Opinion Magazine
Number of visits: 9671840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દયા અને ઉપેક્ષામાં જીવતા, અધિકાર માગતા વિકલાંગ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 August 2022

લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા અને કદરૂપા કહેવાતા, જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતા લોકોનો, મોટો સમૂહ દેશ અને દુનિયામાં દયા અને ઉપેક્ષામાં જીવન બસર કરે છે. ભારતમાં પહેલા તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દિવ્યાંગ કીધા અને માધ્યમોએ તે નામ જાણીતું કર્યું. અંગ્રેજી ભાષામાં તેના માટે હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેશિયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે. આમ તેમની ઓળખ બદલાતી રહી છે, પણ સ્થિતિ ઝાઝી બદલાઈ નથી.

૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં ૨.૧૯ કરોડ વિકલાંગો હતા. જે એક દાયકા પછી ૨૦૧૧માં વધીને ૨.૬૮ કરોડ થયા હતા. એ વરસે ગુજરાતમાં ૧૦.૯૨ લાખ વિકલાંગો હતા. ૨૦૧૧ની દેશની ૧૨૧ કરોડની આબાદીમાં ૨.૨૧ ટકા વિકલાંગો હતા. તેમાં ૧.૫ કરોડ પુરુષો અને ૧.૧૮ કરોડ મહિલાઓ હતી. વિકલાંગોની ૭૦ ટકા જેટલી મોટી વસ્તી ગ્રામીણ ભારતમાં છે વિકલાંગોનો સાક્ષરતા દર ૫૫ ટકા છે, પરંતુ સ્નાતક ૫ ટકા જ છે. દેશના ત્રણેક કરોડ અપંગોમાંથી માંડ ૩૬ ટકા જ રોજગાર મેળવે છે. દેશની ટોચની પાંચ ખાનગી કંપનીઓમાં ૦.૫ ટકા દિવ્યાંગોને જ રોજગાર મળે છે. એટલે મોટા ભાગના જીવનનિર્વાહ માટે અન્ય પર નિર્ભર છે.

ભારતીય બંધારણની સાતમી અનુસૂચિની રાજ્ય યાદીની જોગવાઈ નવ મુજબ રાજ્ય વિકલાંગોના પુનર્વાસ અને સહાયતા માટે બાધ્યકારી છે. તેમ છતાં બંધારણ અમલીકરણનાં પિસ્તાળીસ વરસો બાદ ૧૯૯૫માં સંસદે વિકલાંગ ધારો ઘડ્યો હતો. વિકલાંગ વ્યક્તિ (સમાન તક, અધિકારોનું સંરક્ષણ અને પૂર્ણ ભાગીદારી) અધિનિયમ ૧૯૯૫માં વિકલાંગોના શિક્ષણ, રોજગાર, અવરોધમુક્ત વાતાવરણ નિર્માણ અને સામાજિક સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી. તે પછી કાયદામાં સુધારા, નવા કાયદા અને રાષ્ટ્રીય નીતિ ઘડાતી રહી છે. વિકલાંગો માટેની ૨૦૧૬ની પહેલી રાષ્ટ્રીય નીતિને વધુ અદ્યતન કરવા માટે સરકારે બાણું પૃષ્ઠોનો મુસદ્દો તાજેતરમાં જાહેર વિમર્શ માટે પ્રસ્તુત કર્યો હતો.

૧૯૯૫ના વિકલાંગ ધારામાં વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. પરંતુ રાઈટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એકટ, ૨૦૧૬માં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી હતી. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, કુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક-સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી હતી. જીવનનાં તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક અને માનવીય ગરિમા પ્રાપ્તિનો ઉદ્દેશ ધરાવતા આ કાયદામાં ચાળીસ ટકા વિકલાંગતા ધરાવતી વ્યક્તિને શિક્ષણ અને રોજગારમાં ચાર ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. વિકલાંગોનો જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનોના નિર્માણની પણ જોગવાઈ છે. વિકલાંગો પ્રત્યે ભેદભાવ આચરનારને સજા, સમાજ સુરક્ષા યોજનાઓ અને બાળકો તથા મહિલાઓ માટે ખાસ સગવડોની જોગવાઈ કાયદામાં કરી છે.

જો કે રૂપાળી કાયદાકીય જોગવાઈઓ અને વિકલાંગો પ્રત્યે સમાજની પૂર્ણ સહાનુભૂતિની કહાણીઓ કરતાં વાસ્તવિકતા જુદી છે. સમાન તક વિકલાંગો માટે કેટલા જોજન દૂર છે તેનું એક ઉદાહરણ તો દેશની સર્વોચ્ચ એવી સિવિલ સેવામાં તેમના પ્રત્યેના વલણમાં જણાયું હતું. યુ.પી.એસ.સી.ની સિવિલ સેવા એકઝામમાં કુલ ઉમેદવારોમાંથી ૦.૩૦ ટકા જ ઉત્તીર્ણ થાય છે. ૨૦૧૪માં ૬૦ ટકા વિકલાંગતા ધરાવતા ઈરા સિંઘલ યુ.પી.એસ.સી. ટોપર બન્યાં હતાં.  તે વરસે નવ વિકલાંગોએ સિવિલ સર્વિસ એકઝામ ક્લિયર કરી હતી. પણ કોઈને નિમણૂક મળી નહોતી. કોર્ટ-કચેરી અને વડા પ્રધાનને રજૂઆત પછી નવમાંથી સાતને એપોઈન્ટમેન્ટ મળી હતી. જો દેશની સૌથી મોટી નોકરી મેળવવામાં વિકલાંગોની આ હાલત હોય તો પછી તેમના પ્રત્યેની દયા અને સહાનુભૂતિ ઠાલી લાગે છે.

૨૦૧૧માં ૧૯૯૫ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા હરાવતા લોકોની વસ્તી ૨.૬૮ કરોડ હતી. ૨૦૧૬ના કાયદામાં એકવીસ પ્રકારની વિકલાંગતા માન્ય રાખી હતી. પરંતુ તેને કારણે વિકલાંગોની સંખ્યામાં જે વધારો થયો તે પ્રમાણેની જોગવાઈઓ કાયદામાં કરી નહોતી. ૧૯૯૫માં વિકલાંગોને શિક્ષણ અને નોકરીઓમાં ૩ ટકા અનામત આપી હતી. ૨૦૧૬માં તે વધારીને ૪ ટકા કરી હતી. વિકલાંગતાના પ્રકારમાં ત્રણ ગણો વધારો કર્યો પણ અનામતની ટકાવારી એક ટકો જ વધારી. તેનાથી વિકલાંગોનો શિક્ષણ અને રોજગારનો સવાલ યથાવત રહે છે.

શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત અપર્યાપ્ત છે. તાજેતરમાં જાહેર વિમર્શ માટે રજૂ થયેલ રાષ્ટ્રીય વિકલાંગ નીતિના ડ્રાફટમાં કૌશલ્ય વિકાસ અને રોજગારને એક સાથે મૂક્યા છે. કદાચ સરકારના આ બે મંત્રાલયો એક સાથે છે એટલે આમ કર્યું હોય પણ તે ભારે અન્યાયકારી છે. દેશમાં ૬૪ ટકા વિકલાંગો રોજગારવિહોણાં હોય ત્યારે વધુ સ્પષ્ટ નીતિની આવશ્યકતા છે.

પોલિસી ડ્રાફ્ટના દસ ક્ષેત્રોમાં એક સર્ટિફિકેશન પણ છે. ૨૦૧૧ના ૨.૬૮ કરોડ વિકલાંગોમાંથી સરકાર અડધાને જ વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર આપી શકી હોય ત્યારે આ પ્રક્રિયાને વધુ સરળ કરવાની જરૂર છે. પચાસ ટકા કરતાં વધુ દલિત આદિવાસી પછાત વિકલાંગ બાળકો શિક્ષણથી વંચિત હોય ત્યારે વિકલાંગોને અલાયદી શિક્ષણ સંસ્થાઓને બદલે કથિત મુખ્ય ધારાની સંસ્થાઓમાં જ શિક્ષણ મળે તે સમાવેશી સમાજરચના માટે તાકીદની જરૂર છે.  વિકલાંગોને ભિન્ન નહીં પણ સમાજનો જ એક હિસ્સો બનાવવા હજુ ઘણા પડકારો ઉઠાવવાની જરૂર છે. લાખો બેન્ક એ.ટી.એમ. અને જાહેર સ્થળો વિકલાંગોના ઉપયોગ માટે સરળ કરવાનો પડકાર પણ છે જ.

વિકલાંગોને તેમના પ્રત્યેની દયા કે સહાનુભૂતિ ભ્રમ લાગે તેવો માહોલ છે. તેઓ દેશના નાગરિક તરીકે સમતા, ન્યાય અને સહભાગિતાના હકદાર છે. એનો અહેસાસ કરાવવો તે પણ મોટો પડકાર છે. માત્ર કાનૂની જોગવાઈઓથી વિકલાંગોનું દળદર ફીટવાનું નથી. સરકારી નીતિઓના અસરકારક અમલ માટેનું તંત્ર અને સમાનુભૂતિ ધરાવતો સમાજ વિકલાંગો ઝંખે છે.

દેશના સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્ય કેરળમાં હમણાં પ્રદર્શિત થયેલી મલયાલમ ફિલ્મ”કડુવા”માં વિકલાંગો વિશેના સાવ જ અનુચિત સંવાદનો વિવાદ જાણીને તો લાગે છે કે આપણે આ દિશામાં હજુ કેટલી લાંબી મજલ કાપવાની બાકી છે. ફિલ્મના અભિનેતા અને નિર્માતાએ વિવાદ પછી બિનશરતી માફી માંગી છે પણ આ માનસને કઈ રીતે માફ કરી શકાશે ? વિકલાંગોએ અને તેમના સમર્થકોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાયની લડાઈ લડવાની તેનો આછો અણસાર ‘કડુવા’ ફિલ્મના વિવાદ પરથી મળે છે.

(તા.૨૭.૦૭.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com

Loading

મહેન્દ્ર મેઘાણીના જીવન-કાર્ય-સંભારણાં-અભિપ્રાયોનું મેઘધનુષ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|11 August 2022

પત્રકાર, લેખક અને સંશોધક ઉર્વીશ કોઠારીનું ‘મહેન્દ્ર મેઘાણી’ પુસ્તક ગુજરાતના લોકોત્તર વાચનપ્રસારકના જીવનકાર્યની ઓળખ રસાળ રીતે આપે છે. આ પુસ્તક લખીને ઉર્વીશભાઈએ  મહેન્દ્રભાઈના જંગમ પ્રદાનની કદરબૂજ કરવાનું જે કામ કર્યું છે તે ખરેખર તો ગુજરાતની અક્ષરઆલમે કરવા જેવું હતું. 

મહેન્દ્રભાઈ સાથેની દીર્ઘ મુલાકાતનું બનેલું, એક બેઠકે ક્યાં ય રસક્ષતિ વિના વાંચી જવાય તેવું, અનેક ફોટા સાથેનું આ પુસ્તક મહેન્દ્રભાઈના જીવનકાર્યનું પહેલવહેલું આધારભૂત દસ્તાવેજીકરણ છે. તે મહેન્દ્રભાઈના જીવનકાળમાં, તેઓ એકંદરે સ્વસ્થ અને સજાગ હતા ત્યારે તૈયાર થયેલું છે.                    

‘સાર્થક પ્રકાશન’ના આ પુસ્તકનું ઉદ્દઘાટન 26 જાન્યુઆરી 2020ના દિવસે ભાવનગરમાં ‘લોકમિલાપ’ના ફળિયામાં મહેન્દ્રભાઈના પરિવારજનો અને ચાહકોની હાજરીમાં એક અવસર તરીકે થયું.

‘માતબર મુલાકાતો સ્વરૂપે વ્યક્તિવિશેષના જીવન-સર્જનનું અંતરંગ આલેખન’ કરતી જે ‘સાર્થક સંવાદ શ્રેણી’ હેઠળ આ પુસ્તક તૈયાર થયું છે તેમાં આ પૂર્વે ‘સફારી’ વિજ્ઞાન માસિકના શિલ્પી નગેન્દ્રવિજય અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ પરનાં પુસ્તકો પણ બહાર પડ્યાં છે.

પુસ્તકનો મુખ્ય હિસ્સો બિલકુલ સહજ સવાલ-જવાબ તરીકે મૂકવામાં આવેલી મહેન્દ્રભાઈ સાથેની 84 પાનાંની દીર્ઘ મુલાકાત છે જે ચાર વિભાગોમાં છે : ‘ઝવેરચંદ મેઘાણી સાથેનાં સંભારણાં’, ‘વિદ્યાર્થી અવસ્થા-લગ્ન-વિદેશગમન’, ‘ગાંધીજી-સરદાર-નહેરુ-પત્રકારત્વ-સ્વામી આનંદ’, ‘મિલાપ-લોકમિલાપ : પ્રવૃત્તિઓ’, ‘ફિલ્મ મિલાપ’, ‘સંક્ષેપ, જોડણી, લિપિસુધાર’, ‘અંગત ગોષ્ઠી’.

સવાલ-જવાબ બાદ, મહેન્દ્રભાઈનો એવો જીવનક્રમ મળે છે જેની એમણે પોતે ખરાઈ કરી હોય. તે પછી કક્કાવારીમાં ગોઠવાયેલી બે યાદીઓ છે : એક, મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત કરાયેલાં પુસ્તકો-પુસ્તિકાઓ; અને બે, મહેન્દ્રભાઈ  દ્વારા અનુવાદિત પુસ્તકો.

પહેલાં વિભાગનાં 132 અને બીજાંનાં 20 પુસ્તકોનાં નામ પણ ધ્યાનથી જોઈએ તો એક અસાધારણ વાચનનિષ્ણાત તરીકેના મહેન્દ્રભાઈના રુચિવૈવિધ્ય અને તેમની દૃષ્ટિનો સાગમટે અંદાજ આવે છે, જે કદાચ આવી સમાવેશક યાદી વિના ન આવી શકે.

ચરિત્રલેખનની એક પ્રયુક્તિ તરીકે સવાલ-જવાબના ફૉર્મ સાથે કામ લેવાની ઉર્વીશભાઈની આવડત અને મુલાકાત લેવા માટે તેમણે કરેલું ઘરકામ, પુસ્તક વાંચતી વખતે ધ્યાનમાં આવતાં રહે છે.

દરેક વિભાગમાં કેટલાક સવાલ-જવાબ તો સોંસરા છે. જેમ કે, ‘ઝવેરચંદ મેઘાણી સાથેનાં સંભારણાં’માં એક સવાલ આ મતલબનો છે : ‘ઝવેરચંદ મેઘાણીનાં ચિત્રાદેવી સાથેનાં લગ્નને તમે સમભાવથી લઈ શકેલા?’ જવાબ છે : ‘સૉરી ટુ સે, નહોતો લઈ શક્યો.’ મહેન્દ્રભાઈના બા એટલે કે ઝવેરચંદ મેઘાણીના પહેલાં પત્ની દમયંતીબાએ અગ્નિસ્નાન કર્યું હતું. મહેન્દ્રભાઈને ઉર્વીશે એમના બાનું સ્મરણ પૂછ્યું. મહેન્દ્રભાઈએ અગ્નિસ્નાનના બનાવની થોડી વાત કરી, અને તેમાં કહ્યું : ‘મને કોઈ  દિવસ ખ્યાલ જ નહીં કે બા આવાં દુ:ખી  હશે …’

મેઘાણીભાઈની ‘છેલ્લી અવસ્થાની વાત’માં મહેન્દ્રભાઈ કહે છે : ‘એમને સ્મશાનમાં ચિતા પર મૂક્યાં ત્યારે મને થતું હતું કે હું ચિતામાં કૂદી પડું, બાપુજીની પાછળ.’

‘ગાંધીજી-સરદાર …’ પ્રકરણમાં સ્વામી આનંદની લાક્ષણિકતા વિશેના સવાલમાં મહેન્દ્રભાઈ કહે છે : ‘એ અતિશય પ્રેમાળ .. મને કહેતાં હું તને પુત્રવત ગણું છું .. બહુ મેં દુ:ખી કર્યા એને. ઘણાં માણસોને મેં દુ:ખી કર્યા … મારા પિતાને દુ:ખી કર્યા છે, મારી પત્નીને દુ:ખી કરી છે. કેટલીક અવળચંડાઈ મારામાં છે.’ પત્નીને ‘અકોણા સ્વભાવને કારણે દુ:ખી કરેલી’ એમ પણ તેઓ કબૂલે છે.

મહેન્દ્રભાઈ તેમણે હાથ ધરેલી લિપિસુધારણાની પ્રવૃત્તિને લગતા સવાલોના વિગતે જવાબ આપે છે. તેમાં એક જગ્યાએ કહે છે : ‘મારો એવો દાવો છે કે કોઈ માણસની સાથે હું અરધો કલાક બેસું તો એના ગળે લિપિસુધાર ઊતરાવી જ દઉં. લૉજિકલ વસ્તુ છે.’

એક જગ્યાએ મહેન્દ્રભાઈ કહે છે : ‘બબલભાઈ મહેતા મારા બહુ પ્રિય-અત્યંત પ્રિય .. રોલ મૉડેલ .. હું મહાત્મા ગાંધી ન થઈ શકું, પણ બબલભાઈ થઈ શકું. એમનું આપણે અનુકરણ કરી  શકીએ.’

ઉર્વીશભાઈનો  સવાલ : ‘મૃત્યુ  વિશેના વિચાર આવે ?’ જવાબ : ‘સરકાર જે સુધારા કરવા માગે છે તેમાંથી એક સુધારાની હું બહુ આતુરતાથી રાહ જોઉં છું. આત્મહત્યાનો પ્રયત્ન કરવો એ ગુનો છે એ કલમ જો કાઢી નાખે તો મારે પહેલો એનો અમલ કરવો છે.’ આ કેટલાક દાખલા છે. આ રીતે મહેન્દ્રભાઈની મનોભૂમિની ઝલક મુલાકાતના દરેક વિભાગમાં મળતી રહે છે.

અનેક બનાવો પણ છે. મહેન્દ્રભાઈ સંભારે છે કે પિતાજીએ તેમને એક જ વખત માર્યા હતા. મોઈદાંડિયાના દાંડિયાથી બજાર વચ્ચે ફટકારેલા એ પ્રસંગ તેઓ વર્ણવે છે. વિદ્યાર્થી અવસ્થા વિશેના પ્રકરણમાં મહેન્દ્રભાઈ કહે છે કે 1942ની ચળવળમાં તેઓ ‘પાટા ઉખેડવાનું ને એવું બધું’ કરતા, ‘બોટાદમાં છમકલાં કર્યાં … તારનાં દોરડાં કાપેલાં ને … છોકરમત બધી’ કરેલી.

દેશના જાહેર જીવનમાં હિન્દુ-મુસ્લિમ ભેદ ન હોવા જોઈએ એવો મહેન્દ્રભાઈનો આદર્શ. એટલે તેઓ કહે છે : ‘હિન્દુ અને મુસલમાનનાં નામ શું કામ જુદાં હોવાં જોઈએ? અને અબુલ કલામના નામ પરથી મેં એનું (મોટા  દીકરાનું) નામ અબુલ રાખ્યું.’

અમેરિકા વિશે  છાપાંમાં અને ખાસ તો કૃષ્ણલાલ શ્રીધરાણીના  ‘My India, My America’ પુસ્તકમાં વાંચીને એ ભોમ વિશે ‘એટલી બધી લાગણી’ જાગી કે 1948માં પત્રકારત્વનું ભણવા ન્યુયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં પહોંચ્યા. ત્યાં એમના કાગળિયા જોઈને અધિકારીએ કહ્યું કે ‘આ તો પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્કૂલ છે, ને તમે તો ગ્રૅજ્યુએટ પણ નથી થયા’ ! અમેરિકા જવાની આર્થિક વ્યવસ્થા ‘મારા સસરાને આભારી’, એમ પણ મહેન્દ્રભાઈ સ્વીકારે છે.

ગાંધીજીમાં પહેલવહેલી વાર રસ પડ્યો તે શિક્ષક જમુભાઈ દાણીએ કરેલા ‘સત્યના પ્રયોગો’ના સંક્ષેપને કારણે. ‘પ્રિન્સ ઑફ મેન’ જવાહરલાલ નહેરુ સાથેનો એક પ્રસંગ મહેન્દ્રભાઈએ વર્ણવ્યો છે.

યુગોસ્લાવિયામાં એક જગ્યાએ બીજા લોકો માટે પ્રતિબંધિત એવી લક્ઝરી શીપમાં સહેલગાહે ગયેલાં પંડિતજી સાથે ‘ખાદીની ટોપી અને સફેદ કપડાં’ પહેરેલાં મહેન્દ્રભાઈ ‘નહેરુના માણસ’ તરીકે  ‘ગૂપચૂપ ઘૂસી’ ગયા હતા.

મહેન્દ્રભાઈ ભાવનગરમાં રવિવારે ‘લોકમિલાપ’ બંધ હોય તે દિવસે પુસ્તકોની લારી લઈને વેચાણ માટે ફરતા. તેમના મિત્ર માનભાઈ ભટ્ટે ઘોડા પુસ્તકોના ઘોડા સાથેની ખાસ લારી બનાવડાવી હતી.

ઉર્વીશભાઈ ‘મહેન્દ્ર-મિલાપ’ મથાળા હેઠળની પ્રસ્તાવનામાં જણાવે છે કે આ પુસ્તક ‘મહેન્દ્રભાઈને અને લોકમિલાપને આદરાંજલિ તરીકે’ તૈયાર થયું છે. આ પ્રસ્તાવનામાં લેખકના મહેન્દ્રભાઈ સાથેના સંબંધનો આલેખ, તેમના માટેના આદરના કારણો, સંક્ષેપીકરણના તેમના અભિગમ સાથેના મતભેદ અને આ પુસ્તક માટેની પ્રકિયા વાંચવા મળે છે. તેમાં મહેન્દ્રભાઈના વ્યક્તિત્વની કેટલીક ખૂબીઓ પણ નોંધાઈ છે.

ઉર્વીશભાઈએ પુસ્તક આ શહેરના એક જમાનાના જ્ઞાનમાળી એવા મહેન્દ્રભાઈના એક નાના ભાઈ  નાનકભાઈ અને તેમના ‘પુત્રીવત સાથી હંસાબહેન પટેલને’ સરસ નોંધ અને ફોટો સાથે અર્પણ કર્યું છે.

ચોરસ ઘાટના ત્રીસેક ચોરસ ઇંચના ખૂબ આકર્ષક  પુસ્તકના સો પાનાં પૂરાં કરીએ ત્યારે છેલ્લાં આવરણ પરના શબ્દો યથાર્થ છે : ‘મહેન્દ્ર મેઘાણી સાથે બીબાઢાળ ઔપચારિકતા વિનાનો સંવાદ, જેમાંથી ઉપસે છે તેમના જીવન-કાર્ય-સંભારણાં-અભિપ્રાયોનું મેઘધનુષ’.

ગુજરાતને સિત્તેર વર્ષ સુધી ઉત્તમ વાચન પૂરું પાડનાર મહેન્દ્ર મેઘાણીની ગુજરાતની સાહિત્ય સંસ્કૃતિ(literary culture)માં નજીવી કદર થઈ છે. તેમના સમગ્ર પ્રદાન વિશે અત્યાર સુધી કોઈપણ વિસ્તૃત લેખ ધ્યાને પડ્યો નથી.

‘મેઘાણી ગ્રંથાવલી’, ‘કાવ્ય કોડિયાં’ અને ‘ચંદનનાં ઝાડ’ જેવી અસાધારણ સૂઝથી તૈયાર થયેલી અને લાખો નકલોના વેચાણ સુધી પહોંચેલી પુસ્તક યોજનાઓ, સીમચિહ્નરૂપ સંપાદન ‘અરધી સદીની વાચનયાત્રા’ના વિષયવ્યાપ, ‘આંસુ લૂછવા જાઉં છું’ અને ‘ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં’ સંક્ષેપો જેવા અનેક કામો વિશે સામયિકોમાં કે પુસ્તકોમાં પૂરાં કદનું ભાગ્યે જ કશું વાંચવા મળ્યું છે.

 મહેન્દ્રભાઈના પુસ્તકરાશિનો પટ અને ઊંડાણ એવાં છે કે જેનો સાહિત્ય, વિવેચન, સંપાદન, અનુવાદ શિક્ષણ, પ્રકાશન વ્યવસાય, ગ્રંથાલય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, પત્રકારત્વ જેવા અનેક ક્ષેત્રોના જાણકારોને રસ પડે. કમનસીબે સાહિત્યિક અને બૌદ્ધિક ક્ષેત્રો દ્વારા અભ્યાસની રીતે મહેન્દ્રભાઈનું કામ અત્યાર સુધી તો એકંદરે ઉપેક્ષિત રહ્યું છે.

અલબત્ત, ઉર્વીશનું પુસ્તક ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ન્યાયે મૂલ્યવાન છે એવું નથી, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. અત્યારના તબક્કે એ જીવનચરિત્રનો વિકલ્પ તેમ જ તેના માટેની પાયાની સામગ્રી અભ્યાસ અને માવજત સાથે પૂરી પાડે છે.

બીજી મહત્ત્વની વાત છે તે ઉર્વીશભાઈની ગુણાનુરાગિતાની. મહેમદાવાદથી વીસેક વર્ષથી અપડાઉન કરતાં સતત કાર્યરત, મોટે ગાળે સેલ્ફ-એમ્પ્લોઈડ આ માણસે, તેને ઊંચેરાં કે નોખાં  લાગેલાં કેટલાંક પાત્રોની મહત્તા તેમના વિશેના લાંબા લેખો, ‘સાર્થક જલસો’ની મુલાકાતો અને પુસ્તકો દ્વારા આધાર તેમ જ ભાવથી ગુજરાત સામે મૂકી છે.

તેમાંથી કેટલીક વ્યક્તિઓ છે : કૅપ્ટન લક્ષ્મી સહગલ, રજનીકુમાર પંડ્યા, સરદાર પટેલ, નગેન્દ્ર વિજય, પ્રકાશ ન. શાહ, પ્રશાંત દયાળ, આશિષ  કક્ક્ડ અને મહેન્દ્ર મેઘાણી.

આ બધા જનો પાસે ઝાકઝમાળ, વગ, સત્તા, સંપત્તિ જેવું કશું નથી. પણ તેમનું સાચું વિત્ત ઉપસાવવા માટે ઉર્વીશભાઈ ખુદનાં સમય-ક્ષમતા-સંસાધનો કામે લગાડે છે. એમના માટે આ પૅશન હશે. પણ મારા માટે એ ખૂબ પ્રશંસાની બાબત છે, અને આવનારી પેઢીઓ માટે આ ઇતિહાસ-સામગ્રી છે.

10 ઑગસ્ટ 2022

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—————————————————————- 

પ્રાપ્તિસ્થાન : 

1. ’ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. (સંપર્ક 079-26587949) •  2. ’બુકશેલ્ફ’ ,16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, અમદાવાદ. કિંમત રૂ .110/-
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સામાન્ય (અ)જ્ઞાન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 August 2022

કાવ્યકૂકીઝ

સામાન્ય જ્ઞાન બધાંમાં સામાન્ય હોતું નથી

તોય સામાન્ય જ્ઞાનની કસોટી થતી રહે છે

આ બરાબર નથી

વિદ્યાર્થીઓને નથી આવડતું એ જ પુછાય છે

આવડે છે એ તો પુછાતું જ નથી !

ઓનલાઈન પરીક્ષામાં કોપી કેમ કરવી એ

કોઈ નથી જાણતું

એ વિદ્યાર્થીઓ જ જાણે છે

પણ એ નથી પુછાતું

ખરેખર તો કોપી પણ હોંશિયાર જ કરી શકે છે

ઠોઠ તો ગણિતના જવાબ પણ

સંસ્કૃતમાંથી કોપી કરે છે

એ તો સારું છે કે એમનો ફર્સ્ટ ક્લાસ આવે છે

એટલે બહુ ખબર પડતી નથી

બાકી, કોપી કરવાનું સહેલું નથી

ને આ લલ્લુઓ એમને આવડે એવું પૂછે છે

ને પોતાને બહુ મોટા તોપચી સમજે છે

હિંમત હોય તો પોતાને ન આવડે એવું પૂછોને !

ભારત ક્યારે આઝાદ થયું

એનો જવાબ એ લોકોને આવડે એટલે પૂછે છે

એવું તો વિદ્યાર્થીઓને ઘણું આવડે છે

જેમ કે 1+1=2 થાય એવું મોબાઇલમાં આવડે છે

એવું આ ઘરડી ટોપીઓને આવડે છે?

એ તો એમ જ ફટ દઈને બોલી દે છે 2.

એ જવાબ ખરો છે, એ ખરું

પણ મોબાઈલ યુઝ કરતાં નથી આવડતું તેનું શું?

બે હજારની નોટ પર કોનું ચિત્ર છે તે નથી ખબર

પણ કોઈ દિવસ નોટ આપી હોય તો ખબર પડેને !

વાપરે સિનિયરો ને પૂછે વિદ્યાર્થીઓને એ બરાબર છે?

એમ તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ

એ બધું એમને આવડે છે

એ આ ભાવિ પેન્શનરોને આવડે છે?

બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કોને કહેવાય તે ખબર છે?

બ્રેકઅપ, બકઅપ વચ્ચેનો ફેર ખબર છે?

ગર્લફ્રેન્ડના ફોટા વાયરલ કરતાં આવડે છે?

ગર્લફ્રેન્ડની જ ખબર નથી ત્યાં

વાયરલની તો વાત જ શી કરવાની?

હે વડીલો, જ્ઞાન હવે પૂછવાની નહીં,

ક્લિક કરવાની વાત છે

હવે સોટી, કસોટી છોડો

ને પૂછવાનું બંધ કરો

નહિ તો કાલે તમારો ભાવ કોઈ નહિ પૂછે ..,

000
(‘સંદેશ’ની કોલમ)
e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,4271,4281,4291,430...1,4401,4501,460...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved