Opinion Magazine
Number of visits: 9570036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કપરી કિમ્મત

આનંદરાવ|Opinion - Short Stories|19 March 2022

અશોક અને આશાનાં લગ્નને અઢાર વર્ષ થઈ ગયાં હતાં, બધી રીતે સુખી સંસાર. તેર વર્ષનો દીકરો ને અગિયાર વર્ષની દીકરી પણ છે. બન્ને છોકરાં તંદુરસ્ત અને ભણવામાં હોશિયાર છે.

અશોક કૉલેજ ગ્રેજ્યુએટ છે. બાપાની ફેકટરી સંભાળી લીધી છે. રાજકોટના વેપારી વર્ગમાં જાણીતું, પ્રતિષ્ઠિત નામ ગણાય. કંપનીની બે ગાડીઓ ને ડૃાયવર છે. નોકર ચાકર અને રસોઈયો પણ છે. જાહોજલાલી છે. આશા પાસે માસ્ટર્સ ડિગ્રી છે, પરંતુ ઘર અને કુટુંબ સંભાળે છે. નજર લાગી જાય એવું એમનું લગ્ન જીવન અને સંસાર છે.

આશાના મોટાભાઈએ મુકેલી ‘ઇમિગ્રેશન’ ફાઈલ હમણાં ખૂલી અને આશાને, અશોકને તથા બે છોકરાંને ‘ગ્રિનકાર્ડ’ મળી ગયું. સ્વર્ગનું બારણું ખોલવાની ચાવી જાણે મોટાભાઈએ આખા કુટુંબના હાથમાં મૂકી દીધી હોય એટલો આનંદ અને થનગનાટ બધાંને થયો.

બહુ ઉત્સાહથી નક્કી થયું કે હવે હમણાં તો એક મહિના માટે આખા કુટુંબે અમેરિકા જઈને બને એટલું બધે ફરીને જોઈ-જાણી લેવું. પાછા આવીને કાયમ માટે જાવની તૈયારી કરવી. આખું કુટુંબ એક મહિના માટે અમેરિકાની ધરતી ઉપર મોટાભાઈને ઘરે આવી ગયું.

એક એકર જમીન ઉપર બંધાયેલા મોટાભાઈના મકાનની અદ્યતન સગવડો, આગળનો પાછળનો બગીચો, ફળઝાડોની લીલોતરી, સ્વીમીંગ પુલ, બે સુંદર રમતિયાળ કૂતરા … આ બધી ભવ્યતા જોઈને આશા અને છોકરાં અંજાઈ ગયાં. પૈસા ખર્ચતાં પણ દેશમાં ના મળે એવાં ફળફળાદિ અને ખાદ્ય પદાર્થો તરફ આશાનું ધ્યાન ગયું. રસ્તાઓ ઉપર કે ક્યાં ય ગંદકીનું નામ નિશાન નહીં. સ્વચ્છતા અને આરોગ્યનું આ ધોરણ પણ દેશમાં કદી મળી શકે નહીં. આશાના મનમાં અમેરિકન જીવન ધોરણ અને દેશના જીવન ધોરણની − quality of lifeની − સરખામણી સતત થવા લાગી.

બહેન-બનેવી આવ્યાંના માનમાં મોટાભાઈએ એક રવિવારે સાંજે પોતાના મિત્રમંડળને બોલાવી મોટી પાર્ટી આપી. જેટલા પણ મહેમાનો આવેલા એ બધા અમેરિકામાં આવીને શ્રીમંત થયેલા આસામી હતા. મોટાભાઈ અશોકને બધાને ઓળખાણ કરાવતા હતા.

અશોકને બધા પાસેથી એક જ મંત્ર સાંભળવા મળતો હતો … ‘Welcome to America નરી opportunitiesના દેશમાં આવ્યા છો. હજુ જુવાન છો. બે પાંચ વર્ષ સખત મહેનત કરશો એટલે બરાબર જામી જશો. કોઈ પણ કામ કરવામાં શરમ સંકોચ રાખશો નહીં.’

•••

મહિનો પૂરો થતાં આખું ફેમિલી રાજકોટ પાછું પહોંચી ગયું. એક સવારે ચાનાસ્તો કરતાં આશાએ અશોકને યાદ આપી.

‘અશોક, ફેકટરીએ જતાં રસ્તામાં સ્કૂલના પ્રિન્સિપાલને મળીને એમનાં સર્ટિફિકેટ અને બીજા જરૂરી કાગળિયાંની નકલ લેતા આવજો. મોટાભાઈ ત્યાં પ્રતિષ્ઠિત સ્કૂલમાં અગાઉથી એમના એડમિશનની વ્યવસ્થા કરવા માગે છે. આપણી પણ હવે તૈયારી કરવી પડશે ને ?’ 

અશોકે કોઈ જવાબ ના આપ્યો. ચૂપચાપ ચા પીતો રહ્યો.

‘અશોક, મેં કહ્યું તે તમે સાંભળ્યું ?’

‘સાંભળ્યું, આશા. અહીંનો બધો કારોબાર અને વૈભવ છોડીને કાયમને માટે અમેરિકા જવાની મારી ઈચ્છા નથી. બૉસ મટીને હું ત્યાં કોઈની નોકરી નહીં કરી શકું. અને અહીં આપણે શું ઓછું છે ? એટલે કાયમ માટે અમેરિકા જવાની ધૂન તું તારા મગજમાંથી કાઢી નાખ … પ્લીઝ.’ અશોકે બ્રિફકેસ ઉપાડી અને ડૃાઈવરને ગાડી લાવવા બૂમ પાડી.

‘અશોક, તમે અચાનક આ…’

‘આશા, મેં અચાનક નિર્ણય નથી લીધો. બાપુજી અને મોટાભાઈ સાથે વિચારણા કરીને નિર્ણય લીધો છે. જોઈએ તું છોકરાંને લઈને જા. એમની સ્કૂલની અને રહેવાની વ્યવસ્થા કરવા ચારછ મહિના રહેવું પડે તો ત્યાં રહેજે. ખર્ચની ચિંતા ના કરીશ. બધું ગોઠવાઈ જાય પછી નિરાંતે પાછી આવજે.’ ડૃાઈવર ગાડી લઈને આવી ગયો. અશોક ચાલ્યો ગયો.

અશોકના શબ્દો સાંભળીને આશાને જાણે ચક્કર આવી ગયા. પોતે બેભાન થઈને પડી જશે એવું લાગ્યું. જીવનમાં આગળ વધીને પોતાનો વિકાસ કરવાની સોનેરી તકને આ માણસ ઠુકરાવી દે છે !! આશાને જાણે પોતાના શ્વાસ રુંધાતો લાગ્યો. બાળકોનાં ઉજ્વળ ભાવિ માટે અશોકને કેવી રીતે સમજાવવા ? મારાં બાળકોનું ભાવિ, મારાં સપનાં, મારી ઈચ્છાઓ … આ બધાંનું કંઈ જ નહીં ! ‘Wisdom of Marriage’ ક્યાં ગયું ? હવે હું શું કરું ? ગુસ્સે થઈને કકળાટ કરું કે ચૂપચાપ મારાં સપનાંને સળગાવીને અશોકની ઈચ્છા સ્વીકારી લઉં ?

બે મહિના વીતી ગયા. બાળકોને લઈને આશા મોટાભાઈને ત્યાં અમેરિકા આવી. અવારનવાર અશોક સાથે ફોન ઉપર વાત થતી. અમેરિકા આવવા માટે અશોકની સ્પષ્ટ ના હતી. આશાની વિનવણીઓ, કાલાવાલા બહેરા કાને અથડાતાં હતાં. આશાની હાલત કફોડી થઈ ગઈ હતી. અશોકના નિર્ણયથી જીવનનો આનંદ અને ઉત્સાહ જાણે સુકાઈ ગયાં હતાં. અનેક જાતના વિચારોનાં વાવાઝોડાંથી એનું મગજ ફાટફાટ થયા કરતું. અશોક સાથે અમેરિકામાં રહેવાનાં બધાં સપનાં ધૂળમાં મળી ગયાં હતાં !

ડામાડોળ હાલતમાં આમે ને આમ બે વર્ષ વીતી ગયાં. અંતે આશાએ નિર્ણય લીધો. રજીસ્ટર્ડ પોસ્ટથી અશોકને પોતાનો નિર્ણય જણાવવા એ ઑફિસની લાઈનમાં ઊભી રહી. હાથમાં મોટું કવર હતું. હૈયું ધડક ધડક થતું હતું. આંખો વારંવાર ભીની થઈ જતી હતી. કવરમાં વકીલ દ્વારા તૈયાર કરેલા ડિવોર્સનાં કાગળિયાં હતાં. અશોક ગુસ્સે થઈને કાગળિયાં ફાડી નાંખશે કે ‘બલા છૂટી’, એમ કરીને તરત સહી કરીને પાછાં મોકલી આપશે ! ડિવોર્સમાં પોતાને અશોક પાસેથી એક પૈસો પણ જોઈતો નથી, એ સ્પષ્ટતા તો લખી જ દીધી હતી. લાઈનમાં એનો નંબર આવ્યો. રજીસ્ટર લેટરની રિસીટ લઈને પાર્ક કરેલી ગાડીમાં આવીને બેઠી. ધ્રૂસકે ધ્રૂસકે ક્યાં ય સુધી રડી. આ બધું શું થઈ ગયું ?! એને કંઈ સમજાતું નહોતું. ગ્રિનકાર્ડની આ કિંમત ?

e.mail : gunjan_gujarati@yahoo.com

Loading

મંડળી મળવાથી થતા લાભ

નર્મદાશંકર લાલશંકર દવે|Opinion - Literature|19 March 2022

સભાસદ ગૃહસ્થો, આપણા લોકમાં આવી રીતે મંડળી મળવાનો ચાલ પ્રાચીનથી ચાલતો આવેલો સાંભળવામાં તથા જોવામાં આવ્યો નથી; પણ હાલ થોડાં વર્ષ થયાં એ ચાલ નીકળ્યો છે તેથી સૌએ પ્રસન્ન થવાનું છે ને હું થાઉં છઉં. તેમાં વિશેષ કરીને આ મંડળીનો સમારંભ ચાલવો જોઈ બહુ જ આનંદ માણું છઉં. માટે આ પ્રસંગે તમારી આગળ એ જ વિષય ઉપર થોડુંક ભાષણ કરું છઉં તે સાંભળશો.

આ ભાષણથી મુખ્યત્વે કરીને ત્રણ વાત મારે તમને જણાવવી જરૂર છે —

પહેલી આ કે આ દેશમાં મંડળી મળવાનો ચાલ નહીં તેથી શાં શાં નુકસાન થયાં; બીજી વાત આ કે મંડળી મળવાના ચાલથી શા લાભ છે અને ત્રીજી આ કે આપણા લોકે કેવે પ્રકારે મંડળીઓ કહાડવી અને તેમાં કેવી રીતે ભાષણો કરવાં.

એ ત્રણ વાત જણાવતાં પહેલાં મંડળી અથવા સભા શબ્દનો અર્થ શો છે તે જાણવું જોઈએ. ચાર અથવા વધારે માણસો ઇશ્કના ખ્યાલ ટપ્પા ગાવા બેસે, કૅફ કરવા બેસે. કોઈ તરેહનું ટાહેલું કરવા બેસે અને તે માણસોમાં પછી થોડાક વિદ્વાન હોય તોપણ તે મંડળી અથવા સભા મળી છે એમ કહેવાશે નહીં. પણ ચાર અથવા વધારે માણસો એકઠાં મળી કોઈ વિદ્યાજ્ઞાનનાં અથવા લાભ થાય ને જશ મળે તેવાં કામના વિચાર સભ્યતાથી કરે તો તે મંડળી અથવા સભા મળી છે એમ કહેવાશે. — રાજકારભારીઓની, વિદ્વાનોની, વેપારીઓની, વિદ્યાર્થીઓની વગેરેની મંડળી. જ્યાં થોડાઘણા જણ એકસંપ થઈ એકાદાં કાર્ય વિશે રૂડી રીતે ચર્ચા ચલાવતા હોય તે પ્રસંગે મંડળી — સભા શબ્દ પ્રવર્તે છે.

૧. આપણો હિન્દુસ્થાન દેશ ઘણા પ્રાચીન કાળથી જગતમાં પ્રસિદ્ધ છે પણ એની કીર્તિનો પ્રકાશ જે પૂર્વે હતો તે હાલ નથી. કારણ શું? આપણા લોક કહેશે કે એમ થવાનો ઈશ્વરેચ્છા છે. ઉદય અસ્ત, ભરતી ઓટ, ચડતી પડતી જગતમાં થયાં જ કરે છે. હું પણ કહું છઉં કે ઈશ્વરેચ્છાથી સઘળું થયાં કરે છે પણ આ રીતે કે ઈશ્વરના ઠેરવેલા નિયમ પ્રમાણે કારણ ઉપરતી કાર્ય બને છે. કોઈ પણ કાર્યને કારણ અવશ્ય જોઈએ; તો હિન્દુસ્થાનની પડતી દશા આવવાનાં પણ કારણો હોવાં જોઈએ ને એ કારણો ઘણાં છે પણ તેમાં મુખ્ય આ છે કે આપણા દેશમાં રાજવર્ગમાંના ભણેલા ને પ્રજાવર્ગમાંના ભણેલા એઓએ એકઠા મળી રાજનીતિ સંબંધી વિચારો ચર્ચા વડે નક્કી કરવાનો ચાલ રાખેલો નહીં. જુદા જુદા પુરુષો પોતપોતાના સમયમાં પોતપોતાના યશ બતાવતા પણ એક સંપે થતાં કાર્યના જે જશ તેના લાભ લોકને નહોતા મળતા. એકનાં અને છૂટક છૂટક કેટલાંકનાં બળ કરતાં જુદા જુદા સંપનાં ને પછી એકત્ર સંપનાં બળ વિશેષ હોય છે. એ સંપબળ આપણામાં નહીં ને એ સંપબળ વધારવાને ઘણા જણે એકઠાં મળી વિચાર કરવો એ ચાલ આપણામાં નહીં તેથી આપણી દુર્દશા થઈ છે. કોઈ કહેશે કે આપણી દુર્દશા શી થઈ છે? તો જુઓ — આપણાં રાજ્ય ગયાં, આપણી સત્તા ગઈ, આપણાં શૌર્ય ગયાં, આપણાં માન ગયાં, ધન ગયાં ને સુખ ગયાં; આપણે મૂર્ખ, કાયર, નિરુદ્યમી, વ્યસની ને દરિદ્રી થઈ રહ્યાં છીએ. આપણે એવા તો આળસુ ને વિચારશૂન્ય થઈ ગયા છીએ કે આપણને ઉદ્યમ કરવાનું ગમતું નથી, બજારે બજારે મોલ્લે મોલ્લે ને ચકલે ચકલે ભટકી જેનીતેની નિંદા કર્યાં કરવાનું ને જમવા જમાડવાની વાતો કરવાનું ગમે છે. એવી આજકાલ આપણી દશા છે અને મંડળી મળી સંપે વિચાર કરી ઉદ્યમ કરવાનો અભ્યાસ નહીં જારી રાખીએ તો આપણી દશા? જે પ્રમાણે ઢોર પોતાનું પેટ ભરે છે, જે પ્રમાણે આફ્રિકાના સીદી ને ઉત્તર અમેરિકાના ઇંડિયનો પોતાનું ગુજરાન ચલાવે છે તે પ્રમાણે દહાડા પૂરા કરીશું.

૨. આપણે વિદ્યાર્થીઓએ જે આ મંડળી કહાડી છે તેવી મંડળીઓથી બહુ લાભ છે તો મોટા વિદ્વાનોની સભાઓમાં રાજનીતિ ને ધર્મનીતિની ચર્ચા ચાલી રહેતી હોય અને વેપારીઓ કારીગરો પોતપોતાની મંડળીઓમાં પોતાના વિષયની વાતો કરતા હોય તો તે મંડળીઓથી કેટલા બધા મોટા લાભ અવશ્ય થવા જોઈએ. આપણા જેવી મંડળીઓમાં ભાષણો કરવાથી તથા નિબંધો વાંચવાથી ને પછી ચર્ચા ચલાવેથી ભાષા સુધરે છે. મનમાંની વાત સહેલથી બહાર આવી શકે છે, ચારમાં નિર્ભયપણે ને વિવેકે બોલતાં આવડે છે. ઘણી ઘણી વાતોથી જાણ થાય છે, સમજશક્તિ વધે છે ને નવી નવી જુક્તિઓ જડે છે, દુરાચરણ ત્યાગ કરવાનું અને સદાચરણ ગ્રહણ કરવાનું મન થાય છે ને આપણે સદાચારી ઉદ્યમી ને પ્રતિષ્ઠિત થઈએ છીએ.

નિબંધો લખવા ને ભાષણો કરવાં એ કંઈ જેવીતેવી વાત નથી. પોતાનાં મનના વિચાર એક પછી એક એમ સંબંધમાં તકરાર ને દાખલા સાથે અસર કરે તેવી રીતે બહાર પાડવા પડે છે અને એને સારુ વિદ્વાનોનાં મત ને તેઓની લખવાની ઢબ એ પણ જાણી લેવાની જરૂર પડે છે, એ કામનો અભ્યાસ કરવાના પ્રસંગ મંડળીઓ છે.

આપણા દેશમાં ચાલ નહીં તેથી આપણા લોક તરત તો સારી પેઠે સમજી શકશે નહીં પણ જે લોકોમાં મંડળી મળવાનો ચાલ ચાલ્યો આવ્યો છે તે લોકોના વિચાર ઉદ્યમ ને વૈભવ ઉપર જ્યારે આપણા લોક નીઘા રાખતા થશે ત્યારે જેઓને ખાતરીથી સમજાશે કે મંડળીઓ મળવાના ચાલથી મોટા લાભ છે.

પ્રાચીન કાળમાં ઇંગ્લાંડ દેશના લોક કેવળ જંગલી અવસ્થામાં હતા: કેટલાક જાનવરોના શિકાર કરી, કેટલાએક માછલાં મારી, અને કેટલાંએક વૃક્ષોનાં ફળ ખાઈ જેમતેમ ઉદરપોષણ કરતા અને તેઓ એકબીજાથી દૂર ઝૂંપડી બાંધી રહેતા. એવું છતાં તેઓ આજ પુષ્કળ દ્રવ્યસંપત્તિને પામ્યા છે, મોટા વેપારી કહેવાય છે અને ઘણાક દેશમાં રાજ્યસત્તા ચલાવે છે. એ ફેરફાર થવાનાં કારણો જોકે ઘણાં છે. તોપણ તે સંધામાં આ તો ભળેલું જોવામાં આવવાનું જ કે તેઓએ સર્વપ્રસંગે મંડળીમાં વિચાર કર્યા છે ને સંપા કામ કર્યાં છે. જે જે સાચું સુંદર લાભકારી ને જશાળું તે તેનો તેઓએ શોધ કરી સ્વીકાર કરવા માંડ્યો ને એમ તેઓ દહાડે દહાડે જૂની ગેરફાયદાની વાત મૂકતા ગયા ને ફાયદાની વાત લેતા થયા. કોણ નથી જાણતું કે અંગ્રેજ લોક પ્રથમ વેપારીની કંપની રૂપે આ દેશમાં આવ્યા ને દ્રવ્યવાન થયા ને પછી તેઓએ ધીમે ધીમે રાજ્યસત્તા પ્રાપ્ત કરી લીધી! સભાસદ ગૃહસ્થો, ઇંગ્લાંડ, ફ્રાન્સ ને યુનૈટેડ સ્ટેટ્સ એ દેશના લોક પૃથ્વી ઉપરના બીજા દેશો કરતાં હાલ સર્વ પ્રકારે ઉત્તમ સ્થિતિમાં છે તેનું મૂળ કારણ આ છે કે ત્યાં, શહેરે શહેરે, ગામે ગામ, મોલ્લે મોલ્લે ને ચકલે ચકલે મંડળી મળવાનો ચાલ છે. અજ્ઞાન, દુઃખ ને દુરાચરણનો નાશ થઈ સર્વ પ્રકારનાં સુજ્ઞાન, સુખ ને સદાચારની પ્રાપ્તિ થાય છે તે. મંડળી મળી કામ કરવાનો — સંગતિથી, વિદ્યાથી ને સંપથી કામ કરવાનો ચાલ ચલાવેથી થાય છે. લોક ગાંડાના ડાહ્યા, મૂર્ખના વિદ્વાન, દરિદ્રીના ધનવાન અને અરાજ્યના રાજ્યવાન થાય છે તે સૌ મંડળીને જ યોગે.

યુરોપના લોક આફ્રિકાના સીદી લોકને પકડી તેઓને વેચવા લેવાનો ધંધો કરતા. એ ગુલામો બૈરાં બાળક સુધ્ધાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે કોઈ ક્યાં ને કોઈ ક્યાં એમ વેચાતાં. એઓને પૂરું ખાવાનું પણ મળતું નહીં. એઓની પાસે ચાબૂકના મારથી કામ લેવામાં આવતું. એ ગુલામીનો ધંધો અને ગુલામ ઉપર સખતી માનવધર્મની ને ક્રિશ્ચિયન ધર્મની વિરુદ્ધ છે એવું કેટલાક વિદ્વાનોની બુદ્ધિમાં આવ્યું ને ઉપરથી તેઓએ સને ૧૭૬૦ પછી મંડળીઓ કહાડી ને તેમાં એ વિશે નિબંધો વાંચી સારી પેઠે ચર્ચા કરી – આવી રીતે કે માણસના કુદરતી સૌના હક સરખા છે, માણસને માણસ વેચવાનો અને તેની શક્તિ ઉપરાંત કામ કરાવવાનો હક નથી, એ કામ ઘણું નિર્દય છે, માટે, એ હીણો ધંધો બંધ થવો જોઈએ. પછી એ ચર્ચા લોકમાં ચાલી ને ઇંગ્લાંડના સત્તાધારીએ એ ધંધો ન કરવા વિશે કાયદો કર્યો. એ કામમાં ટામસ ક્લાર્કસન નામના પુરુષે પોતાની જિંદગી ગુજારી હતી ને જોકે તેને પ્રથમ અણસમજુ ને સ્વારથીઆ લોકની તરફથી બહુ વેઠવું પડ્યું હતું તોપણ તેણે પોતાની અથાક મહેનતનો બદલો જોયો, ને તે આજ એક મોટો પરમાર્થી પુરુષ થઈ ગયો એમ સંધે કહેવાય છે.

સને ૧૮૦૩માં જ્યારે બોનાપાર્ટ યુરોપના દેશોને પાયમાલ કરી ઇંગ્લાંડ ઉપર ચડાઈ કરવાની તૈયારીમાં હતો તે વખત રાબર્ટહાલ વગેરે ઘણાએક દેશહિતેચ્છુ પુરુષોએ પોતાના સ્વદેશીઓને પોતાની પાસે એકઠા કરી ભાષણોથી હિંમત આપી હતી અને સ્વતંત્રતા શી વસ્તુ છે એ સારી પેઠે સમજાવ્યું હતું કે જેથી તેઓ બોનાપાર્ટની તરફથી જે આફતનું વાદળ ચડી આવતું હતું તેને વીખેરી નાખવાને પહાડની પેઠે ઊભા રહેવાને તૈયાર થઈ રહ્યા હતા.

૩. હવે ત્રીજી વાત વિશે: કોઈ પણ રીતનો ફાયદો થાય ને કોઈ પણ રીતનો જશ મળે (નિંદા ન થાય) તેવાં કામના ઉદ્દેશથી મંડળી-સભા કહાડવી. સંપમાં રહી કામ કરાવાને સારુ મંડળી છે તો જે પ્રકારે સંપ વધે. બળ વધે તેવે પ્રકારે તે સ્થાપવી જોઈએ. અદેખાપણું, એકલપેટાપણું, હું ડાહ્યાપણું, અપ્રમાણકપણું, અણવિશ્વાસીપણું, અવ્યવસ્થિતપણું, નિરાશાપણું, કાયરપણું, અવિવેકીપણું ઇત્યાદિ અનીતિ થકી મંડળી ટકતી નથી ને શોભતી નથી. માટે જેમ બને તેમ એ દુર્ગુણો મંડળીના જનોમાં ન જોઈએ. એ દુર્ગુણોથી દૂર રહેવાય અને સદ્ગુણની તથા સંપની વૃદ્ધિ થાય તેવે પ્રકારે મંડળીઓ કહાડવી જોઈએ. મંડળીઓમાં ભાષણ વાદ કરવાની રીત પ્રમાણે હોવી જોઈએ કે જેઓ જે વિષય વિશે વિચાર કરવાને એકઠા થયા હોય તેઓમાંના શક્તિમાન પુરુષોએ વારાફરતી ભાષણો કરી પોતપોતાના વિચારો જણાવવા અથવા એકનું ભાષણ થઈ રહ્યા પછી બીજાઓએ પણ અનુક્રમે ને વિવેકની વાણીમાં પોતપોતાના વિચારો જણાવવા. ઘણી વખત આપણા શાસ્ત્રીઓ સભામાં વાદ કરતાં ક્રોધના આવેશમાં એકબીજાને તુચ્છકારના શબ્દો કહે છે ને વેળાએ મારામારી કરવાને પણ ઊભા થાય છે તે બહુ જ ખોટું છે. તેઓનામાં સભ્યતાનું કર્મ જોવામાં આવતું નથી તેથી તેઓનાં એકઠાં મળવાને સભા મળી છે એમ કહેવું ઘટતું નથી; પછી ઉદ્દેશ ગમે તેટલો સારો હોય તો શું થયું? સભામાં બોલવાના વિવેક પણ અભ્યાસથી પ્રાપ્ત થાય છે માટે અભ્યાસ વધારવાને છોકરાઓએ નાનપણથી જ મંડળીઓ કહાડવાનો ને તેમાં ભાષણો કરવાનો ચાલ પાડવો જોઈએ ને વિદ્વાનોની મંડળીની રીત જોવી જોઈએ.

મંડળી મળવાનો ચાલ આપણા દેશમાં નીકળવા માંડ્યો છે તે આપણા ઉપર રાજ કરનારા અંગ્રેજ લોકનું જોઈને તેઓનાં ઉત્તેજનથી. એઓનો આપણે ઉપકાર માનવાનો છે કે એઓ આપણને ભૂંડી હાલતમાંથી સારી હાલતમાં આણવાને પ્રયત્ન કરે છે પણ તેઓ આપણને જે શીખવે છે તે પ્રમાણે જો આપણે ચાલીશું નહીં તો હાલ જે આપણી હાલત છે તેના કરતાં વધારે નઠારી હાલતમાં આપણે આવી પડીશું. માટે, આપણે પણ મહેનત કરવા માંડવી કે જેથી આપણું નામ જેવું પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ હતું તેવું, રે વધારે હાલના જમાનામાં પણ થાય. ઉદ્યમ ને ધન, વિદ્યા ને જ્ઞાન, શૂરાતન ને જય, સદાચાર ને કુલીનતા એ સર્વ મંડળીઓ કહાડ્યાથી જ વધશે — કેમ કે સુધારાનો મૂળ પાયો મંડળી — સપ છે. કહેવત છે કે ‘જીવ જાય તો સારું પણ જીવનગાળો જાય તે માઠું’ — અજ્ઞાન ને નિર્ધન એવી હાલતમાં રહેવું તેના કરતાં મરી જવું બહેતર છે. માટે આપણે સંપ રાખવાનો અભ્યાસ જારી રાખવો કે જેથી આપણો તથા આપણા પરિવારનો જીવ પણ જાય નહીં ને જીવનગાળો પણ જાય નહીં.

સૌજન્ય : https://ekatra.pressbooks.pub/gujaratinibandhsampada/chapter/મંડળી-મળવાથી-થતા-લાભ/

Loading

ધૂળેટીમાં ધૂળ ઊડે કે રંગ …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 March 2022

આજે ધૂળેટી. કાલે બધાંએ ઘરની બહાર પણ હોળી કરી, ખરું? આમ તો કેટલાંક કુટુંબોમાં હોળી બારમાસી તહેવાર છે. એમાં મોટે ભાગે પતિ, હોળીનું નાળિયેર બનતો હોય છે. પતી જાય તે પતિ – એ આ સમયની નવી વ્યાખ્યા છે. આજે હસવું છે. બધું ભૂલીને ગમ્મત કરવી છે. હું સ્કૂલમાં હતો ત્યારે સાહેબ પૂછતા – હોળી રંગોનો તહેવાર છે તો બીજા દિવસને રંગોત્સવ કહેવાને બદલે લોકો ધૂળેટી કેમ કહે છે? ત્યારે તો અક્કલ ન ચાલેલી, જો કે, આજે ય ચાલે જ છે એવું નથી, પણ એટલું સમજાય છે કે ધૂળ ઊડવાને કારણે તહેવારનું નામ ધૂળેટી પડ્યું હશે, પણ આપણે તો રંગ ઉડાડીએ છીએ, તો ધૂળેટી કેમ? ધૂળેટીએ કોઈ ધૂળ ઉડાડતું હોય એવું સંભળાયું તો નથી. બરસાનાની હોળી વખણાય છે. વખણાય છે એટલે કે એને લઠમાર હોળી પણ કહે છે. નંદગાંવથી રાધાના ગામ બરસાના યુવકો આવે છે ને અહીંની યુવતીઓ રંગની સાથે યુવકો પર લાઠીઓ પણ વરસાવે છે. કદાચ ત્યારથી જ પુરુષો વગર લાઠીએ જ જિંદગીભર કોઈને કોઈ કારણે ટીપાતા રહે છે. અહીં પણ ધૂળ સાથે ધૂળેટીનો અર્થ સમજાતો નથી.

એને માટે કદાચ પ્રહલાદની સ્ટોરી જાણવી – સમજવી પડે. વાત એમ છે કે નવરાશના વખતમાં અસુરોનો નાશ કરવા ભગવાન અવતાર લેતા હતા. નાશ થઈ શકે એટલે અસુરોને જન્માવતા પણ હતા ને જન્મે પછી તેને પાપ કરવાનો પૂરતો સ્કોપ પણ આપતા હતા. અસુર પાસે પાપનો પૂરતો સ્ટોક થઈ જતો, મતલબ કે પાપનો ઘડો ભરાઈ જતો, તો ભગવાન અવતાર લેતા ને અસુરની બત્તી ગુલ કરી દેતા હતા. હવે અસુર તો ખાસ રહ્યાં નથી, પણ સસુર તો છે જ ને તે એટલા થઈ છે કે બધાને ભગવાન પહોંચી વળે એમ નથી એટલે તેમણે અવતાર લેવાનું હાલ તુરત મોકૂફ રાખ્યું છે. પ્રહલાદની સ્ટોરી એવી છે કે તે ભગવાનનો ભક્ત હતો ને તેના એકના એક ફાધર હિરણ્યકશ્યપુને તે બહુ ગમતું ન હતું. સ્વાભાવિક છે કે ન જ ગમે. દાખલા તરીકે હું ભૂસું વેચતો હોઉં ને મારો દીકરો બાજુવાળાને ત્યાંથી પેટીસ લાવીને ખાય તો ભેજું ફટકે કે નહીં? ફાધર હિરણ્યકશ્યપુ(ટૂંકમાં, એચકે)નું પણ ફટક્યું. તેણે ચોખ્ખું કહી દીધું – નામ દેવું જ હોય તો મારું દે. અહીંનો રાજા કે મંત્રી જે ગણે તે હું જ છું. પ્રજાની રાજા મંતરે તે તો સમજી શકાય, આ તો દીકરો થઈને બાપની જ મેથી મારે છે. કોઈ ભારતીય કાશ્મીરમાં રહીને પાકિસ્તાનની આરતી ઉતારે તો ચાલે? ના ચાલે. ખાય મારું ને ખોદે પણ મારું? ધીસ ઈઝ નોટ ફેર. હવે પછી ભગવાન બગવાનનું નામ દીધું તો તારાં સ્પેરપાર્ટ્સ ઢીલાં કરી નાખીશ. સ્કૂલમાં તો ભણાવેલું કે માતાપિતાનું કહેલું કરવું, પણ પ્રહલાદ જરા અડિયલ હતો. મનફાવે તેમ જ કરતો. તેને ભગવાન દેખાતો ન હતો, પણ તેનું નામ તે દેતો હતો ને એચકે, છાતી પર બેઠેલો હતો, તો તેને ઇગ્નોર કરતો હતો ! એચકે, આઈ મીન હિરણ્યકશ્યપુને તો એમ જ હતું કે મારી ટેરિટરીનો તો હું જ ભગવાન, ત્યાં પોતાનો જ સન પ્રહલાદ આમ ડિસ્કાર્ડ કરે તે તો સાલું ટોલરેટ જ કેમ થાય? આમે ય એચકે પિત્તળ ખોપરીનો તો હતો જ, તેણે ભાડૂતી ગુંડાઓ બોલાવીને હુકમ કર્યો કે ફેંકો સાલાને પહાડ પરથી ! ગુંડાઓ ‘ફેંકું’ હતા, પણ ફેંકે એમ ન હતા, કારણ એ બધા ફિલ્મી હતા એ સાદા દાદરા પણ ચડી શકતા નહતા. આ લલ્લુઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હોય ને ગ્રાઉન્ડ ફ્લોર પર જ જવું હોય તો પણ લિફ્ટ વાપરે એવા હતા, તે પહાડ પર ચડે ને પ્રહલાદને ફેંકે એ વાતમાં માલ ન હતો. એ ઉપર ચડે, તો પ્રહલાદને નીચે ફેંકે ને ! એટલે નાદાન છોકરું છે એમ માનીને પ્રહલાદને લીફ્ટમાં નીચે ઉતાર્યો ને ડિકલેર કરી દીધું કે પ્રહલાદને ફેંકી દીધો છે. રાજાએ પણ માની લીધું કે પ્રહલાદ ગયો. પણ એ તો હસતો રમતો બર્ગર ઝાપટતો મહેલમાં આવ્યો. એચકે હર્ટ તો બહુ થયો, પણ સગો દીકરો હતો એટલે ચુમાઈને બેસી રહેવા સિવાય કોઈ રસ્તો ન હતો.

બીજી તરફ પ્રહલાદ જાણતો હતો કે ફાધર આજે નહીં તો કાલે, પોતાની (પાન-કાર્ડ) સોપારી આપીને જ રહેશે એટલે ભગવાન વિષ્ણુને વીડિયો કોલ કર્યો, ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બોલ્યા – કેમ ડિસ્ટર્બ કર્યો? પ્રહલાદ બોલ્યો – પ્રભુ, તમે તો ફાધરનો નેચર જાણો છો. તમારો પ્રોપેગેન્ડા કરું છું તો એ દાંતિયા કરે છે. હા, એનું નામ દઉં તો રાજપાટ મળે એમ છે.’

– ખબરદાર ! – ભગવાને ત્રાડ નાખી – એવું કૈં કર્યું છે તો જાનથી જશે.

ફાધર પણ એ જ કહે છે – જાનથી જશે, પછી ભગવાને સુધારો કર્યો – જાનથી જશે એટલે કે તારી જાન નહીં નીકળે. એક વાત સમજી લે કે કૈં પણ થઈ જાય, તારે પાર્ટી બદલવાની નથી. લે, આ પદ્મ ઉર્ફે કમળ ! લઈ જા ને તેની ભારતમાં સ્થાપના કર. ચારે બાજુ ‘કમલમ .. કમલ મ…’ થઈ રહેવું જોઈએ. પ્રહલાદ પ્રસન્ન થઈને બોલ્યો – તમે આપેલા ‘પદ્મ’ પુરસ્કારથી હું પ્રસન્ન થયો છું. ભગવાને એનું માથું પરાણે ઝુકાવીને આશિષ આપતા કહ્યું – ચિંતા ન કર. તારા ફાધરનો ઘડો લાડવો હું જ કરીશ. શું છે કે એ, માણસથી કે પશુથી મરે એમ નથી. એટલે મારે નર અને સિંહનો સરવાળો કરીને નરસિંહ અવતાર ધારણ કરવો પડશે ને તારા ફાધરનો ખેલ ખતમ કરવો પડશે.

પ્રહલાદ નાનો હતો તો ય તેને એટલી સમજ તો પડતી જ હતી કે એક ફાધરને મારવા નર અને સિંહનો ટોટલ મારવાની જરૂર નથી, એ કામ તો એકાદ મિસાઈલથી પણ થઈ શકે, પણ સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય. એટલે રિડાયરેક્ટ થયેલી ટપાલ જેવો પ્રહલાદ મહેલ તરફ ફર્યો ને તેણે જોરશોરથી ભગવાનનું નામ દેવા માંડ્યું.

આ બાજુ એચકે જીવ પર આવી ગયો હતો – કમલમ કમલમ – સાંભળીને. તેણે નક્કી કર્યું કે સિસ્ટર આલ્કોહોલિક, સોરી, વર્કોહોલિક, અગેન સોરી, હોલિકાને આમંત્રણ આપવું ને તેણે ટેકટફૂલી એક ફંક્શન એરેન્જ કર્યું, જેમાં હોલિકાના ખોળામાં પ્રહલાદ બેસે ને ફરતે આગ પ્રગટે તેવું પ્લાનિંગ કરવું. ઇન્ટેન્શન એ હ કે એમાં પ્રહલાદનો ધુમાડો થઈ જાય ને હોલિકા બચી જાય. બચી કેમ જાય? તો કે, તેને વર હોય કે ન હોય, પણ વરદાન હતું કે અગ્નિ તેની રાખ નહીં પાડી શકે. જો કે, પ્રહલાદ નાનો હતો, પણ અક્કલનો બુઠ્ઠો ન હતો કે ફોઇ કહે ને એ હોળીનું નાળિયેર બને. એટલે તેની ફોઈએ તેને ઊંઘની ગોળીઓ આપી દીધી ને એવા ઊંઘતા પ્રહલાદને લઈને તે ચકલે બેઠી. ધારો કે એ જાગી જાય તો પણ એટલો ઘોંઘાટ ઢોલનગારા વગાડીને થવાનો હતો કે તેની ચીસાચીસ કોઈને સંભળાય જ નહીં ! આવું પ્લાન કર્યું એચકેએ.

જે ‘કમળ’પૂજામાં માનતા હતા તે ભક્તો નારાજ હતા. પ્રહલાદ જેવો પદ્મપ્રિય, ભડકો થઈ જાય તે તો ચાલે જ કેમ? પણ ‘પંજો’ એચકેનો હતો ને બચવાનો ચાન્સ ન હતો એટલે પદ્મપ્રિય ભક્તોએ તે દિવસે ધાણીચણા ફાકીને દિવસ કાઢ્યો. રાત્રે હોળી પ્રગટી. હોલિકાનું વરદાન, ઘોડું દશેરાએ જ ન દોડે તેમ, છેલ્લી ઘડીએ જ ફેલ ગયું ને દાઝ બળી તે બરાડવા લાગી, પણ ઢોલનગારાના ઘોંઘાટમાં કૈં સંભળાયું નહીં ને સવારે પ્રહલાદને હેમખેમ જોતાં ભક્તોએ આનંદથી ગુલાલ ઉડાડ્યો ને હોલિકા બળી મરી. એથી દુ:ખી થઈને અસુરોએ ધૂળ ઉડાડી. બસ ! ત્યારથી ધૂળેટી ઉજવાય છે. અસુરો રહ્યા નથી એટલે ધૂળ ઊડતી નથી, પણ ભક્તો રહ્યા છે એટલે રંગો ઊડે છે, એ ખરું કે આસુરી વૃત્તિવાળા હજી ધૂળ ખંખેરતા જ રહે છે. ઘણાંની ધૂળ ખંખેરાતી હોવાને કારણે પણ ધૂળેટી ઉજવાતી હોય તો નવાઈ નહીં. ખરેખર તો આ રંગનો ઉત્સવ છે. કુદરત પણ કેસૂડાં, ગુલમહોર, કરેણનાં રંગો ખિલવીને રંગો ઉછાળે છે તો માણસો રંગ ઉછાળે તેમાં નવાઈ નથી. રંગો પણ એવા કે કેમિકલ ચોપડાય, કલર પણ એટલો પાકો કે ચામડી નીકળે, પણ રંગ ના જાય. રંગ જાય તો પૈસા પાછા – એવી જાહેરાત પણ થાય છે તો રંગ છાંટતાં પહેલાં જ પાણી બચાવવાનો ઉપદેશ પણ અપાવા લાગે છે.

આ વખતે તો કોરોના ફ્રી રંગો છંટાશે. ઘણાના ચહેરા ડામર જેવા થશે. એમાં ઘણાં ઓળખાય જ નહીં એવા પાકા કલરવાળા થઈ જાય તો પણ નવાઈ નહીં ! મમ્મી એની દીકરીને ઘરે ખેંચી જાય ને ડાચું ધુએ પછી ખબર પડે કે દીકરી તો બાજુવાળાની ધોવાઈ ગઈ છે, તો સામેવાળી દીકરો બદલાવવા આવે એવું પણ બને. આ પાછું દીકરા-દીકરી પૂરતું સીમિત નથી રહેતું. દિયરને રંગ્યો છે એવા વહેમમાં ભાભી દિયરને ઘરમાં ખેંચી લાવે છે તો ખબર પડે છે કે દિયરને બદલે ઘરવાળો જ ખોટા સિક્કા જેવો પાછો આવ્યો છે. એવું જ ઘરવાળીને ખેંચી લાવ્યો છે એવા વહેમમાં ધણી બાજુવાળી ભાભીને જ લઈ આવે એમ પણ બને. પછી પસ્તાતો હોય તેમ કહે કે સોરી, ભાભી, મને એમ કે વાઈફને લાવ્યો છું, પણ આ તો બફાટ થઈ ગયો. અને ભાભી ગુલાલ ચોપડતાં કહે કે મને નથી લાગતું કે મેં કોઈ ભૂલ કરી છે, મને તો ખબર છે કે હું કયાં ખેંચાઈ  રહી છું, તો?

– તો જે રંગો ઊડે તે બહાર દેખાય, એવું  લાગે છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 માર્ચ 2022

Loading

...102030...1,5611,5621,5631,564...1,5701,5801,590...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved