Opinion Magazine
Number of visits: 9745554
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાનાં ગામની કન્યા-ખેલાડીઓની મોટી સિદ્ધિ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|22 May 2022

ગુજરાતની કન્યાઓની એક ટીમે 16 મે તારીખે નૅશનલ વૉલીબૉલ ચૅમ્પિયનશીપ મેળવી. આ ટીમે સોળ વર્ષથી વિજેતા બનતી રહેલી કેરળની ટીમને હરાવી.

સૌરાષ્ટ્રનાં નાનાં ગામની છોકરીઓની આ ટીમનો માર્ગ કપરો હતો. એમને રમવા માટે ઇન-ડોર સગવડ નથી. તેમને ખૂબ ગરમી અને આકરા હવામાનમાં રમવું પડે છે. થોડાં વર્ષો પહેલાં સુધી આ ગામમાં પાણીની ખૂબ તંગી હતી. મેદાનની આસપાસ પાણીની વ્યવસ્થા ન હતી, એટલે છોકરીઓને ઘરેથી પાણી લઈ  જવું પડતું.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં 19 મે તારીખે આવેલા સમાચાર મુજબ, ગુજરાતની આ ટીમની ખાસિયત એ છે કે તેમાંથી છ ખેલાડીઓ જૂનાગઢથી 21 કિલોમીટરના અંતરે આવેલાં સરખાડી નામનાં સાવ નાનાં ગામની છે.

કોડીનાર તાલુકાના આ ગામની વસ્તી 2011ની ગણતરી મુજબ 4397 છે, જેમાં સ્ત્રીઓનું પ્રમાણ 51.5% છે. ગામમાં કુલ સાક્ષરતા 73.6% છે જ્યારે મહિલા સાક્ષરતા 34% છે.

વિજેતા ટીમમાં સરખાડી ગામની જે છોકરીઓ છે તેમાં કૅપ્ટન સંધ્યા રાઠોડ ઉપરાંત ઉષા વાળા, દિશા વાળા, નિરાલી વાળા, પ્રિયાંકા ઝાલા અને મનીષા ઝાલાનો સમાવેશ થાય છે. અન્ય જગ્યાઓ પરની ખેલાડીઓમાં ઇશા જૈન, અનિશા ચૌધરી, નેહા પ્રજાપતિ નીપા બારડ, દેવુબાલા ચાવડા અને મહેક પાન્ડેનો સમાવેશ થાય છે.

ટીમના કોચ પરિતા વાળા કહે છે કે આ ગામની છ છોકરીઓ લાંબા સમયથી સાથે પ્રૅક્ટિસ કરતી રહી છે, જેને પરિણામે તેમને એકબીજાં સાથે સંકલનમાં સરળતા રહી છે.

પરિતા પણ સરખાડી ગામનાં જ છે. તેઓ 2014માં ચીનમાં જ્યુનિયર એશિયન ચૅમ્પિયનશીપમાં રમેલાં છે. આ જ ગામનાં કિંજલ વાળા 2014માં થાઇલૅન્ડમાં રમાયેલી એશિયન યૂથ ગર્લ્સ વૉલીબૉલ ચૅમ્પિયનશીપમાં ભારતની ટીમના કૅપ્ટન હતાં. શિલ્પા વાળા 2010માં મલેશિયામાં એશિયન યૂથ ચૅમ્પિયનશીપમાં રમેલાં છે.

સરખાડી ગામની છોકરીઓ જે 16 મે તારીખે મહારાષ્ટ્રનાં સાંગલી મુકામે રમાયેલી મૅચમાં વિજય મેળવ્યો, તે દિવસના અખબારોના  કેટલાક સમાચાર આ મુજબ છે : 

‘યુવતીને અશ્લિલ મેસેજ કરી હેરાન કરતાં યુવકની ધરપકડ’,

‘પરિણિતાને માર મારી દુષ્ક્રર્મ આચર્યું’ ,

‘જમાઈના પરિવારે સાસુની સરાજાહેર હત્યા કરી’,

‘સસરાના ત્રાસ સામે ત્રણ સંતાનોની માતા એવી વિધવા પુત્રવધૂની ફરિયાદ’, ‘ત્રાસ આપીને પત્નીની હત્યા કરવા બદલ પ્રોફેસરની ધરપકડ’,

‘નગ્ન થઈને સોસાયટીમાં ફરનાર પુરુષ સામે વાંધો ઊઠવનાર ત્રેપન વર્ષની મહિલાને તે પુરુષ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી’.

મહિલાઓ પરની હિંસાના સમાચારોથી અખબારો ભરેલાં હોય છે. આવી સામાજિક પરિસ્થિતિમાં મહિલાઓની સિદ્ધિઓ ખાસ નોંધવા જેવી જણાય છે.

સરખાડી ગામમાં ગયાં પાંચ-છ દિવસથી ઉજવણીનો મહોલ છે.

સૌજન્ય : નિમેષ ખાખરિયા, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’,19 મે 2022

21 મે, 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ભારતીયોને ધર્મથી રિઝવી શકાય છેની માન્યતા વૈશ્વિક બની રહી છે, ત્યારે મંદિર-મસ્જિદના વિવાદો કેટલા વાજબી?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 May 2022

ધર્મ અને આસ્થા જેવી બાબતો અંગત પસંદગીની બાબત છે અને એમ માનવું કે ધર્મને પગલે લોકશાહી આદર્શો પર ઘડાયેલો સમાજ રચી શકાય, એનાથી મોટો રાજકીય વહેમ બીજો કોઇ ન હોઇ શકે.

હું નાની હતી ત્યારે મારી માને મેં ઘણીવાર એમ કહેતાં સાંભળી હતી કે, ‘મિયાંને મહાદેવ હંમેશાં સાથેને સાથે હોય’, થોડી મોટી થઇ પછી મેં એની એ કહેવત કહો તો કહેવત અને વાક્ય પ્રયોગ કહો તો એમ- તેની ખરાઇ કરવાનું શરૂ કર્યું. નવ્વાણું ટકા કેસિઝમાં એમ થતું કે દરગાહની બાજુમાં શિવની દેરી હોય અથવા તો મંદિરના પરિસરની સાવ નજીક અને ક્યારેક તો અંદર જ દરગાહ હોય, મોટા મસ્જિદની આસપાસ નાની દેરી હોય, વગેરે. મિંયા અને મહાદેવને એકબીજા સાથે ફાવે જ છે પણ એવા લોકો છે જેમને આ બેયને ગોઠે છે એ માફક નથી આવતું. બનારસની જ્ઞાનવાપી મસ્જિદ આજકાલ ચર્ચામાં છે.

ચિંતાની વાત એ છે કે બાબરી ધ્વંસના ત્રણ દાયકા પછી બીજી એક મસ્જિદનું નામ વંટોળે ચઢ્યું છે. આ મુદ્દાની વાત કરવી તો જરૂરી છે જ પણ પેલું કહેવાયું છે ને કે, “બાત નિકલેગી તો દૂર તલક જાયેગી…” આપણે દૂરથી જ વાત શરૂ કરીએ. ઑસ્ટ્રેલિયાની ચૂંટણી ઢૂંકડી છે, આ વંચાતુ હશે ત્યારે મતદાન પૂરું થઇ ગયું હશે. પ્રચારના ભાગરૂપે ત્યાંના બે મોટા પક્ષ લેબર અને લિબ્રલ – બન્નેએ હિંદુઓ અને શીખોને ઢગલો વચન આપ્યા છે. વચન આપવું રાજકારણીઓનું કામ છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાના વર્તમાન વડા પ્રધાન સ્કોટ મોરિસને ચૂંટણી પહેલાના અઠવાડિયાનો વીકેન્ડ હિંદુ અને શીખ કોમ્યુનિટીઝ સાથે મનાવ્યો, તે મંદિરમાં ગયા, ગુરુદ્વારમાં પણ ગયા. ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ભારતીયોની સંખ્યા મોટી છે. વળી તામીલ સમુદાયના લોકને લેબર પાર્ટીના ઉમેદવાર મળ્યા તે પણ તેમના ધાર્મિક સ્થળના પરિસરમાં. વાત ઑસ્ટ્રેલિયાની છે છતાં ય મુદ્દો એ છે કે ધાર્મિક સ્થળોએ પ્રચારના મેળાવડા થયા. સમયાંતરે અનેક રાષ્ટ્રોમાં રાજકારણમાં ધાર્મિક પ્રભાવ વધી રહ્યો છે. આવું પહેલાં નહીં જ થતું હોય એવું માનવાનું કારણ નથી પણ આવું વધી રહ્યું છે, એ રાષ્ટ્રોમાં પણ જ્યાં પહેલાં આવી પહેલ નહિવત્ હતી ત્યાં હવે આ પ્રકારે ધર્મની લાકડીનો ટેકો લેવાનું રાજકારણીઓ ચૂકતા નથી, એમાં ય વિદેશમાં વસતા ભારતીયોની વાત કરીએ ત્યારે તો ખાસ. ભારતીયોની ઓળખ ધર્મની સાથે જોડાઇ રહી છે. ભારતીય છે તો ચાલો, ધર્મનો ઉપયોગ કરી એવી માનસિકતા આપણને વૈશ્વિક સ્તરના નેતૃત્વમાં પણ દેખાઇ રહી છે – જે અયોગ્ય છે.

ઇતિહાસમાં અનેકવાર ધર્મને લઇને યુદ્ધો પણ થયા છે પણ આધુનિક ઇતિહાસની વાત કરીએ તો રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ સમયાંતરે સાહજિક બન્યો છે. આ માટેનું સૌથી મોટું ઉદાહરણ ઘર આંગણે છે – ના, મંદિર મસ્જિદની વાત નથી થઇ રહી – એ તો જૂનું કાર્ડ છે. પરંતુ વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રી વધારવા માટે ભારતે પણ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર કરવામાં પાછું વળીને નથી જોયું. ચીન પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે જેથી વૈશ્વિક સ્તરે અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધોમાં ધર્મના દૃષ્ટિકોણથી ફેર લાવી શકાય. યુ.એસ.એ. પણ વિશ્વ આખામાં ધાર્મિક સમુદાયો સાથે જોડાવામાં પાછો નથી પડતો. મોંગલિયન સંસદમાં વડા પ્રધાને એશિયા અને વિશ્વના રાજકીય પડકારોને પાર પાડવામાં બૌદ્ધ ધર્મની આગવી અગત્યતા છે. વૈશ્વિકરણના સમયમાં ધર્મ પ્રત્યેના પ્રતિભાવ, પ્રતિક્રિયાઓ અગત્યના બન્યાં છે. આધુનિકીકરણની વાતો થાય, સમય-સંજોગો-માધ્યમો બદલાય છતાં ય અંતે રાજનીતિને મામલે આપણે ધર્મ તરફ પાછા વળીએ છીએ. ધર્મથી દુનિયા ચાલતી હોત તો પરમ શાંતિ હોત પણ ફિલોસોફીથી રાજ્ય કેવી રીતે ચાલે. અહીં તો રાજકારણ માટે, સત્તા માટે ધર્મનો ઉપયોગ થાય છે. રાજકારણ તર્ક અને અનુભવને આધારે મળેલાં મૂલ્યો પર નિયત થવું જોઇએ, થતું આવ્યું છે – આ મૂલ્યો અને તર્કની ખરાઇ થઇ શકે. ધર્મની કે આસ્થાની ખરાઇ કેવી રીતે થઇ શકે? ધર્મ અને આસ્થા જેવી બાબતો અંગત પસંદગીની બાબત છે અને એમ માનવું કે ધર્મને પગલે લોકશાહી આદર્શો પર ઘડાયેલો સમાજ રચી શકાય એનાથી મોટો રાજકીય વહેમ બીજો કોઇ ન હોઇ શકે.

જ્ઞાનવાપી મસ્જિદ પછી મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ કેસ શરૂ થયો. આર્કિયોલૉજિકલ સરવેના એક અધિકારી એવા પણ નિકળ્યા જેમણે દાવો કર્યો કે કુતુબ મિનાર રાજા વિક્રમાદિત્યએ સૂર્યનો અભ્યાસ કરવા માટે બંધાવ્યો હતો. ઇતિહાસ, આસ્થા અને કાયદાનું સંતુલન કરવાનો પ્રયાસ સુપ્રીમ કોર્ટે 3 વર્ષ પહેલાં કર્યો, જ્યારે બાબરી મસ્જિદ કેસની વાત થઇ. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે મુસલમાનોને 450 વર્ષ જૂની તેમની મસ્જિદથી દૂર રખાયા તે ખોટું થયું અને ધ્વંસની પણ ટીકા કરી પણ પછી એમ કહ્યું કે હિંદુઓનો આ જમીન પર માલિકી દાવો બહેતર છે. વળી સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ છે એટલે હિંદુઓની આસ્થાને ગણતરીમાં લેવી પડે તો જ શાંતિ અને સ્થિરતા સ્થપાશે એવી દલીલને પણ ગણતરીમાં લીધી. વળી સુપ્રીમ કોર્ટે ત્યારે એમ પણ કહ્યું કે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ ૧૯૯૧’ અનુસાર અયોધ્યા બાબરી મસ્જિદ સિવાય દેશની કોઇપણ અન્ય ધાર્મિક સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં કોઇ પરિવર્તન નહીં કરાય. આઝાદીના દિવસ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે એ ધાર્મિક સ્થળ જે રૂપમાં હતું, તે યથાવત્ રહેશે. આ એક્ટ આપણા ધર્મનિરપેક્ષ મૂલ્યના પાસાને મજબૂત કરે તેવો છે. જ્ઞાનવાપી વિવાદને કારણે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ’ ફરી ચર્ચામાં છે, પણ બાબરી વિવાદની માફક આ વિવાદ પણ કાયદા કે ઇતિહાસનો છે જ નહીં – આ વિવાદ આધુનિક રાજકારણની સ્વાર્થી જરૂરિયાતનો છે. હિંદુત્વની જ્વાળા(હિંદુ્ ધર્મ નહીં વાદની વાદ થાય છે)ને ભડકાવવા માટે ફરિયાદનું ઇંધણ વપરાયા કરે છે. મુસલમાનોનું રાજકીય બળ ઘટ્યું છે એટલે તેમના તુષ્ટિકરણની કોઇ મહત્તા નથી. આ વાત વૈશ્વિક સ્તરે પણ લાગુ પડે છે કારણ કે ઇસ્લામોફોબિયા અને આતંકવાદ વૈશ્વિકરણની દેન છે.

ભારતમાં હિંદુવાદની લાગણીઓને પ્રાધાન્યતા અપાય છે અને માટે જ હિજાબ, લવ જેહાદ, ગૌહત્યા જેવા મુદ્દાઓના ભડકા થયા કરે તેની તકેદારી રખાય છે. શાસક પક્ષ માટે ઇતિહાસ પરનો આધાર જાણે તેમની સત્તાની હોડીનું સૌથી મજબૂત હલેસું છે. સત્તામાં હોવાને કારણે કાયદાના કારણે લોકચર્ચા કરાવવી તેમને માટે આસાન પણ છે. ભા.જ.પા. માટે પણ આ ધાર્મિક રાજનીતિ બે ધારી તલવાર છે કારણકે પોતે હિંદુત્વનું બળ છે એ ઓળખ પણ જાળવવાની છે અને રાજકીય તંત્રમાં મજબૂત પક્ષ હોવાની જવાબદારી પણ નિભાવવાની છે. તેઓ કશું પણ દેખીતી રીતે ન કરી શકે અને માટે જ ધર્મનો ઝંડો લઇ નીકળી પડનારા પ્રતિનિધિઓ તેમને માફક આવે છે. આ ભક્તો જે હિંદુવાદ કરીને ધર્મ જાળવવા નીકળ્યા છે તેમના ઘોંઘાટને કારણે રાજકીય સંસ્થાઓ આ બધાથી દૂર છે એવો ભ્રમ પણ સચવાયેલો રહે છે.

પશ્ચિમના ઇતિહાસમાં પણ ચર્ચ અને રાજકારણ વચ્ચેની ખેંચતાણ, ચર્ચાનું રાજકારણ પર જોર થતું જ આવ્યું છે. ઇતિહાસ પરથી શીખીને ભાવિ ઘડવાનું હોય, તેની ફરિયાદો લઇ નવા પ્રશ્નો ખડા કરવામાં કંઇ સાર નથી. પ્રશ્ન છે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આપણે મંદિર – મસ્જિદની લડાઇમાંથી ઊંચા નથી આવતા.

બાય ધી વેઃ

તમે માનશો કે મોટા ભાગના મસ્જિદ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલા છે? આનું સીધું કારણ એ કે તે બાંધનારા હિંદુ કારીગર હતા. આની પર એક રિસર્ચ પણ થયો છે પણ તે રિપોર્ટ બનાવનાર હવે ભારતમાં નથી. સુલતાનો કે મુગલો (મુસલમાનો) પ્રત્યે આટલો રોષ બતાડવાનો કોઇ તર્ક નથી – તેઓ ભારતને પોતાનું ઘર બનાવવા આવ્યા હતા, અંગ્રેજોની માફક માત્ર સામ્રાજ્ય બનાવવા નહોતા આવ્યા. મંદિરો લૂંટાયા કારણકે તેમાં ધન હતું – અહીં ધર્મની વાત કરી લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઇએ. આપણી જમીન પર જે છે તે આપણો વારસો છે, બિનસાંપ્રદાયિક દેશમાં આ હોબાળા વરવાં લાગે.  ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશ માટે ધર્મ અને રાજકારણને ભેગા કરવા જોખમી બાબત છે, પછી તે દેશના આંતરિક મુદ્દાઓ માટે હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે થતું હોય. ભારત જ નહીં પણ બીજા રાષ્ટ્રોએ પણ સમજવું રહ્યું કે ઐતિહાસિક રોદણાં – ફરિયાદો અને બહુમતી સંવેદના જે તરફ હોય તેના થકી જ ન્યાય બંધાયેલો નથી. બાબરી વિવાદના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહેલું કે ગમે તેટલા પૌરાણીક શાસકો પ્રત્યે કોઇ વ્યક્તિને વિરોધ નોંધાવીને પગલાં લેવાં હોય એમાં કાયદાને કંઇ લેવા દેવા નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  22 મે 2022

Loading

મન્તવ્ય-જ્યોત—7

સુમન શાહ|Opinion - Opinion|22 May 2022

જ્યોત ૭ : ઊર્મિકેન્દ્રી સાહિત્ય ('ઊર્મિશીલ' પણ કહી શકાય) :

ઊર્મિકેન્દ્રી સાહિત્યનો – લિરિકલ લિટરેચરનો – પાયાનો સમ્બન્ધ લિરિક સાથે છે. લિરિક મૂળે તો ગાવા માટે હતું; સંગીત સાથે એનો અવિનાભાવી સમ્બન્ધ હતો. ‘લાયર’ (lyre) નામના તન્તુવાદ્ય સાથે ગવાતું હતું એટલે ‘લિરિક’ કહેવાયું.

કવિજન પાસે ઊર્મિને વિશેની સમજ ન હોય, ગતાગમ ન હોય, તો કાવ્યો નહીં પણ અકાવ્યો સરજાય છે.

લિરિક પોએમ – ઊર્મિકાવ્ય – સામાન્યપણે નાનું હોય, લઘુ કદનું. પદ, ભજન, ગીત, ગઝલ કે સૉનેટ ઊર્મિકાવ્યના પ્રકારો છે. કહેવાની જરૂર નથી કે એ ગાવા માટે છે. ભારતમાં ૧૫-મું શતક ભક્તિયુગ હતો. તે દરમ્યાન પદો, ભજનો અને ઈશ્વરની લીલાનાં સ્તુતિગાન ખૂબ રચાયાં ને ખૂબ ગવાયાં.

સનમ, સાકી અને સૂરા સાથે જિવાતી ઘટનાના કેન્દ્રમાં ગઝલ હતી. ૭મી સદીમાં અરેબિક કાવ્યસષ્ટિમાં ગઝલ જન્મી હતી. એનાં ગાયન થતાં. હકીકતે ગઝલ જાતીય પ્રેમ – સૅક્સ્યુઅલ લવ – સાથે જોડાયેલી, એટલે કે, ‘ઍમેટરી’ પોએમ હતી. ‘ગઝલ’ શબ્દનો અર્થ જ થાય છે, કુંવારી છોકરીઓ જોડે પ્રેમ અને સંવનનની વાતો.

ગઝલમાં, મિલનનો નશો ગવાતો હતો, તો વળી, વિરહનું દર્દ અને પ્રેમીને દર્દમાં ય મળતું એક જુદા જ પ્રકારનું સુખ પણ ગવાતું હતું. એ પછી ગઝલમાં, સૂફીઓએ ગાયેલો આશિકમાશુકનો પ્રેમલક્ષણાભક્તિભાવ ભળ્યો. આપણે ત્યાં મરીઝ આદિ પછી ગઝલનો ચ્હૅરો નગરજીવન ભણીનો થઈ ગયો ને એમાં આધુનિકતાવાદી સંવેદનોએ જગ્યા બનાવી. આજકાલ લખાતી ગુજરાતી ગઝલમાં એવો નર્યો પ્રેમ કે એવી ખરી ભક્તિ તો ક્યાંથી હોય? એ માત્ર પાંચ શેઅરની સુવાચ્ય રચના બનીને રહી ગઈ છે.

૧૩મી સદીમાં પ્રભવેલા સૉનેટની મુખ્ય ધારા પણ પ્રેમકાવ્યોની ધારા હતી. એ ‘સિસિલિયન’ સમ્પ્રદાયના દરબારી કવિઓની સરજત હતી. સૉનેટ પણ ગાયનનો વિષય હતું છતાં દરેક સૉનેટનો પાઠ પણ થતો હતો. એ પછી ૧૪મી સદીમાં પેટ્રાર્ક આવ્યા. એમની કાવ્યસૃષ્ટિમાં, કહે છે કે ૩૭૦ સૉનેટ છે, અને તે બધાં એમણે એમની પ્રિયા લૉરાને સમ્બોધીને રચ્યાં છે. પણ કાળક્રમે, કદાચ શેક્સપીયરનાં ૧૧૪ સૉનેટને કારણે કે પ્રભાવે, સૉનેટમાં ચિન્તન ભળ્યું; જો કે ચિન્તનને લીધે પ્રેમતત્ત્વ ગાયબ થઈ ગયું, સાથોસાથ, ગાયન પણ ગૂમ થઈ ગયું.

આપણે ત્યાં ચિન્તનોર્મિ સૉનેટ્સ લખાયાં તે સારી વાત પણ કોઈ કોઈ સૉનેટરચના એ જ કારણે ઘણી બધી ક્લિષ્ટ અનુભવાય છે. પ્રેમતત્ત્વ હોય અને ગાઇ પણ શકાય એવાં સૉનેટ આપણે ત્યાં બહુ ઓછાં જડશે. કવિઓ ક્રમે ક્રમે એ બે મૂળ વાનાં વીસરી ગયા. આજે તો સૉનેટ કોઇ લખતું જ નથી, કદાચ પ્રેમ કરવાનો અને પ્રેમને ગાવાનો કોઈ કવિ પાસે સમય જ નથી રહ્યો.

જો કે, આપણા ગઝલ અને સૉનેટના કેટલા સર્જકોને મારફાડ પ્રેમનો અનુભવ થયો હશે?

આમ તો ઊર્મિકાવ્યમાં કથકના અથવા કાવ્યનાયકનાં ભાવસ્પન્દનો / વિચારકણો હળવે હળવે રજૂ થતાં હોય છે. પરન્તુ પદ ભજન કે ગઝલની પાયાની જરૂરિયાતો નથી સંતોષાતી, અને તે પર ભાવ કે વિચારનો થોડોક પણ વધારે ભાર મુકાય છે, તો એ પડી ભાંગે છે.

હું વાત કરતો હતો ઊર્મિવિષયક સમજનો, ગતાગમનો. એમાં કપલેટ પણ ઉપકારક નીવડી શકે છે. કપલેટ બે પંક્તિનાં હોય છે. દાખલા તરીકે,

‘જગની સૌ કડીઓમાં
સ્નેહની સર્વથી વડી’.

                   – સુન્દરમ્.

એ પછીના ક્રમે મૂકી શકાય : મુક્તક. દાખલા તરીકે,

‘નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી 

કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી’.

                                                  – મરીઝ.

તે પછી, ઊર્મિકેન્દ્રી સાહિત્યમાં આવે, રાસ. ગરબો. પ્રબન્ધ. ખણ્ડકાવ્ય. આખ્યાન.

કેટલાક મિત્રો પોતાને સામેથી ગઝલકાર કહેવડાવે છે, તો કેટલાક પોતાને ગીતકવિ. એ એમની સમજ પ્રમાણેની નમ્રતા કહેવાય, બાકી, તેઓ કવિ છે.

ઊર્મિકેન્દ્રી કથાઓ પણ હોઈ શકે છે. આરણ્યક, સુકેશી અને સુમેરુની કથાનું નિરૂપણ કરતી ધૂમકેતુકૃત ‘પૃથ્વી અને સ્વર્ગ’ ટૂંકીવાર્તાને હું એમ ગણી શકું. સ્નેહરશ્મિકૃત ‘સ્વર્ગ અને પૃથ્વી’-ને પણ ગણી શકાય. માધ્યમિક શાળાનાં વરસોમાં હું એ બે રચનાઓ બહુ વાંચતો. મને પ્રશ્ન થતો – સાહિત્ય આટલું બધું ગળ્યું ચટપટું અને રંગરંગીન હશે?

કોઈકે સુરેશ જોષીકૃત “છિન્નપત્ર”-ને ઊર્મિકથા કહેલી, પણ સ્વીકારાયેલું નહીં. પરન્તુ, ચુનીલાલ વ. શાહકૃત “જિગર અને અમી” કે યશોધર મહેતાકૃત “સરી જતી રેતી”-ની ગણના એમ જરૂર કરવી પડે.

કેટલીયે રોમાન્ટિક નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓ ઊર્મિકેન્દ્રી હોય છે. જગવિખ્યાત દૃષ્ટાન્તો છે, ડી. એચ. લૉરેન્સકૃત “લેડી ચૅટરલિ’ઝ લવર” અને નબાકોવકૃત “લોલિટા”. (“લોલિટા” વિશેના મારા લેખ માટે જુઓ, મારું પુસ્તક, “સાહિત્ય સાહિત્ય – 4”) જેન ઑસ્ટિનકૃત “પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ”, શાર્લોટ બ્રૉન્ટેકૃત “જેન આયર” કે ઍનિસ નિનકૃત વાર્તાસંગ્રહ “ડેલ્ટા ઑફ વીનસ” એટલાં જ જાણીતાં દૃષ્ટાન્તો છે.

આ વાત તો થઈ વિદ્વાનોએ સઘન અધ્યયનો કરીને વખાણેલી બહુપ્રશસ્ત કૃતિઓની, પરન્તુ એ વિદ્વાનો જેની સામે પણ નથી જોતા એવી હજ્જારો નવલકથાઓ એમાં નિરૂપાયેલા રોમાન્સને કારણે એટલી બધી વંચાય છે કે ન પૂછો વાત. એક વાર હું અમેરિકાના અમારા શ્હૅરની પબ્લિક લાઇબ્રેરીમાં ગયેલો, મને એમ કે રવીન્દ્રનાથ, તૉલ્સતોય, ચેખવ, દૉસ્તોએવસ્કી, કાફ્કા, કામૂ તો મળશે જ, પણ એમાંના એકે ય મહાનુભાવને એની એકાદ કૃતિ સાથે પણ ત્યાં જગ્યા ન્હૉતી અપાઈ ! સાહિત્યકલાના જાદુની એ બીજી છટા બે ઘડી માટે મારા મગજમાં ઊતરતી ન્હૉતી …

કોઈપણ ઊર્મિકાવ્ય કે કાવ્યમાત્ર તેનાં પાઠ તેમ જ ગાન માટે હોય છે. પદ કે ભજન રાગથી બંધાયેલું હોય તો તેનું, ગઝલ મુસલસલ કે અન્યથી હોય તો તેનું, રચના છન્દના લઘુ-ગુરુથી બંધાયેલી હોય તો તેનું, માત્રામેળથી હોય તો તેનું – સર્વનું – સાચવીને પઠન કરવું જોઈએ. મેં જોયું છે કે સારા સારા કવિઓને પણ, પોતાનાં જ કાવ્યોનાં પઠન નથી આવડતાં. ઊર્મિકાવ્યને સંગીતનું શત્રુ સમજનારા કવિઓ પણ હોય છે, પણ તેઓ ભીંત ભૂલે છે. બને કે એમને ગાતાં આવડતું ન હોય.

આપણી આવડત-અણઆવડતના ધોરણે સાહિત્યને વેતરી ન લેવાય.

= = =

(May 22, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5461,5471,5481,549...1,5601,5701,580...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved