Opinion Magazine
Number of visits: 9673221
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હેપ્પીનેસ ઇન્ડેક્સના ટોપ ટેન દેશો અધાર્મિક છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 May 2022

ધારો કે લોકો ધર્મમાં કે ઈશ્વરમાં માનવાનું બંધ કરી દે તો શું થાય? સમાજ નિરાશાની ગર્તામાં ધસી જાય? જીવન અર્થહીન થઇ જાય? લોકો કામ કરવાનું બંધ કરી દે? આવા પ્રશ્નોનો એક આશ્ચર્યજનક જવાબ છે, પણ તેની વાત પછી. પહેલાં આપણે એ જાણવાની કોશિશ કરીએ કે લોકો ઈશ્વરમાં કેમ માને છે.

દુનિયા ભરમાં વિવિધ સામાજિક મુદ્દાઓ અને વલણોનો અભ્યાસ કરવાનું કામ કરતાં વોશિંગ્ટન સ્થિત પ્રતિષ્ઠિત પ્યુ રિસર્ચ સેન્ટરે, ૨૦૧૯માં ૩૪ દેશોના ૩૮,૪૨૬ લોકોને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા માટે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી કેમ જરૂરી છે? એમાં ૬૨ પ્રતિશત લોકોએ કહ્યું હતું કે તેમના જીવનમાં ઈશ્વરની મહત્ત્વની ભૂમિકા છે, જ્યારે ૫૩ ટકા લોકોએ કહ્યું હતું કે તેમના જીવનમાં પ્રાર્થનાની અગત્યની ભૂમિકા છે.

સર્વેમાં ખબર પડી હતી વિકસી રહેલા દેશોમાં ધાર્મિક શ્રદ્ધાનું પ્રમાણ વધુ છે. તેનાથી વિપરીત, આઠ પશ્ચિમ યુરોપિયન પ્રદેશના માત્ર ૨૨ પ્રતિશત લોકોએ જ કહ્યું હતું તેમના જીવનમાં ઈશ્વર જરૂરી છે, જ્યારે પૂર્વી યુરોપમાં છ પ્રદેશોના ૩૩ પ્રતિશત લોકોએ કહ્યું હતું કે ધાર્મિક હોવું અનિવાર્ય છે. સર્વેમાં એ નોંધવામાં આવ્યું હતું કે યુરોપિયન દેશો ઉત્તરોત્તર બિનસાંપ્રદાયિક બની રહ્યા છે (નાસ્તિક હોવું અને બિનસાંપ્રદાયિક હોવું એ બંનેમાં ફરક છે). 

વિશ્વના અન્ય પ્રદેશોની સરખામણીમાં, યુરોપમાં રાજનીતિ અને ધર્મનો સંબંધ સૌથી કમજોર છે. યુરોપિયન દેશોમાં સાર્વજનિક બાબતો પર અભ્યાસ કરતી સંસ્થા ‘યુરોબેરોમીટર’નો એક સર્વે કહે છે કે યુરોપિયન લોકોના રાજકીય વિચારો અને મતદાન પર ધર્મનો પ્રભાવ સીમિત છે. અમેરિકાની રાજનીતિમાં જેટલી તાકાતવર ધાર્મિક લોબી છે અથવા ઇસ્લામિક દેશોમાં રાજનીતિના ક્ષેત્રે જેટલી ધાર્મિક ચર્ચાઓ થાય છે તેવું યુરોપમાં કશું નથી.

આનો વધુ એક સંકેત તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેકસમાં જોવા મળ્યો છે. આપણે પૂછ્યું હતું કે લોકો જો ધર્મ કે ઈશ્વરમાં માનતા બંધ થઇ જાય તો સમાજ નિરાશામાં સરકી પડે? હેપ્પીનેસ ઇન્ડેકસ અહેવાલ પ્રમાણે એવું કશું ન થાય. એ તાજા સર્વે પ્રમાણે, દુનિયાના જે દસ સૌથી સુખી દેશો છે, તે કાં તો બિનસાંપ્રદાયિક છે અથવા ઓછા ધાર્મિક છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા, છેલ્લાં દસ વર્ષથી ૧૫૦ દેશોનો હેપ્પીનેસ ઇન્ડેકસ જારી કરવામાં આવે છે. તેમાં માણસોની સુખકારીની ભાવના, દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (જી.ડી.પી.)નું સ્તર, જીવનની આવરદા વગેરે જેવાં પરિબળો પરથી દેશના એકંદર સુખનું સ્તર નક્કી કરવામાં આવે છે અને તેને રેન્ક આપવામાં આવે છે.

આ ૧૫૦ દેશોમાંથી યુરોપનો ફિનલેન્ડ દેશ સતત પાંચમાં વર્ષે પહેલાં નંબરે આવ્યો છે (ભારતનો ક્રમ ૧૩૬ છે). સૌથી સુખી દસ દેશોની યાદીમાં, ફિનલેન્ડ પછીના ક્રમે ડેન્માર્ક, આઈસલેંડ, સ્વીત્ઝરલૅન્ડ, નેધરલેંડ. લકઝમબર્ગ, સ્વિડન, નોર્વે, ઇઝરાયેલ અને ન્યુઝીલેન્ડ છે.

કેલિફોર્નિયાની પિઝર કોલેજમાં સમાજશાસ્ત્ર અને સેક્યુલર સ્ટડીઝના પ્રોફેસર અને અનેક પુસ્તકોના લેખક ફિલ ઝુકરમાને આ તાજા સર્વેનો અભ્યાસ કરીને રસપ્રદ તારણ કાઢ્યું છે કે સૌથી સુખી આ દસે દેશ પૃથ્વી પરના સૌથી સેક્યુલર દેશ પણ છે. માત્ર ઇઝરાયેલને બાદ કરતાં, જ્યાં ધાર્મિક કટ્ટરતા અને બિનલોકતાન્ત્રિકતામાં વધારો થઇ રહ્યો છે, બાકીના નવ દેશોમાં છેલ્લી એક સદીમાં લોકો સેક્યુલર બની રહ્યા છે.

સેક્યુલર પરિપેક્ષ્ય સાથે સામાજિક બાબતો પર પ્રકાશ ફેંકતા “ઓન્લીસ્કાય” નામના એક પોર્ટલમાં ઝુકરમાન લખે છે કે દાખલા તરીકે, નોર્વેમાં ચર્ચના સભ્યપદમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તેવા નોર્વેજિયનોની સંખ્યા પણ વધી છે. પાડોશી સ્વિડનમાં, ચર્ચમાં જનારા લોકો ઘટ્યા છે અને લગભગ ૬૫ પ્રતિશત લોકો ઈશ્વરમાં માનતા નથી. ડેન્માર્કમાં અડધો-અડધ પ્રજાને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ન્યુઝીલેન્ડમાં, ૨૦૦૧માં ૩૦ પ્રતિશત લોકો કહેતાં હતાં કે તેઓ ધર્મમાં માનતા નથી, પણ આજે એ સંખ્યા ૫૦ પ્રતિશત થઇ છે. નેધરલેંડમાં, ૭૦ના દાયકામાં નિયમિત ચર્ચ જનારા લોકોની સંખ્યા ૪૦ પ્રતિશત હતી, આજે એ ઘટીને માત્ર ૧૫ પ્રતિશત થઇ ગઈ છે અને ડચ ઇતિહાસમાં પહેલીવાર બહુમતી લોકો કહે છે કે તેઓ ધર્મનું અનુસરણ નથી કરતા.

આઈસલેંડમાં, ૯૩ પ્રતિશત લોકો માને છે કે દુનિયાનું સર્જન બીગ બેંગથી થયું હતું, અને ૨૫ વર્ષથી નીચેનો એક પણ યુવાન માનતો નથી કે દુનિયા ભગવાને બનાવી હતી. સૌથી વધુ સુખી ફિનલેન્ડમાં ૩૦ પ્રતિશત લોકો અધાર્મિક છે અને માત્ર એક તૃતિયાંશ લોકો માને છે કે ઈશ્વર છે.

સામાન્ય રીતે, આટલી ઓછી ધાર્મિકતા અને શ્રદ્ધા હોય તો માણસો ભાવનાત્મક રીતે કઠોર, દ્વેષી, દુઃખી થઇ જવા જોઈએ, પરંતુ હેપ્પીનેસ ઈન્ડેક્સ પ્રમાણે તેમના સુખની ભાવના વધી છે. ઝુકરમાન કહે છે કે ધાર્મિક વિચારો અને ઈશ્વરમાં માન્યતાના અભાવમાં પણ આ દેશના લોકો એટલા માટે સુખી છે કારણ કે તેમને ત્યાં જન કલ્યાણને ધ્યાનમાં રાખીને મૂડીવાદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, બીજું તેઓ દુનિયામાં સૌથી વધુ સ્વતંત્રતા ભોગવે છે અને ત્રીજું આ દેશોમાં અસમાનતા સૌથી ઓછી છે. ત્યાંની સ્વાસ્થ્ય વ્યવસ્થા, ચાઈલ્ડકેર, વૃદ્ધોની કેર, શિક્ષણ અને બીજી અનેક જનલક્ષી સેવાઓ નિ:શુલ્ક અથવા નજીવી કિંમતે મળે છે. ત્યાંના સમાજો અત્યંત સુરક્ષિત અને માનવીય છે.

અલબત્ત, તેઓ સેક્યુલર છે એટલે સુખી છે તેવો તર્ક કાઢવો બરાબર નથી. અહીં સમજવાનું એટલું જ છે કે જે લોકો એમ કહે છે કે એક સુખી, સ્વસ્થ અને સંતોષી સમાજ માટે ધર્મ અનિવાર્ય છે તેઓ ભૂલી જાય છે કે ધર્મ જનતાની સુખાકારી અને સુવિધાનો વિકલ્પ ન બની શકે. હા, લોકો દુઃખી હોય, ગરીબ હોય, અશિક્ષિત હોય, અસમાનતામાં જીવતા હોય, તો ધર્મ તેમનું ધ્યાન અસલી મુદ્દાઓમાંથી ચોક્કસ ભટકાવી શકે.

જે દેશોમાં સામાજિક કલ્યાણ માટેની મજબૂત વ્યવસ્થાઓ હોય, આર્થિક પ્રગતિ હોય, તંદુરસ્ત લોકતાન્ત્રિક સંસ્થાઓ હોય, મહિલાઓ માટે સમાન અધિકારો હોય, જનતામાં શિક્ષણ સ્તર ઘણું ઊંચું હોય, સડકો સ્વચ્છ હોય, કાનૂન-વ્યવસ્થા મજબૂત હોય અને ખાવા-પીવા, રહેવા-પહેરવા તેમ જ રહેણીકરણીની સ્વતંત્રતા હોય પછી એ દેશના લોકો ભગવાનની ભક્તિ કરે કે ન કરે તેનાથી શો ફરક પડે છે?

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 મે 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ગુજરાતનાં શિક્ષણ ‘ખાતાં’ને માસ પ્રમોશન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 May 2022

ગુજરાતે અનેક રીતે ઘણી પ્રગતિ કરી હશે, પણ શિક્ષણનો તો અહીં સર્વનાશ જ થયો છે. એ સર્વનાશ શિક્ષણ ખાતાંએ સામૂહિક રીતે કર્યો છે. એ ખરું કે કોરોનાએ આખા વિશ્વ પર પ્રભાવ પાથર્યો ને અનેક ક્ષેત્રોમાં મૂલ્યોનું ભયંકર ધોવાણ થયું, એમાં શિક્ષણ પણ બાકાત નથી. કોરોના કાળે બીજા દેશોમાં શિક્ષણની શી સ્થિતિ થઈ તે તો બહુ ખબર નથી, પણ એવી કોઈ વાતો બહાર આવી નથી જેણે શિક્ષણ સંદર્ભે ઊહાપોહ જગવ્યો હોય. ભારતમાં પણ એવી વાતો બહુ બહાર આવી નથી, પણ ગુજરાતની વાત નીકળે છે તો શિક્ષણમાં તો દાટ વળેલો જ દેખાય છે. કોરોના કાળમાં જે શિક્ષણ મંત્રીઓ આવ્યા એમણે માત્ર તુક્કાઓ પર જ આખું શિક્ષણ ખાતું ચલાવ્યું છે. મહંમદ તઘલખ તરંગી ગણાયો, પણ શિક્ષણ ખાતું તો તેને ય ટપી જાય તેવા તુક્કાઓ પર જ નભી રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. આખા શિક્ષણ વિભાગની એક વિશેષતા ધ્યાન ખેંચે છે તે, થૂંકીને ચાટવાની ! એ ખરું કે કોરોનાએ અનેક નીતિ રીતિઓ પર પાણી ફેરવ્યું છે ને કશુંક નક્કી કર્યું હોય તેનાથી જુદું જ કરવાની ફરજ પડી છે, પણ એવે વખતે તુમાખી કે તુક્કાથી વરતવાનું ઠીક નથી. એ સંજોગોમાં તુમાખી કે તુક્કાનું સ્થાન વિવેકે લેવું પડે, જેનો ગુજરાતનાં શિક્ષણ વિભાગમાં ભારોભાર અભાવ છે. 2020માં કોરોના નિમિત્તે લોકડાઉન જાહેર થયું તેના થોડા જ વખતમાં ગુજરાતે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો. પૂરતાં સાધનો વગર નામ પૂરતું ભણવા, ભણાવવાનું ચાલ્યું. જાતભાતની કસોટીઓ વચ્ચે બોલબાલા પરીક્ષાની જ રહી. પરીક્ષામાં જવાબો લખવા-લખાવવાનું પણ ચાલ્યું ને એમ લાગે કે શિક્ષણ જેવું જરા તરા રહી ગયું છે, બસ ! તેટલું મહત્ત્વ શિક્ષણનું રહ્યું. બધું જ અનિશ્ચિત હોય ત્યારે હોંશિયારી મરાય નહીં, પણ શિક્ષણ મંત્રી ફરમાનો બહાર પાડતાં રહ્યાં. કસોટીઓ છાશવારે લેવાતી રહી. બોર્ડની કે અન્ય વાર્ષિક પરીક્ષાઓનું શું થશે તેની મૂંઝવણો રાજ્ય આખાને હતી, ત્યાં 2020નાં ડિસેમ્બર, 29નાં છાપાંઓ બોલ્યાં કે માસ પ્રમોશન નહીં અપાય અને પરીક્ષાઓ લેવાશે જ ! એકથી આઠ અને ધોરણ નવ ને અગિયારની પરીક્ષાઓ લેવાશે જ. આ બધુ કઇ રીતે પાર પડશે એની કોઈ વાત ન હતી, પણ ફતવો બહાર પડી ચૂક્યો હતો, ત્યાં 25 માર્ચ, 2021 ને રોજ વળી જાહેર થયું કે 1થી 8, 9 અને 11માં માસ પ્રમોશન અપાશે. થયું? પરીક્ષાની (તુ)માખી નીકળી ગઈ !

કોરોનાને કારણે જ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી. 10માં ધોરણમાં માસ પ્રમોશન જાહેર થયું, તેમાં કરામત હતી. 9 અને 10ની અગાઉ લેવાયેલી પરીક્ષાને આધારે 10નું બોર્ડનું પરિણામ જાહેર કરાયું. એ હજી સુધી નથી સમજાયું કે માસ પ્રમોશન જાહેર જ હતું ત્યાં, નવમા, દસમાની અમુક તમુક ટકાવારી પરથી પરિણામ તૈયાર કરવાથી વિશેષ શું સિદ્ધ કરવું હતું? ખેર, ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ 100 ટકા આવ્યું અને 17 હજારથી વધુ વિદ્યાર્થીઓને એ -1 ગ્રેડમાં પાસ જાહેર કરાયા. કોઈને પણ એ સંકોચ ન થયો કે જેની પરીક્ષા બોર્ડે લીધી જ નથી એનો એ-1 ગ્રેડ સ્વીકારાય કઇ રીતે?

આ વખતે એટલે કે 2022માં, એપ્રિલમાં પ્રાઈમરીની પરીક્ષાઓ લેવાઈ. વિદ્યાર્થીઓએ પેપરોના જવાબ લખ્યા, તેનું વર્ગવાર પરિણામ નક્કી થયું ને મેની બીજી તારીખે શિક્ષણ મંત્રીએ એકાએક ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોનાની ખાસ પરિસ્થિતિને કારણે, ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. આમ તો 21 સપ્ટેમ્બર, 2019ના રોજ સરકારે ઠરાવ કરેલો કે એ ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. એ અનુસાર ગયે વર્ષે કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ કરાયા ન હતા. એ જ વાત આ વર્ષે પણ શિક્ષણ વિભાગે લાગુ પાડી ને આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી આગલા વર્ષમાં બઢતી અપાઈ.

એ સાચું કે કોરોના નાબૂદ થવાની વાત જોર પકડે છે તે સાથે તેની નવી લહેરની આગાહીઓ પણ થવા લાગે છે ને ગાડી માંડ જરા પાટે ચડે છે કે ફરી ભયનું લખલખું દેશ આખામાંથી પસાર થઈ જાય છે. એમાં જેમ બીજું બધું ખોરંભે ચડે છે એમ જ શિક્ષણ પણ ઘોંચમાં પડે છે. જો કે, છેલ્લા થોડા મહિના કોરોનાનો પ્રભાવ ખાસો ઘટ્યો, એટલે ઓફલાઇન શિક્ષણ પણ શરૂ થયું. ઓનલાઈન અને ઓફલાઇન વર્ગો ચાલ્યા ને પરીક્ષાને અનુકૂળ વાતાવરણ લાગતાં ધોરણ આઠ સુધીની વાર્ષિક પરીક્ષાઓ પણ લેવાઈ ને પરિણામ પત્રકો પણ તૈયાર થયા, ત્યાં અચાનક શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે કોરોનાને કારણે શિક્ષણ નિયમિત થઈ શક્યું નથી, તો આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવો. આ નિર્ણય લેવો પડશે એવું ઘણાંને લાગતું હતું, પણ જ્યારે પરીક્ષા હેમખેમ પૂરી થઈ ને પરિણામો પણ તૈયાર થઈ ગયાં તો લાગ્યું કે આજકાલમાં પરિણામો જાહેર થશે, પણ કોથળામાંથી બિલાડું નીકળ્યું ને માસ પ્રમોશનનો બેલ પડી ગયો !

માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો તેનો એટલો વાંધો નથી, જેટલો પરીક્ષા લેવાઈ તેનો છે. કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું તે કોરોના નવો આવ્યો હતો, એટલે? બે વર્ષથી એ દેશમાં છે. તો, પરીક્ષા લેવાઈ ગયા પછી માસ પ્રમોશનનો તુક્કો કેમ આવ્યો? એ વેલ ઇન એડવાન્સ અજમાવી શકાયો હોત તો પરીક્ષાનું આખું તંત્ર ગોઠવવાની જરૂર ન પડી હોત ! સૂરતમાં કેટલી ય સ્કૂલોમાં કોરોનાની ઐસીતૈસી કરીને જે બેઠક વ્યવસ્થા આચાર્યોએ ગોઠવવી પડી ને પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખૂબ નજીક, એક બીજાને અડાડીને બેસાડવાની ફરજ પડી તેનાથી બચી શકાયું હોત ! સાચું તો એ છે કે પરીક્ષાનું વાતાવરણ જ ન બન્યું ને પરીક્ષાઓ લેવાઈ. વારુ, પરીક્ષાનું પરિણામ નક્કી થઈ ગયું, પાસ નાપાસની માનસિકતા બની ચૂકી ત્યાં સુધી શિક્ષણ ખાતાને માસ પ્રમોશનનું સપનું ય નથી પડતું, એ કેવું? આટલું અંધેર તો કેમ ચાલે?

કોઈને નાપાસનું ભાન ન થાય ને બધાં જ આગળનાં વર્ષમાં જાય એ માસ પ્રમોશનનો હેતુ માર્યો ગયો, કારણ, પરિણામ નક્કી થઈ ગયાં પછી જે નાપાસ છે તેનાં મનમાં એ ગિલ્ટ રહેવાનું કે પોતે નાપાસ છે ને  દયા દાન ધરમમાં આગળ જઈ રહ્યો છે. એ ખરું કે માસ પ્રમોશનને કારણે બીજી સ્કૂલોમાં ઓછી ટકાવારીને કારણે વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રહેવાનું નહીં બને, પણ પેલું નાપાસનું ગિલ્ટ તો ઓલરેડી જન્મી જ ચૂક્યું છે, તેનું શું? એ સારી સ્થિતિ છે? ને સવાલોનો સવાલ એ છે કે માસ પ્રમોશનનું નાટક ક્યાં સુધી ચલાવવાનું છે? શિક્ષણ વિભાગને એ ખબર છે કે મોટે ભાગના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નાપાસમાં છે ને તે ય 100માંથી ચાર પાંચ માર્ક જેટલું જ છે, તો એ સ્થિતિ સુધરે એવું કૈં કરવાની જરૂર લાગે છે કે આવતે વર્ષે પણ માસ પ્રમોશનની જ આગાહી, આજથી જ કરી દેવાની છે? એક માત્ર પુડુચેરીને બાદ કરતાં કોઈ રાજ્યે માસ પ્રમોશનની યોજના અમલી બનાવી નથી. એનો અર્થ એ થાય કે એમણે પરીક્ષાનો વિકલ્પ સ્વીકાર્યો છે. એ રાજ્યોમાં કોરોના ન હતો ને એ તકલીફ માત્ર ગુજરાતને જ હતી એમ માનવાનું છે? એ રીતે ગુજરાત તુક્કાઓને કારણે, પાયાના શિક્ષણથી જ પાયા વગરનું થઈ ગયું છે એવું નથી લાગતું?

હે, શિક્ષણ વિભાગના માનવંતા સાહેબો, થોડું પણ અનુભવી શકતા હો તો અનુભવો કે બે વર્ષથી માસ પ્રમોશન ખાટતા વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણમાં આવી ગયા છે ને તેમનાં કકકાનાં ઠેકાણાં નથી ને બીજી તરફ તેમને પાઠ ભણવાના આવ્યા છે. એકડો ચીતરાતો નથી ને સરવાળા, બાદબાકી તરફ જવાનું છે. લર્નિંગ લોસ વિષે કૈં વિચારવાનું છે કે આમ જ માસ પ્રમોશનથી જ જીવી કાઢવાનું છે? માનનીય સાહેબો, તમે એ રીતે ભણ્યા ન હો તો આ વિદ્યાર્થીઓને એમના કયા ગુના બદલ આ ભોગવવાનું છે તે કહેશો? ખરેખર તો થોડા શિક્ષકોને વધારાનો પગાર આપીને વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય એવી વ્યવસ્થા વિચારવાની જરૂર છે, પણ શિક્ષકોને તો તમે ફાજલ કામ માટે જ રાખ્યા હોય એવી હાલત છે. એ તમારી વસ્તી ગણતરી માટે કે રસી રસા માટે જ હોય તેમ કારકૂની કરાવો છો તે કોઈ રીતે યોગ્ય નથી. તમારો માસ્તર પત્રકો ભરવામાંથી કે આની તેની જયંતી ઉજવવામાંથી જ ઊંચો ન આવતો હોય તો એ ભણાવશે શું ને કોને? વેઠિયા ને માસ્તરમાં થોડો ફરક તો રાખો. આખો શિક્ષણ વિભાગ ક્યાં સુધી તઘલખો ને શેખચલ્લીઓ પર જીવવાનો છે તે કહેશો? જે પ્રજાનું ખાવ છો તેનું ક્યાં સુધી ખોદશો? ક્યાંકથી પણ શરમ મળતી હોય તો મેળવવા જેવી છે, કારણ અગાઉ ક્યારે ય ન હતી એટલી જરૂર આજે છે …

ને શિક્ષણ મંત્રીશ્રી તો કહે છે કે જેને ગુજરાતનું શિક્ષણ ન ફાવતું હોય તે ગુજરાત છોડી જાય. સારું છે કે ગુજ્જુઓને સ્વમાન જેવું ખાસ નથી, નહીંતર એને ય બધા મંત્રીઓ ફાવે છે એવું ક્યાં છે? એવા ન ફાવતા  મંત્રીઓને એ પણ રાજવટો આપી જ શકે ને ! પણ આ પ્રજાને શરમ નડે છે ને એ ઘણાં ફાલતુઓને વેઠી લે છે, બાકી એ શું નથી જાણતી કે આ વખતે રિઝલ્ટ તૈયાર થઈ ગયું હોય એવા વિદ્યાર્થીઓને, મત હાથવગા થાય એટલે માસ પ્રમોશન આપે છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 મે 2022

Loading

અમારા હિસ્સાનો છાંયડો ક્યાં છે ? – અમદાવાદીઓનો સવાલ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 May 2022

અમદાવાદના વાહનોથી ધમધમતા રસ્તાઓ પર આજકાલ લગભગ દરેક ચાર રસ્તા પર લાલ લાઇટ થાય એટલે સ્કુટર કે કારવાળા સ્ટૉપલાઇનની નજીક જઈને અટકવાને બદલે આસપાસ જે ઝાડ હોય તેના છાંયડા હેઠળ એકઠા થાય છે.

શહેરી તાપમાનના દુનિયાભરના અભ્યાસીઓએ સૂચવ્યું છે કે ફૂટપાથ પર ઊભી રહેલી વ્યક્તિ કરતાં ઝાડ નીચે ઊભી રહેલી વ્યક્તિ 5થી 7 સેન્ટિગ્રેડ ઓછું તાપમાન અનુભવે છે. જળવાયુ પરિવર્તનના ક્ષેત્રે આ પ્રકારના અભ્યાસ ‘આઇલૅન્ડ ઇફેક્ટ’ અથવા ‘ફૉસ્ટર્સ રુલ’ નામની વિભાવના હેઠળ કરવામાં આવે છે.

વૃક્ષ નીચે ઓછું તાપમાન જોવા મળે એ બાબત શિન્જિ યોશિદા નામના અભ્યાસીના Adaptation Measures for Urban Heat Islands નામના પુસ્તકમાં વાંચવા મળે છે. એમાંથી પસાર થતાં એમ થાય છે કે આ વર્ષે શહેરે તેના રહીશોને કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા માટે શું કર્યું ?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનો દાવો છે કે તેણે 2019 અને 2021 એમ બે વખત ‘મિશન મિલિયન ટ્રીઝ’ (દસ લાખ વૃક્ષારોપણ ઝુંબેશ) નામની ઝુંબેશ કરીને 27.72 લાખ છોડ ઊગાડ્યાં છે.

જો કે ઊગાડેલાં આ છોડમાંથી કેટલાં ટક્યાં છે એનો આંકડો કૉર્પોરેશન આપતી નથી.

જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બહાર પડેલાં ફૉરેસ્ટ સર્વે ઑફ ઇનિયા 2021ના આંકડા મુજબ વીતેલા દાયકામાં અમદાવાદ શહેરના વૃક્ષાવરણમાં (ટ્રી કવરમાં) 8.55 ચો.કિલોમીટરનો ઘટાડો થયો છે. આ ઘટાડો દેશના બધાં મુખ્ય શહેરોનાં વૃક્ષાવરણમાં ગયા દાયકામાં થયેલા ઘટાડા કરતાં વધારે છે.

તદુપરાંત, અમદાવાદમાં દરેક અમદાવાદીને મળતી માથાદીઠ શહેરી હરિત ભૂમિ (Uraban Green Space – UGS) 3.91 ચોરસ મીટર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન(WHO)ના ધોરણ મુજબ દરેક શહેરવાસીને માથાદીઠ ઓછામાં ઓછી 9 ચોરસ મીટર હરિત ભૂમિ મળવી જોઈએ. ચંડીગઢ, દિલ્હી અને બંગળુરુ જેવાં થોડાંક જ શહેરો WHOના ધોરણો જાળવી શક્યાં છે, અને મુંબઈ, અમદાવાદ, સૂરત, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવાં શહેરો આ ધોરણથી ઘણાં દૂર છે.

બંગળુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના અભ્યાસમાં 2020માં ચેતવણી આપવામાં આવી છે કે ગયા બે દાયકામાં અમદાવાદનું વૃક્ષાવરણ (tree-cover) 46%થી ઘટીને 24% પર આવ્યું છે, અને વિકાસનાં દબાણો હરિત ભૂમિ(green space)નો ભોગ લેતાં તો 2030માં વૃક્ષાવરણ 3% પર પહોંચી જશે.

વનસ્પતિશાસ્ત્રી સંતોષ યાદવ કહે છે : ‘મુંબઈ અને પુણેમાં થયું છે તેવું tree mapping અમદાવાદમાં થવું જરૂરી છે. અમદાવાદીઓએ એ જાણવાની જરૂર છે કે વૃક્ષારોપણ ઝુંબેશ બાદ કયાં ઝાડ ટક્યાં છે અને ક્યાં ટક્યાં નથી. વૃક્ષનું આર્થિક મૂલ્ય ધ્યાનમાં લેવાતું નથી, અને એટલે સત્તાવાળાઓ વૃક્ષોના વિનાશની નોંધ લેતા નથી.’

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથે વાત કરતાં એક કૉર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું : ‘અત્યારના આપણાં બાંધકામ પેટાનિયમો મુજબ, બાંધકામ કરવામાં 10% ખુલ્લી જગ્યા open space છોડવાની હોય છે. આ જગ્યા બાંધકામ વિસ્તારમાં વસ્તીની ગીચતાનું પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. અમદાવાદની 2021ની વિકાસ યોજના મુજબ થોડાંક તળાવોની આસપાસ green spaces બતાવવામાં આવી છે. નગર આયોજનની જુદી જુદી યોજનાઓમાં થોડીક સંખ્યામાં land pooling system  દ્વારા થોડીક સંખ્યામાં open spaces માટેની જોગવાઈ કરવામાં આવી છે.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નું કહેવું છે કે 1965થી લઈને અત્યાર સુધીની અમદાવાદની દરેક વિકાસ યોજનામાં શહેરને હરિયાળું બનાવવા અને open spaces વધુ સંખ્યામાં રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ વીતેલા ચારેક દાયકામાં સુધરાઈએ આ દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું છે.

શહેરી વિકાસ આયોજનમાં સંખ્યાબંધ યોજનાઓ એવી છે કે જેમાં ગુજરાત ટાઉન પ્લાનિન્ગ ઍક્ટમાં ફરજિયાત બનાવવામાં આવેલી સંખ્યામાં વૃક્ષો અને open spaces નથી. હવે શહેર આયોજનની પ્રક્રિયામાં શહેરના લોકોને સામેલ કરવા એ મહત્ત્વની બાબત છે. જાહેર જનતાની ભાગીદારી સાથેના કાર્યક્રમોનું વિચારપૂર્વક આયોજન કરવું જોઈએ અને તે અંગેની જાણકારી આ યોજનાઓની સાથે સંકળાયેલા સહુને આપવી જોઈએ.

(સૌજન્ય : ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, 01મે 2022)

05 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5401,5411,5421,543...1,5501,5601,570...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved