા મળે. નાનપણથી મારી અંદર હું આ બધાનો આગ્રહી હતો અને આ વ્યક્તિના જીવનમાં મને એ બાબત દેખાઈ.

પ્રશ્ન : અલ્કાઝી વિનાના એન.એસ.ડી.માં ભણ્યા હોત તો?

હવે એ તો કલ્પનાનો વિષય છે. અલ્કાઝીના ગયા પછી એન.એસ.ડી.માં જવાના મોકા પણ મને મળ્યા છે અને ત્યાર પછીના વિદ્યાર્થીઓના પરિચયમાં પણ હું આવ્યો છું. પણ મારે તમને એક બીજી વાત કહેવી છે કે અલ્કાઝી પાસે ગયેલા બધા વિદ્યાર્થીઓએ અલ્કાઝીને અનુસર્યા હોય એવું નથી. એ બધા અલ્કાઝીની પ્રશંસા ચોક્કસ કરે છે પણ એમને ખબર છે કે અલ્કાઝીની શિસ્તમાં રહેવું સહેલું નથી. એટલે એ બધાને માટે અલ્કાઝી એટલે જાણે એક મૂર્તિનું અધિષ્ઠાન કર્યું હોય, એવું છે.

પ્રશ્ન : ઈસરોમાં આપની ભૂમિકા કલાસંબંધી તો હતી પણ સાથે એમાં ઘણું વહીવટી કામ પણ હતું. વહીવટી કામનો કંટાળો નહોતો આવતો?

વહીવટી કામ કર્યું તે પહેલાં મેં પ્રોગ્રામ પણ ઘણા બનાવ્યા. લગભગ પચીસ વર્ષ તો મેં પ્રોગ્રામ જ બનાવ્યા. છેલ્લાં દસ વર્ષ હું વહીવટી કામમાં રહ્યો, પણ તે દરમ્યાન પણ પ્રોગ્રામો અંગેનું વિશ્લેષણ વગેરે તો ચાલતું જ હતું. પણ ઈસરોના કામે મને બીજું એક વિચારવાની તક આપી. જ્યારે હું નાટકો કરતો હતો ત્યારે મારી મરજી મુજબ કરતો હતો, પ્રેક્ષકોની બહુ ચિંતા નહોતો કરતો. પણ ઈસરોમાં અમે જે વિકાસલક્ષી કાર્યક્રમો કરતા હતા એમાંથી એક નવી સમજ ઊભી થઇ કે પ્રેક્ષકોને પહેલાં ઓળખવા. કોઈ પણ કાર્યક્રમ રજૂ કરતાં પહેલાં તમે તમારા પ્રેક્ષકને જાણો, અને કંઈપણ રજૂ કરતાં પહેલાં તમે એની પૂર્વ-ચકાસણી કરો, એની સ્ક્રીપ્ટની ચકાસણી કરો, ભજવણીની ચકાસણી કરો, દર્શકોનું ફીડબેક મેળવો, એ કઈ રીતે ઝીલે છે એ ચકાસો. આ દૃષ્ટિ અમને નાટકવાળાઓને પહેલાં નહોતી. આપણી સામાન્ય સમજ પ્રમાણે આપણે નક્કી કરીએ કે લોકોને આ ગમશે અને આ નહીં ગમે, પણ એમાં આપણું અમુક સ્ટીરિયોટાઈપીંગ – બીબાંઢાળ વિચારધારા હોય છે. એટલે પ્રેક્ષકને વફાદાર રહેવાનું મને ઈસરોએ શીખવ્યું. અને ઇસરોમાં બીજું એ પણ શીખ્યો કે તમે કોઈક સંદેશ આપવા માંગો તો એ સંદેશની સાથે બીજા કેટલા નકારાત્મક સંદેશ જાય છે એની પણ દરકાર કરો. એક ઉદાહરણ આપું તો એક જગ્યાએ રોજગારલક્ષી માહિતીરૂપે કપડાં રંગવાનાં કામ વિષે એક કાર્યક્રમ અમે બનાવેલો. પણ રંગકામને પ્રોત્સાહન આપવામાં અમને ખબર પડી કે એ લોકો નદીનાં પાણીને પ્રદૂષિત કરે છે. પણ હા, એ વાત ચોક્કસ કે હું મૂળથી વહીવટનો માણસ નહોતો એટલે વહીવટનું કામ મારે માટે ખાસ્સું કપરું હતું, પીડાકારક હતું. હું એકાંતમાં વ્યક્તિગત રીતે કામ કરવા ટેવાયેલો એટલે બીજા પાસે કામ કઢાવવું એ મારે માટે જરાક કપરું સાબિત થયેલું.

પ્રશ્ન : એક વિચારવંત અને અભ્યાસુ કલાકાર હોવા ઉપરાંત આપે અનેક પ્રકારના કલાકર્મીઓ સાથે કામ કર્યું છે – લાઈટ-બોયથી માંડીને નામાંકિત અભિનેતાઓ સાથે. આ બધાના આધારે આપ વ્યાવસાયિકતાનો શું અર્થ કરો છો? આપણે ત્યાં મોટે ભાગે ‘પ્રોફેશનાલિઝમ’ને આર્થિક સંદર્ભ સાથે સાંકળવામાં આવે છે એ બરાબર છે?

હું એવું માનું છું કે આપણે ત્યાં બે શબ્દોની ભેળસેળ થઇ ગઈ છે. જેને આપણે ધંધાદારી કહીને છીએ એને માટે સારો શબ્દ ‘વ્યવસાયિક’ વાપરીએ છીએ. વ્યવસાયિક કે ધંધાદારી નાટકો માટે અંગ્રેજીમાં ‘કોમર્શિયલ’ શબ્દ પણ વપરાય છે. હવે ‘કોમર્શિયલ’ શબ્દની અવેજીમાં કેટલાક લોકો ‘પ્રોફેશનલ’ શબ્દ વાપરે છે. હું એ બંનેનો ભેદ કરું છું. એ રીતે કે કોઈ વસ્તુ તમારું પ્રોફેશન ત્યારે જ હોય જ્યારે તમે એમાં નિષ્ણાત હો. એ કસબમાં હું એકદમ નિપુણ હોઉં તો જ હું એને વ્યવસાયનો દરજ્જો આપી શકું. મને માત્ર અભિનયનો કસબ આવડતો હોય એટલું જ નહીં પણ અભિનયનો દૃષ્ટિકોણ પણ મારામાં હોય, એનું દર્શન પણ મારામાં હોય, તો હું વ્યાવસાયિક અભિનેતા કહેવાઉં. કસબ હોવો અને દર્શન હોવું એ બે વચ્ચે ભેદ છે. મોટા ભાગના અભિનેતાઓ કસબથી અભિનેતા થઇ જાય છે, એમનામાં દર્શન કે ‘વિઝન’ નથી હોતું. આપણે ત્યાં મુંબઈમાં કે અમદાવાદમાં જે ટિકિટ-શો થાય છે એને આપણે પ્રોફેશનલ શો કહીએ છીએ. અને મારા જેવા જે પ્રયોગો કરે, કાલિદાસને ભજવે કે શેક્સપિયરને ભજવે કે ઇબ્સનને ભજવે એને આપણે ‘અવેતન’ કે ‘એમેચ્યોર’ કહીએ છીએ. એનું કારણ એ કે મને એટલા પ્રેક્ષકો નથી મળતા અને હું ધંધાદારી રીતે સફળ થયેલો દિગ્દર્શક નથી.

પ્રશ્ન : આપના જીવનનું આકાશ અનેક કલાઓના મેઘધનુષી રંગોથી શોભે છે. આ એક બહુ વિરલ ઘટના છે. આપને  માટે અંગત રીતે કઈ કલા જીવનમાં કયા સ્થાને છે?

આ બાબતે મેં અનેક વખત વિચાર્યું છે અને ઘણાંએ મને પૂછ્યું પણ છે. મેં શાસ્ત્રીય ગાયનનાં ક્લાસ ભરેલા, હું રેડિયો ઉપર ગાતો, મારાં કેટલાં બધાં નાટકોનાં ગીતો મેં સ્વરબદ્ધ કર્યાં છે, સ્ટેજ પરથી ગાયાં છે. મેં ઓઈલ પેઈન્ટીંગ, વોટર કલરમાં ચિત્રો પણ બનાવ્યાં છે, ચિત્રકલામાં આગળ વધવા માટે અલ્કાઝીએ પણ મને બહુ ઉત્તેજન આપેલું. નાનપણમાં મેં નૃત્ય પણ કરેલાં, હું લખતો પણ ખરો અને હજી પણ લખું છું. સાહિત્યમાં પણ મારી એટલી જ રુચિ છે. આ દરેક ક્ષેત્ર આખી જિંદગી ઓછી પડે એવું છે. હું ગમે તે એક ક્ષેત્ર પસંદ કરી શક્યો હોત, પણ મારો મૂળ રસ નાટકમાં હતો. મને એ પણ ખબર હતી કે આ બધી જ કલાઓનું સંગમસ્થાન રંગભૂમિ છે. એમાં નૃત્ય છે, સંગીત છે, ગીત-એટલે કે કવિતા છે, એમાં સેટ-ડિઝાઈન છે એટલે ચિત્રકલા છે, સેટમાં તમે સ્ટ્રક્ચર ઊભાં કરો છો એટલે એમાં સ્થાપત્ય પણ છે, તમે નાટકનું અર્થઘટન કરો છો એટલે એમાં સાહિત્ય અને ભાષા-શાસ્ત્ર પણ છે, તમે પાત્રોને સમજવા અને એમનો આંતરવિકાસ સમજવા માટે એનું વિશ્લેષણ કરો છો એટલે એમાં માનોવિજ્ઞાન છે, તમે ટોલ્સટોય કે સાર્ત્રને ભજવો એટલે એમાં તત્ત્વજ્ઞાન પણ છે. હું જો દરેક શાસ્ત્રનું પાયાનું વ્યાકરણ જાણતો હોઉં તો હું એક સારો ભોક્તા અને સારો સર્જક બની શકું.

પ્રશ્ન : હવે વાત કરીએ આપનાં નાટ્યસર્જનોની. આટલી લાંબી કારકિર્દી, આટલાં બધાં પ્રોડક્શન … એમાં એવું કયું એક સર્જન છે જેના વિષે એવું લાગે કે એ ન કર્યું હોત તો કંઇક બાકી રહી ગયું હોત?

એમાં એવું તો કશું નથી. પણ જ્યારે મેં નાટક કરવાનાં બંધ કર્યાં ત્યારે મેં જેટલું ભજવ્યું એટલું જ બીજું ભજવ્યા વિનાનું પડ્યું હતું. મારી પાસે એટલાં જ નાટકોનો ખજાનો પડેલો જે હું કરવા માંગતો હતો અને ન કરી શક્યો. મેં અનેક પ્રકારના પ્રયોગો કર્યા એટલે હું કોઈ એક શૈલીમાં બંધાઈ ગયો એવું પણ નથી. મેં વાસ્તવદર્શી નાટકો કર્યા, પારંપરિક શૈલીમાં નાટકો કર્યાં, શેરી-નાટકો કર્યાં, ખુલ્લા આકાશ તળે નાટકો કર્યા, શોપિંગ કોમ્પ્લેક્સમાં ચારે બાજુ પ્રેક્ષકોને બેસાડીને નાટકો ભજવ્યાં, ઘરની અગાશી ઉપર નાટકો ભજવ્યા … આમ જુદાજુદા પ્રયોગો કરીને મેં મારી એકવિધતા તોડવાનો પ્રયત્ન કર્યો છે. અને જે મંચ ઉપર ન કરી શકાયું તે મેં ટેલીવિઝન ઉપર કર્યું. આપણા પ્રસિદ્ધ સાહિત્યકારોનાં કેટલાં બધાં નાટકો મેં ટી.વી. ઉપર કર્યાં છે, જે હું કદાચ મંચ ઉપર ન કરી શક્યો હોત. સ્ટેજ ઉપર એકાંકી નાટ્યપ્રયોગોનું કોઈ ભવિષ્ય જ નથી. પણ મારી દૃષ્ટિએ, મેં જે ‘માનવીની ભવાઈ’ નાટક કર્યું, એને હું એક બેંચ-માર્ક સર્જન કહી શકું, કારણ કે એમાં મેં એક જુદી જ વિભાવના લીધેલી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં, જ્યા મોટાં મોટાં ઝાડ ઊગી નીકળેલાં, ચોમાસાને કારણે ઘાસ ઊગેલું, ખાડા પડેલા. એવા નૈસર્ગિક વાતાવરણમાં મેં આખું ગામડું ઊભું કરેલું. મેં ઝૂંપડાં બાંધેલાં, હું ગાડું લઇ આવેલો. પન્નાલાલનું વતન, રાજસ્થાનની સરહદ ઉપર આવેલું માંડલી ગામ, મેં આખું ત્યાં ઊભું કરેલું. એ ગામમાં જઈને રીસર્ચ કરેલી અને આખી સજાવટ કરેલી. એ આખો અનુભવ મારે માટે બહુ ઉચ્ચ કક્ષાનો હતો. કલાકારો અને પ્રેક્ષકો માટે પણ એ એક બહુ વિરલ અનુભવ હતો.

પ્રશ્ન : કોઈ કૃતિનો અનુવાદ કે નાટ્યરૂપાંતર કરવું એ બહુ નાજુક અને અઘરું કામ છે. મૂળ કૃતિને વફાદાર રહેવું, એની કલાત્મકતા જાળવવી, છતાં એમાં લોક્ભોગ્યતા અને નાટ્યાત્મકતાનો ખ્યાલ રાખવો. આ કસબ વિષે શું કહેશો?

નાટક એવી કલા છે જેમાં તમારે પ્રેક્ષકની દરકાર કરવી જ પડે છે. કવિતા લખતી વખતે કવિ બહુ ચિંતા નથી કરતો, કે ચિત્ર દોરતી વખતે ચિત્રકારને એવી બહુ ચિંતા નથી હોતી કે મારાં ચિત્રમાંથી મારા આંતરિક વિચારો લોકો સુધી કેટલા પહોંચશે. પણ નાટક એક દ્વિપક્ષી કલા છે. પ્રેક્ષક વગર નાટક શક્ય જ નથી, એમાં અનિવાર્યપણે પ્રેક્ષક સાથે જોડાવું પડે છે. એટલે પ્રત્યાયન ક્ષતિરહિત થવું જોઈએ. હવે મારી પસંદ એવી છે કે એ સામાન્ય પ્રેક્ષક સાથે એનો બહુ મેળ નથી. એટલે મારો પ્રેક્ષકવર્ગ બહુ મર્યાદિત છે. અમદાવાદના ૪૦૦-૫૦૦ જણ મારું નાટક જોવા આવે છે. મેં ઘણીવાર એવો દાવો કર્યો છે કે જો કોઈ પ્રેક્ષકને પરાણે ઘસડીને મારું નાટક જોવા લઇ આવે તો એનું હૃદય જીતી લેવાની જવાબદારી મારી. પણ મારી એ આર્થિક ક્ષમતા નથી કે હું જાહેરાતોનો મારો બોલાવીને પ્રેક્ષકને મારા સુધી લઇ આવું. હું જ્યારે રૂપાંતર કરું ત્યારે હું લોકોની ચિંતા નથી કરતો એવું નથી, કારણકે દરેક દિગ્દર્શકની અંદર એક પ્રેક્ષક બેઠો જ હોય છે. કૃતિનો અનુવાદ કે રૂપાંતર કરતી વખતે એ બાબતનું ચોક્કસ ધ્યાન રાખવું પડે છે કે મારો પ્રેક્ષક આ વાત પકડશે કે નહીં પકડે. દાખલા તરીકે મનુભાઈ પંચોળીનું સોક્રેટીસ વિશેની નવલકથા ઉપર આધારિત મારું નાટક છે એમાં લોકોને જરાક તકલીફ પડે છે. એમાં સોક્રેટીસના ડહાપણભર્યા જે વાક્યો છે એ લોકોના ગળે ઉતરે છે, પણ એ લોકો ગ્રીસના ઇતિહાસથી, એના વાતાવરણથી, એની વાર્તાથી પરિચિત નથી એટલે એનું રાજકારણ એ લોકોને નથી સમજાતું. એમાં મેં કોરસનાં ગીતો વચ્ચે મૂકીને પૂર્વભૂમિકા આપવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રશ્ન : ભરતભાઈ, જીવન અને કલાના પરસ્પર સંબંધ વિષે શું કહેશો? અંગત જીવનની ઘટનાઓ, એના ચડાવ-ઉતારે આપની કલાયાત્રા ઉપર કેટલી હદે અસર કરી છે?

અસર તો થવાની જ, કારણ કે માણસ અંતે માણસ છે. સૌથી વધુ અસર તો એના જુસ્સા પર થાય. કારકિર્દી બનાવ્યા પછી પણ દરેક નાટક ભજવવું એ એક સંઘર્ષ હોય છે. એટલે એ ચડાવ-ઉતારને સહન કરવાની તમારામાં સહિષ્ણુતા આવે, એની સામે લડવાની પ્રતિકારશક્તિ તમારામાં આવે ત્યાં સુધી એ જુસ્સો ટકી રહે એ બહુ અગત્યનું છે. તમારી અંદર જે મિશનરીનો ઉત્સાહ છે એની સામે તમારા નૈતિક જુસ્સાને બહુ મોટું નુકસાન પણ વહોરવું પડે છે, એની અસર તમારાં સર્જનોની ગુણવત્તા ઉપર પડે છે. આ બધું પરસ્પર સંકળાયેલું છે, એનાથી કોઈ માણસ અછૂતો રહી શકતો નથી.

પ્રશ્ન : જીવનમાં અને કલામાં સફળતાને કઈ રીતે માપો છો?

સફળતા-નિષ્ફળતા તો ઠીક છે. હું એવું માનું છું કે જ્યાં સુધી તમે આનંદમાં રહો, પ્રસન્ન રહો, કલા ખાતર કલાને પ્રેમ કર્યો છે અને બીજો માટે કલાસાધના નથી કરી એ દર્શન હોય, ત્યાં સુધી વાંધો નથી આવતો. હું જે કરું એ મારા આનંદ માટે કરું છું, એમાંથી બીજાને પણ આનંદ આવતો હોય તો મારો આનંદ બેવડાય છે. પણ હું બીજાને આનંદ પહોંચાડી નથી શકતો એટલે એનો આનંદ હું પણ ન લઇ શકું એવું ન હોય. તમારી અધૂરપ માટે તમે પૂરેપૂરા વાકેફ હોવા જરૂરી છે. તમે ગમે તેવા સમાધાનો કરીને ગમે તેવી વસ્તુ રજૂ કરો તો એમાં તમારું આત્મનિરીક્ષણ ભૂલભરેલું છે. તમારી દૃષ્ટિએ તમે કેટલું ઉત્તમ આપી શકો એમ છો અને એ તમે આપી શક્યા કે નહીં … એ સફળતા.

પ્રશ્ન : આજની ગુજરાતી રંગભૂમિની દશા અને દિશા વિષે આપનો પ્રતિભાવ?

આજે આમ જુવો તો સારા પ્રયોગો ઘણાબધા થાય છે, ખાસ કરીને મુંબઈમાં, જ્યાં દરેક પ્રકારનો પ્રેક્ષકવર્ગ ઉપલબ્ધ છે. ત્યાં સાવ ગુજરાત જેવું નથી, જ્યાં તમને અમુક જ પ્રકારનો વર્ગ મળે. ગુજરાતમાં મારા જેવા કેટલાક મિત્રો છે, જે કંઇક ને કંઇક પ્રયોગો કરતા રહે છે, અને એમને નાની-મોટી સફળતા પણ મળે છે. પણ મને લાગે છે કે કોમર્શિયલ રંગભૂમિ સાથે એની સરખામણી થઇ શકે નહીં. ગુજરાતી નાટક મરી પરવાર્યું છે એવું તો ન કહી શકાય. પણ હા, બીજી ભાષાઓની સરખામણીમાં આપણે ત્યાં એ પ્રકારનો પ્રેક્ષકવર્ગ નથી, આપણે ત્યાં એ પ્રકારની પરંપરા નથી. આપણે સંસ્કૃતિપ્રિય પ્રજા નથી. એ આપણી ભૂલભરેલી માન્યતા છે કે નવરાત્રિ ઉજવતી વ્યક્તિ એ સંસ્કૃતિપ્રિય છે.

પ્રશ્ન : મુલાકાતના સમાપનમાં, જો ભરત દવેને જીવનના નિચોડરૂપ કંઇક સંદેશ આપવાનું કહેવામાં આવે તો એ શું હોય?

નિચોડ આપવા માટે તો હું બહુ અલ્પ છું, પણ મારા બધા ઉતાર-ચડાવ, આશા-નિરાશા, સફળતા-નિષ્ફળતા, એ બધાને ગણતરીમાં લઈને હું કહી શકું કે માણસને જિંદગીમાં જેની ઝંખના હોય, જેને એ મિશન ગણતો હોય તે એણે થાકયા વિના કરતા રહેવું જોઈએ. હું થાક્યો-હાર્યો એ મારી નબળાઈ હોઈ શકે, મારા સંજોગોની નબળાઈ હોઈ શકે. સાથે સાથે હું વ્યવહારિક બનવાની પણ સલાહ આપું છું, અને તે એ અર્થમાં કે આખરે તો તમારું ગૌરવ અને સ્વાભિમાન જળવાઈ રહે એટલું આર્થિક સ્વાવલંબન એ બહુ મહત્ત્વનું છે. તમે સાવ ફૂટપાથ પર આવી જાવ એવા આદર્શવાદનો હું હિમાયતી નથી. ખુવાર થઇ જઈને કલાસાધના કરવાનું હું કોઈને કહેતો નથી, એ બધું વાર્તાઓમાં સારું લાગે. અને આરાધનાબહેન, એક બહુ મોટી વાત કરવાની રહી જાય છે કે હતાશામાં કોઈ ખોટા માર્ગે ન ચડી જાવ, કોઈ વ્યસનને કે કુછંદે ન ચડી જાવ. હું ઊંચા આસને બેસીને બોધ આપું છું એવું કોઈ ન માને પણ મેં મારી આસપાસ અનેક કલાકારોને બરબાદ થતા જોયા છે. હું આ કોઈ ધાર્મિક કે નૈતિક અર્થમાં નથી કહેતો પણ વ્યવહારિક અર્થમાં કહું છું.

e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

‘નિત નિત ગાતા રહીએ’ ગાનાર રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ની ચિરવિદાય

જગદીશ પટેલ|Diaspora - Features|2 March 2022

સતત ૭૦ વર્ષ સુધી સર્જન કરી, હજારો ગીત-કવિતા રચનારા કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું 15 ઓક્ટોબર 2021, દશેરાને દિવસે સવારે, શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે લાંબી બીમારી બાદ દુ:ખદ અવસાન થયું. તેમનો જન્મ 18મી સપ્ટેમ્બર, 1936માં રંગૂન, મ્યાનમાર(બર્મા)માં થયો. માતાનું નામ  કમળાબહેન અને પિતાનું નામ ભાઈલાલભાઈ. તેમને શાળાએ મુકવાનો સમય થયો ત્યારે માતા અને નાના ભાઈ ઘનશ્યામ સાથે એ નાસિક આવ્યા, જ્યાં તેમના નાના લલ્લુભાઈ વેપાર કરતા હતા. નાસિકમાં ગુજરાતી શાળામાં ભણ્યા. ત્યાં જ તેમની સર્જનશક્તિ ખીલી. કાવ્ય રચના એ કાચી ઉંમરે શરૂ થઇ. હસ્તલિખિત કાવ્ય સંગ્રહ ‘કાવ્ય પીયૂષિની’નું શાળાના વાર્ષિકોત્સવ દરમિયાન વિમોચન થયું. તે માટે  સાહિત્યકાર જ્યોતીન્દ્ર દવેના હસ્તે મેડલ આપી શાળાએ તેમનું સન્માન કર્યું. આ સર્જન યાત્રા સતત મૃત્યુ સુધી ચાલુ રહી. ચિત્રકામ પણ શીખ્યા અને સુંદર ચિત્રો દોરવાનું શરૂ કર્યું. રંગોળી પણ કરતા. 1954માં મેટ્રિક પાસ થયા પછી પિતાજીએ તેમને બર્મા બોલાવી લીધા જેથી પોતાને વેપારમાં મદદ મળે. પિતાજી ઝવેરાતનો ધંધો કરતા. તે સામયે પિતાજી પ્રોમ નામના શહેરમાં રહેતા હતા. ત્યાં રમેશભાઈને પોતાની ઉંમરના બીજા યુવાનો મળી ગયા. તેમને રમત ગમતમાં બહુ રસ હતો. નાસિકમાં કબડ્ડી રમતા. બર્મામાં તેમણે ક્રિકેટ ક્લબ બનાવી.

તેમના આ નવા મિત્રો પૈકીનાં એક વલ્લભભાઈના કાકા લંડન રહેતા. વલ્લભભાઈએ બર્માથી લંડન જવા નક્કી કર્યું તો રમેશભાઈ પણ તૈયાર થઇ ગયા. પિતાજીએ બહુ સમજાવટ પછી પ્રવાસ ખર્ચ આપવાનું સ્વીકાર્યું ખરું પણ તાકીદ કરી કે ત્યાં પહોચ્યા બાદ તમારું પેટા ભરવાની જવાબદારી તમારી પોતાની. તેમણે આ પડકાર સ્વીકારી લીધો. લંડન આવીને કપરો સંઘર્ષ ચાલુ થયો. કદ નાનું, અંગ્રેજી જેવુ તેવું આવડે. કોલેજ કરેલી નહીં. આવીને મિલમાં સફાઈ કરવાની મજૂરી મળી તે સ્વીકારી. બર્મિંગહામ રહ્યા. થોડા સમય પછી લંડન આવી ઇન્ડિયા કોફી હાઉસ ખોલી પૂરી શાક પીરસવાનું શરૂ કર્યું. ભારતથી લંડન ભણવા આવતા શાકાહારી ગુજરાતી અને મારવાડી, જૈન વિધાર્થીઓને તે સમય શોધે તો પણ શાકાહારી ભોજન મળતું નહીં. ઇન્ડિયા કોફી હાઉસ તેમને માટે આશીર્વાદરૂપ થઇ પડ્યું.

1964માં ઉત્તરસંડાથી ભણવા આવેલાં ઉષાબહેન પટેલ સાથે લગ્ન કર્યા. તેમણે હિંદુ વિધિથી લગ્ન ક,ર્યા જે તે દિવસોમાં નવાઈની વાત હતી અને અનેક સ્થાનિક અંગ્રેજી અખબારોએ તેની નોંધ લીધી. ભારતીય સંગીત અને સંસ્કૃતિ માટે તેમને બહુ જ માન. તેને ટેકો કરવો, તેનો પ્રચાર-પ્રસાર કરવો તેમને ગમતું કામ. તે માટે ‘નવકલા’ નામની સંસ્થા શરૂ કરી. પછી તેમણે ટોટનહામ કોર્ટ રોડ જેવા વિસ્તારમાં ઇન્ડિયન એમ્પોરિયમ નામની દુકાન શરૂ કરી.

નવકલા દ્વારા તેમણે ભારતીય નાટકો, નૃત્ય અને સંગીતના કાર્યક્રમો રજૂ કર્યા. તેમણે ‘કોના બાપની દિવાળી’ જેવું ગુજરાતી પ્રહસન પણ રજૂ કરી ચાહના મેળવી. ગરબા લઈને તેઓ યુરોપીયન ડાન્સ ફેસ્ટીવલમાં ગયા અને ઇનામ લઇ આવ્યા. સાથે વાનગીઓનાં કાર્યક્રમમાં 100 જેટલી ભારતીય શાકાહારી વાનગીઓનું પ્રદર્શન યોજી તેને લોકપ્રિય કરવાના પ્રયાસ કર્યા. નવકલાએ ભારતીય શાસ્ત્રીય નૃત્યો શીખવવા સુનીતા ગોલવાલાના નેતૃત્વમાં શાળા શરૂ કરી અને કેટલીક દીકરીઓને તો ભારત નૃત્ય શીખવા મોકલવાની વ્યવસ્થા પણ કરી.

1973માં મંદિર રેસ્ટોરાં શરૂ કરી, જેમાં લગ્ન અને બીજા કાર્યક્રમો માટે હોલ બનાવ્યો જેનું નામ પંડિત રવિશંકરને નામે રાખ્યું. હોલનું ઉદ્ઘાટન પણ પંડિતજીને હસ્તે થયું, જેમાં જ્યોર્જ હેરીસન જેવાએ પણ ભાગ લીધો. યહૂદી મેન્યુહીન જેવા પ્રખ્યાત વાયોલીન વાદકે પણ મંદિરનો લાભ લીધો. ભારતથી લંડન આવતા અનેક ખ્યાતનામ સંગીતકારો, નર્તકો, ફિલ્મી સિતારા, પત્રકારો, લેખકો, રાજકારણીઓ તેમના મહેમાન બનતા. છેક 1964માં ભારતના તત્કાલીન નાણા મંત્રી મોરારજીભાઈ દેસાઈ તેમના આમંત્રણને માન આપી જમવા ગયા હતા. વૈજયંતી માલાના નૃત્યના કાર્યક્રમો આખા યુરોપમાં યોજેલા. તે પછી નૂતન, હેમા માલિની, ઈલા અરુણ તો એમ.એસ. સુબ્બુલક્ષ્મી જેવાં ગાયકો વગેરેએ પણ ‘મદિર’ની મુલાકાત લીધી. કત્થક નૃત્યકાર બીરજુ મહારાજે ત્યાં કાર્યક્રમ આપ્યો. બહુ લાંબી યાદી છે, એવા કલાકારોની જેમણે ત્યાં કાર્યક્રમ આપ્યો હોય.

ખાસ કરીને તેમને નાના, નવા, અજાણ્યા કલાકારોને ટેકો કરવાનું બહુ ગમતું. અનેક કલાકારોને તેઓ સ્ટેજ આપતા અને પ્રોત્સાહન આપતા. તેમાં ગુજરાતી સુગમ સંગીતને ઘણો ટેકો કર્યો. પુરુષોત્તમ ઉપાધ્યાય તેમના ઘરે લાંબો સમય રોકાયા હતા. રાસબિહારી દેસાઈ, હર્ષિદા રાવલ, આશિત દેસાઈ, સોલી કાપડિયા વગેરે થોડાં નામ યાદ આવે છે.

આપણા સાહિત્યકારો સુનીલ કોઠારી, ચં.ચી.મહેતા, રઘુવીર ચૌધરી, રમણ પાઠક, રજનીકુમાર પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, મધુ રાય, શિવકુમાર જોષી, બળવંત જાની વગેરેએ તેમના વિષે લખ્યું છે. લંડનમાં ભારતીય વિદ્યાભવનનું કેન્દ્ર શરૂ કરવાના પ્રયાસ માટે લીલાવંતીબહેન મુનશી લંડન ગયાં ત્યારે એમના ઘરે જ રહ્યાં અને કેન્દ્ર શરૂ કરી શક્યા.

ભારતના બ્રિટન ખાતેના લગભગ બધા એલચી સાથે તેમના ગાઢ સંબંધ રહ્યા. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી જીવરાજભાઈ મહેતા – હંસા મહેતા તો તેમને પોતીકા ગણતાં. જયસુખલાલ હાથીથી માંડી બી.કે. નહેરુ અને અપ્પા સાહેબ પંત સાથે તેમને સારા સબંધ રહ્યા. લંડનની ભારતીય એલચી કચેરીમાં સરદાર પટેલનું ચિત્ર ન હતું, તેમણે ખાસ પ્રયાસ કરી સ્થાનિક ચિત્રકાર રામ ભક્ત પાસે તૈલ ચિત્ર તૈયાર કરાવી મુકાવ્યું.

આયુર્વેદમાં તેમને ખાસ રસ અને ઘણા વર્ષ સુધી રોજ અડધો દિવસ પોતાના ઘરે પ્રેકટીસ પણ કરી. તેમની સારવારથી સજા થયેલા દરદીઓએ પોતાના અનુભવો તેમને લખી આપ્યા હોય તેની જાડી ફાઈલ આજે પણ ઉપલબ્ધ છે. નાનપણથી યોગાસન કરતા. લંડનમાં યોગગુરુ બી.કે આયંગરનો પરિચય થયો અને તેમની પાસે પણ જ્ઞાન લીધું. તેઓ નિયમિત કસરત અને યોગાસન કરતા.

તેમના કાવ્ય સંગ્રહ ‘હ્રદય ગંગા’ વિષે આખો લેખ કરવો પડે. ગુજરાતીમાં તે લખવા માટે મુંબઈથી કલીગ્રાફર અચ્યુત પાલવને બોલાવી પોતાના ઘરે રાખી કવિતા લખાવી. બધી કવિતાના ફોન્ટ જુદા. દરેક કવિતા સાથે તેને અનુરૂપ ચિત્ર કે તસ્વીર શોધીને ચાર રંગમાં છપાવી. સામેનાં પાને નવ ભાષા – હિન્દી, મરાઠી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનીશ, રશિયન અને એસ્પરેન્તો–માં અનુવાદ જોવા મળે. આ સંગ્રહને શિવ મંગલ સિહ ‘સુમન'નો આવકાર મળ્યો. તેમણે તેની 5000 પ્રતો પ્રકાશન અગાઉ જ વેચી. 2016માં પુણેના તેમના ચાહક અને માંઈર મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી.)નાં રાહુલ કરાડે તેની બીજી આવૃત્તિ પ્રગટ કરી. એક કાવ્ય સંગ્રહ પ્રગટ થાય તે પછી ૨૫ વર્ષે, તેની પુન:આવૃત્તિ થાય તે મોટી ઘટના કહેવાય. ‘હું’, ‘ઝરમર', ‘વૈખારીનો નાદ’, ‘ગીત મંજરી’ તેમના અન્ય કાવ્ય સંગ્રહો છે. ‘ગીત મંજરી' તેમના હિન્દી ગીતોનો સંગ્રહ છે. 'હૃદય ગંગા’નાં કાવ્યોના બંગાળી અનુવાદનો સંગ્રહ પણ પ્રગટ થયો છે.

તેમનાં અનેક ગીતો સ્વરબદ્ધ થયાં છે જેની સી.ડી. ઉપલબ્ધ છે. તેમનાં ગીતોના સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાય, કર્ણિક શાહ, મુકુન્દ પંડ્યા, જયદેવ ભોજક વગેરેએ કર્યા છે જેને જાણીતા ગાયક-ગાયિકાઓએ સ્વર આપ્યો છે.

2002માં ‘મંદિર’ બંધ કરવું પડ્યું. પત્ની ઉષાબહેનની સારવાર માટે ભારત આવ્યા અને 2003માં ઉષાબહેનનું અવસાન થતાં, તેમણે વડોદરા વસવાનું નક્કી કર્યું. ત્યાં પણ તેમણે બૈજુ બાવરા તાનારીરી હોલ બનાવી સંગીતની મહેફિલ શરૂ કરી. 2015માં વડોદરા છોડી કરમસદ જઈ વસ્યા અને ત્યાં પણ સુંદર હોલ બનાવી પ્રવૃત્તિ ચાલુ રાખી.

છેલ્લા એકાદ વર્ષથી, તેઓ નવો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની તૈયારીમાં પડ્યા હતા અને કોરોનાની બીમારી દરમિયાન પણ એ માટે પ્રવાસ કરવાનું સાહસ કરતા ખચકાતા નહીં. આ સંગ્રહનું નામ તેમણે આપ્યું “આનંદ ગંગા”. તેમાં પોતાનાં ૬૦ કાવ્યો સમાવ્યાં. આ દરેક કવિતા સાથે તેના જેવા ભાવ ધરાવતી અન્ય કવિની રચના મૂકી. આ તમામ ૧૨૦ રચનાઓનું ગુજરાતી અને હિંદીમાં રસદર્શ્ન મુક્યું. ૬૦ કવિઓનો પરિચય અને તસ્વીર કે ચિત્ર પણ ઉમેર્યાં. એનું ચતુરંગી મુખપૃષ્ઠ પણ તૈયાર કરાવ્યું. તે માટે નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ પાસે શુભેચ્છા સંદેશ લખાવ્યો. અન્ય કવિઓમાં સંત જ્ઞાનેશ્વર, કબીરજી, નરસિંહ મહેતા, મીરાંબાઇ, સૂરદાસજી, તુલસીદાસ, તોરલ, કવિ ભાણ, મુક્તાનંદ, મોરાર સાહેબ, આનંદઘન, પ્રીતમ, ધીરા ભગત, નિષ્કુળાનંદ જેવાં સંત કવિઓનાં ભજનો તો ગાંધીયુગના નરસિંહરાવ દીવેટિયા, કવિ ન્હાનાલાલ, ટાગોર, મેઘાણી, સુંદરજી બેટાઇ, રા.વી. પાઠક, કરસનદાસ માણેક, સ્નેહરશ્મિ, વેણીભાઇ પુરોહિત, પ્રજારામ રાવળ, સુંદરમ્‌, ઉમાશંકર, મકરંદ દવે, મીનપિયાસી, ધીરુ પરીખ, ઉશનસ્‌થી લઇ રાવજી પટેલ, રમેશ પારેખ, રાજેંદ્ર શુક્લ, સુંદરમ ટેલર અને વીરંચી ત્રિવેદી સુધીના કવિઓની રચના સામેલ કરી છે. કાવ્યોની પસંદગીમાં અને રસદર્શન લખવામાં તેમને વડોદરાના તેમના મિત્રો સુંદરમ ટેલર અને વીરંચી ત્રિવેદીએ સહાય કરી. સંગ્રહ માટે બળવંત જાનીએ પ્રસ્તાવના લખી. બળવંતભાઈએ રમેશભાઈના અવસાન બાદ શોક વ્યકત કરવા મારી સાથે ફોન પર વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે રમેશભાઈનું કામ હતું એટલે બહુ મહેનત કરી, ૨૮ પાનાં જેટલી લાંબી પ્રસ્તાવના તેમણે તૈયાર કરી હતી. આ સંગ્રહના વિમોચન માટેના કાર્યક્રમની યોજના પણ તેમના મનમાં હતી. તેમાં પ્રભાતદેવ ભોજક, ગિરિરાજ ભોજક, માયા દીપક વગેરે ગાયકોએ કઇ કૃતિ રજૂ કરવી, તેની ફાળવણી કરી તેમને તે માટે તૈયારી કરવા સૂચના આપી હતી. કાર્યક્રમમાં આ સૌને પોંખવા માટે સ્મરણિકાઓની ડિઝાઇન એમણે વિદ્યાનગરના કલાકાર અજીત પટેલ પાસે તૈયાર કરાવી, તેનો ઓર્ડર પણ આપી દીધો હતો અને તે પ્લેક તૈયાર થઇને પણ આવી ગઈ હતી.

આ ઉપરાંત “સોનેરી વાંસળી” નામના બીજા એક સંગ્રહની પણ તેઓ તૈયારી કરતા હતા જેમાં તેઓ પોતાના કૃષ્ણ ભક્તિનાં કાવ્યો જ સમાવવાના હતા, અને તે કામ શરૂ કરી દીધું હતું.

તેમણે પોતાની આત્મકથા પણ તૈયાર કરીને રમેશ તન્નાને સંપાદનનું કામ સોંપ્યું હતું, પણ એ પણ અધૂરું રહ્યું. એમના જીવન પ્રસંગો વાંચતાં ખ્યાલ આવે છે કે બાળપણથી તેઓ કેટલા ઉત્સાહી હતા અને કેવા કેવા અનુભવોમાંથી પસાર થઇને ઘડાયા હતા.

ખાસ કરીને તેમનો સંગીતનો શોખ અને સમજ કઇ રીતે વિકસી તેનો એક કિસ્સો એવો છે કે મેટિૃક પાસ કર્યા બાદ, તેમને પિતાજીએ બર્મા આવી જવા કહ્યું. તે માટે કલકત્તા જઈ વીઝા લેવા પડે, અને સ્ટીમરની ટિકિટ ખરીદવી પડે. તે માટે તેઓ ત્યાં એક ગુજરાતી ચાના વેપારીને ત્યાં રહ્યા. વીઝા મેળવવામાં ઘણા દિવસ (કદાચ મહિના) લાગ્યા. તે દરમિયાન એ વેપારીના ઘરે માસ્ટર વસંત આવીને રોકાયા અને રમેશભાઈ તેમની સાથે તેમનું હાર્મોનિયમ ઊંચકીને બધે જતા અને ફરતા તેમાં તેમને સંગીતનું જ્ઞાન મળ્યું અને ચસકો પણ લાગ્યો.

આ બધાં કામ અધૂરાં મૂકી, અચાનક જ તેમને તેડું આવી ગયું અને તેઓ ચાલી નીક્ળ્યા.

‘કુમાર’ના ડિસેમ્બર 2018ના અંકમાં નટુ પરીખે તેમનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. ઓગષ્ટ, 2021માં મગજને લોહી પહોચાડતી ધોરી નસમાં બ્લોક હોવાનું નિદાન થયું, તે માટે સર્જરી કરાવી પણ સર્જરી બાદ થોડા દિવસે બેભાનાવસ્થામાં સરી પડ્યા અને તે અવસ્થામાં દોઢ મહિનો રહ્યા બાદ તેઓ અનંતની સફરે ચાલી નીકળ્યા. અનેકવિધ પ્રવૃત્તિઓ ભરેલા તેમના જીવનનો ટૂંકમાં પરિચય પામવાનું અઘરું છે. દીકરા કલ્પેશ, નાના ભાઈ-ભત્રીજા અને બહોળા મિત્રવર્તુળને તેઓ પાછળ મૂકી ગયા છે.

પોતાની સર્જન પ્રક્રિયા વિષે એમણે લખ્યું કે, ‘કોઈ મારામાં નિરંતર ગાયા કરે છે અને હું તેને કાગળ પર ઉતારી લઉં છું.’

કેટલાં હ્રદયો મહી મેં ઘર કર્યું છે જોઈ લો
જ્યાં જ્યાં હતા દ્વાર ખુલ્લા ત્યાં પ્રવેશ્યો દોસ્તો

૦ ૦

એક દિન હંસો અમારો આભમાં ઉડી જશે
પ્રણય કેરા દેવળો યુગ યુગ ઊભા છે દોસ્તો !!!

Email: jagdish.jb@gmail.com

[લેખક રમેશ પટેલના નાના ભાઈ છે]

પ્રગટ : “કુમાર”, ફેબ્રુઆરી 2022; ‘માધુકરી’, પૃ. 58-60 – સુધારેલી, વધારેલી આવૃત્તિ

Loading

સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર હવે ફક્ત ધ્વનિમુદ્રણ સ્વરૂપે

અભિજિત વ્યાસ|Opinion - Opinion|2 March 2022

લતા મંગેશકર (જન્મઃ 28 સપ્ટેમ્બર 1929 – અવસાન 06 ફેબ્રુઆરી 2022) એ ભારતીય સંગીતનો એવો મધુર અવાજ છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે.

ધ્વનિને મુદ્રિત કરવાની વૈજ્ઞાનિક શોધને કારણે જ આપણે આજ લતા મંગેશકર જેવી સ્વર સામ્રાજ્ઞીના કંઠને સાચવી શકયા છીએ. અન્યથા આ છ ફેબ્રુઆરીના રોજ એમના થયેલા અવસાનની સાથે જ એઓ તાનસેનની જેમ માત્ર દંતકથા જ થઈ જાત.

લતાજીની વિદાયને કારણે આ દિવસોમાં અનેક લોકોએ અનેક વાતો લખી છે. પ્રિન્ટ અને સોશિયલ મીડિયા તો આ બધાથી ઊભરાઈ રહ્યું છે. ત્યારે એ બધાથી કંઈક જુદી રીતે લખવાની ઇચ્છા થાય છે.

સિનેમાના પાર્શ્વગાયનક્ષેત્રે લતા મંગેશકર જેવી ગાયિકાનું આગમન નહોતું થયું, ત્યારે શમશાદ બેગમ, અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી, નૂરજહાં, કાનનદેવી વગેરે અનેક જુદી જુદી ગાયિકાઓનો અવાજ સાંભળવા મળતો હતો. આ પછી લતા મંગેશકરનું આગમન થયું. ફિલ્મ જગતમાં લતા મંગેશકરનો પ્રવેશ પહેલાં એક અભિનેત્રી તરીકે થયો હતો. પણ ગાયિકા તરીકે એને સફળતા મળતાં અભિનયનું કાર્ય છોડી દીધું. પ્રારંભનાં વર્ષો બાદ લતા મંગેશકર સેટ થઈ ગયાં તેમ તેમ આ બધી ગાયિકાઓ જૂની થતાં એ બધી સંભળાવી બંધ થઈ અને પછી કેટલાં ય વર્ષો સુધી લતા મંગેશકરનું જ એકચક્રી શાસન ચાલ્યું. બીજા અવાજો (સુમન કલ્યાણપુર) હોવા છતાં ભાગ્યે જ કોઈ સાંભળવા મળતા. આ પરિસ્થિતિ અનેક વર્ષો રહ્યાં બાદ આઠમા દાયકા બાદ તેમાં બદલાવ આવવો શરૂ થયો હતો.

ભારતીય ફિલ્મસંગીતને તેનો ચિરસ્મરણીય અવાજ લતા મંગેશકર દ્વારા  મળ્યો. અનેક ગાયક અને ગાયિકાઓમાં લતા મંગેશકર પાર્શ્વગાયનમાં મોખરે રહી; એટલુ જ નહીં, તે બધા સંગીતકારો અને શ્રોતાઓની માનીતી ગાયિકા પણ બની. પ્રત્યેક સમયે લતાએ શ્રેષ્ઠતમ ગીતો આપ્યાં છે જે શાસ્ત્રીય સંગીત તથા હળવા સંગીતના પ્રકારોમાં અવર્ણનીય છે. લતા ઉપરાંત મંગેશકર કુટુંબની અન્ય બહેનો પાર્શ્વગાયનના ક્ષેત્રે આવી, જેમાં લતા પછી બીજા નંબરે બિરાજમાન એની બહેન આશા ભોસલેનું નામ યાદ આવે (ઉષા મંગેશકરે બહુ જૂજ ગીતો ગાયાં છે). અલબત્ત, આ બન્નેના અવાજમાં ઘણો જ તફાવત છે. આ બન્ને બહેનોના આગમનને યાદ કરતાં ખ્યાતનામ સંગીતદિગ્દર્શક અનિલ વિશ્વાસે એક વખત કહેલું કે, 'આશાના અવાજને શરીર છે, તો લતાના અવાજને આત્મા. જે દિવસોમાં અમને સંગીત દિગ્દર્શકોને નસીમબાનુ જેવી ગાયિકા પાસે પણ ગવડાવવું પડતું હતું, તે દિવસોમાં લતા આ ક્ષેત્રમાં આવી. અને અમને દેવદૂત આવ્યા જેવું લાગ્યું. ચિત્રપટસંગીતમાં બનેલો લતા એ સૌથી ઉત્તમ અકસ્માત છે.' અનિલ વિશ્વાસ જેવો જ અભિપ્રાય લગભગ બીજા તમામ સંગીતદિગ્દર્શકોનો રહ્યો છે. પ્રત્યેક સંગીતકારે એની બંદિશનું શ્રેષ્ઠ ગીત લતા મંગેશકર પાસે ગવડાવવાનો આગ્રહ રાખ્યો છે કે ગવડાવ્યું છે.

લતા મંગેશકરનાં શ્રેષ્ઠ ગીતોની સૂચિ લાંબી અને સરસ થઈ શકે તેમ છે. છતાં આ મધુર કોકિલકંઠી ગાયિકાએ પોતાનાં શ્રેષ્ઠ ગીતોની પસંદગી કરવામાં હંમેશાં અપરિપકવતા દેખાડી છે. એ ન સમજાય એવી અસાધારણ વાત છે – જેમ કે લતાને જ્યારે પૂછવામાં આવતું કે આપનું શ્રેષ્ઠ ગીત કયું, તો એક એવો ઉડાઉ જવાબ આપે કે 'આયેગા આનેવાલા’ (ફિલ્મઃ મહલ) પણ આ ગીત બંદિશની નજાકતની દૃષ્ટિએ કે ગાયિકીની દૃષ્ટિએ, એમ કોઈ જ રીતે પ્રશંસાત્મક નથી. આથી વધુ સારાં ગીતો લતાએ ગાયાં જ છે. જાણીતા મરાઠી લેખક શિરીષ કાણેકરે પણ નોંધ્યું છે કે, 'પોતાને ગમતાં ગીતો પંસદ કરતી વખતે લતાએ બહુ વિચાર કર્યો નથી. તરત સૂઝ્યાં તે ગીતો આપી દીધાં. લતા આવી બેદરકારી કેમ દેખાડે? તેની પસંદગી જાણવા માટે ઉત્સુક હોય એવા લાખો રસિકોને આમ છેતરવાનું તે શું કામ કરે? પોતાનો થોડો સમય આપીને, મહેનત કરીને તેણે પોતાની યાદી તૈયાર ન કરવી જોઈએ? ગીત પસંદ કરવાની લતાની ઉપરછલ્લી રીતને લીધે કુશળ સંગીતકારોની એક પણ રચનાનો નંબર નથી લાગ્યો.’ ('ગાયે ચલા જા' લેખક : શિરીષ કાણેકર, અનુવાદઃ જયા મહેતા, પૃષ્ઠ – પ) લતા મંગેશકરની આ ઉપરછલ્લી રસમનો અનુભવ શ્રોતાઓને લતાએ ગાઈને પ્રગટ કરેલી શ્રદ્ધાંજલિની કૅસેટોમાં પણ થશે. આ કૅસેટોમાં મૃત ગાયકોને અંજલિરૂપ તેઓનાં લતાએ ગાયેલાં ગીતો છે. તે ખૂબ સારી રીતે ગવાયેલાં હોવા છતાં જે બધાં ગીત પંસદ થયાં છે તે બધાં પુરુષગાયકોનાં શ્રેષ્ઠ નથી જ. એટલે લતાએ આ ગીતો કેમ પંસદ કર્યાં છે એવો પ્રશ્ન પણ રહે. અહીં શિરીષ કાણેકરનું અન્ય એક નિરીક્ષણ નોંધનીય છે. 'જે ગીતો લતાએ’ ગાયાં છે અને કોઈક ગાયકોએ પણ ગાયાં છે એવાં ‘દો પહેલુંવાલે’ ગીત ધ્યાનમાં લઈએ તો એક બાબત બહુ જ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે બધાં ગીતોમાં પુરુષગાયકોએ લતાને માત કરેલી જણાય છે; એટલું જ નહીં પણ દરેક ગીત લતા કરતાં વધારે પ્રભાવશીલ અને લોકપ્રિય રહ્યું છે. લતા કયાં ય ઊણી ઊતરતી ન હોવા છતાં આમ કેમ બને? કદાચ લતા પાસે આ પ્રશ્નનો સંતોષકારક જવાબ હશે.’ ('ગાયે ચલા જા’ લેખક : શિરીષ કાણેકર, અનુવાદઃ જયા મહેતા, પૃષ્ઠ – ૧૮)

લતા મંગેશકરે પોતે પણ કેટલીક મરાઠી ફિલ્મોમાં 'આનંદઘન’ના ઉપનામથી પાર્શ્વસંગીત આપેલું છે. આવી ફિલ્મોમાં 'સાધી મનસા’ કે 'થામ્બડી માટી’ અને બીજી ફિલ્મોનું લતાએ આપેલું પાર્શ્વસંગીત અને ગીતો વખણાયેલાં પણ છે. પણ આ જ લતાને હિન્દી ફિલ્મ પાર્શ્વસંગીતને માટે કે ગીતના સ્વરનિયોજન માટે ન મળી. સાતમા દાયકામાં જ્યારે લતાએ એવી ફરિયાદ કરવી શરૂ કરી કે સંગીતનું ધોરણ ઘણું જ કથળી ગયું છે, ત્યારે પણ તેણે કોઈ ઉત્તમ ગીતનું સ્વર નિયોજન કરીને બતાવી આપ્યું કે ગીતોનું ધોરણ કેવું જળવાવું જોઈએ. લતાએ ગાયેલાં ગેરફિલ્મી ગીતો જેવાં કે મીરાંનાં ભજનો તથા બીજાં ગીતોની બંદિશો પણ તેના ભાઈ હૃદયનાથ મંગેશકરે બાંધી હતી ત્યારે પ્રશ્ન જરૂર થાય કે લતાએ પોતે જ કેમ તે ગીતોની બંદિશ તૈયાર કરી નહીં? આ અને આવા બીજા અનેક પ્રશ્નો લતાના પ્રદાનની સાથે સંકળાયેલા રહેવાના છે.

કેટલાક શ્રોતાઓની ફરિયાદ છે કે લતા મંગેશકરનો અવાજ હવે નથી ગમતો. એ એકધારો ટેપ જેવો લાગે છે. આજે નવી ગાયિકાઓ પણ અનેક ઊભરી આવી છે. અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં લતા મંગેશકરે બહુ ઓછાં ગીતો ગાયાં છે. છતાં ભારતીય ફિલ્મસંગીતને લતાથી જુદું પાડીને વિચારી શકાય તેમ નથી અને એ રીતે લતા મંગેશકર ચિરસ્મરણીય જ રહેશે. આજની અનેક છોકરીઓને સૂરમાં ગાતાં લતાજીએ જ શીખવાડ્યું છે તેમ કહીએ તો પણ ચાલે.

સૂરની બાબતમાં લતાની તોલે કોઈ ન આવે. આપણે ત્યાં કેટલા ય ગાયકો એક 'સા’થી નથી ગાતા. એની સામે લતાના સૂરો બધાં જ ગીતોમાં અત્યંત ચોક્કસ હોય છે. આ સંદર્ભમાં ઉસ્તાદ બડે ગુલામ અલીખાં યાદ આવે. ઉસ્તાદ બડે ગુલામ અલીએ એક વખત એવું કહ્યું હતું કે,  'આ છોકરી (લતા) કદી બેસૂરી નથી થતી. શી અલ્લાહની દેન છે!' લતાના આ સુરીલાપણાએ જ અનેક છોકરીઓને સૂરમાં ગાતા શીખવ્યું. તમે લતાની નકલ કરો એટલે સમજ ન હોય તો પણ તેની નકલ પણ સૂરમય થઈ જાય છે. લતાને અનેક શાસ્ત્રીય ગાયકોને સાંભળવાનો શોખ હતો. ભીંડી બજાર  ઘરાનાના ગાયક ઉસ્તાદ અમાનઅલી ખાન સાહેબનું શિષ્યત્વ લતાજીએ સ્વીકાર્યું હતું તેથી લતાજી ભીંડી બઝાર ઘરાનાના ગાયક કહેવાય. અનેક શાસ્ત્રીય ગાયકો અને વાદકોના કાર્યક્રમોમાં લતાજી ખાસ શ્રોતા તરીકે હાજર રહેતાં. કૌશિકી ચક્રવર્તીને સાંભળવાની ઈચ્છા લતા મંગેશકરને હતી અને તેને જાણવા મળ્યું કે મુંબઈમાં કૌશિકીનો કાર્યક્રમ છે કે તરત જ લતાએ ટિકિટ ખરીદી લીધી હતી. એમણે ધાર્યું હોત તો આ કાર્યક્રમનો પાસ મેળવી શક્યાં હોત કે ચીફ ગેસ્ટ પણ થઈ શક્યાં હોત. પણ લતાજીએ કૌશિકી ચક્રવર્તીનો કાર્યક્રમ ટિકિટ ખરીદીને સાંભળ્યો. લતાજીની આ જ મહાનતા છે.

લતા મંગેશકરનાં કેટલાંક ગીતો યાદ કરું તો મને સૌ પ્રથમ તો એમનાં ગેરફિલ્મી ગીતોમાં મીરાં ભજનોને યાદ કરવાં ગમે. 'નીસદીન બરસત નૈન હમારે’ પણ યાદ આવે. ખાસ તો ફિલ્મ 'અનુરાધા’નાં ગીતો અને તેમાં પણ 'સાંવરે સાંવરે’ને યાદ કરવું ગમે. આ ગીતની બંદિશ પંડિત રવિશંકરે રચેલી છે અને તેમાં આડી લય છે. જેથી લતાજીને પણ તે ગાવું અઘરું લાગેલું અને અનેક રિટેક લેવા પડેલા. પંડિત રવિશંકર પણ એમના પર ગુસ્સે થયેલા ત્યારે લતાજી રડી પડેલાં એવું એમણે જ એક વખત કહેલું. લતા મંગેશકરની ભગવદ્ગીતા’ (અધ્યાય ૮, ૧ર અને ૧પ), જ્ઞાનેશ્વરીની અને મીરાં ભજનની રેકૉર્ડ અત્યંત સાંભળવા જેવી છે. પણ ગાલિબની ગઝલની પ્રસ્તુતિ કરતી રેકૉર્ડ સદંતર નિષ્ફળ ગઈ હતી. લતાજીએ અનેક ગુજરાતી ગીતો પણ ગાયાં છે અને તેમાંનાં કેટલાંક પણ અત્યંત યાદગાર છે. લતાજીએ ફિલ્મ સંગીતને બે અણમોલ વાદકો આપ્યા તે પ્યારેલાલ (એમણે લતાજીનાં અનેક ગીતમાં વાયોલિન વગાડેલું અને લક્ષ્મીકાન્ત–પ્યારેલાલની જોડી તો પછી થઈ અને એ પછી પણ પ્યારેલાલે લતાજીનાં અનેક ગીતોમાં ફોલો કરેલું.) અને બીજા તે સારંગીવાદક ઉસ્તાદ સુલતાન ખાન.

લતા મંગેશકરનાં એક ગાયિકા ઉપરાંત બીજાં પણ કાર્યો યાદ કરવા જેવાં છે. લતાજીને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. તેઓ અવારનવાર ખાસ ફોટોગ્રાફી કરવા માટે આઉટિંગ પર જતાં. અને નેચર અને કેન્ડીડ શૈલીની ફોટોગ્રાફી કરવી બહુ ગમતી. આ માટે ખાસ ટેલિફોટોલેન્સ પણ એમણે વસાવેલાં હતાં. એમને તેમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન કરવાની ઇચ્છા પણ હતી. એમ એમને રમતગમત અને ખાસ કરીને ક્રિકેટનો બહુ શોખ હતો અને ક્રિકેટ મૅચ ખાસ સ્ટેડિયમમાં બેસીને જોવાનો આગ્રહ રાખતા. એ જ રીતે લતાજીને અત્તર(પરફ્યૂમ)નો બહુ શોખ હતો અને હંમેશાં તેઓ બહાર નીકળતી વખતે લગાડીને જ નીકળતાં. આ બાબતને ધ્યાનમાં આખીને એક કંપનીએ 'લતા’ નામનું એક સેન્ટ પણ બજારમાં મૂકયું હતું. એનું લૉન્ચિંગ પણ એમણે કરેલું.

નાનપણમાં જોયેલી કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિ અને પૈસા અને મેડિકલ સુવિધાઓને અભાવે પિતાનું થયેલું મૃત્યુ લતાજીને હંમેશાં યાદ રહેલું. તેના પરિણામે એમણે 'ધ લતા મંગેશકર મેડિકલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. એના ઉપક્રમે એમણે એક દસ માળની ૪પ૦ બેડની વિશાળ (ર૭,૦૦૦ સ્ક્વેર ફૂટના એક માળની) હૉસ્પિટલની યોજના કરી હતી જેમાં બધા વર્ગોના લોકોને જરૂરી સારવાર મળી રહે તેવું આયોજન હતું. આ હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને થતા ખર્ચના ત્રીસ ટકા એમનું ફાઉન્ડેશન ભોગવે એવી એમની યોજના હતી. આ હૉસ્પિટલનું હાલ પૂનામાં બાંધકામ ચાલી રહ્યું છે.

લતા મંગેશકર એ ભારતીય સંગીતનો એવો મધુર અવાજ છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 14-15

Loading

...102030...1,5771,5781,5791,580...1,5901,6001,610...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved