Opinion Magazine
Number of visits: 9569941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આભાસી શિક્ષણનું જમીની વાસ્તવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 March 2022

અભૂતપૂર્વ શૈક્ષણિક કટોકટીમાં છેલ્લાં બે એક વરસોથી દેશ અને દુનિયા જીવી રહ્યાં છે. કોરોના મહામારીના કપરા બે વરસોથી વિશ્વના ભારતની કુલ વસ્તી જેટલાં બાળકો શાળાઓથી દૂર રહ્યાં હતાં. ભારતમાં ૧૫.૫ લાખ શાળાઓના ૨૪.૮ કરોડ વિધ્યાર્થીઓ લાંબા સમયથી શાળાબંધી સહન કરી રહ્યાં છે. શાળા, શિક્ષકો, દોસ્તારો, ખાણીપીણી, રમતગમત અને એવી કંઈક ચીજોથી દૂર બાળકોના મનમાં ચાલતી ઉથલપાથલ અંગે સમાજ અને સરકાર બેપરવા લાગે છે. ભૌતિક રીતે લાંબા સમયથી બંધ શિક્ષણ આભાસી રીતે ચાલુ જ હોવાના દાવાઓ જરૂર થાય છે, પણ જમીની સચ્ચાઈ સાવ જુદી છે.

ઓનલાઈન શિક્ષણમાં જેટલી પ્રાથમિકતા ઉપલા ધોરણોને અપાય છે તેટલી નાના બાળકોને અપાતી નથી. ત્રણથી છ વરસના પૂર્વ પ્રાથમિક અને પહેલા-બીજા ધોરણના બાળકો અને તેમનાં વાલીઓ શાળાકીય શિક્ષણ તથા તત્સંબંધિત પ્રવૃતિઓ બંધ હોવાની સૌથી વધુ પીડા ભોગવી રહ્યા છે. છેલ્લા બે વરસમાં પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં દાખલ થનારા બાળકોની સંખ્યા ઘટી છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતમાં છ થી દસ વરસના ૧.૮ ટકા બાળકો શાળા બહાર હતા. આ વરસે તે વધીને ૫.૩ ટકા થયા છે.

નર્સરી અને જુનિયર-સિનિયર કે.જી.નું ઓનલાઈન શિક્ષણ બાળકો અને તેમના માવતર માટે ભારરૂપ બની ગયું છે. બાળકોના શિક્ષણ પ્રવેશનો આ ગાળો વર્ગખંડ શિક્ષણ કરતાં રમતગમત, હળવા-મળવા અને દેખભાળનો છે. પરંતુ બાળક ઘરમાં જ પૂરાઈને ભણતું હોવાથી તેના મનમાં કદાચ શાળા અને શિક્ષણ પ્રત્યે દુર્ભાવ પેદા થવાની ભીતિ રહે છે. વળી માતાપિતાએ જ શિક્ષકની ભૂમિકા નિભાવવાની આવે છે અને તેઓ મોટે ભાગે બાળશિક્ષણના નિષ્ણાત ન હોવાથી બાળકની શાળાવિમુખતા વધી શકે છે. આ બધી બાબતો તો ભણેલા, થોડા સમૃદ્ધ અને ઓનલાઈન શિક્ષણ જેમની પહોંચમાં છે તેમને લાગુ પડે છે. પરંતુ બહુ મોટો ગરીબ વર્ગ તેની બહાર છે.

કોરોના કાળના આભાસી શિક્ષણની મર્યાદાઓ અનેક સર્વેક્ષણો અને અધ્યયનોમાં છતી થઈ છે. ભારે સામાજિક-આર્થિક અસમાનતા ધરાવતા ભારતમાં ઓનલાઈન શિક્ષણના ઉપકરણો(કમ્પ્યૂટર, લેપટોપ, સ્માર્ટફોન)ના અભાવે પેદા થયેલો ડિજિટલ ડિવાઈડનો ભેદભાવ નાનોસૂનો નથી. ‘એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ’ (અસર) ૨૦૨૧માં ડિજિટલ ડિવાઈડની વ્યાપકતા અને અસરો નોંધાઈ છે. દેશમાં મોબાઈલ ફોનની ખપત વધી છે ૨૦૨૦માં દેશના ૬૧.૮ ટકા ઘરોમાં મોબાઈલ ફોન હતા જે વધીને ૨૦૨૧માં ૬૭.૬ ટકા થયા છે, પણ હજુ તે બધાની પહોંચમાં નથી. બિહારના ૪૫.૬ ટકા, પશ્ચિમ બંગાળના ૪૧.૬ ટકા અને ઉત્તર પ્રદેશના ૪૧.૧ ટકા બાળકોના ઘરમાં હજુ સ્માર્ટ ફોન પહોંચ્યો નથી. એટલે આ રાજ્યોના અડધોઅડધ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ એક સ્વપ્ન છે.

જે પરિવારો પાસે ફોન છે તે કુટુંબની મુખ્ય વ્યક્તિનો હોઈ તેની બાળકોના ઓનલાઈન શિક્ષણ માટેની ઉપલબ્ધતા સીમિત છે. ઘરના એક કરતાં વધુ બાળકોના એક જ સમયે ઓનલાઈન શિક્ષણ માટે તો ઓર મુશ્કેલીઓ છે. શહેરોમાં ૨૪ ટકા અને ગામડાંઓમાં ૧૫ ટકા જ બાળકો નિયમિત ઓનલાઈન ભણી શકે છે. ગ્રામીણ દલિત-આદિવાસી માત્ર ૪ ટકા અને કથિત ઉચ્ચ વર્ણના ૧૫ ટકા જ બાળકો ઓનલાઈન શિક્ષણના નિયમિત લાભાર્થી હતા, આ હકીકત દેશનો કેટલો મોટો વર્ગ શિક્ષણથી વંચિત રહ્યો છે તે દર્શાવે છે. ગરીબ વંચિત સુધી શિક્ષણ પહોંચ્યું નથી. ત્યારે આભાસી શિક્ષણે શિક્ષણના ક્ષેત્રે અગાઉથી પ્રવર્તતી વિષમતાની ખાઈને વધુ પહોળી અને ઊંડી બનાવી છે.

શાળાઓ બંધ હોવાથી લાંબા અને ટૂંકા ગાળાની અસરો શિક્ષણ પર પડી છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના અભ્યાસનું તારણ છે કે પ્રાથમિક શાળાના ૮૨થી ૯૨ ટકા વિદ્યાર્થીઓએ ભાષા અને ગણિત કૌશલ ગુમાવ્યું છે. અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ [Jean Drèze] અને અન્યનો અભ્યાસ જણાવે છે કે વંચિત વર્ગોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રસાર ખૂબ ઓછો છે આભાસી શિક્ષણ તેમના માટે અભિશાપ નિવડ્યું છે. કેમ કે ઓનલાઈન શિક્ષણની સામગ્રી ઉપલબ્ધ નહોતી, ગરીબ-અભણ વાલીઓને તેની કશી જાણકારી નહોતી, નાનાં બાળકો ઓનલાઈન શિક્ષણ યોગ્ય રીતે સમજી શકતા નહોતા કે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નહોતા. ધોરણ ૩થી ૫ના ગ્રામીણ બાળકો ૪૨ ટકા અને શહેરી બાળકો ૩૫ ટકા જ થોડું વાંચી શકતા હતા. ગામડાંઓમાં ૭૫ અને શહેરોમાં ૭૬ ટકા બાળકોની વાંચવાની ક્ષમતા ઘટી છે. ૧૦થી ૧૪ વરસનાં બાળકોનો રાષ્ટ્રીય સાક્ષરતા દર ૨૦૧૧માં ૯૧ ટકા હતો તે એક દાયકે ઘટીને ગામડાંઓમાં ૬૬ અને શહેરોમાં ૭૪ ટકા થયો છે. શાળાઓ બંધ હોવાથી તે હજુ ઘટશે અને શિક્ષણના નબળા સ્તરની અસરો લાંબાગાળા સુધી જોવા મળશે.

સંપન્ન અને શહેરી ઈન્ડિયાનાં બાળકોનાં શિક્ષણ પર લર્નિંગ એપ્સ અને ટ્યુશન-ટ્યુટોરિયલ ક્લાસીસના કારણે ખાસ અસર જોવા મળશે નહીં. પરંતુ ગરીબ વંચિત ભારતનાં બાળકોનાં શિક્ષણ પર ભરપાઈ ન થઈ શકે તેટલી મોટી અસર થઈ છે. ‘રાઈટસ ટુ એજ્યુકેશન ફોરમ’નો મત છે કે ભારતમાં ૧ કરોડ બાળકીઓ શિક્ષણ છોડી દેશે. તેઓ ગરીબ માબાપના વૈતરાંમાં જોતરાઈ ગઈ છે. બાળલગ્ન, બાળશ્રમ, બાળતસ્કરીનું ચલણ વધ્યું છે. બાળકો સંક્રમિત થવાના ભયથી શાળાઓ બંધ રખાઈ છે. પરંતુ ગરીબ શ્રમિકોનાં સંતાનો ઘરે કે માબાપ સાથે મજૂરીના સ્થળે સંક્રમિત થવાનો વધુ ભય છે. મધ્યાહ્ન ભોજન બંધ હોવાના અને માબાપની મજૂરી ઘટવાને કારણે બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

નિરીહ બાળકો અને તેમનું શિક્ષણ દેશના નીતિનિર્ધારકોની પ્રાથમિકતા જ નથી. ઓનલાઈન શિક્ષણે ગરીબ વંચિત વર્ગોનાં બાળકોને પાછળ ધકેલી દીધા છે તેનો ઉપાય કરવાને બદલે કેન્દ્ર સરકારે બજેટમાં ૨૦૦ ચેનલ મારફત પૂરક શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે. જેમના સુધી મુખ્ય શિક્ષણ જ નથી પહોંચ્યું, તેમને પૂરક શિક્ષણ આપવાનો, અને તે પણ ટી.વી. ચેનલ મારફત, અર્થ શો ? ખરેખર તો કોરોના મહાનગરોમાં વકરે ત્યારે આખા દેશ કે રાજ્યમાં શાળાબંધી કરવાને બદલે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવો જોઈએ. ખાનગી શાળાઓએ શિક્ષણબંધીના સમયમાં પણ ફી વસૂલી છે અને સરકારી શાળાઓના મુકાબલે ઓછું શિક્ષણ આપ્યું છે, એટલે શિક્ષણના ખાનગીકરણને અટકાવી, સરકારી શિક્ષણ માટે પાયાની સગવડો ઊભી કરવાની જરૂર છે.

વિકટ કોરોનાકાળમાં પણ શિક્ષણ ઓનલાઈન ધોરણે સુચારુ રૂપે ચાલુ રહ્યાની સરકારી ગુલબાંગોને હવે રૂક જાવ કહેવાની જરૂર છે. આભાસી શિક્ષણ અંગેના ધરાતલના વાસ્તવને સ્વીકારવું પડશે. છેલ્લાં બે વરસોના શિક્ષણ પર થયેલી ભયાવહ અસરો નાબૂદ કરવા દીર્ઘકાલીન અને ધીરજપૂર્વકના પ્રયાસોની દિશામાં સક્રિય થવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

શેન વોર્ન : સ્પિન બોલિંગનો સિતારો

કિરણ કાપુરે|Opinion - Opinion|11 March 2022

થાઈલેન્ડમાં કોહ સુમોઇ નામના ટાપુ પર સ્પિન કિંગ શેન વોર્નનું શંકાસ્પદ મૃત્યુ થયું. માત્ર 52 વર્ષની ઉંમરે મોજીલા વોર્નીએ વિદાય લીધી. ઑફ ધ ફિલ્ડ રંગીનીમાં દેખાતા વોર્ન ઑન ફિલ્ડ પર પણ પોતાની હાજરીથી ક્રિકેટમાં રંગ ઉમેરતો રહ્યો. 1992થી 2007 સુધી તેણે સ્પિન બોલિંગ દ્વારા ક્રિકેટવિશ્વને કેટકેટલી અદ્ભુત પળો આપી. તેમાંની એક પળ તો આજે ય વારેવારે યાદ કરાય અને જોવાય છે; તે ઇંગ્લેન્ડના જાણીતા બેટ્સમેન માઇક ગેટિંગને નાંખેલો બોલ. 1993માં એશિઝની બીજી ટેસ્ટ મેચમાં માઇક ગેટિંગ ક્રિઝ પર પર હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડરે યુવાન સ્પિન બોલર શેન વોર્નના હાથમાં બોલ આપ્યો. જમણેરી માઇક ગેટિંગની સામે શેન વોર્ને બોલ નાંખ્યો ત્યારે તે બોલ લેગ સ્ટમ્પની લાઈન દોરીથી ખાસ્સો બહાર પડ્યો. ગેટિંગે બોલને છોડી દેવાનું મુનાસિબ માન્યું, પણ બોલ ટર્ન થયો અને ગેટિંગનું ઑફ સ્ટમ્પ ઉડાવી દીધું. ગેટિંગને આ રીત ટર્ન થયેલાં બોલનું આશ્ચર્ય થયું. ઑસ્ટ્રેલિયન ટીમના સભ્યો અને ક્રિકેટ કોમેન્ટ્રેટરોને પણ લાગ્યું કે બોલ અકલ્પનીય રીતે ટર્ન થયો છે. તે પછી આ બોલને ‘બોલ ઑફ ધ સેન્ચુરી’ તરીકે ખ્યાતિ મળી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માંડ હજુ દોઢ વર્ષ થયું હતું ને વોર્ને પોતાના સ્પિનની કરતબ દાખવવાની શરૂ કરી દીધી હતી; પછીના દોઢ દાયકા સુધી લેગ સ્પિન બોલિંગમાં તેનું એકચક્રી શાસન ચાલતું રહ્યું.

ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ શેન વોર્ને આઠ વર્ષ સુધી એવું દમદાર પર્ફોમન્સ આપ્યું કે વિઝડન દ્વારા વીસમી સદીના મહાન ક્રિકેટરોને પસંદગી કરવાની હતી ત્યારે તેમાં પાંચમાંથી એક નામ વોર્નનું આવ્યું. અન્ય ચાર નામોમાં સર ડોનાલ્ડ બ્રેડમેન, સર ગારફિલ્ડ સોબર્સ, સર જેક હોબ્બ્સ અને વિવ રિચાર્ડ્સ હતા. આ યાદીમાં નામ પસંદ કરનારાંઓમાં વિશ્વભરના સો ક્રિકેટ નિષ્ણાતોની સમિતિ બની હતી. વિઝડનની આ યાદીમાં તે વખતે રમી રહેલાં ક્રિકેટરોમાં શેન વોર્ન એક માત્ર હતો. આવી અનેક સિદ્ધિઓથી શેન વોર્નનું જીવન સમૃદ્ધ થયું છે. આજે પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારાં બોલર્સમાં શેન વોર્ન 708 વિકેટ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા તરફથી રમતો વોર્ન ઇંગ્લિશ કાઉન્ટી ટીમ હેમ્પશાયર વતી પણ રમ્યો. આજે જેમ ભારતની આઈ.પી.એલ.ની બોલબાલા છે તેમ એક વખતે ઇંગ્લિશ કાઉન્ટી વતી રમવાનો ક્રિકેટરોમાં ક્રેઝ હતો. નિવૃત્તિ પછી વોર્ન આઈ.પી.એલ.માં રાજસ્થાન રોયલ્સનો મેન્ટર પણ બન્યો. એવું કહેવાય છે કે ક્રિકેટ વિશ્વમાં જ્યારે લેગ સ્પિન બોલિંગ મૃત્યુશૈય્યા પર હતી, ત્યારે વોર્ને તેને જીવંતદાન તો આપ્યું, પણ પછી એ લેગ સ્પિન બોલિંગને અમર બનાવી ગયો. તદ્ઉપરાંત કોમેન્ટ્રી સહિત અસંખ્ય પ્રવૃત્તિ સાથે તેનું જોડાણ હતું. ક્રિકેટની તેની આસમાની બુલંદીમાં કેટલાક કાળા ડાઘે ય લાગ્યા હતા; તેમાં ડ્રગ્સનું સેવન, અનૈતિક સંબંધ અને બુકીઓ પાસેથી પૈસા લેવાના આરોપ હતા. આ આરોપમાં ક્યાં ય શેન વોર્ન બચી શકે એમ નહોતો. ડ્રગ્સ સેવન બદલ તો તેના પર પ્રતિબંધ પણ લાગી ચૂક્યો હતો. જો કે આ બધું ય છતાં વોર્ન ક્યારે ય ઓન-કેમેરા ડિસ્ટર્બ દેખાયો નથી, તે તો ‘હું આવો જ છું’ તેમ બેફિકર લાગ્યો છે.

વોર્નની આ છબિ શરૂઆતથી રહી અને તેથી જ્યારે નેવુંના દાયકા પછી ક્રિકેટમાં બદલાવ આવતાં ગયા, તેમાં વોર્ન બરાબર ફિટ બેસતો ગયો. સફેદમાંથી રંગીન કપડાંમાં ગ્રાઉન્ડમાં ઉતરતાં ક્રિકેટરોમાં વોર્નનો મિજાજ બરાબર ગોઠવતો હતો. તેની કારકિર્દીની શરૂઆત મેચો સામાન્ય રહી. પણ 1993માં એશિઝ સિરીઝથી વોર્નનું ઇન્ટરનેશન ક્રિકેટમાં નામ ઝળકવા લાગ્યું. આ સિરીઝમાં છ ટેસ્ટમાં તેની સૌથી વધુ 34 વિકેટો હતી. 1993થી 1999માં વોર્નનો જાદુ એ રીતે ચાલતો ગયો કે તે ત્રણસો ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ સુધી પહોંચ્યો. તે પછી ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટનશીપ મળી. આ પછીના પડાવ ડ્રગ્સ સેવન, પુનરાગમન અને નિવૃત્તિનો રહ્યો, પણ કારકિર્દી પૂર્ણ થાય ત્યાં સુધી વોર્નનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ચૂક્યું હતું.

સુનિલ ગાવાસ્કરની વોર્નના અવસાન પછી એવી કોમેન્ટ આવી કે વોર્નનો ભારત સામેનો દેખાવ સાવ સામાન્ય કક્ષાનો રહ્યો છે. આ વાત સાચી છે કે વોર્નનું સૌથી નબળું પર્ફોમન્સ ભારત સામે રહ્યું છે. આમે ય ભારતીય ઉપખંડ સિવાયના સ્પિન બોલરોમાં ભાગ્યે જ કોઈ ભારત સામે દમદાર પર્ફોમન્સ આપી શકે. પરંતુ વોર્નનો અન્ય દેશ સામેનો દેખાવ નજરઅંદાજ ન કરી શકાય. ઓસ્ટ્રેલિયાના કટ્ટર પ્રતિસ્પર્ધી રહેલાં ઇંગ્લેન્ડ સામે વોર્ને 36 મેચમાં 195 વિકેટ લીધી છે અને એ રીતે સાઉથ આફ્રિકા સામે 24 મેચમાં 130 વિકેટ. એશિયાઈ દેશો  શ્રીલંકા અને પાકિસ્તાન સામે પણ વોર્નનો દેખાવ પ્રભાવશાળી છે. બોલિંગની સાથે સાથે વોર્ન ઠીકઠાક બેટિંગ પણ કરી છે તે તેના રેકોર્ડ પરથી જાણી શકાય. 145 ટેસ્ટ મેચમાં તેના રન 3,154 છે અને તેમાં બાર અડધી સદી છે. ઓસ્ટ્રેલિયાની એવરગ્રીન ટીમમાં બોલિંગ જ નહીં બેટિંગ દ્વારા પણ વોર્નની ખાસ જગ્યા બની હતી. એટલે ગાવાસ્કરે ય વોર્નની મહાનતા ભારત સંદર્ભે ભલે નકારી હોય, પણ આંકડા જોતાં વોર્ન ક્રિકેટ લિજેન્ડમાં સ્થાન પામે છે.

વોર્નનું પર્ફોમન્સ જેમ ટેસ્ટમાં દમદાર રહ્યું તેમ વન ડેમાં 194 મેચમાં તેની વિકેટો 293 છે. વન ડેમાં કેટલીક મેચો વોર્નના કારણે યાદ કરી શકાય. આવી એક મેચ એટલે 1999ના વર્લ્ડ કપમાં રમાયેલી સેમિ ફાઈનલ. આ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 213 રન કર્યા હતા. પ્રતિસ્પર્ધી સાઉથ આફ્રિકાની મજબૂત બેટિંગ લાઇનઅપ જોતા આ ટારગેટ સુધી પહોંચી જશે તેવું સૌને લાગતું હતું. ઓપનર હર્ષલ ગીબ્સ અને ગેરી કર્સ્ટનની પાર્ટનરશીપ જે આગળ વધી રહી હતી, તે પરથી તેમને આઉટ કરવું અશક્ય લાગતું હતું. બાર ઓવર સુધી 48 રનનો સ્કોર હતો. વોર્ન બોલિંગમાં આવ્યો અને તેણે ગિબ્સને બોલ્ડ કર્યો. બસ, તે પછી ધીરે-ધીરે સાઉથ આફ્રિકાની ટીમ ધરાશયી થતી ગઈ. આ મેચમાં વોર્ને માત્ર 29 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. મેચમાં પ્લેયર ઑફ ધ મેચ શેન વોર્ન બન્યો. આવી અનેક મેચો છે જે શેન વોર્ને પ્રતિસ્પર્ધીઓના હાથમાંથી લઈને ઓસ્ટ્રેલિયાને વિજયી ટીમનો ખિતાબ અપાવ્યો.

શેન વોર્નનો જાદુ ચાલ્યો હોય એવી બીજી એક ટેસ્ટ મેચ 2005ની છે. આ મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન એન્ડ્રુ સ્ટ્રોસને જે રીતે બોલ્ડ કર્યો તે અચંબિત કરનાર છે. એન્ડ઼્રુ સ્ટ્રોસ ડાબેરી બેટ્સમેન છે અને તેના માટે વોર્નનો બોલિંગ ટપ પડીને અંદરની બાજુ આવે. એન્ડ્રુ સ્ટ્રોસ રમતો હતો ત્યારે બોલ ઓફ સ્ટમ્પની લાઈનથી એટલો બધો બહાર પડ્યો કે તેને પગથી જ રોકી લેવા માટે એન્ડ્રુ સ્ટ્રોસ આગળ આવીને પેડ મારવા ગયો. પણ બોલ સ્ટ્રોસે ધાર્યા હતો એના કરતાં વધુ ટર્ન થયો અને લેગ સ્ટમ્પ ઊડી ગયું. ગ્રેટેસ્ટ બોલમાં ગણના થાય તેવાં અનેક બોલ વોર્ન દ્વારા ક્રિકેટ પિચ પર પડ્યા છે. સ્વાભાવિક છે કે તેમાં જે બોલ પર વિકેટ મળી હોય તેની જ ગણતરી થઈ હોય.

ગોડ ગિફ્ટેટ આ કરતબને વોર્ને ખૂબ નિખાર્યું અને પૂરી કારકિર્દી દરમિયાન પોતાના સ્પિન બોલિંગનો દબદબો જાળવી રાખ્યો. જેમ તેણે નાંખેલા દડા અદ્વિતીય હતા, તેમ તેની શારીરિક વિશેષતાયે હતી. તેની એક આંખ ગ્રીન હતી અને બીજી બ્લ્યુ. આંખની આ સ્થિતિને ‘કમ્પ્લીટ હેટેરોક્રોમિયા’ નામથી ઓળખાય છે. તેણે પોતાના નામનું ફાઉન્ડેશન પણ ઊભું કર્યું હતું, જેમાં ગરીબ બીમાર બાળકોની સારવાર થતી અને મદદેય થતી. આ કામ તેના નિવૃત્તિ પછી ખાસ્સું એવું વિસ્તર્યું હતું. આ બધાની સાથે તેનો રંગીન મિજાજની ખબરો પણ મીડિયામાં અવારનવાર આવતી રહેતી. નિવૃત્તિ પછી પણ મીડિયામાં વોર્નનું નામ ચમકતું રહ્યું છે અને તેના વિદાય પછી પણ વોર્ન ક્રિકેટમાં બુલંદ સિતારો બની રહેશે.

અલવિદા વોર્ન.

e.mail : kirankapure@gmail.com

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (28)

સુમન શાહ|Opinion - Opinion|11 March 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક -9 : સાર્ત્રના પૂર્વસૂરિઓ :

સાર્ત્ર એમના પૂર્વસૂરીઓથી કેટલા અને શા માટે જુદા પડે છે એ વાતને એક દોડતી કલમે કહી જવા માગું છું.

દેકાર્તથી શરૂ કરું :

દેકાર્ત (1596-1650) ‘સ્કૉલેસ્ટિસિઝમ’ કહેવાતી પરમ્પરાની સ્થાપનાઓને ઓળંગી ગયેલા. સ્કૉલેસ્ટિસિઝમ ફિલસૂફીની મધ્યયુગીન શાખા હતી, એમ કહેવાયું છે. ૧૧૦૦થી ૧૭૦૦ દરમ્યાન યુરપની યુનિવર્સિટીઓમાં ‘લેટિન કૅથોલિક થેઇસ્ટિક’ અભ્યાસક્રમો અનુસાર શિક્ષણ અપાતું હતું. એ ભૂમિકાએ સ્કૉલેસ્ટિસિઝમમાં, જ્ઞાનપ્રાપ્તિ માટે ‘ડાયલૅક્ટિક રીઝનિન્ગ’-નો આગ્રહ વિકસ્યો હતો. એ વડે અનુમાનો કરાય અને વિરોધાભાસોનું નિરસન થાય. એમાં પ્રમુખ સ્થાપના એ હતી કે વિચારો વસ્તુપદાર્થોને ઓળખવાનું ઉપકરણ છે. દેકાર્ત એથી ફંટાઈને જુદું કહે છે.

દેકાર્ત કહે છે કે તત્ત્વચિન્તનનો પ્રારમ્ભ વિચારવાથી થાય છે. ચિન્તક પ્રત્યેક પદાર્થને વિશે શંકા અને પ્રશ્ન કરીને ચિન્તનનો પાયો નાખે છે. તેમ છતાં, એક ચીજ એવી છે જેને વિશે માણસ શંકા નથી કરી શકતો અને એ ચીજ તે, એ પોતે. ફિલસૂફીનું કર્તવ્ય એ છે કે એ માણસને માણસ વિશે વિચારતો કરે.

દેકાર્ત મોટું પરિવર્તન લઇને આવ્યા. એમણે કહ્યું – cogito ergo sum – I think, there for I – હું વિચારું છું, માટે છું. એમણે હોવાપણાની પ્રતીતિને આગળ કરી. દર્શાવ્યું કે એ પ્રતીતિ – હું મને વિચારું ત્યારે થાય – મારે વિશે પ્રશ્ન ઊભો કરું ત્યારે થાય – મારા વડે હું અને હું વચ્ચે અન્તર સરજાય ત્યારે જ દ્વૈતનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે.

દેકાર્તના દ્વૈતવાદમાં બે ભૂમિકાઓ વર્ણવાઈ છે – ચૈતસિક અને શારીરિક. ચૈતસિકને શરીરની અનિવાર્યતા નથી અને શરીર એકલું કશું વિચારી શકતું નથી. ચૈતસિક આવિષ્કારો – મેન્ટલ ફીનૉમિના – શારીરિક નથી, મતલબ, ચિત્ત અને શરીર સ્પષ્ટ રૂપે જુદાં છે. આ સમજને કારણે ચિત્ત અને વસ્તુપદાર્થ તથા વિષયી અને વિષય જેવાં દ્વૈત નક્કી થયાં. દેકાર્તે ચિત્તને જ ચેતના ગણી લીધી, સમ્પ્રજ્ઞતા ગણી લીધી, અને એ પ્રકારે મગજને જુદું પાડ્યું. મગજને બહુ બહુ તો બુદ્ધિનું નિવાસસ્થાન કહી શકાયું.

આ પરિવર્તન એક નવપ્રસ્થાન પુરવાર થાય છે. દેકાર્તથી કાન્ટ સુધીના ફિલસૂફીપરક વિકાસમાં એનું મહત્ યોગદાન છે.

દેકાર્તના કાર્ટિસિયનિઝમના પાયામાં ૪ બાબતો પ્રાધાન્ય ભોગવે છે : ૧ : પ્રારમ્ભિક સંશય – વિશ્વના અસ્તિત્વને વિશે શંકા : ૨ : વિચારદ્રવ્ય કયું? સ્વના અસ્તિત્વની અકાટ્યતા : ૩ : જ્ઞાન શું છે? જ્ઞાન – વિભાવન : ૪ : ચિત્ત અને જડ પદાર્થો વચ્ચેનું દ્વૈત.

સાર્ત્ર મોટે ભાગે આ ચારેય બાબતોનું માળખું રચીને ચાલ્યા છે.

‘નૉસિયા’નો નાયક રૉકિન્તવૉં પોતાના અસ્તિત્વને, પોતાના ખરા સ્વને, પામે છે. એને થાય છે કે વિશ્વનો પોતે પૂરેપૂરા અર્થમાં મુક્ત એવો એજન્ટ છે. એવી પ્રતીતિ એને તર્કને લીધે નથી થઈ પરન્તુ વસ્તુઓ સાથેના સન્નિકર્ષને લીધે થઈ છે. સાર્ત્રનો એ નાયક વિચારોનું તાર્કિક પૃથક્કરણ નથી કરતો, તેનો સાક્ષાત્કાર કરે છે.

સાર્ત્ર વાસ્તવના સાક્ષાત્કાર માટે સમ્પ્રજ્ઞતાને અનિવાર્ય ગણે છે. કદાચ એ બિન્દુએથી એમણે પ્રારમ્ભ કર્યો છે. વાસ્તવિકતાને પોતાને હોવા માટે કશા કારણની જરૂરત નથી હોતી, તે માત્ર હોય છે. ‘નૉસિયા’-માં વાસ્તવિકતા એક જાતની ઉબક છે. અથવા ચીતળી ચડે કે તમ્મર આવી જાય એવી એ એક ન-ગમતી અવસ્થા છે, પરિસ્થિતિ છે.

વાસ્તવને અર્થપૂર્ણ બનાવવા વ્યક્તિ જ્યારે પોતાના સ્વાતન્ત્ર્યનો તેમ જ પોતાના દાયિત્વનો પૂરી પ્રામાણિકતાથી સામનો કરે છે ત્યારે, એને visceral cogito કહેવાય છે – અન્તસ્થ, જન્મજાત અથવા વૃત્તિજન્ય સિદ્ધાન્ત. સાર્ત્ર એ સિદ્ધાન્તે જઈ પ્હૉંચ્યા.

સાર્ત્ર હ્યુસેર્લ અને હાઇડેગરમાં જોડાયા લાગે છે. પરિણામે તેઓ જર્મન તત્ત્વચિન્તનની પરમ્પરામાં જોડાયા જણાય છે. જોડાણની કડી છે એમનું અસ્તિત્વવાદી દર્શન તેમ જ બધા જ અસ્તિત્વવાદી ચિન્તકોએ કરેલું ચિન્તન – જેમાં કિર્કેગાર્દ નિત્શે યેસ્પર્સ હ્યુસેર્લ અને હાઈડેગર મુખ્ય છે.

હ્યુસેર્લ (1859-1938) અને ફીનોમિનોલૉજિ, બન્ને, સાથેસાથે યાદ આવે. આ જર્મન ફિલસૂફે ફીનોમિનોલૉજિની સ્થાપના કરી. ફીનોમિનોલૉજિ એટલે, સાદી રીતે કહીએ તો, આવિષ્કારોનું કે ઘટનાઓનું શાસ્ત્ર. એને ‘સાયન્સ ઑફ ઇસેન્સિસ’ પણ કહેવાય છે. એને મનોવિજ્ઞાનની મહત્ત્વની શાખા પણ કહેવાય છે. તેમ છતાં એમાં મનોવિશ્લેષણો અને ચિત્તનાં મનોભાવપરક કે પરિણામજનક પાસાંની સરખામણીએ ઇન્દ્રિયપ્રત્યક્ષો અને ઇન્દ્રિયપ્રત્યક્ષોને વિષય બનાવતી વિદ્યાશાખાઓ પર વધારે ધ્યાન અપાયું છે.

હ્યુસેર્લે જર્મન સંજ્ઞા ‘લેબેન્શ્વેલત’ જેને અંગ્રેજીમાં ‘લાઇફવર્લ્ડ' કહેવાય છે, તેવો બહુ ઉપકારક વિભાવ રચ્યો છે. હું એને ગુજરાતીમાં ‘જીવનવિશ્વ’ કહું છું – વિશ્વનું જીવન નહીં પણ વ્યક્તિ વડે જિવાતાં જિવાતાં સરજાયેલું વિશ્વ.

હળવાશ ખાતર અમથાલાલનું દૃષ્ટાન્ત જોડું : અમથાલાલે પુરું ગુજરાત પણ ન જોયું હોય, ચિન જપાન કે યુરપ અમેરિકાની તો વાત જ ક્યાં ! પણ અમથાલાલ એમના ગામમાં, એમના ફળિયામાં, ૪-૫ મિત્રો સાથે, ૧-૨ પ્રિયાઓ સાથે, ને છેવટે ૧ પત્ની સાથે ભરપૂર જીવ્યા હોય, પળ પળ જીવ્યા હોય. એમાંથી એમની એક આગવી દુનિયા બની હોય, એમનું પોતાનું જ કહેવાય એવું એક વિશ્વ રચાયું હોય, જેને એમનું ‘જીવનવિશ્વ’ કહી શકાય.

Pic courtesy : Cambridge University Press.

'જીવનવિશ્વ' અહંતા, જિવાયેલું શરીર, અન્યતા, જિવાયેલો સમય અને જિવાયેલા સ્થળનું બન્યું હોય છે.

પ્રારમ્ભે હ્યુસેર્લની ફીનૉમિનોલોજિ દેકાર્ત અને કાન્ટને અનુસરતી હતી, પરન્તુ ‘જીવનવિશ્વ’ વિભાવનાને કારણે એમાં મોટું પરિવર્તન આવ્યું. ત્યારે તેઓ ચેતનાને જ ફિલસૂફીનું મહત્ ઉપકરણ ગણતા હતા – ચેતનાથી પ્રશ્ન કરાય, ઉત્તર મેળવાય, વાસ્તવને વિશેનાં જજમૅન્ટ મેળવાય, ચેતના જ રચનાઓ કરે, ચેતના જ ઘડે અને બધું વિકસાવે …

‘જીવનવિશ્વ’ વિભાવનાને કારણે હ્યુસેર્લે દર્શાવ્યું કે વિશ્વમાં ચેતના પહેલેથી છે. સામાજિક અને સાંસ્કૃતિક રીતે કે ઐતિહાસિક રીતે રચાયેલા અર્થોના જગતમાં ચેતના પહેલેથી વ્યાપારશીલ છે. પરિણામે, ત્યારથી ફીનૉમિનોલોજિ શુદ્ધ ચેતનાનું નહીં પણ સંદર્ભોથી ઊભા થતા અર્થો સાથે જોડાયેલી ચેતનાનું અધ્યયન બની …

આ પછી, હ્યુસેર્લના વિદ્યાર્થી હાઇડેગર (1889–1976) વિશે …

= = =

(March 10, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5691,5701,5711,572...1,5801,5901,600...

Search by

Opinion

  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved