Opinion Magazine
Number of visits: 9569943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાટલાકોર્ટે શ્વાનખટલો

વલીભાઈ મુસા|Opinion - Short Stories|26 May 2022

કેદીઓની બેરેક, રેલવે સ્ટેશનોના રેનબસેરા, હોટલોની ડોરમેટરીઓ, શહેરોની ફૂટપાથો કે દવાખાનાંઓના જનરલ વોર્ડની જેમ ઉનાળાની રાત્રિઓએ અમારા મહેલ્લાના લોકો પોતપોતાનાં આંગણાંમાં હારબંધ ઢોલિયાઓમાં સૂઈને, ઘરમાંના વીજપંખાઓને આરામ આપીને, વીજ ઉર્જાબચતની સરકારી ઘોષણાઓને આરામથી ઊંઘીને સન્માન આપતા હતા. ભસતાં કૂતરાં તેમની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકતાં ન હતાં, કેમ કે દિવસભરના શ્રમનો તેમનો થાક અને  મંદમંદ વાતા કુદરતી પવનનો પિચ્છસ્પર્શ મીઠી નિંદર માણવા તેમના માટે પ્રેરક બની જતાં હતાં.

પરંતુ હું એ બધાંમાં અપવાદ રૂપે જાગી રહ્યો હતો. આકાશદર્શન એ મારો શોખ હતો અને તદનુસાર હું તો પથારીમાં પડ્યો પડ્યો આકાશમાંના વિવિધ તારાઓ અને તારાસમૂહોને નિહાળી રહ્યો હતો. ટમટમતા તારલાઓ અને વાદળોમાં સંતાકૂકડી રમતા ચંદ્રના સૌંદર્યમાં હું એવો તો મગ્ન હતો કે પેલાં ભસતાં કૂતરાંના કર્કશ અવાજો મારી રસવૃત્તિને બાધક નિવડતા ન હતા.

પણ ત્યાં તો ધડધડ પગલાંના અવાજ સાથે હાથમાં લાકડી લઈને મહેલ્લાના છેડે રહેતા કાન્તિકાકા એક કૂતરા પાછળ એમ બબડતા દોડવા માંડ્યા કે ‘આજે જો તું મારી ઝાપટમાં ન આવ્યું, તો દિવસે તારી વાત; તને પાડી દીધું જ સમજજે.’

મેં ધીમા અવાજે પૂછ્યું, ‘કેન્ટ અંકલ, કેમ કેમ શું થયું?’

હું કાન્તિકાકાને કેન્ટ અંકલ નામે બોલાવતો હતો તેના સામે તેમણે મારા એવા પહેલા સંબોધનથી જ વાંધો લીધો ન હતો. તેમને પોતાને કદાચ તેમનાં ફોઈએ પાડેલું કાન્તિ નામ ગમતું નહિ હોય અને વળી મારા જેવો કોલેજિયન તેમને આવું અંગ્રેજી નામ આપે તે તેમને પસંદ પડી ગયું પણ હોય! જે હોય તે પણ દરેક વેકેશનમાં મારી પાસે દરરોજ અડધોએક કલાક તો તેઓ જરૂર પસાર કરે, કેમ કે અમારી વચ્ચે આત્મીયતાનો સેતુ બંધાઈ ચૂક્યો હતો.

‘અલ્યા અસોક, મારું બેટું એ એવું હેવાયું થઈ ગયું છે કે રોજ રાત્રે પથારીમાં મારા ભેગું સૂઈ જાય છે અને મને ગંદુગંદુ લાગે છે. ભલે પાપ થાય, પણ મારે તેને ઠેકાણે પાડવું જ પડસે.’

‘પેલું આલ્શેશિયન જેવું લાગે છે, તે તો નથી?’

’હા, એ જ. ભલે એ આલ્સેસિયન જેવું લાગતું હોય કે ફાલ્સેસિયન જેવું લાગતું હોય, પણ તેની આ  હરકત ચલાવી ન લેવાય.’

મારું નામ જો કે અશોક હતું, પણ તેઓ અને અસોક કહીને જ બોલાવતા. મેં તેમને મારા નામના ઉચ્ચારને સુધારવા જણાવ્યું હતું ત્યારે તેમણે તેમની અશક્તિ જાહેર કરતાં મને મારું નામ જ બદલી દેવાની સલાહ આપી હતી. અમારી વચ્ચેનો આ મુદ્દે થયેલો સંવાદ જે હજુ ય મને યાદ છે, જે આ પ્રમાણે હતો :

‘કેન્ટ અંકલ, તમને ‘શ’ અને ‘સ’ વચ્ચેનો ઉચ્ચારભેદ તમારા ગુરુજીઓએ શિખવ્યો નથી કે શું?’

‘સાળાજીવન દમિયાન એ બિચારા એ સિખવવા ખૂબ મથ્યા, હું પણ મથ્યો; પરિણામ સૂન્ય. મારા પોતરાએ હોઠથી સીટી વગાડવાની ખૂબ પ્રેક્ટિસ કરીને તેના સંકર નામને ઠીક રીતે બોલવા મથામણ કરાવી, પરિણામ સૂન્ય. તારી કાકીએ જ્યારે મને હડફાવ્યો કે આ ઉંમરે સીટીઓ વગાડતાં તમને સરમ નથી આવતી, ત્યારે તેની વાતની સરમ ભરીને મેં સીટીઓ વગાડવી બંધ કરી. જો અસોક, દરેક માણસમાં કોઈ ને કોઈ કમજોરી તો હોય જ છે.’

વચ્ચે આડવાતમાં ઊતરી ગયો તે બદલ ક્ષમાયાચના. એ રાત્રે તો ઊંઘતા માણસોની ઊંઘને ખલેલ ન પહોંચે તે માટે મેં તેમને સવારે વાત કરવા જણાવ્યું હતું અને તેઓ ચૂપચાપ તેમના શય્યાસ્થાને જતા પણ રહ્યા હતા. મેં વિચાર્યું કે આગામી સવારે આ કૂતરા વિષય ઉપર કેન્ટ અંકલની ૭૦ની નહિ તો ઓછામા ઓછી ૧૬ એમ.એમ.ની ફિલ્મ તો જરૂર ઉતારવી! વળી આમ કરવા પાછળનો મારો ઉમદા ખ્યાલ પણ એ હતો કે મારે પેલા નિર્દોષ પ્રાણીનો જીવ બચાવવો હતો અને માત્ર એટલું જ નહિ, પણ એ બેઉ વચ્ચેની નફરતની દિવાલને મારે તોડવી હતી.

સવારે નવેકના સુમારે હું જ્યારે ઓસરીના ખાટલે પંખા નીચે અખબાર વાંચી રહ્યો હતો, ત્યારે કેન્ટ અંકલ ખોંખારો ખાતા મારી પાસે આવ્યા અને સીધેસીધું બોલ્યા, ‘અસોક, બોલ એ નાલાયક કૂતરા અંગે તું સું કહેવા માગે છે?’

કેન્ટ અંકલે સામેથી જ આ વાત છેડી એટલે મારું કામ સરળ થઈ ગયું, નહિ તો મારે ફેરવી ફેરવીને તેમને આ વાત ઉપર લાવવા પડત! મેં કહ્યું, ‘અંકલ, મેં રાત્રે કહ્યું હતું કે એ આલ્શેશિયન જેવું લાગે છે, પણ હવે મારે  કહેવું પડશે કે તે આલ્શેશિયન જ છે.’

‘એ તને જેવું કે જે લાગે તે ખરું, પણ મારા માટે તો એ કૂતરું માત્ર હતું, છે અને હવે નહિ રહે; કેમ કે તેની હયાતીનો આજે છેલ્લો દિવસ છે. તને હું પડકારું છું કે તું મને રોક સકે તો રોક!’ કેન્ટ અંકલે તો જાણે મારા સામે યુદ્ધ જાહેર કરી દીધું!

‘પણ અંકલ, તેની એક જ વખતની તમને ન ગમતી હરકત બદલ તમારે આવું ક્રૂર પગલું ન ભરવું જોઈએ!’

‘અલ્યા,  એક જ વખતની નહિ; પણ ઉનાળો બેઠો ત્યારની દરરોજ રાત્રિએ બબ્બે ત્રણત્રણ વખતની તેની ગંદી હરકતે મારી રાત્રિઓની ઊંઘ હરામ કરી દીધી છે. એ તો તું ગઈકાલે જ તારા સહેરથી આવ્યો અને  તને રાત્રે એક જ વાર અમારી ધમાચકડી જોવા મળી, એટલે તને તેના ઉપર દયા ઉભરાઈ આવે છે. બેટા, ગઈ રાત્રે જ તારા ઊંઘી ગયા પછી પણ મારે બેત્રણ હડીઓ કાઢવી પડી હતી!’

‘ઓહ, તો આપ કી યહ પુરાની દુશ્મની હૈ!’

‘જો અસોક, હું તારા ઘરે બેઠો છું એ મારી મર્યાદા છે અને તું એ તુચ્છ કૂતરાની જાત માટે મારા સામે મેદાને પડવા જઈ રહ્યો છે તેનું મને ભારોભાર દુ:ખ છે. આમ છતાં ય દુસ્મન અથવા દુસ્મનના તારા જેવા વકીલની વાત એકવાર સાંભળી લેવાની મારી ફરજ છે. બોલ તારા અસીલના બચાવ માટેની તારી સી દલીલ છે?’

કાકો કંઈ અંગુઠાછાપ ન હતો, જૂની મેટ્રિક  પાસ હતો. તેમણે તો મારા ખાટલાને કોર્ટમાં તબદિલ કરી દીધો. એ તો મારું મહેલ્લાના છેડા ઉપરનું અમારું વધારાનું પડતર ઘર હતું, જ્યાં વેકેશનમાં હું અભ્યાસ કરતો હતો અને રાત્રે સૂતો હતો; નહિ તો મારી ખાટલાકોર્ટે શ્વાનખટલો સાંભળવા અમારા આગળ પ્રેક્ષકવૃંદનો જમાવડો થઈ ગયો હોત!

‘જુઓ વડીલ, મારી દલીલ એ છે કે એ બિચારાને તમારી જ સાથે સહશયન કરવાની આદત પડી ગઈ છે, તે બતાવી આપે છે કે તે હાલનું દેશી નહિ, પણ પૂર્વજન્મનું વિલાયતી કૂતરું છે. વળી ઋણાનુબંધ પ્રમાણે તેનું તમારા તરફનું આકર્ષણ એ બતાવે છે કે તમે તેના અગાઉના કોઈક જન્મ વખતના માલિક હશો જ!’

‘જો અસોક, મારા આગળ તારો જીભનો જાદુ ચલાવીને મારા ધ્યેયમાંથી તું મને ડગાવીશ નહિ. હું બેપગો ઘોડો છું અને બચકું ભર્યા પછી માંસનો લોચો કાઢ્યા સિવાય મારાં જડબાંને પહોળાં કરી શકીશ નહિ. મારી ભીષ્મપ્રતિજ્ઞા સાંભળી લે, કાં તો તે નહિ અને કાં તો હું નહિ, સમજ્યો?’

આમ કહેતાં કેન્ટ અંકલનો નીચલો હોઠ ફરક્યો. મને સમજતાં વાર ન લાગી કે તેઓ ખરેખર ક્રોધાવેશમાં આવી ગયા હતા! મને તેમના ગુસ્સામાં તથ્ય પણ લાગ્યું, કેમ કે હું સમજી શકું છું કે જે માણસને ઉનાળાની રાત્રિની ઠંડક થયા પછીની ઘેરી ઊંઘ માણવાનો અનેરો લ્હાવો લેવાના બદલે એક કૂતરા પાછળ આખી રાત દોડાદોડી કરવી પડતી હોય તે આમ જ રીએક્ટ કરે!

‘કાકા મારા, હાલ તો તમારા સામે બેઠેલો હું તમારો દોસ્ત છું અને તમારો દુશ્મન તો તમારાથી છુપાઈને ક્યાંક ખૂણામાં ભરાઈ પેઠો હશે. મને ડર લાગે છે કે તમે મારા ઉપર તો ગુસ્સો નહિ ઠાલવો?’

‘એ  માટે તો તું નિશ્ચિંત રહેજે. કોર્ટના મુકદ્દમાઓમાં વકીલોને પ્રતિપક્ષના અસીલો કંઈ મારવા ધસી જતા નથી હોતા! હવે સીધી વાત ઉપર આવ અને તારો ઋણાનુબંધનો તુક્કો મને સમજાવ.’

‘જુઓ કેન્ટ અંકલ, તમે એક વાત તો સ્વીકારશો જ કે માનવજાતના ધર્મ અને માન્યતાઓના વિવાદોને વિજ્ઞાને ઉકેલી આપ્યા છે. હાલમાં માણસનું ડી.એન.એ. પારખવા અને સમજવા માટે ઘણાં સંશોધનો થઈ રહ્યાં છે. મારા એક કોલેજિયન મિત્રે માત્ર કુતૂહલ ખાતર તેનો ડી.એન.એ. ટેસ્ટ કરાવ્યો, તો તેના વડવાઓનું મૂળ સ્વીટઝર્લેન્ડ સુધી પહોંચ્યું. મેં તમને અનાયાસે કેન્ટ અંકલ તરીકે સંબોધવાનું શરૂ કર્યું, તેમાં પણ મને કુદરતનો ભેદ સમજાય છે કે તમારું મૂળ કેન્ટોના કોઈક દેશમાં હોવું જોઈએ. તમારું વિવાદિત કૂતરું બીજા કોઈ સાથે નહિ અને માત્ર તમારી સાથે જ સૂવાનો એક નિર્દોષ અધિકાર પામવા માટે આજે તેના જાનની બાજી ખેલી રહ્યું છે. તે કંઈ તમારી પાસે શેમ્પુથી સ્નાન કરાવાવા, કોટન બડ્ઝથી તેના કાન સાફ કરાવવા, નેઈલ કટરથી તેના નખ કપાવવા, મોંઘાંદાટ પેટ બિસ્કીટ્સ કે નોનવેજ ટીનપેક્સનો આહાર આરોગવા, ગળે પટ્ટો કે ચેઈનના શણગાર સજાવવા કે એવી કોઈપણ જાતની અપેક્ષા રાખતું નથી. મહેલ્લામાં કેટલાં ય માણસો છે, હારબંધ કેટલા ય ઢોલિયાઓ છે અને છતાં ય તમારા તરફ જ તે આકર્ષાય છે, તેને ઋણાનુબંધ નહિ કહો તો કયો બંધ કહેશો; ભાખરા-નાંગલ બંધ, નર્મદા બંધ કે ભાઈબંધ?’

કેન્ટ કાકો મારા છેલ્લા વિધાનથી બેવડ વળીને એવો ખડખડાટ હસ્યો કે તેમની આંખોમાં પાણી આવી ગયાં. તેમના હસવામાં હું ય ભળ્યો અને અમે બંને જણા કેટલા ય સમય સુધી પાગલોની જેમ હસતા રહ્યા. સદનસીબે અમારી એકાકી જગ્યા હતી, નહિ તો અમે લોકોના કુતૂહલનો વિષય બની રહેત!

છેવટે અમને હસવામાંથી કળ વળી, ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, ‘અલ્યા અસોકિયા, તું તો જીભનો જાદુગર નીકળ્યો! તેં  તારા અસીલ પરત્વેના મારા ગુસ્સાને એવો તો ઠંડો પાડી દીધો કે તે હવે બરફ બની ગયો છે. હવે હું તારા અસીલને અભયદાન તો આપીસ; પણ મને રસ પડ્યો છે, તારી ડી.એન.એ.વાળી વાતમાં!’

‘તમે માનો કે ન માનો પણ ડી.એન.એ.ના પ્રતાપે ઘણા સમુદાયોના ઘમંડ ઓગળી ગયા છે. અમારો દેશ, અમે જ અહીંના મૂળ રહેવાસી એવી ભ્રામક વાતોને બુદ્ધિજીવીઓએ સાચી રીતે સમજી લીધી છે. સંશોધનો તો એમ કહે છે કે નજીકના ભૂતકાળમાં પારસીઓએ જેમ ઈરાનથી ભારતમાં સ્થાનાંતર કર્યું તેમ અગાઉ કેટલા ય સમુદાયો અહીં આવી વસ્યા છે અને કેટલાયે પરદેશગમન કરી ચૂક્યા છે. ઉત્તર ભારતીય બધા આગંતુકો છે, અહીંના મૂળ વતનીઓ તો સાઉથ ઇન્ડિયન જ છે. હાલમાં પણ ગ્લોબલાઈઝેશન એવું નિમિત્ત બન્યું છે કે દુનિયાના મોટા ભાગના દેશો અમેરિકા કે ઈંગ્લેન્ડની જેમ વસાહતીઓના દેશ બની રહ્યા છે. કહેવાય છે કે આપણા રબારીબંધુઓ અરબસ્તાનથી અહીં આવી વસ્યા છે. સાઉદી અરેબિયાના બદ્દુઓ તરીકે ઓળખાતા એ ગ્રામ્યવિસ્તારના લોકોની રહેણીકરણી તેમના જેવી જ છે. એક સમુદાયે આપણા ત્યાં ઇજિપ્તથી આગમન કર્યું છે, તો બિચારા આફ્રિકનો ગુલામ બનીને વિદેશોમાં વેચાયા અને યુરોપ-અમેરિકાના વતની બન્યા. આપણા ત્યાં રાજસ્થાનના જેસલમેરમાં દરવર્ષે હિપ્પી જેવા જે વિદેશીઓ આવે છે, તેમનું માનવું છે કે તેમના પૂર્વજો અહીંના હતા.’

‘અલ્યા અસોક, તું તો ઘણું બધું જાણે છે. આ તારા ભણવામાં આવે છે કે તું બહારનું વાંચન કરે છે?’

‘કેન્ટ અંકલ, આ બધું મેં તમને હમણાં કહ્યું ને તે મારા મિત્ર પાસેથી સાંભળેલું છે. તે આ વિષયમાં ખૂબ ઊંડો ઊતર્યો છે. હવે મૂળ વાત ઉપર આવીએ. બોલો અંકલ, હવે આપણે પેલા આલ્શેશિયનનું શું કરવાનું છે?’

‘તું કહે તેમ, પણ એ મારા ભેગું સૂએ એ તો હરગિજ નહિ ચાલે. બીજું એ કે તેને ઘરમાં તો પ્રવેસવા ન જ દેવાય; કેમ કે તું તારી કાકીને સારી રીતે જાણે છે, એ અમને બેઉને ઘર બહાર તગેડી મૂકે.’ આમ બોલતાં કેન્ટ અંકલ મલકી પડ્યા.

‘તો વડીલ, એ શ્વાન મહારાજની તમારા સાથેની સહશયનની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, ખરું કે?’

‘હા, પણ એ ઉકેલ માત્ર અહિંસક નહિ જ નહિ, સદભાવપૂર્ણ પણ હોવો જોઈએ. આપણે તેને જાકારો નથી આપવો. તેને આપણા મહેલ્લાના તમામ નાગરિક અધિકાર મળી રહેવા જોઈએ અને મારા ભેગું ન સૂએ તે જ પ્રસ્ન હલ થવો જોઈએ.’

એવામાં સાતેક વર્ષનું એક છોકરું અમારી આગળથી પસાર થતું હતું. મેં તેને બોલાવીને પૂછ્યું, ‘દીકરા, તું આ ગરમીની રાત્રિઓમાં બહાર સૂએ છે કે?’

‘હા.’

‘હવે કોઈ કૂતરું તારા ભેગું વારંવાર આવીને સૂઈ જતું હોય તો તું શું કરે?’

‘શું કરવાનું, વળી? પથારી ઉપાડી લઈને ઘરમાં પંખા નીચે સૂઈ જવાનું!’ છોકરાએ ત્વરિત જવાબ આપી દીધો.

મેં કહ્યું, ‘જા બેટા, તારા ભેરુડાઓ સાથે રમ, હોં.’

એ છોકરાના ગયા પછી મેં સૂચક નજરે અને મલકતા મુખે  કેન્ટ અંકલ સામે જોયું. તેમણે ઊભા થઈને મારી પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું, ‘લુચ્ચા!’

e.mail : musawilliam@gmail.com

Loading

પ્રત્યેક ફેઈક એન્કાઉન્ટર, બંધારણીય મૂલ્યની હત્યા સમાન છે !

રમેશ સવાણી|Opinion - Opinion|26 May 2022

ફેઈક એન્કાઉન્ટર શા માટે થાય છે? સત્તાના વિચાર સાથે સહમત ન થાય તેનો કાંટો કાઢવામાં આવે છે, અને કાંટો કાઢનારને ફેઈક એન્કાઉન્ટરમાં ગોળી મારી પુરાવાનો નાશ કરવામાં આવે છે. ગુજરાતમાં પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાના હત્યારાને ફેઈક એન્કાઉન્ટરમાં કાયમ માટે ચૂપ કરવામાં આવેલ ! તુલસી પ્રજાપતિનું ફેઈક એન્કાઉન્ટર એટલે થયું કે તે સૌહરાબુદ્દીનના ફેઈક એન્કાઉન્ટરનું રહસ્ય જાણતો હતો, એટલે પુરાવાનો નાશ કરવાની જરૂર લાગી હતી. ફેઈક એન્કાઉન્ટરથી પોલીસ અધિકારીઓ અને મુખ્ય મંત્રી 56 ઈંચની છાતીવાળા બની જાય છે ! ફેઈક એન્કાઉન્ટર પોલીસને, વાહવાહી અને વીરતા ચંદ્રક / રાષ્ટ્રપતિ ચંદ્રક અપાવે છે. સત્તા પક્ષ પોતાની નબળાઈઓ છૂપાવવા અને લોકોનો ગુસ્સો શાંત કરવા ફેઈક એન્કાઉન્ટર કરાવે છે !

27 નવેમ્બર 2019ના રોજ, હૈદરાબાદમાં 27 વર્ષની વેટનરી ડોક્ટર દિશા ઉપર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ 4 આરોપીઓએ તેની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. દિશાને ન્યાય અપાવવા આખા દેશમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા. લોકોનું દબાણ વધતું જતું હતું. પોલીસે ટૂંકો રસ્તો લીધો. આરોપીઓ – મોહમ્મદ આરીફ / ચિંતાકુંતા ચેન્નાકેશાવુલૂ / જોલ્લૂ શિવા /જોલ્લૂ નવીનને 6 ડિસેમ્બર 2019ના રોજ, પોલીસે એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા ! તેલંગણા પોલીસના કહેવા મુજબ ગુનાવાળી જગ્યાએ સીન રી-ક્રિએટ કરવા આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમણે પોલીસના હથિયાર છીનવી લીધા અને નાસી જવાની કોશિશ કરી. જેથી નેશનલ હાઈવે 44 ઉપર આરોપીઓ સાથે મૂઠભેડ થઈ. અને ચારે ય આરોપીઓને ગોળી વાગતા તેમના મોત થયા. ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ તો સગીર હતા ! દેશના મોટા ભાગના લોકોએ આ એન્કાઉન્ટરની પ્રસંશા કરી હતી ! હૈદરાબાદમાં લોકોએ પોલીસ ઉપર ગુલાલ-વર્ષા / પુષ્પ-વર્ષા કરી હતી ! ફટાકડા ફોડ્યા. મહિલાઓએ પોલીસને રાખડી પણ બાંધી ! પોલીસ કમિશ્નર IPS વી.સી. સજ્જનાર હિરો બની ગયા ! તેમણે 2008માં, SP તરીકે પણ એન્કાઉન્ટર કર્યું હતું ! તેમનો ‘એન્કાઉન્ટર મેન’ તરીકે જયજયકાર થવા લાગ્યો !

નકલી નાયકો ભીડને ગમતા હોય છે ! બાબા રામદેવ / અનુપમ ખેર / સ્મૃતિ ઈરાની અને સત્તા પક્ષના બીજા નેતાઓએ એન્કાઉન્ટરનું સમર્થન કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે 6 ડિસેમ્બર 2019ના રોજ ટ્વિટ કરી ગર્વ કર્યો હતો કે 2 વરસમાં અમે 103 ગુનેગારોને મારી નાંખ્યાં છે ! પરંતુ કેટલાંક જાગૃત લોકોને તેમાં લોકતંત્ર અને ન્યાયિક વ્યવસ્થાની હત્યા થઈ છે તેવું લાગ્યું ! સુપ્રિમ કોર્ટનાં વકીલ અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ વૃંદા ગ્રોવરે પોલીસ સામે FIR નોંધવાની માંગણી કરી હતી, તેથી સુપ્રિમ કોર્ટે કમિશનની રચના કરી હતી. કમિશનમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ વી.એસ. સિરપુરકર / બોમ્બે હાઈકોર્ટનાં નિવૃત્ત જજ રેખા બાલદોતા અને CBIના પૂર્વ ડાયરેક્ટર ડી.આર. કાર્તિકેયન સામેલ હતાં. ‘સિરપુરકર કમિશને’ પોતાના 387 પેજના રિપોર્ટમાં આ એન્કાઉન્ટરને બનાવટી જાહેર કર્યું છે ! આ ફેઈક એન્કાઉન્ટરમાં સામેલ 10 પોલીસ અધિકારીઓ સામે IPC કલમ-302 (હત્યા); 201 (પુરાવાનો નાશ કરવો); 34 (સરખો ઇરાદો) સબબ કાર્યવાહી કરવા કમિશને ભલામણ કરી છે ! કમિશને નોંધ્યું છે કે ‘આરોપીઓ ઉપર જાણી જોઈને એવી રીતે ગોળીઓ મારી કે તેઓ મરી જાય. હથિયાર ઝૂંટવીને આરોપીઓ ભાગ્યા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો, તેના કોઈ પુરાવા નથી ! પોલીસ કમિશ્નર સજ્જનારે પ્રેસ કોન્ફરન્સ કરીને જે સ્ટોરી દર્શાવી હતી તે જૂઠી હતી !’ સુપ્રિમ કોર્ટે 20 મે 2022ના રોજ તેલંગણા હાઈકોર્ટને આગળની કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. એન્કાઉન્ટરના શોખીન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની માનસિકતા જૂઓ; પોતાના રાજ્યમાં હાથરસ કાંડમાં રેપ વિક્ટિમની લાશ મોડી રાત્રે પોલીસ સળગાવી મૂકે છે અને આરોપીના સમર્થનમાં જ્ઞાતિ પંચાયત ઠરાવો કરે છે; છતાં કોઈ કાનૂની કાર્યવાહી નહીં ! વિપક્ષ પ્રશ્નો ઉઠાવે તો રેડી મેઈડ આક્ષેપ કરે છે કે વિપક્ષ રાજનીતિ કરે છે !

મહિલા સંગઠનોનું કહેવું હતું કે ‘સરકાર અને પોલીસ; મહિલા સુરક્ષાના મુદ્દે નિષ્ફળ રહી છે. જે પોલીસ ટેવવશ પીડિત મહિલાને જ હેરાન કરતી હોય; FIR નોંધવામાં ઠાગાઠૈયા કરતી હોય; તે ચાર લાશો પર મહિલાઓની રક્ષક બનાવાનો દેખાડો કરી રહી છે ! મહિલાઓને સુરક્ષા જોઈએ, ન્યાય જોઈએ પરંતુ મહિલાઓના નામે અમે હત્યાઓ ઈચ્છતા નથી !’ જે લોકો ‘ત્વરિત ન્યાય’થી ખુશ થાય છે, તે ભૂલી જાય છે કે એક અન્યાયથી બીજા અન્યાયને દૂર કરી શકાય નહીં. એક હત્યા / બળાત્કારના કારણે બીજી હત્યા / બળાત્કાર ઉચિત ઠરાવી શકાય નહીં. એટલા માટે કાયદાઓ / અદાલતો ન્યાય માટે બનેલા છે, બદલા માટે નહીં ! નોંધી લો; કોઈ પોલીસ ઓફિસર એકથી વધુ એન્કાઉન્ટર કરે તો તેણે કરેલ બીજા સઘળા એન્કાઉન્ટર 100% ફેઈક હોય છે ! પ્રત્યેક ફેઈક એન્કાઉન્ટર, બંધારણીય મૂલ્યની હત્યા સમાન છે ! સવાલ એ છે કે શું બાબા રામદેવ / અનુપમ ખેર / સ્મૃતિ ઈરાની અને પોલીસ ઉપર ગુલાલ-વર્ષા / પુષ્પ-વર્ષા કરનાર ભોંઠા પડશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

હોવાપણાનાં ઓસાણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 May 2022

પ્રમુખીય

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં જોગાનુજોગ બે વાનાં એક સાથે બની આવ્યાં : અશોક વાજપેયી સુરેશ જોષી વ્યાખ્યાન સારુ વડોદરે હોવાના હતા અને વિષય પણ સોજ્જો એટલે કે એકદમ એકદમ સમસામયિક ચર્ચવાના હતા – લેખક ઔર સ્વતંત્રતા. ચિત્ત પણ રામ અમલમાં રાતુંમાતું હતું; કેમ કે કોરાના સહિતનાં કારણો ને પરિબળો સર કંઈક સ્થગિતવત્ પરિષદપ્રવૃત્તિ વર્ષા અડાલજા સાથેની મનહર મનભર સાંજની વાંસોવાંસ હવે નવઉઘાડને ઉંબરે હતી. એવામાં વડોદરા વ્યાખ્યાનના પૂર્વપ્રભાતે અશ્વિની બાપટની મુખપોથીમાં જોઉં છું તો સાર્ત્રનો નિબંધ પરચમની પેઠે લહેરાઈ રહ્યો છે, લેખકની જવાબદારી.

લેખક, પછી તે ગદ્યકાર હો કે પદ્યકાર, એનું દાયિત્વ પોતાના સમય માટે સમજ અને સંવેદનાને ધોરણે લખવાબોલવાનું તો બને જ ને. એની નિસબત સરળસોંસરીયે પ્રગટ થાય, અને સંકેતગર્ભા ધાટીએ પણ. હજુ તો પાધરું વરસે નથી થયું એ વાતને જ્યારે પારુલ ખખ્ખરે ‘શબવાહિની ગંગા’ થકી દાયિત્વનો સાક્ષાત્કાર કરાવ્યો હતો – અને ક્વચિત્ મુખર લાગે તો પણ કવિકંઠની એ કમાલની કરામત હતી કે હાન્સદાદાએ બાળમુખે જે સહજોદ્ગાર, ખરું જોતાં સત્યોદ્ગાર મૂક્યો હતો, પારુલે એની જવાબદારી ઇસુના વરસ 2021માં ‘હોય મરદ’ એને ભળાવવાપણું જોયું હતું.

સરકારે, કેમ કે તે સરકાર છે, આ રચના પ્રિન્ટ મીડિયામાં પ્રકાશ ન પામે એની ખાસી કાળજી લીધી તેમ સાંભળ્યું છે. સરકારમાત્રનાં હોર્મોન્સ ને જિન્સ જોતાં એની નવાઈ પણ ન હોય. પણ રાજ્યની સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ‘શબ્દસૃષ્ટિ’ની રાંગેથી લલકાર કીધો એ સમાનધર્મા હોઈ શકતા એક અક્ષરકર્મીને નાતે મને વરવું લાગ્યું હતું એટલું તો મારે દર્જ કરવું જ રહ્યું, જેટલું વિનય પુરસ્સર એટલું જ નિઃસંકોચ પણ.

આ રચનાના સમર્થકોમાં અકાદમી અધ્યક્ષે ‘કેન્દ્રવિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાનાં વિરોધી પરિબળો’ને જોયા, ને ‘લિટરરી નકસલો’ એવી એમના પર મહોર પણ મારી. વાચક જોશે કે અહીં ચોક્કસ સંદર્ભમાં ‘રાષ્ટ્રીય’ એ સંજ્ઞા ખપમાં લેવાઈ છે. આ સંજ્ઞાના સૂચિતાર્થ, ફલિતાર્થ, મથિતાર્થ વિશે – અભિધા, વ્યંજના, લક્ષણા કોઈ પણ છેડેથી – કશી ગેરસમજ ન રહે એવા વાચકવત્સલ અભિગમવશ એમણે ઉદ્ઘોષ પણ કીધો છે કે અકાદમી સાહિત્યની સંસ્થા છે અને તેનો હેતુ ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’નો છે. ટૂંકમાં, આ સાહિત્યસંસ્થા ચોક્કસ રાજકીય વિચારધારાને (જે રાજ્ય અને કેન્દ્રની સરકારી વિચારધારા છે, તેને) પ્રતિબદ્ધ છે. સાહિત્યની વ્યાખ્યા, સમજ અને પરખ અંતતો ગત્વા ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને આધીન છે.

તેમ છતાં, અહીં સુધી તો માનો કે સમજ્યા કે બધું બાવાહિન્દી ન્યાયે નભી ગયું; પણ ખટાકો ત્યારે બોલી ગયો જ્યારે પારુલની રચના સામે એમણે ગુજરાતી વિવેચનાના એક સર્વકાલીન સ્વરને ખડો કરવાની ચેષ્ટા કરી : “આનંદશંકર ધ્રુવે કહ્યું હતું તેમ કવિતા તો આત્માની કળા છે. ત્યાં તમામ રસોનો અંતિમ શાન્ત ભાવનો હોય છે…” આનંદશંકર મનદ્વિની પાટે આવ્યા અને એમણે ‘સુદર્શન’ સાહ્યું ત્યારે આ મતલબનું કહ્યું છે જરૂર. પણ આગળપાછળની વિગત તો કોઈ વાંચો જરી : “જે કવિતામાં ચૈતન્ય નથી અર્થાત્ જે વાચકને અમુક હકીકતની માહિતી માત્ર આપી જાય છે, પણ આત્મામાં ઊતરી જઈ અંતરનું ચલનવલન વા ચૈતન્યઘન સમત્વ ઉત્પન્ન કરી શકતી નથી, એ કવિતા જ નથી. એવી જડ કવિતા તો ભૂગોળ, તવારીખ, ‘કોષ્ટક’ના નામને જ પાત્ર છે. ‘જાનેવારી જાણજો ફેબ્રુઆરી ફરી હોય’ એ કવિતા નથી; ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ એ કવિતા છે.” (સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ શ્રેણી-3, ગુજરાત સાહિત્ય અકાદમી, 2001, પૃ. 4) અહીં ઉતાવળે કહેવાનું એટલું જ કે આનંદશંકરને અભીષ્ટ શાંતરસપર્યવસાયી રચના જેની સાથે બ્યૂગલ-નાદ જોડાયો છે તેવા જંગના બોગદામાંથીયે પસાર થતી હોઈ તો શકે.

નર્મદપંક્તિ સંભારતાં નરસિંહરાવનું એક નર્મદઅવલોકન સાંભરી આવ્યું પણ એની વાત લગીર રહીને. કાવ્યના નિકષરૂપે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ આગળ ધરાય છે તો ‘આત્માની કળા’ખ્યાત આલોચક આનંદશંકરને ‘રાષ્ટ્ર’ને મિશે પણ જરી સંભારી લઈએ તે ઠીક રહેશે. સાક્ષર ચન્દ્રશંકર પંડ્યાએ એક તબક્કે અજબગજબનો ઉપાડો લીધો હતોઃ “દલપતરામભાઈની કવિતામાં કે ગોવર્ધનભાઈના ગ્રંથોમાં જો આપણને રાષ્ટ્રભાવનાનું ચેતન જણાય નહીં તો આપણે હિંમતથી કહીશું કે એવા સાહિત્યથી આપણી ભૂખ ભાંગવાની નથી. મમ્મટની વ્યાખ્યાના ચોકઠામાં આપણું સાહિત્ય આવે કિંવા ન આવે અથવા રા. તનસુખરામભાઈની વેદાન્તની દૃષ્ટિ તેનો સ્વીકાર કરે કિંવા ન કરે, ને રા.બ. રમણભાઈ તેને કવિતા અને સાહિત્યની વર્ગણીમાં લે કે ન લે પણ આપણને તો હાલના સમયમાં રાષ્ટ્રીય ભાવના વિનાનું સાહિત્ય કેવળ નકામું છે.” (એજન, પૃ. 50) આનંદશંકર  આ સંદર્ભમાં માર્મિક પ્રશ્ન કરે છે : “… જગતના ઇતિહાસમાં કોઈ પણ સમય એવો જાણ્યામાં છે ખરો કે જેમાં રાષ્ટ્રજીવનની જ સઘળી કવિતા મંગાતી હોય અને રચાતી હોય? વળી સાહિત્યની કિંમત આંકતાં કોઈ પણ કાળ એવો જાણ્યામાં છે ખરો કે જ્યારે કાન્તના ‘વસંતવિજય’ જેવા કાવ્યને રાષ્ટ્રભાવનાને અભાવે શૂન્ય આંક આપવામાં આવ્યો હોય?” અહીં નોંધું કે આ ટિપ્પણી વખતે પહેલા વિશ્વયુદ્ધનો માહોલ છે, અને આનંદશંકર ઉમેરે છે, “ફાટતા ગોળા જેવી, ચારે તરફ વિનાશ વેરતી પણ તે સાથે જાતે પણ વિનાશ પામતી રાષ્ટ્રભાવનાની આવી ખોટી હિમાયત થતી જોઈ – અને તે આપણા જીવનને સર્વાંગસુંદર બનાવવા ઇચ્છતા સર્વતોમુખી સાક્ષરને હાથે, – એથી મને બહુ ખેદ થાય છે.” (એજન, પૃ. 52-53)

લેખકની સ્વતંત્રતા અને જવાબદારી સંબંધે ગુજરાતના વર્તમાન વિમર્શને અનુષંગે આ બધી ચર્ચા કરતે કરતે મેં સંકેત આપ્યો હતો તેમ નર્મદ વિશે નરસિંહરાવની નિરીક્ષાને સંભારવા ઇચ્છું છું. અવસર, 1915માં સુરતમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં નરસિંહરાવના અધ્યક્ષીય અભિભાષણનો છે. “સુરતનો હક સ્થાપવાને માત્ર એક નામ – મોટા અક્ષરે લખવાનું નામ – બસ છે, – નર્મદ કવિ.” આટલું કહ્યા પછી નભોદિ ‘સ્વદેશાભિમાન’ શબ્દ પહેલપ્રથમ પ્રયોજનાર નર્મદની પોતાને અભિમત વિશેષતા નિર્દેશે છે : “જે જમાનામાં કવિનો ધંધો તે ઉદરનિર્વાહનું સાધન ગણાઈ તે હીન ભાવનાની સાથે અવશ્ય જોડાયેલા કેટલા ય આત્મગૌરવવિરોધી ગુણો પ્રગટ થતા હતા, રાજ્યની સ્તુતિ, રાજ્યના અમલદારોની ખુશામત, એ હલકા ભાવોથી કવિતા બહુ બહુ વાર પ્રેરાતી હતી; સરસ્વતીને દેવીપદમાંથી ભ્રષ્ટ કરી દાસીપદ અપાતું હતું; તે જમાનામાં એ દેવીની અનન્ય ભાવથી – આત્મગૌરવના બળથી ઉત્તેજિત થઈ, દેશસેવાના ઉત્સાહથી ઊભરાઈ જઈ, આપણા ગુર્જર સાહિત્યક્ષેત્રમાં સેવા કરનાર નર એક નર્મદ જ હતો. કવિ તરીકે એનામાં ઘણી ઊનતાઓ હશે; ભલે, તે આપણો પ્રશ્ન નથી. પણ ઉપર દર્શાવેલા ગુણોથી સાહિત્યસેવાને ગૌરવને ગૂંગળાવનારા રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકનાર કવિ નર્મદાશંકર આ સુરત શહેરના ઇતિહાસમાં અસાધારણ દીપ્તિથી દીપનાર નક્ષત્ર તરીકે આપણા સાહિત્યમંડળના વ્યોમમાં ચિરકાળ સ્થિર રહેશે.” (પરિષદ-પ્રમુખોનાં ભાષણો, ભાગ પહેલો, ગુજરાતી સાહિત્ય પરિષદ, બીજી આવૃત્તિ, 1974, પૃ. 121-122)

હાડના લિબરલ આપણા આ બે પૂર્વસૂરિઓ, નરસિંહરાવ ને આનંદશંકર, એમની વાત સમજાય છે જરી? વાત આ કિસ્સામાં જો કે ખાસ કરીને આનંદશંકરની, કેમ કે એમને બચાડાને અમથા જ સાહેદીમાં સંડોવવામાં આવ્યા છે. રાષ્ટ્ર નામનો ‘અતિ’ – અને તે પણ સાહિત્યનિકષ તરીકે, એમને અક્ષરશઃ એટલે કે અક્ષરશઃ અગ્રાહ્ય છે. અને હા, નરસિંહરાવની નરવી નજરે નર્મદભૂમિકાની એ વિશેષતા સહૃદય સાહિત્યસેવીમાત્રે સમજવી રહે છે કે સાહિત્યસેવાને રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકી આપવાપણું છે.

સરકાર અને રાજદરબારથી હટી જ્યારે જનમોઝાર આવવાનું બને છે ત્યારે અક્ષરજીવન અને જાહેરજીવન વચ્ચેની સાર્થક આપલેની આ પરંપરા સર્જનાને સારુ અલબત્ત અગરાજ નથી. ફરી આનંદશંકર પાસે જઈશું જરી? 1928માં નડિયાદમાં એમના પ્રમુખપદે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી ત્યારે ચરોતરને ધન્યવાદ આપતાં એમણે ઔપચારિકતા ઓળાંડી જઈ જે કહ્યું હતું તે સંભારવું અહીં લાજિમ છે : “આ પરિષદ ધાર્યા પ્રમાણે તેમ જ ધારા પ્રમાણે વખતસર મેળવી શકાઈ નહિ તેમાં નડિયાદનો દોષ નથી; બલકે વિલંબનું કારણ જોતાં નડિયાદ આપણા અભિનંદનને પાત્ર છે. ગયા વર્ષની રેલમાં અને આ વર્ષના બારડોલી પ્રકરણમાં ચરોતરે અને એના કેન્દ્રભૂત નડિયાદે જે દેશસેવા કરી છે, એમાં ઉત્સાહ, પરાક્રમ, ધૈર્ય, સંયમ, બન્ધુસેવા આદિ ઉદાત્ત ગુણોના આવિષ્કારથી ગુજરાતના જીવનને એણે વધારે તેજસ્વી કર્યું છે, અને જે ઉપાદાનકારણથી સાહિત્ય બને છે એમાં સત્ત્વ પ્રેરી સાહિત્ય પરિષદ મેળવવી એના કરતાં જરા પણ ન્યૂન નહીં એવી સાહિત્યસેવા આ બે વર્ષથી ચરોતર બજાવી રહ્યું છે. એ સેવા માટે તેને ધન્યવાદ હો!” (એજન, પૃ. 349)

પશ્ચિમની બૌદ્ધિક પરંપરામાં દાયિત્વ અને પ્રતિબદ્ધતાના જે ખયાલો છે, આપણે ત્યાં હાલ અશોક વાજપેયી આદિ જે ધીંગી પરંપરામાં પોતપોતાની ગતિમતિરીતિએ ચાલી રહ્યા છે એની ચર્ચા થતી રહે છે, અને થશે. વાજપેયીના ભાષણનો પૂરો પાઠ (ગુજરાતી અનુવાદમાં) ‘પરબ’ વાટે સુલભ થવામાં છે. અહીં ઉતાવળે પણ પરિષદપરંપરાનો કંઈક આછોપાતળો ખયાલ આપવાની કોશિશ કરી છે … આપણને આપણા હોવાપણાનાં ઓસાણ કદાપિ ન છૂટો.

મે 1, 2022

[પ્રગટ : “પરબ”, મે 2022] 

Loading

...102030...1,4761,4771,4781,479...1,4901,5001,510...

Search by

Opinion

  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved