Opinion Magazine
Number of visits: 9569870
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યૂક્લિઅર આધારિત વીજળી : લાભ ને જોખમ કેટલાં?

કિરણ કાપુરે|Opinion - Opinion|22 April 2022

ગત સંસદ સત્રમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે અત્યારે દેશમાં ન્યૂક્લિઅર પાવરથી 6,780 મેગાવોટ વીજળી ઉત્પાદીત થઈ રહી છે; અને 2031 સુધી આ ક્ષમતા વધીને 22,480 કરવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકનો અર્થ આવનારાં નવ વર્ષમાં ન્યૂક્લિઅર દ્વારા વીજળી ઉત્પાદન ચાર ગણું થશે. ન્યૂક્લિઅર આધારિત વીજળીનું ઉત્પાદન વિવાદિત મુદ્દો છે. પણ કટોકટીમાં લાંબા ગાળાના નુકસાનના અવેજમાં ટૂંકા ગાળાના લાભનો જ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દેશમાં વીજળીનો પ્રશ્ન અતિ વિકટ છે અને આજે ય અંધારપટ ધરાવનારાં વિસ્તારો શોધવામાં ઝાઝી મશક્કત કરવી પડતી નથી. ઉનાળામાં તો વીજળીની બૂમો દિલ્હી જેવાં શહેરોમાં પણ પડે છે. ગામડાંઓમાં વીજળી હજુ ય સરળતાથી ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ધીરે ધીરે સુધરી જરૂર રહી છે અને તેમાં અલગ-અલગ સ્રોત આધારિત વીજળી ભાગ ભજવે છે.

વર્તમાનમાં દેશમાં સૌથી વધુ વીજળી કોલસા દ્વારા ઉત્પન્ન થાય છે. આ ટકાવારી પચાસની આસપાસ છે. તે પછી રિન્યૂએબલ એનર્જી છે, જે પવન, સોલર અને અન્ય માધ્યમથી ઉત્પન થાય છે. આ વીજળી કુદરતના જોરે ઉત્પન્ન થાય છે. હાલ આપણા દેશમાં 26 ટકાની આસપાસ રિન્યૂએબલ આધારિત વીજળી છે. તે પછી હાઇડ્રો વીજળી છે. તેની ટકાવારી 11 ટકાની આસપાસ છે. તે મહદંશે પાણી દ્વારા ઉત્પાદિત થાય છે અને ડેમ સાઈટ પર આવા હાઈડ્રો પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવે છે. ગેસ દ્વારા છ ટકા અને ન્યૂક્લિઅર દ્વારા અત્યારે કુલ વીજળીની દોઢ ટકા વીજળી ઉત્પન્ન થાય છે.

ન્યૂક્લિઅરનો હિસ્સો હાલમાં ખૂબ ઓછો છે પણ સરકાર હવે તે વધારવામાં માંગે છે અને માટે દેશમાં નવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરી રહી છે. અત્યારે દેશમાં એક્ટિવ ન્યૂક્લિઅર પ્લાન્ટ સાત છે. તેમાંથી બે તમિલનાડુમાં, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક છે. તે સિવાય ચાર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણાધિન છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થશે. તેમાં એક તમિલનાડુમાં આવેલો કલ્પકમ્મ અને કુન્ડુકુલ્લમ છે, બીજો ગુજરાતમાં કાકરાપાર ખાતે યુનિટ-4 છે, તે પછી હરિયાણાના ગોરખપુર, રાજસ્થાનમાં યુનિટ 7 અને 8 છે. નિર્માણાધિન સિવાય અન્ય નવ ન્યૂક્લિઅર પ્લાન્ટનાં આયોજન થઈ રહ્યાં છે. આ રીતે ન્યૂક્લિઅર બેઝ્ડ વીજળી આપણે મહત્તમ સ્તરે લઈ જવા પ્રયત્નશીલ છે.

હવે એ વિચારવું રહ્યું કે દેશ કેમ ન્યૂક્લિઅર વીજળી તરફ આગળ વધી રહ્યો છે. તેનું સૌથી મહત્ત્વનું કારણ કે દેશમાં આજે ખૂણે ખૂણે વીજળી પહોંચી રહી છે અને વીજળીના સંસાધનો પણ વધી રહ્યા છે. વ્યક્તિદીઢ વીજળી વપરાશ વધ્યો છે. 2019-20ના આંકડા મુજબ આપણી વ્યક્તિદિઠ વીજળીની ખપત 1208 કિલોવોટ છે. 2012ના જ મુકાબલે આ આંકડો ત્રણસો કિલોવોટ વધ્યો છે. આગળ પણ તે વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. બીજું કે કોલસા આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં પ્રદૂષણ ખૂબ વધે છે. ‘સેન્ટર ફોર સાયન્સ એન્વાયર્મેન્ટ’ દ્વારા થયેલાં અભ્યાસ મુજબ તો કોલસા આધારિત વીજળી ઉત્પાદનને વિશ્વનું સૌથી પ્રદૂષિત કરનારું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. આનું એક કારણ એ પણ છે કે ભારતમાં મળતા કોલસાની ગુણવત્તા નબળી છે. અને એટલે જ હવે કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા સરકારે માપદંડ વધુ સખ્ત કર્યા છે. હાઇડ્રો પાવર એક સારો વિકલ્પ છે, પણ તેમાં મસમોટા ડેમ નિર્માણ કરવાનો જંગી ખર્ચ છે. આ વિકલ્પના પર્યાવરણીય જોખમો વધુ છે. અને એટલે જ રિન્યૂએબલ એનર્જી તરફ દેશનું વીજળી સેક્ટર આગળ વધી રહ્યું છે. રિન્યૂએબલ એનર્જી માટે ભારત પ્રતિબદ્ધ છે અને એટલે 2016માં ‘પેરિસ એગ્રીમેન્ટ’માં ભારત સરકારે એમ સ્વીકાર્યું છે કે 2030 સુધી દેશની કુલ વીજળી ખપતમાં ભારતની અડધો અડધ વીજળી રિન્યૂએબલ હશે.

રિન્યૂએબલ એનર્જીમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ, સોલર, વીન્ડ, વેસ્ટ ટુ પાવર આવે છે. તદ્ઉપરાંત તેમાં જ ન્યૂક્લિઅર આધારિત વીજળીનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ન્યૂક્લિઅર એનર્જીનું ચિત્ર શું છે તે પહેલાં સમજી લઈએ. જેમ કે, હાલમાં વિશ્વમાં 32 દેશો ન્યૂક્લિઅર આધારિત વીજળીનો ઉપયોગ કરે છે. તેમાં સૌથી વધુ યુરોપ, નોર્થ અમેરિકા, ઇસ્ટ એશિયા અને સાઉથ એશિયા છે. આ ખંડના હિસ્સા પરથી ખ્યાલ આવી જાય કે જ્યાં સૌથી વધુ વિકસિત દેશો છે તેઓ ન્યૂક્લિઅર એનર્જી તરફ વળ્યા છે. અમેરિકા ન્યૂક્લિઅર આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં સૌ પ્રથમ આવે છે અને ફ્રાન્સ તેની 70 ટકા વીજળી ન્યૂક્લિઅરથી જ પેદા કરે છે. ચીન પણ એ તરફ જ આગળ વધી રહ્યું છે.

ભારતના વીજળીની જરૂરિયાત અર્થે ન્યૂક્લિઅર એનર્જી સરળ વિકલ્પ છે. પહેલાં તો વિશ્વભરમાં ન્યૂક્લિઅર એનર્જીથી વીજળીનું ઉત્પાદન સામાન્ય થઈ રહ્યું છે. હા, તેમાં કેટલાંક હવે અપવાદ છે. જેમાં ઇટાલી, ઓસ્ટ્રિયા, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ગ્રીસ, આઈરલેન્ડ અને નોર્વે જેવાં દેશો છે. આ બધા જ દેશો ધીરે ધીરે ન્યૂક્લિઅર એનર્જીથી પોતાને વેગળા કરી રહ્યા છે. હવે એક તરફ ન્યૂક્લિઅર એનર્જીનો ઉપયોગ કરવા અમેરિકા, ચીન અને ભારત જેવાં દેશો ઉત્સુક છે જ્યારે યુરોપના નાનાં દેશો તેમાંથી બહાર નીકળી રહ્યા છે. આનું મુખ્ય કારણ તેનાથી ફેલાતું પ્રદૂષણ છે, તેમાં ન્યૂક્લિઅર વેસ્ટનો પ્રશ્ન પણ મોટો છે. અન્ય વિકલ્પો જોતાં ન્યૂક્લિઅર વધુ લાભકારક લાગે છે, પણ તે ત્યાં સુધી જ જ્યાં સુધી તેમાં કોઈ અકસ્માત ન થાય. અન્ય કોઈ પણ વિકલ્પમાં અકસ્માતની વેળાએ પણ જોખમને ઘટાડી શકાય છે. પણ ન્યૂક્લિઅર એનર્જીના કિસ્સામાં જ્યારે પણ કોઈ અકસ્માત થાય તો તેનો તોડ કોઈની પાસે નથી. જેમ કે ચર્નીબોલ અને જાપાનમાં ભૂકંપ વખતે ફૂકુશિમા ન્યૂક્લિઅર પ્લાન્ટમાં જોવા મળ્યું હતું. રશિયા અને જાપાન ટેકનોલોજીની દૃષ્ટિએ સજ્જ દેશો છે તેમ છતાં જ્યારે ન્યૂક્લિઅરના અકસ્માત થયા ત્યારે તેમની પાસે કોઈ તોડ નહોતો. આવે વખતે ભારતમાં કોઈ અકસ્માત થાય તો તે કેવી રીતે તેનો ઉકેલ લાવે તે સવાલ છે.

આ ઉપરાંત જે ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ છે તેમાંથી નિકળતા રોજબરોજનું પ્રદૂષણ પણ ખૂબ મોટો સવાલ તેના સામે ઊભો કરે છે. અને તે માટે જ અમેરિકામાં અને જ્યાં આવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે ત્યાં તેનું બાંધકામ કેવી રીતે થવું જોઈએ તે નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે પછીનો સવાલ ન્યૂક્લિઅર પ્લાન્ટ માટે જોઈતા યુરેનિયમનો છે. યુરેનિયમ વિશ્વમાં કઝાકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવાં જૂજ દેશોમાં છે. તે પછીનો ન્યૂક્લિઅર વીજળી પ્રશ્ન કેન્સર સંબંધિત છે. અત્યાર સુધીના અનેક અભ્યાસોમાં એવું ફલિત થયું છે કે, ન્યૂક્લિઅર વીજળીથી કેન્સરનું જોખમ ઊભું થાય છે. તેના સૌથી મોટા શિકાર પ્લાન્ટમાં કર્મચારીઓ અને આસપાસની વસતી છે. આવાં અનેક જોખમો છે, પણ અલ્ટીમેટલી તેમ છતાં વીજળી ઉત્પાદનના વિકલ્પ તરીકે તે સૌથી સરળ માર્ગ છે.

સરકાર એટલે ન્યૂક્લિઅર માર્ગે આગળ વધી રહી છે, પણ જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે તે તરફ ફરીથી વિચારણા થાય છે. દેશમાં મહારાષ્ટ્રના જેતપુર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો વિરોધ સ્થાનિક લોકોએ ખૂબ કર્યો હતો. એ રીતે તમિલનાડુના કોન્ડાકુલ્લમ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો પણ વિરોધ સ્થાનિકોએ કર્યો છે. બંગાળ સરકારે એ રીતે કેન્દ્ર સરકારની ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ સ્થાપવાની માંગને ઠુકરાવી છે. સુપ્રિમ કોર્ટમાં પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઈલ થઈ હતી કે જ્યાં સુધી ન્યૂક્લિઅર પ્લાન્ટમાં સુરક્ષાના માપદંડને યોગ્ય ન હોય ત્યાં સુધી મંજૂરી આપવી નહીં અને તે માટે નિષ્ણાતોની સમિતિને કામ સોંપવું. જો કે સુપ્રિમ પોતાની પાસે આ અંગે કોઈ જ નિષ્ણાત નથી તેમ કહીને સરકાર પર પૂરો મામલો છોડી દીધો છે.

આ પૂરું ચિત્ર જોતાં તો ન્યૂક્લિઅરનું જોખમ મસમોટું હોવા છતાં સરકારને તે જ સૌથી સરળ લાગવાનું છે અને તેનો અમલ આપ્યા સમય કરતાં વધુ ઝડપથી થાય તો નવાઈ નહીં.

e.mail : kirankapure@gmail.com 

Loading

ડૂમો

બીજલ જગડ|Poetry|22 April 2022

ફાટી ફાટી આંખ ને કંઠે ય ડૂમો
કાળજે મૌન પાંપણે લચકે ડૂમો.

પ્હાડે પ્હાડે ઝરણ ને કંઠે ય ડૂમો,
વાર્તા કરે વાદળ એના વાયરે ડૂમો

ભીની ભીની છાતી કંઠે ય ડૂમો,
કેક્ દરિયા પીધા ધોધની ધારે ડૂમો.

ટીપે ટીપે ડૂબે દુષ્કાળ કંઠે ય ડૂમો,
તરવા નીસર્યા ખાબોચિયાંની ઠાઠે ડૂમો.

યાતાયાત લથબથ કંઠે ય ડૂમો,
ભડભડ કાળું એકાંત રૂંવે રૂંવે ડૂમો.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’ : એક સનદી અધિકારીના અનુભવ …

કિરણ કાપુરે|Opinion - Opinion|22 April 2022

‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”

અનિલ સ્વરૂપ કેન્દ્ર સરકારમાં અને ઉત્તર પ્રદેશ સરકારમાં અલગ અલગ મહત્ત્વના પદે રહ્યા છે. તેમનો સૌથી કઠિન કાળ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે દરમિયાન હતો, ત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં આવેલા સૌથી તંગ વિસ્તાર લખીમપુર ખેરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા. તેમણે આ કટોકટીમાં યોગ્ય નિર્ણય લીધા હતા અને તેથી જ તેમની નામના થઈ હતી. આ રીતે તેઓ કેન્દ્ર સરકારમાં વહિવટી પાંખમાં મુખ્ય પદાધિકારી બન્યા. વડા પ્રધાન મોદી સાથેના તેમના આગળ અનુભવ નોંધતા તેઓ લખે છે : “મીટિંગ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય છાપ ઓછું બોલનાર તરીકેની છે. કોઈ મુદ્દાને સમજવાની તેમની સમજ સારી હતી. અને તેઓ ખૂબ જે વ્યવહારુ ઉકેલ પણ દાખવી શકતા. આ બધા માટે તેમનો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીના કાળનો અનુભવ કામ આવતો. આ રીતે મારા તેમની સાથેના પ્રોફેશનલ સંબંધ ઘનિષ્ઠ થયા હતા. જો કે તેમ છતાં હું તેમના નજદીકી અધિકારીઓમાં ગણના નહોતો પામ્યો. તેમના અને મારા વિચારમાં મતભેદ હોવા છતાં તેઓ હંમેશાં મારા વિચારને મહત્ત્વ આપતા. વડા પ્રધાન કાળના આરંભના દોરમાં તેમણે સાચી દિશામાં ડગ માંડ્યા અને અર્થતંત્ર સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે તેમ દેખાયું.”

અહીં સુધી અનિલ સ્વરૂપે વડા પ્રધાનનાં જમા પાસાં દર્શાવવામાં ક્યાં ય કચાશ કરી નથી. વડા પ્રધાન પાસે અનુભવની જે મૂડી છે તેનો ઉલ્લેખ પણ અનિલ સ્વરૂપે કર્યો છે. પણ આગળ તેઓ લખે છે કે, “પછી આ બધું અવળે માર્ગે ક્યારે અને કેવી રીતે ગયું? મારી સમજ પ્રમાણે 8 નવેમ્બર 2016ના રોજ તે દુઃખદ રાત્રીએ આ બધું બદલાયું. નોટબંધીની જાહેરાત કરવામાં આવી. 1000 અને 500ની ચલણી નોટોને રદ્દબાતલ કરી દેવામાં આવી. મારી પ્રથમ પ્રતિક્રિયા આનંદની હતી. ઉત્તર પ્રદેશમાં કામ કરતી વેળાએ મેં જોયું હતું કે કેવી રીતે મુખ્ય મંત્રી ભ્રષ્ટાચારથી રોકડ એકઠી કરતા હતા. તે મારા માટે આશ્ચર્યજનક ઘટના હતી. હું વિચારતો હતો કે આ પ્રકારના રાજકીય નેતાઓએ તેમની આવી ખોટી કમાણી કોઈ પણ રીતે ગુમાવવી જોઈએ. પરંતુ તેમ ન થયું. નોટબંધી પછી જે અણધડ આયોજન થયું તેમાં તો આવા લોકોને પોતાની સંપત્તિ પાછી મળી ગઈ. અને ખરેખર જેઓ આ પૂરી ઘટનામાં પીડિત બન્યા તે તો સામાન્ય માણસ હતો. તે પછી અર્થતંત્ર ખાડે જતું ગયું અને પછી તે ક્યારે ય સુધારા પર ન આવ્યું. આ પછી પણ ‘નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ’ને ઉત્તર પ્રદેશમાં સારી બહુમતિ મળી. અને તેનાથી જાણે આ વિનાશકારી પગલાંને રાજકીય વૈદ્યતા મળી ગઈ. હવે ભાવિ પેઢી જ નોટબંધીથી થયેલાં નુકસાનને આંકી શકશે. સંભવત્ આ સારો વિચાર હતો પણ તેનો અમલ ખરાબ રીતે થયો.”

અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”

અનિલ સ્વરૂપ તેમના પદ મુજબ મોઘમ રીતે ટીકા કરી છે અને સાથે-સાથે તેમાં ઘટનાઓને સરસ રીતે વણી લીધી છે. તેઓ વહિવટી અધિકારી તરીકે રહ્યા છતાં જ્યાં કહેવા જેવું લાગ્યું છે ત્યાં તેઓ અભિવ્યક્ત થયા છે. તેમની આ અનુભવોને એટલે જ તેમણે પુસ્તકરૂપે પણ મૂક્યા છે. તેમણે બે પુસ્તક લખ્યા છે. તેમાંથી એક છે : ‘એથિકલ ડાઇલેમા ઑફ અ સિવિલ સર્વન્ટ્સ’ અને બીજું પુસ્તક છે : ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’. આગળ તેઓ આ લેખમાં વર્તમાન સરકારની કેટલીક સારી બાબતોનો ઉલ્લેખ કર્યો છે : “આ સરકારે અનેક ક્ષેત્રોમાં ખૂબ સરસ કામ કર્યાં છે; જેમ કે નેશનલ હાઇવેઝ, ગ્રામ્ય હાઉસિંગ, ગ્રામિણ વીજળીકરણ, રાંઘણગેસ અને ડિજિટલ પેમેન્ટ્સમાં. અને આ જ કારણે તેમને રાજકીય ડિવિડન્ડ મળ્યું છે. આ જે થયું છે તેની ક્રેડિટ જો સરકાર લે છે તો તે યોગ્ય છે. પરંતુ કમનસીબે, તે કેટલીક એવી બાબતોની ક્રેડિટ લે છે જે તેમણે કર્યું જ નથી. મને સ્વતંત્રતા દિવસનું ભાષણ યાદ છે જ્યારે વડા પ્રધાને યોગ્ય દાવાઓ કર્યા નહોતા. તેમાંથી એક હતો કે તેમણે ‘પ્રોજેક્ટ મોનિટરીંગ ગ્રૂપ’ સ્થાપ્યું છે. ખરેખર તે પાછલી સરકારના કાર્યકાળમાં થયેલું કામ છે. હવે જ્યારે તેમની પાસે સાચા દાવાઓ કરી શકે તેવી અનેક બાબતો છે ત્યારે તેઓ કેમ ખોટા દાવાઓ કરે છે.”

“હવે હું સિવિલ સર્વન્ટ્સમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે સરકારે જે કરવું જોઈએ તે કેમ નથી કરી શકતી.” તે વિશે સ્વરૂપ વડા પ્રધાને સંસદમાં જે નિવેદન આપ્યું હતું તે ટાંક્યું છે. તે નિવેદન હતું : “સબ કુછ બાબુ હી કરેંગે. આઈ.એ.એસ. બન ગયે મતલબ વોહ ફર્ટિલાઈઝર કા કારખાના ભી ચલાયેગા. યે કૌન સી બડી તાકત બના કર રખ દી હમને? બાબુઓ કે હાથ મેં દેશ દે કરકે હમ ક્યા કરને વાલે હૈ?” સ્વરૂપ હવે પોતાના મુદ્દા મૂકે છે : “કેમ તેમણે આવું નિવેદન આપ્યું? વ્યંગની રીતે જોઈએ તો પણ તેમણે તે વાત તથ્યની રીતે સાચી નથી. કોઈ પણ કિસ્સામાં દેશના વડા પ્રધાન નક્કી કરી શકે છે કે સૌથી ઉપરના સ્તરે શું કરવું જોઈએ. પછી તેઓ કેમ ફરિયાદ કરે છે? વડા પ્રધાન ખુદની ઓફિસ પણ આઈ.એ.એસ.થી સંચાલિત થાય છે. અને તેઓ પોતે જ રિઝર્વ બેન્કના ગવર્નર અને અન્ય મહત્ત્વની જગ્યાએ આઈ.એ.એસ.ની નિમણૂંક કરે છે. તેમણે અગાઉ ક્યારે.ય આ રીતે ગુસ્સો ઠાલવ્યો નથી. તેમને એ બાબતનો ખ્યાલ નથી કે તેમના આ એક નિવેદનથી અનેક યુવાન અધિકારીઓનો ઉત્સાહને ઠેસ પહોંચી છે.”

અનિલ સ્વરૂપના પુસ્તકમાં આવા રોચક અનેક કિસ્સા છે અને તેમણે આ કિસ્સાઓ સાથે સરકારોનો અને સાથે સાથે નેતાઓનું આકલન સરસ રીતે મૂકી આપ્યું છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,5181,5191,5201,521...1,5301,5401,550...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved