Opinion Magazine
Number of visits: 9673458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાથ તો જોડેલા જ સારા!

હિમાંશી શેલત|Opinion - Opinion|3 May 2022

તિર્યકી

ઃ       મને એક વાતનું અચરજ છે, મોટું અચરજ.

ઃ       એમ? બહુ કહેવાય. હાલના સમયમાં કશુંક પણ અચરજ થાય તે બહુ કહેવાય. હવે ખુલાસો આપો, શેનું અચરજ?

ઃ       સન્માનયોગ્ય નેતાશ્રી વિમાનની નિસરણી ઊતરી રહ્યા છે, એમનું ધ્યાન એ ક્ષણે સ્વાભાવિક રીતે જ પગથિયાં પર છે, એ ઘડીએ એમને હાથ જોડીને નગરના શ્રેષ્ઠતમ નાયકોની કતાર ખડી છે, કલેક્ટર, મેયર, વરિષ્ઠ સચિવો વગેરે વગેરે. તે એ લોકો નેતાશ્રી હેઠે આવે ત્યાં સુધી રાહ કેમ ના જોઈ શકે? આગોતરાં હાથ જોડીને ખડા રહેવાનો મતલબ શો? હજી મહાનાયકે તો નથી એમના ભણી નજર કરી, કે નથી પ્રતિભાવમાં હાથ જોડ્યા, તો હાથ જોડીને દેવદ્વારે ઊભા હોય એમ આતુરતા, આજીજી, આરત, આર્જવ …

ઃ       તમે ભોળા અને નાદાન છો એટલે તમને અચરજ થાય છે. આ તો ઠીક છે કે વિમાન આવી ગયું છે, અને સર્વશ્રેષ્ઠ હવે નીચે આવી રહ્યા છે, બાકી આ લોકોનું ચાલે તો તેઓ ઘેરથી, એમના ડ્રોઈંગરૂમથી જ, હાથ જોડેલા રાખીને આવે! એમના જોડેલા હાથને જોઈને સમસ્ત જગતને જાણ થાય કે એમના ઈષ્ટદેવ પધારવાના હશે. ધન ધન એમની ભક્તિ!

ઃ       પણ સમજાતું નથી, કે આ ખુશામતનો કયો, અને કેટલામો પ્રકાર છે? આવી ચાપલૂસી?

ઃ       આ પ્રથમ પ્રકાર. અન્ય પ્રકારોમાં હાર ચડાવવાની, સ્તુતિ તથા કીર્તન કરવાની, તુલા વિધિ કરવાની, શબ્દ દ્વારા પ્રશસ્તિ કરવાની તથા કરાવવાની પ્રથા ઠીકઠીક પ્રચલિત છે, પરંતુ આ સહુથી ઉપરનો, નંબર વન પ્રકાર ગણાય છે, જેમાં સર્વોચ્ચની નજર પડે, જ્યારે પડે ત્યારે, જોડેલા હાથ અને નમેલાં મસ્તક જ નજરે ચડે. બંને પક્ષે પરિતોષનો કલ્યાણકારી ભાવ ફેલાય છે, અને સારાં વાનાં થાય છે દેશમાં, બધે ઉત્સવ, ઉત્સવ!

ઃ       ધૂળ સારાંવાનાં ! તમને તો કશું દેખાતું જ નથી આજકાલ!

ઃ       એવું નથી. તમે મૂળ મુદ્દો સમજશો તો બધું દીવા જેવું ચોખ્ખું થઈ જશે. એ ક્ષણે હાથ જોડવાના હોય તે જ ક્ષણે ધારો કે પગે કીડી અથવા મંકોડો ચડી ગયો, અને એણે ચટકો ભર્યો, તો? અથવા તો એ જ ઘડીએ પ્રચંડ છીંક આવી, અને મોં ઢાંકવા તમારે હાથનો ઉપયોગ કરવો પડ્યો, તો? તમે હાથ જોડ્યા નથી, અને તમારા હાથ અન્ય ક્રિયાઓમાં રોકાયા છે, તે વખતે સન્માનયોગ્ય વ્યક્તિએ નમસ્કાર કરીને તમારા પર નજર ઠેરવી, તો એમને એ ઘડીએ શું જોવા મળશે? જસ્ટ ઈમેજીન ! સહુના હાથ ભક્તિમાં જોડાયેલા, અને તમે બઘવાયેલા, ડાફોળિયાં મારતાં … ઓ માય ગૉડ! મોત જેવું લાગશે તમને ત્યારે, એટલે હાથ તો પહેલેથી જોડેલા જ સારા. છાપ સારી પડે.

ઃ       લો, આ તો અમે કોઈ દહાડો વિચારેલું જ નહીં! આટલો ગહન મુદ્દો અમે શી રીતે ચૂકી ગયા?

ઃ       તમારું એ કામ નથી. તમે તર્ક, વિતર્ક અને કુતર્કના માણસ. ઘટનાને ચોમેરથી નીરખીને, એના તથ્યને પારખીને, એની આગળ પાછળના સંદર્ભોનું માનસિક વિશ્લેષણ કરીને પ્રજાસમૂહની નાડ પકડીને, આગળ ગયેલા, અને પાછળ આવતા પદવાંછુઓની કુંડળી તપાસીને તમારે વર્તવાનું હોય. એમાં નાની અમસ્તીએ ખામી આવી ગઈ તો ધબાય નમઃ! ના પોસાય લેશ પણ.

ઃ       કાન પકડ્યા અમે. હવેથી અચરજ અનુભવવાને બદલે અમે પેલા બધ્ધહસ્ત ભક્તમંડળોનું અભિવાદન કરીશું, માત્ર હાથ જોડીને નહીં, પગે પડીને, અને નાક રગડીને! અંતે તો નમ્યાં, ને સહુને ગમ્યાં, કહેવતો કંઈ અમથી પડે છે? આ મૂકી દઈએ પાણી, નો તર્ક, નો સ્વતંત્ર વિચાર, નો સિદ્ધાંત, બસ, હાથ જોડીને એક કતાર, એક કતાર! કતારોનો સમૂહ-હાથ જોડેલો – વિરાટ, અમાપ, અનંત, ઓહો!!!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 16 

Loading

લેખક અને સ્વતંત્રતા, સુરેશ જોષી વ્યાખ્યાન

મેહુલ દેવકલા|Opinion - Opinion|3 May 2022

‘આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, વલ્લતોલ, નિરાલા, પ્રેમચંદ જેવા, ગુલામ દેશમાં સ્વતંત્ર લેખકો થઈ ગયા. આપણું સાહિત્ય દેશને સ્વતંત્રતા મળી એ પૂર્વેથી જ સ્વતંત્ર રહ્યું છે. લોકશાહીએ સાહિત્યની પ્રશ્નો પૂછવાની, અસહમત થવાની અને સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતાને પોષી છે. દુર્ભાગ્યે, વિગત દિવસોમાં જો કે આ ક્ષમતા દંડિત થઈ રહી છે.’

ખ્યાત હિંદી કવિ અને કલામર્મજ્ઞ અશોક વાજપેયી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તૃતીય સુરેશ જોષી વ્યાખ્યાન અંતર્ગત બોલી રહ્યા હતા. વિષય હતો ‘લેખક અને સ્વતંત્રતા’. સુરેશ જોષીનું કર્મક્ષેત્ર વડોદરા ૧૯મી એપ્રિલે આ પ્રસંગનું સાક્ષી બન્યું.

છેક, ૧૯૬૦માં સુરેશ જોષી ‘ભોંયતળિયાનો આદમી’ નામે એક પરિચય દોસ્તોએવસ્કીની ‘નોટ્‌સ ફ્રૉમ અન્ડરગ્રાઉન્ડ’ વિશે લખે છે. મૂળ તો વાત વ્યક્તિસ્વાતંત્ર્યની જ છે. આપણા સમયની એ બલિહારી જ કહી શકાય કે દાયકાઓ પછી સુરેશ જોષી શતાબ્દીએ યોજાનાર વ્યાખ્યાનની ભૂમિકા આવી કોઈક ભોંયતળિયાની જગ્યાએ મંડાઈ. શિક્ષણધામો સત્તાની જીહજૂરીનાં કેન્દ્રો બન્યાં છે. (‘પૂર્વનિર્ધારિત સ્થળનો પરવાનો કાર્યક્રમનાં બે દિવસ પહેલાં અનિવાર્ય કારણોસર રદ્દ થયો.’)

આર્ક ફાઉન્ડેશનની ગેલેરીનાં ભોંયતળિયે આછા પીળા પ્રકાશના અજવાળે ઘણી ઉજળી વાતો થઈ. નાદુરસ્ત તબિયત છતાં અમદાવાદથી પરિષદપ્રમુખ પ્રકાશ ન. શાહ આવ્યા અને વ્યાખ્યાનનો આગાઝ કરાવ્યો. કોરોના કાળમાં પ્રથમ બે વ્યાખ્યાનો ઑનલાઈન યોજાયાં હતાં. પ્રકાશભાઈના શબ્દોમાં મૂકું તો, ઑનલાઈન પછી ઑફલાઈન માહોલમાં, વિશ્વમાનવ-ક્ષિતિજ પરંપરામાં અને એરિક ફ્રૉમની બાનીમાં મુખોમુખ (ફેસ ટુ ફેસ) એક અદકેરી સાંજ.

સુરેશ જોષીના પરિવારજનો દ્વારા અશોકજીની આવકારવિધિ થઈ. પૂર્વ પ્રમુખ સિતાંશુભાઈએ આવકારમાં સૂર પુરાવ્યો. ગુજરાતનાં વિવિધ ઠેકાણેથી આવેલાં – કાનજી પટેલ, જયદેવ શુકલ, બકુલ ટેલર, માલિની ગૌતમ, શરીફાબહેન સહિત ઘરઆંગણે જ્યોતિ ભટ્ટ, શિરીષ પંચાલ, રમણ સોની, ધ્રુવ મિસ્ત્રી સરીખાં જાણતલોની હાજરીથી ભોંયતળિયાનો એ ખંડ દીપી ઉઠ્યો હતો.

સુરેશ જોષીનું સાંનિધ્ય જેઓ પામ્યાં છે એવા ગુલામ મોહમ્મદ શેખે વક્તા અશોક વાજપેયીનો પરિચય આપતા જણાવ્યું કે, ‘ભારત ભવનની પરિકલ્પનાથી માંડીને હાલમાં ગાલિબ અને કબીરને જોડે કઈ રીતે મૂકી શકાય એ અંગે વિચારતા રહેતા અશોકજી સ્થૂળ વિગતો બહારનું વિરલ વ્યક્તિત્વ છે. તેઓએ ભારતભવન થકી જે અનેરું કામ ભોપાલમાં કરી બતાવ્યું એ ભારતનાં બાકીનાં રાજ્યોમાં પણ ફળીભૂત થતું હોત તો કેવું અદ્દભુત પરિદૃશ્ય રચાત!

અશોકજીએ વ્યાખ્યાનમાં જણાવ્યું કે, જે સમાજમાં લેખક સ્વતંત્ર ન હોય એ સમાજને સ્વતંત્ર ના કહી શકાય. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા આંદોલન દ્વારા વ્યક્તિગત સ્વતંત્રતાની અવધારણાને સામૂહિક સ્વતંત્રતાની સાથે જોડી આપી. પશ્ચિમમાં આધુનિકતા અને સ્વતંત્રતાની અવધારણા પણ પરસ્પર વિક્સી હોવાનું તેમનું તારણ હતું.

એમણે કહ્યું કે સ્વતંત્રતા એક એવી મૂડી છે કે જે ‘બીજા’ની સાથે વહેંચવાથી વધે છે. પરંતુ આપણે એવા ક્રૂર સમયમાં જીવીએ છીએ કે જ્યાં આ ‘બીજા’ને બીજા દરજ્જા પર ઉતારી પાડવાની જોહુકમી ચાલી રહી છે.

અશોકજીએ એક સનદી અધિકારી તરીકેની એમની સુદીર્ઘ કારકિર્દીના અનુભવોથી જણાવ્યું કે, બહુ જ જૂજ એવાં કોમી રમખાણો હોય છે જે ક્ષણિક ઉત્તેજનાથી શરૂ થતાં હોય છે. મોટા ભાગનાં તો પૂર્વયોજિત જ હોય છે. ધર્મ અને રાજકારણનું એક વિકૃતરૂપ અહીં દૃષ્ટિગોચર થાય છે. સત્તાની પગચંપી કરતું મીડિયા પણ એમાં આડકતરી રીતે ભાગીદારી કરતું જણાય છે. મીડિયામાં સાહિત્ય માટે જગ્યા સંકોચાતી જાય છે. સ્વતંત્રતાની રક્ષા કરતા સાહિત્યથી વેગળી દિશા એણે ઝાલી છે. જો કે, મીડિયાનો એક નાનકડો હિસ્સો આજે પણ સત્યને બોલવામાં અને અસહમત થવામાં સાહિત્યની પાસે છે. ટેક્નૉલોજીના દુરપયોગ સામે પણ વાજપેયીજીએ ચિંતા પ્રગટ કરી.

આપણા સમયમાં જે બની રહ્યું છે અને જે રીતે રહ્યું છે એની નોંધ લેવી એ આપણા સમયના સાહિત્યનો આપદ્દ ધર્મ છે. ઓક્તાવિયો પાઝને ટાંકીને એમણે કહ્યું કે પાઝે કવિતાને ‘બીજો ઇતિહાસ’ કહ્યો હતો. બહુ વિકટ સમયમાં પણ કવિ દેખતો, નોંધતો, પ્રશ્નો પૂછતો, શંકા કરતો રહે છે અને એ જ એની સ્વતંત્રતાનાં કામ છે.

સાહિત્યનાં સૌંદર્યબોધ અને સ્વતંત્રતાને જોડી આપીને એમણે એમના વક્તવ્યને વિરામ આપ્યો. વક્તવ્યની શરૂઆત એમણે ગાલિબના શેરોથી કરી હતી તો અંત એમણે સ્વરચિત ‘લિખો’ નામની કવિતાથી કર્યો. આ જ કવિતાની થોડીક પંક્તિઓ ગુજરાતી અનુવાદમાં :

લખ

કારણ, તારા મૃત્યુની સદીઓ પર્યંત
તારા વંશજો એ જાણી શકે કે
ભયાનક ઉન્માદના સમયમાં
એના એક વડવાએ યાદ રાખવાની,
નોંધવાની ને બોલવાની હામ ભીડી હતી.
લખ
કારણ, સર્વત્ર નાશ કરવાના
અપાર ઉત્સાહના સમયમાં
તેં કવિતા માટે સમય બચાવવાની દરકાર કરી
ભલે કવિતા તને ના બચાવી શકી

વ્યાખ્યાનના અંતે, પરિષદના ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલે ખૂબ જ માર્મિક રીતે આખી ઘટનાને મૂકી આપતાં એવો આશાવાદ પ્રગટ કર્યો હતો કે બદલાતા સમય વચ્ચે પણ આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત કરાયેલા મુદ્દાઓ લાંબો વખત સંભારાતા ને ચર્ચાતા રહેશે – અને એ રીતે પડ જાગતું રહેશે. સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ભરત મહેતા છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શક્યા એના વિશેષોલ્લેખ સાથે એમણે પીયૂષ ઠક્કરે કરેલા સુચારુ સંચાલન અંગે પણ આભાર ને આનંદની લાગણી પ્રગટ કરી હતી.

E-mail : mehul.41@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 15

Loading

કોલસા કરતાં રાજકારણીઓ વધારે કાળા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 May 2022

કોઈ જૂનાં ઘરનો મોભી વિકાસની પાછળ પડી જાય ને દુનિયાને બધું મોટું મોટું બતાવે, દૂરથી સ્ટેચ્યૂ બતાવે ને સ્ટેડિયમ બતાવે કે ઘર બતાવવા વિદેશથી મોટા માણસોને તેડે ને તેને બધું મોટું મોટું દેખાડે, પણ ઘરની અંદર ન લઈ જાય તો બહારનાને ખબર ન પડે કે અંદર શું ચાલી રહ્યું છે? એ તો બહારનું બધું જોઈને રાજી થઈને મોભીની પીઠ થાબડીને પાછો જાય. મોભી ફૂલીને ફાળકો થઈ જાય કે આજે તો વિદેશમાં પણ આપણો  ડંકો વાગ્યો ! મોભી મહેમાનને ઘરમાં ઘૂસાડે તો ખબર પડે કે સિલિન્ડર મોંઘું થવાને કારણે ચૂલો ઠંડો છે. કોલસો નથી કે ચૂલામાં અજવાળું થાય. પાવર કટને કારણે ઘરમાં લાઇટ નથી એટલે અંધારું છે ને પંખો પાવર ન હોવાને કારણે ફરતો નથી. ઘરનાં માણસો નોટબુકનાં પૂંઠા હલાવી હલાવીને જાતને હવા નાખી રહ્યાં છે ને ઘરમાં ગમે ત્યાં ફરો કે બેસો, ચામડી પરસેવો બનીને રેલાઈ રહી છે ને નાનાં બાળકો 44થી 47 ડિગ્રી તાપમાં બિસ્કિટની જેમ શેકાઈ રહ્યાં છે. આખું ઘર બેકરીની ભઠ્ઠી જેવું ધગધગી રહ્યું છે ને ઘરની બહાર મસ્જિદ કે મંદિર પરથી ઘોંઘાટિયાં ભૂંગળાં ઉતારવાની ગડમથલ ચાલે છે. પેટ્રોલ છાંટીને સળગી મરવું હોય તો ય માંડી વળવું પડે એમ છે, કારણ સ્કૂટર માટે ખરીદાતું ન હોય તો જાત માટે તો કેમ ખરીદવું એની મૂંઝવણ છે. પેટ્રોલવાળા સ્કૂટરને બદલે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું સ્કૂટર ખરીદવાનું સપનું પડે છે, પણ ચિંતા એ છે કે પાવરનાં ઠેકાણાં નથી, ત્યાં સ્કૂટરનાં શું ને કેટલાં ઠેકાણાં રહેશે? ને એ આજે સસ્તું હોય તો પણ મોંઘું નહીં થાય એની કોઈ ખાતરી નથી. ઉપાડ વધે તો એ પણ મોંઘું થાય એમ બને. વારુ, પાવર મોંઘો થાય એવાં પૂરતાં એંધાણ છે. લાગે છે તો એવું કે પાવર મોંઘો કરવા જ કદાચ કોલસાની તંગી ઊભી કરવામાં આવી છે. એવું બની શકે કે થોડા જ દિવસમાં વીજળી, ‘વીજળી’ થઈને ઘર પર પડે. ઘરમાં ચટણી થાય એવું નથી ને બહાર ચૂંટણી વટાયા કરે છે. આ જો ઘરની સ્થિતિ હોય તો દેશની સ્થિતિ એનાથી જુદી લાગે છે?

આખા દેશને મોંઘો કરવા બહુ મહેનત થઈ રહી છે. કદાચ એ રેકોર્ડ કરવો હશે કે જગતમાં ભારતથી મોંઘેરો દેશ બીજો કોઈ નથી. દેશ મોંઘો છે જ ! તે વગર વિદેશનાં મોંઘેરા મહેમાનો ભારત તરફ વિમાન ઉડાડે? એ બધા ભલું કરવા આવે છે ને એમાં આપણું ભલું થઈ રહ્યું છે એવો વહેમ પાળવાનું આપણને ગમે છે. આપણી શરતે ક્રૂડ સસ્તું મળી રહ્યું છે, પણ શરત એ પણ છે કે દેશમાં તો પેટ્રોલ-ડીઝલ સસ્તાં ન જ વેચવાનાં. બાકી હતું તે કોલસો કાળોતરો થયો છે. અત્યાર સુધી ચીન, ઓસ્ટ્રેલિયા ખૂટતો કોલસો પૂરો પાડતાં હતાં, પણ તેણે તે મોંઘો કર્યો એટલે ભારતે આયાત બંધ કરી. ચીન જોડે આટલી મગજમારી થાય છે, પણ એના વગર આપણને ઓડકાર આવતો નથી. એની જોડે લડીને સૈનિકોનાં કોલસા પડે છે તો ય એના કોલસા આપણે આયાત કરતા રહ્યા છીએ. એ હવે ઊંચું ગયું છે તો ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવવો પડે છે. આટલો મોટો ભારત દેશ, પણ કોલસો ઈન્ડોનેશિયા જેવા દેશ પાસેથી આયાત કરે છે, છે ને કમાલ ! એને જ કહેવાય મેરા ભારત મહાન !

હવે અંદરની ગમ્મત જોઈએ. આમ તો કોલસા ભરેલી ગુડ્સ દોડતી રહે છે ને તેની બહુ ખબરે ય પડતી નથી. પણ કોલસાની તંગી ઊભી થઈ છે ત્યારે વધારે ટ્રેનો દોડવા લાગી છે ને તે ય સેંકડો પેસેન્જર ટ્રેન બંધ કરીને ! પેસેન્જર ટ્રેનો એટલે બંધ કરી છે જેથી કોલસાની ટ્રેનો ઝડપથી દોડી શકે ને જે તે સ્થળે વિના વિઘ્ને પહોંચી શકે. આ થઈ બીજી કમાલ ! કોલસો પૂરતો હતો ત્યારે પેસેન્જર ટ્રેનો રોક્યા વગર કોલસાની ટ્રેનો પહોંચતી હતી, હવે તંગી છે તો પેસેન્જર ટ્રેનો બંધ કરીને કોલસા ગાડી દોડાવાય છે. રામ જાણે એમાં કોલસો છે પણ કે પછી એમ જ દોડે છે ! જો કે, રામ પણ નહીં જાણતા હોય, એમને ય ક્યાં ખબર હતી સવારે શું થવાનું છે …

દિલ્હીની હાલત કફોડી છે. એની પાસે એક દિવસ ચાલે એટલો જ કોલસો છે એવું દિલ્હીના ઊર્જા મંત્રીએ કેન્દ્રને પત્ર લખીને જણાવ્યું. એમણે એમ પણ કહ્યું કે કોલસાની વ્યવસ્થા ન થાય તો મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો બંધ કરવાનો વારો આવશે ને લોકો હેરાન પરેશાન થઈ જશે. એની સામે કેન્દ્રીય ઊર્જા મંત્રીએ એમ કહ્યું કે દરેક પાવર સ્ટેશન પાસે પૂરતો કોલસો છે જ. કોલસાની તંગી નથી, પણ રાજ્ય સરકારો કેન્દ્રની કંપની કોલ ઈન્ડિયાને સમયસર નાણાં ચૂકવતી નથી એટલે કોલસો પહોંચતો નથી. આ વાતે દિલ્હીના ઊર્જા મંત્રીએ રોકડું કરી દીધું કે કોલ ઇન્ડિયાને એક પણ રૂપિયો ચૂકવવાનો બાકી નથી. કેન્દ્રીય ઊર્જા મંત્રીએ  એમ પણ કહ્યું કે કોલસો તો પૂરતો છે, પણ ઘણાં રાજ્યો તેમને ફાળવાયેલો કોલસાનો જથ્થો લઈ જતાં નથી. એ કયાં રાજ્યો છે તેનો ફોડ મંત્રીએ પાડ્યો નથી, પણ કોલસાની કાળી તંગી હોય ને રાજ્યો કોલસા ન લે, એ વાત ભેજામાં ઘૂસતી નથી. એમ લાગે છે કે કેન્દ્રીય મંત્રી હોલસેલમાં ફેંકે છે. એક તરફ કોલસાની અછત નથી એવું કેન્દ્રીય ઊર્જા મંત્રી પોતે કહે છે ને એમનું જ ઊર્જા મંત્રાલય બોલે છે કે 147 પ્લાન્ટ્સમાં 25 ટકા કોલસો જ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીનું એમ કહેવું છે કે એમનું મંત્રાલય બકવાસ કરે છે? એવું કેમ થતું હશે કે મંત્રી થયા પછી માણસ કબૂલ કરવાને બદલે બચાવમાં પડી જાય? એ પણ જવા દઇએ, પણ આમાં લોકોની હાલાકી વીજળીને અભાવે વધી છે એનો વિચાર કરવાનો કે કેમ? એ હકીકત છે કે કોલસાની તંગીને કારણે પાવર સ્ટેશનોમાં પૂરતી વીજળી પેદા થતી નથી, એને પરિણામે 16 રાજ્યોમાં વીજળી કાપ આવ્યો છે ને ક્યાંક ક્યાંક તો 10-10 કલાક પાવર બંધ રહે છે. આ અસર અંતરિયાળ ગામો સુધી પડી છે. આમ ભરઉનાળામાં લોકોને બાફવા મૂકવાનું યોગ્ય છે?

પાવર હવે કદાચ મંત્રીઓ પૂરતો જ સીમિત થઈ ગયો છે, બાકી ઉદ્યોગો છે ને પાવર નથી, પરીક્ષાઓ છે ને પાવર નથી, એક તરફ 47.4 ડિગ્રી તાપ સાથે 122 વર્ષમાં ન પડી હોય એટલી ગરમી માણસોને લોહીમાં ઉકાળતી હોય ને મંત્રી કહે કે કોલસો પૂરતો છે તો એ કોલસો શું ‘રાંધવા’ વપરાય છે તેનો ફોડ તો પડે ને ! ચાલો, કોલસો પૂરતો છે તે માની લઇએ, પણ વીજળી નથી ને વીજકાપ ચાલે છે તે તો સાહેબને દેખાય છે કે એમણે ગોગલ્સ પહેરેલાં છે? કે એમ માનવાનું છે કે ‘ભારત બેકરી’માં લોકોને જ શોખ થયો છે તે એમણે લાઇટ, એસી બંધ કરી દીધાં છે? સાદી સમજ તો એમ કહે છે કે કાળઝાળ ગરમીમાં વીજળીનો ઉપાડ વધે જ ! ગયા શુક્રવારે બપોર સુધીમાં જ 2,07,211 મેગાવોટ વીજળીની જરૂર પડી એ ઓલ ટાઈમ હાઇ છે ને હજી વધુ ગરમી પડવાની આગાહીઓ તો ચાલે જ છે. એવામાં દસ કલાકનો વીજ કાપ ફટકારાય તો એ કોઈ પણ રીતે માનવીય નથી. પરીક્ષાઓ ચાલતી હોય ને વિદ્યાર્થીઓએ મીણબત્તી કે બેટરીને અજવાળે વાંચવું પડે કે વીજકાપને કારણે ધંધા ઉદ્યોગો ટાઢા પડે તે શું વિકાસનું લક્ષણ છે? કોલસાની તંગી કુદરતી હોય તે સમજી શકાય, પણ આમાં તો રાજરમતની ગંધ આવે છે …

એ ખરું કે ગુજરાતને 500 મેગાવોટની અછત છે ને એણે પણ અઠવાડિયે એક દિવસ ઉદ્યોગો બંધ રાખવાનું સૂચવ્યું છે, જો કે, સૂચના છતાં, ગુજરાતમાં વીજકાપ નથી ને કમ સે કમ ચૂંટણી પતે ત્યાં સુધી તો આવે એવું લાગતું નથી, છતાં રમત તો ગુજરાતમાં ય થઈ છે. ગયા ફેબ્રુઆરીમાં એવા સમાચાર આવ્યા હતા કે કોલ ઇન્ડિયાથી નીકળેલો કોલસો ગુજરાતનાં ઉદ્યોગો સુધી પહોંચવાને બદલે ગુજરાત સરકારની એજન્સીઓ દ્વારા બારોબાર જ વેચી દેવાયો હતો. આ રીતે 6 હજાર કરોડનું કૌભાંડ આચરાયું હોવાની વાત બહાર આવી હતી. એનું શું થયું તે ખબર નથી.

ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ જેવાં રાજ્યોમાં વીજ તંગી વધુ છે. ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો ત્યાં ત્રણ હજાર મેગાવોટની અછત છે. પંજાબમાં 46 ડિગ્રી તાપમાન છે ને વીજકાપ શહેરોમાં 4થી 5 કલાક અને ગામડાઓમાં 10 થી 12 કલાક ચાલે છે. છેલ્લાં વર્ષમાં વીજળીની માંગ 40 ટકા વધી છે. હકીકત એ છે કે કોલસાની માંગ વધી છે ને સપ્લાયમાં ઘટાડો થયો છે. કોલ ઈન્ડિયાએ પણ એ સ્વીકાર્યું છે કે કોલસાની સપ્લાય 16.4 લાખ ટન છે ને માંગ 22 લાખ ટન સુધી પહોંચી છે. કોલસો નથી ને વિદેશી કોલસો મોંઘો પડવાથી કોલસાની આયાત બંધ થઈ છે. આ સ્થિતિમાં વીજ ઉત્પાદન ઘટે જ ! હજી મેની ગરમીનો સામનો તો બાકી જ છે. જો કેન્દ્ર સરકાર ધ્યાન નહીં આપે તો મુશ્કેલી વધશે એ નિર્વિવાદ છે.

સામાન્ય રીતે કૉલસામાં હાથ કાળા કરવા કોઈ તૈયાર થતું નથી, પણ જો હાથ રાજકારણીઓના હોય તો મોઢું કાળું કરવાનું ય પરવડે એમ બને –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 મે 2022

Loading

...102030...1,5451,5461,5471,548...1,5601,5701,580...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved