Opinion Magazine
Number of visits: 9671272
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખોટા વિચારો ધરાવનાર કરોડો લોકો છે; એને સજા કોણ કરશે?

રમેશ સવાણી|Opinion - Opinion|30 July 2022

સગી દીકરી પિતાને સજા કરાવે? શા માટે કરાવે? આવી ઘટના પાછળ કોણ જવાબદાર? ઉત્તર પ્રદેશના બુલંદશહેરની એક ઘટના સમાજની આંખ ખોલનારી છે.

તાન્યા (14) અને લતિકા (12) સગીર બહેનો હતી. 14 જૂન 2016ના રોજ, તેના પિતા મનોજ બંસલે, બન્ને દીકરીઓની માતા અનુ બંસલને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી ! બન્ને બહેનોએ આ ઘટના નજરે નિહાળી હતી; તેમણે નક્કી કર્યું કે માતા છીનવી લેનાર પિતાને સજા થવી જોઈએ ! બન્ને બહેનોએ પોતાના રક્તથી એક પત્ર  તત્કાલીન મુખ્ય મંત્રી અખિલેશ યાદવને લખ્યો. તપાસ થઈ. 27 જુલાઈ 2022ના રોજ પિતાને આજીવન કેદની સજા થઈ ! સવાલ એ છે કે શા માટે પિતાએ બન્ને સગીર દીકરીઓની માતા છીનવી લીધી? મનોજ બંસલના લગ્ન 2000માં અનુ સાથે થયા હતા; લગ્ન બાદ બે પુત્રીઓ જન્મી; મનોજને પુત્રની તમન્ના હતી; મનોજે પાંચ વખત લિંગ તપાસ કરાવી અને પાંચ વખત ગર્ભપાત કરાવ્યો હતો ! અનુએ પુત્રને જન્મ ન આપ્યો તે વાંક સબબ મનોજ બંસલે, આ ક્રૂર પગલું ભર્યું હતું !

મોટો સવાલ એ છે કે પુત્રની જ તમન્ના કેમ? પુત્રી તો લગ્ન થાય એટલે જતી રહે; પુત્ર હોય તો વૃદ્ધાવસ્થામાં સહારો મળે / પુત્ર હોય તો વંશ આગળ વધે / પુત્રી હોય તો દહેજ આપવું પડે, પુત્ર હોય તો દહેજ મળે / પુત્રી હોય તો સામાજિક અસુરક્ષાની ચિંતા રહે વગેરે કારણો ભાગ ભજવે છે ! આપણા ધર્મગ્રંથો / ધર્મગુરુઓ પુત્રનું મહત્ત્વ દર્શાવે છે; એટલે લોકાના મગજમાં પુત્ર-ઘેલછા ઘૂસી ગઈ છે ! પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે “એવી કન્યા સાથે લગ્ન ન કરવા; જેને ભાઈ ન હોય !” આપણા જ્યોતિષીઓ ‘પુત્રપ્રાપ્તિ યોગ’ની વિધિઓ કરે છે ! પુત્રપ્રાપ્તિ માટે કડવા ચૌથ વ્રત / પુત્રેષ્ટિયજ્ઞ કરવામાં આવે છે ! રાજા દશરથે પુત્રેષ્ટિયજ્ઞ કરેલ; જેથી રામ / લક્ષ્મણ / ભરત / શત્રુઘ્નનો જન્મ થયેલ ! ગરુડ પુરાણમાં પુત્રપ્રાપ્તિની વિગતો છે ! મનુસ્મૃતિ (9 / 138) કહે છે કે પુત્ર, નરકથી બચાવે છે તેથી પુત્રની કામના લોકો કરે છે ! માન્યતા એવી છે કે મૃત્યુ બાદ દાહસંસ્કાર / પિંડદાન / દર વર્ષે શ્રાદ્ધ વગેરે વિધિ પુત્ર ન કરે તો જીવાત્માની મુક્તિ થતી નથી ! દેવી ભાગવતમાં લખ્યું છે કે ‘अपुत्रस्य गतिर्नास्ति स्वर्गे वेदविदोविदु:’ એટલે કે પુત્ર વિના માનવની સદ્દગતિ થતી નથી, એવું વેદવેત્તા દેવતાઓએ નક્કી કરેલ છે !

પુત્ર, વંશ આગળ લઈ જાય; DNA-Deoxyribonucleic acid આગળ લઈ જાય; તો પુત્રી પણ DNA આગળ લઈ જાય છે; છતાં ધાર્મિક કારણસર પુત્ર-ઘેલછા જોવા મળે છે ! યૂટ્યુબ ઉપર પુત્રપ્રાપ્તિના વીડિયો અઢળક છે ! તેમાં જાત જાતના દાવાઓ / ઉપાયો દર્શાવેલ છે. એક દાવો એવો છે કે ગર્ભધારણ બાદ અમુક વિધિઓ કરવાથી લિંગ પરિવર્તન થઈ જાય છે ! આવા વીડિયો લાખો લોકો જૂએ છે ! એટલે કે લોકોમાં પુત્ર-ઈચ્છા જબરજસ્ત છે; તેનો ખ્યાલ આવે છે ! પુત્ર થશે કે પુત્રી તે ફર્ટિલાઈઝેશન સમયે નક્કી થાય છે; તે પહેલા કે બાદમાં નહીં ! ‘XX’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્રી; અને ‘XY’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્ર જન્મે ! પુરષના સ્પર્મમાં; X ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રીની અને પુરષના સ્પર્મમાં Y ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રની શક્યતા વધારે રહે છે. મતલબ કે પુત્ર કે પુત્રી જન્મે તે માટે પુરુષ જવાબદાર છે; સ્ત્રી નહીં. તેમાં વ્રત / યજ્ઞ / ગ્રહ / જ્યોતિષ / ધાર્મિકગ્રંથો કોઈ ભૂમિકા ભજવી શકે નહીં ! મનોજ બંસલને સજા થઈ; પરંતુ તેમના જેવા ખોટા વિચારો ધરાવનાર કરોડો લોકો છે; એને સજા કોણ કરશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અજાણ્યા શહેરમાં ‘એ’ લોકો વચ્ચે રહેવાના અનુભવ …

સુજાત પ્રજાપતિ|Opinion - Opinion|29 July 2022

મને આ વરસના ફેબ્રુઆરી મહિનામાં નોકરી મળી, અને પોસ્ટિંગ મારા વતનથી બસો કિલોમીટર દૂર નવસારીમાં આવ્યું. મારે એ પહેલાં કદી ત્યાં જવાનું બન્યું નહોતું. નોકરીમાં હાજર થયો ત્યારે ત્યાં રોકાણની કશી આગોતરી તૈયારી કરીને ગયો નહોતો, કારણ કે હોદ્દાને લઈને હું સર્કિટ હાઉસમાં રહી શકવાને પાત્ર થઈ ગયો હતો, અને ત્યાં રહેવાનો અભરખો પણ હતો.

વિચાર એવો કે થોડા દિવસ ત્યાં રોકાઈને પછી ભાડેથી રહેવા કોઇ ઘર શોધી લઈશ. ત્યાં ગયા પછી ખબર પડી કે સમારકામ ચાલતું હોવાથી સર્કિટ હાઉસમાં રહેવાની મંજૂરી આપતા નહોતા. સરકારી મકાન માટે તપાસ કરતા માલૂમ પડ્યું કે નવા મકાનો બનીને તૈયાર છે, અને ઉદ્દઘાટન થયા પછી ફાળવણી થતાં જ મને મળી જશે.

મેં જોયું કે બહુ તો એકાદ મહિનામાં મકાન મળી જાય એમ છે. હું વિચારતો હતો કે થોડા દિવસ હોટલમાં રહીને કાઢી નાખું, એટલામાં ઓફિસના એક ભાઈએ પ્રસ્તાવ મૂક્યો : “હું ઘરે એકલા જ રહું છું. હોટલનો નકામો ખર્ચ ટાળવો હોય તો મારા ઘરે જ આવી જાવ.” મને એમની વાત ગમી, અને થોડા દિવસ એમને ત્યાં રોકાવાનું નક્કી કર્યું. એ ભાઈનું નામ નૌશાદ હતું.

એ મને એમના ફ્લેટ પર લઈ ગયા. એમનો રૂમ ત્રીજા માળે હતો. બિલ્ડિંગમાં નીચે ફ્લેટ નંબર પ્રમાણે નેમ પ્લેટ લગાવેલી હતી. મેં એ વાંચી, ત્યાં નામ આ મુજબના હતા : યાકૂબ, અકબર, સાદિક, અસલમ, વગેરે. આજુબાજુમાં સોસાયટીનાં મકાનો, હોટલ્સ, દુકાનો બધું મુસ્લિમ લોકોની માલિકીનું હતું. પહેલી વાર મારે આ પ્રકારના અજાણ્યા વિસ્તારમાં રહેવાનું હતું. ૧૯૪૭માં કોલકત્તામાં કોમી રમખાણો વખતે ગાંધીજી સુહરાવર્દી સાહેબને ત્યાં ઊતરેલા એવું વાંચેલું તે મને યાદ આવ્યું. અહીં તો એવો કોઇ માહોલ પણ નહોતો. મને સંકોચ ઓછો, ને રોમાંચ વધુ થયો.

નૌશાદભાઈ પોતે મારી ઉંમરના, પણ પરિણીત હતા. એમનો પરિવાર પાલનપુર રહે, અને એ પોતે પણ ત્યાં બદલી થાય એની આશામાં પરિવારને અહીં લઈ આવવાને બદલે પોતે એકલા દિવસો કાઢતા હતા. તેઓ જમવાનું બહાર ગુજરાતી લોજમાં જમતા. હું તેમની સાથે જોડાતો થયો એટલે તેમણે યજમાન તરીકે નજીકની કેટલીક ફેન્સી હોટલ્સમાં મને લઈને જવાનું શરૂ કર્યું. પણ રોજેરોજ તો એવું જમવાની મજા આવે નહિ અને મોંઘું પણ પડે. થોડા જ દિવસોમાં હું તેમની સાથે લોજ પર જતો થઈ ગયો. જમતી વખતે ઓફિસના કેટલાક કિસ્સાઓ, કર્મચારીઓની લાક્ષણિકતાઓ, વગેરેને લગતી વાતો થતી. રાતે જમ્યા પછી તે એમનું એક્ટિવા થોડું ફેરવીને મને એકાદ નવા વિસ્તારની સહેલ કરાવતા. એ રીતે હું શહેરને પણ થોડું એક્સપ્લોર કરવા લાગ્યો. રાત્રે ઘરે આવીને ક્યારેક પારિવારિક તો ક્યારેક એમના બાળપણના મિત્રોની નિરાંતે વાતો થતી. હું આમ એટલો પોચો માણસ કે ઘર છોડીને એકલા રહેવાનું આવ્યું એટલે આંખના ખૂણાં જાણે કે ભીનાં જ રહેતાં … બસ કોઇ ખભે હાથ મૂકે કે આંખો દદડી પડશે. તો ય એમની સાથે રહીને મને મજા આવવા લાગી, એકલતા ભૂલાતી ચાલી.

ફ્લેટમાં નીચેના માળે નૌશાદભાઈનાં સગાં પણ રહેતાં. શરૂઆતમાં તેઓ મારી સાથે બહુ વાત કરતા નહિ. મારું ત્યાં રહેવા આવવું તેમને ન ગમ્યું હોય, અને મને શંકાની નજરે જોતા હોય તેમ મને લાગતું. પણ થોડા દિવસો પછી એ નજરો પણ બદલાઈ ગયેલી અનુભવી. દરમ્યાન મારા સરકારી મકાનની રાહ જોતા-જોતા મહિનાઓ નીકળ્યા અને ચોમાસું આવી ગયું. આ વર્ષે નવસારીમાં પહેલાં કદી ન થયો હોય એટલો વરસાદ થયો. અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને અવરજવર બંધ થઈ ગઈ. એ સમયે તેઓ મનમાં કશા ભાર વિના સહજ રીતે જ મને જમવાનું બનાવીને આપી જતાં. પૂરની તકલીફો વિશે અમારે થોડી વાત થતી. એમની સામાન્ય ફરિયાદો ઉપરાંતની નિરાશા એ વાતે રહેતી કે તંત્ર અમારા વિસ્તારને નજરઅંદાજ કરે છે અને જરૂર મુજબ સહાય પહોંચતી નથી.

મારા ફ્લેટની આસપાસના વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં મહિલાઓ બુરખો પહેરતી. ફ્લેટના થોડાક પુરુષો સાથે માંડ થોડું બોલવા-ચાલવાનું શરૂ થઈ શકેલું, ત્યાં કોઇ સ્ત્રી સાથે કોઇ અભિવાદનની આપ-લે કે સંવાદ મારા માટે કલ્પના બહારની વાત હતી. પડોશીઓ યુગલમાં મળી જતાં ત્યારે પણ હું એ રીતે વર્તતો જાણે બહેન ત્યાં છે જ નહિ. પણ એક દિવસ એક બહેન સામેથી પૂછતાં આવ્યાં : “સુજાતભાઈ છે? એમને કહેજો કે વડોદરાથી પેંડા લેતા આવે.” એ નૌશાદભાઈના ભાભી હતાં. મને લઈ આવવા ફાવશે કે કેમ એવું પૂછ્યા વિના એમણે જે હકથી વાત કહી હતી, મને આશ્ચર્યની સાથે આનંદનો આંચકો લાગ્યો. ફરી વાર વડોદરા આવવાનું થયું ત્યારે યાદ રાખીને મેં દુલીરામના પેંડાનું બોક્સ લાવીને એમને આપ્યું.

આ મહિનાઓમાં વચ્ચે નૂપુર શર્માના ભડકાઉ બયાન અને એ પછી ઉદયપુરમાં હત્યાનો તંગદિલીવાળો માહોલ પણ આવ્યો. મેં સમાચાર વાંચવાનું તદ્દન ઓછું કરી દીધું હોવાથી દેશમાં એ મુદ્દે કેટલી ગંભીર ચર્ચાઓ થઈ રહી છે એ વિશે મને ખ્યાલ નહોતો. હું અહીં રહેતો હતો એને લઈને મારાં કેટલાંક સગાંઓએ મારી સલામતી વિશે ચિંતા પણ રજૂ કરી. પણ હું ત્યાં સુધીમાં પડોશીઓ સાથે એટલો સહજ થઈ ગયેલો કે મને ક્યારે ય એ દિવસોમાં દેશમાં કંઈ બન્યું હોવાની ગંધ જ ન આવે. અમારા સંબંધોમાં લગીરે ખારાશ ન આવી.

હું આમ તદ્દન બિનધાર્મિક છું, પણ ત્યાં હું હતો, મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ લોકો વચ્ચે રહેતો એક હિન્દુ. મારા કરતાં અલગ લોકો સાથે પહેલી વાર રહેતો હોવાથી મને ઘણાં બધાં અવલોકનો થવા જોઇતા હતાં, પણ મારા મનમાં એવું કશું નોંધાયું જ નહિ. એક દિવસ તો મને પોતાના માટે એ વાતે લઘુતાગ્રંથિ થવા લાગી કે આ દિવસોએ મને બદલ્યો નથી, કે આ લોકો વિશે મારો કોઇ નવો અભિપ્રાય નથી – મારામાં ઓબ્ઝર્વેશન પાવર જ નથી. જો કે પછી મને સમજાયું કે પોશાક-ખોરાક અને રીતરિવાજોના કેટલાક દેખીતા ફરક સિવાય તેઓ આપણાથી અલગ છે જ નહિ, તો ઓબ્ઝર્વેશન ક્યાંથી હોય! જેમ આપણી હોય છે, એવી જ જદ્દોજિહાદ એમની પણ હોય છે, કે બે છેડા મળે એ રીતે શક્ય એટલી મજાથી જીવન જીવવું. ક્યારેક બહાર જમવા જવું, ફિલ્મ જોવા જવું, ફરવા જવું, અને એ બધું પરવડશે કે નહિ એની ગણતરીઓ કરવી. રોજબરોજના સંઘર્ષોમાં ધર્મની ભૂમિકા નહીંવત હોય છે. મેં બે ધર્મો વચ્ચે કેટલીક બાબતોમાં જુદાપણું છે તે જોયું, પણ એના કરતાં બાકીની અનેક બાબતોમાં સામ્ય વધુ છે તેમ અનુભવ્યું. મેં ફક્ત થોડું કુતૂહલ જગાવવાના હેતુથી જ શીર્ષકમાં ‘એ’ શબ્દનો પ્રયોગ કર્યો છે, બાકી તમે જોશો કે આ લેખમાં કશું વક્રતા, નાટકીય કરુણાંત, રોમાંચ કે સનસનાટી પેદા કરનારું છે નહિ. આમાં કોઇ ‘સ્ટોરી’ જ નથી, અને એ જ તો હિન્દુ-મુસ્લિમની સ્ટોરી છે!

સૌજન્ય : સુજાતભાઈ પ્રજાપતિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|29 July 2022

ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠો કે કેમિકલ પીવાને કારણે પચાસથી વધુ માણસોનાં મોત થયાં છે ને સોથી વધુ માણસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંના કેટલાંક ગંભીર છે. આમ તો લઠ્ઠાકાંડની ગુજરાતને નવાઈ નથી. માત્ર સ્થળ ને માણસો બદલાય છે એટલું જ ! 2009માં અમદાવાદમાં જ લઠ્ઠાકાંડ થયેલો ને એમાં 123 લોકોએ જીવ ગુમાવેલા તે ય ઘણાં ભૂલ્યાં નહીં હોય. ગુજરાત રાજ્ય બન્યું એ વાતને 62 વર્ષ થયાં, એ પછી સેંકડો માણસો લઠ્ઠો પીવાથી મૃત્યુ પામ્યાં છે, પણ એનો છેડો આવતો નથી ને આવે એમ લાગતું નથી. અમદાવાદ, બોટાદની ઘટના પછી પણ ફરી આવો કાંડ ન જ થાય એવું કોઈ કહી શકે એમ નથી. બીજા કોઈ રાજ્યમાં કે દેશમાં આવા શરાબ પીવાને કારણે ‘દેશી’ મોત થયાનું બહુ જાણમાં નથી. એમાં કદાચ ગુજરાત મોખરે હશે. એનું એક કારણ એવું અપાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે છાનેછપને સારો, ખરાબ દારૂ પીવાય છે. જ્યાં છૂટ છે ત્યાં લઠ્ઠો પીવાતો નથી એટલે ત્યાં આવાં કમોત પણ આટલાં મોટાં પ્રમાણમાં થતાં નથી. આ દલીલો ગળે ઊતરે એવી નથી. દારૂ પીવાથી થતાં મોતનો આંકડો અન્ય રાજયમાં શૂન્ય હોય એવું બહાર આવ્યું નથી. શરાબ પીવાથી આરોગ્ય કથળે જ છે ને કૌટુંબિક જીવનની દશા બેઠી હોય એવાં સેંકડો ઉદાહરણો અન્ય રાજયોમાંથી પણ મળી રહે એમ છે. સારો કે ખરાબ, દારૂ મોડીવહેલી હાનિ કરે જ છે, તો એની વકીલાત કરવાની જરૂર નથી. તમાકુ અને દારૂ પર પૂરા દેશમાં કડક પ્રતિબંધો લાદવા જ જોઈએ, પણ સરકાર એમાંથી થતી કમાણી ગુમાવવા રાજી નથી. લોકોનાં સ્વાસ્થ્ય કરતાં પણ આવક વધુ મહત્ત્વની છે, એ સરકારથી વધારે સારી રીતે તો બીજું કોણ સમજાવી શકે? એટલે તમાકુ, દારૂ બાબતે તે ભીનું સંકેલે એમાં નવાઈ નથી. એ જ કારણ છે કે થોડાં થોડાં મોત વટાવીને બધાં નવા કાંડની રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે. મદિરા, સોમરસને નામે શરાબને સ્વર્ગીય પીણું માનનારો વર્ગ પણ છે. એ જો સ્વર્ગીય પીણું જ છે, તો એનો લાભ સ્વર્ગમાં જ લેવાનું વધુ ડહાપણ ભરેલું છે, એવું નહીં?

ગુજરાતમાં દારૂબંધી છે ને ઘણાં એવું માને છે કે ગાંધી ગુજરાતના હતા, તો અહીં તો દારૂબંધી હોવી જ જોઈએ, તો ઘણાંને એવું પણ છે કે ગાંધી હવે ચલણી નોટ સિવાય ચલણમાં ન રહે એવી સ્થિતિ છે, તો દારૂબંધીનો આગ્રહ શું કામ? ઘણાંને એમ લાગે છે કે ગાંધીજી આખા દેશના રાષ્ટ્રપિતા હતા, તે કેવળ ગુજરાત પૂરતા સીમિત ન હતા, તો દારૂબંધી દેશ આખામાં હોય, માત્ર ગુજરાતમાં જ શું કામ? જો દેશમાં બધે દારૂની છૂટ હોય તો ગુજરાતમાં પણ હોવી જોઈએ એવું ઘણાં માને છે. ગાંધીને નામે ગુજરાતને જ દારૂબંધીનો ભોગ બનાવવાનું ઠીક નથી. કેટલાંક એમ પણ માને છે કે ગાંધી ગુજરાતમાં જન્મ્યા હતા એટલે, બીજે હોય કે ન હોય, ગુજરાતમાં તો દારૂબંધી હોવી જ જોઈએ. ગાંધી ગુજરાતના ખરા, પણ તેનું કેટલું મૂલ્ય ગુજરાતે રહેવા દીધું છે તે સૌ જાણે છે. સ્કૂલોમાંથી ગાંધીને હટાવીને બીજી સ્થાપનાઓ થઈ રહી છે તે પણ કોઇથી અજાણ્યું નથી, એટલે ગાંધીને વટાવવાનું રહેવા દઇએ તો કમ સે કમ એ વિભૂતિ પર તો ઉપકાર જ થશે.

સાચું તો એ છે કે દારૂબંધી ન હટે તેવું તંત્રો પણ ઈચ્છે છે. ચોરીછૂપીથી દારૂ ઘૂસાડવામાં જે ઉપરની કમાણી થાય છે તે કોઈ જતી કરવા તૈયાર નથી. ગેરકાયદે દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, ખાનગીમાં દારૂનું વેચાણ થાય છે, તેનાં પર દરોડા પાડવામાં કે રહેમ રાહે વેચાણ ચાલુ રહેવા દેવામાં જે કમાણી થાય છે એમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા બધાંનો જ ધંધો ચાલે છે. એક તરફ દરોડા પડે ને બીજી તરફ ખરીદ વેચાણ પણ ચાલુ રહે ને એના નિયમિત હપ્તાઓ તંત્રોને મળી રહે એવી વ્યવસ્થા ઊભી થઈ છે. હવે જો દારૂબંધી હટી જાય તો આમાંથી કમાણી કરતાં લોકોએ માથે હાથ દેવાનો વારો આવે. આ કમાણી જતી કરવાનું તંત્રોનું ગજું નથી. અંદરખાનેથી તંત્રો જ એવું ઈચ્છે છે કે દારૂબંધી હટે નહીં. હટે તો ઘણા પતે એમ બને. એટલે જ કોઈ લઠ્ઠાકાંડ સર્જાય છે કે તરત તંત્રો ને સરકાર એકાએક જાગે છે, ઝડપથી કામે લાગે છે ને થોડા વખત પછી કૈં ન બન્યું હોય તેમ ઘોરવા માંડે છે. બોટાદ, અમદાવાદ લઠ્ઠાકાંડ પછી સરકાર ગોખેલું બોલવા લાગી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે, કોઈને બક્ષવામાં નહીં આવે … વગરે વગેરે. રાતોરાત સમિતિઓ નીમાય છે, તપાસ શરૂ થાય છે, રિપોર્ટ આવે છે, કેસ ચાલે છે, સજા થાય છે ને નવા કાંડની રાહ જોવા ફરી સૌ ઠરીને ઠીકરું થઈ જાય છે. બહુ થાય તો કોઈને વળતર બળતર આપીને મદદ-મદદ પણ રમી લેવાય છે. આ બધું યંત્રવત ચાલે છે. એમાં જીવ નથી ને એટલે જ ઘણાંના જીવ જાય છે.

જીવ જાય કે પોલીસ એક્ટિવ થઈ જાય છે. લાગતા વળગતા ને ખબર પહોંચી જાય છે કે મામલો ટાઢો ન પડે ત્યાં સુધી ભઠ્ઠીબઠ્ઠી બંધ રાખો. ધડાધડ દરોડા પડે છે. આ વખતે પણ મહેસાણા, અરવલ્લી જેવામાં દરોડા પડે છે, ધરપકડો થાય છે, ડ્રાઈવના આદેશો અપાય છે, જ્યાં કૈં નથી થયું ત્યાં પણ દરોડા પડે છે. આ અગાઉ નાછૂટકે કેસો કરીને પોલીસ ગૃહખાતાને જાણ કરીને કામ કર્યાનો સંતોષ લેતી હતી, તે કોઈ કાંડ થાય છે કે એકાએક સજીવ થઈ જાય છે ને ઠેર ઠેર તાંડવ કરી વળે છે. આ જે કૈં દુર્ઘટના પછી થાય છે તે પહેલાં પણ થઈ શકે ને ! એ ઓછું જ થાય છે. એવું નથી કે ઘટના થઈ એ જ દિવસે વધુ પીવાયો. એ તો પીવાતો જ હોય છે, પણ કાર્યવાહી થતી નથી એટલે બધું ઠીકઠાક છે એમ લાગે છે, બાકી, ધંધો બંધ થઈ ગયો એવું તો સપનું ય પડે એમ નથી.

કોઈ પણ ઘટના હવે કોઈને વખોડવાની અને કોઈને બચાવવાની તકો માટે જ બનતી હોય તેમ બધાં જ તેનો લાભ ઉઠાવવા રસ્તે આવી જતાં હોય છે. કોઈ દુર્ઘટના બને છે કે વિપક્ષોની મંત્રીઓનાં રાજીનામાંની માંગ શરૂ થઈ જાય છે તો એ જ વખતે સરકાર પણ બચાવનાં સાધનો સાથે મેદાને પડે છે. એમાં અત્યારે તો  ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે રાજકારણ ન ખેલાય એવું તો બને જ કેમ? મરવાવાળા મરે એમાં રાજકારણ તો બંધ ન રખાય ને ! વિપક્ષો ગૃહ મંત્રીનું રાજીનામું માંગે છે તો ગૃહ મંત્રી પણ કામગીરીની યાદી આપીને સરકાર ઊંઘતી નથી એની ખાતરી આપવા મથે છે. એ વખતે વિપક્ષ તથા મંત્રી પોતે બરાબર જાણતા હોય છે કે બંનેનો હેતુ અંતે તો રાજકીય લાભ ખાટવાનો જ છે. એમને દુર્ઘટનાનું બહુ લાગી આવ્યું છે એવું જરા ય નથી. આંસુ બંને સારે છે. એમ લાગે છે જાણે મગર, મગરનાં આંસુ સારે છે.

દેશના નેતાઓ અને તંત્રો એવી રીતે વર્તતાં આવ્યાં છે કે લોકો પર તેની સારી છાપ પડે જ નહીં. રાજ્યના ગૃહ મંત્રી પોતે કબૂલી ચૂક્યા હોય કે 2021માં 123 કરોડનો દારૂ પકડાયો હોય પછી પણ એમ કહે કે આ તો કેમિકલકાંડ છે ને તે સરકારને અને પોલીસને બદનામ કરવાનું કાવતરું છે ત્યારે હસવું એ વાતે આવે છે કે  નાદાન સરકાર છે ને એમ સમજે છે કે પ્રજા નાદાન છે. આમ પણ રાજકીય નેતાઓ ઊજવણામાં જે આછકલાઈથી તલવારથી કેક કાપે છે કે હવામાં ગોળીબાર કરે છે તે લોકો જુએ છે ને તેની નકલ કરવામાં પડે છે. લોકોમાં નેતાઓનો સારો મેસેજ જવો જોઈએ, પણ તેવું બહુ ઓછું થાય છે. લઠ્ઠાકાંડની સમાંતરે જ વલસાડમાં પી.એસ.આઈ. અને કોન્સ્ટેબલ દારૂની મહેફિલ માણતા ઝડપાય તો સામાન્ય માણસ પર એની શું ને કેવી અસર પડે તે કહેવાની જરૂર છે? કયે મોઢે પોલીસ પછી દારૂ પીતાં માણસને પકડી શકે જ્યાં પોલીસ પોતે જ વગોવાયેલી હોય? 57 લાશો લઠ્ઠાકાંડમાં પડી ગઈ હોય ત્યારે પણ દારૂની ભઠ્ઠીઓ ચાલુ હોય ને એક્ટિવા પર દારૂ વેચાતો હોય કે રાજકોટના શાપર વેરાવળમાં, હિંમતનગર- બાયડ તેમ જ ગામટ પંથકમાં સોથી વધુ હાટડીઓ દારૂની ચાલતી હોય, ચોટીલાના સુખસર ગામની સીમમાં 1.17 લાખનો દારૂ પકડાતો હોય તો પ્રશ્ન થાય કે દારૂબંધી ગુજરાતમાં છે એવું કઈ રીતે માનવું?

બોટાદ-અમદાવાદ જેવી ઘટનાઓ એટલું સૂચવે છે કે સરકારને કે પોલીસને જીવતી રાખવી હોય તો પ્રજાએ થોડા થોડા વખતે મરવું પડે. તેમ નહીં થાય તો આ બંને ચૂંટણી વખતે જ જાગે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જુલાઈ 2022

Loading

...102030...1,4401,4411,4421,443...1,4501,4601,470...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved