Opinion Magazine
Number of visits: 9569426
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમગ્ર રંગભૂમિની માફક પીટર બ્રૂકનું મહાભારત માનવ પરિસ્થિતિનું અસામાન્ય વૃતાન્ત હતું

અશોક વાજપાઈ • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|8 July 2022

અંતિમ સત્ય હોતું નથી એવું જ્ઞાન ધરાવતા અવકાશના જાદુગર

ભારતમાં પીટર બ્રૂક મહાભારતની એમની ચિરસ્મરણિય પ્રસ્તુતિ માટે ખાસ જાણીતા છે. આ નવ કલાક લાંબી નાટકીય પ્રસ્તુતિનો પ્રથમ ખેલ ૧૯૮૫માં ફેલ્ટીવલ ડૅ’વિન્યોંમાં થયો હતો. નસીબે એ ટાણે મને આમંત્રણ મળેલું અને પથ્થરની ખાણમાં, ઊભા કરાયેલાં પ્રાગૈતિહાસિક પરિવેશ વચ્ચે નાટક નિહાળવાનો મને લહાવો મળેલો.

સ્વાભાવિકપણે નાટક પૌરાણિક અને વાસ્તવિકને એકીકૃત કરવામાં સફળ રહ્યું હતું. ભારતમાં સંવેદનશીલ ઢબે કહેવાતું, આ નાટકને મંચ પર સમગ્ર માનવતાની અનંત ગાથા તરીકે રજૂ કરવામાં આવેલું. મને, એક ભારતીય તરીકે, આ અદ્ભૂત રજૂઆતે ભાન કરાવેલું કે ખરેખર મહાભારતમાં આખો માનવ ઇતિહાસ સમાયેલો છે. જે મહાભારતમાં નથી તે ક્યાં ય નથી!

ખંડિત સમયમાં સંયોજનોની રંગભૂમિ : ૧૬ દેશોમાંથી ૨૧ અભિનેતાએ, જેમાંથી અમુકે એકથી વધુ ભૂમિકા ભજવેલી, માનવીય દુર્દશા, મૂર્ખતા, આકાંક્ષા, નિષ્ફળતા, ભવ્યતા, સૌંદર્ય, વિશ્વાસઘાત, વિસંગતિ, હિંસા, મિથ્યાભિમાન, વિજય અને પરાજય દર્શાવતી અસાધારણ પરિમાણો ધરાવતી માનવ કથાની ભજવણી કરી.

ખંડિત અને ઊંડા ઘા પડેલા સમયમાં પીટર બ્રૂકે એવી રંગભૂમિ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો જે આપણા ઘા ભરીને આપણને ગૌરવસભર અસ્તિત્વની ખાતરી આપે. જે સમયે એક મહાન કવિ વિલાપ કરતા હતા કે તે “કશાંને કશાં સાથે જોડી શકતાં નહોતા”, બ્રૂકે એવી રંગભૂમિ રચવાની પહેલ કરી જે આપણા કાળને વિતેલા કાળ સાથે, ઇતિહાસને પુરાણકથા સાથે અને નિષ્ફળતાને અર્થસૂચકતા સાથે જોડી શકે.

અસાધારણ પરિમાણો : પોતાની રંગભૂમિ મારફતે એમણે માનવ દશાનું અસાધારણ વૃતાન્ત પ્રતિપાદિત કર્યું. શૅક્સપિયરથી ઍટાર સુધીની નાટકીય વાચનાઓની વિશાળ શ્રેણીને પોતાના વ્યાપમાં સમાવતી બ્રૂકની રંગભૂમિ વૈશ્વિક હતી.

બ્રૂક માટે વાસ્તવિક્તા બહુલ અને સંકુલ હતી, જેનું સરલીકરણ અને સામાન્યીકરણ સંભવ નહોતું. આમે ય, તમામ રંગભૂમિ એ આશામાં માનવ વિશિષ્ટતાઓ તરફ લક્ષ્ય સાધે છે કે રંગભૂમિની પ્રક્રિયામાંથી પસાર થઈને વિશિષ્ટ છે તે સર્વવ્યાપક્તા પ્રાપ્ત કરશે. કર્મઠતા સાથે બ્રૂક્સ ના કેવળ ઘટનાસ્થળ, પરંપરા, પ્રથા, સ્મૃતિ, વગેરે પર કામ કરતા, પરંતુ તે તમામની વણ કહેવાયેલી, ઘણી વખત સહેલાઈથી દેખાય નહીં એવી માનવીયતાને જાળવવાની જહેમત લેતા. માનવ અને એની તમામ રંગછટાઓ એમના રંગભૂમિ સંબંધી દર્શનનું ખરું ક્ષેત્ર હતા.

લગભગ ૪૦ વર્ષો પૂર્વે ભારતના તત્કાલીન પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીના હસ્તે ભોપાલ ખાતે ભારત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે બ્રૂક એકમાત્ર વિદેશી મહેમાન હતા. શોમ્બુ મિત્રા, હબીબ તનવીર, વિજયા મહેતા, એન.સી. જૈન અને બી.વી. કારન્થ જેવાં રંગભૂમિની હસ્તીઓની નિગરાની હેઠળ બ્રૂકે થોડા દિવસો રંગભૂમિ સંબંધી કાર્યશિબિર ચલાવી હતી.

બ્રૂક સ્વાભાવિકપણે ધીરજ ધરાવતા માણસ હતા. એ ઉતાવળ ટાળતા અને જ્યાં સુધી ઈચ્છિત પરિણામ મળે નહીં ત્યાં સુધી રાહ જોતા! એ કાર્યશિબિરમાં ચહેરા પર સંઘર્ષ, સમાનુભૂતિ અને જ્ઞાનના સંગમથી ઉદ્ભવેલી પ્રતિભાવાળા ગ્રીક સાધુ જેવાં મને બ્રૂક લાગ્યા.

પૅરિસમાં બ્રિટિશર : એમણે ખાસ્સી સાહસિકતા અને દૂરાગ્રહથી હસ્તક્ષેપ કરીને સંકીર્ણ પણ અત્યંત સફળ એમના સમયની બ્રિટિશ રંગભૂમિને ઝડપથી વૈશ્વિકીકરણ તરફ ધપતા વિશ્વ સંદર્ભે ખુલ્લી મૂકવાનો પ્રયત્ન કરેલો. કાળક્રમે એમણે સ્થળાંતર કરી પૅરિસમાં ડેરાતંબુ તાણ્યા.

બ્રૂક અવકાશ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હતા. એમના નાટકોનું મંચન કરવા એમણે અનેક પ્રકારના અવકાશનો ઉપયોગ કર્યો : પ્રોઝૅનિયમ થિયેટરથી જંગલમાં વૃક્ષો કાપી ખુલ્લી કરેલી જગ્યા સુધી. એમના મુજબ કોઈ પણ પ્રકારના અવકાશને રંગભૂમિની ઉર્જાથી ભરવો શક્ય હતો, તેઓ માનતા કે અભિનયની ખુદની અવકાશ વિષયક ઉપસ્થિતિ હતી અને તે અવકાશનું એક ધબકતું પરિમાણ હતું.

પૅરિસમાં ઘૅર ડુ નો નજીક એમનાં પોતાના થિયેટર હાઉસમાં, વચ્ચે પાણીના કુંડ સાથે, બ્રૂકનું નાટક નિહાળતા મને સમજાયેલું કે બ્રૂક અવકાશના જાદુગર છે: કોઈ પણ અવકાશને રંગભૂમિના અવકાશમાં પરિવર્તિત કરવાની એમને ફાવટ હતી.

એમના નાટકોમાં હંમેશાં રસલક્ષી પૂર્ણતા હોતી. સાથે જ નૈતિક પ્રશ્નો પ્રત્યે પણ એ ખુલ્લા રખાતા. માનવજાતિની નૈતિક દ્વિધાઓ હંમેશાં, દુર્ભાગ્યપણે કદાચ અનંત હોય છે એવા એમના દશર્ન સાથે એ અનુરૂપ હતું. અંતિમ સત્ય જેવું કંઈ હોતું નથી અને હોય જ ન શકે.

બ્રૅક્ટ વિરોધી : બીજા રંગભૂમિ સંબંધી દાર્શનિક બરટૉલ્ટ બ્રૅક્ટ વિરુદ્ધ બ્રૂકની વ્યગ્રતા રાજકીય કરતાં કદાચ વધુ આધ્યાત્મિક હતી. રાજકારણથી તૂટતા જતા વિશ્વમાં બ્રૂકે માનવ પરિસ્થિતિનો નૈતિક સંદર્ભે સર્વસમાવેશક પરંતુ અપૂર્ણ ખ્યાલ રાખવાનો પસંદ કર્યો. એમની રંગભૂમિની પ્રશ્નાત્મકતા નિ:સંદેહ નૈતિક હતી અને માનવ પરિસ્થિતિને પ્રભાવિત કરતું એકમાત્ર પરિબળ રાજકારણ હતું.

એક રીતે જોતા એમનું દર્શન કરુણતાસભર હતું : એમને ઘા રુઝવવા હતા, દ્વિધાઓનું નિરાકરણ લાવવું હતું, વિરોધાભાસોનું સમાધાન કરવું હતું, પરંતુ, વક્રોક્તિ એવી કે રંગભૂમિ માત્ર પ્રયત્ન અને સંઘર્ષ કરી શકતી અને લગભગ હંમેશાં એમાં નિષ્ફળ રહેતી. મહાભારતના વ્યાસની માફક હાથ ઊંચકીને પીટર બ્રૂક નિરાશામાં ઉદ્ગાર કરી શકતા હતા, “મને કોઈ સાંભળતું નથી”. ભર્યું ભર્યું જીવન અને કારકિર્દી બાદ ૯૭ વર્ષે બ્રૂકે ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. એમના મૃત્યુથી રંગભૂમિ જગતમાં શૂન્યાવકાશ સર્જાયો છે.

મૂળ અંગ્રેજી લેખ પ્રગટ : “ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા”, જુલાઈ 5, 2022

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

વેશ્યાઓની વહાલી મા

સુરેશ જાની|Opinion - Opinion|7 July 2022

૨૦૦૭

હું ત્રિવેણી – ત્રિવેણી આચાર્ય, ગરવી ગુજરાતણ. ત્રણ ત્રણ દિવસથી હું રાતે ઊંઘી શકી ન હતી. બહુ મુશ્કેલીથી અને પોલિસની સહાયથી મૂળ ભુતાનની અને કમાટીપુરામાં સડતી, બે છોકરીઓ માંડ માંડ એ દોજખમાંથી બહાર આવવા કબૂલ થઈ હતી. પણ રાતોરાત એ ગાયબ થઈ ગઈ હતી. ‘કેટલી માસૂમ છોકરીઓ અને કેવા નરકમાં? હવે એમનો પત્તો શી રીતે મેળવવો?’

કમાટીપુરા – એશિયાનો બીજા નમ્બરનો વેશ્યાવાડો – મુંબાઈની ઝગમગાતી સોનાની થાળીમાં લોઢાની મેખ – સુધરેલી, સુંવાળી સંસ્કૃતિની નાલેશી અને હેવાનિયતનું જીવતું જાગતું પ્રતીક – સરેઆમ લૂંટાતી, કચડાતી કૂમળી કળીઓનાં ધોળે દહાડે વેચાણ – પ્રદર્શન.

છેક ૧૯૯૩માં ગુજરાતી સામાયિક ….….ના કાર્યકર હોવાના કારણે એક ફિલ્મ સ્ટારની પ્રેસ કોન્ફરન્સમાં કમાટીપુરાના નજીકના વિસ્તારમાં મારે જવાનું થયું હતું. આ બદનામ બસ્તીમાં એક નજર ફેરવવા ઘણા વખતથી મને કુતૂહલ થતું હતું. પણ તે દિવસે તો કોન્ફરન્સ પત્યા પછી મેં હિમ્મત કરી જ દીધી. બે ચાર જ્ગ્યાઓએ મેં લટાર મારી અને મારું મન વાસી છાશ જેવું ખાટું ખાટું થઈ ગયું. તે પહેલાં હું એમ જ માનતી હતી કે, આ સ્ત્રીઓ મહેનત મજૂરીનું કોઈ કામ કરવાની અસૂયા અને સાંસારિક જીવનની ઉપાધિઓ અને જવાબદારીથી છટકવા પોતાની રાજીખુશીથી આ ધંધો કરતી હશે. પણ એ કમનસીબ નારીઓની હતાશાથી ભરેલી, બેજાન આંખોમાંથી હું એમની અંતરની વેદના વાંચી શકી. એક બે જણીઓએ તો, એમના ડાઘિયા કૂતરા જેવા રખેવાળોની નજર ન હતી એટલે છૂપી રીતે એમની વ્યથાઓની કાળી કહાણી પણ ટૂંકમાં સમજાવી દીધી.

ઘેર આવીને મારા સ્વ. પતિ બાલકૃષ્ણને કદી ભૂલી ન શકાય તેવા મારા આ અનુભવની વાત કરી. તે પણ દુઃખી દુઃખી થઈ ગયા. તેમને પણ આ ‘અંદરની વાત’ની ખાસ ખબર ન હતી. તેમણે કહ્યું,” જો તે બધીઓ રાજીખુશીથી આ બદનામ ધંધો ન કરતી હોય તો શા માટે ત્યાંથી ભાગી જતી નથી?” તેમણે બીજી એક બાતમી પણ આપી. તેમનો એક મિત્ર આવી એક વેશ્યાના પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન પણ કરવા તૈયાર હતો. તે છોકરી પણ દોજખમાંથી છૂટવા આતૂર હતી. તેમણે મને કહ્યું, “તું તો પત્રકાર છે. એ બે જણને મદદ કરે તો?”

આ વાત મારા મનમાં જડબેસલાક બેસી ગઈ. થોડાક દિવસો પછી અને બધી પૂર્વ તૈયારી બાદ, મારા પતિ,  તેમના એ મિત્ર અને પોલિસ મદદ સાથે હું એ કોઠામાં ગઈ, અમે એ છોકરીને છોડાવી. મને એ ઘડી હજી પણ યાદ છે કે, ‘બીજી ૧૩ છોકરીઓએ પણ તેમને સાથે લઈ જવા કેટલી બધી કાકલૂદી અમને કરી હતી?’ પોલિસે કહ્યું કે, ‘જે છોકરી સાથે આ જનાબ લગ્ન કરવાના છે, તેને જ તમે સાથે લઈ જઈ શકો. બીજીઓને સાથે  લાવવા અમે તો મદદ કરીશું, પણ એમની જવાબદારી લેવાનું કામ ભયાનક જોખમવાળું છે.”

પણ બાલકૃષ્ણનું ખમીર જ અલગ ને? તે તો ચૌદે ચૌદ છોકરીઓને સાથે લઈ જઈને જ જંપ્યા. અમારા કાંદિવલી ખાતેના ઘરમાં જ અમે એમને આશરો આપ્યો. એમાંની મોટા ભાગની છોકરીઓ નેપાળની હતી. ત્યાંની સામાજિક સંસ્થા ‘મૈતી નેપાલ’ સાથની વાટાઘાટો બાદ, એમને પોતાના દેશમાં પુનર્વસવાટની વ્યવસ્થા કરી આપવામાં અમને સફળ નીવડ્યા.

એ દિવસથી જ અમારા આ જીવન કાર્યના શ્રીગણેશ મંડાઈ ગયા. મિલિટરીમાંથી રિટાયર થયા બાદ બાલકૃષ્ણ ઇલેક્ટ્રોનિક સામાનનો સ્ટોર ચલાવતા હતા. તેમણે એ બંધ કરવાનું નક્કી કર્યું અને પૂરો સમય આ કામને જ આગળ વધારવાનું નક્કી કરી દીધું. તેમણે મને કહ્યું, “તારી નોકરી તું ચાલુ રાખ. પત્રકાર હોવાના કારણે આપણા આ કામમાં એ બહુ જ કામમાં આવશે. હવેથી મારો બધો જ સમય અને શક્તિ આ કમભાગી છોકરીઓ માટે જ.” મારા પતિની આ ઉદાત્ત ભાવના જોઈ એમની પત્ની હોવા માટે મને ગૌરવ થયું.

એ જ સાલમાં આવા જ એક અભિયાનમાં આપઘાત  કરીને મૃત્યુ પામેલી એક વેશ્યાના ત્રણ જ મહિનાના પુત્રનો કબજો અમે લીધો હતો. એ વહાલસોયું બાળક મને એટલું બધું ગમી ગયું કે, અમે એને દત્તક લઈ લીધો. આજે યુવાન બની ગયેલો એ ‘લવ’ પણ અમારા આ યજ્ઞમાં જોડાઈ ગયો છે.

પછી તો અમે બન્ને આ કામમાં ગળાડૂબ ખૂંપી ગયા. અમારી અંગત હેસિયત અને ગાંઠના ગોપિચંદન કરીને આ યજ્ઞ અમે ત્રણ વર્ષ ચાલુ રાખ્યો. નેપાળ / ભુતાનની છોકરીઓ જ મોટા ભાગે હોવાના કારણે એમને પાછી એમના દેશ ભણી વિદાય કરવાનું ‘મૈતી નેપાલ’ના સહકારથી સરળ હતું. ત્રણ વર્ષ પછી, એ લોકોએ જ એમની શાખા મુંબાઈમાં શરૂ કરી, અને અમારા માથેથી ખર્ચનો બોજો ઊતરી ગયો.

પણ અમારું કામ તો ચાલુ જ રહ્યું – વધતું જ રહ્યું. થોડાંક વર્ષો બાદ ઘણા લોકોની આર્થિક મદદ મળતાં અમે અમારી પોતાની આવી સંસ્થા ‘Rescue Foundation’ શરૂ કરી શક્યા. પણ દસ વર્ષ સુધી અમારું ઘર એ પાંજરેથી છુટેલી ભોળી કબૂતરીઓ માટે ‘માનું ઘર’ બની ગયું.

ચૌદ ચૌદ વર્ષની અથાક અને જોખમી કામગીરીના પ્રતાપે ઊભા થઈ શકેલા સમ્પર્કોના કારણે ૨૦૦૭ની એ ઉજાગરા અને વેદનાથી ભરેલી રાતના બીજા જ દિવસે, ‘એ બે ભુતાની છોકરીઓને દિલ્હી સગે વગે કરી દેવામાં આવી છે.’ એવા વાવડ મને મળ્યા. મારા બે સ્ટાફના માણસોને મેં દિલ્હી મોકલ્યા અને દિલ્હીની પોલિસની મદદથી એ છોકરીઓને ત્યાંના કૂટણખાનામાંથી છોડાવી. એમની વિધવા માને પણ તે લોકો ભુતાનથી દિલ્હી લઈ આવ્યાં અને બન્ને છોકરીઓ તેને સહીસલામત સુપ્રત કરી દીધી.

એ ‘મા’એ દીકરીઓ પાછી અપાવવા માટે ગળગળા સાદે જે આશિષ અમારા કામને આપી હતી – તે અમને અત્યાર સુધીમાં મળેલ અનેક પ્રમાણપત્રો, પારિતોષિકો અને સુવર્ણ ચન્દ્રકો કરતાં વધારે કિમતી હતી. આ આખું અભિયાન નવેક મહિના ચાલ્યું હતું, પણ એના કારણે મારી હિમ્મત અને પહોંચ અનેકગણાં વધી ગયાં.

અમે શરૂ કરેલા આ માનવતા સભર અભિયાનના પ્રતાપે હજારો કમનસીબ સ્ત્રીઓ અને છોકરીઓ કમાટીપુરાના દોજખમાંથી અને બીજેથી છૂટી શકી છે. ૨૦૦૩માં એક ઉદાર સખાવતીએ કાંદિવલી ખાતેનું જ સાત માળનું એનું મકાન અમારા આ કામ માટે દાનમાં આપી દીધું. હવે છૂટકારો પામેલી છોકરીઓ અને સ્ત્રીઓનાં રહેઠાણ માટેનો પ્રશ્ન ઉકલી ગયો.

કમનસીબે બે જ વર્ષ બાદ બાલકૃષ્ણ રસ્તા પરના અકસ્માતમાં ગુજરી ગયા. અમારા દસ દસ વર્ષના આ અભિયાનમાં એમને જાન ગુમાવવાની સેંકડો ધમકીઓ મળી હતી. એમની ઉપર આક્ર્મક હુમલા પણ કરવામાં આવ્યા હતા. પણ કુદરતનો આ  આઘાત મારા માટે અસહ્ય હતો. ‘મિલિટરી દિમાગ અને શાર્રીરિક બાંધાના એ જવાંમર્દ જેવી તાકાત મારામાં શી રીતે આવશે? એકલા હાથે હું શી રીતે આ અત્યંત જોખમી કામ ચાલુ રાખી શકીશ?’ આવા વિચારોએ મારી કમર તોડી નાંખી. પણ ૧૨-૧૫ વર્ષની એ કૂમળી કળીઓને બદનામી અને એઈડ્ઝની જીવલેણ ત્સુનામીમાં ઉશેટી દેતી, આ પાશવી પ્રથાનો ખોફનાક પંજો મને દિવસ રાત પ્રેરતો રહ્યો. બાલકૃષ્ણનો એ પ્રતાપી અવાજ હજુ મને પ્રેરી રહ્યો છે,

“ત્રિવેણી! એક ને એક દિવસ આપણે મરવાનું જ છે. પણ જીવતે જીવ મરી રહેલી આ માસૂમિયતોને નવું જીવન આપીને આપણો હર એક દિવસ સીમા પર દેશને માટે જાનફેસાની કરતા સૈનિકની ખુમારીવાળો બની ગયો છે.”

અને એ આઘાત હું જીરવી ગઈ. પત્રકાર તરીકેની નોકરી મેં છોડી દીધી અને બમણી તાકાતથી મારી દીકરીઓને બચાવવાના કામમાં પૂર જોશથી જોટાઈ ગઈ. મારા જીવનના સૌથી મોટા આઘાતમાંથી આવી હજારો કૂમળી કબૂતરીઓના નિસાસાઓએ મને ફરીથી જાગૃત કરી દીધી. ‘મારું શોણિત, મારા શરીરનો એકે એક કોશ હવે આ કિશોરીઓ માટે જ છે.’ એ ધખારો મારો જીવન મંત્ર બની રહ્યો.

અમે વર્ષે ૩૦૦ છોકરીઓને બચાવી લઈએ છીએ. અમુક તો માંડ આઠ વર્ષની હોય છે. મારી એ દીકરીઓ મને જે વ્હાલથી બાથ ભરે છે. તે મારે માટે રણમાં મીઠી વીરડી જેવું હોય છે.

ત્રેવીસ વર્ષ પછી…

રેસ્ક્યુ ફાઉન્ડેશન પાસે કાંદિવલી, થાણે અને પુણે ખાતે આશરો આપવા માટે ત્રણ વિશાળ મકાનો છે. ૧૨૫ માણસોનો સ્ટાફ છે અને અગણિત માહિતી આપનારા, ઉદાર દાતાઓ અને પડદા પાછળથી મદદ કરનારાઓ પણ છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ સંસ્થાને ઉદાર ગ્રાન્ટ આપે છે. દિલ્હીમાં પણ એની શાખા શરૂ થઈ રહી છે. ખેતીની આવક, ડેરી પેદાશો અને આશરો લેતી સ્ત્રીઓએ બનાવેલ હસ્ત કારીગરીની પેદાશોના વેચાણમાંથી સંસ્થાએ પોતાની આવક પણ ઊભી કરી છે.

જ્યારે એ છોકરીઓ દોજખમાંથી છૂટીને આશરો લે છે ત્યારે એમની શારીરિક અને માનસિક હાલત બહુ જ અસ્વસ્થ અને ગંભીર હોય છે. આત્મહત્યા કરવામાંથી એમને ઉગારી લેવા માટે બહુ જ પાકટ અને પ્રેમભરી માવજત જરૂરી બની રહેતી હોય છે. અમુક ગર્ભવતી હોય છે. કાયદાના સહારે એ ગર્ભપાત કરાવી શકે છે. પણ ઘણી માની મમતાથી જન્મ આપે છે. એમાંના ઘણાં સુખી કુટુંબોમાં દત્તક સંતાન બની નવી જિંદગી શરૂ કરે છે. અમુક તો પરદેશ પણ પહોંચી જાય છે.

પણ ઘણી સ્ત્રીઓ બીજે સ્થાયી થવા છતાં, એમને ‘માના આ થાનક’માં મળેલ પ્રેમની શીતળતા એ નિર્દોષ સંતાન પર વરસાવતા રહેવાની હિમ્મત અને મમતા કેળવી શકી છે.

રેસ્ક્યુ ફાઉન્ડેશન / ત્રિવેણી આચાર્યને મળેલ એવોર્ડ –

●      Stree Shakti Award for Women Entrepreneurs in 2008. In 2011

●      Civil Courage Prize of The Train Foundation, awarded annually to those “who resolutely combat evil”.

●      Asia Democracy and Human Rights Award of the Taiwan Foundation for Democracy by Taiwanese president Ma Ying-Jeou in 2010

●      Humanitarian Honoree of World of Children Award in 2013.

ત્રિવેણીનો મન ગમતો શેર – જે એની દીકરીઓને અવાર નવાર સંભળાવતી રહે છે –

पोंछ कर अश्क अपनी आंखोंसे मुस्कराओ तो कोई बात बने ।


सर झुकानेसे कुछ नहीं होगा, सर ऊठाओ तो कोई बात बने ।

સંદર્ભ –

મૂળ લેખ

http://www.thebetterindia.com/77898/triveni-acharya-sex-trafficking-rescue-mumbai/

વિકીપિડિયા પર –

https://en.wikipedia.org/wiki/Kamathipura

https://en.wikipedia.org/wiki/Triveni_Acharya

http://www.rescuefoundation.net/index.php

https://www.youtube.com/watch?v=cShR7ArQRTU

e.mail : surpad2017@gmail.com

Loading

કોણ માનશે?

યોગેશ ભટ્ટ|Poetry|7 July 2022

તમે, હરિવર!
ભ્રમણાના કમાડ
પોતે જ ખોલીને –
મેલીને ઉઘાડાં – ફ ટ્ટા ક
ચાલ્યા ગયા તે ગયા જ …
– કોણ માનશે?
તમે જો
મારાં દિવસ-રાત,
શ્વાસ-ઉચ્છવાસ,
ભાન અ-ભાન
– હોત, તો આવું બીજાને મનાવવા –
મનને મનાવવા –
આવતા જતા રહ્યા હોત ને – કોઇક રૂપે, ગુણે!
પણ,
ના રે ના!….. ના .. ના .. ને ના .. જ!
– કોણ માનશે?
પાંચ ખાનાની કાચની પેટીમાં
અંધારાંની ગાગરમાંથી જળ બની
ઠલવાઇને ભરાણા’તા –
તમે – તમારી એક અનુકૂળ હદ સુધી;
– ને પછી જે (જળરૂપ) બચ્યા
– એમાંથી જ વળી
માછલિયાળ
સૅલારા લેવા લાગ્યા …..
– કે નહીં!?
– પણ,
આ
– કોણ માનશે?
તમને શું થઇ ગયું?
શરદી?
– તે લીધો તમે ખીસકોલી અવતાર ..!
મારો તુલસીનો છોડ :
તેનાં પાંદડાં ચાવી ગયા ….
ને કરી મેલ્યો તેને અપર્ણદાસ –
ઠૂંઠો!
"ખીલશે ફરી લીલો કૂજાર!" :
– સૌ કહે આશ્વાસન આપતાં
માંહ્યલો
(- એ તમે જ ને, હરિવર? ….)
માનશે?
તમે માનશો – એ કોઇ માનશે?
કે,
– કોણ માનશે? (કકકકંઈ પણ -)

૦૭.૦૭.’૨૨.

Loading

...102030...1,4271,4281,4291,430...1,4401,4501,460...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved