Opinion Magazine
Number of visits: 9459289
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં બેકારી

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 February 2022

ભારતમાં અત્યારે અર્થતંત્રમાં તેજીનો પુનઃસંચાર થઈ રહ્યો છે એવી વાતો, ખાસ કરીને શાસકો દ્વારા કરવામાં આવે છે. પણ ૨૦૨૧ના ડિસેમ્બરમાં બેકારી વધીને ૭.૯૧% થઈ હતી જે ૨૦૧૮-૧૯માં ૬.૩% હતી અને ૨૦૧૭-૧૮માં ૪.૭% હતી. શહેરી વિસ્તારોમાં ૨૦૨૧માં બેકારીનું પ્રમાણ ૯.૩૦% હતું અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનું પ્રમાણ ૭.૨૮% હતુ. ૨૦૧૯-૨૦ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ઉદ્યોગોમાંથી ૯૮ લાખ નોકરીઓ ઓછી થઈ અને ખેતીના ક્ષેત્રે ૭૪ લાખનો વધારો થયો. આ ઘટના અંગ્રેજોના શાસનમાં ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે ઘટેલી રોજગારી અને ખેતીના ક્ષેત્રે શ્રમિકોનો વધારો થયો તેની યાદ આપે છે.

નોકરીઓની ગુણવત્તા પણ કથળી છે. ઉજળિયાત નોકરીઓ જેમાં ચૂકવાતા વેતનને અંગ્રેજીમાં સેલેરી કહેવામાં આવે છે તેનું પ્રમાણ ઘટ્યું. ૨૦૧૯-૨૦માં એ પ્રમાણ ૨૧.૨% હતું જે ઘટીને ૨૦૨૧માં ૧૯% થયું. આનો અર્થ એવો થાય કે એટલા પ્રમાણમાં લોકો બેકાર થયા અથવા બિનસંગઠિત ક્ષેત્રમાં જોડાયા. જો કે, બિનસંગઠિત ક્ષેત્ર પોતે પણ સંકોચાયું છે. આ સમય દરમિયાન કુલ રોજગારી ૪૦.૮૯ કરોડ હતી. એ ઘટીને ૪૦.૦૬ કરોડ થઈ. દરમિયાન એક કરોડ યુવાનો રોજગારીની શોધમાં શ્રમના બજારમાં આવ્યા હતા.

વ્યાપક રીતે પ્રવર્તતી બેકારીનું એક પરિણામ એ આવ્યું છે કે ભારતમાં જેને અર્થશાસ્ત્રમાં શ્રમની સામેલગીરીનો દર કહેવામાં આવે છે તે ઘણો નીચે રહે છે. ૨૦૨૦માં તે ભારતમાં ૪૬% હતો એટલે કે કામ કરી શકે એ વયના ૪૬% લોકો રોજગારીમાં હતા કે બેકાર હતા. જે લોકો રોજગારીની શોધમાં હોય અને બેકાર હોય તેને પણ સામેલગીરીના દરમાં સમાવવામાં આવે છે. જે લોકો રોજગારીની શોધમાં ન હોય એને જ શ્રમના સામેલગીરીના દરમાં સમાવવામાં આવતાં નથી. ભારત જેવા વિકાસશીલ દેશમાં સામેલગીરીનો દર કેટલો હોય છે તેના કેટલાક આંકડા નોંધીએ. બ્રાઝિલમાં ૫૭%, ચિલીમાં ૫૭%, ચીનમાં ૬૭%, ઘાનામાં ૬૬% અને મલેશિયામાં ૬૪% હતો. આનો અર્થ એ થાય કે ભારતમાં આપણે શ્રમશક્તિનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરીએ છીએ. આપણી ગરીબીનું આ એક કારણ છે.

ભારતમાં રાજ્યો દીઠ બેકારીનો પ્રમાણમાં મોટો તફાવત છે. ૨૦૨૧ના ડિસેમ્બરમાં સૌથી વધારે બેકારી હરિયાણામાં હતી જે ૩૪% હતી. બીજા નંબરે રાજસ્થાન હતું જ્યાં ૨૭% લોકો બેકાર હતા. ત્રીજા નંબરે ઝારખંડ હતું જ્યાં ૧૭% લોકો બેકાર હતા. બિહારમાં બેકારીનું પ્રમાણ ૧૬% હતું.

એન.એસ.એસ.ઓ.ના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ભારતમાં ૪૫ વર્ષમાં સૌથી વધારે બેકારી હતી. ખાસ કરીને યુવાનોમાં બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ૨૦થી ૨૪ વર્ષની વયની વ્યક્તિઓમાં તે ૩૪% હતું. અને ૨૦થી ૨૯ વર્ષની વયની વ્યક્તિઓમાં બેકારીનું પ્રમાણ ૨૮% હતું. એનો અર્થ એવો થાય કે ૩ કરોડ યુવાનો બેકાર હતા એની સરખામણીમાં ૨૦૧૭માં ૧.૭૮ કરોડ લોકો બેકાર હતા. એ જુદી વાત છે કે કાંદાના ભાવની જેમ યુવાનોની બેકારી ચૂંટણીનો મુદ્દો બનતો નથી. પણ શાસકોએ યુવાનોની બેકારીને દેશની એક નંબરની સમસ્યા ગણવી જોઈએ. દુર્ભાગ્યે જેનાથી રોજગારી વધે એ મૂડી રોકાણમાં ઘટતું જાય છે. ૨૦૧૧માં એ જી.ડી.પી.ના ૩૪.૩% હતું, ૨૦૨૦માં એ ઘટીને ૨૭% થયું છે.

સંગઠિત ક્ષેત્રમાં બેકાર થયેલા લોકો પાસે પ્રોવિડન્ટ ફંડ રૂપે સંચિત બચત હોય છે એનાથી એ કામ ચલાવે છે. પણ બિનસંગઠિત ક્ષેત્રમાં, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં આવી કોઈ સગવડ હોતી નથી. એ લોકો માટે આજે ‘મનરેગા’ સામાજિક સલામતીની યોજના બની છે. ૨૦૧૯માં ૮.૫૬ કરોડ મજૂરદિવસોની રોજગારી સર્જાઈ હતી જે વધીને એપ્રિલ-ઑક્ટોબર ૨૦૨૧ના ગાળામાં ૧૧ કરોડ હતી. આમ જેની વડા પ્રધાન મોદીએ એક વખત હાંસી ઉડાવી હતી એ યોજના જ આજે લોકો માટે રાહતરૂપ થઈ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 10 તેમ જ 12

Loading

બહુઆયામી પ્રયાસોથી આત્મહત્યાઓ અટકાવી શકાય છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 February 2022

લગભગ રોજેરોજ આપણને આત્મહત્યાના સમાચાર વાંચવા-જોવા મળે છે. જો ભોગ બનનાર કોઈ નજીકની વ્યક્તિ ન હોય તો આવા સમાચારોની ખાસ કશી અસર ન થતી હોય એમ પણ બનવાજોગ છે. આત્મહત્યાના બનાવોમાં મોખરાના વીસ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. વિશ્વ આખામાં વરસે દહાડે દસથી વીસ લાખ આત્મહત્યાના પ્રયાસોમાં આઠથી દસ લાખ લોકોનાં મોત થાય છે.

નેશનલ ક્રાઈમ રેકર્ડ્સ બ્યૂરોના ‘સ્યુસાઈડ્સ એન્ડ એક્સિડેન્ટલ ડેથ્સ ઈન ઇન્ડિયા’ રિપોર્ટ મુજબ ૨૦૨૦માં ભારતમાં ૧,૫૩,૦૫૨ લોકોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં દસ ટકા વધારે આત્મહત્યા થઈ છે. ૨૦૨૦ના કોરોના કાળમાં આત્મહત્યા કરીને જીવનનો અંત આણનારા લોકોમાં દાડિયા મજૂરો અને ગૃહિણીઓનું પ્રમાણ વધારે હતું. મહિલાઓની તુલનામાં પુરુષો વધુ આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરનારાનાઓમાં પુરુષો ૧,૦૮,૫૩૨ (૭૦.૯ ટકા) અને મહિલાઓ ૪૪,૪૯૮ (૨૯.૧ ટકા) હતા. ૬૬.૧ ટકા પરિણિત લોકોની આત્મહત્યા, આત્મહત્યા કરનારી મહિલાઓમાં ૫૦.૩ ટકા ગૃહિણીઓ અને આત્મહત્યા પાછળનું સૌથી મોટું (૩૩.૬ ટકા) કારણ કૌટુંબિક સમસ્યા હોવું – આત્મહત્યાની સમસ્યા આપણા કુટુંબ જીવનને કેટલી મોટી અસર કરે છે. તે દર્શાવે છે.

આમ તો તમામ વયજૂથના અને આવકના લોકો આત્મહત્યા કરતા હોય છે. પરંતુ ૨૦૨૦ના આંકડા દર્શાવે છે કે આત્મહત્યા કરનારા પૈકી ૯૬,૮૧૦(૬૩.૩ ટકા)ની વાર્ષિક આવક રૂપિયા એક લાખ રૂપિયાથી ઓછી અને ૪૯,૨૭૦(૩૨.૨ ટકા)ની આવક એકથી પાંચ લાખ હતી. એટલે ગરીબી  – બેકારી જેવી આર્થિક સમસ્યાને કારણે તેમણે જીવન ટૂંકાવ્યું હતું. કોરોના મહામારી અને તાળાબંધીએ અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોનું જીવવું દોહ્યલું કરી મૂક્યું હતું. રોજનું કમાઈને ખાનારા લોકો માટે જીવન ગુજારાનો કોઈ ઉપાય ન રહેતા ૩૭,૦૦૦ લોકોને ૨૦૨૦માં આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું હતું.

ખેડૂતોની આત્મહત્યા ઘણાં વરસોથી ચિંતા અને ચકચાર જગાવે છે. પરંતુ હવે ખેડૂતોના જેટલાં જ ખેતકામદારો પણ આત્મહત્યા કરે છે, તે સવિશેષ ચિંતાનો વિષય બનવો જોઈએ. ૨૦૨૦ના વરસમાં ખેતીક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૦,૬૭૭ લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં ૫,૫૭૯ ખેડૂતો અને ૫,૦૯૮ ખેત કામદારો હતા. ગુજરાતમાં ૫ ખેડૂતો અને ૧૨૬ ખેત કામદારોના આત્મહત્યાથી મોત થયાનું નોંધાયું છે. ખેતીમાં ઝાઝી બરકત ન રહેવી, પાક નિષ્ફળ જવો અને દેવું – ખેતી ક્ષેત્રની આત્મહત્યાનું કારણ છે.

દુનિયાના અન્ય દેશોમાં મોટી ઉમરના લોકો આત્મહત્યા કરતા નોંધાયા છે. પરંતુ ભારતમાં યુવાનો અને આધેડ વયના લોકો વધુ આત્મહત્યા કરે છે. ૧૮થી ૪૫ વરસના ૬૫.૮ ટકા લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં દસેક ટકા વિધ્યાર્થીઓ હતા. આત્મહત્યા કરનારાઓમાં માત્ર ૧૨.૬ ટકા જ અશિક્ષિત હતા. જ્યારે ૪ ટકા જ ઉચ્ચ શિક્ષણ મેળવેલા હતા. એટલે મોટો વર્ગ મધ્ય શિક્ષણ મેળવેલો હતો. અધૂરા કે રોજગારવિહીન શિક્ષણનાં કારણે જેમ આત્મહત્યાઓ થાય છે તેમ ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં સામાજિક ભેદભાવ અને જ્ઞાતિ ઉત્પીડન પણ યુવાનોની આત્મહત્યાનું કારણ બને છે. લોકસભાના છેલ્લા શીતકાલીન સત્રમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ. અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ૨૦૧૪થી ૨૧માં ૧૨૨ વિધ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી હતી. તેમાં ૪૧ અન્ય પછાત વર્ગના, ૨૪ દલિત અને  ૩-૩ આદિવાસી-લઘુમતી વર્ગના હતા.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા પોલીસ ચોપડે નોંધાયેલી આત્મહત્યાઓ જ દર્શાવે છે. ખરેખર તેના કરતાં વધુ મોત થાય છે. એન.સી.આર.બી. ૨૦૧૯માં ૧.૩૯ લાખ આત્મહત્યા થયાનું જણાવે છે પરંતુ વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ૧.૭૩ લાખ આત્મહત્યા થયાનું જણાવે છે. ૨૦૧૪થી ૨૦૧૮માં પંજાબમાં કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા ૧,૦૮૨ આત્મહત્યાના બનાવો રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યૂરોમાં નોંધાયેલા છે. પરંતુ પંજાબની ત્રણ યુનિવર્સિટીઓનો માત્ર છ જ જિલ્લાનો અભ્યાસ તેના કરતાં ચાર ગણી વધુ આત્મહત્યાઓ થઈ હોવાનું દર્શાવે છે.

ભારતમાં મહામારી જેવો આત્મહત્યાનો આ સવાલ કેટલો ભયાનક છે તેની વરવી હકીકતો આંખ ઉઘાડનારી નહીં ઊંઘ ઉડાડનારી છે : દુનિયામાં દર એક લાખની વસ્તીએ સરેરાશ નવ લોકો આત્મહત્યા કરે છે, પણ ભારતમાં અગિયાર લોકો આત્મહત્યા કરે છે. વળી એક લાખે કિસાન આત્મહત્યાની સરેરાશ ૧૫.૮ છે. કેરળના કોલ્લમમાં એક લાખે ૪૩.૧ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. દરરોજ ખેતી સાથે જોડાયેલા ૨૮ લોકો આત્મહત્યા કરે છે. ૧૫થી ૨૯ વરસના લોકોમાં દેશની કુલ આત્મહત્યાઓની સરેરાશથી ત્રણ ગણી વધુ આત્મહત્યા થાય છે. ૨૦૧૯માં ૫૩.૬ ટકા લોકોએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. દર ચાર મિનિટે આત્મહત્યાનો એક બનાવ બને છે. દક્ષિણ ભારતના સંપન્ન રાજ્યોની સરખામણીએ ઉત્તરના નિર્ધન રાજ્યોમાં આત્મહત્યા ઓછી છે. ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૦માં વ્યવસાયીઓની આત્મહત્યામાં પચાસ ટકાની વૃદ્ધિ થઈ છે. આત્મહત્યા કરનારા દુનિયાના ચોથા ભાગના પુરુષો અને ૧૫થી ૪૦ વરસની ઉંમરની દુનિયાભરની આત્મહત્યા કરનારી મહિલાઓમાં ૩૭ ટકા મહિલાઓ ભારતીય છે.

આત્મહત્યાનો પ્રયાસ ભારતમાં સામાજિક કલંક અને કાનૂની અપરાધ છે. આત્મહત્યાનો પ્રયાસ ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૯ હેઠળ ગુનો ગણાય છે. એટલે આત્મહત્યાનો પ્રયાસ ભારતમાં મોત નહીં તો જેલ અને દંડ તો આપે જ છે. એન.ડી.એ. સરકારે ૨૦૧૭માં માનસિક સ્વાસ્થ્ય અધિનિયમની ધારા-૧૧૫ હેઠળ માનસિક તાણને લીધે કરાયેલી આત્મહત્યાને અપરાધ ગણવામાંથી મુક્તિ આપી છે, પણ ઇન્ડિયન પિનલ કોડની ધારા ૩૦૯ તો ઊભી જ છે.

આત્મહત્યા માટે સામાજિક, આર્થિક અને માનસિક કારણો જવાબદાર છે. એટલે તેને અટકાવવા માટે પણ બહુઆયામી પ્રયાસોની જરૂર રહે છે. બીમારી અને પરીક્ષામાં નિષ્ફળતા જો આત્મહત્યાનું કારણ હોય તો સૌને પરવડે તેવાં અને છતાં ગુણવત્તાયુક્ત દવાખાના અને શિક્ષણ સંસ્થાઓ તેનો ઉકેલ છે. મહિલાઓને ઘરકંકાસ અને ઘરેલું હિંસાના કારણે મરવું ન પડે તેવું સામાજિક વાતાવરણ અને સ્થિતિ ઊભી કરવી પડશે. ખેડૂતોને ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તથા દેવામુક્ત થાય તેવા કૃષિ કાયદા ઘડવાની જરૂર છે. આત્મહત્યા માટે હાથવગા સાધનો સીમિત અને પ્રતિબંધિત કરવા જોઈએ. ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવા વધુ કલ્યાણકારી કાર્યક્રમો અપનાવવા જોઈએ. જાગ્રતિ કાર્યક્રમો, સહાનુભૂતિ, હૂંફ, આપાતકાલીન હેલ્પલાઈન, માનસિક સ્વાસ્થ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દિશામાં વિચારવું પડશે.

‘મનખાવતાર મળ્યો છે તો તેને આનંદથી, દુ:ખો વચ્ચે પણ જીવવો જોઈએ’, ’દુ:ખોનો ઉકેલ મોત નથી પણ સંઘર્ષપૂર્ણ જીવન છે’, ‘માનવમાત્રમાં જીવટ તો હોવી જ જોઈએ.’ આ અને આવી આધ્યાત્મિક ફિલસૂફીની નહીં, રોજિંદી જિંદગીની વાસ્તવિકતા ઉકેલી આપે તેવા પ્રયાસો જ આત્મહત્યાઓને રોકી શકશે. આત્મહત્યા એ ખરા અર્થમાં તો સરકાર અને સમાજવ્યવસ્થાની વિફળતાનું પરિણામ છે, તેનો સ્વીકાર કરીને તે દિશાના પ્રયાસો કરવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

પેટ નથી ભરાતું!

બ્રિજેશ પંચાલ|Poetry|1 February 2022

પુસ્તક વાંચીને –
             પેટ નથી ભરાતું!
કવિતા લખીને –
              પેટ નથી ભરાતું!
વાર્તા ઘડીને –
              પેટ નથી ભરાતું!
નાટકનું અભિન્ન અંગ બનીને –
              પેટ નથી ભરાતું!
પ્રેમ કરીને, મેળવીને –
              પેટ નથી ભરાતું!
કોઈના માટે રડીને, હસીને –
              પેટ નથી ભરાતું!
કોઈને યાદ કરીને –
              પેટ નથી ભરાતું!
કોઈને બહુ દિવસે મળીને –
              પેટ નથી ભરાતું!
મળીને છૂટા પડીને –
               પેટ નથી ભરાતું!
સાથે બેસીને –
                પેટ નથી ભરાતું!
એકલા ચાલીને –
                પેટ નથી ભરાતું!
ચાલ્યા પછી થોભીને –
                પેટ નથી ભરાતું!
થોભ્યા પછી કશું શોધીને –
                પેટ નથી ભરાતું!
તમે પેટ ભરાઈ ગયું, કોને કહો છો?
ખાવાથી ભરાય  કે પીવાથી ભરાય એને?
કે પછી …
બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને
તમારા ગળેથી કોળિયો
નીચે ના ઊતરે –
એને!

•

e.mail panchalbrijesh02@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 15

Loading

...102030...1,5141,5151,5161,517...1,5201,5301,540...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved