Opinion Magazine
Number of visits: 9459037
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ભાષાના વિકાસ માટે સરકાર આટલું કરે

બાબુ સુથાર|Opinion - Opinion|2 March 2022

૧. સરકારે 'ગુજરાતી ભાષા નિયમન ધારો’ ઘડવો જોઈએ. અત્યારે ગુજરાતી ભાષા જે પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહી છે એ કટોકટીને કેવળ પરિપત્રો દ્વારા પહોંચી નહીં વળાય.

૨. આ ધારા હેઠળ સૌ પહેલાં વહીવટી ભાષાનું આયોજન કરવું જોઈએ. અત્યારે ગુજરાત સરકાર વહીવટમાં જે ભાષા વાપરે છે એમાં કેવળ જોડણીની જ નહીં, વ્યાકરણની અને usageની પણ અપાર ભૂલો હોય છે. સરકારના મોટા ભાગના પરિપત્રો શબ્દાળુ અને ન સમજાય એવા હોય છે. જો વહીવટની ભાષાનું બરાબર આયોજન થાય તો કાગળ પણ બચે, શાહી પણ અને ભાષા પણ.

૨.૧ (દા.ત.) વહીવટી ભાષામાં સંક્ષિપ્તીકરણના ચોક્કસ એવા નિયમો હોવા જોઈએ. ગુજરાતી સિલેબિક ભાષા હોવાથી 'બાબુ સુથાર’નું 'બસ’ ન થાય. 'બાસુ’ જ થાય. એ નિયમ દરેક સ્તરે જળવાવો જોઈએ.

૩. આની સમાન્તરે ગુજરાત સરકારે જાહેર જીવનમાં (public domainમાં) ગુજરાતી ભાષાના ઉપયોગને લગતો પેટાધારો પણ ઘડવો જોઈએ. એ ધારાના ઉપક્રમે સરકારે જાહેર જીવનમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. એમાં દુકાનોનાં બોર્ડની ભાષા પણ આવી જાય.

૩.૧ આ ધારો બનાવ્યા પછી સરકારે (અને કદાચ સામાજિક સંસ્થાઓએ પણ) એકાદ વરસ પૂરતા ગુજરાતી ભાષા માટે એક હૉટલાઇન શરૂ કરવી જોઈએ. આ હોટલાઇનના ઉપક્રમે આપણે ગુજરાતી ભાષાને લગતા કોઈ પ્રશ્નો હોય તો એના જવાબ આપવા જોઈએ. એ પ્રશ્નો કેવળ જોડણી કે વ્યાકરણને લગતા જ હોવા જોઈએ. જો આવું કરવામાં આવે તો સાઇનબોર્ડ વગેરે ચીતરનારાઓને શબ્દોની જોડણી કે વ્યાકરણના નિયમો અંગેની માહિતી મળી રહે.

૪. છેલ્લાં ત્રીસેક વરસમાં સરકારે ગુજરાતી ભાષાનું સંરચનાના સ્તરે અવમૂલ્યન કર્યું છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા કેવળ પાસ કરવાની જ રહી એવો સરકારનો નિર્ણય આનું ઉદાહરણ છે. એ નિયમ બદલવો જોઈએ અને ગુજરાતી ભાષાના અભ્યાસને ગણિત તથા વિજ્ઞાનના અભ્યાસની સમકક્ષ મૂકવો જોઈએ.

૪.૧ અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માટે પણ પાંચમા ધોરણ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઈએ. જો કે, એ બાળકોને ગુજરાતી બીજી (second) ભાષા તરીકે શીખવવી જોઈએ.

૫. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસનું સ્વરૂપ બદલવું જોઈએ. અત્યારે પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાસાહિત્યના એક ભાગ રૂપે ભણાવવામાં આવે છે. એને બદલે સરકારે કેવળ લેખન અને વાંચન પર જ ભાર મૂકવો જોઈએ. બાળકો ગુજરાતી ભાષા આત્મસાત્‌ કરીને શાળામાં આવતાં હોય છે. શાળામાં એમણે કેવળ લેખન અને વાંચન જ શીખવાનું હોય છે.

૬. (૫)માં કરવામાં આવેલા સૂચનના એક ભાગ રૂપે પી.ટી.સી.નો અભ્યાસક્રમ પણ બદલવો જોઈએ. પી.ટી.સી.ના વિદ્યાર્થીઓને વાંચન/લેખન ભણાવવા માટે તૈયાર કરવા જોઈએ.

૭. ગુજરાતી ભાષાની જોડણીવ્યવસ્થા અંગે નવેસરથી વિચાર કરવો જોઈએ. સૌ પહેલાં તો ગુજરાતીમાં જોડણી કોને કહેવાય એ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ. યાદ રાખો કે ગુજરાતી સિલેબિક ભાષા છે. આલ્ફાબેટિક નહીં. એમ હોવાથી ગુજરાતી જોડણીનું સ્વરૂપ પણ જુદું જ હોવાનું. ત્યાર બાદ, ગુજરાતી ભાષાનું કેટલું અને કયું ધ્વનિતંત્ર જોડણીમાં પ્રગટ થવું જોઈએ એ અંગેનો નિર્ણય લેવો જોઈએ. છેલ્લે, ગુજરાતી રૂપતંત્ર અને વાક્યતંત્રને પણ જોડણી સાથે જોડવાં જોઈએ.

૮. જોડણી અંગે વિચાર કરતી વખતે શિક્ષકો, પ્રિન્ટિંગ પ્રેસ, અને ભાષા સાથે કામ પાર પાડતા બીજા કેટલાક લોકોને પણ સાંકળવા જાેઈએ. કોઈ એક માણસ ર્નિણય લે એ ન ચાલે.

૯. કૉલેજોમાં દરેક ગુજરાતી વિભાગમાં ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કરેલો હોય એવો ઓછામાં ઓછો એક અધ્યાપક હોવો જોઈએ. આવા અધ્યાપકો તૈયાર કરવા માટે ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમાના કોર્સ શરૂ કરવા જોઈએ.

૧૦. યુનિવર્સિટીઓમાં દરેક ગુજરાતી વિભાગ બે વિભાગમાં વહેંચાયેલો હોવો જોઈએઃ સાહિત્ય વિભાગ અને ભાષાશાસ્ત્ર વિભાગ. એમ.એ. કરતા વિદ્યાર્થીઓએ કેટલાક core courses લીધા પછી કાં તો સાહિત્યનો અભ્યાસ કાં તો ભાષાશાસ્ત્રનો અભ્યાસ પસંદ કરવો જોઈએ. જો કે, આ કામ જરા અઘરું છે પણ મુશ્કેલ નથી.

૧૧. ગુજરાતી શબ્દકોશો શાસ્ત્રીય ઢબે તૈયાર થઈ શકે અને જે કંઈ શબ્દકોશો છે એમનો શાસ્ત્રીય ઢબે અભ્યાસ થઈ શકે એ માટે વધારે નહીં તો એક કે બે યુનિવર્સિટીએ Diploma in Lexicographyનો (શબ્દકોશશાસ્ત્રમાં ડિપ્લોમા) કોર્સ શરૂ કરવો જોઈએ.

નોંધઃ ગુજરાતી ભાષા/સાહિત્યના અધ્યાપકોને એક ખાસ સલાહઃ વાંચીને કે ગૂગલ મહારાજને પૂછીને કંઈ પણ ભણાવી શકાય એવા ખોટા ખ્યાલમાં રહેવું નહીં.

૧૨. આટલાં વરસોથી ગુજરાતીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ એમ.એ. અને પીએચ.ડી. કરે છે. એમ છતાં એકૅડેમિક ગુજરાતી કહી શકાય એવી ભાષાનાં ધોરણો આપણે નક્કી કર્યાં નથી. એને કારણે પણ મોટા ભાગના ગુજરાતી શોધનિબંધો અને સંશોધનનિબંધો પણ ઊતરતી કક્ષાના લાગતા હોય છે. ગુજરાતીના અધ્યાપક સંઘે અને સરકારે પણ આ બાબતમાં યોગ્ય પગલાં લેવાં જોઈએ. દરેક ગુજરાતી વિભાગે એકૅડેમિક ગુજરાતી ફરજિયાત કરવાનું કહેવું જોઈએ.

૧૩. જો કોઈ સમાજમાં એક કરતાં વધારે ભાષાઓ બોલાતી હોય તો એમાંની એક ભાષા કદાચ 'મોભાની ભાષા’ બની જાય. અત્યારે અંગ્રેજી મોભાની ભાષા છે. એ ભાષા પણ ભણાવવી જોઈએ. પણ, એ ભાષા પહેલી ભાષાને મદદ કરતી હોવી જોઈએ. મેં અમેરિકામાં અત્યાર સુધીમાં નહીં નહીં તો બસોથી પણ વધારે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવી છે. એ બાળકો ગુજરાતીના કારણે અંગ્રેજી (એમની માતૃભાષા) નથી ભૂલ્યાં. પણ, ગુજરાતમાં, અને બીજે પણ, અંગ્રેજી ભાષા શીખતું બાળક આગળ જતાં અંગ્રેજી વધારે વાપરશે અને ગુજરાતી ઓછું. આ ઉદાહરણ સમજવા જેવું છે. પહેલા કેસમાં ગુજરાતી મોભાની ભાષા નથી. બીજામાં અંગ્રેજી મોભાની ભાષા છે. સરકાર ભાષા-આયોજન કરીને ભાષાનો મોભો વધારે નહીં તો થોડોક ઊંચો લાવી શકે. ભાષાશાસ્ત્રમાં આવું કામ કરનારાઓ ભાષા-આયોજકો તરીકે ઓળખાય છે. આપણે એવા ભાષા આયોજકોની પણ મદદ લેવી જોઈએ.

માતૃભાષાને મા સાથે જોડવી ને માને કરતા હોઈએ એવું વહાલ કરવું વગેરે વાતોને લાગણી સાથે સંબંધ છે. એમાં શાસ્ત્ર નથી હોતું. આવી લાગણી વ્યક્ત કરનારાઓમાં કેટલાક તો વિધિના (ritual) ભાગ રૂપે એમની લાગણી વ્યક્ત કરતા હશે. હું એવી લાગણીઓને બહુ માનથી જોતો નથી.

[ફેસબુક સૌજન્ય]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 16

Loading

‘મનરેગા’માં ભ્રષ્ટાચાર

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 March 2022

દેશના ગ્રામીણ વિસ્તારોનાં બજારોને રોજગારી આપવા માટે મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી ‘નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ’ દ્વારા સામાજિક ઑડિટ કરવામાં આવ્યું હતું. એમાં આ યોજના હેઠળ ચાલતાં ૧૮૬૯ પ્રોજેક્ટ પૈકી કેટલાક તપાસવામાં આવ્યા હતાં. એમાં દર્શાવવામાં આવેલા મજૂરો કરતાં ઓછા મજૂરો કામ કરતા માલૂમ પડ્યા હતા.

કોઈક લૂમમાં રોલ ઉપર ૨,૭૯૮ કામદારો હોવાનું નોંધાયું હતું, પણ વાસ્તવમાં ૧,૨૫૩ કામદારો કામ કરતા હતા. અન્યત્ર રોલ ઉપર ૭,૮૫૯ કામદારો દર્શાવવામાં આવ્યા હતા, પણ વાસ્તવમાં ૧,૩૪૮ કામદારો કામ કરતા માલૂમ પડ્યા હતા. એ જગ્યાએ માત્ર પાંચ ટકા કામદારો સ્થળ ઉપર હાજર હતા. એકંદરે ૧.૫૯ લાખ કામદારો નોંધ્યા હતા. એમાંથી ૭૫ ટકા કામદારો સ્થળ ઉપર હાજર હતા. આમાં કોન્ટ્રાક્ટરો કામદારોનાં નામ નોંધે છે. એમને થોડું કમિશન આપે છે. બાકીની રકમ એ લોકો લઈ જાય છે. ઝારખંડમાં ૯.૩૪ કરોડની મજૂરદિવસોની રોજગારી અપાઈ હતી. એકંદરે ૨૮ લાખ વ્યક્તિઓને રોજગારી આપવામાં આવી હતી. આમાં ખરેખર કેટલાં કામદારોને રોજગારી અપાઈ હશે તે પ્રશ્નાર્થ રહે છે. ઑડિટ પ્રમાણે ચાલીએ તો શંકા પ્રબળ બને છે. આ યોજના પાછળ રૂ. ૨,૬૩૭ કરોડ ખર્ચાયા હતા. એમાંથી કેટલાં ભ્રષ્ટાચારમાં ગયા હશે એ પ્રશ્ન  આપણને રહે છે.

આ એક કલ્યાણ કાર્યક્રમ છે. જે દેશમાં સામાજિક સલામતીની કોઈ યોજના નથી એમાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. આ કામોમાં વેતન કાયદાથી ઠરાવેલા ન્યૂનતમ વેતનદર આપવાનો ખ્યાલ છે. આમ, આ યોજનાનો ઉદ્દેશ સારો છે, પણ આપણું ભ્રષ્ટ વહીવટી તંત્ર એના ઉદ્દેશને પાર પાડવામાં અવરોધક છે. ભારત જેવાં બિનકાર્યક્ષમ અને ભ્રષ્ટ વહીવટીતંત્ર ધરાવતા દેશમાં કલ્યાણ યોજનાઓ કેમ મહદંશે નિષ્ફળ જાય છે. એનો ખુલાસો આ ઑડિટમાંથી સાંપડે છે. પૂર્વે દુકાળના સમયે લોકોને રોજગારી આપવા માટે જે રાહત કાર્યો હાથ ધરવામાં આવતાં હતાં એમાં જે ગેરરીતિઓ ચાલતી હતી એ મનરેગામાં મોટા પ્રમાણમાં ચાલી રહી છે, એનું ચિત્ર આ સામાજિક ઑડિટમાંથી સાંપડે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 07

Loading

માર્કેટપ્લેસની માયાજાળ વિ. નાનું તે સોહામણું

નિલેશ પ્રિયદર્શી|Opinion - Opinion|1 March 2022

સૃષ્ટિના સંતુલિત જીવનચક્રમાં સૂક્ષ્મથી લઈને નાનામોટા સૌ સજીવોનું સક્રિય યોગદાન રહેલું છે. જ્યારે આ સંતુલન ખોરવાય ત્યારે કોરોના જેવી મહામારી આ ધરતી પર ત્રાટકે છે. આવી એક સર્વસામાન્ય સમજ મોટા ભાગના લોકોએ અનુભવ પરથી કેળવી છે.

આપણે સૂક્ષ્મ જીવો પ્રત્યે કેટલા સંવેદનશીલ છીએ તે સમજ ત્યારે જ આવી શકે જ્યારે આપણે માનવજાત માટે સંવેદનશીલ હોઈએ, અને તેમાં ય એવો વર્ગ કે જે સંશોધનો તેમ જ તકોથી વંચિત છે.

દેશમાં ખેતી પછી સૌથી વધુ રોજગાર આપતું હસ્તકલાનું ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલ કારીગર આજે પણ બિચારો બનીને તેની નૈયાને પાર કરાવવા મથામણ કરી રહ્યો છે.

આવા નાના કારીગરો ખરેખર આપણા વૈવિધ્યપૂર્ણ કલાવારસાના સાચા સંરક્ષક છે.

શું આપણે ખરેખર આવા નાના કારીગરો પ્રત્યે સંવેદનશીલ છીએ? શું આપણે તેમને કે તેમની કલાને ક્યારે ય પ્રોત્સાહન આપ્યું છે? તેમને તેમની કલા પ્રત્યે માન-સન્માન ઊભું થાય તેવું વાતાવરણ તૈયાર કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ તે સત્ય સ્વીકારવું રહ્યું.

શિક્ષણ, સંશાધનો, બિઝનેસ, ડિઝાઇન અને મૅનેજમેન્ટ સ્કિલના અભાવના કારણે જ્યાંથી પણ તક મળે તે દિશામાં કારીગર દોડવાની કોશિશ કરે છે, ત્યારે ઘણી વખત કોઈક ને કોઈક તબક્કે કારીગરનું શોષણ થાય છે. ઘણી વાર તો કારીગરને તેની ખબર પણ પડતી નથી.

હસ્તકલાના સાવ અલિપ્ત રહેલા ક્ષેત્રમાં મૂડીવાદી લોકોને તેમ જ ઉદ્યોગગૃહોને મોટી તકો દેખાઈ રહી છે અને તેનો ફાયદો લેવા મૂડીવાદના જોરે દબદબો ઊભો કરી રહ્યા છે.

ટેક્નોલૉજીથી અલિપ્ત રહેલા કારીગર માટે માર્કેટપ્લેસ ઊભું કરીને તેને વેચાણની તકો આપવી તે સરાહનીય છે, પરંતુ કારીગરની કલા પર મોટો નફો કમાઈને તેને માર્કેટથી અલિપ્ત રાખવા તે એટલું જ નીંદનીય છે. એનાથી આગળ વધીને પોતાનું ખુદનું પ્રોડક્શન યુનિટ ખોલીને કારીગરને મજૂરી પર રાખવો તે શોષણના આધુનિક મૉડલનો ઉત્તમ પુરાવો છે.

વૈશ્વિકીકરણના આ યુગમાં દરેક વ્યક્તિ રેસમાં આગળ નીકળવા દોડી રહી છે. નાના કારીગરનો હાથ પકડીને તેને આગળ કરવાને બદલે તેનું શોષણ કરીને આગળ વધવાની થિયરી લાંબા ગાળે મોટું નુકસાન કરશે.

આપણે આપણી આજુબાજુ તીવ્ર હરીફાઈનું વાતાવરણ ઊભું કર્યું છે, જેનાથી કારીગરને પણ લાગવા માંડ્યુ કે મારે મોટા બનવું પડશે. મારે પણ દોડવું પડશે. હસ્તકલાના ક્ષેત્રમાં ચકલીની જેમ ધીરજથી પોતાનું કાર્ય કરીને ખુશ રહેતો કારીગર, વૈશ્વિકીકરણની દોડમાં બાજ બનવાની કોશિશ કરે છે તે કેટલે અંશે વાજબી છે? બાજ બન્યા પછી તે ઊંચાઈ પર ટકી રહેવા કેટલા શિકાર કરવા પડશે તે વિચારવાલાયક પ્રશ્ન છે.

શું મોટા બનવું તે જ વિકાસની પરિભાષા છે? શું નાના રહીને પોતાની ઓળખ જાળવી રાખીને શ્રેષ્ઠ બનવું તે વિકાસનો માપદંડ ના હોઈ શકે?

હસ્તકલા ક્ષેત્રે કામ કરતો કારીગર ચકલીની જેમ પોતાનું સર્વશ્રેષ્ઠ આપીને લોકોના દિલમાં સ્થાન મેળવી શકે છે, જે એક બાજ ક્યારે ય મેળવી શકતું નથી.

કૉર્પોરેટ બિઝનેસ મૉડલ, માર્કેટપ્લેસની માયાજાળ અને ટૂંકા ગાળાના લાભોથી પર રહીને “સ્મૉલ ઇઝ બ્યૂટીફૂલ”ની થિયરી પર આગળ વધવું, પોતાની ખૂબીઓ અને ખામીઓ શોધીને ઓળખ પ્રસ્થાપિત કરવી તેમ જ નૈતિક મૂલ્યો જાળવી રાખીને શ્રેષ્ઠ બનવું તે જ આવનારા સમયની માંગ છે.

(ફાઉન્ડર, કારીગર ક્લિનિક)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 08

Loading

...102030...1,4811,4821,4831,484...1,4901,5001,510...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved