Opinion Magazine
Number of visits: 9570376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમનું પુષ્પ, પૂર્ણ મુક્તિમાં જ ઊઘડે છે : ઓશો

સોનલ પરીખ|Opinion - Opinion|5 March 2022

પ્રેમ તો એક સીડી છે. ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઊતરી શકાય. દોષ સીડીનો નથી, જવાબદારી સીડીની નથી. સીડી તો તટસ્થ છે. ઉપર કે નીચે તો માણસ જાય છે. પ્રેમ પૈસાને પણ કરી શકાય, પ્રેમ કામુકતા પણ બની શકે અને દિશા બદલાય તો પ્રેમ જગતની, પદાર્થની પાર પણ લઈ જાય. પ્રેમને પ્રજ્ઞાપૂર્વક સમજો. પ્રેમની સંભાવનાઓને જાણો. પ્રેમને જ પ્રેમ કરો અને એ પ્રેમ ધીરે ધીરે પ્રાર્થનામાં પરિણમશે. ટકોરા મારીએ તો દ્વારો ખૂલે છે. આપણે એ જ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે શોધીએ છીએ.

— ઓશો

અમેરિકાની ટેલિવિઝન હિસ્ટ્રીમાં ઓપ્રાહ વિનફ્રે શોનું બહુ મોટું નામ છે. આ ટૉક શોને 47 અવૉર્ડ્ઝ મળ્યા હતા અને એ પંદર વર્ષ ચાલ્યો હતો. આમાંના એક શોમાં એક વાર હૉલોકાસ્ટનો ભોગ બનેલા એક યહૂદી વૃદ્ધની મુલાકાત હતી. એની કહાણી, ક્રૂરતા વચ્ચે પાંગરેલા કોમળ પ્રણયની કહાણી હતી. વેલેન્ટાઈન ડે નિમિત્તે યાદ કરીએ એ કહાણીને :

એક કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બારતેર વર્ષનો એક યહૂદી છોકરો પુરાયો હતો. તેનાં માબાપને તેની નજર સામે જ મારી નંખાયા હતા. એક વાર કૅમ્પની કાંટાળી વાડની પેલી બાજુએ એક જર્મન છોકરી ફરવા નીકળેલી, તેણે આ દુ:ખી અને હતાશ છોકરાને જોયો. કરુણાથી તેનું હૃદય ભરાઈ ગયું. ગાર્ડની નજર ચૂકવી તેણે એક લાલ સફરજન ફેંક્યું. છોકરાએ એ ઝીલી લીધું, ખાધું અને આંખથી જ આભાર માન્યો. બીજા દિવસે સાંજે એ છોકરાના પગ આપોઆપ એ દિશામાં ગયા. મગજ કહેતું હતું,  ‘રોજ કોઈ આ તરફ શું કામ આવે?’ મન કહેતું હતું, ‘કદાચ આવે.’ ખરેખર એ દિવસે પણ પેલી છોકરી આવી અને સફરજન ફેંકી ચાલી ગઈ. લગભગ વીસ દિવસ પછી છોકરાએ કહ્યું, ‘કાલથી તું ન આવીશ. કાલથી હું અહીં નહીં હોઉં. કૅમ્પ બીજી જગ્યાએ જવાનો છે.’

પંદરેક વર્ષ પછી, ન્યૂયૉર્કની ફૂટપાથ પર એક યુગલ ફરતું હતું. નવી નવી, પ્રણયમાં ફેરવાઈ જવાની તૈયારી કરતી મૈત્રીથી બન્નેના ચહેરા ચમકતા હતા. વાતવાતમાં યુવાન બોલ્યો, ‘મેં હૉલોકાસ્ટનો અનુભવ કર્યો છે.’ યુવતીએ કહ્યું, ‘મેં અનુભવ તો નથી કર્યો, પણ એક કૅમ્પ નજીકથી જોયો છે. ત્યાં એક છોકરો હતો, એને હું રોજ સફરજન આપતી.’

યુવાન બોલ્યો, ‘અને એ છોકરાએ એક દિવસ કહ્યું કે કાલથી તું ન આવીશ, કારણ કૅમ્પ બીજી જગ્યાએ ફેરવાઈ રહ્યો છે …’

‘હા, પણ તને કેવી રીતે ખબર?’

‘એ છોકરો હું જ છું.’ અને થોડા દિવસમાં બન્ને પરણી ગયાં. વાતનું સમાપન કરતાં વૃદ્ધે કહ્યું, ‘તમે સમજી તો ગયા હશો, એ છોકરો અને એ યુવાન તે હું.’

પ્રેમ આવો છે – કૉન્સન્ટ્રેશન કૅમ્પ જેવી અમાનવીય સ્થિતિમાં પણ પાંગરી શકે અને ફૂલોની કોમળ સેજ પર પણ ન પાંગરે. પ્રેમની શરત એક જ છે કે એમાં બનાવટ કે ગણતરીઓ ચાલતાં નથી. કૉન્સન્ટ્રેશન કૅમ્પની કાંટાળી વાડની બન્ને બાજુ રહેલાં બેઉ પાત્રો કોઈ બનાવટ વિના, પોતાનું ખરું સ્વ લઈને ઊભેલાં હતાં, તેથી પ્રેમ એમના અસ્તિત્વમાં મૂળ નાખી શક્યો. 

ઓશો કહે છે, ‘પ્રેમમાં નિરાવરણ થવાનું છે તે આ અર્થમાં – પોતાને ઢાંકતાં તમામ આવરણો ફગાવી દો – જે છો તે જ બની રહો. બીજું કોઈ બનવાની જરૂર નથી. હું એ સ્થળને મંદિર કહું જ્યાં પ્રેમીઓ બિનશરતી પ્રેમ લઈને, કોઈ છૂપી પણ આકાંક્ષા વિના પરસ્પરને સમર્પિત થાય.’

અદ્દભુત વચનો છે ઓશોના : કહે છે, જીવન ત્યારે જ ભવ્ય બને છે જ્યારે તે પ્રેમના નિયમ અનુસાર કાર્ય કરે છે અને જીવન જ્યારે પ્રેમરહિત હોય ત્યારે જ અધમ બની જાય છે. નવ્વાણું ટકા લોકો વધતુંઓછું અધમ જીવન જીવે છે. એમને લાગે છે કે તેઓ પ્રેમ શું છે એ સમજે છે. આ ખોટી ધારણા જ તેમને પ્રેમની ખોજ કરતા અટકાવે છે. હકીકત એ છે કે જેમણે પ્રચંડતાથી પ્રેમ કર્યો હોય તેઓ પણ પ્રેમને બરાબર જાણતા નથી. કેમ કે પ્રેમ શબ્દોમાં કદી વર્ણવી શકાતો નથી. શબ્દો ખૂબ વામણા હોય છે અને પ્રેમ અત્યંત વિરાટ. ઈશ્વરને સમજી કે વર્ણવી શકાય તો પ્રેમને સમજી કે વર્ણવી શકાય.

બાળક આસપાસનું જોઈને શીખે છે ને પછી તેને પોતાના જીવનમાં પુનરાવર્તિત કરે છે. જેવો પ્રેમ એણે જોયો છે તેવો જ તે પણ કરે છે અને મીઠા, સુખદ, સ્નેહપૂર્ણ, કાળજી રાખતા કે પછી સ્વાર્થી, લુચ્ચા, ગણતરીબાજ, દંભી સંબંધોમાં બંધાઈ જાય છે. લોકો માને છે કે પોતે પ્રેમાળ છે, પણ સંબંધ ગમે તેટલો સારો હોય, અનેકવાર પ્રેમના નામે બનાવટ થતી જ હોય છે.

માટે ‘પ્રેમ શું છે એ ખબર નથી’ એ સમજો તો ત્યાંથી પ્રેમની શરૂઆત થાય. તો જ તમે બધી ધારણાઓ, પૂર્વગ્રહો, માન્યતાઓ, કલ્પનાઓ અને સંસ્કારોને બાજુ પર મૂકી શકશો. એ પૂર્ણ મુક્તિમાં અસ્તિત્વ આપમેળે ઊઘડશે અને પછી એના હૃદયમાંથી સુગંધ ઊઠશે. પ્રેમ આ સુગંધનું નામ છે. કેવી ભવ્ય હશે એ ક્ષણ જ્યારે તમે પ્રેમઊર્જાને તમારી આસપાસ એક આલોકમંડળની જેમ એક ખાસ સૌરભ સાથે વહેતી અનુભવશો!

પરમાત્માને પામવાનો એક માર્ગ ધ્યાનનો છે. જાગૃતિનો છે, બુદ્ધ, મહાવીર, લાઓત્સુ આ માર્ગના યાત્રી હતા. આ માર્ગ પ્રેમની જરાપણ ચર્ચા નથી કરતો, પણ તેમની સાધનાનો અંત પ્રેમમાં આવે છે. બુદ્ધે કહ્યું જ છે કે બુદ્ધત્વ સંપૂર્ણપણે ખીલી ઊઠે છે ત્યારે વ્યક્તિ નિરપેક્ષપણે પ્રેમપૂર્ણ, કરુણાપૂર્ણ બને છે. આમ ધ્યાનમાર્ગ પર પણ પ્રેમ છે ખરો, પણ એ જાગૃતિના પરિપાકરૂપે આવે છે. પ્રેમમાર્ગમાં સ્થિતિ વિપરીત છે. તેમાં સાધક પોતાને ઓગાળી દે છે. લીન થઈ જાય છે, વિલીન થઈ જાય છે. પવનમાં વાદળ સરે એમ પોતાને સરવા દે છે અસ્તિત્વની ભરપૂરતામાં. વાદળ પાસે કોઈ આકાંક્ષા, કોઈ નકાર, કોઈ અભિપ્રાય નથી. તે તો પવનને ઉપલબ્ધ રહે છે અને કોઈ ઉતાવળ વિના એ વહાવે તેમ વહે છે. જીવનમાં ક્ષણ ક્ષણ આવો પ્રેમ જીવી શકાય, જો માન્યતાઓ, પૂર્વગ્રહો, આગ્રહો, અહંકાર અને અપેક્ષાઓથી મુક્ત થઈ શકાય તો.  

એ વાત અગત્યની નથી કે તમે કોને પ્રેમ કરો છો. અગત્યની વાત એ છે કે તમે પ્રેમરૂપ બનો. માણસો ડરે છે. હું પ્રેમ આપું, પણ એ ન આપે તો? પણ પ્રેમનો પણ એક કાયદો છે. એ પડઘો પાડે જ. જો પડઘો ન પડતો હોય તો પોતાના મનને તપાસો. શક્ય છે કે તમે જેને પ્રેમ કહેતા હો, તમારા એ સંવેદનમાં જ ક્યાંક કોઈ ગરબડ હોય.

તો પછી ધર્મ પ્રેમને અધ:પતન કરાવનાર; માણસને સ્વાર્થી, ભોગી, ઉપરછલ્લો બનાવનાર કેમ માને છે? ઓશો કહે છે, પ્રેમ તો એક સીડી છે. ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઊતરી શકાય. દોષ સીડીનો નથી, જવાબદારી સીડીની નથી. સીડી તો તટસ્થ છે. ઉપર કે નીચે તો માણસ જાય છે. પ્રેમ પૈસાને પણ કરી શકાય, પ્રેમ કામુકતા પણ બની શકે અને દિશા બદલાય તો પ્રેમ જગતની, પદાર્થની પાર પણ લઈ જાય. પ્રેમને પ્રજ્ઞાપૂર્વક સમજો. પ્રેમની સંભાવનાઓને જાણો. પ્રેમને જ પ્રેમ કરો અને એ પ્રેમ ધીરે ધીરે પ્રાર્થનામાં પરિણમશે. પ્રેમને બે ટકા જેટલું પણ આપણે જાણતા નથી. અઠ્ઠાણું ટકા પ્રેમ તો અજ્ઞાત છે, કેમ કે એમાં આપણે રસ લેતા નથી. પણ ટકોરા મારીએ તો દ્વારો ખૂલે છે. આપણે એ જ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે શોધીએ છીએ.

પ્રેમની વાત આવે એટલે મૈત્રેયીદેવીનું ‘ન હન્યતે’ યાદ આવે જ. એની વાત આપણે કરી ગયા છીએ. એ પુસ્તકે સાબિત કર્યું છે કે પ્રેમ હણાય છે, છતાં નથી હણાતો અને દુન્યવી ભાષામાં સફળ ન થાય તો પણ  બધી દુનિયાદારી વચ્ચે જીવતો-જાગતો રહી શકે છે એટલું જ નહીં, તેનું હોવું જીવનને એક જુદું પરિમાણ આપે છે, જીવનને વધારે સભર અને સમૃદ્ધ કરે છે.

આવો પ્રેમ જીવનમાં ઉદિત થાઓ અને વિસ્તરો …!!

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ફેબ્રુઆરી 2022 

Loading

વિકટતાએ આપેલાં સુખદ સ્મરણો …

અબ્દુલ કુંભાર|Opinion - Opinion|5 March 2022

ટ્રીન ટ્રીન કરતી ને મોબાઈલની રીંગ વાગી, ત્યાં તો મારી નીંદર ઊડી ગઈ અને જોઉં તો મોટા ભાભીનો ફોન હતો. સવારના સાડા ચાર વાગ્યા હતા. આમ ક્યારે કામ વગર મોટાભાભીનો ફોન આવે નહીં, એટલે મને થોડીક બીક લાગી કે કઈ સમસ્યા તો નહીં હોય ને આવા વિચારોના તોફાને મને ભયભીત કરી નાખ્યો. હિંમત કરીને ફોન ઉપાડ્યો. ઉપાડતા જ તેઓ બોલ્યાં કે સલીમભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. મારો ઉદાસ ચહેરો બીજી જ ક્ષણે એકદમ આનંદિત થઈ ગયો. પછી ભાઈના રામને નીંદર પણ આવી નહીં. એમ થતું કે જલદી ત્યાં હોસ્પિટલ જઈને નવજાત ઢીંગલાને જોઉં. કૉલેજ પૂરી થતાં હું રમજાન સાહેબની એક્ટિવા લઈને હોસ્પિટલ ભણી નીકળી પડ્યો. હું બહુ જ ખુશ હતો એનું કારણ એ હતું કે મારા બધા ભાઈ-બહેનને ઘરે બે પુત્ર અને એક પુત્રી, આમ સરખા સંતાનો થઈ ગયાં હતાં. હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સલીમ કહે કે,  'ઢીંગલો આમ બરાબર છે, પણ ડોક્ટરએ કહ્યું છે કે એકાદ બે દિવસ પેટીમાં રાખવો પડશે એટલે તમે એને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલ લઈ જાઓ.'

સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં બાળકને લઈ ગયા. ત્યાં રિપોર્ટ કરીને ડોક્ટરે કહ્યું કે 'આ બાળકની સ્થિતિ ગંભીર છે, આને આગળ સારવાર માટે લઈ જાઓ.' આ વાક્ય સાંભળતા જ સલીમની આંખો ભીની થઈ ગઈ. ગમે તેમ તો એ એક બાપ છે એટલે એનાથી મક્કમ તો રે’વાયું જ નહીં. મને બાથ ભીડીને રડવા લાગ્યો. ત્યાર બાદ ત્યાંથી અમે વહેલી તકે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોચ્યા. પહેલા જ દિવસે અમારી સમક્ષ કપરી કસોટી આવી પડી. ડોક્ટર કહે, ‘નેગેટિવ બ્લડ હોસ્પિટલમાં હાજર નથી તો એના માટે તમે કંઈક વ્યવસ્થા કરો.’ અમે તો ભુજમાં કોઈને  ઓળખીએ નહિ અને ભુજ ક્યારે ય સરખું જોયુ પણ નહતું. મે એ જ ક્ષણે રમજાન સાહેબ અને મારા એક મિત્ર અજીતસિંહ જાડેજાને ફોન કર્યો. આજુબાજુની બ્લડ બેંકમાં ગૂગલની મદદથી દોડધામ કરી પણ ક્યાંયથી પ્રત્યુત્તર મળ્યો નહિ. એટલામાં અજીતસિંહનો ફોન આવ્યો ને એમણે કહ્યું કે ‘ભાઈ, લોહીની વ્યવસ્થા થઈ ગઈ છે. એક ભાઈ હમણાં જ આપવા આવે છે.’ આ વાક્ય સાંભળી મારા જીવમાં જીવ આવ્યો. થયું કે હાશ .. હવે ચિંતા ટળી, પણ અસલમાં ચિંતાની શરૂઆત જ હવે થઈ હતી. રાતના ત્રણેક વાગે ડૉક્ટરનો ફોન આવ્યો. મને ઉપર આઈ.સી.યુ.માં બોલાવ્યો અને કહ્યું કે, 'બાળક બહુ જ ગંભીર છે એના શરીરનું સંપૂર્ણ લોહી બદલવું પડશે કારણ કે પીડિયાનું પ્રમાણ ખૂબ ઊંચું છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકનો જીવ પણ જઈ શકે.' આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ કુદરત, તેં મને સમયના કયા કાંટા ઉપર લાવીને મૂક્યો. મે એક વાલી તરીકે સહી કરી આપી અને ત્યાંથી ચાલતો થયો. નીચે ચાની લારીએ તાપણું થતું હતું, ત્યાં પહોંચ્યો. આ વિચારે આખી રાત આંખ ભેગી ન થવા દીધી. આમ પહેલો દિવસ પૂરો થયો.

બીજા દિવસની સવારે દસ વાગે રીપોર્ટ આવ્યો. ત્યારે ડોક્ટરે કહ્યું કે, 'લોહી બદલવાની પ્રક્રિયા સફળ રહી અને પીડિયાનું પ્રમાણ પણ ઘટ્યું છે.'  કંઈક શાંતિ થઈ. હોસ્પિટલ અંદર કોઈને રહેવા દેતા નહોતાં, તેથી કોઈ એક માણસને જ ત્યાં રહેવાની જરૂર હતી. એટલે મેં સલીમ અને મોટાભાભીને ઘરે મોકલી દીધાં અને હું હોસ્પિટલની બહાર આગળની ક્ષણની વાત જોતો રહ્યો. આમને આમ દિવસ આથમી ગયો. રાત્રે હોસ્પિટલના પાર્કિંગની ફૂટપાથ ઉપર સૂઈ ગયો.

ત્રીજા દિવસે રિપોર્ટ આવ્યો કે ફરીથી બાળકની સ્થિતિ પહેલા જેવી જ થઈ છે. મારું મન ફરી મુંઝાણું. આ દરમિયાન હનિફાનો વારંવાર ફોન આવ્યા કરે કે છોકરાને કેમ છે. હનિફા એટલે છોકરાની મા. તેમને અમે સાથે નહોતાં લઈ આવ્યાં. દરેક ફોને હું ખોટું બોલીને હું એમને છેતરતો રહ્યો. દિવસ આથમતા મારા કુટુંબી ભાઈ ભુજમાં રહે છે તે મને લેવા આવ્યા અને મને કહ્યું કે, 'ઘરે ચાલ ડોક્ટર બોલાવે ત્યારે બાઈક લઈને ચાલ્યો આવજે. હું તેમના ઘરે સુવા માટે જતો રહ્યો. રાતના દોઢેક વાગે ફોન રણક્યો જોઉં તો હોસ્પિટલમાંથી હતો. તેમણે કહ્યું કે તમે અહી જલદી આવો, ડોક્ટર બોલાવે છે. હું ત્યાંથી નીકળ્યો હોસ્પિટલ ભણી. ડોક્ટરે કહ્યું કે 'લોહીની જરૂર છે બે કલાકની અંદર જોઈએ છે અમારી હોસ્પિટલમાં હાજર નથી.'

મે ફરીથી બધાને ફોન કર્યા. ત્યાં તો કુદરતે સબાઝખાનને ફરિસ્તો બનાવીને મારા માટે મૂક્યા. એ ભાઈ કહે 'તમે ચિંતા ન કરો આપણી પાસે ડોનર છે. તમારી પાસે ગાડી હોય તો લેવા આવો.' મે કહ્યું ભલે. હું મારા ભાઈને ઘરે ગાડી લેવા જતો હતો ને હમીરસર તળાવ પાસે બાઈક સ્લીપ મારી ગયું અને હું પડ્યો. એક તો ટાઢ હતી અને ઉપરથી આ પછાડે મને બહુ જ કમજોર કરી નાખ્યો. મારા હાથ કામ નહોતા કરતા તો ય હું જેમ તેમ કરીને બાઈક લઈને ભાઈના ઘરે પહોચ્યો. જતાં વેત મેં ગેસ ઉપર હાથ ગરમ કર્યા. અચાનક ચક્કર આવ્યા અને હું પડી ગયો. પણ આ નાના બાળકના જીવે મને સરખો પડવા ય ન દીધો. માંડમાંડ હું પાણીના માટલા પાસે ગયો અને પાણી માથા ઉપર રેડ્યું. પછી બે ગ્લાસ પી ગયો. એટલામાં તો સબાઝખાનનો ફોન આવ્યો અને કહ્યું કે, 'મને ગાડી મળી ગઈ છે હું હોસ્પિટલમાં આવું છું.' મારી પીડાને પ્રણામ કરી હું ય નીકળ્યો હોસ્પિટલે જવા. મારા ભાઈનું ઘર હોસ્પિટલથી ચારપાંચ કિલોમીટર જેટલું થાય.

જે વ્યક્તિ મને ઓળખતી પણ નથી તેમ છતાં અડધીરાતે મારા માટે દોડી આવી. આને કુદરતની કૃપા ન માનું તો શું માનું ? સાથે અનીશભાઈ આવ્યા હતા જેમણે લોહી આપ્યું હતું. પછી તો દિવસોદિવસ રિપોર્ટ સારા આવતા ગયા. અંતે દસમાં દિવસે રજા આપી દીધી. આ દરમિયાન એક સ્વજને પ્રાર્થના સ્વરૂપે હનુમાન ચાલીસાનું પઠન કરી સંભળાવ્યું હતું.

આ વેળાએ મેં આભાર રૂપી શબ્દોનો ગુલદસ્તો વ્યક્ત કરતો એક પત્ર લખીને  n.i.c.u ના તમામ તબીબોનો અને આખા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. જે બાબત તેઓને બહુ જ ગમી હતી. આ દોડાદોડીમાં હું કેટલી વાર તો જમવાનું ભૂલી જતો. ત્રણ દિવસ પછી જનરલ હોસ્પિટલ સામેની કોલોનીમાં રૂમ ભાડે મળે છે એવી વાત મળી. આ જાણતા જ હું દોડી પહોચ્યો. ત્યાં એક ખૂબ જ પ્રેમાળ વ્યક્તિનો ભેટો થયો. જેમનું નામ ઇનાયત સાહેબ જે ત્યાંના ઇન્ચાર્જ હતા. ખબર નહિ શું થયું કે હું એમને પહેલી જ ક્ષણે એટલો ગમ્યો કે વાત ન પૂછો. આમ મને એક ઠેકાણું મળ્યું મનને મૂકવાનું. જેણે મને ખૂબ જ હળવો રાખ્યો હતો. આમ તો સૌને મારો સ્વભાવ ગમી જતો એનું શ્રેય જાય મારા ગુરુ રમજાન સાહેબને એમના સાથે રહેવાનો સૌથી મોટો ફાયદો જે મને બહુ કામે લાગ્યો છે અને રહેશે. જેના કારણે મારું અડધું કામ તો વાત કરવાથી જ થઈ જતું.

રજા મળી પછી તરત જ હું સબાજખાનને મળવા ગયો. ત્યારે એમના વિશે જાણવા મળ્યું કે તેઓ મોબાઇલની દુકાનમાં કામ કરે છે. એમણે એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તેઓ લોહીની જરૂરિયાત વિનામૂલ્યે કોઈ પણ સમયે કોઈ પણ માટે પૂરી કરે છે. આ જાણીને એમ થયું કે  કુદરતની રચનામાં સારપ પણ સચવાયેલી છે.

આ પરિસ્થિતિમાં મને સાથ આપનાર રમજાન સાહેબ, અજીતસિંહ જાડેજા, સબાઝખાન બલોચ, સુલેમાનભાઈ, નવસાદભાઈ, અનિશભાઈ, n.i.c.uના તબીબો વગેરેના ઉપકારનો ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું અને આપણું ગજુએ શું ? આ પરિસ્થિતિએ મને ઘણું બધું આપ્યું છે. મકરંદ દવેની એક પંક્તિ સાથે મારી વાત સંકેલું છું. 'પગલું માંડું અવકાશમાં નીચે જોઉં હરિવરનો હાથ.’

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—135

દીપક મહેતા|Opinion - Opinion|5 March 2022

બોમ્બેનો એકમાત્ર બોલ ટાવર જોયો છે?

પોર્તુગીઝ ચર્ચના ઘંટ હિંદુ મંદિરોમાં કઈ રીતે પહોંચ્યા?

તમે બોમ્બેનો બોલ ટાવર જોયો છે? આપણા આખા દેશમાં માત્ર બે જ બોલ ટાવર છે અને તેમાંનો એક આપણી આ મુંબઈ નગરીમાં છે. અને એ આવેલો છે પ્રિન્સિસ ડોક ખાતે, જેનું હાલનું નામ છે ઇન્દિરા ડોક. આવા બોલ ટાવર હંમેશાં દરિયા કિનારે જ બાંધેલા હોય છે. કારણ એક જમાનામાં વહાણો અને જહાજો માટે એ ખૂબ ઉપયોગી હતા. આજે તો સ્ટીમર કે વિમાનમાં ચાલક પાસે ચોક્કસ ટાઈમ જાણવા માટે બહુ સોફેસ્ટિકેટેડ સાધનો હોય છે. અને મારા-તમારા જેવા પણ હવે રિસ્ટ વોચ વગર ફરે છે, કારણ મોબાઈલ સતત સાચો ટાઈમ બતાવવાનું કામ પણ કરે છે. પણ એ વખતે દરિયાઈ સફર વખતે ચોક્કસ ટાઈમ જાણવાનું ખૂબ જરૂરી હોવા છતાં એ માટે આજના જેવું કોઈ સાધન નહોતું.

કોલાબા વેધશાળા, બંધાઈ ત્યારે

એ ખોટ પૂરી કરવા બંધાયા બોલ ટાવર. દરિયા કિનારે ઠીક ઠીક ઊંચો ટાવર. તેના પર આજે ઝંડો ફરકાવવા માટે હોય છે તેવી કાઠી. તેના પર એક મોટો ગોળો કહેતાં બોલ, મોટે ભાગે લાલ રંગનો. ઝંડો ફરકાવવા માટે જેમ ગરગડીની વ્યવસ્થા હોય છે તેમ અહીં બોલને ઉપર-નીચે લઈ જવા માટે વધુ વિકસિત સગવડ. આ લાલ બોલને ૨૪ કલાકમાં ફક્ત એક જ વખત ઉપર ચડાવવામાં આવે : બપોરે એક વાગે (અમેરિકામાં બપોરે બાર વાગે). એક વાગવામાં પાંચ મિનિટ બાકી હોય ત્યારે બોલને અડધી કાઠી સુધી ઉપર ચડાવવામાં આવે. બારામાં ઊભેલાં બધાં જહાજોના કેપ્ટનની નજર એ બોલ પર ખોડાયેલી હોય. અઢી મિનિટ પછી બોલને કાઠી પર પૂરેપૂરો ઉપર ચડાવાય. અને બરાબર એક વાગે ધડામ દઈને બોલ કાઠીની નીચે. એ જ ઘડીએ વહાણોના કેપ્ટન પોતપોતાના મરીન ક્રોનોમિટરમાં બપોરના એક વાગ્યાનો ટાઈમ ગોઠવી દે.

આ બોલ ટાવરનો વિચાર આવ્યો ગ્રેટ બ્રિટનના રોયલ નેવીના કેપ્ટન રોબર્ટ વોચોપને. દુનિયાનો પહેલો બોલ ટાવર તેણે પોતે જ બ્રિટનના પોર્ટસમાઉથ ખાતે ઊભો કર્યો. એ પછી માત્ર બ્રિટનમાં જ નહિ, પણ તેની હકૂમત નીચેના દેશોમાં પણ ઝડપથી બોલ ટાવર બંધાવા લાગ્યા. લંડનની ગ્રીનવિચ ઓબ્ઝર્વેટરી ખાતે ૧૮૩૩માં બોલ ટાવર ઊભો કરવામાં આવ્યો. બ્રિટિશ પ્રજા પોતાની પરંપરાઓને બહુ ચુસ્ત રીતે વળગી રહે છે. આજે હવે કોઈ વહાણ ટાઈમ બોલને જોઈને પોતાની ઘડિયાળમાં ટાઈમ એડજસ્ટ કરતું નથી. છતાં આજે પણ રોજ બપોરે એક વાગે ગ્રીનવિચ બોલ ટાવર પરના બોલને નીચે ઉતારવામાં આવે છે.

મુંબઈનો એકમાત્ર બોલ ટાવર, ઇન્દિરા ડોક

અમેરિકામાં પહેલો બોલ ટાવર ૧૮૪૫માં કામ કરતો થયો. પણ મુંબઈમાં તે પહેલાં દેશનો પહેલો બોલ ટાવર કામ કરતો થઈ ગયો હતો. આજે પણ જે કાર્યરત છે તે કોલાબા વેધશાળાની સ્થાપના છેક ૧૮૨૬માં થઈ હતી. અને તેની ઈમારત પર ૧૮૪૦માં દેશનો પહેલો બોલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. એ વખતે આકાશી ગ્રહ-નક્ષત્રો, સૂર્ય-ચંદ્ર વગેરેનાં સ્થાનને આધારે વેધશાળા ચોક્કસ સમય નક્કી કરતી અને બોલ ટાવરની મદદથી વહાણોને તે જણાવતી. ૧૮૬૫માં આ બોલ ટાવરને બોમ્બે કાસલ ફ્લેગ સ્ટાફ ટાવર ખાતે ખસેડવામાં આવ્યો. આ બોમ્બે કાસલ એટલે આજના આઈ.એન.એસ. આંગ્રેનો વિસ્તાર. અને ૧૮૯૧માં મુંબઈનો બીજો બોલ ટાવર બંધાયો પ્રિન્સિસ ડોક ખાતે. એને કારણે સ્થાનિક લોકો આ ડોકને ‘ઘડિયાળ ગોદી’ તરીકે ઓળખાતા થયા. બીજા ઘણા બોલ ટાવરની જેમ વખત જતાં આ ટાવર પર પણ મોટા ડાયલવાળી ઘડિયાળ મૂકવામાં આવી છે. આજે તો હવે મુંબઈનો આ એકમાત્ર બોલ ટાવર બિસમાર હાલતમાં છે. વળી સમગ્ર ડોક એરિયા ‘પ્રતિબંધિત ક્ષેત્ર’ હોવાથી આમ આદમી માટે ત્યાં જવાનું શક્ય નથી.

ટાવરનો બીજો પ્રકાર તે બેલ ટાવર. મિનારા પર અથવા ઈમારતના સૌથી ઊંચા સ્થાને ઘંટ મૂકવામાં આવ્યો હોય તે બેલ ટાવર. હિન્દીમાં તેને ઘંટાઘર કહે છે. આવા ટાવર સૌથી વધુ ચર્ચમાં જોવા મળે છે. પ્રાર્થનાના સમયની શ્રદ્ધાળુઓને જાણ કરવા માટે નિયત સમયે ચર્ચનો ઘંટ વાગે. ઉપરાંત, લગ્નવિધિ ચર્ચમાં થતી હોય તે વખતે, કોઈનું અવસાન થાય ત્યારે, અને ૩૧મી ડિસેમ્બરની મધરાતે નવા વરસને વધાવવા ઘંટ વાગે. આ દરેક વખતે ઘંટ અમુક ચોક્કસ રીતે વાગે એટલે તે શા માટે વાગી રહ્યો છે તે શ્રદ્ધાળુઓ સમજી જાય. હોર્નિમન સર્કલ પર આવેલા અને ખૂબ જાણીતા એવા સેન્ટ થોમસ ચર્ચનો ઘંટારવ આજે પણ દૂર સુધી સંભળાય છે.

પણ ચર્ચના ઘંટ અંગે એક ખાસ વાત માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજો પહેલાં મુંબઈ અને તેની આસપાસનો ઘણો પ્રદેશ પોર્ટુગીઝ હકૂમત હેઠળ હતો. પોર્ટુગીઝોએ ઘણાં ચર્ચ બાંધેલાં અને તે દરેકમાં ઘંટ હતા. મુંબઈમાં દાદર, ગિરગામ જેવી કેટલીક જગ્યાએ પોર્ટુગીઝ ચર્ચ આજે પણ છે. પણ મુંબઈની બહાર વસઈ, ઠાણે, અને બીજા પ્રદેશોમાંનાં પોર્ટુગીઝ ચર્ચ આજે ખંડિયેર બની ગયાં છે. પણ આજે તેમાં ઘંટ જોવા મળતા નથી. કેમ? પહેલાં તો માની લીધેલું કે નધણિયાતા ખંડેરોમાંથી ઘંટ ચોરાઈ ગયા હશે. પણ ના. એમાંના ઘણા ઘંટ આજે મહારાષ્ટ્રના કોઈ ને કોઈ હિંદુ મંદિરમાં જોવા મળે છે! જો કે કેટલાક મંદિર એ ઘંટ વાપરતા નથી, માત્ર લટકાવી રાખે છે.

એમ કેમ? કારણ ખ્રિસ્તી ચર્ચ અને હિંદુ મંદિર, બંનેમાં ઘંટનો ઉપયોગ જુદી રીતે થાય છે. ચર્ચમાં તેનો ઉપયોગ આસપાસના શ્રદ્ધાળુઓને સંદેશો પહોંચાડવા માટે થાય છે. જ્યારે મંદિરોમાં આરતી ટાણે, આરતીના ભાગ રૂપે, ઘંટારવ થાય છે. એ ઉપરાંત ભક્તો આવતાં-જતાં ઘંટ વગાડે છે. એટલે ચર્ચના ઘંટ ઘણા મોટા હોય છે જેથી અવાજ પડઘાય અને દૂર સુધી જાય. તેની જીભ પણ એવી રીતે બનાવેલી હોય છે કે બને તેટલો મોટો અવાજ થાય. જ્યારે મંદિરના ઘંટમાં બહુ મોટો અવાજ જરૂરી નથી. કારણ મંદિર બહાર કોઈને સંદેશો મોકલવાનો નથી. આરતી વખતે નગારાં, ઝાંઝ, પખાજ વગેરેનો ઉપયોગ પણ ઘણાં મંદિરમાં થાય છે. ત્યારે એનો અવાજ દબાઈ જાય એટલો મોટો ઘંટનો અવાજ ન હોવો જોઈએ. એટલે કેટલાંક મંદિરોમાં ઘંટની જીભ કાઢી અથવા બાંધી દેવામાં આવે છે, જેથી કોઈ એ ઘંટ વગાડે નહિ. પણ આગુ સે ચલી આઈ હૈ એ ન્યાયે ઘંટ મંદિરમાં બંધાયેલો રહે છે.

નાશિકના મંદિરમાં પોર્ટુગીઝ ચર્ચનો ઘંટ

ચર્ચના ઘંટ મંદિરમાં કઈ રીતે પહોંચ્યા એનો પણ રસિક ઇતિહાસ છે. એક શબ્દમાં કહેવું હોય તો એનું કારણ છે યુદ્ધ. ૧૭૩૭ના માર્ચની ૨૮ તારીખથી ૧૭૩૯ના મે મહિનાની ૨૩મી તારીખ સુધી ચાલેલું પોર્ટુગીઝો અને મરાઠા વચ્ચેનું યુદ્ધ. બાજીરાવ પેશ્વાના નાના ભાઈ ચીમાજી આપ્પાની સરદારી નીચે મરાઠા સેનાએ વસઈ અને તેની આસપાસના પ્રદેશ પર આક્રમણ કર્યું, અને અંતે પોર્ટુગીઝ હાર્યા. પોતાનાં કિલ્લા, ચર્ચ, કોઠી (ઓફિસ) વગેરે રેઢાં મૂકીને પોર્ટુગીઝ ભાગ્યા. એ વખતે ચૌલ, વસઈ, દહાણુ, પાલઘર, દમણ, સાલસેટ, મુંબઈમાં બધું મળીને લગભગ ૧૦૦ પોર્ટુગીઝ ચર્ચ હતાં. તેમાંના કેટલાક ચર્ચના ઘંટ કઢાવીને પોતાના સૈન્યના સરદારોને વિજયની ખુશાલીમાં ચીમાજીએ ભેટ આપ્યા! પણ આવી મસ મોટી, ભારે, ભેટ ઘરમાં તો સાચવવી મુશ્કેલ. એટલે સરદારોએ એ ઘંટ પોતાના વિસ્તારના કોઈ ને કોઈ મંદિરને ભેટ આપી દીધા! નાશિકના રામેશ્વર મંદિરમાં, ઓસ્માનાબાદના તુળજાભવાની મંદિરમાં, પૂણેના ભીમાશંકર મંદિરમાં, કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં, આજે પણ આવા ચર્ચના ઘંટ જોવા મળે છે.

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ચીરા બજાર

પણ આ ઘંટ અગાઉ પોર્ટુગીઝ ચર્ચમાં હતા એમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? એક, એમાંના કેટલાક ઘંટ પર Made in Portugal કે Made in Goa એવું કોતર્યું છે. બીજું, ખ્રિસ્તી ધર્મના બે મુખ્ય ફાંટા છે, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. તેમાં રોમન કેથલિક સંપ્રદાયમાં મધર મેરી પૂજાય છે, પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં નહિ. એટલે કેથલિક સંપ્રદાયના ચર્ચના ઘંટ પર AM અક્ષરો કોતર્યા હોય છે, જે લેટિન Ave Mariaના સંક્ષેપાક્ષરો છે. જ્યારે પ્રોટેસ્ટન્ટ ચર્ચના ઘંટ પર IHS અક્ષરો કોતર્યા હોય છે જે ઈશુ ખ્રિસ્તના નામના સંક્ષેપાક્ષરો છે. આ ઉપરાંત ઘણાખરા ઘંટ પર ક્રોસ પણ કોતરેલો હોય છે. હવે, જો મંદિરના ઘંટ પર આમાંની કોઈ નિશાની હોય તો દેખીતું છે કે એ ઘંટ પહેલાં કોઈ પોર્ટુગીઝ ચર્ચમાં હતો. અને હા, આ યુદ્ધ પહેલાં જે ઘંટ વસઈના પોર્ટુગીઝ ચર્ચમાં હતા તેમાંનો એક ઘંટ મુંબઈમાં પણ જોવા મળે છે. ક્યાં? ગિરગામ રોડ પરના ચીરા બજાર વિસ્તારમાં ૧૮૭૨માં  બંધાયેલા  અને આજે પણ અડીખમ ઊભેલા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચમાં. પણ ૧૮૭૨ પહેલાં આ ઘંટ ક્યાં હતો, અને અહીં કેવી રીતે આવ્યો એ એક કોયડો છે. પણ એક રીતે તો આખી મુંબઈ નગરી જ કોયડાઓની નગરી છે ને!

પ્રીતમ લખલાણી

પ્રતિભાવ:

જિંદગી પણ કેવી છે? મુંબઈમાં જન્મ્યો અને અમેરિકા આવ્યો ત્યાં સુઘી ઘાટકોપરમાં જ રહ્યો/જીવ્યો. આજે અમેરિકામાં ૪૫ વરસ વીતી ગયા પછી પણ હું મુંબઈથી દૂર જઈ શકયો નથી. તમારો પ્રત્યેક લેખ વાચું છું અને જાણે મુંબઈમાં છું એમ વાંચતાં વાંચતાં પ્રત્યેક ક્ષણે જીવું છું, મેં માણેલું, જીવેલું મારું મુંબઈ. ખૂબ ખૂબ આભાર સાથે આવતા લેખની રાહ જોતો અરબી સમુદ્રનો છોરો … પ્રીતમ લખલાણી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2022

Loading

...102030...1,5751,5761,5771,578...1,5901,6001,610...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved