Opinion Magazine
Number of visits: 9745688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં આનંદ પટવર્ધનને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત …

કિરણ કાપુરે|Opinion - Opinion|17 May 2022

ફિલ્મોમાં એક પ્રવાહ ડોક્યુમેન્ટરી ફિલ્મોનો છે. આ ફિલ્મોનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થાય છે અને જુદી-જુદી કેટેગરીમાં તેમાં એવોર્ડ્સ આપવામાં આવે છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હોટ ડોક્સ કેનેડીઅન ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલ’ ખાસ્સો જાણીતો છે અને નોર્થ અમેરિકાનો તે સૌથી મોટો ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ છે. આ વર્ષે હોટ ડોક્સ ફેસ્ટિવલમાં આપણા દેશના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં મોખરાનું નામ ધરાવતાં આનંદ પટવર્ધનને સન્માનવામાં આવશે. તેઓને ‘આઉટસ્ટેડિંગ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત થશે. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં તેમની ચાર ફિલ્મોનું સ્ક્રિનિંગ પણ થશે.

આનંદ પટવર્ધનની ડોક્યુમેન્ટરી ફિલ્મની યાદી લાંબી છે પણ તેમાંથી કેટલીક પસંદીદા ફિલ્મોનું નામ લેવું હોય તો તેમાં ‘બોમ્બે : હમારા શહેર’, ‘રામ કે નામ’, ‘ફાધર, સન એન્ડ હોલીવોર’, ‘અ નર્મદા ડાયરી’, ‘વૉર એન્ડ પીસ’ અને ‘જય ભીમ કોમરેડ’ જેવી ફિલ્મો છે. તેમણે પોતાના કામનાં જોરે આંતરરાષ્ટ્રિય-રાષ્ટ્રિય સ્તરે ખૂબ નામના મેળવી છે અને એવોર્ડ્સ પણ એટલાં જ મેળવ્યા છે. આનંદ અત્યારે સિત્તેર વટાવી ચૂક્યા છે પણ હજુ ય તેમના તરફથી ફિલ્મો મળી રહી છે. છેલ્લે 2018માં તેમની ‘રીજન : વિવેક’ ફિલ્મે ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. આનંદ પટવર્ધનની આ કાર્યસફર વિશે હાલમાં ‘સ્ક્રોલ’ ન્યૂઝ પોર્ટલ દ્વારા વિસ્તૃત મુલાકાત થઈ છે. તેમના પાંચ દાયકાના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ વિશે તેમણે ઘણી રસપ્રદ વાતો કરી છે.

આનંદની ફિલ્મો આંખ ઉઘાડનારી રહી છે અને એટલે જ તેઓનો પ્રયાસ એ રહ્યો છે કે વધુ ને વધુ દર્શકો તેમની ફિલ્મ જુએ. આ સંદર્ભે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારા દૃષ્ટિકોણથી દર્શકો સહમત ન હોય તેમ છતાં તમે પબ્લિક સ્ક્રિનિંગ યોજો છો અને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરો છો. આ વિશે આનંદ કહે છે : “મારા ફિલ્મનિર્માણનો આરંભ આપણાં દેશમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તે દર્શાવવાનો, તેને દસ્તાવેજિત અને મૂલ્યાંકન કરવાનો છે. એટલે હું ઇચ્છું છું કે મારી ફિલ્મ વધુ દર્શકો જુએ ન કે માત્ર તે ફિલ્મ ફેસ્ટિવલ સુધી સિમિત રહે. જો તેમ ન થતું હોય તો ફિલ્મ નિર્માણ કરવાનો કોઈ અર્થ નથી. આ પૂરી પ્રક્રિયામાં ફિલ્મ દર્શાવવી અને દર્શકો સાથે તેની ચર્ચા કરવી અગત્યનો હિસ્સો છે. દરેક વખતે સ્ક્રિનિંગ કરવાનો એક વિશેષ ઉત્સાહ હોય છે. જુદાં જુદાં વર્ગોમાં ફિલ્મ દર્શાવવી તે તદ્દન વેગળો અનુભવ કરાવે છે. મને સંવાદ ગમે છે અને અમે સ્ક્રિનિંગ વખતે જ ચર્ચા કરીએ છીએ.”

આ પછી આનંદ તેમના ફિલ્મ સ્ક્રિનિંગ દરમિયાન થતાં હુમલા વિશે વાત કરે છે. આ માટે તેઓ જમણેરી વિચારધારા ધરાવનારાં અસમાજિક તત્ત્વોને જવાબદાર ઠેરવે છે. પરંતુ ઘણી વખત એવું ય બન્યું છે જે આનંદની ફિલ્મનો વિરોધ કરતાં હોય અને તેમની ફિલ્મ જોઈ હોય પછી તેઓ આનંદના દૃષ્ટિકોણથી સહમતી દર્શાવી હોય. આ અનુભવ ખુદ આનંદ ટાંકતાં કહે છે, “એકથી વધુ કારસેવક જેઓ બાબરી ધ્વંસમાં સામેલ રહ્યા હોય તેઓએ ‘રામ કે નામ’ ફિલ્મ જોઈને મારો સંપર્ક કર્યો છે અને તેમણે સ્વીકાર્યું છે કે દેશના હિત સંદર્ભે અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.” જો કે આ અનુભવોને આનંદ ઉત્સાહથી નથી ટાંકતા બલકે તેમનો ઉદ્દેશ જણાવતાં કહે છે : “આવું સામાન્ય રીતે થતું નથી. લોકો એક ફિલ્મ સ્ક્રિનિંગથી પોતાના વિચાર બદલતાં પણ નથી. અને મારી ફિલ્મનો એ ઉદ્દેશ પણ નથી કે લોકો આ રીતે પોતાના વિચાર બદલે. અમારો પ્રયાસ સંવાદ શરૂ કરવાનો છે. ઘણી વાર આ સંવાદ અપશબ્દો સુધી પણ પહોંચે છે. જો કે તેમ છતાં ય જો વાતાવરણમાં હળવાશ હોય તો તેમાંથી સારું પરિણામ નિપજી શકે.”

આનંદ પટવર્ધનની ફિલ્મોના વિષય મહદંશે દેશમાં બનતી મસમોટી ઘટનાઓ રહી છે. જેમ તેમણે 1974ના અરસામાં બિહાર આંદોલનને વિષય બનાવીને ‘ક્રાંતિ કે તરંગે’ બનાવી હતી. એ રીતે કટોકટી દરમિયાનની તેમની ફિલ્મ ‘ઝમીર કે બંદી’ હતી. મુંબઈ જેવાં મોટા શહેરોમાં ચાલી-છાપરાંમાં રહેતાં લોકોને અસ્તિત્વ ટકાવવાના કેવાં પ્રશ્નો હોય છે તેને લઈને તેમણે ‘બોમ્બે : હમારા શહેર’ નિર્માણ કરી. બાબરી ધ્વંસ પર તેમની ફિલ્મ ‘રામ કે નામ’ છે. એ જ રીતે નર્મદા આંદોલન આધારિત પણ તેમની ‘અ નર્મદા ડાયરી’ નામની ફિલ્મ છે.

આમ આનંદની ફિલ્મી સફર જોઈએ તો દેશની અતિ મહત્ત્વના અને સંવેદનશીલ વિષયો પર તેમણે ફિલ્મ નિર્માણ કરી છે. આ વિષયોની પસંદગી કરવા બદલ તેમની છબિ ‘એક્ટિવિસ્ટ’ તરીકેની ઘડાઈ છે. અને એટલે તેઓ પોતે તેમનાં વલણને કેવી રીતે જુએ છે તે વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું : “જે જોવું છું તેની જ પ્રતિક્રિયા હું આપું છું. હું સ્વકેન્દ્રિય ફિલ્મમેકર નથી. કોઈ પણ બાબત થિએરોટીકલી વિચારતો નથી અને પહેલાં હું તેને પ્રેક્ટિસમાં લાવું છું. હું સીધું કામ કરવામાં માનું છું અને થિયરી કહો કે અન્ય લેબલ તે પછી તેના પર લાગે છે. જે પ્રકારની ફિલ્મ મેં બનાવી છે તે સ્ક્રીપ્ટ પર આધારિત નથી. જે કોઈ ઘટના બને તે પહેલાં તે બનશે કે કેમ તે વિશે હું જાણતો નથી.” આ પૂરી પ્રક્રિયાને તેઓ ‘serendipity’થી વર્ણવે છે. આનો અર્થ છે કે કોઈ આકસ્મિક ઘટનાને અપ્રત્યક્ષ રીતે શોધવી. આવું તમે ક્યારે કરી શકો તે પણ આનંદ કહે છે : “તમને આ પ્રકારનું કન્ટેન્ટ ત્યારે જ મળે જ્યારે તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હો. જ્યારે ઘટના બનતી હોય ત્યારે ત્યાં હાજર હોવું તે તેની ચાવી છે.”

તેમની એક્ટિવિસ્ટ તરીકેની જે છબિ ઘડાઈ છે તે વિશે તેમનું કહેવું છે કે, “છેલ્લાં પચાસ વર્ષની કારકિર્દીમાં તેમને વેગવેગળા લેબલ લગાવવામાં આવ્યા છે. અગાઉ જ્યારે મારા રાજકીય વિચારથી લોકો સહમત નહોતા ત્યારે મારા માટે ‘પ્રોપાગેન્ડા’ આધારિત ફિલ્મમેકર એવું લેબલ લાગ્યું. જો કે હું તો હંમેશાં મારી રજૂ કરેલી વાત સંદર્ભે મહત્ત્વના આધાર મૂકતો આવ્યો છું.” પછી તેમની ફિલ્મોને ‘Agitprop’પણ કહેવામાં આવી. આ શબ્દ સોવિયત રશિયાના કાળમાં પોપ્યુલર મીડિયા માટે ઉપયોગમાં લેવામાં આવતો, જેમાં કોમ્યુનિઝમનો સંદેશ ફિલ્મ કે અન્ય મીડિયા દ્વારા પ્રસાર કરવાનો હેતુ હોય.

હાલના સમયમાં તેમની ફિલ્મોને નિબંધપ્રકારની ફિલ્મ તરીકે જોવાય છે. જે ખરેખર યોગ્ય છે. તે કેમ યોગ્ય છે તે વિશે આનંદ કહે છે : “હું એક વકીલ જેવો છું જે કોર્ટમાં પુરાવા સાથે મારી દલીલ મૂકું છું. અને મારી દલીલને હું વધુ વિસ્તૃત રીતે મૂકું છું. આનો ન્યાય મારા દર્શકો તોળે છે. તેઓ જ જણાવે છે કે મેં મારા પક્ષને યોગ્ય રીતે મૂક્યો છે કે નહીં.”

આનંદ પટવર્ધને કરેલું ગંજાવર કાર્ય દેશના ઇતિહાસ અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજવા અર્થે ખૂબ ઉપયોગી છે અને તેમણે આ બધું ડોક્યુમેન્ટરી સ્વરૂપે મૂક્યું છતાં તે રસપ્રદ છે. લાંબા પટાનું આ કાર્ય આનંદ કરી શક્યા તેની પાછળ તેમની શૈક્ષણિક યાત્રાની પણ ભૂમિકા છે. તેઓ પહેલાં તો એ સ્પષ્ટતા કરે છે કે તેઓ ફિલ્મમેકર બનવા અર્થે ભણ્યા નથી. તેમણે મુંબઈમાં એલ્ફિસ્ટન કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ મેળવ્યું તે પછી અમેરિકાની બ્રૅન્ડીસ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અમેરિકામાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે વિયેતનામ યુદ્ધનો વિરોધ જોરશોરથી થઈ રહ્યો હતો. તેમણે યુનિવર્સિટી પાસેથી કેમેરા મેળવ્યો અને તે ઘટનાઓ કેદ કરી. આ રીતે તેઓ ફિલ્મમેકિંગમાં સંકળાયા. ભારત પાછા આવીને તેમણે બિહાર આંદોલન અને કટોકટી પર ફિલ્મ નિર્માણ કરી. તે પછી 1979માં તેઓ ફરી વાર માસ્ટર્સ ઇન કોમ્યુનિકેશનની ડિગ્રી માટે કેનેડા ગયા. આ રીતે તેમની શિક્ષણની સફર રહી.

તેઓ આ કામ કરી શક્યા તેનું એક કારણ આપતાં આનંદ કહે છે : “હું નસીબદાર છું. હું એક સમૃદ્ધ પરિવારમાંથી આવું છું. મારે મારા અસ્તિત્વ ટકાવવા અર્થે પૈસા કમાવવાના નહોતા. મારા પરિવાર અને મિત્રોએ મને હંમેશાં મદદ કરી છે. જો કે તે પછીથી ફિલ્મનો ખર્ચ તેનાં વેચાણ અને લેક્ચર સ્ક્રિનિંગ ટુર્સથી નીકળતો ગયો.” અંતે તેઓ મુલાકાતમાં કહે છે : “હું છેલ્લાં 51 વર્ષથી ફિલ્મ નિર્માણ કરું છું, પરંતુ મારી ફિલ્મનો હિસ્સો ઘણો નાનો છે. ફિલ્મનિર્માણની દરેક પ્રક્રિયાને હું માણતો હોવા છતાં હું કંઈ આ ફરિયાદના સૂરમાં નથી કહેતો. બલકે તે સત્ય છે.”

e.mail : kirankapure@gmail.com

Loading

શહેરીકરણથી જ્ઞાતિવ્યવસ્થા નબળી પડી છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 May 2022

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાંને સંકુચિતતા, અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા. તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડાં છોડી શહેરોમાં વસવા આહ્વાન કર્યું હતું. બાબાસાહેબને મતે જ્ઞાતિની નાબૂદીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ મહત્ત્વનું કારક બની શકે છે. જ્ઞાતિ નિર્મૂલનની આ આંબેડકરી આશા આઝાદીના અમૃતકાળમાં વાસ્તવિકતાની સરાણે ચકાસવા જેવી છે.

ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ૨૦૦૧માં ૨૭.૮૧ ટકા, ૨૦૧૧માં ૩૦.૧૬ ટકા અને ૨૦૧૮માં ૩૩.૬ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૦૧માં દેશમાં ૫,૧૬૧ શહેરો હતા, જે ૨૦૧૧માં વધીને ૭,૯૩૬ થયા છે. એક અંદાજ મુજબ આ દાયકાના અંતે દેશની ચાલીસ ટકા વસતિ શહેરોમાં વસતી હશે. ૨૦૨૫ સુધીમાં તમિલનાડુની સાઠ ટકા તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકની પચાસ ટકા વસતિનું શહેરીકરણ થયું હશે.

શહેરોમાં જ્ઞાતિનું સામંતી વાતાવરણ હોતું નથી. ગામડાંની તુલનામાં શહેરમાં જ્ઞાતિગત ઓળખ પ્રચ્છન્ન રહી શકે છે. સરકારી અને અન્ય નોકરીનાં સ્થળો, જાહેર પરિવહન, શાળા-કૉલેજ, મોલ, થિયેટર અને મોટા જાહેર મંદિરો વગેરેમાં આભડછેટ પાળી શકાતી નથી. જ્ઞાતિગત ધંધાને બદલે કહેવાતા ઉજળા ધંધાની પણ તક મળી શકે છે. ગામડાં કરતાં શહેરમાં નોકરી-ધંધાના સ્થળોએ જાતિ ઓગળી જઈ શકે છે. આ બધાં કારણોસર દલિતોનું ગામડાં છોડી શહેરોમાં વસવું પ્રમાણમાં ઓછું તકલીફદાયક છે. શહેરો તેમને સારું શિક્ષણ અને રોજગાર તો મેળવી આપે છે તેમની જ્ઞાતિગત ઓળખને પણ ભૂંસી શકે છે.

ડૉ. આંબેડકરની સલાહ અને શહેરીકરણના આટલા બધા ફાયદા પછી દલિતોનું શહેરીકરણ મોટા પાયે થયું હોવું જોઈએ, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. રાજધાની દિલ્હીમાં શહેરની કુલ વસતિમાં ૧૫.૭૬ ટકા, પચરંગી મહાનગર મુંબઈમાં ૬.૪૬ ટકા, નાગપુરમાં ૧૯.૮ ટકા, ચેન્નઈમાં ૧૬.૭૮ ટકા, બેંગલુરુમાં ૧૧.૩૭ ટકા અને કોલકાતામાં ૫.૩૮ ટકા જ દલિતો આવી વસ્યા છે. દીર્ઘ ડાબેરી શાસન ધરાવતા પશ્ચિમ બંગાળમાં દલિતોની વસતિ ૨૩ ટકા છે, પરંતુ નવજાગરણ અને સમાજસુધારાના કેન્દ્ર કોલકાતામાં દલિત વસ્તી માંડ પાંચ ટકા જ છે.

ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી અમદાવાદની કુલ વસ્તીમાં ૧૦.૭ ટકા, રાજકોટમાં ૬.૫ ટકા, વડોદરામાં ૬.૬૨ ટકા અને સુરતમાં ૨.૫ ટકા જ દલિતો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસ્તીમાં દલિતોનું પ્રમાણ ૬.૭૪ ટકા છે તેના કરતાં વધુ પ્રમાણમાં દલિતો એક માત્ર અમદાવાદમાં જ વસ્યા છે.

ભારતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં દલિતોનો વસવાટ ગામથી અલગ ન હોય. તો શું શહેરોમાં દલિતો જ્ઞાતિભેદ વિના સૌની સાથે વસી શકે છે ? જૂન ૨૦૧૮માં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’, બૅંગુલુરુએ પ્રકાશિત કરેલ ભારતના મેટ્રો સિટીઝમાં વસવાટ અને પાડોશ તરીકે દલિતો સાથે આચરાતો સામાજિક ભેદભાવ ગ્રામીણ ભારત કરતાં જરા ય ઉતરતો નથી. નવીન ભારતી, દીપક મલગન અને અંદલીબ રહમાનનું સંશોધન જણાવે છે કે “દેશના સાત સૌથી મોટાં શહેરોમાં વસવાટમાં સામાજિક-આર્થિક કરતાં જ્ઞાતિના આધારે વધારે ભેદ છે.” આ સંશોધકોના અભ્યાસનો આધાર ૨૦૧૧ની બ્લોકવાઈઝ થયેલી વસ્તી ગણતરી છે. અગાઉ વૉર્ડવાર થતી વસ્તી ગણતરી કરતાં આ વસતિગણતરીમાં ઓછી વસતી આવરી લેવામાં આવતી હોઈ તેમાં કેટલી દલિત વસ્તી છે તે તારવવું વધુ સહેલું બન્યું હતું.

ગામડાંની જેમ દેશના મહાનગરોમાં દલિતોની વસ્તી જુદી હોવાનું કે શહેરની બિનદલિત વસ્તીમાં બહુ ઓછા દલિત વસતા હોવાનું બ્લોકવાર વસ્તી ગણતરીના આંકડાઓ પરથી પુરવાર થયું છે. આઈ.આઈ.એમ., બૅંગલુરુ પ્રકાશિત અભ્યાસનું તારણ છે કે કોલકાતાના ૬૦ ટકા મહોલ્લાઓમાં એક પણ દલિત નથી. આઈ.ટી. ક્રાંતિ માટે સુખ્યાત દેશના આધુનિક શહેર બૅંગલુરુની આધુનિક નવી વસાહતોમાં કોઈ દલિતનો વસવાટ શક્ય બન્યો નથી.

શહેરોના સૌથી સલામત, સૌથી સ્વચ્છ, સૌથી મોંઘા, સૌથી સસ્તા, સૌથી પ્રદૂષિત એવા જે વિભિન્ન રેંકિંગ થાય છે તે મુજબ દેશના સૌથી વધુ અલગ દલિત વસતિના શહેર તરીકેનો પ્રથમ ક્રમ ગુજરાતના રાજકોટના ફાળે જાય તેમ છે. ૮૭.૬ ટકા સાક્ષરતા ધરાવતા અને ૮૯.૯ ટકા હિંદુ વસતિના શહેર રાજકોટમાં ૮૬,૨૬૫ દલિતો વસે છે. પરંતુ રાજકોટ શહેરની ૮૦ ટકા વસતિમાં એ કપણ દલિત વસતો નથી.

દલિતોને શહેરી વસ્તીની બહાર વસાવવાનું સૌથી વધુ ચલણ ધરાવતા ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં દલિતોની અલગ વસ્તી બહારપુરા કે સામાકાંઠે તરીકે વસાવી છે. મિશ્ર વસવાટ અને તેને કારણે જાતિનો નાશ શહેરોમાં થઈ શક્યો નથી. આર્થિક રીતે સક્ષમ દલિતો જ્યારે મકાનની ખરીદી માટે જાય છે ત્યારે શહેરોની કથિત સવર્ણ સોસાયટી કે ફ્લેટમાં તેમને જાકારો મળે છે. માલિક કે બિલ્ડર તેમને આડકતરી રીતે, સીધી રીતે કે ક્યારેક કાયદાની બીકે  ઠાવકાઈથી ના પાડે છે.

એકલા અમદાવાદ શહેરમાં જેમાં માત્ર દલિતો જ વસતા હોય તેવી દલિતોની અલગ આશરે ચારસો હાઉસિંગ સોસાયટીઓ છે. દલિતોનું પોતાના જાતભાઈઓ સાથે અલગ વસવાનું કારણ ન તો તેમની પસંદગીનું છે કે ન તો દલિત અસ્મિતાની કોઈ સભાનતાથી છે. કથિત ઉજળિયાત હિંદુ સમાજના દુર્ભાવપૂર્ણ વલણનું તે પરિણામ છે. ગુજરાત અને ભારતના શહેરોમાં ગરીબ દલિતો અલગ ચાલીઓ-ઝૂંપડપટ્ટીઓમાં અને સંપન્ન દલિતો અલગ સોસાયટીઓ – ફ્લેટ્‌સમાં રહે છે. જાણે “ઘેટો(ghetto)માં રહેવું અને જીવવું તે દુભાયેલા દલિતોની જાતિ-ધર્મે સર્જેલી નિયતિ છે.

શહેરોમાં દલિતોને માત્ર વસવાટમાં જ નહીં શિક્ષણ અને વ્યવસાયમાં પણ જ્ઞાતિના કારણે ભેદભાવ સહન કરવા પડે છે. અર્થશાસ્ત્રના અધ્યાપક અસદ ઈસ્લામ અને અન્યએ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની મોબાઈલ સેવાના દરદીઓ અને ડૉકટરો વિશે સર્વેક્ષણ કર્યું હતું.

કાનપુરના ચાળીસ સ્થળોએ મોબાઈલ આરોગ્ય સેવાના આ સર્વેમાં દરદીને અપાયેલા વિકલ્પો પરથી જાણવા મળ્યું હતું કે ઉચ્ચ જ્ઞાતિની અટક ધરાવતા પણ ઓછો અનુભવ અને ઓછી નિષ્ણાત ડિગ્રી ધરાવતા ડોકટરની સરખામણીએ નીચલી જ્ઞાતિની અટકના વધુ અનુભવી અને નિષ્ણાત ડૉકટરની દરદીઓ ઓછી પસંદગી કરતા હતા. અર્થાત દરદી માટે ડોકટરની ડિગ્રી, અનુભવ અને નિષ્ણાતપણું નહીં તેમની જ્ઞાતિ રોગના નિદાન અને સારવાર માટે મહત્ત્વની હતી.

દલિતોને ડૉકટર થયા પછી જ નહીં મેડિકલના શિક્ષણ દરમિયાન પણ ભેદભાવ સહેવા પડે છે. એઈમ્સ દિલ્હીમાં દલિત વિધ્યાર્થીઓ સાથે આચરાતા ભેદભાવ અને તેને કારણે તેમની આત્મહત્યા અંગે તપાસ કરવા યુ.જી.સી.ના પૂર્વ ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિની રચના સરકારે કરી હતી. થોરાટ સમિતિએ રાજધાનીની સૌથી મોટી હોસ્પિટલ અને તબીબી સંસ્થાનમાં દલિત વિદ્યાર્થીઓની કનડગત અને ભેદભાવ અંગે ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા. સમિતિના રિપોર્ટ મુજબ દલિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બિનદલિતને બદલે દલિત સાથે જ રહેવાની ફરજ પડે છે. ૮૫ ટકા દલિત વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે મેડિકલની પરીક્ષામાં સુપરવાઈઝર તેમને ઓછો સમય આપતા હતા, આંતરિક મૂલ્યાંકન પરીક્ષા વખતે ૭૬ ટકા દલિત વિદ્યાર્થીઓની જ્ઞાતિ જાણવા પરીક્ષક પ્રયત્ન કરતા હતા અને ૮૪ ટકા દલિત વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. થોરાટ સમિતિએ તેના અહેવાલમાં એવી ટિપ્પણી કરી હતી કે, “વિજ્ઞાનના નિયમો ભણનારા, વૈજ્ઞાનિક અભિગમ કેળવવાને બદલે વાસ્તવિક જીવનમાં જ્ઞાતિને પ્રાધાન્ય આપીને પોતાની જ્ઞાતિગત ઉચ્ચતા જાળવી રાખવા માગે છે.”

દિલ્હી યુનિવર્સિટીના ૨,૦૦૦ વિદ્યાર્થીઓના સર્વેના તારણમાં, ‘દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની પ્રકૃતિ અનામત વર્ગના વિદ્યાર્થીઓના બહિષ્કરણની હોવાનું’ નોંધી જણાવ્યું છે કે, “એક કુલીન વિશ્વ વિદ્યાલયમાં શહેરી પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓ વચ્ચે મોટા પાયે જાતિઆધારિત ભેદભાવ મોજુદ છે.” રોહિત વેમુલાથી પાયલ તડવીની આત્મહત્યાઓ તેનું જ પરિણામ છે. ભારતની સાયન્સ, ટેકનોલોજી અને મૅનેજમેન્ટની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવોએ પૂરવાર કર્યું છે કે વિજ્ઞાન, તકનિકી અને પ્રબંધનનું શિક્ષણ ગ્રહણ કરનારા પણ જાતિ નિરપેક્ષ બની શક્યા નથી. દલિતોનો શહેરોમાં પણ જાતિભેદથી પૂર્ણ છૂટકારો થઈ શકતો નથી.

અમદાવાદ – મુંબઈની કાપડમિલો હોય કે કોલકાતાની શણની મિલો, દલિતો તેમાં પણ આભડછેટ અને જાતિપ્રથાનો ભોગ બન્યા છે ડો. આંબેડકર સાચું જ કહે છે કે ‘જાતિપ્રથા એ માત્ર શ્રમનું વિભાજન નથી શ્રમિકોનું વિભાજન છે’. જો કે ગટરસફાઈ જેવું જ્ઞાતિગત અને જોખમી કામ શહેરોમાં પણ દલિતોના માથે જ મરાયું છે. ૨૬થી ૩૦ માર્ચના પાંચ જ દિવસોમાં લખનૌ અને રાયબરેલી (ઉ.પ્ર), બીકાનેર (રાજસ્થાન) નૂંહ (હરિયાણા) અને દિલ્હીમાં અનુક્રમે ૨, ૨, ૪, ૨ અને ૬ એમ કુલ ૧૬ દલિતોના ગટરમાં અંદર ઉતરી સફાઈ કરાવવાને કારણે મોત થયા હતા. શહેરોમાં વળી ક્યાં ભેદભાવ કે આભડછેટ જેવું કંઈ છે તેમ કહેનાર જ્ઞાતિગત ગટરસફાઈનાં કામ અને મોત અંગે મૌન રહે છે.

વિશ્વ બૅંકના મતે ભારતમાં આડેધડ, અસ્તવ્યસ્ત અને અઘોષિત શહેરીકરણ થયું છે. નિયોજિત, સતત અને સમાવેશી શહેરીકરણ જાતિવ્યવસ્થાને અટકાવી શકે છે. બહોળી વસતિને એક જ જગ્યાએ વસાવીને કે એક સાથે રાખીને માનવીય વ્યવસ્થામાં સુધારો લાવી શકાય છે સમાજ પરિવર્તનમાં તે ઉત્કૃષ્ઠ ભૂમિકા ભજવી શકે છે ગાંધીનગર અને ચંદીગઠનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં પણ નિરાશા જ સાંપડે છે. ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ ડ્રોથી વસવાટ માટેની જમીન ફાળવાઈ હોવા છતાં દલિતોને એક જથ્થે દૂરના કે અવિકસિત સેકટરોમાં અને એક જથ્થે જમીન ફાળવાય તેવું જાતિગત ભેદ સિવાય કઈ રીતે શક્ય છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર રહેઠાણ અને પાડોશની બાબતમાં સર્વસમાવેશી બની શક્યા નથી. એવું જ મહારાષ્ટ્રના લાતૂર અને ગુજરાતના કચ્છના ભૂકંપ પછીના જાતિઆધારિત પુનર્વસનનું  છે.

૧૯૭૦માં રાષ્ટ્રીય અખબારોમાં દલિતોની લગ્ન વિષયક જાહેરાતોનું પ્રમાણ ૧.૫ ટકા હતું, તે ૨૦૧૦માં વધીને ૧૦ ટકા થયું છે. જ્યાં શહેરીકરણ વધુ છે તેવા રાજ્યોમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધારે છે અને શહેરી મધ્યમવર્ગમાં દલિતોનો પ્રવેશ અને પ્રભાવ શક્ય બન્યો છે તે સ્વીકારીને પણ કહેવું પડશે કે  ભારતની જડ જાતિપ્રથા આધુનિકીકરણ, શહેરીકરણ અને કુદરતી આફતને પણ ગાંઠ્‌યા વિના અકબંધ રહે છે.

ગાંધીજીએ કહ્યું હતું, “અંત્યજોનો પ્રશ્ન કોઈપણ રીતે આ પેઢી દરમિયાન અથવા આવતી કેટલીક પેઢીઓ દરમિયાન નહીં પણ હમણા જ ઉકેલવાનો છે. નહીં તો તે કદી ઉકલવાનો નથી.” ગામડાં કે નાનાં નગરોમાં જ નહીં મહાનગરોમાં પણ આઝાદીના પંચોતેર વરસો પછીની વર્ણગત વિભાજીતતાની વાસ્તવિકતા પછી પ્રશ્ન થાય છે કે શું ભારતમાંથી જ્ઞાતિ વ્યવસ્થા અને તેના બાહ્ય સ્વરૂપ જેવી અસ્પૃશ્યતા ક્યારે ય નાબૂદ થશે નહીં ? ડૉ. રામમનોહર લોહિયા કહેતા હતા તેમ “જાતિ વો હે જો કભી જાતી નહીં” કાયમી સત્ય બની રહેશે ?

Email : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 06-07

Loading

પંડિત શિવકુમાર શર્મા

નિલય ભાવસાર|Opinion - Opinion|16 May 2022

પદ્મભૂષણથી સન્માનિત સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માનું હૃદયરોગના હુમલાને કારણે તારીખ ૧૦ મે, ૨૦૨૨ના દિવસે નિધન થયું. તેઓ ૮૪ વર્ષના હતા. તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના દિવસે જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માએ ક્યારેક કહ્યું હતું કે સંતૂર દુનિયાનું એકમાત્ર એવું તારવાળું વાદ્ય છે જે આ કલમ વડે જ વગાડી શકાય છે.

અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં સંતૂરવાદક શિવકુમાર શર્મા હાજરી આપી ચૂક્યા છે. સપ્તકમાં શિવકુમાર શર્માનું સંગીત સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે તેવો દંભ કરતા શ્રોતાઓની પણ ભીડ જામતી હતી. આ લેખમાં એમના શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રથી અલગ ને ઓછા જાણીતા એવા ફિલ્મ ક્ષેત્રની સફરની વાત કરીશું. ૧૯૮૦ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે કે જેટલા તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં ‘સિલસિલા’ (૧૯૮૧), ‘ફાસલે’ (૧૯૮૫), ‘વિજય’ (૧૯૮૮), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧), ‘પરંપરા’ (૧૯૯૩), સાહિબાન (૧૯૯૩) ‘ડર’(૧૯૯૩)નો સમાવેશ થાય છે.

ખરેખર, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ વર્ષ ૧૯૬૫માં ‘જબ જબ ફૂલ ખીલે’થી ફિલ્મી ગીતો પર સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ઐતિહાસિક રીતે ફિલ્મ સંગીતમાં શિવકુમાર શર્માનું આગમન હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પહેલા થઈ ગયું હતું. શિવકુમાર શર્મા પાસે વર્ષ ૧૯૫૫માં વી. શાંતારામની હિન્દી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંતૂર વગાડનાર પહેલા સંગીતકાર તરીકેનું સન્માન છે. શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા ખૂબ સારા મિત્રો હતા અને તેમણે સાથે મળીને દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતના કૉન્સર્ટ કર્યા હતા. ઘણી ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું. તેમણે પોતપોતાનાં કૌશલ્યમાં પ્રાવિણ્ય હાંસલ કર્યું હતું. હરિપ્રસાદ ચૌરસિયાના જણાવ્યા મુજબ એમણે અને શિવકુમાર શર્માએ મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક સાથે ખૂબ સારો સમય પસાર કર્યો હતો. અમારી ઘણી સારી મિત્રતા હતી. કારણ કે હરિપ્રસાદ ચૌરસિયાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંગીતકાર બનવા માટે પોતાની નોકરી અને અલાહાબાદનું પોતાનું ઘર છોડ્યું હતું. જ્યારે, શિવકુમાર શર્માએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ જમ્મુમાં પોતાનું ઘર અને નોકરીનો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

ફિલ્મમેકર યશ ચોપરા તેમના મિત્ર હતા અને તેઓ બી.આર. ચોપરા સાથે કામ કરવાના સમયથી એક બીજાને જાણતા હતા. રાજકમલ સ્ટુડિયોમાં ‘વક્ત’ અને ‘હમરાઝ’ જેવી ફિલ્મોનાં ગીતોના રેકોર્ડિંગ દરમિયાન શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા, યશ ચોપરા સાથે ફ્રી ટાઈમમાં ચર્ચા કરતા હતા. યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું ત્યારે તેમણે ફિલ્મોના બૅકગ્રાઉન્ડ સંગીત માટે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો. જેમાં ફિલ્મ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’ના બેકગ્રાઉન્ડ સંગીતનો સમાવેશ થાય છે. પણ, જ્યારે યશ ચોપરાએ શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાના ‘Call of the Valley’ નામના આલબમનું સંગીત સાંભળ્યું ત્યારે તેમણે એવો નિર્ણય લીધો કે હવે મારી ફિલ્મોમાં સંગીત પણ શિવ-હરિ(શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડી આપશે.

સૂરજીત સિંહ લિખિત પુસ્તક ‘બાંસૂરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા’માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌ પ્રથમ ફિલ્મ ‘કાલા પથ્થર’ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેના કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે ‘સિલસિલા’ (૧૯૮૧) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવાં લોકપ્રિય કલાકાર હતાં. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. જાવેદ અખ્તરે આ ફિલ્મથી ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ તારીખ ૧ જુલાઈ, ૧૯૩૮ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાંક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.

શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો, કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. ‘સિલસિલા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. ‘સિલસિલા’ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઇચ્છતા હતા કે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે ‘સિલસિલા’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની ‘સિલસિલા’માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે ‘ફાસલે’, ‘વિજય’, ‘ચાંદની’, ‘લમ્હે’ અને ‘ડર’માં યાદગાર સંગીત આપ્યું. ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘ડર’માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ ૧૯૯૩માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.

Eamil : nbhavsarsafri@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 12 તેમ જ 15

Loading

...102030...1,5541,5551,5561,557...1,5601,5701,580...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved