Opinion Magazine
Number of visits: 9745067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે જેલમાં પૂરાવી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-3]

હત્યારાઓને ફાંસીએ ચડાવવા તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોધરા હત્યાકાંડનો બદલો અમદાવાદમાં લઈ શકાય નહીં ! પરંતુ જ્યારે લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર સવાર થઈને ‘સત્તા’ મેળવી હોય ત્યારે ‘સત્તા’; તોફાનીઓ ઉપર કડક પગલાં લઈ શકે નહીં. સરકાર તરફથી નિર્દોષ લોકોની સલામતી માટે જે પગલાં લેવાવાં જોઈએ તે સરકાર તરફથી લેવાયાં ન હતા. 2002ના તોફાનોમાં 'લાર્જર કૉન્સપીરેસી' છે કે નહીં; તેની ઉપર સુપ્રિમકોર્ટે વિચાર કરવાનો હતો; તેના બદલે ફરિયાદી ઝાકિયા જાફરીને મદદ કરનાર તીસ્તા સેતલવાડ અને IPS અધિકારી આર.બી. શ્રીકુમાર વગેરે ઉપર ધોકો પછાડ્યો છે ! સુપ્રિમકોર્ટને પીટિશનમાં સરકારને બદનામ કરવાનું કાવતરું દેખાયું તે ચિંતાનો વિષય છે !

2009માં સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડ અને 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની કામગીરીને બિરદાવી હતી; જ્યારે 24 જૂન 2022ના ચૂકાદામાં, એ જ કોર્ટ તેમને કાવતરાખોર કહે છે ! સુપ્રિમકોર્ટના ચૂકાદાના ફકરા-88માં ગોધરાકાંડ પછીનાં તોફાનોની ચર્ચાને જીવતી રાખવા માટે કોઈ કાવતરું હોય તેવી શંકા વ્યક્ત કરીને તીસ્તા સેતલવાડનું નામ નોંધ્યું છે. આ અંગે ‘તપાસ કર્યા વિના જ’ બીજે જ દિવસે તીસ્તાને અને પૂર્વ IPS અધિકારી આર.બી. શ્રીકુમારને જેલમાં પૂરવામાં આવ્યાં; તે શું સૂચવે છે? એક વેળાએ સુપ્રિમકોર્ટ તીસ્તાની મદદ લેતી હતી; હવે તીસ્તા કાવતરાખોર લાગે છે; આવું કેમ? 2008માં, સુપ્રિમકોર્ટે SITની રચના; ઝાકિયા જાફરી અને તીસ્તા સેતલવાડની રજૂઆતના કારણે જ કરી હતી. તે સમયે સુપ્રિમકોર્ટને લાગ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરી બરાબર નથી, માટે SITની રચના કરી ! તીસ્તાની રજૂઆતના કારણે જ સુપ્રિમકોર્ટે બિલકીસબાનો કેસ / બેસ્ટ બેકારી કેસ ગુજરાત બહાર મુંબઈમાં ટ્રાન્સફર કર્યા હતા ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ હતી; આ બન્ને કેસ ગુજરાતમાં ચાલ્યા હોત તો આરોપીઓને સજા થાત? ઉપરાંત તીસ્તાની રજૂઆતના કારણે SITની રચના થઈ અને SITના કારણે અનેક કેસોમાં આરોપીઓને સખ્ત સજા થઈ છે ! જો SITની રચના થઈ જ ન હોત તો બાબુ બજરંગી / માયા કોડનાણી વગેરેને સજા થઈ હોત? સુપ્રિમકોર્ટને ગુજરાત પોલીસની કામગીરી યોગ્ય નહોતી લાગી; એટલે SITની રચના કરવાની જરૂર પડી હતી; આ બાબત સુપ્રિમકોર્ટ કઈ રીતે ભૂલી શકે? ‘સત્તા’નો ચમત્કાર એ છે કે હવે સુપ્રિમકોર્ટને તીસ્તા ‘ષડયંત્રકારી’ લાગે છે ! હવે તેને લાગે છે કે સરકારને બદનામ કરવા તીસ્તાએ કાવતરું કર્યું હતું ! સવાલ એ છે કે SITએ પોતાનો રિપોર્ટ તો 2012માં સુપ્રિમકોર્ટને સુપ્રત કરી દીધો હતો; છેલ્લાં 10 વર્ષ દરમિયાન સુપ્રિમકોર્ટે આ રિપોર્ટના આધારે તીસ્તા અને બીજા કાવતરાખોરોની ધરપકડ કરવા કેમ કહ્યું નહીં? માની લઈએ કે તીસ્તાએ કાવતરું કર્યું હતું; તો 2000થી વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ, એ માટે કોઈની જવાબદારી હોય કે નહીં? હિંસાનો શિકાર બનેલાઓને કે તેમના વતી અવાજ ઊઠાવનારને કાવતરાખોર કહી શકાય? રાજ્યને બદનામ કરવા / રાજ્યને અસ્થિર કરવા / રાજ્ય સામે કાવતરું કરવાનો આરોપ ફરિયાદી સામે મૂકી શકાય? જો રાજ્ય આવો આરોપ મૂકે કે તો કોઈ ફરિયાદી સલામત રહે ખરો? કોર્ટનું વલણ બંધારણ આધારિત હોવું જોઈએ કે ‘સત્તા’ આધારિત? શું ‘રાજ્ય’ અને ‘નેતા’ પર્યાયવાચી બની ગયા નથી? શું કોર્ટ ‘સત્તા’ની એક શાખા છે?

સુપ્રિમકોર્ટને થયું છે શું? 16 આદિવાસીઓની હત્યાની તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર એક્ટિવિસ્ટ હિમાંશુ કુમારને 5 લાખનો દંડ? સુપ્રિમકોર્ટને વામપંથી ચરમપંથીઓને બચાવવાનું કાવતરું દેખાય છે ! 2000થી વધુ મોત અંગે તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર ઝાકિયા જાફરીના સાથીદારોને જેલમાં પૂરવાના? સુપ્રિમકોર્ટને રાજ્યને બદનામ કરવાનું કાવતરું દેખાય છે ! દરેક અરજદાર જે રાજ્ય સામે અદાલતનો દરવાજો ખખડાવે તેની વાત સાંભળવી જ જોઈએ. તેને દંડિત કરી શકાય નહીં કે જેલમાં પૂરી શકાય નહીં ! ફરિયાદીને જ ઠમઠોરવાનો સુપ્રિમ કોનો નવો અવતાર જોવા મળ્યો છે; જે લોકશાહી માટે ભયંકર સંકેત છે. સત્તાની તરફેણમાં મજા / લાભ / પુરસ્કાર / નિમણૂંકો / વાહવાહી મળે છે ! સત્તા વિરુદ્ધ લખવામાં તમને બદનામ કરે /રાષ્ટ્રદોહી ચીતરે / તમારા NGOના ફંડ અંગે તપાસ થાય / કેસ થાય / જેલમાં પૂરે / ભક્તો ટ્રોલ કરે / ગાળો આપે / હિંસક હુમલા કરે / કાળી શાહી ફેંકે ! સત્તા વિરુદ્ધ બોલવું અને લખવું જોખમકારક છે ! આ સ્થિતિને લોકતંત્ર નહી ષડયંત્ર કહી શકાય ! સૌથી મોટો સવાલ એ છે કે શું સુપ્રિમકોર્ટ એવું માને છે કે નાગરિકોને નહીં; રાજ્યને અદાલતી-સુરક્ષાની જરૂર છે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-4]

વિક્ટિમને મદદ કરનાર તીસ્તા સેતલવાડ / આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ જેલમાં છે; આદિવાસીઓને મદદ કરનાર હિમાંશુકુમાર 5 લાખનો દંડ નહીં ભરે એટલે સુપ્રિમકોર્ટ તેને જેલમાં પૂરશે ! કોમી તોફાનોના 117 જેટલાં આરોપીઓને સજા કરાવનાર તીસ્તાને જ ઠમઠોરવાનું કોર્ટનું આ વલણ, માનવ અધિકારના ભંગ સમાન છે; ગેરબંધારણીય છે ! ‘રાજ્ય’ શક્તિશાળી હોય છે; તેની પાસે પોલીસ છે / લોકઅપ છે / જેલ છે / CBI-ED-NIA છે / પેગાસસ છે / પેરા મિલિટરી ફોર્સ છે / IT Cell છે / ગોદી મીડિયા છે / ચાટુકાર લેખકો-વિદ્વાનો છે / અઢળક ધન છે ! જ્યારે ફરિયાદી થાકેલો / હારેલો હોય છે ! આ સ્થિતિમાં, અદાલત જ્યારે નાગરિકને બદલે ‘રાજ્ય’ની તરફેણ કરે ત્યારે લોકતંત્ર તાનાશાહીમાં પરિવર્તિત થઈ જાય છે !

‘રાજ્ય’ પાસે ન્યાય માંગનાર ફરિયાદીને બદનામ કરવાની જબરજસ્ત શક્તિ હોય છે. તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ પોલીસે કર્યો તેમાં તીસ્તા સામે આરોપ મૂકેલ છે કે ‘તીસ્તાએ પોતાના NGOમાં ખોટી રીતે વિદેશી ફંડ મેળવ્યું હતું અને તેનો અંગત તથા સરકારને બદનામ કરવા દુરુપયોગ કર્યો હતો !’ આ બાબત ગોદી મીડિયા / સત્તાપક્ષના ભક્તો / સત્તાપક્ષના IT Cellએ સોશિયલ મીડિયામાં તીસ્તાને બદનામ કરવા વહેતી મૂકી ! તીસ્તાને બદનામ જ કરવા હોય તો તીસ્તાની રજૂઆત શું છે, તે જાણવાની દરકાર તેઓ શા માટે કરે? સત્તા સામે અવાજ ઊઠાવનારે; પોતાને મળેલ ફંડ ક્યાં વાપરવું તેનો નિર્ણય ‘સતા’ કરે? દલિતો / વંચિતો માટે કામ કરતી ગુજરાતની પ્રસિદ્ધ NGO – ‘નવસર્જન’ને વિદેશી ફંડ બાબતે હેરાન કરી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ઇન્ડિયાના પ્રમુખ આકાર પટેલની વિદેશી ફંડ બાબતે હેરાનગતિ ચાલુ છે. આવા તો અસંખ્ય દાખલા છે. બીજી તરફ સત્તાપક્ષ સાથે જોડાયેલ NGOને બધી છૂટછાટ છે ! 2014 બાદ, ગૃહ મંત્રીના પુત્ર જય શાહની કંપનીની આવક એક વર્ષમાં 50,000થી 80 કરોડ થઈ ગઈ; 16,000% વધી ગઈ; તેવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર પત્રકાર રોહિણી સિંહ સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં દાખલ થયો છે ! ‘સત્તા’ હંમેશાં સત્યને નિયંત્રિત કરવાની કોશિશ  કરે છે. ‘સત્તા’ કઈ રીતે ન્યાયનું ગળું ઘોટે છે તેનું એક ઉદાહરણ જોઈએ : 2013માં ‘તહેલકા’એ સ્ટિંગ ઓપરેશનમાં શોધી કાઢ્યું હતું કે ‘બેસ્ટ બેકરી કેસની ફરિયાદી ઝાહીરા શેખને તેની જુબાની બદલવા માટે સત્તાપક્ષના મધુ શ્રીવાસ્તવે; ઝાહીરાને રૂપિયા 18 લાખની ચૂકવણી કેવી રીતે કરી હતી !’ તીસ્તા સેતલવાડના ભૂતપૂર્વ સહાયક રઈસખાન પઠાણે સુપ્રિમકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે ‘ગોધરાકાંડ પછીના પાંચ સંવેદનશીલ કેસોમાં સાક્ષીઓના નિવેદનોમાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે !’ રઈસખાન પાછળ કોનો હાથ હશે, તે સમજી શકાય તેમ છે ! 68 લોકોની સામૂહિક હત્યા થઈ હતી તે ગુલબર્ગ સોસાયટીના 12 સભ્યોએ તીસ્તા ઉપર ફંડના દુરપયોગ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2013માં ફરિયાદ કરી હતી ! ‘સત્તા’ તરફથી રમખાણોના પીડિતોને તીસ્તા મદદ ન કરે તે માટે તેમની સામે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ના ભંગ સબબ બીજા કેસો કરવામાં આવ્યા ! તિસ્તાને બદનામ કરવાના સતત ‘કારસા’ થયા; છતાં તીસ્તાએ હિંસાનો ભોગ બનેલ પરિવારોને ન્યાય અપાવવા અહિંસક અને કાનૂની સંઘર્ષ ચાલુ રાખ્યો છે ! ‘ભક્તો’ કહે છે કે તીસ્તાએ ગુજરાતને બદનામ કર્યું ! પરંતુ શું ‘સરકારની આલોચના’ એ ‘ગુજરાતની આલોચના’ છે?

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે? ફરિયાદીને જ સજા; એનો અર્થ શો છે? માત્ર તીસ્તા સેતલવાડની વાત નથી; મારી તમારી અને ન્યાયના પક્ષે ઊભા રહેતા સૌ નાગરિકની વાત છે. કેટલાક પ્રશ્નો ચિંતામાં મૂકે છે :

[1] ફરિયાદ કરનારને જ ફટકારવાનું સુપ્રિમકોર્ટનું વલણ લોકશાહી વિરુદ્ધનું નથી? શું આ તાનાશાહીનું સમર્થન નથી? શું કોર્ટ અને ‘સત્તા’ એવું માને છે કે “લોકો ‘પ્રજા’ છે, ‘નાગરિક’ નહીં ! પ્રજાને ન્યાય માંગવાનો હક્ક ન હોય?”

[2] કેન્દ્રમાં ગોડસેવાદી સરકાર ન હોત તો હિમાંશુકુમારને 5 લાખનો દંડ ભરવા અદાલતે કહ્યું હોત? ઝાકિયા જાફરીની પીટિશન રદ્દ કરતી વેળાએ તીસ્તા સેતલવાડ / IPS અધિકારી આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હોત?

[3] PM CARES Fundનો હિસાબ લોકોને આપવો નથી; પરંતુ NGO પોતાનું ફંડ ન્યાય મેળવવા વાપરે તો જેલમાં પૂરવાના?

[4] ‘સત્તા’નો વિરોધ કરે, તેને તો હેરાનગતિ કરવાની? સત્તાની તરફદારી કરો તો રાજ્યસભામાં નિમણૂંક / ગવર્નર તરીકે નિમણૂંક મળે? શું બંધારણ પ્રત્યે વફાદારી નહીં; પરંતુ ‘સતા’ પ્રત્યે વફાદારી મહત્ત્વની? મેઘા પાટકર વિરુદ્ધ ખોટા આક્ષેપ સબબ કેસનો સામનો કરનાર વિનયકુમાર સક્સેના, દિલ્હીના ઉપ-રાજ્યપાલના પદે આરૂઢ થયા, તે શું સૂચવે છે?

[5] શું ‘રાજ્ય’ને અદાલતની સ્વતંત્રતા પચતી નથી? શું ‘સત્તા’ કિસાન આંદોલનથી દાઝી ગઈ હોવાથી ડરી રહી છે? શું ‘સત્તા’ પોતાની ‘તપસ્યા’માં કોઈ ખામી ન રહે તે માટે સામાજિક કાર્યકરોને હેરાન કરી રહી છે?

[6] સત્તાને સવાલ કરનારને, કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જેલમાં પૂરવાના? શું આ ‘due process of law’નો ઉલાળિયો નથી?

[7] મૂકાયેલ આરોપ સાબિત થાય તેમાં ‘સત્તા’ને રુચિ કેમ હોતી નથી? શું તેમને જેલમાં પૂરી સોશિયલ મીડિયાના ઉપયોગથી વંચિત કરવાનો જ હેતુ હોય છે? શું ડરાવવા / હેરાનગતિ માટે / બદનામ કરવા જ જેલમાં પૂરવામાં આવે છે?

[8] ‘સત્તા’ ટેક્સનાં નાણાંથી સારા વકીલો રોકી તમને જેલમાં રખાવે છે; જ્યારે તમારે જામીન ઉપર છૂટવા વકીલનો ખર્ચ ભોગવવો પડે ! આ કેવી યોજના?

[9] તમારી મહેનતના કારણે 117 આરોપીઓને સજા થઈ હોય તે મુદ્દો અગત્યનો નથી? શું તમે ‘સત્તા’ સામે કેમ છો; તે મુદ્દો કોર્ટે જોવાનો હોય છે?

[10] તીસ્તાને જેલમુક્ત કરવા; 92 જેટલા નિવૃત જજ / પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ / પૂર્વ વિદેશ સચિવ / પૂર્વ મુખ્ય સૂચના આયુક્ત / પૂર્વ IAS / IPS અધિકારીઓએ સુપ્રિમકોર્ટને ખૂલ્લો પત્ર લખ્યો છે; છતાં પણ સુપ્રિમકોર્ટની નિંદર કેમ ઉડતી નહીં હોય?

[11] ‘સત્તા’નો વિરોધ કરો તો તમે અર્બન નકસલવાદી છો / વામપંથી ચરમપંથી છો / ખાલિસ્તાની છો / રાષ્ટ્રવિરોધી છો / આંદોલનજીવી છો ! કાવતરાખોર છો ! વિદેશી ફંડનો દુરુપયોગ કરનાર છો ! ભલે તમને રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હોય /પદ્મશ્રી મળેલ હોય તેની કોઈ કિંમત ‘સત્તા’ને કે સુપ્રિમકોર્ટને કેમ હોતી નથી?

[12] કોર્પોરેટ કંપનીઓ આદિવાસીઓનાં જંગલ પચાવી પાડે તેની સામે અવાજ ઊઠવો ન જોઈએ તેવું ‘સત્તા’ ઈચ્છતી હશે? વિકાસ લોકોનો કે કોર્પોરેટ મિત્રોનો? ‘વિપક્ષમુક્ત સત્તા’ પછી; ‘જનશક્તિ જગાડનાર’ હિમાંશુકુમાર / સુધા ભારદ્વાજ / મેઘા પાટકર / તીસ્તા સેતલવાડને હેરાન કરી કોર્પોરેટ મિત્રોની સેવા કરવાનો ઉદ્દેશ હશે? ‘ઈશ્વરીય-દિવ્યશક્તિ’ની નિષ્ફળતાને ઢાંકવાનો હશે? ભારતમાં દલિતો / વંચિતો / આદિવાસીઓ / લઘુમતીઓને ન્યાય અપાવવા સામાજિક નિસબત રાખનાર સામાજિક કાર્યકરો શું ગુનેગાર છે? તેમને જેલમાં પૂરવાથી રાષ્ટ્રહિત જળવાશે?

[પૂર્ણ]

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તમે કોને વિજયી જોવા ઈચ્છો છો,અસત્યનો પ્રચાર કરનારાઓને કે ઈશ્વરને ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 July 2022

અમારાં ગામમાં એક દરજી હતો. એ બહેરો હતો એટલે અમે નિશાળિયાઓ નિશાળે જતાં અને આવતાં તેને બેરો (બહેરો) કહીને ચીડવતા અને તે ચીડાતો. એ પછી એવું થયું કે તે નિશાળે જવાને અને છુટવાને ટાણે હાથમાં લાકડી લઈને ઓટલે બેસતો એટલે અમે દૂરથી બેરો કહીને મહાલક્ષ્મીના ચોકનો આંટો વાઢીને નિશાળે જતા. એક દિવસ કંટાળીને તેણે મારા કાકાને (પિતાશ્રીને અમે કાકા કહેતા) ફરિયાદ કરી. મારા કાકા મને લઈને તેની દુકાને ગયા. તેમણે મને કહ્યું કે તમે આ ભાઈને ચીડવીને જે મજા લઈ રહ્યા છો એ વિકૃત મજા છે. કોઈને પીડા આપીને મેળવેલું સુખ એ સુખ નથી. આ વિકૃતિ આગળ જતાં નીચતામાં પરિણમી શકે છે અને હું નથી ઈચ્છતો કે મારો દીકરો નીચ નીવડે. તેમણે પેલા દરજીને કહ્યું કે આ લોકો તને ત્યાં સુધી જ ચીડવી શકશે જ્યાં સુધી તું ચિડાઈશ. તું ચિડાવાનું બંધ કરી દઈશ એ ક્ષણે આ લોકોના હાથ હેઠા પડશે.

 આ વાત સમાજને પણ લાગુ પડે છે. કેટલાક લોકોને કોઈને (વ્યક્તિ કે ચોક્કસ પ્રજાસમૂહને) ચીડવવામાં કે નિંદા કરવામાં એક પ્રકારનું સુખ મળતું હોય છે જે અનિવાર્યપણે વિકૃત હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ખરેખર ચીડાતા પણ હોય છે. મેં મારા બાળપણનો પ્રસંગ ટાંકીને કહ્યું એમ ચીડવનારનું અસ્તિત્વ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી ચીડનાર હોય છે. સંબંધિત વ્યક્તિ ચીડવાનું બંધ કરે એટલે ચીડવનારાના હાથ હેઠા પડે. પણ એવું બનતું નથી. સમાજનો એક સારો એવો મોટો વર્ગ સંયમ જાળવી શકતો નથી. ઘણાં લોકોને આવી વિકૃતિમાં એટલું બંધુ સુખ મળતું હોય છે કે તેઓ તે રોકી શકતા નથી તો બીજી બાજુ ઘણાં લોકો વિકૃત પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરીને ઉપેક્ષાવૃત્તિ કેળવી શકતા નથી.

વિકૃતિનો આ એક ચહેરો થયો. વિકૃતિનો એક બીજો ચહેરો પણ છે જે છેતરામણો છે. મૂલ્યાંકનના નામે અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે વિકૃતિને વાચા આપવામાં આવે છે. એ મૂલ્યાંકન નથી હોતું, ચારિત્ર્યહનન હોય છે. બહુ વ્યવસ્થિત રીતે કોઈ એક વ્યક્તિ કે ચોક્કસ સમાજ કે ચોક્કસ ધર્મ-સંપ્રદાય વિષે માફક આવે એવી માહિતી એકઠી કરવામાં આવે છે અને ન હોય તો પેદા કરવામાં આવે છે. એ પછી પ્રચારયંત્રણા દ્વારા તેને વહેતી કરવામાં આવે છે. એને સતત વહેતી રાખવામાં આવે છે તે ત્યાં સુધી કે લોકો તેને સત્ય માનીને એક કાનથી બીજા કાને કહેતા ન થાય. લોકો જ્યારે કર્ણોપકર્ણ સાંભળેલી વાત સાચી માનીને આગળ વહાવતા જાય અને ઉપરથી પોતાનાં કૃત્યનો બચાવ કરતા થાય ત્યારે આવું કરાવનારાઓ સત્ય પર થયેલા અસત્યના વિજયનો ઓડકાર ખાય છે.

તો બે પ્રકારની વિકૃતિ સમાજમાં જોવા મળે છે. એક ભલે વિકૃતિ પણ એકંદરે નિર્દોષ વિકૃતિ. કોઈને હેરાન કરીને હલકી મજા લેવા સિવાય તેમનો ખાસ કશો એજન્ડા હોતો નથી અને બીજી વિકૃતિ સદોષ વિકૃતિ હોય છે. ગણતરીપૂર્વક એજન્ડાના ભાગરૂપે કોઈને બદનામ કરવાના. સત્ય ઉપર અસત્યનું આરોપણ જેને અંગ્રેજીમાં પોસ્ટ-ટ્રુથ તરીકે ઓળખાવવામાં આવે છે. આવું કરનારાઓને સત્ય પરવડતું નથી અને અસત્યમાં તેમનો સ્વાર્થ હોય છે. તેઓ તેમાં વિવેક કરવાની ક્ષમતા નહીં ધરાવનારાઓનો અને કોઈની બદબોઈ કરીને વિકૃત મજા લેનારાઓનો ઉપયોગ કરે છે.

આજકાલ મારા મનમાં સતત એક પ્રશ્ન ઘુમરાયા કરે છે. મૂંડકોપનિષદમાં કહેવાયેલા વચનનું શું? મૂંડક ઉપનિષદમાં કહ્યું છે : सत्यमेव जयते नानृतं सत्येन पन्था: विवतो देवयान: । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् परमम् निधानम् ।। ઋષિ કહે છે: “હંમેશાં સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. સત્યના માર્ગે ચાલવાથી યાત્રીનો માર્ગ મોકળો અને સુલભ થાય છે અને એ રીતે જ્યાં સત્યનું ધામ છે ત્યાં પહોંચી શકાય છે.” ઋષિ માત્ર એટલું કહીને નથી અટકતા કે સત્યનો વિજય થાય છે. તે તો કહે છે માત્ર સત્યનો જ વિજય થાય અને અસત્યનો કદાપી વિજય નથી થતો. હજુ આગળ વધીને કહે છે કે જો તમારે પરમ સત્ય પામવું હોય તો સત્યનો જ માર્ગ અપનાવવો પડશે અને જો તમે સત્યનો માર્ગ અપનાવશો તો તમારો માર્ગ અર્થાત્ જીવનયાત્રા સુલભ થતી જશે.

તો કસોટી આપણી અર્થાત્ માનવસમાજની થઈ રહી છે કે ઋષિવચનની જે સનાતન ધર્મની માન્યતા મુજબ ઈશ્વરે કહેલાં વચન છે? સનાતન ધર્મીઓની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો અપૌરૂષેય છે એટલે કે કોઈ પુરુષની રચના નથી, પણ ખુદ ઈશ્વરે ઋષિઓનાં મોઢે કહેલાં વચનો છે. બીજું સનાતન ધર્મની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો સનાતન ધર્મનો પાયો છે. એના વિના સનાતન ધર્મ સંભવી જ ન શકે. તો પછી કસોટી કોની થઈ રહી છે? આપણી કે ઈશ્વરની? વાસ્તવમાં તમે સાયબર સેલ અને સોશ્યલ મીડિયા દ્વારા ગાંધીજીને પરાજીત કરી રહ્યા છે તમારા ઈશ્વરને? તમે જ્યારે જાણતા હોવાં છતાં જૂઠાણાં ફેલાવો છો ત્યારે તમે ગાંધીદ્રોહ કરી રહ્યા છો કે ઈશ્વરદ્રોહ? કે પછી સનાતન ધર્મદ્રોહ? સાચો હિંદુ કોણ? તમે કે ગાંધી?

તો કસોટી ગાંધીની નથી થઈ રહી, ઈશ્વરની થઈ રહી છે. ઋષિવચનની થઈ રહી છે, અપૌરૂષેય વેદો અને ઉપનિષદોની થઈ રહી છે અને સનાતન ધર્મની થઈ રહી છે. તમે કોને વિજયી જોવા ઈચ્છો છો; અસત્યનો પ્રચાર કરનારાઓને કે ઈશ્વરને?

ટૂંકમાં આજે હિંદુઓ સામૂહિક રીતે તેમના ઈશ્વરની અને ઈશ્વરે ચિંધેલા માર્ગની અર્થાત્ ધર્મની જ પરીક્ષા કરી રહ્યા છે. સામૂહિક રીતે એ નવું છે. ધર્માભિમાનીઓ સામૂહિકપણે તેમના વહાલા ધર્મને ખાઈમાં ધકેલી રહ્યા છે. આવું માત્ર હિંદુઓ જ નથી કરતા, બધા જ ધર્મના ધર્માભિમાનીઓ આ કરી રહ્યા છે. અભિમાન અને સત્ય સાથે ન રહી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જુલાઈ 2022 

Loading

...102030...1,4851,4861,4871,488...1,5001,5101,520...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved