Opinion Magazine
Number of visits: 9672667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સપ્રેમ શુભાશિષ

કુસુમ શાહ|Opinion - Opinion|16 June 2022

સપ્રેમ શુભાશિષ – ચિ. કુસુમને કાકાસાહેબ કાલેલકરે લખેલા પત્રો : પ્રકાશક – ગાંધી હિન્દુસ્તાની સાહિત્યસભા, નવી દિલ્હી : પહેલી આવૃત્તિ – 2022, પેપરબેક : સાઈઝ – 8.5 x 5.5 : પૃ. 288 : મુખ્ય વિક્રેતા – નવજીવન ટૃસ્ટ : રૂ. ૪૦૦/-

કાકાસાહેબ મારા આધ્યાત્મિક, જ્ઞાની અને રાષ્ટ્રસેવામાં સમર્પિત ગુરુ હતા અને હંમેશાં રહેશે. કૉલેજજીવન પૂર્ણ કર્યા પછી હું ગુરુની શોધમાં હતી. મારી આંતરિક ઇચ્છા હતી કે ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું. આશ્રમજીવન જીવવું અને રાષ્ટ્રની સેવા તથા સાધના કરવી.

વિનોબા ભાવે, શિવાજી ભાવે, બાલકોબાજી ભાવે પાસે પણ ગઈ. તેમની સાથે થોડો સમય વિતાવ્યો. એટલું જ નહીં, પાઁડિચેરીના મહર્ષિ અરવિંદો આશ્રમનાં માતાજી વિશે મેં ઘણું સાંભળેલું હતું તેથી ત્યાં પણ ગઈ. પણ અંતે મુંબઈ પાછી આવી ગઈ.

મુંબઈ આવ્યા પછી સર્વોદય સંસ્થાના કાર્યકર્તા શ્યામસુંદર શુક્લે મને કહ્યું, “કાકાસાહેબને મદદ માટે એક સેવિકાની જરૂર છે.” થોડા દિવસ પછી શુક્લજીએ મને પત્ર દ્વારા જાણ કરી કે કાકાસાહેબ મુંબઈ આવે છે, તો તેમને મળવું. તેઓ મુંબઈ વ્યાખ્યાનો આપવા આવેલા. એટલે હું મલબાર હિલ પર મળવા ગઈ. ત્યાં તેમની સાથે કાકાસાહેબનાં ધર્મપુત્રી અને અંતેવાસી સરોજબહેન નાણાવટી પણ હતાં. કાકાસાહેબને જોતાં જ હું ભાવવિભોર થઈ ગઈ. જાણે મારા દિવાસ્વપ્નમાં યોગીએ દર્શન દીધાં એવી મને અનુભૂતિ થઈ. કાકાસાહેબે મને ગુજરાતી, મરાઠી, હિંદી અને અંગ્રેજીમાં લખાણ લખવા આપ્યું. મારી સાથે હળવી ચર્ચા કરી, પછી હું એમની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હતી.

કાકાસાહેબ જ્યારે જ્યારે મુંબઈ આવતા ત્યારે હું તેમને મળવા જતી. ત્યારે તેઓ મારી પાસે તેમનો પત્રવ્યવહાર કરાવતા, લેખ લખાવતા જે ગુજરાતી, હિંદી, મરાઠી ભાષામાં હોય. આમ છ મહિના સુધી ચાલ્યું ૧૯૬૫ના એપ્રિલ-ઑક્ટોબર સુધી. પરંતુ આ છ મહિના દરમિયાન કૉલેજનાં પ્રિન્સિપાલ  ધૈર્યબાળાબહેન વોરા જેઓ મારાં માર્ગદર્શક અને સ્નેહી હતાં તેમણે મને ગ્રંથાલયની તાલીમ આપી. અને પછી આ જ કૉલેજના ગ્રંથાલયમાં મેં કામગીરી કરી, ગ્રંથાલય અંગેની વધુ જાણકારી પ્રાપ્ત કરી. આ તાલીમથી મારામાં ગ્રંથાલય અંગેની સમજ ઊભી થઈ. આથી મેં વિચાર્યું કે હું કોઈ પણ સંસ્થામાં કે આશ્રમમાં જઈશ તો હું ત્યાંના ગ્રંથાલયનું કામ કરી શકીશ અને ત્યાંનું ગ્રંથાલય વ્યવસ્થિત કરીશ. છ માસ પછી મેં કાકાસાહેબના આશ્રમમાં જવાનો નિર્ણય કર્યો. આ અંગે મેં કાકાસાહેબની સંમતિ મેળવી લીધી. એ સમયે કાકાસાહેબે કહ્યું કે, “હું ૮૧ વર્ષનો ઘરડો થઈ ગયો છું. તને હું કેટલો સમય આપી શકીશ તે કહેવાય નહીં.” મેં કહ્યું, “મને આપ જે પણ આપશો એ મારા માટે મૂલ્યવાન હશે.” તે પછી કાકાસાહેબે મારા પિતાજીને મળવા માટે મલબાર હિલ બોલાવ્યા અને કહ્યું, “કુસુમ મારી સાથે રહેશે. મારા પ્રવાસનો એને લાભ મળશે. પ્રવાસ દ્વારા એને સારી કેળવણી મળશે. અમારું જીવન આશ્રમીય અને સ્વૈચ્છિક ગરીબાઈનું છે.”

હું ૨૧ ઑક્ટોબર ૧૯૬૫ના રોજ મુંબઈથી દિલ્લી કાકાસાહેબ સાથે ગઈ. સાથે સરોજબહેન નાણાવટી, ફિરોજાબહેન વકીલ પણ હતાં. કાકાસાહેબના સન્નિધિ આશ્રમમાં અમૃતલાલ નાણાવટી, હસમુખભાઈ વ્યાસ, રૈહાનાબહેન તૈયબજી અને ઉદયસિંહજી જેવા સંત સેવકોએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. અહીંયાં મારા જેવી નાની અજ્ઞાન, અણઘડ સેવિકા સાથે બધાં ખૂબ ઉષ્મા અને સ્નેહભર્યો વ્યવહાર કરતાં. સૂર્યસમાન તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર એવા કાકાસાહેબની ઉત્તરાવસ્થામાં મેં પ્રવેશ કર્યો. મને સારી રીતે ઘડવાની એમને ઉતાવળ હતી. પણ મારી ઝોળી નાની હતી.

કાકાસાહેબ પ્રારંભમાં મારી પાસે પત્રો અને લેખો લખાવતા. જ્યારે તેઓ પ્રવાસમાં હોય ત્યારે મારે તેમની ટપાલો પહોંચાડવાની, તેમના પત્રોનો સારાંશ લખી મોકલવાનો રહેતો. તેમની ગેરહાજરીમાં મેં ૩૦ હજાર પુસ્તકોનું વર્ગીકરણ કર્યું. જ્યારે તેઓ મહાનુભાવ સાથે ચર્ચા કરતા સમયે અથવા લખતી વખતે કોઈ પણ વિષયનાં પુસ્તકો માંગે એ હું ગ્રંથાલયમાંથી કાઢીને આપતી.

કાકાસાહેબના પ્રવાસ દરમિયાન તેમની પાસેથી તેમના જરૂરી કામ અંગેનું માર્ગદર્શન મેળવી લેતી. તે પછી હું તેમનાં કામ, સ્વભાવ, કામની પદ્ધતિ બધું જાણી લેતી. એમનાં જૂના પત્રો, ડાયરીઓ, લેખો વગેરેનું પણ હું વાચન કરી લેતી જેનાથી મને તેમના વિશાળ વ્યક્તિત્વનો અને તેમના વિશ્વકુટુંબનો પરિચય થતો.

કાકાસાહેબની સાથે જ્યારે પણ હું પ્રવાસ કરતી તે સમયે તેમનાં કેટલાંક પુસ્તકો, ફોટાઓ સાથે રાખતી. સભામાં તેમનું વક્તવ્ય પૂરું થયા પછી શ્રોતાઓ કાકાસાહેબનાં પુસ્તકો, ફોટાઓ ખરીદતાં. ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમના હસ્તાક્ષરવાળા ફોટાઓ ખરીદતા. ધીરે ધીરે તેમના ફોટાઓની માંગ વધવા લાગી. આથી મેં તેમના દીકરા સતીશભાઈ, બાળભાઈ પાસેથી વિવિધ ફોટાઓ મંગાવી, ફોટાઓનાં આલ્બમ તૈયાર કર્યાં. આલ્બમ તૈયાર થયાં પછી ફોટાઓનું પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન તૈયાર કરવામાં યશોધરાબહેન દ્વિવેદીએ ઘણી સહાય કરી. કાકાસાહેબના લેખો અને અન્ય સાહિત્યનું પણ સંપાદન કર્યું. કાકાસાહેબના સાન્નિધ્યથી, પ્રોત્સાહનથી મારામાં સેવા અને વિવિધ કાર્યો કરવાના ઉત્સાહમાં દિન-પ્રતિદિન સંવર્ધન થતું ગયું.

કાકાસાહેબ સાથે મેં ૧૬ વર્ષ સુધી અવિરત સેવાકાર્ય કર્યું. આ સમય દરમિયાન મને તેમણે ઘણા પત્રો લખ્યા. પત્રોમાં વિવિધ વિષયોનું વર્ણન છે. એમાં પ્રાકૃતિક વર્ણન, વિવિધ સ્થળોનું વર્ણન, એ સ્થળોની ભાષા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ ઇત્યાદિ વિગતોની પ્રચુર માહિતી આપવામાં આવેલ છે. એમના પત્રોના પ્રત્યુત્તર રૂપે હું પણ તેમને પત્ર લખતી. અમારા આ પત્રવ્યવહારથી મને તેમના કુળનો, પરિવારનો પરિચય થયો. ગુરુ-શિષ્યસંબંધો, સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધના સાંપ્રતકાળમાં ગાંધીજીનાં મહત્ત્વનાં કાર્યો અંગેનું જ્ઞાન પણ મેળવતી, તેમ જ મારાં કાર્યો અંગેનું માર્ગદર્શન પણ આ પત્રો દ્વારા મેળવતી. પ્રવાસથી પાછા આવ્યા પછી પણ કાકાસાહેબ સાથે એ વિષયો પરત્વે ચર્ચા થતી અને પછી આ વિષયોની વિગતે નોંધ લખવાની રહેતી. આ સઘળાં કાર્યોનું આયોજન મારે એકલે હાથે કરવાનું રહેતું. કાકાસાહેબના પત્રો મારા માટે જ્ઞાનની પ્રસાદીરૂપ જ છે. એટલે મેં આ પ્રસાદીને સૌ રસિક વાચકોને વહેંચવાના ઉપક્રમ રૂપે આ પુસ્તક પ્રકાશિત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

કાકાસાહેબે મને ઘણા પત્રો લખ્યા છે. મારા પર તેમનો પ્રથમ પત્ર ૧૮-૧-૧૯૬૬નો છે, જ્યારે અંતિમ પત્ર ૧૮-૬-૧૯૭૯નો છે. પ્રસ્તુત પુસ્તકમાં તેમના બધા પત્રોનો સમાવેશ કરી શકાયો નથી. કુલ ૧૧૧ પત્રો સમાવિષ્ટ છે. કાકાસાહેબના દેહાંતનાં ૪૦ વર્ષ પછી આ પુસ્તક તૈયાર કર્યું છે.

પુસ્તકમાં કાકાસાહેબના પત્ર સાથે સરોજમાસીનો પત્ર તો હોય જ. કાકાસાહેબના વિશાળ પરિવાર સાથે સરોજમાસી ભાવનાથી જોડાયેલાં હતાં. તેઓનું વાત્સલ્ય મને ખૂબ લાધ્યું છે. તેમની પ્રેમની સાધનાનો દરેકને અનુભવ થતો જ.

પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરવામાં, સ્વામી વિદિતાત્માનંદજી કે જેઓ કાકાસાહેબના સાહિત્યના અત્યંત ચાહક છે તેમનો મને ઘણો સાથ-સહકાર મળ્યો છે. તેમનો હું અત્રે ઋણસ્વીકાર કરું છું. આ પુસ્તક માટે આશીર્વચન લખી આપવા બદલ તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા સ્નેહીભાઈ સતીશ શાહ જેમણે પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવા અંગેની આર્થિક સહાય આપી, તેમનો પણ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નવજીવન પ્રકાશન મંદિરનો પણ સૌહાર્દપૂર્વક સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.

(‘સપ્રેમ શુભાશિષ’ પુસ્તકની પ્રસ્તાવના)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 14 તેમ જ 13  

Loading

મન્તવ્ય-જ્યોત—14

સુમન શાહ|Opinion - Opinion|16 June 2022

જ્યોત ૧૪ : પાત્ર નહીં, ચરિત્ર :

કાવ્ય, કથા કે નાટકમાં પાત્રો હોય છે.

પાત્ર લેખકે સરજેલું માનવી છે, એ શબ્દાવતારે હોય છે, તેમ છતાં, જીવતાજાગતા મનુષ્યની જેમ વિચારે છે, બોલે છે, વર્તે છે.

એટલે મને તો શકુન્તલા, ગોરા, અમૃતા, ઍના કૅરેનિના, રાસ્કોલનિકોવ, “ધી ઓલ્ડ મૅન એન્ડ ધ સી’-નો ઓલ્ડ મૅન સાન્તિયાગો, “આઉટસાઈડર”-નો મ્યરસૉં, “વેઇટિન્ગ ફૉર ગોદો”-ના વ્લાદિમીર-ઍસ્ટ્રેગોન અને પોત્ઝો-લકી તેમ જ “વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-નાં હોસે આર્કાદિયો બ્વેન્દિયા કે ઉર્સુલા મારી આસાપાસમાં હરતાંફરતાં લાગે છે – જાણે ઘરનાં સભ્યો કે સ્વજનો. ક્યારેક મ્યરસૉં સાથે મનોમન વાતો પણ થાય છે.

જો કે અંદરખાને લેખક એને પોતાના સર્જનનું પાત્ર એટલે કે ભાજન અથવા વાસણ સમજીને જ ચાલતો હોય છે. એમાં એ ભાવનાઓ વિચારો અને સર્જન પાછળના આશયને ભરતો-સંભરતો હોય છે.

આપણે સાંભળ્યું છે કે પાત્રમાં પ્રાણ ફુંકાવો જોઈએ. પણ વાસણ સમજો તો એમાં કેમ કરીને પ્રાણ પ્રગટે? આપણે સાંભળ્યું છે કે લેખકે પરચિત્તકાયાપ્રવેશ કરવો જોઇએ. પણ વાસણ ગણો તો એમાં કઈ રીતે પ્રવેશી શકાય? વિચારીએ.

આ મામલામાં લેખકની કસોટી થતી હોય છે : પાત્રનું માનવી રૂપે આલેખન કરવું કે હાથવગા વાસણ તરીકે? સામાન્ય લેખકો પાત્રને વાસણ કે કઠપૂતળી ગણીને વર્તે અને માની લે કે કસોટીમાંથી પોતે પાર ઊતરી ગયા. પરન્તુ સમર્થ લેખકો પાત્રનો મનુષ્યાવતાર સરજે છે, પાત્રો જીવન્ત લાગે છે.

જો કે એમ કરવા જતાં સમર્થોને એક ડાયલેમાનો – શૃંગાપત્તિનો – સામનો કરવો પડે છે : પાત્રોને જીવન્ત રાખવા જાય છે, તો સર્જનાત્મક આશયને અસર થાય છે. અને જો આશયને ચરિતાર્થ કરવા જાય છે, તો પાત્રોની જીવન્તતા જોખમાય છે.

પણ સમર્થો પાસે બે એવી ચીજો છે જેથી શૃંગાપત્તિનું નિવારણ આપોઆપ થઈ જાય છે :

પહેલી ચીજ એ કે સમર્થોની એક જુદા જ પ્રકારની સાહિત્યિક વ્યક્તિતા હોય છે. એમને પોતાની સર્ગશક્તિનો ગર્વ હોય છે. સ્વતન્ત્રે જીવતા હોય છે, સ્વાયત્ત હોય છે, આત્મશ્રદ્ધાળુ હોય છે. ઉપરાન્ત, તેઓ તત્સમ વૃતિને વરેલા નથી હોતા – સ્થિતસ્ય સમર્થનમ્ કદી ન કરે. જરૂર પડ્યે ધર્મ, સમાજ અને સંસ્કૃતિ સામે સર્જનાત્મક વિદ્રોહ કરતા હોય છે. પરિણામે, સંસારને તેની મૂળ ભાતમાં અને તેમાં જીવતા મનુષ્યને તેની અસલિયતમાં પામી શકે છે.

મૂળ ભાત અને અસલિયત સાથે સંકળાયેલી બીજી ચીજ એ કે મનુષ્યજીવનને તેઓ સપાટીથી તળ લગી પામવા મથતા હોય છે. દર્શાવે છે કે માણસનાં સપનાં તેની ચોપાસ વિસ્તરેલી સિસ્ટમ્સમાં કેવાં તો સપડાયાં હોય છે. ધાર્મિક, રાષ્ટ્રીય કે સામાજિક સંઘર્ષોના નિરૂપણમાં વ્યક્તિના પછડાટ કે આછેરા સુખની વાત કર્યા પછી, કે તેની સાથે, તેઓ પાત્રને એક વ્યક્તિ રૂપે સવિશેષે જુએ છે. વ્યક્તિના ભાવજગત અને જ્ઞાનજગત વચ્ચેના સંવાદ કે વિ-સંવાદને દર્શાવ્યા પછી છેલ્લે તેને એક અસ્તિત્વ રૂપે – ઍક્ઝિસ્ટન્સ રૂપે – પ્રમાણે છે. તેને તેના સત્ત્વની – ઇસૅન્સની – પ્રામાણિક શોધમાં જોતરે છે.

તાત્પર્ય, તેઓ પાત્રને નથી ભરતા, ચરિત્ર ગૂંથે છે. અંગ્રેજીમાં એક જ શબ્દ છે, ‘કૅરેક્ટર’ – ‘ચરિત્ર’. પાત્ર જીવતું-જાગતું મનુષ્ય એ કારણે અનુભવાય છે કે તે એક ચરિત્ર હોય છે. એટલે, પ્રાણ ફૂંકવા જવાની કે એના ચિત્તમાં કે કાયામાં પ્રવેશ કરવાની જરૂરત નથી રહેતી.

સર્જક વ્યક્તિ પોતાનું પાત્ર સ્વાયત્ત રહી શકે તે માટે એનાથી રીસ્પૅક્ટેબલ ડિસ્ટન્સ જાળવે છે; પોતાનો આશય ચરિત્ર પર થોપતો નથી; આશયને ચરિત્રમાં મૂકીને કળાએ કળાએ મૉડિફાય કરતો રહે છે. નહિતર એ “સરસ્વતીચન્દ્ર”-ના ત્રીજા-ચૉથા ભાગનો ચિન્તક બની જાય. ચરિત્ર પણ સ્વાયત્ત હોવાથી સર્જનાત્મક આશયને આત્મસાત્ કરી શકે છે, અને તેથી, પોતાના સત્ત્વને ડૅવલપ કરતો રહે છે. “સરસ્વતીચન્દ્ર”-ના પહેલા-બીજા ભાગનાં ચરિત્રો એ મુજબ જીવે છે.

સમર્થો જરૂર પડ્યે પેલું ડિસ્ટન્સ ઘટાડી શકે છે, વધારી શકે છે. કહેવું જોઈએ કે એ ડિસ્ટન્સ રીસ્પૅક્ટેબલ છે એટલું જ ઇલાસ્ટિક પણ છે.

યાદ રહે કે ચરિત્રોને ‘મુખ્ય’ / ‘ગૌણ’ ગણીએ છીએ એ કોટિકરણ ઉચ્ચાવચતાના ધોરણે થયું છે. એથી એમ સૂચવાય છે જાણે સર્જકે અમુક પાત્રો વિશે ગૌણ ભાવ કેળવેલો છે અને તેમનાં સર્જન અંગે ખાસ ધ્યાન નથી આપ્યું. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે. સમજી શકાય છે કે મોટાં અને વધારે કામ સૉંપાયાં હોય એટલે ચરિત્ર ‘મુખ્ય’, નાનાં અને ઓછાં સૉંપાયાં હોય એટલે ‘ગૌણ’.

પણ ચરિત્રો સર્જકનાં સન્તાન હોય છે. એને મન ચરિત્ર ચરિત્ર વચ્ચે કે તેમનાં કામો વચ્ચે મુખ્ય-ગૌણના ભેદ નથી હોતા. આખ્યાનકારે કૃષ્ણ અને સુદામાને સરજ્યા પછી સુદામાની પત્નીને પણ એટલી જ કાળજીથી સરજી હોય છે. અને એને જે કામ સૉંપ્યું હોય છે તેનું કળાપરક મૂલ્ય જરા પણ ઓછું નથી હોતું. મુનશીએ કાક કે મંજરીને તેમ જ તેમનાં કામોને જેટલું મહત્ત્વ આપ્યું હોય છે એટલું ઉદો મહેતાને કે રાણકને અને તેમનાં કામોને આપ્યું જ હોય છે.

હા, કોઇ કોઇ નવલકથાકારો પક્ષપાત કરીને નાયિકાને ‘અતિ મુખ્ય’ ચીતરતા હોય છે; એના લાલનપાલનમાંથી ઊંચા જ નથી આવતા; જાણે એ એમની પ્રિયતમા હોય … ભલે …

= = =

(June 16, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પિતૃત્વ દોષિત નથી, પણ માતૃત્વ દોષિત હોઈ શકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2022

સ્ત્રી-પુરુષના સંયોગથી બાળક જન્મે છે ને સ્ત્રી માતા બને છે ને પુરુષ પિતા બને છે. આમ તો આ સહજ ને સરળ લાગે છે, પણ દરેક કિસ્સામાં એવું નથી. ઘણીવાર બાળક જન્મવાનું સહેલું નથી પણ હોતું. કેટલાક કિસ્સાઓમાં પુરુષની ક્ષમતા પિતા બનવામાં ઓછી પડે છે અથવા તો સ્ત્રી માતા બનવામાં ઓછી પડે છે. ઘણીવાર બધાં પ્રયત્નો છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી તો તબીબી સલાહ લેવામાં આવે છે. એ સારવાર પછી કેટલાંક યુગલો બાળક મેળવવામાં સફળ થાય છે, તો તબીબી સારવાર પછી પણ એવું બને છે કે બાળક પ્રાપ્ત ન જ થાય. ટૂંકમાં, માતા બનવું દરેક વખતે સહેલું નથી. એટલે જ આપણે માતૃત્વને પવિત્ર વરદાન ગણ્યું છે. કેટલાંકને એમાં કૈં નવું લાગતું નથી. બચ્ચાં તો પશુપંખી પણ પેદાં કરે છે, એમાં પવિત્ર શું ને વરદાન શું? પણ બાળક ન થવાની ચિંતા મનુષ્યોની છે. પશુપંખીમાં બચ્ચું જન્મશે કે નહીં એવી ચિંતા હોય છે કે કેમ તેની આપણને ખબર નથી, પણ મનુષ્યને અભિવ્યક્તિની અનુકૂળતા કુદરતે આપેલી છે એટલે આનંદ કે ચિંતાની ખબર પણ તેને જ વધારે પડે છે.

જો કોઈ સંજોગોમાં ઉપચાર પછી પણ બાળક શક્ય નથી બનતું તો કેટલાંક યુગલો અનાથ બાળકને દત્તક લે છે ને એને પોતાનાં બાળકની જેમ જ મોટું કરે છે. ઘણાં યુગલોનો એવો આગ્રહ હોય છે કે બાળક પોતાનું જ હોય. પોતાનું જ બીજ વિકસે ને એને મોટું કરવાની ઈચ્છા પણ, પતિ-પત્નીની, બાળક માટેની ઝંખના વધારે એમ બને. એના એક ઉપાય તરીકે હવે સરોગસીનો આશરો પણ લેવાય છે. એમ લાગે કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે એમ જ નથી, તો ભાવિ માતા-પિતાનું બીજ, બીજી સ્ત્રીની કૂખમાં ઉછેરવામાં આવે છે. એ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને પૂરા સમયે બાળકને જન્મ આપે છે. એ પછી મૂળ માતાપિતાને તે બાળક પરત કરે છે. ખરેખર તો મા, કૂખ ભાડે આપનાર સ્ત્રી બને છે, પણ અગાઉથી ઠરાવ્યા મુજબ માબાપ બીજા જ બને છે. એ યુગલ બને છે જેનું બીજ આ ભાડૂતી કૂખે ઉછેર્યું છે. આ સ્ત્રી પણ માતા થઈ છે, ખરેખર તો તે જ થઈ છે, કારણ બાળકને જન્મ તો આ સ્ત્રીએ જ આપ્યો છે, પણ તે ભાડૂતી માતા પણ ગણાતી નથી. ઇન ફેક્ટ તે માતા જ ગણાતી નથી. માતાપિતા તો બીજા જ બને છે. બાળક પર કાનૂની અધિકારો પણ તેમના જ રહે છે. જન્મ આપનાર સ્ત્રી આ કામ આર્થિક વળતરની અપેક્ષાએ કરે છે. આમ તો હમણાં હમણાં આવી સ્ત્રીને રક્ષણ મળે એવા કાયદાઓ બન્યા છે, પણ માતૃત્વનો અધિકાર તેને નથી જ મળતો, કારણ કરાર જ એવો થયો હોય છે, પતિપત્ની અને કૂખ ભાડે આપનાર સ્ત્રી વચ્ચે. એટલે કોઈ વિશેષ અધિકાર એ ભાડૂતી સ્ત્રી આગળ કરી શકતી નથી. હા, આર્થિક વળતર આપવામાં મૂળ માબાપ ગલ્લાંતલ્લાં કરે તો તેની સામે ફરિયાદ થઈ શકે છે અથવા તો બાળક ખામીવાળું જન્મે તો પેલી ભાડૂતી સ્ત્રી દાદ માંગી શકે છે, પણ નાજુક મુદ્દો ક્યારેક સંવેદનાનો ઊઠે છે ને તેનું કોઈ વળતર તેને મળતું નથી. ખરેખર તો એ વાત જ વળતરની હોતી નથી. 

બને છે એવું કે જે સ્ત્રી કૂખ ભાડે આપે છે તે બરાબર જાણે છે કે તેનો હક વળતર પૂરતો જ છે, પણ જે બીજ તે ધારણ કરે છે, તે જો બહાર રહ્યું હોત તો મોટે ભાગે તે વેડફાયું જ હોત. એને ભાડૂતી સ્ત્રી ધારણ કરે છે. તેને લોહીમાંસ સીંચે છે. આકાર આપે છે. એમાં જીવ રેડે છે એટલે જીવ પ્રગટે પણ છે. મહિનાઓ સુધી આ ભાડૂતી સ્ત્રી પોતાની છાયામાં જીવંત, નાજુક શરીર વિકસાવે છે. છોડ પર આવેલાં ગુલાબનું ખેંચાણ થતું હોય તો આ તો પેટમાં ખિલવેલું સંતાન છે, એને માટે લાગણી ન થાય? ન થાય ત્યાં સુધી તો વાંધો જ નથી, પણ થાય તો, શું? આમ તો ભાડૂતી મા બરાબર જાણતી હોય છે કે જે જન્મ્યું છે તે બાળક મૂળ સ્ત્રી પુરુષને સોંપી જ દેવાનું છે, પણ હકીકત તો એ છે કે મૂળ સ્ત્રી કરતાં માતૃત્વનો પહેલો અને સઘન રક્તજીવી અનુભવ તો આ ભાડૂતી માનો છે. તે તેણે થોડા પૈસાની લાલચમાં, લોહીમાંથી કાઢીને બાળક સીધું સોંપી જ દેવાનું? એના પર એનો કોઈ અધિકાર જ નહીં? એ બાળક ફરી ક્યારે ય જોવા ન મળે તો પેલી નોટોની થોકડી પર આંસુ સારીને જ તેણે રહી જવાનું? એ મા છે કે મશીન? એને કૈં થાય જ નહીં એવું તો કેમ બને?

પણ એના વલોપાતનો કોઈ અર્થ રહેતો નથી. કૈં પણ થાય, એણે બાળક તો છોડવું જ પડે છે. આવી ભાડૂતી માતાનું માતૃત્વ પણ સ્વાર્થ ગણાય છે. તે એ કારણે વગોવાય છે કે તેણે પૈસા માટે કૂખ ભાડે આપી છે. એનાં કારણોમાં ગરીબી મુખ્ય હોય, તો પણ તેને માટે તેણે સાંભળવાનું થાય છે. જ્યારે મૂળ પતિ-પત્ની દોષી નથી. એમને સંતાન નથી ને સંતાન વગર તેઓ તો ઝૂરે છે. બાળક માટે કોઈ કૈં પણ કરે તેમ તેઓ પૈસા આપીને જીવતી કૂખ થોડા સમય માટે ખરીદે છે. એ નિસ્વાર્થ ભાવે સંતાન મેળવે છે ને પેલી સ્ત્રી સ્વાર્થી છે, કારણ પૈસા માટે એ પેટ ઉછીનું આપે છે !

સાચું તો એ છે કે આપણે ત્યાં માતૃત્વ બાબતે બેવડાં ધોરણો છે. બેવડી નીતિ છે ને કમાલ એ છે કે  માતૃત્વની પ્રક્રિયા તો કોઈ પણ સ્ત્રી માટે એક જ છે, પણ સંજોગો પ્રમાણે માતૃત્વ વખણાય છે તો વગોવાય પણ છે. દીકરી પરણે ને માતા બને તો તે બાળકને અને તેની માતાને ફૂલડે વધાવાય છે. બાળકનાં જન્મોત્સવો થાય છે, પણ જો તે કુંવારી માતા બનવાની હોય તો? તો, એ પાપ થઈ જાય છે. એ દીકરીને કોઈ સંઘરવા રાજી નથી થતું. તેણે અપમૃત્યુ વહોર્યે જ છૂટકો થાય છે. એ ખરું કે સમાજે નક્કી કરેલાં ધોરણોનો એમાં ભંગ થાય છે એટલે કુંવારું માતૃત્વ સ્વીકાર્ય નથી બનતું, પણ એને માટે જે જવાબદાર છે તે પુરુષનું સમાજ કૈં બગાડી શકતો નથી, તે પણ એટલું જ સાચું કે નહીં? સગીરવયની કન્યાઓ પ્રેમમાં પડે છે કે કોઈ તેનાં પ્રેમમાં પડે છે ને જો પ્રેમીની દાનત માત્ર પ્રેમનાં નાટકની જ હોય તો ભોગવવાનું સગીરાએ થાય છે. કહેવાતા પ્રેમીની એ ચિંતા હોતી નથી કે લગ્ન વગર તે માતા બનવા તરફ ગઈ તો તેની શી વલે થશે?

હવે તો જો કે, સ્ત્રીઓ પણ માતૃત્વથી બચવાના માર્ગો જાણે છે, એટલે પ્રેમી દગો કરે તો તે એવી સ્થિતિથી બચે છે જેમાં બાળકનો સીધો સામનો કરવાનો આવે. તેમ છતાં કેટલાક બનાવો એવા બને છે કે ગર્ભપાત સુધી સ્ત્રીએ જવું પડે કે ગર્ભ ત્યજી દેવો પડે છે. આજની તારીખમાં પણ ભ્રૂણ કે નવજાત શિશુ કચરામાંથી મળી આવે છે એ બતાવે છે કે કોઈ સગીરા કે સ્ત્રીને ન જોઈતું માતૃત્વ માથે પડ્યું છે ને બદનામીના ડરે ગર્ભ કે બાળકથી છુટકારો તેણે મેળવવો પડે છે. આ તો થઈ એવી મહિલાઓની વાત જે ખરી કે ખોટી રીતે થોડી ઘણી જવાબદાર છે ને એણે પરાણે માતૃત્વ સ્વીકારવું પડે છે, પણ જ્યાં મહિલાઓ બળાત્કારનો કે શારીરિક શોષણનો ભોગ બને છે તેમાં તેની સીધી કોઈ ભાગીદારી પણ હોતી નથી ને તેનો પરાણે ભોગ લેવાય છે. અહીં પણ બળાત્કાર કરનાર એ વિચારતો નથી કે ભોગ બનનાર સ્ત્રી ગર્ભવતી થઈ તો તેની સમાજમાં શી દશા થશે? તે તો શિકાર કરીને ચાલતો થાય છે. પછી ભોગ બનનાર ગર્ભ ધારણ કરે તો તેણે તેનાથી છુટકારો મેળવવો પડે કે બાળકને જન્મ આપીને ક્યાંક ત્યજી દેવુ પડે કે અનાથાશ્રમને આંગણે છોડવું પડે છે. બહુ ઓછી સ્ત્રીઓ એ સંજોગોમાં સ્વસ્થ માતૃત્વ ધારણ કરી શકતી હોય છે.

કહેવાનું એ છે કે આ બધાં જ માતૃત્વના પ્રકારો છે. એમાં લગ્નને બાદ કરતાં એક પણ માતૃત્વ એવું નથી જે ઇચ્છિત હોય. એ ખરું કે લગ્નથી મળતાં માતૃત્વમાં જે માન સ્ત્રીને મળે છે તે અન્ય કોઈ રીતે પ્રાપ્ત થતાં માતૃત્વમાં મળતું નથી. માતા તો આ બધી પણ છે. એ પણ એ જ રીતે ગર્ભવતી થઈ છે જે રીતે લગ્ન પછી કોઈ સ્ત્રી થઈ હોય ને છતાં તે અપમાનિત થાય છે કે તેણે જીવન બહુ મુશ્કેલીથી વિતાવવું પડતું હોય છે. આ માતૃત્વ તેણે ઇચ્છયું નથી, તે આવી પડેલું છે, પણ જવાબદાર તો તે સ્ત્રીને એકલીને જ ઠેરવાય છે. આવાં અનિચ્છનીય માતૃત્વની લહાણી કોણ કરે છે? આવું એ સ્ત્રીઓએ ઇચ્છયું નથી, પણ માતૃત્વ સાચી ખોટી રીતે તેનાં પર થોપ્યું છે, પુરુષે. એને માટે જવાબદાર પુરુષ છે, પણ તેને સમાજ કે કાયદો ભાગ્યે જ કોઈ પાઠ ભણાવે છે. તે સહેલાઈથી બીજો શિકાર કરી શકે છે, લગ્ન કરી શકે છે, છૂટો થઈ શકે છે, બીજે ગોઠવાઈ શકે છે. ક્યાં ય તેનું પુરુષત્વ કે પિતૃત્વ ચર્ચામાં નથી આવતું, જ્યારે માતૃત્વ ડગલે ને પગલે દંડાય છે. સીધું પૂછવું એ છે કે આ યોગ્ય છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,4851,4861,4871,488...1,5001,5101,520...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved