Opinion Magazine
Number of visits: 9570057
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક જ ધર્મ બચ્યો છે ને તે છે, અધર્મ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 April 2022

આટલાં ધર્મયુદ્ધો ને આટલાં કોમી રમખાણો પછી પણ, આખો દેશ ફરી એક હિંસા માટે બહુ આતુર છે. એમ લાગી રહ્યું છે કે દેશ કોમી આગમાં બળવા  જીવ પર આવી ગયો છે ! વોટ્સએપ, ફેસબુક વગેરેમાં હિન્દુઓ મુસ્લિમો અને મુસ્લિમો હિન્દુઓ વિરુદ્ધ જે ઝનૂન ફેલાવી રહ્યા છે તે ફરી એક દેશને લોહિયાળ બનાવે તો નવાઈ નહીં ! બંને કોમો લોહી રેડીને શું માંગે છે તે નથી સમજાતું, પણ લોહીની લાલચ ઘટતી નથી. સૈકાઓ જૂની હિંસા હાથમાં કૈં આવ્યું નથી, તો પણ એકબીજાની વિરુદ્ધ ઝેર ઓકવાનું અટકતું નથી. કરુણતા એ છે કે બંને કોમને, જે થઈ રહ્યું છે તેમાં ખોટું કૈં દેખાતું ને હકીકત એ છે કે બંને પક્ષે સત્ય સિવાય બધું જ છે. બંનેમાં સારું પણ ને નબળું પણ છે, પણ નબળાઈ સામે પક્ષે જ છે ને આપણે તો દૂધે ધોયેલાં જ છીએ એવો ભ્રમ વ્યાપક છે.

એક વાત સ્પષ્ટ છે કે આજ સુધી મંદિરો જ તૂટતાં રહ્યાં છે ને તે પછી ત્યાં મસ્જિદો ઊભી કરવાનું કેવળ ઇસ્લામના ફેલાવા માટે જ થયું છે. એ જ રીતે ખ્રિસ્તીઓએ પણ વટાળ પ્રવૃત્તિઓમાં શિકાર તો હિન્દુઓનો જ કર્યો છે. મોગલો અને અંગ્રેજો અહીંની ભૂમિના કદી હતા જ નહીં, પણ અહીં આવીને હિન્દુ પ્રજાને રંજાડવાનો જ ઉપક્રમ આ બંને વિદેશી પ્રજાઓએ રાખ્યો, એ સારું થયું નથી. એ સાથે, લોકોને વટલાવવામાં જ બંને કોમોએ શૂરાતન પ્રગટાવ્યાં કર્યું છે. આટલાં રાજ્યો છતાં, આટલા હિન્દુ રાજાઓ છતાં વિદેશી પ્રજાઓ હિન્દુસ્તાનને ગુલામ બનાવવામાં સફળ રહી. તે એટલે કે હિન્દુઓ સંપને અભાવે માર ખાવામાંથી જ ઊંચા ન આવ્યા. કેટલાક હિન્દુઓ બીજાએ ફોરવર્ડ કરેલા મેસેજ ફોરવર્ડ કરી કરીને બહાદુરી બતાવે છે, પણ એક ઓરિજિનલ મેસેજ કરવાની તેમની ક્ષમતા કેટલી તે દરેકે પોતાને પૂછી જોવા જેવું છે. એવા ફોરવર્ડિયા બહાદુરોને ખબર નથી કે તેઓ રાજકારણનો જ શિકાર છે. એ લોકો સેવા નથી કરતા, બને કે રાજકીય મેવા ખાટતા હોય !

એક વાત બંને કોમોએ સમજી લેવાની જરૂર છે કે તેમની, ધર્મ અંગેની આજની સમજ ધર્મમાંથી નહીં, પણ રાજકારણમાંથી આવી છે. એ ધર્મની શુદ્ધ ને સાત્ત્વિક સમજ નથી. એ રાજકારણ પ્રેરિત છે. સાધારણ પ્રજાને તો પોતાની સમજ જ નથી, તેને ધર્મનેતાઓ કે રાજનેતાઓ કેળવે છે ને એ લોકો પછી ઘેટાંની જેમ તેને  અનુસરે છે. એમાં પોતાની વિચારશક્તિ માટે તો જગ્યા જ નથી. આવાં ઘેટાંઓ જ ધર્મનેતાઓ અને રાજનેતાઓને પોષે છે. આજ ઘેટાં સભાઓ ગજવવા વાપરવામાં આવે છે. ઘેટાંઓને એવું અભિમાન હોય છે કે પોતે અમુક ધર્મ કે કોમને વફાદાર છે ને જે તે ધર્મ કે પક્ષ પોતાને લીધે છે, પણ એ ભ્રમ છે ને એવા ભ્રમનો ધર્મનેતાઓ કે રાજનેતાઓ લાભ ઉઠાવતા હોય છે. એ લોકો કાળજી રાખતા હોય છે કે લોકોની સમજ વિકસે જ નહીં. જે દિવસે સમજ બદલાય છે એ દિવસે ધર્મ કે રાજસત્તા પણ બદલાય છે.

એક વાત સ્પષ્ટ છે કે દરેકને પોતાનાં ધાર્મિક સ્થાનો પૂજ્ય ને પવિત્ર લાગે છે, પણ ઇસ્લામને બીજાં ધર્મ સ્થાનો માફક આવતાં નથી. એ જ કારણ છે કે મંદિરો મોગલો માટે તોડવાનો વિષય જ રહ્યાં છે. એ સિલસિલો હજી ચાલે છે. આજે રાતોરાત રસ્તાની વચ્ચે દરગાહ ઊભી થઈ જાય છે ને એમ જ દેરીઓ પણ ખડી થઈ જાય છે. આ ધર્મ પ્રીતિને કારણે થાય છે? ના, એવું જરા ય નથી. મૂળભૂત હેતુ તો અન્ય ધર્મીઓને બતાવી આપવાનો ને દબાણ ઊભું કરવાનો છે. એ હકીકત છે કે ભારતમાં જેટલાં મંદિરો તૂટ્યાં છે તેટલી મસ્જિદો તૂટી નથી. એ પરથી પણ અહીંની પ્રજાની સહિષ્ણુતા સમજાવી જોઈએ. છેલ્લા થોડા દિવસમાં જે થોડી ઘટનાઓ રામનવમીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં ને અન્ય રાજ્યોમાં બની એની શરૂઆત વિધર્મીઓએ કરી છે. દરેક વખતે પહેલો પથ્થર વિધર્મીએ માર્યો છે. કેમ આવું થાય છે? હુમલો વિધર્મી જ કેમ કરે છે? એ આકસ્મિક ન રહેતા, પૂર્વ આયોજિત જ કેમ છે? આ બધું અનેક રીતે ફેરવિચારણાને પાત્ર છે. કેમ બધાં પ્રયત્નો છતાં, મુસ્લિમો શત્રુવટ ભૂલી શકતા નથી? એમ કરવાથી હાથમાં શું આવે છે? જિંદગી વધારે સારી બની હોય એવું લાગે છે? એવું તો નથી લાગતું. મોટે ભાગના મુસ્લિમો સંઘર્ષ કરીને ટકવા મથે છે. એવું નથી કે બધા મુસ્લિમો શત્રુભાવ જ રાખે છે ને એવું પણ નથી કે બધા હિન્દુઓ મૈત્રીભાવ જ રાખે છે. સારું, જેમ બંને કોમમાં છે એમ જ નબળું પણ બંનેમાં જ છે. પણ એવું તો ક્યાં નથી ! બધે જ વત્તું ઓછું હશે, પણ કોણ જાણે કેમ, હિન્દુ-મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય ઘટતું નથી. આ કોઈ રીતે સુખદ નથી.

રાજસ્થાનના અલવરના રાજગઢના ત્રણસો વર્ષ જૂનાં ત્રણ મંદિર પર રોડ પહોળો કરવાને નામે બુલડોઝર ફેરવી દેવાયું. ત્રણસો વર્ષ સુધી મંદિરો નડતાં ન હતાં, તે એકાએક નડતાં કેમનાક થઈ ગયાં? રાજસ્થાનમાં કાઁગ્રેસની સરકાર છે ને તેણે મંદિર તોડાવ્યું હોવાનો તેનાં પર આરોપ છે, પણ કાઁગ્રેસ કહે છે કે આ નિર્ણય ભા.જ.પ.ની આગેવાની હેઠળની નગરપાલિકાનો છે. અલવરના એ.ડી.એમ.નું કહેવું છે કે નગરપાલિકા ગયા સપ્ટેમ્બરમાં આ નિર્ણય લાવી હતી ને તે પછીના એપ્રિલે લાગુ કરાયો હતો. આનો લાભ કાઁગ્રેસે બરાબર ઉઠાવ્યો છે. આ અગાઉ તેણે મંદિર બાંધવા અંગે ભાગ્યે જ ઉત્સાહ દાખવ્યો હશે, પણ અલવરને મામલે તેણે ઘોષણા કરી છે કે જ્યાં મંદિર તૂટ્યાં છે ત્યાં જ ફરી બનાવાશે, એટલું જ નહીં, નગરપાલિકાના ચેરમેન સહિત અન્ય જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. તો, ભા.જ.પ. પણ આ મામલે પાછળ નથી. આમ તો ભા.જ.પ.નો નિર્ણય હતો મંદિર તોડવાનો, કારણ નગરપાલિકામાં ભા.જ.પ.ની આગેવાની છે. આ નિર્ણયની જાણ લોકોને પણ કરવામાં આવી હતી, પણ લોકોએ ત્યારે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં અને હવે મંદિર તૂટવાને મામલે આંખો કાઢી રહ્યા છે. કાઁગ્રેસ લાભ ન ખાટે એટલે પ્રશાસને એવું ઠરાવ્યું છે કે જે મંદિરો તોડી પાડવામાં આવ્યા છે તે ફરી બાંધવામાં આવશે. જો એ નડતર રૂપ હતાં તો મંદિરો ફરી બંધાશે તો નહીં નડે, એમ? ને એવું લાગતું નથી કે ફરી બંધાશે તો તે નાની જગ્યામાં બંધાશે. ત્યારે જે દબાણ ઊભું થશે તેનો ઉકેલ કેવી રીતે આવશે તેની અટકળો જ કરવાની રહે છે. કે, દબાણ જે તે પક્ષની સરકાર પર આધાર રાખે છે? હવે વિધર્મીઓ જ મંદિર તોડે છે એવું નથી. હિન્દુઓ પણ એ મામલે સક્રિય છે, નહિતર ભા.જ.પ.ની સત્તા હોય ત્યાં મંદિર તૂટવાની ઘટના બને કઈ રીતે? એ પણ વિચારવા જેવું છે કે આ બધું એક સાથે જ કેમ શરૂ થયું? રામનવમી આવી ને રેલી નીકળી તો ખંભાત, હિંમતનગર કે અન્ય રાજ્યોમાં આક્રમણ શરૂ થયાં. તે ઓછું હોય તેમ એકાએક દબાણો દૂર કરવાનો ઉપક્રમ શરૂ થયો. બાકી, હતું તે વડોદરા, અલવર, દિલ્હી વગેરેમાં મંદિરો તૂટવાની ઘટનાઓ બની. જાણે કોઈ મોકાની રાહ જોતું હોય તેમ બધું બને છે. એકાએક આવેલા ઊભરાનું પરિણામ તો આ નથી લાગતું.

ધર્મને લગતી ઊથલપાથલમાં મહારાષ્ટ્ર પણ પાછળ નથી. રાજ ઠાકરેએ મસ્જિદો પર વાગતા માઇક ચાલુ રહેશે તો ત્રણ મેના રોજ મહાઆરતી થશે ને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે એવું અલ્ટિમેટમ આપી દીધું છે. આ જ હનુમાન ચાલીસાને નિમિત્તે મહારાષ્ટ્રમાં બીજો હોબાળો થયો છે. ‘માતોશ્રી’ જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું એલાન અપક્ષ સાંસદ નવનીત અને તેનાં પતિ રવિ રાણાએ આપ્યું તો બાંદ્રા કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા. ધર્મ, જાતિ કે ભાષાને આધારે બે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવા બાબતે કલમ 153a હેઠળ કેસ નોંધવામાં આવ્યો તો રાણા દંપતી તરફથી પણ શિવસૈનિકો સામે જાનથી મારી નાખવાની ધમકી અને ઘરમાં તોડફોડ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવસૈનિકો દ્વારા માતોશ્રી સુધી આ દંપતી ન પહોંચે ને હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકે એવું આયોજન કરવાનો આરોપ પણ રાણા દંપતીએ મૂક્યો છે. એ કમનસીબી છે કે હનુમાન ચાલીસાને નિમિત્તે આ રાજરમતો ચાલી છે ને રમતો કરનારા હિન્દુઓ છે. એ પણ કેવું છે કે એક જણ મસ્જિદના માઇક બંધ કરાવવા, હનુમાન ચાલીસાનો પાઠ કરી પોતાનો અવાજ બુલંદ કરવાનું અલ્ટિમેટમ આપે છે. એ પણ ગમ્મત જ છે કે એક દંપતી હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગે છે ને બીજો એ જ ધર્મનો, તેને રોકે છે ને બંનેને જેલ ભેગા કરે છે. આમાં ધર્મ ક્યાં ય છે? એક જ ધર્મના, એક જ હનુમાન ચાલીસા નિમિત્તે સામસામે આવી જાય છે. અહીં ધર્મને નામે રાજકારણ જ કેન્દ્રમાં છે. રાજ(અ)ધર્મ જ અહીં કામ કરે છે. હવે ધર્મ માટે કૈં થતું નથી, પણ ધર્મને નામે બધું જ થાય છે ને આ ધર્મ આચરનારા કોણ છે તે કહેવાની જરૂર નથી. એ ખરું કે ઇસ્લામ અન્ય ધર્મને નકારે છે, જ્યારે હિન્દુ, હિન્દુધર્મને કેટલો સ્વીકારે છે તેનો દાખલો મહારાષ્ટ્ર પૂરો પાડી રહ્યું છે. એક જ ધર્મના નેતાઓ, રાજરમત હાથવગી હોય ત્યારે પોતાનાં ધર્મને અવગણતાં અચકાતા ન હોય તો અન્ય ધર્મીઓ તેને શુદ્ધ રીતે ને રૂપે સ્વીકારે તેવું કેવી રીતે બને? હાલની સ્થિતિ એવી છે કે ધર્મ કોઈ પણ હોય, રાજકારણથી પર નથી.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઍપ્રિલ 2022

Loading

ગાંધીજીએ કેમ હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2022

ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ (૧૯૪૫-૧૯૬૭) રહેલા સુકર્ણોએ તેમની આત્મકથામાં, ભારતે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ન સ્વીકારી તેના પર વ્યંગ કરતાં લખ્યું હતું, “ઇન્ડોનેશિયામાં ૧૦,૦૦૦થી વધુ ટાપુ છે અને અમારા દરેક ટાપુ પરનો નાગરિક આજે ઇન્ડોનેશિયાની નવી ભાષા ‘બહાસા’ બોલે છે. જયારે ભારત આટલો વિશાળ દેશ હોવા છતાં આજ સુધી તેની રાજભાષા અપનાવી નથી શક્યો.”

ભારત એક બહુભાષી દેશ છે, એટલે ભાષાને લઈને વર્ષોથી વિવાદ ચાલે છે. ખાસ કરીને, દક્ષિણનાં રાજ્યોમાં એવી ભાવના ઘર કરી ગઈ છે કે કેન્દ્રમાં સરકારો હિન્દી ભાષી રાજ્યોના નેતાઓની હોય છે, અને રાષ્ટ્રીય ચર્ચાઓમાં હિન્દીનું પ્રભુત્વ વધારે છે એટલે તેમના પર હિન્દી ભાષાને થોપવાની કોશિશ ચાલતી રહે છે. તેવામાં ગૃહ મંત્રી અમિત શાહે તેમાં અંગ્રેજીનો એન્ગલ ઉમેરીને તાજેતરમાં કહ્યું છે કે દેશના અલગ-અલગ રાજ્યોના લોકોએ એકબીજા સાથે અંગ્રેજીને બદલે હિન્દીમાં વાત કરવી જોઈએ.

સંસદીય ભાષા સમિતિની ૩૭મી બેઠકમાં બોલતાં તેમણે કહ્યું હતું કે, “પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે કે સરકાર ચાલવાનું માધ્યમ રાજભાષા હોવી જોઈએ અને તેનાથી નિશ્ચિતપણે હિન્દીનું મહત્ત્વ વધશે. હવે સમય આવી ગયો છે કે રાજભાષાને આપણા દેશની એકતાનો અગત્યનો હિસ્સો બનાવવામાં આવે.”

સ્વાભાવિક રીતે જ, દક્ષિણના રાજ્યોમાં તેનો ઉગ્ર પડઘો  પડ્યો છે. ત્યાંના ઘણા નેતાઓ અને આગળ પડતા લોકોએ હિન્દીને થોપવાનો પ્રયાસ ગણીને તેનો વિરોધ કર્યો છે. ભારતના સંવિધાનમાં હિન્દીને (સરકારી કામકાજની) રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, સાથે સહાયક ભાષા તરીકે અંગ્રેજી છે. ભારતમાં ઘણાં રાજ્યોમાં હિન્દી નથી બોલાતી એટલે વિકલ્પમાં અંગ્રેજી ભાષાને પણ રાખવામાં આવી છે.

દક્ષિણનાં રાજ્યોમાંમાં પોતાની મજબૂત ભાષા-સંસ્કૃતિ છે. તમિલ ભાષાનો સમાવેશ દુનિયાની સૌથી જૂની ભાષાઓમાં થાય છે. સ્વતંત્રતા પહેલાં અને પછી પણ ભાષાને લઈને તમિલનાડુમાં હિંસક વિરોધ થઇ ચુક્યા છે. દક્ષિણનાં રાજ્યોની લાગણીઓને ધ્યાનમાં રાખીને જ હિન્દીને રાજભાષા તરીકે સીમિત રાખવામાં આવી હતી અને તેને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી ન હતી. મતલબ કે, દેશના લોકો પોતપોતાની ભાષામાં તેમનો સામાજિક-સાંસ્કૃતિક વ્યવહાર કરશે, જ્યારે તેમની સરકારો હિન્દી અથવા અંગ્રેજીનો ઉપયોગ કરશે.

એ અર્થમાં, ભાષાની દૃષ્ટિએ ભારત દુનિયાનો સૌથી ઉદાર દેશ છે. તેની ૨૨ અધિકૃત ભાષા છે (ઇન્ડોનેશિયાની, દાખલા તરીકે, એક જ અધિકૃત ભાષા છે) અને જેટલા દેવ તેટલી માતૃભાષા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર, દેશમાં ૧૯,૫૦૦ લોકબોલી પ્રચલિત છે. હિન્દી સૌથી વધુ (૪૪%) બોલાતી ભાષા હોવા છતાં, રાષ્ટ્ર નિર્માતાઓને ભારતની રાષ્ટ્રભાષાને લઈને આઝાદી પહેલાંથી ઘણા પ્રશ્નો હતા.

આજે કદાચ ભાષાનો વિવાદ પ્રાદેશિક અભિમાનનો લાગે, પરંતુ આઝાદી પહેલાં ભારત જે રીતે અલગ-અલગ રજવાડાઓઓ અને પ્રાંતોમાં વહેંચાયેલું હતું, ત્યારે સૌથી મોટો પડકાર દેશની એકતા ઊભી કરવાનો હતો. ભાષાના નામ પર વિભાજન થઇ જાય એ કલ્પના નહીં, અસલી ડર હતો. જેમ કે બંગાળનું પહેલું વિભાજન ભાષાના આધારે થયું હતું. તમિલ લોકો ભાષાના આધારે જ સ્વતંત્રત રાજ્યની માંગણી કરી ચુક્યા હતા. એમાં, ઉર્દૂને લઈને પાછી એક જુદી જ હિંસક બહસ ચાલતી હતી.

એટલે, સ્વતંત્રતા ચળવળમાં રાજ્યોને સાથે રાખવા માટે કાઁગ્રેસે ખાતરી આપી હતી કે આઝાદી પછી પ્રાદેશિક ભાષાઓના આધારે રાજ્યોનું વિભાજન થશે. તેના માટે ૧૯૫૩માં સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશનની નિમણુક કરવામાં આવી હતી. જ્યારે હિન્દીને અંગ્રેજીના સખીપણામાં રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો, ત્યારે દક્ષિણનાં ભાષાઈ રાજ્યોને વિશ્વાસઘાત જેવો ભાવ થયો હતો અને ત્યારથી ત્યાં એવી ભાવના પ્રબળ બનતી રહી છે કે અમારી ઉપર હિન્દીને થોપવાનું એક લાંબાગાળાનું “કાવતરું” ઘડાયેલું છે.

મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ બંને એક જ રાષ્ટ્રભાષાના સમર્થક હતા, પરંતુ એ એક ભાષા હિન્દી હોવી જોઈએ કે નહીં તેને લઈને વિવાદ-વિરોધ હતો. ગાંધીજીએ છેક ૧૯૨૫માં “યંગ ઇન્ડિયા”માં લખ્યું હતું, “આપણને એક સમાન ભાષાની પણ જરૂર છે, પરંતુ દેશી ભાષાઓને કચડીને નહીં, તેમાં ઉમેરા તરીકે. સામાન્ય રીતે એવી સંમતિ છે કે એ માધ્યમ હિન્દી અને ઉર્દૂ મિશ્રિત હિન્દુસ્તાની હોવું જોઈએ – શુદ્ધરૂપે સંસ્કૃત પણ નહીં અને પર્સિયન કે અરબી પણ નહીં.”

ભાષાનો ઝઘડો સમાપ્ત કરવા માટે શરૂઆતમાં હિન્દુસ્તાની ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કરવા પર વિચાર થયો હતો. નહેરુએ તેને “સોનેરી માર્ગ’ (ગોલ્ડન મીન) કહી હતી. હિન્દી અને ઉર્દૂ બંનેના વિરોધી લોકોએ હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી. ગાંધીજીએ હિન્દુસ્તાનીને “ફ્યુઝન ભાષા” તરીકે પેશ કરી હતી, જે હિન્દી અને ઉર્દૂ (ફારસી) બંને લિપિમાં લખી શકાય.

નથુરામ ગોડસેએ ગાંધીની જે કારણોસર હત્યા કરી હતી તેમાંનું એક કારણ આ ભાષા પણ હતી. ગાંધીહત્યાનો કેસ ચલાવનાર જસ્ટિસ આત્મચરણની વિશેષ અદાલતને 8 નવેમ્બર, 1948ના રોજ આપેલા બચાવ બયાનમાં ગોડસેએ કહ્યું હતું, “ઉર્દૂ પર કોઇ પણ દેશભક્તે પ્રતિબંધ નથી મૂક્યો પરંતુ ઉર્દૂને હિન્દુસ્તાનીના નામથી થોપવા પાછળ એક ષડ્યંત્ર અને અપરાધ છે.”

હિન્દુસ્તાની ભાષાનો ઇતિહાસ બહુ જૂનો છે. હિન્દીનું પહેલું વ્યાકરણ હોલેન્ડના નિવાસી જોન જોશુઆ કેટલર નામના વેપારીએ લખ્યું હતું. એ પહેલાં સુરત આવ્યો હતો અને પછી દિલ્હી, આગ્રા, લાહોર ગયો હતો. ઓરંગઝેબના શાસનમાં એટલે કે ૧૬૯૮માં તેણે ડચ ભાષામાં હિન્દી પર પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું “હિન્દુસ્તાની ગ્રામર.” ૧૯૨૮માં, “હિન્દુસ્તાની કા સબસે પ્રાચીન વ્યાકરણ” શીર્ષકથી તેનો હિન્દી અનુવાદ થયો હતો. એ પછી દોઢસો વર્ષ સુધી હિન્દી-વ્યાકરણના નામે જે પુસ્તકો ઉપલબ્ધ હતાં તે સૌ હિન્દુસ્તાનીનાં છે.

રાષ્ટ્રભાષાને લઈને જ્યારે વિવાદ ચરમસીમા પર હતો અને ગાંધીજીની હિન્દુસ્તાનીની તરફદારી પણ લોકોને મંજૂર નહોતી ત્યારે, ભાષાના રાજકારણને સમજાવતાં કાકા સાહેબ કાલેલકરે લખ્યું હતું, “હિન્દીનો પ્રચાર કરીને આપણે એટલું તો જોઈ શક્યા છીએ કે, હિન્દી સાહિત્ય સંમેલનને ઉર્દૂ સાથે લડીને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવી છે અને ગાંધીજીને તો ઉર્દૂ સાથે જરૂરી સમાધાન કરીને હિંદુ-મુસ્લિમોની સંયુક્ત શક્તિ મારફતે અંગ્રેજીને હટાવીને તેના સ્થાને હિન્દીને બેસાડવી હતી. આ બે દૃષ્ટિકોણ વચ્ચે જે ખેંચતાણ થઇ, એ જ ગાંધીયુગના રાષ્ટ્રભાષા પ્રચારના ઇતિહાસનો સાર છે.”

પ્રગટ : ‘બ્રેકિગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

અરુણ શૌરીએ સંઘને સમજવામાં ભૂલ કરી કે આળસ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 April 2022

જે એક સમયે ભારતીય જનતા પક્ષના સભ્ય હતા, પક્ષના રાજ્યસભાના સભ્ય હતા અને અટલ બિહારી વાજપેયીના સમયમાં કેન્દ્રીય પ્રધાન હતા, એ અરુણ શૌરી છેલ્લા ઘણા સમયથી કહે છે કે તેમણે નરેન્દ્ર મોદીને પારખવામાં અને નરેન્દ્ર મોદીને ટેકો આપવામાં ભૂલ કરી હતી. અત્યારે તેમનું ‘ધ કમિશનર ઓફ ધ લોસ્ટ કોઝીઝ’ નામનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેમાં તેમણે તેઓ પત્રકાર હતા એ દિવસોનાં સંસ્મરણો લખ્યાં છે. તેમણે પત્રકાર તરીકે દેશના એ સમયના શાસકોને, દેશના એકંદર રાજકારણને અને પત્રકારત્વને હચમચાવી મુક્યાં હતાં. અહીં આજે જે ચર્ચા કરવી છે તે તેમના પુસ્તક વિષે અને પુસ્તકના વિષય પત્રકારત્વ વિષે નથી કરવી એટલે એ વાત અહીં પડતી મુકીએ. માત્ર એટલું જ કહેવાનું કે જો એ પુસ્તક વાંચશો તો આઝાદી પછીના અધ:પતનને સમજવામાં ઉપયોગી નીવડશે.

પુસ્તકનાં પ્રકાશન નિમિત્તે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજીટલ મીડિયામાં અરુણ શૌરીની મુલાકાતો લેવામાં આવી રહી છે. પુસ્તકનો વિષય રોચક છે એટલે મીડિયાને શૌરી સાથે વાત કરવામાં રસ હોય એ સ્વાભાવિક છે. એમાંની એક ‘ધ પ્રિન્ટ’ના સ્થાપક-સંપાદક શેખર ગુપ્તાને આપેલી મુલાકાતમાં અરુણ શૌરીએ કદાચ પહેલીવાર કહ્યું છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ઓળખવામાં ભૂલ કરી હતી. નરેન્દ્ર મોદીને ઓળખવામાં ભૂલ કરી છે એવું તો તેમણે અનેકવાર કહ્યું છે, સંઘને ઓળખવામાં ભૂલ કરી છે એ મારી જાણકારી મુજબ તેમણે આ પહેલીવાર કબૂલ કર્યું છે. તેમણે કહ્યું હતું કે “આપણે બધાએ, આપણી આગલી બે પેઢીએ”, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની તસ્દી લીધી નહોતી. તેમનું સાહિત્ય આપણે વાંચવાની જરૂર લાગી નહોતી. આપણે તેમની સાદગી, શિસ્ત, દેશપ્રેમ વગેરે બાહ્ય કલેવરને સાચું માનીને બી.જે.પી.ને બીજા કોઈ એક રાજકીય પક્ષ જેવા જ રાજકીય પક્ષ તરીકે જોતા હતા. શૌરીના કહેવા મુજબ આ બધાં ધારણ કરવામાં આવેલાં મોહરાં છે, બાકી તેમનો હિન્દુત્વનો એજન્ડા તો ૧૯૪૦માં નક્કી થઈ ગયો હતો અને તેને તેઓ વળગી રહેલા છે.

તેમણે તેમનાં પુસ્તકમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કા સાથેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક દિવસ એ સમયના સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના ભાઈ ભાઉરાવ દેવરસે અરુણ શૌરીને દિલ્હીમાં સંઘના વડામથકમાં મળવા બોલાવ્યા. શૌરી તેમની સાદગી જોઇને પ્રભાવિત થઈ ગયા. ઓફિસમાં આવીને તેમણે રામનાથ ગોએન્કા સમક્ષ દેવરસની સાદગીના વખાણ કર્યા ત્યારે ગોએન્કાએ કહ્યું હતું; “છોડ સાદગી. યહ સબ નહીં મિલી કે સાધુ હૈ. (છોકરી નથી મળી એટલે સાધુ) એક બાર ઉનકે હાથ મેં સત્તા આને દે ફિર દેખના યે લોગ ક્યા નહીં કરેંગે.”

ખેર, સંઘપરિવારને, તેના એજન્ડાને અને બી.જે.પી.ને ઓળખવામાં ભૂલ કરી એનું એક કારણ અરુણ શૌરીએ બૌદ્ધિક આળસ અથવા દક્ષતાનો અભાવ આપ્યું છે. બીજું કારણ તેમણે એવું આપ્યું છે કે પરિસ્થિતિ જ્યારે નિરાશાજનક હોય ત્યારે કોઈ પણ માણસ કે પક્ષ આપણને તારણહાર લાગતો હોય તો આપણે તેની આંગળી પકડી લેતા હોઈએ છીએ.

મારી અહીં કહેવું જોઈએ કે અરુણ શૌરી ખોટું બોલે છે. તેઓ જ્યારે પ્રામાણિક કબૂલાત કરી જ રહ્યા છે તો પછી એનાં સાચાં કારણ પણ પ્રામાણિકપણે જણાવી દેવાં જોઈએ. અને આવું માત્ર તેમની સાથે નથી બન્યું, બીજા અનેક લોકો સાથે બન્યું છે જેની તેઓ ખાનગીમાં કબૂલાત કરે છે. મને તો ખાતરી છે કે જો આપણી આગલી બે પેઢીના (અલબત્ત બીજી અનેક રીતે ગાંધીવાદી-કાઁગ્રેસી) નેતાઓ આજે હયાત હોત તો તેઓ પણ અરુણ શૌરીની માફક કબૂલ કરત કે સંઘને પારખવામાં તેમણે ભૂલ કરી હતી. શા માટે આ બધા લોકોએ ભૂલ કરી હતી? આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં તરતનાં વરસોમાં તો નૈતિક અધ:પતનની કોઈ વાત નહોતી કે  કાઁગ્રેસનો વિકલ્પ શોધવાની કોઈ જરૂર પડે!

તો પછી શા માટે અરુણ શૌરીઓએ (તેમની પહેલાના અને તેમના સમકાલીન અનેક અરુણ શૌરી જેવાઓ) સંઘને પારખવાની તસ્દી ન લીધી? શા માટે પારખવાની દક્ષતા દાખવ્યા વિના સંઘને ટેકો આપ્યો હતો? આમાં અરુણ શૌરી તો મહેનત કરીને મૂળ સુધી જવામાં જરા ય આળસ નથી દાખવતા એ આપણે બધા જાણીએ છીએ. સિવાય સંઘને મદદ કરનારા કે સંઘ માટે સહાનુભૂતિ દાખવનારા બીજા અનેક નેતાઓ વિષે આપણે કહી શકીએ કે તેઓ બૌદ્ધિક આળસ નહોતા ધરાવતા.

તો પછી સંઘને મદદ કરવા પાછળનાં અને તેના માટે સહાનુભૂતિ ધરાવવા પાછળનાં સાચાં કારણ શા છે જે અરુણ શૌરી કહેતા નથી?

બે કારણ હતાં. એક કારણ હતું મુસલમાનો અને ખ્રિસ્તી મિશનરીઓ સામેનો દ્વેષ. એમાં ઇસ્લામ અને ઈસાઈ ધર્મના સંગઠિત સ્વરૂપ અને તેની સામે હિંદુ ધર્મનું શ્રદ્ધાઓના કુળ જેવા સ્વરૂપનો સમાવેશ થાય છે. સંઘને મદદ કરનારાઓને અથવા તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓને એમ લાગતું હતું કે સંઘ ઝનૂની મુસલમાનોને અને ધર્માન્તરણ કરાવનારા ઈસાઈ મિશનરીઓને કાબૂમાં રાખવામાં મદદરૂપ થઈ શકે એમ છે. બીજું કારણ હતું, સામ્યવાદ. જમણેરી મૂડીવાદીઓને સામ્યવાદનો ભય તો હતો જ પણ અણગમો વધુ હતો. ખાસ કરીને વીતેલા વરસોનાં જમણેરી નેતાઓને લાગતું હતું કે આખરી લડાઈ સામ્યવાદ સાથે થવાની છે જેમાં સંઘનો ખપ છે. સંઘના વૈચારિક ગુરુ ગણાતા ગુરુ ગોલવલકરે પણ તેમના સંઘના ગીતાસમાન પુસ્તક ‘ધ બન્ચ ઓફ થોટ’માં લખ્યું છે કે ભારતમાં આખરી લડાઈ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે થવાની છે અને સંઘ દેશને સામ્યવાદથી બચાવવાનો છે.

તેમણે એમ ગૃહિત માની લીધું હતું કે હિંદુ ધર્મનું અને હિંદુ સમાજનું સ્વરૂપ જોતાં હિંદુ સમાજમાં મોટી સંખ્યામાં કટ્ટર હિંદુ ઘડવો એ શક્ય જ નથી. આ સિવાય હિંદુઓ જ્ઞાતિઓ દ્વારા વિભાજીત છે. ઊલટું તેમને તો એમ લાગતું હતું કે સંઘ હિંદુઓમાં એકતા માટેની સંગઠનભાવના પેદા કરવાનું કામ કરી રહ્યો છે જે એક રીતે સારું છે. હિંદુઓમાં સંગઠનભાવના પેદા થાય તો એમાં ખોટું શું છે? વળી તેમને એમ પણ લાગતું હતું કે ભારતનું બંધારણ કોઈને પણ લક્ષ્મણરેખા ઓળંગવા નહીં દે, એટલે હિન્દુત્વના રાજકારણને પરિણામે બંધારણીય ભારત જોખમમાં નહીં આવે. તેમને કાયદો હાથમાં લે એવો કટ્ટર હિંદુ નહોતો જોઈતો, પણ હિંદુ હોવાની સભાનતા અને ગૌરવ અનુભવનારો હિંદુ જોઈતો હતો. સંઘનો એ રીતનો ખપ તેમને દેખાતો હતો અને માટે તેઓ સંઘપરિવારને મદદ કરતા હતા અને સહાનુભૂતિ ધરાવતા હતા.

ભારતનું વિભાજન થયું ત્યારે અને એ પહેલાનું મુસ્લિમ રાજકારણ જોઇને એ સમયના અનેક કાઁગ્રેસી નેતાઓને એમ લાગ્યું હતું કે હિંદુઓમાં પણ એકતાની ભાવના પેદા કરનારું, હિંદુઓને સંગઠિત કરનારું, થોડુક લોંઠકાપણાનું પ્રદર્શન કરનારું, “બીજા”ઓને સખણા રાખવામાં ઉપયોગી થનારું એક હિંદુ પરિબળ જરૂરી છે અને એ સંઘ કરી શકે એમ છે. આ સિવાય સામ્યવાદને ખાળવામાં પણ ઉપયોગી થઈ શકે એમ છે. માટે ગાંધીજીની હત્યા પછી સંઘ પરનો પ્રતિબંધ પાછો ખેંચવામાં કાઁગ્રેસી નેતાઓએ મદદ કરી હતી. કાઁગ્રેસની અંદર જે કેટલાક હળવા હિંદુવાદી (સોફ્ટ હિંદુત્વવાદી) નેતાઓ હતા એ પોતાને ગાંધીવાદી કહેવડાવતા હોવા છતાં સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.  

આનું કારણ અરુણ શૌરી કહે છે એમ બૌદ્ધિક પ્રમાદ નહોતો પણ સંઘનો ખાસ પ્રકારનો વાંકી આંગળીએ ઘી કાઢવાનો ખપ હતો અને હિંદુ સમાજમાં કટ્ટર હિંદુ ક્યારે ય પેદા થઈ જ ન શકે અને છેવટે બંધારણ રખેવાળી કરશે એવાં ગૃહિત હતાં. અરુણ શૌરી જાહેરમાં આની કબૂલાત કરવા જેટલી હિંમત અને પ્રામાણિકતા ધરાવતા નથી. બીજા અનેક દિવંગત કે હયાત શૌરીઓ આ જ ગણતરીએ છેતરાયા હતા. અરુણ શૌરીએ ૨૮ પુસ્તકો લખ્યાં છે જેમાંથી તેઓ જ્યારે બી.જે.પી. સાથે હતા એ સમયનાં પુસ્તકો ઉપર નજર કરો. ‘રિલીજિયન ઇન પોલિટિક્સ’, ‘ધ ઓન્લી ફાધરલેન્ડ’, ‘અ સેક્યુલર એજન્ડા’, ઇન્ડિયન કોન્ટ્રોવર્સીઝ : એસેઝ ઓન રિલીજિયન ઇન પોલિટીક્સ’, ‘મિશનરિઝ ઇન ઇન્ડિયા’, ‘વર્લ્ડ ઓફ ફતવાઝ : શરિયા ઇન એક્શન’, એમીનન્ટ હિસ્ટોરિયન્સ’. ‘હાર્વેસ્ટિંગ અવર સોલ્સ : મિશનરીઝ ધેર ડિઝાઇન, ધેર ક્લેઇમ્સ’. આ પુસ્તકો ઇસ્લામ વિરોધી છે, ખ્રિસ્તી વિરોધી છે, સેકયુલરિઝમ વિરોધી છે, સામ્યવાદીઓ વિરોધી છે અને હિન્દુત્વવાદીઓ માટે છુપી કે પ્રગટ સહાનુભૂતિ ધરાવે છે. કારણ? કારણ આગળ કહ્યું એ જ. આ બધાઓને સખણા રાખવા માટે વાંકી આંગળીએ ઘી કાઢનાર હિંદુ સંગઠનની જરૂર છે. સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, એન.વી. ગાડગીળ અને બીજા અનેક કાઁગ્રેસીઓમાંથી કેટલાકે અરુણ શૌરીની માફક “બીજા”ઓ વિષે કવચિત થોડું લખ્યું છે, પણ તેમના રાજકારણ ઉપર નજર કરશો તો એમાં “બીજાઓ” સામે સંઘનો ખપ નજરે પડશે.

ઘણા લોકો અસ્મિતાજન્ય પોતાપણાની સભાનતા અને એકતાની ઘેલછા ધરાવે છે. એક પ્રકારનો રોમાંચ અનુભવે છે. એમાં જો પ્રસંગોપાત થોડું લોંઠકાપણું ઉમેરાય તો તેનું રાજકીય પ્રદર્શનમૂલ્ય હોય છે. “બીજા”થી બચવા માટે “બીજા’ને નુકસાન પહોંચાડવા માટે નહીં એવો પાછો ઉમદા હેતુ પણ જોવા મળશે. વિનોબા ભાવે દ્વારા દીક્ષિત સર્વોદય આંદોલનમાં પણ આવા કેટલાક લોકો મળી આવે છે.

અહીં સવાલ થવો જોઈએ કે તેઓ જ્યારે આર.એસ.એસ. માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા તો પછી સંઘને જે માણસ ગમતો નથી એ ગાંધીની આંગળી તેમણે શા માટે પકડી હતી? જે પક્ષ સંઘની વિચારધારા સ્વીકારતો નથી એ કાઁગ્રેસ પક્ષમાં તેઓ શા માટે જોડાયા હતા? સંઘને ભારતની જે કલ્પના સ્વીકાર્ય નથી એવા ભારતની કલ્પનાને શબ્દબદ્ધ કરનારું બંધારણ તેમણે શા માટે ઘડ્યું? બંધારણસભામાં આવા લોકો મોટી સંખ્યામાં હતા અને બંધારણ ઘડવામાં તેમનો સિંહફાળો હતો. કાયદાનું રાજ અને જવાબદાર રાજ્યતંત્રના તેઓ શા માટે મોટા પુરસ્કર્તા હતા અને છે? તેમણે ઉઘાડેછોગ સંઘનો એજન્ડા કેમ નહીં અપનાવ્યો? આજે અરુણ શૌરી જેવાઓ સંઘપરિવાર દ્વારા મર્યાદા ઓળંગાતી જોઇને શા માટે ડરી ગયા છે? શા માટે તેઓ બંધારણીય ભારતના ભવિષ્ય વિષે ચિંતિત છે? બીજે છેડે રહીને તેઓ સંઘ માટે સહાનુભૂતિ શા માટે ધરાવતા હતા અને મદદ કરતા હતા એનાં કારણો તો આપણે તપાસ્યા, પણ તેઓ હંમેશાં બીજે છેડે જ શા માટે રહ્યા? સંઘ માટે સહાનુભૂતિ હોવા છતાં શા માટે તેઓ આ બાજુ સંઘને છેડે ઊભા ન રહ્યા?

ના, સત્તાની લાલચ આનું કારણ નહોતું. આવું જો તમે વિચારતા હો તો એ ભૂલ છે. આવતા એક સપ્તાહ દરમ્યાન બીજાં કારણો વિચારો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઍપ્રિલ 2022

Loading

...102030...1,5161,5171,5181,519...1,5301,5401,550...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved