Opinion Magazine
Number of visits: 9569943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘઉંની નિકાસબંધી : ખેડૂત, ગ્રાહક અને સરકારનું ત્રાજવું

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 June 2022

ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર ૧૩મી મેથી પ્રતિબંધ મૂક્યો. લોકોને પડવાની અગવડનો વિચાર કર્યા વિના ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરવા માટે ટેવાયેલી સરકારે એનાં પગલાંથી જે પ્રશ્નો ઊભા થશે, તેનો વિચાર કર્યો નહીં. ઘઉંની નિકાસના જે સોદા થઈ ગયા હોય, એનો અમલ થાય એ સ્વાભાવિક છે. સરકારના હુકમને કારણે ઘઉંની ટ્રકો કંડલા બંદરે એકઠી થઈ ગઈ, ત્યારે સરકારને ખ્યાલ આવ્યો. પછી સરકારને કેટલીક છૂટછાટો આપવી પડી.

ઘઉંની નિકાસબંધી ફરમાવા પાછળની પરિસ્થિતિ સ્પષ્ટ છે. ઘઉંનું ઉત્પાદન ધાર્યા કરતાં ઘણું ઓછું થવાની સંભાવના ઊભી થઈ છે. કારણ કે દેશમાં ઉનાળો જલદી બેસી ગયો અને એને કારણે ઉત્તરનાં રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન ઘટી જશે. એ નિશ્ચિત છે. આ સંજોગોમાં સરકાર બજારમાંથી જે ઘઉં ખરીદે છે, એમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. ગયા વર્ષે ૪૩ કરોડ ટન ઘઉં સરકાર દ્વારા ખરીદવામાં આવ્યા હતાં. આ વર્ષે બે કરોડ ટન ઘઉં ખરીદવાની સંભાવના છે. સરકાર જે વિવિધ યોજનાઓ હેઠળ સસ્તા ભાવે અનાજ વહેંચે છે એમાં ઘઉં અને ચોખા મુખ્ય છે. એમાં ઘઉં પૂરતા મળવાની સંભાવના નથી, તેથી ઘઉંની નિકાસની મનાઈ ફરમાવીને સરકારે ઘઉંના ઉત્પાદનને દેશ માટે સુરક્ષિત રાખ્યું છે. આમ કરીને એણે ખેડૂતોને અન્યાય કર્યો છે. નિકાસબંધીના અભાવમાં ખેડૂતોને ઘઉંના ઊંચા ભાવો મળ્યા હોત પણ સરકાર ગ્રાહકોના હિતનો જ વિચાર કરે છે. ગ્રાહકોને સંતોષવાની નીતિ સરકારની રહી છે. અનાજનો ભાવવધારો લોકો સહી લેતાં નથી એને કારણે અનાજના ભાવો વધતાં સરકાર બે પ્રકારનાં પગલાં ભરે છે. એક, વેપારીઓ અનાજનો કેટલો જથ્થો સંગ્રહી શકે એનું નિયમન કરવામાં આવે છે. બે, જો અનાજની નિકાસ થતી હોય તો તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં ડુંગળીનાં ભાવોમાં મોટો વધારો થયો ત્યારે તેની વિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારની આ નીતિ ખેડૂતો માટે અહિતકર છે. તેમને પ્રમાણમાં ઓછા ભાવો મળે છે. મોટા ભાગના દેશોમાં સરકાર ખેડૂતોને ઊંચા ભાવ મળવા દે છે. કેટલાક મોટા દેશોમાં આવી ખેડૂત વિરોધી નીતિ અપનાવવામાં આવે છે. ભારત એમાંનો એક દેશ છે.

આ દાખલામાં સરકાર પાસે કેટલાક વિકલ્પો હતાં : એક, સરકાર બોનસ રૂપે ખેડૂતોને વધારે કિંમત ચૂકવી શકી હોત અથવા નિકાસ માટે ભારતમાં ઘઉંના ભાવો નિકાસ માટે અનાકર્ષક બની જાય. બે, સરકાર એની યોજનાઓ માટે વધારે પ્રમાણમાં ચોખા આવી શકે.

ઘઉંના ઊંચા ભાવો નક્કી કરી શકી હોત, જેથી વેપારનીતિ તરીકે પણ આ નીતી ચાલી શકે નહીં. આનો અર્થ એવો થાય કે ભારતમાંથી અનાજની આયાત વિશ્વાસપાત્ર નથી. લાંબા ગાળાની નીતિ માટે આ પ્રતિકૂળ છાપ છે. કોઈ પણ દેશ આ રીતે કૃષિ-પેદાશ ભારતમાંથી ખરીદવા પ્રેરાય નહીં. આપણે કામચલાઉ ધોરણે જ ખેતપેદાશોની પુરાંત હોય, એની નિકાસ કરી શકીએ, એ માટે ભારતમાંથી પુરવઠો નિયમિત રીતે મળશે, એવો વિશ્વાસ જરૂરી છે.

આમે ય, બજારમાં ભાવો વધતાં ભારતમાં ઘઉંના ભાવો વધ્યા હોત અને ઓછા સ્પર્ધાત્મક બન્યા હોત. ટૂંકમાં, સરકારે આવા દાખલાઓમાં નિકાસ પર પ્રતિબંધ મુકવાને બદલે બજારવાદી પગલાં ભરવાં જોઈએ અને એ રીતે અનાજની અછતનો લાભ ખેડૂતોને મળતો હોય, તો મળવા દેવો જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 05

Loading

સ્થાનિક પોલીસ–કાર્યાલયને એક પત્ર*

જૂન જૉર્ડન [અનુવાદક - અશ્વિની બાપટ]|Poetry|1 June 2022

માનનીય અધિકારીસાહેબોને,
આપને માલૂમ થાય કે છેલ્લા ત્રણ મહિનાઓથી
એક પણ અપવાદ વિના
હું, આપણા સમાજના
કાયદાકાનૂનની નિશ્રામાં
સુખેથી જીવી રહ્યો છું,
એટલે કે
હું જ્યારથી મારાં પત્ની, અમારી બે બિલાડીઓ અને
જેમની સાથે ઘરોબો હતો, તે અમારા જૂના પાડોશીનાં
છ પૌત્ર-પૌત્રીઓના ફોટાઓ સહિત
અહીં, તમારા રાજમાં સદા આબાદ રહેતા સેરેટોગા સ્પ્રિંગ્સમાં,
રહેવા આવ્યો છું ત્યારથી.
ખરું કહું તો, ગઈ કાલે બપોર સુધી મારી સતત ચાંપતી નજર હોવા છતાં
મારી ભાળમાં એવી કોઈ ઘટના મળી ન હતી કે
જેને કારણે સાર્વજનિક નિસબતની વાત છેડવી પડે.
તો પછી, આજ દિનાંકે, એવા ક્યા ખેદજનક સંજોગોએ
આમ ભારે હૈયે તમારા કાર્યાલયને પત્ર લખવા મને મજબૂર કર્યો છે
તે તમોને જણાવવું ઘટે.
હું સીધો આજના મુદ્દા પર જ આવું :
તાજેતરમાં અમુક અજાણ્યાં ગુલાબનો વધતો વસ્તાર નજરે ચડ્યો છે. નૉર્થ વેની પશ્ચિમે
લગભગ પા માઈલ દક્ષિણ તરફ
કોઈ પણ દેખીતાં કારણ વગર કે કશા ય હેતુ વિના
તદ્દન અનિયંત્રિતપણે ઊગી આવ્યાં છે એ અઢળક ગુલાબ.
ચોકસાઈથી કહું તો ઉપર જણાવેલ તેવાં
હજારોની સંખ્યામાં આ ગુલાબ અદ્દલ હુલ્લડોમાં હોય તેવી અરાજકતાથી
તેમના બેઢંગ અવિવેકી રંગો દ્વારા કેર વર્તાવી રહ્યાં છે
ને તેમની સ્વચ્છંદી વર્ણસંકર વ્યભિચારી પ્રજાતિઓનું વૈવિધ્ય તો ઈશ્વર જ ઉકેલી શકે.
આ ગુલાબ ભલે કોઈ પણ કૂળ-મૂળનાં હોય,
કે કોઈ પણ સ્વાભાવિક વૃત્તિનાં, વયનાં કે રંગનાં હોય 
તાલીમ પામેલાં હોય કે ન હોય,
આ ગુલાબ વિશિષ્ટ વર્ગીકરણ, વર્ણાનુક્રમ, નિષ્ઠા, આભડછેટ કે અન્યોની જરૂરિયાતો માટેની પરવાહ
જેવાં લક્ષણો ધરાવતાં નથી ને
સભ્યતાનો છાંટો ય દર્શાવતાં નથી.
એક વાત પર ધ્યાન દોરું ?
આ કૉલોની પસંદ કરવામાં મેં જોઈએ તેવી કાળજી લીધી નહીં,
થાપ ખાઈ ગયો છું.
બાળકો એકલાં હોય કે કોઈની સાથે હોય, તેમની નજરે પડે તેમ
ઉઘાડેછોગ ફાલી રહ્યાં છે આ અજાણ્યાં ગુલાબ.

(મારાં પત્નીએ પણ એક નોંધ મૂકવા કહ્યું છે તે એ કે નેલ્સન ઍન્ડ મેઇનના નાકે ચંદ્રપ્રકાશમાં ખીલતાં મધુમતીનાં ફૂલો પણ ભલે મૌસમી હોય, તેમના પણ મદોન્મત વ્યભિચાર જોવા મળેલ છે. જો કે મારાં પત્ની જ જાતે તમોને આ વિશે લખવાનાં છે. તમારે માટે એક વધારાનું કામ.)

મને ખાતરી છે કે ઉપર્યુક્ત વિષય સંદર્ભે જેનો જિકર કર્યો છે, તે ગુલાબો સામે આપ કાયદેસર પગલાં લેશો.

આ બાબતમાં આપને મારી કોઈ પણ મદદ જોઈતી હોય, તો મારો સંપર્ક કરતાં અચકાશો નહીં.

લિ.

આપનો વિશ્વાસુ,

* મૂળ અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘પેશન’માંથી, અનુવાદક – અશ્વિની બાપટ 

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 15

Loading

ગીતાંજલિ શ્રીને બૂકર પારિતોષિક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 June 2022

અવસર

ગીતાંજલિ શ્રી કૃત ‘રેત સમાધિ’ નવલકથાને બુકર પારિતોષિક મળ્યું એ કેવળ હિંદીજગત માટે જ નહીં ભારતીય સાહિત્ય સમસ્ત માટે ગૌરવપ્રદ ઘટના છે, અને સવિશેષ એક અર્થમાં ગુજરાત માટે પણ.

સુધીર ચંદ્ર અને ગીતાંજલિ શ્રી એ દંપતી ગુજરાતના વિદ્યાજગતના એક હિસ્સાને ઠીકઠીક પરિચિત છે. સુરતના સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ સાથે એમનો સુદીર્ઘ સમ્બન્ધ અને એ અરસામાં ગુજરાતી સાહિત્ય સંદર્ભે નોંધપાત્ર નવ્ય તપાસ એ જો સુધીર ચંદ્રનો વિશેષ છે તો ગીતાંજલિ શ્રીએ સેન્ટરમાં નિભાવેલ સ્વાધ્યાય દાયિત્વ અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘સોશિયલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રૅન્ડ્‌ઝ ઈન કોલોનિયલ ઈન્ડિયા : અ સ્ટડી ઑફ પ્રેમચંદ’નું એમનું ડૉક્ટરલ કામ પણ નોંધપાત્ર છે.

એક સરસ જોગાનુજોગ હમણાં વડોદરાના જ શકીલ કાદરીની નોંધ વાટે સામે આવ્યો : ૧૯૮૦માં ‘હંસ’માં પ્રકાશિત એક વાર્તા એમણે ગુજરાતીમાં શિરીષ પંચાલના સૂચનથી ઉતારી હતી. એ આપણાં ગીતાંજલિ શ્રીની પ્રથમ વાર્તા હતી.

‘હમારા શહર, ઉસ બરસ’ એ એમની નવલકથા સરૂપ ધ્રુવે આ દિવસોમાં સંભારી છે. લેખિકા ગીતાંજલિ સાથેનો મારો કિંચિત્‌ પરિચય પણ આ નવલકથા નિમિત્તે જ છે. બહોળી રીતે જોતાં અને જાડી રીતે કહેતાં બાબરી ઘટના અને ગુજરાત પ્રકારના કોમી વિધ્વંસક માહોલની એ કથા છે.

‘રેત સમાધિ’(‘ટુમ્બ ઑફ સેન્ડ’)ની બુઝુર્ગ નાયિકા ચંદ્રપ્રભા પતિના અવસાન પછી ભાંગી પડેલી મનઃસ્થિતિમાં પોતે જ્યાંથી ક્યારેક હિજરત કરી હિંદ આવી હતી તે પાકિસ્તાનમાં તે કાળના પ્રેમી અનવરની શોધમાં નીકળી પડે છે. એને એક કિન્નરનો સાથ છે. વિભાજન વેળાનો આઘાત, પ્રેમીથી છૂટાં પડ્યાંનો આઘાત, પતિના અવસાનનો આઘાત, આ બધા વચ્ચે તે કોઈક સમાધાન શોધવા મથે છે. એકાધિક લિંગ, એકાધિક ધર્મ, કુટુંબ અને દેશ આ બધી બહુસ્તરીય દાસ્તાં કંઈક નર્મમર્મ, કંઈક કટુતા-તિક્તતા સાથે ચાલે છે.

બુકર પારિતોષિક માટેની જ્યુરીએ આ નવલકથાને “Urgent and timely protest against the destructive impact of borders and boundaries whether between religions, countries or genders” તરીકે ઓળખાવી છે, અને ‘irresistible’ કહી છે.

ગીતાંજલિ શ્રીની આ અને અન્ય નવલકથાઓ વિશે તેમ બીજા સ્વાધ્યાયવિશેષો વિશે યથાપ્રસંગ નિરાંતે અને વિગતે લખાશે. પણ હમણાં તો બેત્રણ વ્યાપક અવલોકનો કરું તે લાજિમ લેખાશે.

યોગ્ય રીતે જ બુકર ઘટનાને કેવળ હિંદી જ નહીં પણ સમગ્ર ભારતીય સાહિત્યની સિદ્ધિ તરીકે આ દિવસોમાં વર્ણવાઈ છે ત્યારે નોંધવું જોઈએ કે અંગ્રેજી સિવાયની કોઈ ભારતીય ભાષાની કૃતિને બુકર પારિતોષિક મળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. હિંદી મૂળના કહી શકાય એવા નાયપોલને કે હિંદનાં જ અરુંધતી રોય આદિને આ માન જરૂર મળ્યું છે, પણ તે તો સીધાં અંગ્રેજીમાં લખનારાં છે.

આવે વખતે ‘જય હો’ કરતી એકદમ ટિ્‌વટતર્રાર પેશ આવતી ભારત સરકાર મોળી ને મોડી પડી એ પણ નિરીક્ષકોએ નોંધ્યું છે. જાહેરાતના છેક ચોવીસ કલાક પછી વડા પ્રધાને તો નહીં પણ રાજ્ય સ્તરના કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ એકાદું ટિ્‌વટડું કીધું પણ હોજે ગયેલું બુંદે આવ્યું જાણ્યું નથી. કારણ અલબત્ત સમજાય એવું છે, અને તે એ કે જે રાજકીય વિચારધારાકીય સમ્પ્રદાય હાલની કેન્દ્ર સરકારનો છે એને ગીતાંજલિ શ્રીની સ્વતંત્ર સર્જનરમણા સોરવાતી નથી.

પણ ગીતાંજલિ શ્રી તો તમને કહેશે કે “આપ અપને સમાજ ઔર ઇતિહાસસે જુડે હૈ તો યે મુદ્દે આપ કે જીવનકા હિસ્સા હૈ. સાહિત્યિક કૃતિકી માંગ હૈ તો વહાં ભી યહ સહજ આ જાયેંગે.”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 16 

Loading

...102030...1,4671,4681,4691,470...1,4801,4901,500...

Search by

Opinion

  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved