Opinion Magazine
Number of visits: 9671845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાળની કેડીએ ઘડીક સંગ !

આરાધના ભટ્ટ|Opinion - Opinion|31 July 2022

બરાબર રવિવારના સાંજના પાંચ વાગવામાં છે ત્યારે સૂરસંવાદ વિશે આટલું ….

“નમસ્કાર, સૂરસંવાદમાં આરાધના ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે … આજે છે રવિવારે તારીખ”….. અવાજમાં સ્મિત છલકાવી આ વાક્ય બોલવાનો આજે છેલ્લો અવસર છે. શેક્સપીયરના જુલિયસ સીઝર નાટકના એન્ટની કહે છે – ફ્રેન્ડઝ, રોમન્સ, કન્ટ્રી મેન, લેન્ડ મી યોર ઈયર્સ, તેમ હું પણ દર અઠવાડિયે કહું છું ‘ફ્રેન્ડઝ, ગુજરાતીઝ, ઇન્ડિયન્સ, લેન્ડ મી યોર ઈયર્સ.

૧૫ વર્ષ પહેલાં આ યાત્રા શરૂ થઇ ત્યારે કલ્પના નહોતી કે આટલો લાંબો સમય એ ચાલશે અને એમાં આટલા બધા સહયાત્રીઓનો સંગ મળશે. એટલે સૌ પ્રથમ તો તમારો, અને મારા રેડિયોના સહયોગીઓ – પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, તમે જેમનો અવાજ દર અઠવાડિયે સમાચાર વાંચતા સાંભળો છો – એ હેમલ જોશી, મારી સાથે રેડિયો શરૂ થતાંની સાથે જોડાનાર ઝરમર પંડ્યા, અવારનવા તમને રેડિયો  પર મળતા પણ મારી સાથે સતત સંપર્કમાં રહેતા અને રેડિયો વિષયક ચર્ચાઓ કરતા પાર્થ નાણાવટી, દર અઠવાડિયે તમે રેડિયોના ફેસબૂક પેજ પર જે સુંદર કાવ્યો વાંચો છે એનું ચયન કરીને કોઇપણ જોડણીદોષ ન રહે એ રીતે એને ટાઈપ કરીને તૈયાર કરતા અને એમના વાંચનના વિસ્તારનો લાભ આપીને સાહિત્યિક સેગ્મેન્ટ પ્રસ્તુત કરતા ભાવિન રાવળ તેમ જ ક્રિકેટ વિષે જે ખૂબ ઊંડાણથી વિચારે છે અને એ રમતને સમજે છે એવા ક્રિકેટ સમીક્ષક દીપક શાહ જે પોતાના વ્યસ્ત વ્યવસાયિક શીડ્યુલમાંથી સમય કાઢીને રેડિયો પર પરિપક્વ ક્રિકેટ સમીક્ષા કરતા આવ્યા છે. એ ઉપરાંત આજે past contributersને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું – કેરસી મેહેર હોમજી, ડો ચૈતન્ય બુચ, જેલમ અને હાર્દિક વછરાજાની અને ભદ્રાયુ વછરાજાની. આ સૌએ પોતપોતાનાં વાણી-વિચારથી રેડિયોને સમૃદ્ધ કર્યો. સૌનો હૃદયથી આભાર માનું છું. સૂરસંવાદના સહયોગીઓનો એક પરિવાર આપોઆપ રચાઈ ગયો, અમે સાથે મળીને ખૂબ આનંદ પણ કર્યો. અઢળક સ્મૃતિઓ છે.

રેડિયો ૧૫ વર્ષની મજલ કાપી ચૂક્યો છે ત્યારે એને વિરામ આપવાનો નિર્ણય કેમ? એ નિર્ણય આમ જોવા જઈએ તો સરળ નહોતો. પણ બીજી રીતે જોઈએ તો એક વખત એ મુકામ પર પહોંચી પછી એમાં ફેરવિચારણા કરવાની કે મન ડગી જવાની ક્ષણો આવી નથી. એનું કારણ કદાચ એ છે કે છેલ્લાં ૨ વર્ષના જાત સાથેના સવાલ-જવાબ પછી આ નિર્ણય પર પહોંચાયું છે. જે પ્રવૃત્તિ આપણી અસ્મિતા બની હોય, જે પ્રવૃત્તિ જ આપણી જીવનશૈલી હોય એનાથી અળગા થવું કેટલું સહેલું કે અઘરું છે? બે વર્ષના આ મનોમંથને મને એક સત્ય સમજાવ્યું છે કે જેટલી હિંમત અને જેટલું મનોબળ કોઈક પ્રકલ્પ શરૂ કરવા માટે જોઈએ છે, એટલું જ અથવા એનાથી વધુ શક્તિ એનાથી અળગા થવામાં જરૂરી છે.

સમય સાથે સમૂહમાધ્યમોનો વપરાશ કરવાની આપણી રીતો બદલાઈ છે. જ્યારે માધ્યમો સ્થળ અને કાળથી પર થતાં જાય છે, શ્રોતા વર્ગ વિશ્વમાં પથરાયો છે ત્યારે અમુક ચોક્કસ સમયે એફ.એમ. લાઈવ પ્રસારણ કેટલું સુસંગત છે?  વળી ૧૫ વર્ષની અવિરામ યાત્રા પછી આ અઠવાડિક ડેડલાઇનની અવિરત રફતારમાંથી શું થોડો સમય પોરો ન ખાઈ શકાય? આ અને આવા અનેક સવાલો જાતને પૂછ્યા. એ પોરો ખાતાં ક્યાંક કંઈક નવું જડે એમ પણ બને!

સૂર સંવાદની આ યાત્રામાં સામૂહિક સ્તરે કેટકેટલા કાર્યક્રમો એટલે કે સ્ટેજ શો કર્યા, કેટલા ય લોકોનો સહકાર મળ્યો, નવા પરિચય થયા. ભારતથી ખ્યાતનામ ગાયક કલાકારોને અહીં આમંત્રણ આપીને કાર્યક્રમો યોજ્યા. એ ઉપરાંત રેડિયોના ૧૫ વર્ષમાં દર અઠવાડિયે ઓછામાં ઓછી એક મુલાકાત લેખે લગભગ ૮૦૦ મુલાકાતો થઇ. જાતજાતના લોકો મળ્યા, દરેક ક્ષેત્રના લોકો સાથે વાતો કરી. અને એ બધા જ મુલાકાતીઓ પાસેથી અંગતપણે મને જે જાણવા-શીખવા મળ્યું એનું મૂલ્ય આંકી શકું એમ નથી. કેટલા ય નવા મિત્રો મળ્યા, એવા મિત્રો જે રેડિયોને પાર કરીને સાથે રહે. આ બધો મારો અંગત ખજાનો છે. કેટલીક મુલાકાતોના સંચય સ્વરૂપે પુસ્તકો પણ પ્રકાશિત થયાં અને એના દ્વારા આ મુલાકાતોનો એક કાયમી દસ્તાવેજ ઊભો થયો.

હા, સંવાદો કરવા હજુ ઘણા બાકી છે. અને એ કદાચ થતા પણ રહેશે. કોઈક નવા નામે, નવા સરનામે. ત્યાં સુધી સૂરીલા સંવાદોની સ્મૃતિ મંજૂષા ઉઘાડીને રેડિયોની જીવંત વેબસાઈટ દ્વારા ગમતાંનો ગુલાલ કરતાં રહીશું. 

Loading

રાજા જૂઠજીવીને ક્યો સચોટ ઉકેલ મળી ગયો?

રમેશ સવાણી|Opinion - Opinion|31 July 2022

રાજા વિક્રમાદિત્ય વેતાળને ખંભે નાખી ચાલતા થયા કે તરત જ વેતાળ બોલ્યો : “રાજન ! જુમલાદ્વિપના રાજા જૂઠજીવીના રાજમાં બેરોજગારી / મોંઘવારી આકાશે આંબી ગઈ હતી; તે સ્થિતિમાં રાજા જૂઠજીવીએ છાશ / દહીં / અનાજ ઉપર GST નાંખીને પ્રજાને દાઝ્યા પર ડામ દેવાનું પગલું ભર્યું; છતાં આશ્ચર્યની બાબત એ હતી કે રાજા જૂઠજીવીની લોકપ્રિયતા વધી રહી હતી !

તેમની લોકપ્રિયતા કેમ વધી રહી છે તે જાણવા બૌદ્ધિકોએ એક તપાસપંચ નીમ્યું. તપાસપંચનું તારણ હતું કે ‘રાજા જૂઠજીવીએ એવી યુક્તિ અજમાવી હતી કે પ્રજા બૌદ્ધિકોનું સાંભળતી ન હતી; પણ કથાકારો / બાપુઓ /શ્રી શ્રીઓ / બાબાઓ /સદ્ગુરુઓ /સાધુઓ / મુનિઓનું જ સાંભળતી હતી ! આ ઘર્મગુરુઓએ રાજા જૂઠજીવીમાં દિવ્યશક્તિ છે; તેવી માન્યતા ફેલાવી હતી ! રાજા જૂઠજીવીએ જોયું કે બૌદ્ધિકો તર્ક કરે છે / દલીલો કરે છે; એટલે પ્રજાને તર્કથી દૂર કરવા તેમણે પ્રજાને લાગણીના ખીલે બાંધી દીધી ! પ્રજા લાગણીથી દોરવાતી હતી; પ્રજા તર્કને રાજ્ય વિરોધી માનતી હતી ! પ્રજાના મતે રાજા જૂઠજીવીનો વિરોધ એ દેશદ્રોહ હતો ! રાજા જૂઠજીવીની સમજ એ હતી કે સત્તા મેળવવા અને મળેલી સત્તાને ટકાવી રાખવામાં બૌદ્ધિકો કામ ન લાગે; લાગણી જ કામ લાગે ! પ્રામાણિક / ન્યાયનિષ્ઠ / વિચારશીલ માણસ ક્યારે ય સત્તા સાથે ઊભો ન રહી શકે; લાગણીઘેલા માણસો જ સત્તાની વાહવાહી કરી શકે ! પ્રજા; પ્રામાણિક / ન્યાયનિષ્ઠ / વિચારશીલ બનવા ઈચ્છતી નથી; ધર્મઘેલી બનવા વધુ ઈચ્છે છે ! પ્રજાને અસત્યમાં સત્ય દેખાય છે; ખોટી બાબત સાચી લાગે છે; વિનાશમાં સર્જન દેખાય છે ! રાજા જૂઠજીવી માનતા કે જો પ્રજા વિચારના ક્ષેત્રમાં નિષ્ક્રિય બને તો જ રાજાની વાહવાહી કરી શકે ! પ્રજા તો જ નૈતિક અને બૌદ્ધિક સમસ્યાઓ પર ધ્યાન આપવાનું ટાળે ! તેથી પ્રજા વિચારે નહીં તે માટે સાધુ / બાબા / સ્વામિઓ / પ્રગટ બ્રહ્મસ્વરુપોને કામે લગાડ્યા હતા ! ઉપરાંત રાષ્ટ્રવાદનો મસાલો પણ ભભરાવતા હતા !’

ચારે ય દિશાઓમાં રાજા જૂઠજીવીની વાહવાહી થઈ રહી હતી ! હે રાજન ! આટલું કર્યા પછી પણ રાજા જૂઠજીવી બૌદ્ધિકોથી ફફડતા હતા; તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજવાની સલાહ સતત અવગણતા હતા ! રાજા જૂઠજીવીને હવે એક જ ઈચ્છા બાકી રહી ગઈ હતી કે ‘બૌદ્ધિકો તેમની આરતી ઊતારે ! વાહવાહી કરે ! એક દેશ, એક ભક્તિ !’ રાજા જૂઠજીવીની તરફેણમાં બુદ્ધિજીવીઓ / કવિઓ / લેખકો / પત્રકારો હતા; ગોદી મીડિયા આખું હતું; પરંતુ રાજા જૂઠજીવીને સંતોષ ન હતો; તેમની ઈચ્છા હતી કે ‘સર્વે બુદ્ધિજીવીઓ વાહવાહી કરે !’ પરંતુ એ શક્ય બનતું ન હતું; તેથી રાજા જૂઠજીવી સતત ચિંતામાં રહેતા હતા ! ચિંતામાં તેઓ ઊંઘી શકતા ન હતા ! દેશ-વિદેશમાં ઈલાજ કરાવ્યો છતાં ઊંઘી શકતા ન હતા ! ગોદી મીડિયાએ આ બીમારીને પરિશ્રમમાં બદલી નાખી હતી ! પરંતુ આઠ વર્ષના અંતે એક દિવસ રાજા જૂઠજીવી સિંહાસન પરથી કૂદકો મારીને જોશપૂર્વક બોલી ઊઠ્યા – ‘યૂરેકા ! યૂરેકા ! ઉકેલ મળી ગયો ! સચોટ ઉકેલ મળી ગયો !’ હે રાજન ! એવો તે ક્યો ઉકેલ રાજા જૂઠજીવીને મળી ગયો હતો?”

વિક્રમાદિત્યે કહ્યું : “ભાઈ વેતાળ, રાજા જૂઠજીવી માટે તો આવા ઉકેલ કાઢવાનું રોજિંદું હતું ! કાખમાં છોકરું અને ગામ ગાંડું કર્યા જેવું લાગે ! આશ્ચર્યની બાબત એ છે કે ઉકેલ શોધવામાં આટલો સમય કેમ લાગ્યો હશે? ઉકેલ સરળ હતો ! રાજા જૂઠજીવીએ; જે કોઈ બુદ્ધિજીવીઓ વિરોધ કરે તેની ઉપર 28% GST નાખી દીધો ! મોંઘવારી જ એટલી હતી કે આ ટેક્સ ભરપાઈ થઈ શકે તેમ ન હતો ! ભાઈ વેતાળ ! જે બુદ્ધિજીવીઓ ખોટા કેસથી / જેલથી ડરતા ન હતા તે આ ટેક્સથી જ ચૂપ થઈ ગયા !”

“રાજન ! આપે બોલીને મૌનભંગ કર્યો છે !” એમ કહીને વેતાળ ઊડીને વૃક્ષની ડાળીએ જઈને ઊંધો લટકી ગયો ! આજે તેમના મગજમાં રાજા જૂઠજીવીની ચતુરાઈ ગોળગોળ ફરતી હતી !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુ.એસ.એ. તથા રશિયાનાં રાજકીય સમીકરણો ‘વૈશ્વિકરણ’નો વીંટો વાળી દે તેમ બને

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 July 2022

ફ્રી ટ્રેડના પ્રણેતા રાષ્ટ્રોને જ્યારે ફુગાવાનો રાક્ષસ નડે છે ત્યારે તેમણે વહાલાં-દવલાંની નીતિ અપનાવવી છે

કોરોનાવાઇરસ રોગચાળો અને પછી રશિયા યુક્રેનનું યુદ્ધ – આ બન્ને બાબતોને કારણે આખી દુનિયાની સપ્લાય ચેન – પુરવઠા સાંકળ – ખોરવાઇ ગઇ છે. ઉદારીકરણ, ફ્રી-ટ્રેડ, બાય-લેટરલ રિલેશનશીપ જેવા શબ્દો વૈશ્વિક અર્થતંત્રને જોડતા પરિબળો છે. કમનસીબે રોગચાળા અને યુદ્ધના ફટકાએ આ કડીઓને નબળી કરી નાખી છે. તેમાં રાજકારણનો પણ એટલો જ મોટો ફાળો છે.  વૈશ્વિકરણ – ગ્લોબલાઇઝેશનને કારણે બંધાયેલા વ્યાપારી સંબંધોમાં રાજકારણની શતરંજ પણ રમાતી હોય, છતાં પણ વૈશ્વિક આર્થિક તંત્રની મજબૂતી આ લેવડ-દેવડ પર જ ટકેલી હોય છે. પંરતુ મોર્ગન સ્ટેનલી રિસર્ચના એક તાજા વિષ્લેશણ અનુસાર ઓછું વૈશ્વિક અને વધુ આંતરિયાળ – સ્થાનિક સ્તરે એકબીજા સાથે જોડાયેલું માળખું ઉભરી રહ્યું છે. એવું તંત્ર જેમાં જે-તે દેશના ઉત્પાદકો, ઉદ્યોગકારો, સ્થાનિક બજારો અને તેને સહકાર આપનારાં નાનાં કે મોટાં રાષ્ટ્રોને પ્રાધાન્ય અપાય. આ આખો બદલાવ એવી રીતે આવી રહ્યો છે જેમાં ગણ્યાં ગાંઠ્યાં વૈશ્વિક આર્થિક સત્તાકીય રાષ્ટ્રોને બદલે એકથી વધુ રાજકીય અને આર્થિક કેન્દ્રો સમાવિષ્ટ હોય. અર્થશાસ્ત્રીઓ આ પરિવર્તનને ‘સ્લોબલાઝેશન’નું નામ આપે છે, જો કે સાથે એમ પણ સ્પષ્ટ કરે છે કે આ તંત્રને નક્કર થતાં હજી વર્ષો લાગશે, કારણ કે મોટી આર્થિક સત્તાઓ પરનું પરાવલંબન અચાનક જ ઘટી નથી જતું. જો કે સુરક્ષા અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રે મહાસત્તા ગણાતા રાષ્ટ્રને બદલે મેક્સિકો, ભારત, વિએટનામ અને ટર્કી જેવા દેશોની ભવિષ્યમાં ચાવીરૂપ ભૂમિકા હોય તેમ બને કારણ કે યુ.એસ.એ. અને ઇ.યુ. જ્યારે ડાઇવર્સિફિકેશન કરશે ત્યારે આ રાષ્ટ્રોને ફાયદો થઇ શકે છે. આ ફાયદા પાછળના કારણોમાં ભૌગોલિક સ્થાન, લેબરની નીચી કિંમત અને ફ્રી ટ્રેડને લગતા કરારનો સમાવેશ થાય છે.

અત્યારે પણ રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં ટર્કી દ્વારા યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં ડ્રોન્સ સપ્લાય કરવામાં આવે છે તો રશિયાએ કરેલા આ હુમલા સામે ટર્કીને કોઇ વાંધો નથી. છતાં પણ જે યુક્રેન પર રશિયાએ ચઢાઇ કરીને દુનિયાની વ્યવસ્થાને હચમચાવી નાખી છે તે બન્ને વચ્ચે પડીને ટર્કીએ જ ઘઉં અને બીજા અનાજનો વ્યાપાર વિશ્વના બીજા દેશો સાથે ફરી ચાલુ કરવાનો નિર્ણય કરાવ્યો. નાના દેશોની ભૂમિકાની આ પ્રકારે વ્યાપાર વાણિજ્યની બ્લૉક ચેઇનમાં અગત્યની છે. યુદ્ધને કારણે યુક્રેન અનાજનો સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં પણ નિકાસ નહોતો કરી શકતો જેની સીધી અસર હતી – બીજા રાષ્ટ્રોમાં આસમાને પહોંચેલો ફુગાવો. ટર્કીને આ આખી વાતમાં રસ હતો કારણ કે ત્યાં તો ફુગાવો ૮૦ ટકાના દરે હતો, ભારતમાં ૭ ટકાના ફુગાવાના દરે વિરોધનો વંટોળ જગાવ્યો છે ત્યારે ટર્કીમાં શું હાલત હશે તેની કલ્પના જ કરવી રહી. ટર્કીએ કેમ યુક્રેન અને રશિયા વચ્ચે પડવાનું નક્કી કર્યું તે સમજી શકાય છે.

હવે મોટાં માથાંઓની વાત કરીએ તો થોડા વખત પહેલાં યુ.એસ. ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને સાઉથ કોરિયાના અધિકારીઓને કહ્યું કે હવે યુ.એસ.એ.નું માનવું છે કે તે એવાં જ રાષ્ટ્રો સાથે વ્યાપાર કરશે જેની સાથે તેને સારાસારી છે. આ વાત કહેવા માટે ‘ફ્રેન્ડ શોરિંગ’ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. સાઉથ કોરિયા અને અમેરિકા વચ્ચે દોસ્તી છે એટલે કંઇ વાંધો નથી. યુ.એસ.એ.નો આ અભિગમ ફ્રી ટ્રેડની નીતિને ફ્રેન્ડ ટ્રેડની નીતિમાં ફેરવી દેશે.

ચીન પરનો યુ.એસ.એ.નો વધુ પડતો આધાર રોગચાળાના કટોકટી ભર્યા સમયમાં તેને ભારે પડ્યો, સપ્લાય ચેન પડી ભાંગી અને સાબિત થયું કે ફ્રી-ટ્રેડ હોય તો હંમેશાં ચીજ-વસ્તુના ભાવ પર સારી અસર નથી પડતી. રશિયાએ તો બીજા વિશ્વયુદ્ધ પછીની યુરોપિયન શાંતિને ધરમૂળથી હચમચાવી દીધી, જેનો આધાર જ ફ્રી-ટ્રેડ હતો.

આવી ગોઠવણો થાય ત્યારે ગ્લોબલાઇઝેશનનો મૂળ હેતુ નેવે મુકાઇ જાય અને પછી દોસ્તી, શત્રુતા, બળજબરી એવાં પાસાંઓને આધારે થતી લેવડ-દેવડ રાષ્ટ્રો વચ્ચે થવા માંડે. ફ્રી ટ્રેડનું ગાણું ગનારા યુ.એસ.એ.માં હવે દોસ્તીને આધારે થતા વ્યાપાર પર ઝૂકાવ વધવા માંડ્યો છે. આમ કરવાનું સીધું કારણ છે સ્વાર્થ – જે યુ.એસ.એ. હોય કે રશિયા હોય કે ચીન હોય – બધી જ મહાસત્તાઓના અભિગમમાં દેખાઇ આવે છે. ઉદાહરણ તરીકે યુ.એસ.એ.માં રશિયન ઓઇલ પહોંચતું અટક્યું એટલે ભાવ વધારો ઝીંકાયો, ચીનમાંથી સેમિકન્ડક્ટર ચિપ આવવાની અછત થઇ એટલે કાર્સ અને ઇલેક્ટ્રોનિક સંસાધનો ખરીદવાને મામલે સમસ્યા ખડી થઇ – હવે આવામાં ટંગડી ઊંચી રાખવાને બદલે દોસ્તી આગળ ધરીને દુનિયાદારી ચલાવવાનું યુ.એસ.એ.ના સત્તાધીશોએ નક્કી કર્યું. હવે આવા અભિગમમાં કોણ દોસ્ત અને કોણ શત્રુ? અને કોણ દોસ્ત જેવો છતાં ય જોખમી શત્રુ બની શકે તેવો દેશ – એ પણ યુ.એસ.એ. – રશિયા રાષ્ટ્રોએ પોતાની ત્રિરાશીઓ માંડીને નક્કી કરવું પડે. ગુજરાતી કહેવત પ્રમાણે ગરજે ગધડાને પણ બાપ કહેવો પડે વાળી સ્થિતિ પણ આવામાં ખડી થાય – જેમ કે રશિયા, ટર્કી અને યુક્રેને કરેલી વાટાઘાટોમાં સાબિત થઇ ગયું કે ભલે અંદરો અંદર યુદ્ધ ચાલતું હોય પણ જરૂર પડ્યે વ્યાપારી ગણતરીઓને કેન્દ્રમાં રાખીને દુશ્મન દેશો પણ એકબીજા સાથે બાંધછોડ કરી લેતા હોય છે.

વૈશ્વિક વ્યાપાર લૉ-કાર્બન અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવી શકે છે, વળી તે સર્વાંગી એટલે કે ઑલ ઇન્ક્લુઝિવ હોઇ શકે છે અને ડિજિટલ વિશ્વમાં કનેક્ટિવિટી વધારવામાં પણ તે હકારાત્મક પરિણામ લાવી શકે છે. કમનસીબે વૈશ્વિકરણમાં સ્થાનિકીકરણ થઇ રહ્યું છે – જેમાં ખોટું તો કંઇ નથી પણ ફ્રી ટ્રેડની નીતિનો હેતુ તેમાં અભેરાઇએ ચઢે છે અને વહાલાં-દવલાંનું ગણિત જ મંડાય છે. જેને માટે અંગ્રેજીમાં ઇકોનોમિક વર્લ્ડ ઓર્ડર જેવો શબ્દપ્રયોગ કરવો પડે તે વ્યવસ્થાતંત્ર હચમચી ઊઠે.

બાય ધી વેઃ

એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં રોનાલ્ડ રેગને ફ્રી ટ્રેડની વાત કરતાં એમ કહ્યું હતું કે વ્યાપાર કંઇ યુદ્ધ નથી, તેમાં કોઇ હારતું નથી બધા જીતે જ છે, ફ્રી ટ્રેડ એ ફ્રી વર્લ્ડને મજબૂત કરવામાં મદદ કરે છે. અમેરિકા હવે જ્યારે મિત્રો અને અ-મિત્રો સાથેના વ્યાપાર માટેની નીતિઓ બદલે છે એ સાબિત કરે છે કે વ્યાપારથી મિત્રો નથી બનતા પણ મિત્રોને કારણે વ્યાપાર ખડો થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષનો અંત જે રીતે આવશે તેના આધારે વૈશ્વિક અર્થતંત્રના સમીકરણો મોટા પાયે બદલાશે. ભારત કયા દેશ માટે શું સાબિત થશે તે જોવું રહ્યું, જો કે નિકાસને મામલે આપણે જો પકડ મજબૂત રાખી તો વિદેશમાં મજૂરી આધારિત ઉત્પાદનો એટલે કે કપડાં – બૅગ્ઝ – ફૂટવેર વગેરેના માર્કેટમાં વિસ્તાર કરવો અઘરો નહીં હોય. જો કે ભારત સાથેના વ્યાપારમાં મહાસત્તા ગણાતા રાષ્ટ્ર ભારતની કોણીએ ગોળ ન લગાડે તેની કાળજી રાખવી રહી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 જુલાઈ 2022

Loading

...102030...1,4371,4381,4391,440...1,4501,4601,470...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved