Opinion Magazine
Number of visits: 9458998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, જાતને સવાલો કરીએ (૩)

સુમન શાહ|Opinion - Literature|9 April 2022

સંસ્કૃત કાવ્યમીમાંસા રસ-કેન્દ્રે વિકસેલી છે. પશ્ચિમમાં ઍરિસ્ટોટલ-પ્રણીત સાહિત્યમીમાંસા અનુકરણ-કેન્દ્રે વિકસેલી છે.

વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ-ના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. ભરત મુનિએ આપેલું એ રસસૂત્ર એવું જ કેન્દ્ર છે – રસસૂત્ર મૂળે ભલે માત્ર નાટ્યરસને વિશે હતું. અનુકરણ – માયમેસિસ – ઍરિસ્ટોટલપ્રણીત માયમેટિક થીયરિનું – અનુકરણશીલ સાહિત્યવિચારનું – કેન્દ્ર છે. મૂળે એ ભલે માત્ર ટ્રેજેડી સંદર્ભે હતું.

બન્ને મીમાંસા અનુકરણશીલ છે – માયમેટિક. અનુભવ-વાદી અને ભોગ-લક્ષી. બન્નેની વિચાર-વિભાવ ત્રિજ્યાઓ વિસ્તરેલી છે.

સાહિત્યકલામીમાંસાની આ બન્ને પરમ્પરાઓને હું મૅટા-નૅરેટિવ્ઝ ગણીને ચાલું છું – સાહિત્યકલાજગતનાં ચિરકાળથી ચાલ્યાં આવેલાં મહા-વૃત્તાન્ત.

એકને રસવાદ અને બીજાને અનુકરણવાદ કહી શકાય. જો કે ફાસિઝમ, ફન્ડામૅન્ટાલિઝમ કે કૅપિટાલિઝમ જેવાં મૅટા-નૅરેટિવ્ઝની હોડે હોડે ગાંધી-ઇઝમ કે ગાંધી-વાદ કહેવું ન રુચે તેમ આ બન્નેને રસ-ઇઝમ કે રસ-વાદ અને અનુકરણ-ઇઝમ કે અનુકરણ-વાદ કહેવાનું પણ ન જ રુચે … છતાં કામચલાઉ ધોરણે ભલે કહીએ.

બન્ને નૅરેટિવ્ઝ મૅટા લાગે તેનાં કારણો છે : રસવાદ અને અનુકરણવાદ ભવ્યાતિભવ્ય અને સુવ્યાપ્ત ભાસ્યાં છે. બન્ને ગ્લોબલ છે. પહેલું ભારતવ્યાપી છે અને બીજું જગવ્યાપી છે. વ્યાપ્તિની આ વાતને હાલ રસવાદ પૂરતી સીમિત રાખું :

સંસ્કૃત કાવ્યમીમાંસામાં પ્રવર્તેલા લગભગ બધા સમ્પ્રદાયોએ રસ તત્ત્વની સર્વોપરીતા સ્વીકારી છે.

કાવ્યના ગુણ-દોષની ચર્ચા માટે જાણીતા આલંકારિક ભામહ (૬ઠ્ઠી સદી) રસની અભિ વ્યંજના-ની મનોહરતાને અલંકારના આકર્ષણથી ચડિયાતી ગણે છે.

આનન્દવર્ધન (૯મી સદી) વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ સમા સંવિભાગો દર્શાવે છે ખરા, એ પ્રકારે રસવાદની સીમાઓને વિસ્તારે છે ખરા, પણ શ્રેષ્ઠ તો રસધ્વનિ-ને જ ગણે છે.

પોતાના ગ્રન્થને ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ નામ આપતા આલંકારિક ઉદ્ભટ (૯ મી સદી) બધા અલંકારોની પોતાની રીતે વ્યાખ્યાઓ કરે છે ખરા, પણ સ્થાયીના રસમાં થનારા રૂપાન્તરના મુદ્દાને નથી ભૂલતા. છોગામાં, જે રચનામાં શૃંગાર વગેરે રસનો ઉદય સ્પષ્ટ હોય તેને તેઓએ ‘રસ’વત્ અલંકારનું બિરુદ આપ્યું  છે.

વક્રોક્તિ-ને સાહિત્યકલાનું ‘જીવતમ્’ લેખ્યા પછી પણ કુન્તક (૧૧મી સદી) દર્શાવે છે કે તે જીવિત ખરું પણ ‘રસ’સિધ્ધ કાવ્યનું જીવિત.

વાક્ય લગી પહોંચી ગયેલા વિશ્વનાથ (૧૪મી સદી) તેને ‘રસાત્મકમ્’ ગણ્યા પછી જ કહે છે કે તે કાવ્ય છે.

રમણીયાર્થ-નું પ્રતિપાદન કરી આપતા શબ્દને કાવ્ય ગણનારા જગન્નાથે (૧૭મી સદી) પણ રસનો અસ્વીકાર નથી કર્યો : બીજાઓ જેને ચર્વણા કહે છે તેને જગન્નાથ પુન:પુન: અનુધાવન  કહે છે, પણ જેનું અનુધાવન કરવા કહે છે, તે તો ‘રસ’ છે.

ગુજરાતી સહિતની બધી જ ભારતીય ભાષાઓમાં રચાયેલા સાહિત્યવિચારની મૂળ ભૂમિકા અર્વાચીન સમયોથી માંડીને આજ સુધી રસવાદની રહી છે.

++

બન્ને મીમાંસા મહદંશે ઑર્ડર – વ્યવસ્થા – પરક, અને ટોટલાઇઝિન્ગ – સર્વસમાવેશી અને સર્વહારા – લાગ્યાં છે.

બન્નેનું ફિલોસૉફિકલ મૉડેલ – ચિન્તનપરક વિચારનિદર્શન – દેહ અને આત્માનું છે. એ પણ એટલું જ સાર્વત્રિક છે.

તેથી બન્નેમાં શરીર અને જીવ, દેહ અને આત્મા, જેવાં રૂપકો સાથે જોડાયેલી પરિભાષા પ્રયોજાઇ છે – ઑર્ગેનિઝ્સ્મીક મૅટાફોરિકલ વૉકેબ્યુલરી : રસવાદ કાવ્યશરીર અને આત્માસ્વરૂપ રસને ચિન્તવે છે. વળી, રસ-ભોગ અને આનન્દ-સમાધિ બન્નેની વાત કરે છે. અનુકરણવાદ ઑર્ગેનિક હોલને – સાવયવ અખણ્ડતાને – આગળ કરે છે. વળી, કૅથાર્સિસ, વિરેચક વિશોધન, અને તેથી લાધતા મનો-સ્વાસ્થ્યની વાત કરે છે.

Pic courtesy : SlideShare.

સાહિત્યકલાને વિશેના માનવીય જ્ઞાનરાશિમાં જમાનાઓથી બન્નેની અકાટ્ય ભૂમિકા રહી છે. કહો કે સાહિત્ય-જ્ઞાનપરક કોઇ પણ મુદ્દાનું આકલન અને તેનો બુધ્ધિગમ્ય ખુલાસો બન્ને પાસેથી લગભગ હમેશાં મળે એવી એમાં સમ્પૂર્ણતા અને સનાતનતા છે.

સવાલ : રસવાદ અને અનુકરણવાદનું આ ચિરકાલીન વર્ચસ્ વિચારણીય નથી? દેહ અને આત્મા જેવી રૂઢ ફિલસૂફીઓના આધારે ક્યાં લગી વિચારીશું? ક્યાં લગી, નવલકથાને જન્મી, વિકસી ને મરી, કહ્યા કરીશું? ભોગ અને સમાધિ જેવાં ઑપોઝિશન્સમાં ક્યાં લગી આવ-જા કર્યા કરીશું? બન્ને મૅટાનૅરેટિવ્ઝથી મુક્ત થઇને કશા માઇક્રો-નૅરેટિવને વિચારવાનો સમય ક્યારનો ય પાકી ગયો નથી?

અનુ-આધુનિક ઝંખના એમ છે કે આવી ટેવજડ પરિસ્થતિનું નિરસન થાય, તેમને ઇરેઝર હેઠળ મુકાય  – એટલે કે, તેમને ન-નિવાર્ય છતાં અ-પર્યાપ્ત ગણાય; તેમને નવ્ય સંદર્ભો સાથે / સામે મૂકીને જોવાય. અનુ-આધુનિક દર્શન એમ કહે છે કે તેમનાં વિઘટનપરક – ડિકન્સ્ટ્રકશનલ – અધ્યયનો મંડાય. વિચારક જીવો નૅરેટિવ્ઝ રચે.

નૅરેટિવ એટલે ‘વૃત્તાન્ત’. કેમ કે આવી રૂઢ અને ભવ્યાતિભવ્ય ફિલસૂફીઓના શ્રધ્ધાપૂર્વકનાં અનુસરણો કે ભક્તિભાવભર્યાં અનુકરણો, ઘણીવાર તો તારસ્વરે, એવો જે અર્થ-ભાવ મૅટા-નૅરેટિવ્ઝથી સૂચવાતો રહ્યો છે, તે, ‘વૃત્તાન્ત’-માં નથી.

‘વૃતાન્ત’-નો એક અર્થ, કીર્તન છે. કીર્તનમ્ એટલે જીવનનું સ્તોત્ર, ગાન. કીર્તનમાં અનુસરણ અને અનુકરણનો ભાવ છે. પણ તે જીવનોપયોગી આદર્શોને તાકે છે, ઉચ્ચાશયી અભિવ્યક્તિ અને ઊર્ધ્વગામી આશા-અપેક્ષાની ચિન્તા કરે છે.

આ સમય છે, નવ્ય વૃતાન્તોનો.

જાતને પૂછીએ કે ‘મહા’-થી ‘નવ્ય’-માં  દાખલ થવાની મનીષા જાગી છે કે કેમ. નથી જાગી કે નથી જાગતી, તો એવું કેમ છે?

= = =

(April 7, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

વિલાયતી ગુજરાતી પત્રકારત્વ-જગત

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|8 April 2022

આશરે છએક દાયકાઓ દરમિયાન, ધગશથી, યુનાઇટેડ કિંગ્ડમ માંહેના ગુજરાતી સમાજે ગુજરાતી ભાષામાં પત્રકારત્વ વિકસાવ્યું છે. તળ ગુજરાતમાં, અને અલબત્ત, બૃહદ્દ ગુજરાતમાં પ્રશંસાને પાત્ર તે ઠર્યું ય છે. મુખ્ય પ્રવાહમાં ગુજરાતીનો ચાલ ન હોય અને અહીં તહીં ફક્ત લધુમતી જ હોય ત્યારે સમસામયિકો ચલાવવાં તે લોખંડના ચણા ચાવવા જેવું છે. અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને સંજોગોનો સામનો કરતાં કરતાં બ્રિટનમાંના ગુજરાતી સમાજે ડાયસ્પોરિક પત્રકારત્વ અને સાહિત્ય ખીલવવાનો મજબૂત પ્રયાસ કર્યો છે. મોટા ભાગના પત્રોએ ‘ગુજરાતે વિકસાવેલી પરંપરાઓથી તે મુક્ત થયું નથી’, તેમ જાણીતાં ઇતિહાસકાર દંપતી શિરીન મહેતા અને મકરન્દ મહેતાનું માનવું છે.

મળતી માહિતી અનુસાર, યુનાઇટેડ કિંગ્ડમનું પહેલું સામયિક ‘20મી સદી’ હતું અને તેના સંચાલકો હતા સિરાઝ પટેલ અને અબ્દુલા પટેલ. માર્ચ 1968 વેળા, એટલે કે 54 વરસ પહેલાં, આ સામયિકનો આદર ઉત્તર ઇંગ્લૅન્ડના બ્લેકબર્ન નગરમાં થયો હતો. કોમી એખલાસ અને સમતાવાદી મૂલ્યોને તે વરેલું હતું. ઇતિહાસકાર મકરન્દભાઈ મહેતા અનુસાર તેના પહેલા અંકમાં, મુખપૃષ્ઠ પર, લખાયેલું, ‘સમગ્ર યુરોપનું આ સૌ પ્રથમ પાક્ષિક માનવીય મૂલ્યોને વરેલું છે.’ સુરતમાં તેનું મુદ્રાંકન થતું અને બ્લેકબર્ન પાસેના ડારવેનમાં તેની એક હજાર નકલ છપાતી. જાહેરાતોના અભાવે અને કમરતોડ નાણાંભીડને કારણે માંડ છ માસ હયાત રહ્યું હતું.

તે હકીકતે એક તેજસ્વી સામયિક હતું અને ભરુચ જિલ્લાના બ્રિટન આવી વસેલા ગુજરાતી મુસ્લિમોની શક્તિઓનું દ્યોતક હતું.

મધ્ય ઇંગ્લૅન્ડના લેસ્ટર નગરમાં ‘ગુજરાત હિન્દુ એસોસિેયેશન’ વરસોથી શું, દાયકાઓથી સક્રિય રહ્યું છે અને તેની વિવિધ પ્રવૃત્તિઓના ભાગ રૂપે 1975થી “અમે ગુજરાતી” નામક માસિક પ્રગટ થતું આવ્યું છે. વાચકોને વિના મૂલ્યે અપાતું આ સામિયક બહુધા સંસ્થાનું મુખપત્ર રહ્યું છે અને તેને લગતી વિગતમાહિતીઓ તેમાં પ્રગટ થતી આવી છે.

લેંકેશરના એક નગર પ્રેસ્ટન ખાતે વસવાટ કરતા જાણીતા શાયર કદમ ટંકારવીએ 1970-75 દરમિયાન, “અવાજ” અને “નવયુગ” ચલાવી જોયાં હતાં. પરંતુ તે ટકી શક્યાં નહોતાં. તદુપરાંત, “બ્રિટન”, “આજકાલ”, “સંગના”, “મેઘના”, “નવજીવન” જેવાં વિવિધ સામયિકો અલ્પ સમયને સારુ પ્રગટ થયાં હતાં. એ વચ્ચે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ વાટે “અસ્મિતા” નામક અનિયતકાલીન વાર્ષિકીના આઠેક અંક પ્રગટ થયા હતા. આ બધામાં લાંબા અરસા સુધી “નવબ્રિટન” ચાલુ રહ્યું હતું. આ માસિકનો આદર સ્ટૉક – ઑન – ટેૃન્ટથી થયેલો પણ પછી લેસ્ટરથી તે પ્રગટ થતુ રહ્યું. તેના તંત્રી તરીકે સાહિત્યકાર વનુ જીવરાજ સોમૈયા હતા.

એક અરસા સુધી, “ગરવી ગુજરાત”માં સેવા આપ્યા બાદ, અમદાવાદસ્થિત “ગુજરાત સમાચાર”ના જાણીતા પત્રકાર કિશોરભાઈ કામદારે, વેમ્બલીમાંથી, “ગુજરાત સંદેશ” નામે એક સામિયકનો આદર કરેલો. એ સામયિક પણ લાંબું ટકી શક્યું નહોતું.

વળી, સમય સમય પર કેટલીક સામાજિક સંસ્થાઓ વાટે તેમનાં મુખપત્રો શરૂ કરાયેલા. આરંભે તેમાં ગુજરાતી મુખ્ય ભાષા રહી. પછી જેમ જેમ વખત જતો થયો તેમ તેમ તેમાં અંગ્રેજીનું ચલણ વિસ્તરું રહ્યું, ગુજરાતીનું ઓસરતું રહ્યું.

આટઆટલી વિગતોની પછીતે, લાંબા અરસા સુધી ટકેલાં અને વિસ્તરેલાં ત્રણ સામયિકોની વિશેષ વિગતે વાત કરીએ : “ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર” તેમ જ “ઓપિનિયન”.

આ ત્રણમાં “ગરવી ગુજરાત”નો આરંભ પહેલાં થયો, તેથી તે વિશેની પ્રથમ રજૂઆત. આ સામિયકનો રમણીકલાલ સોલંકીએ આદર 01 ઍપ્રિલ 1968ના દિવસે કર્યાનું ઇતિહાસ સાક્ષી પૂરે છે.

રમણીકભાઈ સોલંકીને લેખનનો સળવળાટ રહેતો. સુરતથી પ્રગટ થતાં “ગુજરાતમિત્ર” માટે નિયમિત ‘લંડનનો પત્ર’ મોકલતા રહેતા. ગુજરાતના પહેલવહેલા મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા તે દિવસોમાં યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ભારતના ઉચ્ચ આયુક્તપદે હતા. તેમની જીવરાજભાઈ મહેતા સાથે મુલાકાત થઈ તો જીવરાજભાઈએ એકાદ ગુજરાતી છાપું શરૂ કરવાનું સૂચન રમણીકભાઈને કર્યું, તેમ કહેવાય છે. ‘ઇન્ડિયા હાઉસ’માં અવારનવાર રમણીકભાઈ જતા. ત્યાંના જાહેર કાર્યક્રમોમાં ય હાજરી આપતા. જીવરાજભાઈ સાથેનો પરિચય પણ વધતો ગયો તેમ તેમનું સૂચન પણ દૃઢ થતું ગયું.

એક અહેવાલ મુજબ રમણીકભાઈ જીવરાજભાઈને સવાલતા હતા : ‘આ છાપું ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ?’ આ સૂત્રો અનુસાર, જીવરાજભાઈએ જવાબ આપ્યો : ‘ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલાં છાપું ચાલુ કરો.’ કહે છે કે જીવરાજભાઈએ કેટલાક ઉદ્યોગપતિઓ જોડે આ અંગે સહાયક થવાની વાત પણ કરી હોય. અને આમ, રમણીકલાલ સોલંકીએ 01 એપ્રિલ 1968ના આ સૂચિત છાપાનો ઉત્તર વેમ્બલીના પીલ રોડ પરના આવાસેથી આદર કર્યો. નામાભિકરણ પણ થયું : “ગરવી ગુજરાત”. રમણીકભાઈ તેમ જ “ગરવી ગુજરાત” વતી, વડીલ સહાયક, સલાહકાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ મૂળજીભાઈ નાગડાએ પહેલા અંકની નકલ તત્કાલીન ઉચ્ચ આયુક્ત એસ.એસ. ધવનને અર્પણ કરેલી. આજ પર્યન્ત પ્રગટ થતાં “ગરવી ગુજરાત”ને હવે 54 વર્ષ થવામાં છે. આ ખુદ એક મોટી સિદ્ધિ છે.

આરંભના એ દિવસોમાં રમણીકલાલભાઈએ નોકરી પણ ચાલુ રાખી અને બાકીના સમયમાં આ આદરેલા સાહસને સંગોપવામાં સમયશક્તિ આપવાનું રાખ્યું. સપ્તાહઅંત દરમિયાન સામયિકના પ્રચાર પ્રસાર સારુ બ્રિટન ભરમાં ઘુમવાનું જરૂરી હતું. અને એમણે શક્ય દોડધામ કરીને લવાજમ ઉઘરાવવાનું રાખ્યું. આરંભે પખવાડિયે નીકળતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર દોઢ પાઉન્ડ હતું. અથાગ પરિશ્રમને કારણે શરૂઆતમાં “ગરવી ગુજરાત” માટે 150 જેટલાં લવાજમો ઉઘરાવી શકાયા હતા. બે વરસની અવધિ બાદ, આ પખવાડિકને અઠવાડિક કરવામાં આવ્યું. લંડનમાં એમને માટે હરવાફરવાનું સરળ હતું, પરંતુ દેશ ભરમાં થોડુંક મુશ્કેલ હતું. કેમ કે તે ગાડી ચલાવતા નહીં. જાહેર પરિવહનનાં વિધવિધ સાધનોનો ઉપયોગ કરતા. પાછળથી પાર્વતીબહેન ગાડી હંકારતાં શીખ્યાં અને એ રમણીકભાઈના ય સારથિ બન્યાં, એમના સાથીસહોદર પણ થયાં. ચાર સંતાનોના ઉછેરમાં પરોવાતાં રહેવા ઉપરાંત લૉન્ડૃીમાંની નોકરી કરવાની તેમ જ રમણીકભાઈને “ગરવી ગુજરાત” માટે અસીમ સહાય કરવી, એ પાર્વતીબહેનનો રોજિંદો વ્યવહાર બની ચુક્યો.

આ સામયિકના પ્રસાર માટે રમણીકલાલ સોલંકી 1970માં નોકરી છોડે છે અને પૂરો સમય તેના વિકાસમાં મચી પડે છે. આ સાપ્તાહિકમાં સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક બાબતો તેમ જ અનેકવિધ કાર્યક્રમોને આવરી લેવાયા હોઈ, તેની લોકપ્રિયતા વધતી ગઈ. તો બીજી બાજુ, કોઈ પણ આપ્રવાસી અહીંતહીં સર્વત્ર સ્વાભવિકપણે કરતો આવ્યો છે, તેમ રમણીકભાઈએ પણ પરિવારને એક પછી એક પડખે તેડાવી લીધા કે જેથી વિસ્તૃત બનતી જવાબદારીઓ સરળતાએ, વિશ્વાસે નિભાવી શકાય. મોટાં દીકરી, સાધનાબહેન આરંભે જાહેરાત વિભાગનું સંચાલન કરતાં રહેતાં. હવે એ જવાબદારીઓ નાના ભાઈ જયંતીલાલ સોલંકી નિભાવે છે. વળી, બન્ને દીકરાઓ, કલ્પેશભાઈ તેમ જ સૈલેષભાઈ તંત્રી ખાતામાં જવાબદારીઓ સાંચવે છે.

મહારાણી ઇલિઝાબૅથ બીજાંએ 1999માં રમણીકલાલ સોલંકીને ‘ઑર્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’નું બિરુદ એનાયત કરેલું અને તે પછી 2007માં ‘કમાન્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’ની નવાજેશ કરી હતી.

આજે “ગરવી ગુજરાત” યુનાઇટેડ કિંગ્ડમનું એક અગ્રણી પ્રકાશનગૃહ બની ગયું છે. આ જ જૂથનું અંગ્રેજી અખબાર “ઇસ્ટર્ન આઇ” તો માત્ર એશિયનો જ નહિ, પણ યુનાઇટેડ કિંગ્ડમના રાજકીય, સામાજિક અગ્રણીઓનું પણ પ્રિય અખબાર બન્યું છે. “એશિયન રિચ લિસ્ટ” એશિયાઈ વ્યાપારી જગતની પારાશીશી સમાન બન્યું છે. “એશિયન ટ્રેડર”, “ફાર્મસી બિઝનેસ” અને “એશિયન હોસ્પિટાલિટી” જેવાં પ્રકાશનો જે તે ક્ષેત્રના વ્યાપારીઓ વચ્ચે સેતુરૂપ બન્યાં છે. “ઇસ્ટર્ન આઈ”ને એમણે “જ્યુઈસ ક્રોનિકલ”ની જેમ રાષ્ટૃીય અખબાર બની રહે તેની ચીવટ રાખી છે. તેને વંશવાદી છાપાનો પાનો ન ચડે તેની તેમણે કાળજી લીધી છે. આ પગલું તેથીસ્તો ભારે સરાહનીય બની રહ્યું છે.

આરંભના વરસો દરમિયાન, લાગે છે, સમાજના વિવિધ સ્તરે રહી, પહોંચી સાપ્તાહિકને મજબૂત કરવાનું રાખ્યું છે. અનેક વ્યક્તિઓ તથા સમાજના આગેવાનોનો શક્ય સાથ લીધા કરેલો. એક દા પ્રાણલાલ શેઠનું નામ પણ પહેલે પાને તંત્રી તરીકે પ્રકાશિત થયાનું સાંભરે છે. વળી, ગુજરાતી સમાજને એક સાંકળે બાંધી શકાય તે માટે ય રમણીકલાલ સોલંકીએ તનતોડ પ્રયાસ કરેલા છે. પાંચેક દાયકાઓ પહેલાં ‘ફેડરેશન ઑવ્‌ ગુજરાતી ઓર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં માત્ર પૂરેવચ્ચ નહોતા રહ્યા, તેની સક્રિયતા માટે ય યોગદાન એમણે આપેલું છે. મારી જન્મભૂમિમાં જેમનો અમને નિજી પરિચય હતો તેવા અરુશાના નામી શહેરી કાશીગર ગોસ્વામીના વડપણ સાથે ફેડરેશનની પ્રવૃત્તિઓમાં રમણીકભાઈ અને “ગરવી ગુજરાત” અગ્રેસર રહ્યાં હતાં. છેલ્લા દસકાઓમાં, જો કે, રમણીકલાલ સોલંકી વિશેષપણે ગુજરાતી સમાજના વિવિધ સ્તરેથી અલિપ્ત બનતા ગયા હતા, તેથી હેરત અનુભવતો હતો.

જીવરાજ મહેતા – હંસાબહેન મહેતાનો રમણીકભાઈએ જેમ સંપર્ક મજબૂત કરેલો, તેમ એ પછીના દરેક ભારતીય ઉચ્ચ આયુક્ત જોડે સંબંધ કેળવેલો. વળી, એમને ત્યાં આ સાપ્તાહિકને પ્રતાપે “કુમાર”ના બચુભાઈ રાવત, ‘પરિચય ટૃસ્ટ’ના એક ટૃસ્ટી તેમ જ “કોમર્સ”ના તંત્રી વાડીલાલ ડગલી, આપણા વરિષ્ઠ સાહિત્યકાર ઉમાશંકર જોશી તથા નિરંજન ભગત પણ મહેમાન તરીકે પધાર્યા હતા. તે રીતે કેટલા ય સાધુસંતોની તથા પારાયણીઓની પણ આવનજાવન થતી રહેતી.

ભારતની અવારનાવ મુલાકાત લેતા, રમણીકલાલ સોલંકીનું અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ 01 માર્ચ 2020ના અવસાન થયું. આ સાપ્તાહિક ચાલુ રહે તેવી જોગવાઈ પરિવારે કરી છે.

“ગુજરાત સમાચાર”નો આરંભ, 1972ની 05 મેના દિવસે દિવંગત કુસુમબહેન શાહની રાહબરીમાં થયો હતો. મૂળે વઢવાણમાં 1930 દરમિયાન જન્મેલાં કુસુમબહેનના પિતા ચંપકલાલ સૌરાષ્ટૃના રજવાડાંઓમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા. આઝાદી માટેની લડતમાં ય તેમણે ભાગ ભજવ્યો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉપાધિપ્રાપ્ત કુસુમબહેને 1961માં વિલાયતમાં સ્થળાંતર કરેલું. આરંભે 1962માં ‘હિન્દુ સેન્ટર’ની સ્થાપનામાં અગ્રગણ્ય ભાગ ભજવેલો, તેમ 1964 વેળા ‘ઇન્ડિયા વેલફેર સોસાયટી’ની રચનામાં ય  અગ્ર હરોળે ખૂંપી ગયેલાં. વળી, ‘મહાત્માં ગાંધી ફાઉન્ડેશન’ તેમ જ ‘ઇન્ડિયા ઓવરસીઝ કાઁગ્રેસ’માં ય મહત્ત્વના હોદ્દે રહી ચૂકેલાં. આવાં આ અગ્રગણ્ય હિંદી શહેરીએ “ગુજરાત સમાચાર”ની સ્થાપના કરેલી. આરંભે એ પખવાડિક હતું અને પછીથી સાપ્તાહિક. આરંભના એ વરસો દરમિયાન, પ્રાણલાલ શેઠ, નલિનીકાન્ત પંડ્યા, બલવંત કપૂર, યુદ્ધવીર જેવા જેવા અગ્રગણ્ય હિંદી આગેવાનો આ સાહસમાં સાથીદાર હતા. તત્કાલીન ભારતીય ઉચ્ચાયુક્ત અપ્પા સાહેબ પંત દ્વારા આ સામયિકનો શુભારંભ થયેલો.

કુસુમબહેન શાહે એકદા કહેલું, ‘“ગુજરાત સમાચાર”ને બ્રિટન અને યુરોપમાં પ્રતિષ્ઠિત બનાવવામાં બૌદ્ધિકો, લેખકો તેમ જ મારા સહકાર્યકરોએ પાયાનું કામ કર્યું છે.’ પખવાડિકમાંથી અઠવાડિક બનેલું આ સાપ્તાહિક 1972થી 1976 સુધી કુસુમબહેનના તંત્રીપદે જ ચાલ્યું. તે પછી તેના માલિકી હક ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલને વેંચી દેવાયા. આ ફેરબદલીના આરંભના તેરેક મહિના વિપુલ કલ્યાણી તંત્રીપદે હતા અને ચન્દ્રકાન્ત પટેલ પ્રકાશક.

વિપુલ કલ્યાણીને છૂટા કરાયા તે પછી કેટલોક વખત જાણીતા પત્રકાર શિવ ઐય્યરે તંત્રીપદ સંભાળેલું. કેટલાક મુદ્દે, શિવ ઐય્યર “ગુજરાત સમાચાર”ને આ મુલકે પત્રકારત્વનું નિયમન કરતી અધિકારી સંસ્થા સમક્ષ લઈ ગયેલા, અને તેમાં ચૂકાદામાં સામયિકની તેમ જ માલિક-સંચાલકની વખોડણી કરાઈ હતી. તે પછી જયંતીલાલ ઠાકર ‘જયમંગલ’ વાટે ધૂરા સંભાળાઈ હતી. તે પછીના ગાળામાં ઉપેન્દ્ર ગોર, હીરાલાલ શાહ વગેરેની અજામયશ હતી. પરંતુ, લાંબા અરસાથી ચંદ્રકાન્ત બી. પટેલ ખુદ પોતે તંત્રીપદ સંભાળે છે, પરંતુ જ્યોત્સ્નાબહેન શાહ તથા કોકિલાબહેન પટેલ વ્યવહારમાં કાર્યરત રહ્યાં છે.

આ બધું છતાં, આ સામયિક આગામી મે માસ વેળા પચાસ વર્ષ પૂરાં કરશે અને વનપ્રવેશ કરશે. તળ ગુજરાતની, બૃહદ્દ ગુજરાતની વિવિધ બાતમીઓને આવરી લેતા આ સાપ્તાહિકમાં ગુજરાતના કેટલાંક જાણીતા કોલમ લખનારાઓના લેખો નિયમિતપણે પ્રગટ થાય છે. સમય સમય પર સ્થાનિક લખનારાઓની લેખની પણ જોવા સાંપડે છે.

મકરન્દ મહેતાના કહેવા મુજબ, “ગુજરાત સમાચાર” અને તેનું સાથી અંગ્રેજી સામયિક ‘એશિયન વૉઇસ” નવાચારી પત્રો છે અને તેમણે બ્રિટનમાં ગુજરાતીઓ તેમ જ એશિયનોની અસ્મિતાના પ્રસારણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

“ગરવી ગુજરાત” તથા “ગુજરાત સમાચાર” સમાચારપત્રો છે, જ્યારે 1995થી વિપુલ કલ્યાણીના તંત્રીપદેથી પ્રગટ થતું “ઓપિનિયન” વિચાર-સામયિક છે. મકરન્દભાઈ અને શિરીનબહેન કહે છે તેમ, ‘વસ્તુત: તો વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી ડાયસ્પોરાને ધરી પર રાખીને તેની રાજકીય, સમાજશાસ્ત્રીય, સાહિત્યિક, ભાષાકીય, આર્થિક અને ભાવનાપ્રધાન ચર્ચા-વિચારણા કરનાર જો કોઈ માસિક હોય તો તે લંડનથી પ્રસિદ્ધ થતું “ઓપિનિયન” છે. તેની પ્રતીતિ પહેલા અંકના ભીખુ પારેખના લેખ ‘પથરાયેલા ઘરની દાસ્તાન’થી જ થાય છે. ગુજરાત અને વિદેશોમાંથી છપાતાં કોઈ પણ સામયિકે આ વિષય પર આવી ચર્ચાઓ કરી નથી.’

શિરીનબહેન અને મકરન્દભાઈ મહેતાની બેલડીએ નોંધ્યું છે, ‘બ્રિટનમાં વસતા ગુજરાતી સમાજમાં ભાષાને જીવતી રાખવા અને વિકસાવવાના ઘણા પ્રયત્નો થાય છે. ગુજરાતી સાહિત્ય અકાદમી અને “ઓપિનિયન”નો એક મહામંત્ર ‘ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી જીવીએ’ છે.’ અને પછી ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીને ટાંકીને વાસ્તવિકતા છેડતાં કહે છે, અહીં આટલી મોટી સંખ્યામાં − ગુજરાતી સમાજમાં − “ઓપિનિયન”નો ગ્રાહકવર્ગ ફક્ત 200 જ ! અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્યોની સંખ્યા કેટલી ? શરમજનક આંકડાઓ આપણી સમક્ષ રજૂ થાય ! અને ગુજરાતી અખબાર − “ગરવી ગુજરાત” અને “ગુજરાત સમાચાર” તેમ જ “અમે ગુજરાતી”ના વાચકો કેટલા ? નવી પેઢીના વાચકો નહીંવત્‌ સંખ્યામાં છે.

“ઓપિનિયન”ના પહેલા જ અંકમાંની નોંધનો આશરો લઈ, મહેતા દંપતી નોંધે છે, ‘ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની સંભાળ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. દરેક ગુજરાતીની એ ફરજ છે અને દરેક ગુજરાતીના ઘરમાં તેનું પોષણ અને પ્રગતિ જરૂરી છે …’ ‘મંગળ ચોઘડિયે ધરીએ ભોગ રુચિર’ મથાળાવાળા એ અગ્રલેખનું આ અવતરણ પ્રયાપ્ત લેખાય :

‘ … આ સામયિક વિશે શું વાત કરીએ ? ગુજરાતમાં આ પ્રકારના પ્રયોગો પૂરતા સફળ થયા નથી. એની સાધારણ જાણકારી છે. વળી, અખબારોને જાહેરાત વગર નભવું સહેલું નથી, એની જાણ છે અને છતાં આ સાહસ ! સમાજને એ જરૂરી હશે ત્યાં સુધી ચાલશે. છેવટે માણસનો અંત છે, એમ સંસ્થાનો ય અંત છે. એમાં છાપું ય આવી જાય ! અમારી પાસે જે કંઇ કસબ છે એનો આ એક અખતરો કરવા ધારણા છે. ગ્રાહકદેવને રીઝવવા જ છાપું કાઢવું નથી. અમને જે દેખાય છે એ જ વાત ઘૂંટી ઘૂંટીને કહેવી છે, લખવી છે અને આપવી છે. પરિણામે વાચકો આમ ઓછા જ રહેવાના ! આનું કોઈ દુ:ખ ન હોય; એનો સ્વીકાર છે.’

“ઓપિનિયન” આરંભના પંદર વર્ષ મુદ્રિતસ્વરૂપે પ્રગટ થતું રહ્યું. તે પછીના ત્રણ વરસ ડિજીટલ અવતરણમાં રહ્યું. અને તે પછી તે હવે ઇન્ટરનેટ પર રોજ-બ-રોજ વિસ્તરતું ગયું છે. આજે તેની પોતીકી વેબસાઇટ છે.

વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ “નિરીક્ષક”માં નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા : ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં. 

બ્રિટનના ગુજરાતી પત્રકારત્વનું ભાવિ કેવું હશે તેનો કોઈ પણ વિશ્વસનીય અંદાજ કાઢવો મુશ્કેલ છે, તેમ શીરિનબહેન – મકરન્દભાઈ મહેતાનું માનવું છે. મહેતા દંપતી કહે છે, ‘પણ જે ઝડપથી જૂની પેઢીનું આધિપત્ય ઘસાતું જાય છે અને ગુજરાતી ભાષા પ્રત્યે લગભગ બેધ્યાન હોવા છતાં પણ વધારે શક્તિશાળી, ગતિશીલ અને તરવરાટવાળી પેઢીનો સૂરજ તપતો જાય છે. તે જોતાં એમ લાગે છે કે જો પત્રકારત્વ સારી રીતે ચલાવવું હશે તો યુવાનો સાથે એક્ટિવ સંવાદ રચવો પડશે. યુવા પેઢીનાં સ્ત્રી-પુરુષો તેમનાં લખાણો ગુજરાતીમાં પ્રસિદ્ધ કરે તો સોનામાં સુગંધ ભળે તેવું થશે. ગુજરાતી પત્રકારત્વના ઉજ્જવળ ભાવિ માટે નવેસરથી વિચારવાની જરૂર છે.’

ઉમાશંકર જોશીએ પાળ બાંધી આપી છે એ મુજબ ગુજરાતી ક્યાં ય કેવળ ગુજરાતી રહે તે પાલવે તેમ નથી, તે રહી પણ ન શકે, નહીં તો કોહવાઈ જાય. સંકીર્ણતાના પાયા પર ઉન્મેષ જાગતો નથી, એ ગુજરાતીને સતત કહેવું જ રહ્યું. છતાં યક્ષપ્રશ્ન તો છે જ : વિશ્વભરની આપણી આ જમાતને બૃહસ્પતિની પાળે એકસૂત્રી કોણ કરી શકશે ?

પાનબીડું :

બીજી તરફ છે બધી વાતોમાં હિસાબ હિસાબ,


અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.
                                                        

                                                  − ‘મરીઝ’

સંદર્ભ :

1. ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ – લેખક : મકરન્દ મહેતા, શિરીન મહેતા

2. “ઓપિનિયન” વિચારપત્ર, 26 સપ્ટેમ્બર 2002

3. https://opinionmagazine.co.uk 

4. “નિરીક્ષક”        

હેરૉ, 19 ફેબ્રુઆરી 2022

E.mail : vipoolkalyani.opinion@btinternet.com

પ્રગટ : “અખંડ આનંદ”, ઍપ્રિલ 2022; પૃ. 67-72

Loading

નિર્ભિક પત્રકારત્વ, ક્યાં શોધવા જઈશું?

ભગવાનજી રૈયાણી|Opinion - Opinion|8 April 2022

‘પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરિયાણાંની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!’ ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સિદ્ધાંત પર બે ઝુઝાર પત્રકારો ફિલીપાઈન્સની મારિયા રેસા અને રશિયાના ડિમિટ્રી મુરાટોવને પત્રકારત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો જાનનાં જોખમે પણ પ્રકાશિત કરવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા.

જોસેફ મેકવાન દલિત સાહિત્યના એક જબ્બરદસ્ત લેખક. એમનો સગો ભત્રીજો મનીષ મેકવાન લેખક અને ધુરંધર પત્રકાર પણ કોરોનાનો કોળિયો થઈ ગયો. એ કહેતો : “પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરિયાણાંની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!” પણ સરકારની મહેરબાનીમાં રાચતા મીડિયા માલિકો એને જીરવી ન શક્યા. એ નોકરીઓ બદલતો રહ્યો પણ વ્યવસાયના સિદ્ધાંત સાથે સમાધાન ન કરી શક્યો. સિત્તેર ટકા અખબારો અને નેવું ટકા ન્યુઝ ચેનલો જાણે સરકારી માધ્યમો હોય એવો મસાલો પીરસી રહ્યાં છે.

એક જ દાખલો બસ થશે. યોગી એટલે યોગસાધક અને શિષ્યોનો યોગગુરુ. આદિત્ય એટલે સૂર્ય. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ. ગોરખપુરના એક આશ્રમના સાધુ અધિપતિ; પણ સત્તાગ્રહણ બાદ ફરી સત્તામાં આવવાના અભરખે સાધુત્વ પાતળું પડી ગયું. રોજે રોજ ભારતના એક બે નહીં પણ સેંકડો અખબારોમાં પાનાંઓ ભરીને સરકારી ખર્ચ પોતે શી સિદ્ધિઓ હાંસલ કરી છે એની પ્રસિદ્ધિ કરતા રહે છે. ટી.વી. ન્યુઝમાં પણ. કારણ કે રાજ્ય ધારાસભાની ચૂંટણીઓ માથે છે. ન્યુઝ ચૅનલોમાં દિવસમાં દસ વાર ડીંડક વગાડતા રહે છે. ગરીબ રાજ્યના કરોડો નહીં પણ અબજો રૂપિયા વેડફતા રહે છે. આપણે જાણીએ છીએ કે અખબારના એક પાનાની જાહેરખબરના દર લાખો રૂપિયા હોય છે. ન્યુઝ ચેનલના દર પ્રતિ સેંકડે લાખોમાં આપવા પડે છે; પણ ક્ષિતિજમાં ઉષાનાં આનંદદાયક ગુલાબી કિરણો પણ ચમકે છે.

તા. 9 ઓક્ટોબર, 2011ના માધ્યમોમાં એક સુખદ સમાચાર વાંચ્યા. ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સિદ્ધાંત પર બે ઝુઝાર પત્રકારો ફિલીપાઈન્સની મારિયા રેસા અને રશિયાના ડિમિટ્રી મુરાટોવને પત્રકારત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો, જાનનાં જોખમે પણ પ્રકાશિત કરવા માટે, નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા. એમના વિશે થોડું :

મારિયા રેસા ફિલીપાઈન્સની આ મહિલા અખબારનવીશને માનવધર્મ આચરતા રહીને સંશોધન માટે અમેરિકાની કુલબ્રાઈટ સ્કૉલરશીપ મળી એ પ્રેસિડેન્ટ ડયુટર્ટ રેપલરના ભ્રષ્ટાચાર સામે સતત લડતી રહી. પ્રમુખના કૉન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટ (હોદ્દાનો અપ્રમાણિક લાભ) એ મારિયાનો એક પત્રકાર તરીકેનો મુખ્ય મુદ્દો રહ્યો એની સામે સરકારે બદનક્ષીનો કેસ કર્યો અને જેલ ભેગી કરી. અત્યારે જામીન પર છે.

એવો જ બીજો રશિયાનો ભડવીર પત્રકાર ડિમિટ્રી મુરાટોવ સરમુખત્યાર સામ્યવાદી સરકાર સામેની ગેરરીતિઓ સામે અને ખાસ તો પ્રેસિડેન્ટ પુટિનનો કટ્ટર વિરોધી બનીને અખબારોમાં લખતો રહીને શાંતિનું નોબેલ પારિતોષિક જીતી ગયો. એ પહેલાં રશિયામાં એના જેવા છ પત્રકારોનાં ખૂન થયેલાં. મુરાટોવે પોતાનો પુરસ્કાર આ શહીદ પત્રકારોને અર્પણ કરીને કહ્યું કે, “ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની એની લડાઈ ચાલુ જ રહેશે.” આમ 86 વરસ પછી પ્રથમવાર નિર્ભિક પત્રકારત્વને વિશ્વનું સૌથી મોટું નોબેલ પ્રાઈઝથી નવાજવામાં આવ્યું.

આપણા બંધારણની કલમ 19 (1) (અ) અન્વયે આપણા મૂળભુભૂ અધિકાર (ફન્ડામેન્ટલ રાઈટ્સ) મુજબ આપણને ‘વક્તવ્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ની મહામૂલી ભેટ મળી છે. કલમ 19(2)માં દર્શાવ્યા મુજબના વાજબી પ્રતિબંધો સાથે તમારાં મંતવ્યોને ખુલ્લંખુલ્લા વાચા આપી શકો છો. સરકારને એમાં દખલ કરવાની સત્તા નથી. આ નાગરિક હક્ક લોકશાહીની કરોડરજ્જુ સમાન છે; પણ હમણાં હમણાં પેગાસસ સોફટવેર નામે એક ઈઝરાયેલી જાસૂસી તકનીકે ઉપાડો લીધો છે. એ તમને ખબર પણ ન પડે એ રીતે તમારા અંગત જીવનની તમામ વિગત વ્યાપારી હિતો, ખાનગી મસલતો, રાજકીય કૌભાંડો, વગેરેમાં છૂપી રીતે ઘૂસી જાય છે. આ ટેક્નીકનો સૌથી વધુ દુરુપયોગ સત્તાધીશ પાર્ટી દ્વારા વિરોધ પક્ષોના નેતાઓ પર થાય છે. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તમે કોઈના ખાનગી જીવન, અન્ય હિતો કે યોજનાઓ પર તરાપ ન મારી શકો. અત્યાર સુધીની તમામ વિગતો ખુલ્લી કરો પણ હંમેશની જેમ સરકાર ગલ્લાંતલ્લાં કરી રહી છે.

અત્યાર સુધીમાં દુનિયાના સરમુખત્યાર શાસકો અને સ્થાપિત હિતોની સામે લડતા હજારો પત્રકારોનાં ખૂનો થઈ રહ્યાં છે. ‘મેરા ભારત મહાન’ પણ આ મીડિયા સંહારમાંથી મુક્ત નથી.

બંધારણના આમુખમાં આપણા દેશને સાંપ્રદાયીક રાષ્ટ્રનું મહોરું ચડાવ્યું છે પણ પત્રકાર એનો ભંગ થતાના સમાચાર છાપશે કે કટ્ટરવાદી સંપ્રદાયવાળાઓ એના પર તૂટી પડશે કે એને મોતને ઘાટ પણ ઊતારી દેશે. ક્યાંક ગુંડાના કરતૂતો સામે લેખ છપાય તો લખનારને પતાવી દેવાના કારસા તો જગજાહેર છે. વર્ષોથી જમ્મુ–કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓએ ઉપાડો લીધો છે પણ સરકાર થોડાને મારે છે અને પોતાનાયે મરાય છે. બધા સોશિયલ મીડિયા, વાઈ–ફાઈ, ઈન્ટરનેટ સરકાર બંધ કરે છે પણ કાયમી ઉકેલ આવતો નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે કે તમે લોકોના માહિતી મેળવવાના હકને બંધ ન કરી શકો; પણ સરકાર ઈન્ડિયન પીનલ કોડની કલમ 124–અ બતાવીને કહેશે કે અમુક વ્યક્તિઓએ દેશદ્રોહ કર્યો છે. આતંકીઓને મદદ કરી છે, આમ કોર્ટને પણ ગાંઠતી નથી.

સરકાર જે કાંઈ કરે એની માહિતી પ્રેસનોટ દ્વારા પ્રિન્ટ અને દૃશ્ય માધ્યમોમાં આવતી જ હોય છે પછી મસમોટી જાહેરખબરોની શી જરૂર? તમે સરકારનાં કાળાં કામો ઉઘાડાં કરો તો સરકારી જાહેરખબર ન મળે. મીડિયા મૅગ્નેટોને એ કેમ પોસાય? પત્રકાર બીચારો શું કરે? – એને પણ બેરીછોકરાં હોય કે નહીં?

કરદાતાઓના આવા બેફામ વેડફાટની સામે એક અદના એક્ટિવીસ્ટ (કર્મશીલ) તરીકે બૉમ્બે હાઈ કોર્ટમાં એક પી.આઈ.એલ. (જનહિત યાચિકા) નં. 24 ઑફ 2004 ફાઈલ કરી. પ્રતિવાદી તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 2004ના ફેબ્રુઆરીમાં મે મહિનામાં થનારી લોકસભાની ચૂંટણી માટે વાજપેયીની સરકારે પાર્લામેન્ટ બરખાસ્ત કરી. રખેવાળ સરકાર તરીકે અત્યંત જરૂરી બાબતો સિવાય કોઈ વધારાનો ખર્ચ ન કરી શકે; પણ તેઓ તો ‘ઇન્ડિયા શાઈનીંગ’નાં સૂત્ર હેઠળ જાહેરખબરો દ્વારા પોતાની સરકારી સિદ્ધિઓ બતાવવા કરોડોનો ખર્ચ કરવા માંડ્યા. મહારાષ્ટ્ર સરકારના કાઁગ્રેસી મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ ‘અગ્રેસર મહારાષ્ટ્ર’ની તીતૂડી વગાડીને જાહેરખબરો માટે પચીસ કરોડ ફાળવી દીધા જે અગાઉની ચૂંટણીઓમાં રૂપિયા બે કરોડ જ હતા; પણ વિરોધ પક્ષો છાપાંઓએ કાગારોળ મચાવી મૂકી. અંતે ઈલેક્શન કમિશનને પ્રતિબંધ મુક્વો પડયો. મારે ત્યાં ગુજરાતી અંગ્રેજી મળીને ચાર છાપાંઓ આવે છે. એમાંથી 41 મસમોટી જાહેરખબરો જે સુશીલકુમાર શિંદેએ આપેલી એ પકડી પાડીને મેં એફિડેવિડમાં આમેજ કરી. પણ મારું તો ‘વો દિન કહા કી મિયાં કે પાંવમેં જૂતી’ જેવું થયું. મારી પિટીશન હજુ હાઈ કોર્ટની આલમારીમાં સૂનાવણીની રાહમાં ધૂળ ખાતી પડી છે. ભારતના ન્યાયતંત્રની શરમ.

••••

રૅશનાલિસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહિતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દિશા’ ત્રિમાસિક ( http://fastjustice.org ) પણ પ્રકાશિત કરે છે. આ લેખ ‘અભિવ્યક્તિ’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.

‘જન્મભૂમિ પ્રવાસી’, મુમ્બઈમાં દર રવિવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 07 નવેમ્બર, 2021ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભૂમિ પ્રવાસી’ ના સૌજન્યથી સાભાર …

Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 

eMail: fastjustice@gmail.com

https://govindmaru.com/2022/04/08/bhagwanji-raiyani-11/

પોસ્ટ કર્યા તારીખ : 08–04–2022

Loading

...102030...1,4371,4381,4391,440...1,4501,4601,470...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved