Opinion Magazine
Number of visits: 9458820
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

STOP : નોનસ્ટૉપ ચલાવવા જેવું નાટક :

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 May 2022

ગુજરાત સ્થાપના દિને વિન્ટેજ વેટરન્સના ઉપક્રમે પ્રીતેશ સોઢા લિખિત અને પરેશ વોરા દિગ્દર્શિત નાટક STOP જોયું. આમ તો ‘વિન્ટેજ વેટરન્સ’ના ઉપક્રમે સભ્યોને ફિલ્મ બતાવાય છે, પણ આ વખતે રોહિત મારફતિયાએ નાટકનો અપવાદ કર્યો તેનો આનંદ છે. નાટકના લોગોમાં સુરતનું, સુરત દ્વારા, સુરતીઓ માટેનું નાટક એમ કહ્યું છે, પણ તે માત્ર સુરત પૂરતું સીમિત નથી, કારણ જે સમસ્યા છે તે સુરતની હોય તો પણ વૈશ્વિક છે.

ખૂન, બળાત્કારની એટલી બધી ઘટનાઓ શહેર, રાજ્ય અને દેશમાં બને છે કે કોઈ ધારે તો માત્ર એનું જ દૈનિક ચલાવી શકે. ગઈ 12 ફેબ્રુઆરીએ ફેનિલ નામના યુવાને એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીની  ઘાતકી હત્યા સુરતમાં કરી ને તેને દોષિત ઠેરવી કોર્ટે સજા કરવાનું પણ ઠરાવ્યું છે. આ ઘટનાએ સામાજિક, માનસિક, શૈક્ષણિક એવા ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. જેમ કે આ ઘટના જાહેરમાં, ધોળા દિવસે, અનેક લોકોની અવરજવર વચ્ચે થઈ. હત્યારાએ ગ્રીષ્માને રસ્તા વચ્ચે જકડી લીધી ને તે છોડી દેવા કરગરતી રહી, પણ ખૂનીએ તેનું પૂરી નિર્દયતાથી ગળું કાપી નાખ્યું. જે બની રહ્યું હતું, તે બધાં જોઈ રહ્યાં હતાં, તો કેટલાંક આખી ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા, કદાચ વીડિયો વાયરલ કરવામાં મોડા ન પડાય એની ઉતાવળ હતી, પણ આ બધાંને લીધે ગ્રીષ્મા જીવવામાં મોડી પડી. જેમ નિર્જીવ જુએ એમ જ સજીવો જોઈ રહ્યા હતા. એ વીડિયો ઉતારવા પૂરતા જ સજીવ હતા. આ ઘટનાનો વીડિયો દુનિયાભરમાં ફેલાયો ને બધેથી હાયકારો જ ઊઠ્યો. એ હાયકારા પછી જગત ફરી બીજી ઘટનાની રાહ જોવા લાગ્યું. આ જોઈ રહેવું ને જીવ વગર જોઈ રહેવું આ સદીની કદાચ સૌથી મોટી શોધ છે, પણ કેટલાંક જોઈ નથી રહેતાં, જોવાની ફરજ પણ પાડે છે –

આ ઘટના પરથી બ્રેઇન બોક્સ સ્ટુડિયોઝ પ્રોડક્શનને ઉપક્રમે પ્રીતેશ સોઢાએ સ્ટોપ નામે નાટક કર્યું અને પરેશ વોરાએ તેનું મંચન કર્યું. નાટક શેરી નાટક શૈલીનું છે, પણ તેનું સ્વરૂપ ખુલ્લું છે. તે સ્ટેજ પર કે અન્ય સ્થળે પણ ઓછી સગવડે ભજવી શકાય એમ છે. તેમાં આ ઘટના સંદર્ભે ઊભી થતી સમસ્યા ઉમેરી કે ઘટાડી શકાય એવી મોકળાશ પણ છે. એ રીતે સ્ક્રિપ્ટનું સ્વરૂપ પણ ખુલ્લું છે. નાટ્યકારે મૃત્યુની ક્ષણ પકડી છે ને જીવન આ ક્ષણ સુધી કેમ આવ્યું તેની તપાસ આદરી છે. ખૂની એક યુવતીને ગળે છરો ફેરવવાની તૈયારીમાં છે ને એને ન રોકી શકતું ટોળું ચિત્કાર થઈને ધ્રૂજતું ઊભું રહી જાય છે. અહીંથી નાટક શરૂ થાય છે ને ત્યાં જ પૂરું થાય છે. આ ‘શરૂ’થી ‘પૂરું’ વચ્ચે એક જ ક્ષણ છે. એ રીતે તો આ ક્ષણનું જ નાટક છે, પણ નાટ્યકારે એ ક્ષણને ત્રીસેક મિનિટ સુધી વિસ્તારી છે. આ જે મિનિટો છે તે અનેક જીવો, પ્રશ્નોમાંથી થઈને ખૂનની ક્ષણ સુધી આવે છે ને એ દરમિયાન જીવન ક્યાં ક્યાં ગૂંચવાયું તેની વાત થઈ છે. નાટકમાં માંડીને કશું કહેવાયું નથી. જે પરિણામ પર વાત આવી તે મારનાર કે મરનારનાં કુટુંબ પૂરતી સીમિત નથી, બલકે, અનેક કુટુંબની વાત પણ હોય એમ વિસ્તરે છે, અથવા તો એમ કહી શકાય કે ઘણાં કુટુંબોની વાત જ કદાચ આ એક પરિણામ સુધી પહોંચી છે અથવા તો પહોંચી શકે એમ છે. કોશિશ બધાંની એ જ છે કે છરી અને ગળા વચ્ચે જીવન ગોઠવાઈ શકે એમ છે કે કેમ?

અહીં નાટકનો રિવ્યૂ જ પ્રસ્તુત કરવો એવું નથી. એ નિમિત્તે જે વિચારવાનું થયું તે પણ મૂકવું છે.

એ હકીકત છે કે હરામની સગવડોએ અને સંપત્તિની ભયંકર લાલસાએ જીવન ગૂંચવી માર્યું છે. એ તપાસવા જેવું છે કે ટેકનોલોજીએ માણસનું ભલું વધારે કર્યું છે કે નુકસાન? એ સારી વાત છે કે મોબાઈલથી માઈલો દૂરના સંબંધીઓ સાથે જીવંત સંપર્ક સેકંડોમાં શક્ય બન્યો છે. કોઇની વર્ષગાંઠનો કે લગ્નનો વીડિયો જીવનભરનું સંભારણું બની રહે એ કેવી મોટી વાત છે ! પણ એ જ મોબાઈલ કોઈ સ્ત્રીની અંગત જિંદગીના ફોટા લઈને બદનામ કરે કે બ્લેકમેઇલ કરે કે કોઈનું પણ એકાઉન્ટ હેક કરીને કોઈને ખાલી કરી નાખે તો તે નુકસાન પેલાં સંભારણાં કરતાં વધારે પીડા આપે એવું ખરું કે કેમ? આમ તો પાસવર્ડ પોતાનાં ખાતાની સુરક્ષા માટે છે, પણ એ નબળાઈ ઢાંકવા પણ ખપનો છે. એટલે જ પુત્ર, માબાપને મોબાઈલનો પાસવર્ડ આપવા તૈયાર નથી, એટલું જ નહીં, માબાપ પણ પોતાનો પાસવર્ડ પુત્રને આપવા તૈયાર નથી, તે તો ઠીક, માબાપ એકબીજાને પણ પાસવર્ડ આપતા નથી. આ બધું પ્રાઈવસી જાળવવા થાય છે, પણ હકીકત એ છે કે આ પાસવર્ડ સાચા ખોટા સંબંધોથી રક્ષણ આપે છે ને ગમ્મત એ છે કે બધાં જાણે છે કે પાસવર્ડની પાછળનું જગત શું છે ને કેવું છે? આ ‘અંગતતા’ તો પાસવર્ડ વગર જ જાહેર થઈ ગઈ છે. મા, બાપથી કે બાપ, માથી સંતાડે છે ને બંને જાણે છે કે જે સંતાડાય છે તે શું છે? પુત્રને કે પુત્રીને મિત્ર હોય તે તો સમજાય છે, પણ પતિપત્નીને પણ મિત્ર છે ને તેમની વાતો અંગત રહે એટલે પાસવર્ડ નખાય છે, પણ બધાં જ જાણે છે કે જે વાતો થાય છે તે શરીરની બહાર ભાગ્યે જ જાય છે. આ કહેવાતી પ્રાઈવસીએ ઘણી શારીરિક, માનસિક ને આર્થિક સમસ્યાઓ ઊભી કરી છે. બગાડ તો દરેક સમયમાં હતો જ, પણ મોબાઈલ કે સોશિયલ મીડિયાને કારણે સાયબર ક્રાઇમની આખી નવી શાખા ખોલવી પડી છે એના પરથી પણ ખ્યાલ આવે એમ છે કે નુકસાન વધ્યું છે. સારું પણ થતું જ હશે, પણ અનેક પ્રકારની છેતરપિંડી ને દંભનો શિકાર આપણે થયા છીએ તે નોંધવું ઘટે.

જે આદર્શ છે તે જ દગો કરે છે. જે સત્તા પર છે તે જ શોષણખોર છે, કાઉન્સેલરનું કાઉન્સેલિંગ કરવું પડે એ હદે સમસ્યાઓ વકરી છે ને જે આવે છે તે સુધારવા મથે છે, પણ પરિણામ બગડવામાં આવે છે. આજના સમયની મુશ્કેલી એ છે કે ફરિયાદીને જ આરોપી ગણીને તપાસ ચાલે છે. પોલીસ હોય કે કાઉન્સેલર, મદદ કરવા જ મથે છે, પણ પ્રયત્ન જવાબદારી ઊભી કરવાનો જ કરતા હોય છે. નાટકમાં કાઉન્સેલર એક જગ્યાએ કહે છે કે તે આવનારને સાંભળે છે. આ સાંભળવાનો વખત કોઈને નથી. સંભળાવે છે બધાં, પણ સાંભળતું કોઈ નથી. લાગે છે તો એવું કે વ્યક્તિને પોતાની જવાબદારી જણાતી નથી ને તેને સામે બધાં જ જવાબદારીમાંથી છટકતાં જ લાગે છે. છેલ્લાં થોડાં વર્ષમાં એક વાત બની છે. આમ નોકરી નથી એમ કહીએ છીએ, પણ વગર પગારની ખર્ચાળ નોકરી બધાંને જ મળી ગઈ છે. બધાં જ મોબાઇલની નોકરીએ લાગ્યાં છે. કોઈ ફરજ નથી, પણ મેસેજ કે વીડિયો ફોરવર્ડ કર્યાં વગર કોઈને કોળિયો ગળે ઊતરતો નથી. આવેલા મેસેજ વાંચ્યા વગર જ ફોરવર્ડ કર્યાની સ્પર્ધામાં કોઈ પાછળ રહેવા માંગતું નથી. આખી ફોર્વર્ડિયા સંસ્કૃતિ ઊભી થઈ છે. કૈં પણ કોઈને પણ ફોરવર્ડ કરવાનો કોઈને સંકોચ નથી.

સક્સેસ પાછળ દુનિયા ગાંડી છે. બધાંએ જ મોખરે રહેવું છે. બીજો નંબર કોઈને જોઈતો નથી. માબાપ નાપાસ થયા હોય તો પણ, સંતાને તો મોખરે જ રહેવાનું છે. સ્કૂલો, સર્ટિફિકેટ આપવા જ એડમિશન આપે છે, બાકી ભણવાનું તો ટ્યૂશન ક્લાસમાં જ ચાલે છે એ વાત નાટકમાં ચર્ચાય છે. ટ્યૂશન કલાસો વચ્ચે પણ સ્પર્ધા છે ને વિદ્યાર્થીઓ સાહેબના કારનામા જાણતા હોય છે. વધારે ફી માંગતા માસ્તરને કેમ વટાવવો તે છોકરાઓ જાણે છે એટલે એજ્યુકેશન હવે સ્પર્ધામાં ટકવા લેવાનું છે, બાકી નોલેજ, એક્નોલેજ કોણ કરે છે? કોલેજ, નોલેજ માટે હોય એવું તો હવે સપનું ય પડતું નથી. જે હોંશિયાર છે તેમણે પોતાની શક્તિ પર જ ટકવાનું છે. એમાં કોઈ સાચી મદદ મળી તો ઠીક છે, બાકી તો મૂરખ બનવા જ તૈયાર રહેવાનું છે.

નાટકને અંતે ખુલાસો થાય છે કે અમે બધી નકારાત્મક વાતો જ કરી છે, કારણ કે એ જ તો સામે આવે છે. સારું પણ જગતમાં છે જ. સારાં માબાપો, સારા શિક્ષકો, સારી વ્યવસ્થા વગેરે છે જ, પણ એનું પ્રમાણ ઘટી રહ્યું છે ને ચિંતા કરવાની હોય તો એની છે. જગત હજી એટલું ખરાબ નથી થયું. ગમે એટલું ભ્રષ્ટ કેમ ન હોય, પણ જગતમાં હજી ક્યાંક સત્યનો મહિમા છે. હજી આંસુ આવે છે. હજી પીડા થાય છે. હજી કોઈ યાદ  આવે છે, હજી કોઈને માટે જીવવા-મરવાનું મન થાય છે. ટૂંકમાં, હજી આશા છે. આપણે દુનિયા સુધારવાની  જરૂર નથી. શરૂઆત ઘરથી થાય તો ય ઘણું છે.

નાટકમાં પાત્રો સ્ટેજ પર તો છે જ, પણ કેટલાંક ઓડિયન્સમાં પણ છે. પછી તો ઓડિયન્સ પણ પાત્ર બની રહે છે. આ બધાં વાતને આગળ વધારે છે. આમ તો પ્રચલિત અર્થમાં આ નાટક નથી, કેવળ વાત છે. એક ખૂન નિમિત્તે કુટુંબોમાં, કાયદાઓમાં જે વાતો થાય છે તે વાતોના ટુકડાથી નાટકનું પોત બંધાયું છે. નાટકને અપેક્ષિત સંઘર્ષ એમાં ઓછો જ છે, બલકે, સંઘર્ષને નાટ્યકારે ઇરાદાપૂર્વક ટાળ્યો છે. શરૂઆતમાં જ સનસનાટી ઊભી કરીને થ્રિલર થઈ શક્યું હોત, પણ ત્યાં જ નાટ્યકારે કહ્યું, STOP ! ને પછી શરૂ થયું આ ઘટનાના મૂળમાં જવાનું ઉત્ખનન ! પછી જે બહાર આવે છે તેની સાથે પ્રેક્ષકો પણ સંકળાતા આવે છે ને એ બધા નાટ્યકાર નથી, એટલે જ અહીં વાર્તા નથી, વાત છે ને વાતોના જે ટુકડા જોડાય છે તે નાટ્યાત્મકતા ઊભી કરે છે ને નાટક એનાથી રચાય છે.

નાટક પૂરું થયા પછી નાટ્યકાર કપિલદેવ શુક્લે અભિનંદન આપતાં કહ્યું કે બીજા બાણું, ચોરાણું શો જ ખૂટે છે. આપણે ઈચ્છીએ કે ન ખૂટે એટલા શો થાય. કલાકારો વિદ્યાર્થી, શિક્ષિત ને વ્યવસાયી હતા, પણ એમણે અભિનય શિક્ષિત નથી એવો કરવાનો હતો ને એ એમણે કર્યો. લેખક, દિગ્દર્શક અને આખી ટીમને અને એની સાથે જોડનાર સૌ પ્રેક્ષકોને પણ અઢળક અભિનંદનો ને શુભેચ્છાઓ …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “દિવ્ય ભાસ્કર”, 03 મે 2022

Loading

“સૌથી મોટો પ્રશ્ન…!” સંદર્ભે વધુ

મૂકેશ એદનવાલા|Opinion - Opinion|3 May 2022

‘નિરીક્ષક’ના તા. ૧-૪-૨૦૨૨ના અંકમાં કેતન રુપેરા લિખિત “સૌથી મોટો પ્રશ્ન…!” લેખમાં લોકશાહી સામે જે ઊભો થયેલો ભય વ્યક્ત કરાયો છે તે ખૂબ વાજબી છે. બદલાતા સમય અને સમાજ સાથે જેનાં ફળ આપણે માણ્યાં છે તેવાં જૂનાં માળખાં અને વ્યવસ્થાઓ સામે શું પ્રશ્નો થાય છે કે થઈ શકે છે તે અંગે વિવિધ સ્તરે ઘણા વિચારો થાય છે તેમાંના અમુક અગત્યના વિચારો અહીં રજૂ કરું છું.

લોકશાહીની ઘણી વ્યાખ્યાઓ હોઈ શકે. એક સરળ વ્યાખ્યા એ પણ હોઈ શકે કે લોકશાહીમાં લોકોને મળતી સ્વતંત્રતાનો એક અર્થ એ પણ હોઈ શકે કે ગરીબોનું અને સામાન્ય લોકોનું શોષણ ઓછું થાય અને તેમને સન્માનપૂર્વકનું સ્થાન મળે તે માટેની એક વ્યવસ્થા છે. ૨૦૦૭ના માર્ચ મહિનામાં (એટલે કે ૨૦૦૮ની મંદી પહેલા) પ્રોફેસર એલિઝાબેથ વોરન એ (ત્યારે તેઓ પ્રોફેસર જ હતાં, સાંસદ નહીં) કેલિફોર્નિયા યુનિવર્સિટી (બર્કલી) ખાતે આપેલા એક વ્યાખ્યાનમાં કઈ રીતે અમેરિકામાં મધ્યમવર્ગનો ધ્વંસ થઈ રહ્યો છે તેની છણાવટ કરી હતી. (The Coming Collapse of the Middle Class with Elizabah Warren). એનો એક અર્થ એ પણ થાય કે અમેરિકા જેવા દેશમાં પણ લોકશાહીને પોતાનું ધ્યેય હાંસલ કરવામાં સફળતા નહોતી મળતી. 

બીજી મોટી વિગતો જોઈએ તો હજી ૧૯૮૯માં બર્લિનની દીવાલ તોડી પડાઈ ત્યારે દુનિયાભરમાં લોકશાહીના પ્રસાર અને વિકાસ અંગે એક ઉમંગ હતો કે જે સોવિયત યુનિયનના વિલય પછી વધ્યો હતો. તે છતાં આજનું વિશ્વ કૈંક જુદી જ દિશામાં ગતિ કરી રહ્યું છે તે નિર્વિવાદ છે. ૨૦૧૬માં અમેરિકા જેવા દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિ ચૂંટણી જીતે તે દુનિયાભરમાં લોકશાહીની સામે એક મોટો પડકાર નથી શું? શું બદલાયું અને કેમ તે અંગે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પ્રોફેસર ઇઆન શાપીરો એ યેલ યુનિવર્સિટીમાં ૨૦૧૯માં આપેલા De Vane વ્યાખ્યાનમાળામાં (‘Power and Politics in Today’s world’ – https://www.youtube.com/ watch?v=BDqvzFY72mg&list=PLh9mgdi4rNeyViG2ar68jkgEi4y6doNZy) રજૂ કર્યું છે.

ટૂંકમાં કહીએ તો આજે લોકશાહી સામે મુખ્ય ચાર પડકારો છે. એક તો ચૂંટણી વખતે વપરાતું મનોવિજ્ઞાન અથવા તો એમ કહીએ કે મનોવિજ્ઞાનના સિદ્ધાન્તોનો ચૂંટણી લડવામાં થતો ઉપયોગ કે જેને કારણે લોકોનું બદલાયેલું અથવા તો પ્રચાર થકી બદલવામાં આવેલું માનસ. બીજો પડકાર એ સમાજમાં બદલાયેલું જ્ઞાનનું સ્તર, ત્રીજું, એ જાણવું જરૂરી બને કે મુક્ત આર્થિકનીતિ અને લોકશાહી એક બીજા સાથે સુસંગત છે? છેલ્લે અત્યારે સમાજની લગભગ દરેક વ્યક્તિ પોતાના અંગત આર્થિક વિકાસ સિવાય બીજી બાબતો માટે ઉદાસીન દેખાય છે. જો સમાજમાં દરેકને પોતાનું ધ્યેય નક્કી કરવાની સ્વતંત્રતા હોય અને લોકશાહીમાં બહુમત જ મહત્ત્વનો હોય તો જ્યારે મોટા ભાગના લોકો અંગત સ્વતંત્રતાના ભોગે આર્થિક વિકાસ હાંસલ કરવા માટે જ પ્રયત્ન કરતા હોય તો તે બહુમત પ્રમાણે સરકારે પોતાની નીતિઓ ઘડવી જોઈએ કે નહીં? આમ કેમ થયું તેની વિગતો અને થોડો ઇતિહાસ પણ રોચક છે. થોડી વિગતે જોઈએ.

૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકાની પ્રજાનો બહુમત અને મુખ્યમત (એટલે કે સમાજના મુખ્ય ગણાતા લોકોનો મત) યુદ્ધમાં ન જોડાવું તેવો હતો. અમેરિકી સરકારે પણ જાહેર કર્યું હતું કે તેઓ વિશ્વમાં શાંતિ ઇચ્છે છે અને તેઓ સુદૂર યુરોપના યુદ્ધમાં જોડવાના નથી, કારણ કે તે યુદ્ધ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. અમુક સંજોગોને કારણે (કે જેમાં માત્ર રાજકીય નહીં, પરંતુ આર્થિક કારણો પણ મહત્ત્વના હતા) એપ્રિલ ૧૯૧૭માં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે ત્યાંની સરકાર સામે પડકાર એ હતો કે લોકોને કઇ રીતે મનાવવા અને તેમને શું કહેવું? પેરીસની આંતરરાષ્ટ્રીય મીટિંગમાં અમેરિકાએ જાહેર કર્યું કે અમેરિકાની સરકાર દુનિયાભરમાં લોકશાહીના બચાવ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તે માટે જરૂર પડશે તો તે માટે યુદ્ધ પણ કરશે. આ કારણ લોકમત ને ફેરવવા માટે પૂરતું થયું અને અમેરિકા યુદ્ધમાં જોડાયું.

આવાં કારણો પાછળ જે ભેજાં કામ કરતા હતા તેમાં પ્રખર મનોવૈજ્ઞાનિક સિગમંડ ફ્રોઈડના ભત્રીજા એડવર્ડ બર્નેઝનું નામ મુખ્ય છે. એડવર્ડ બર્નેઝ અને તેમના જેવા બીજા લોકો પ્રચાર દ્વારા સમાજના બહુમતને પોતાના ફાયદા માટે બદલવા માટેનું કામ કરતા હતા – કે જે જાહેરખબર બનાવનારા લોકો કરે છે. ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ ઘણા ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ખૂબ વધુ હતી અને ઉત્પાદન થયેલ વસ્તુઓનું વેચાણ કાયમી ધોરણે વધારવાનું હતું ત્યારે પ્રચાર માધ્યમ દ્વારા તેઓ લોકોને વધુ અથવા બિનજરૂરી વસ્તુઓના વેચાણ માટે સફળતાપૂર્વક પ્રોત્સાહિત કરતા. પોતાના ઉદ્યોગનું નામ આ લોકોએ Public Relations આપ્યું હતું.

જાહેરખબરની અસરો વિષે આપણે સૌ જાણીએ છીએ. આપણને ખબર છે કે અમિતાભ કદી નવરત્ન તેલ પોતાના વાળમાં નાખતો નહીં હોય અને તે છતાં તેના દ્વારા લાખોના ખર્ચે થતી જાહેરખબરને કારણે તે તેલનું  વેચાણ વધે છે. આ જાહેરખબરનો  ઉપયોગ લોકસમૂહના માનસના મૅનેજમેન્ટ માટે વીસમી સદીની શરૂઆતથી થતો આવ્યો છે. ઉત્તરોત્તર લોકોની સરકારો પાસેની અપેક્ષાઓ વધતી ગઈ ત્યારે Public Relations કંપનીઓની દોરવણી હેઠળ સરકારો લોકોને પ્રચાર માધ્યમો દ્વારા લોકોના અચેતન મન સુધી સંદેશા મોકલતા કે સુખી થવું શક્ય છે. તમે અમુક વસ્તુઓ વાપરો એટલે તમે અમુક હદ સુધી સુખી થઈ ગયા. આખી દુનિયામાં વ્યાપેલો અને વધતો જતો ઉપભોક્તાવાદ આવા સંદેશાઓ થકી સ્થાપિત થયો છે. આખા વિશ્વમાં વ્યાપેલો સ્થૂળતાનો રોગ તેની સાદૃશ સાબિતી છે.

જે બ્રિટન અડધી દુનિયા પર રાજ્ય કરતું હતું તેના પ્રથમ વિશ્વયુદ્ધ પછી વળતા પાણી શરૂ થયા હતા. તે વધુને વધુ ઝડપે પોતે જીતેલા રાષ્ટ્રોને આઝાદ કરતું જતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી અનેક દેશો સ્વતંત્ર થયા ત્યારે ત્યાંની સ્થાનિક સરકારો ને લોકોને કાબૂમાં રાખવાની મુશ્કેલી પડવા લાગી. પરદેશી રાજ્યકર્તા લોકો શક્ય હોય ત્યાં સુધી પોતાની ઈચ્છાઓ દબાવી રાખે અને જો રાજા કે તેના પ્રતિનિધિ ક્રૂર જુલમ કરે તો પણ લોકો ચૂમાઈને બેઠા રહે. પરંતુ પોતાની સરકાર આવ્યા પછી લોકોની અપેક્ષાઓ ઉપરની લગામ પણ જતી રહે અને ભલે સરકાર આપખુદશાહી હોય તો પણ અમુકથી વધુ જુલમ પોતાની પ્રજા ઉપર ગુજારી શકે નહીં. આ કારણસર ઘણી સરકારો પોતાની પ્રજાને વશમાં રાખવા Public Relations નિષ્ણાતો પર વધુ ને વધુ આધાર રાખતા થયા.

એ નોંધવું જોઈએ કે ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં શરૂ થયેલા Cognitive Revolution પછી મનોવિજ્ઞાનમાં આપણી માન્યાતાઓ કઇ રીતે ઉદ્ભવે છે અને સ્થપાય છે, તેમ જ તે કઇ રીતે બદલાય છે તે અંગે ઘણા સંશોધનો થયા છે અને ઉત્તરોત્તર વધુ ઝડપે આવા સંશોધનો થયા જ કરે છે. આ ઉપરાંત Social Media અને ઇન્ટરનેટના બહોળા અને વધતા જતા ઉપયોગને કારણે પ્રચારની ક્ષમતા પણ ખૂબ વધી છે. હવે દેકાર્તના મતની વિરુદ્ધમાં કદાચ એ પુરવાર થઇ ચુક્યું છે કે માનવીની માન્યતાઓ તેણે બુદ્ધિપૂર્વક લીધેલા ર્નિણયો થકી સ્થપાયેલી નથી. થોડી તોછડી ભાષામાં કહીએ તો માનવ એ બુદ્ધિશાળી પ્રાણી નથી. Dan Ariely નામના એક વિદ્વાને તેના પુસ્તક ‘Predictably Irrational’માં દાવો કર્યો છે કે “Man is not only irrational but is predictably so.”

બહુજન સમાજના મતને પોતાના ઉદ્દેશ્યો પ્રમાણે ફેરવી શકવાની તેમની આ ક્ષમતાનો લાભ ઉદ્યોગપતિઓએ જ નહીં પણ રાજકારણીઓએ પણ લીધો અને હવે તો સમગ્ર વિશ્વમાં બહોળા પ્રમાણમાં, કદાચ પ્રચૂર માત્રામાં લેવાય છે. આજની તારીખે અમેરિકામાં ચારેક કંપનીઓ છે કે જે મોટી ફી વસુલ કરીને દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ થતી ચૂંટણી કઈ રીતે લડવી તે અંગે માર્ગદર્શન અને વ્યવસ્થા કરી આપે છે. ૨૦૧૪ની આપણા દેશની ચૂંટણીમાં પણ બંને મુખ્ય પક્ષ તરફથી આવી મદદ લેવાઈ હતી.

લોકશાહી સામેનો બીજો પડકાર પણ રસપ્રદ છે. લોકશાહીની સ્થાપના થઈ ત્યારે સમાજમાં વૈજ્ઞાનિક માહિતી અને નિષ્ણાતોનું પ્રમાણ બહુ સીમિત હતું. જેમ જેમ આ પ્રમાણ વધવા માંડ્યું તેમ તેમ લોકશાહી સામેના પડકારો વધ્યા છે. લોકશાહી હંમેશાં Powerની ફાળવણી કરે છે. જેમ જેમ આ ફાળવણી વધુને વધુ “યોગ્ય” કે ભણેલા લોકોને થાય તેટલી હદે લોકશાહી Meritocracy બનતી જ જવાની. સાદો દાખલો લઈએ તો અર્થવ્યવસ્થામાં વ્યાજના દર લોકશાહી પદ્ધતિથી નક્કી થાય અથવા આપણા દેશે કયા દેશ સાથે યુદ્ધ કરવું કે નહીં અને કરવું તો ક્યારે અને કઈ રીતે કરવું તે બાબતે લોકશાહી નથી જ અને ન જ હોઈ શકે. આમ છતાં, બ્રિટને યુરોપિયન સંઘના સભ્ય રહેવું કે નહીં તે બાબત લોકશાહી ઢબે નક્કી કરવામાં આવી. તે સાચો નિર્ણય હતો કે નહીં તેની ખૂબ ચર્ચા પણ થઈ. આ સંજોગોમાં લોકશાહીનું હાર્દ કઈ રીતે ટકાવી રાખવું તે અંગે મને બહુ ખબર નથી. વાચકોની ટિપ્પણીઓ મને ગમશે.

લોકશાહી સામેનો ત્રીજો પડકાર આર્થિક નીતિના ફેરફારમાંથી ઊભો થયો છે. ૧૯૨૦થી ૧૯૩૦ દરમ્યાન અમેરિકામાં અભૂતપૂર્વ તેજી થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને ઉદ્યોગો પૂરબહારમાં ઉત્પાદન કરતા જતા હતા. Public Relationsની દોરવણી હેઠળ મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ખુલતા જતા હતા અને લોકોને બિનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે પણ બૅંકો લોન આપતી જતી હતી. અહીં સુધી તો બધું મૂડીવાદ અને મુક્ત-બજારની આર્થિક નીતિઓ પર ચાલતું હતું, પરંતુ ૧૯૨૯ની મહામંદી પછી તે નીતિઓ લોકો માટે સુખાકારી ઊભી કરી શકવામાં નિષ્ફળ પુરવાર થઈ. ૧૯૩૩માં પ્રમુખ રૂઝવેલ્ટે કેઈન્સની આર્થિક નીતિઓ આધારિત Welfare State માટેની નીતિઓની ઘોષણા કરી જે બીજા વિશ્વયુદ્ધના અંત પછી પણ લગભગ ૧૯૬૯ સુધી ચાલી. આ નીતિઓને કારણે સરકાર બજાર વ્યવસ્થા પડી ભાંગી હોય (જેમ કે લાંબો સમય ચાલતી અથવા ગંભીર મંદી કે ફુગાવાની પરિસ્થિતિમાં) ત્યારે બજારમાં સીધો અને પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરીને લોકોની સુખાકારી જાળવવા બધા શક્ય પ્રયત્નો કરતી કે જે થકી લોકોને રોજી મળી રહે અને તે આવકના આધારે લોકો પોતાની સુખાકારી નિશ્ચિત કરી શકે. ત્યારબાદ ફ્રેડરિક હાયેકની આર્થિક ફિલસૂફી પર આધારિત આર્થિક નીતિઓનો જમાનો શરૂ થયો. મિલ્ટન ફ્રીડમેન તેના જાણીતા સમર્થક હતા. હવે સરકાર બજારોની નિષ્ફળતા વખતે પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરવાને બદલે માત્ર ઉદ્યોગોને વિકાસ માટે પૂરતી સગવડ પૂરી પાડતી કે જેથી ઉદ્યોગો નફો કરતા રહે, લોકો ને રોજી મળે અને બજારમાં માંગનું સ્તર ટકી રહે. ૧૯૬૯ પછી વધતી ઝડપે સરકારે લોકોને બદલે ઉદ્યોગોને સુરક્ષા પૂરી પાડવાના પ્રયત્નો કર્યા જે હજી પણ ચાલુ છે. બહુ વિગતે વાત ન કરવી હોય તો એટલું કહેવું પૂરતું થશે કે અમેરિકા સામે અત્ત્યારે ગંભીર આક્ષેપ એ છે કે મુઠ્ઠીભર મૂડીપતિઓ આ નીતિઓના લાભાર્થીઓ રહ્યા છે, આર્થિક અસમાનતાએ માઝા મૂકી છે, અને સામાન્ય નાગરિકોની તેમ જ ગરીબોની હાલત કથળતી જાય છે. આવા મૂડીપતિઓ પોતાના દેશની અને આંતરરાષ્ટ્રીય નીતિઓનું સંચાલન પરોક્ષ રીતે કરે છે. આ બાબત બધા લોકશાહી દેશોને લાગુ પડે છે. કદાચ અતિશયોક્તિ વગર એમ કહી શકાય કે બહુજનની સુખાકારી માટે પ્રતિબદ્ધ લોકશાહી સરકારો હવે મૂડીપતિઓની સુખાકારીથી સંતુષ્ટ છે. 

અહીં એ નોંધવું અગત્યનું છે કે આ બધા બદલાવો માત્ર સમાજના અમુક વર્ગની અનૈતિકતાને આભારી નથી. ત્રણ મહત્ત્વના પરિબળો((૧) ટેકનોલોજીનો વિકાસ, (૨) આંતરરાષ્ટ્રીય વેપારનો અભૂતપૂર્વ વિકાસ અને (૩) બદલાતા આંતરરાષ્ટ્રીય રાજકારણની પરિસ્થિતિ)નું પણ આ બદલાવમાં મહત્ત્વનું યોગદાન છે.

છેલ્લે, લોકશાહીને લાગતો અગત્યનો મુદ્દો. અત્યાર સુધી કોઈ પણ મોટો (સિંગાપોર કે દક્ષિણ કોરિયા સિવાય) બિન-લોકશાહી દેશ આર્થિક વિકાસ સિદ્ધ કરી શક્યો ન હતો. હવે (૨૦૧૪ પછી) ચીનની રાષ્ટ્રીય આવક અમેરિકાની રાષ્ટ્રીય આવક કરતાં વધુ છે, અને ચીનમાં ગરીબોની સ્થિતિ મોટે પાયે સુધરી છે. હવે માનો કે દુનિયાભરમાં જનમત લેવામાં આવે અને લોકોને પૂછવામાં આવે કે તેમને કેવી સરકાર જોઈએ – અને આ પરિણામોને કારણે મોટા ભાગના લોકો એમ કહે કે તેઓ ચીન જેવી સરકાર તૈયાર છે; એક માત્ર શરત એટલી છે કે આર્થિક વિકાસ થવો જોઈએ. તો આ પરિસ્થિતિમાં શું યોગ્ય ગણાય? લોકશાહી ટકાવી રાખવી કે આર્થિક વિકાસના વધસ્થંભ પર તેનું બલિદાન ?

હજી એક નાનો દાખલો લઈએ જે વધુ સહેલાઈથી સમજી શકાય. અમેરિકા અને પશ્ચિમ યુરોપના ઘણા દેશોમાં સ્થાનિક નિર્ણયો જે તે વિસ્તારમાં રહેતા લોકો લેતા હોય છે. જેમ કે અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના રહીશો નક્કી કરે કે તે બગીચો કયા સમય દરમ્યાન ખુલ્લો રહે, તેમાં કઈ સગવડ હોવી જોઈએ, વગેરે. અમેરિકામાં સ્થાનિક સગવડોનું (શાળાઓ, સ્થાનિક સ્વીમિંગ પુલ, વગેરે) સંચાલન આ રીતે કરવામાં આવે છે અને સંચાલન અંગેના નિર્ણયો બહુમતીથી લેવામાં આવે છે. હવે માની લઈએ કે એક સ્થાનિક શાળાના વિસ્તારમાં બ્રાહ્મણ, જૈન, પારસી, મુસ્લિમ કે યહૂદી રહેવાસીઓ બહુમતીમાં છે અને બહુમતે તેઓ નક્કી કરે છે કે તેમના ધર્મનું શિક્ષણ ત્યાંની શાળામાં અપાવું જોઈએ, શાળામાં બાળકોને તેમના ધર્મ પ્રમાણેનો ખોરાક અપાવો જોઈએ, અમુક દિવસે રાજા મળવી જોઈએ, અમુક પ્રકારની પ્રાર્થના થવી જોઈએ, અથવા ત્યાંના સ્નાનાગારમાં સ્ત્રીઓ માટે અલાયદો સમય રાખવો જોઈએ, વગેરે. પ્રશ્ન એ છે કે આ નિર્ણય યોગ્ય ગણાય? સફળ લોકશાહી માટે આ સિવાય બીજી શું સગવડ હોઈ શકે? મને જવાબ બહુ સહેલો નથી લાગ્યો.

Emiail : mukesh_a99@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 06-07

Loading

હાથ તો જોડેલા જ સારા!

હિમાંશી શેલત|Opinion - Opinion|3 May 2022

તિર્યકી

ઃ       મને એક વાતનું અચરજ છે, મોટું અચરજ.

ઃ       એમ? બહુ કહેવાય. હાલના સમયમાં કશુંક પણ અચરજ થાય તે બહુ કહેવાય. હવે ખુલાસો આપો, શેનું અચરજ?

ઃ       સન્માનયોગ્ય નેતાશ્રી વિમાનની નિસરણી ઊતરી રહ્યા છે, એમનું ધ્યાન એ ક્ષણે સ્વાભાવિક રીતે જ પગથિયાં પર છે, એ ઘડીએ એમને હાથ જોડીને નગરના શ્રેષ્ઠતમ નાયકોની કતાર ખડી છે, કલેક્ટર, મેયર, વરિષ્ઠ સચિવો વગેરે વગેરે. તે એ લોકો નેતાશ્રી હેઠે આવે ત્યાં સુધી રાહ કેમ ના જોઈ શકે? આગોતરાં હાથ જોડીને ખડા રહેવાનો મતલબ શો? હજી મહાનાયકે તો નથી એમના ભણી નજર કરી, કે નથી પ્રતિભાવમાં હાથ જોડ્યા, તો હાથ જોડીને દેવદ્વારે ઊભા હોય એમ આતુરતા, આજીજી, આરત, આર્જવ …

ઃ       તમે ભોળા અને નાદાન છો એટલે તમને અચરજ થાય છે. આ તો ઠીક છે કે વિમાન આવી ગયું છે, અને સર્વશ્રેષ્ઠ હવે નીચે આવી રહ્યા છે, બાકી આ લોકોનું ચાલે તો તેઓ ઘેરથી, એમના ડ્રોઈંગરૂમથી જ, હાથ જોડેલા રાખીને આવે! એમના જોડેલા હાથને જોઈને સમસ્ત જગતને જાણ થાય કે એમના ઈષ્ટદેવ પધારવાના હશે. ધન ધન એમની ભક્તિ!

ઃ       પણ સમજાતું નથી, કે આ ખુશામતનો કયો, અને કેટલામો પ્રકાર છે? આવી ચાપલૂસી?

ઃ       આ પ્રથમ પ્રકાર. અન્ય પ્રકારોમાં હાર ચડાવવાની, સ્તુતિ તથા કીર્તન કરવાની, તુલા વિધિ કરવાની, શબ્દ દ્વારા પ્રશસ્તિ કરવાની તથા કરાવવાની પ્રથા ઠીકઠીક પ્રચલિત છે, પરંતુ આ સહુથી ઉપરનો, નંબર વન પ્રકાર ગણાય છે, જેમાં સર્વોચ્ચની નજર પડે, જ્યારે પડે ત્યારે, જોડેલા હાથ અને નમેલાં મસ્તક જ નજરે ચડે. બંને પક્ષે પરિતોષનો કલ્યાણકારી ભાવ ફેલાય છે, અને સારાં વાનાં થાય છે દેશમાં, બધે ઉત્સવ, ઉત્સવ!

ઃ       ધૂળ સારાંવાનાં ! તમને તો કશું દેખાતું જ નથી આજકાલ!

ઃ       એવું નથી. તમે મૂળ મુદ્દો સમજશો તો બધું દીવા જેવું ચોખ્ખું થઈ જશે. એ ક્ષણે હાથ જોડવાના હોય તે જ ક્ષણે ધારો કે પગે કીડી અથવા મંકોડો ચડી ગયો, અને એણે ચટકો ભર્યો, તો? અથવા તો એ જ ઘડીએ પ્રચંડ છીંક આવી, અને મોં ઢાંકવા તમારે હાથનો ઉપયોગ કરવો પડ્યો, તો? તમે હાથ જોડ્યા નથી, અને તમારા હાથ અન્ય ક્રિયાઓમાં રોકાયા છે, તે વખતે સન્માનયોગ્ય વ્યક્તિએ નમસ્કાર કરીને તમારા પર નજર ઠેરવી, તો એમને એ ઘડીએ શું જોવા મળશે? જસ્ટ ઈમેજીન ! સહુના હાથ ભક્તિમાં જોડાયેલા, અને તમે બઘવાયેલા, ડાફોળિયાં મારતાં … ઓ માય ગૉડ! મોત જેવું લાગશે તમને ત્યારે, એટલે હાથ તો પહેલેથી જોડેલા જ સારા. છાપ સારી પડે.

ઃ       લો, આ તો અમે કોઈ દહાડો વિચારેલું જ નહીં! આટલો ગહન મુદ્દો અમે શી રીતે ચૂકી ગયા?

ઃ       તમારું એ કામ નથી. તમે તર્ક, વિતર્ક અને કુતર્કના માણસ. ઘટનાને ચોમેરથી નીરખીને, એના તથ્યને પારખીને, એની આગળ પાછળના સંદર્ભોનું માનસિક વિશ્લેષણ કરીને પ્રજાસમૂહની નાડ પકડીને, આગળ ગયેલા, અને પાછળ આવતા પદવાંછુઓની કુંડળી તપાસીને તમારે વર્તવાનું હોય. એમાં નાની અમસ્તીએ ખામી આવી ગઈ તો ધબાય નમઃ! ના પોસાય લેશ પણ.

ઃ       કાન પકડ્યા અમે. હવેથી અચરજ અનુભવવાને બદલે અમે પેલા બધ્ધહસ્ત ભક્તમંડળોનું અભિવાદન કરીશું, માત્ર હાથ જોડીને નહીં, પગે પડીને, અને નાક રગડીને! અંતે તો નમ્યાં, ને સહુને ગમ્યાં, કહેવતો કંઈ અમથી પડે છે? આ મૂકી દઈએ પાણી, નો તર્ક, નો સ્વતંત્ર વિચાર, નો સિદ્ધાંત, બસ, હાથ જોડીને એક કતાર, એક કતાર! કતારોનો સમૂહ-હાથ જોડેલો – વિરાટ, અમાપ, અનંત, ઓહો!!!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 16 

Loading

...102030...1,4101,4111,4121,413...1,4201,4301,440...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved