Opinion Magazine
Number of visits: 9568918
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુ.એસ.એ. તથા રશિયાનાં રાજકીય સમીકરણો ‘વૈશ્વિકરણ’નો વીંટો વાળી દે તેમ બને

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 July 2022

ફ્રી ટ્રેડના પ્રણેતા રાષ્ટ્રોને જ્યારે ફુગાવાનો રાક્ષસ નડે છે ત્યારે તેમણે વહાલાં-દવલાંની નીતિ અપનાવવી છે

કોરોનાવાઇરસ રોગચાળો અને પછી રશિયા યુક્રેનનું યુદ્ધ – આ બન્ને બાબતોને કારણે આખી દુનિયાની સપ્લાય ચેન – પુરવઠા સાંકળ – ખોરવાઇ ગઇ છે. ઉદારીકરણ, ફ્રી-ટ્રેડ, બાય-લેટરલ રિલેશનશીપ જેવા શબ્દો વૈશ્વિક અર્થતંત્રને જોડતા પરિબળો છે. કમનસીબે રોગચાળા અને યુદ્ધના ફટકાએ આ કડીઓને નબળી કરી નાખી છે. તેમાં રાજકારણનો પણ એટલો જ મોટો ફાળો છે.  વૈશ્વિકરણ – ગ્લોબલાઇઝેશનને કારણે બંધાયેલા વ્યાપારી સંબંધોમાં રાજકારણની શતરંજ પણ રમાતી હોય, છતાં પણ વૈશ્વિક આર્થિક તંત્રની મજબૂતી આ લેવડ-દેવડ પર જ ટકેલી હોય છે. પંરતુ મોર્ગન સ્ટેનલી રિસર્ચના એક તાજા વિષ્લેશણ અનુસાર ઓછું વૈશ્વિક અને વધુ આંતરિયાળ – સ્થાનિક સ્તરે એકબીજા સાથે જોડાયેલું માળખું ઉભરી રહ્યું છે. એવું તંત્ર જેમાં જે-તે દેશના ઉત્પાદકો, ઉદ્યોગકારો, સ્થાનિક બજારો અને તેને સહકાર આપનારાં નાનાં કે મોટાં રાષ્ટ્રોને પ્રાધાન્ય અપાય. આ આખો બદલાવ એવી રીતે આવી રહ્યો છે જેમાં ગણ્યાં ગાંઠ્યાં વૈશ્વિક આર્થિક સત્તાકીય રાષ્ટ્રોને બદલે એકથી વધુ રાજકીય અને આર્થિક કેન્દ્રો સમાવિષ્ટ હોય. અર્થશાસ્ત્રીઓ આ પરિવર્તનને ‘સ્લોબલાઝેશન’નું નામ આપે છે, જો કે સાથે એમ પણ સ્પષ્ટ કરે છે કે આ તંત્રને નક્કર થતાં હજી વર્ષો લાગશે, કારણ કે મોટી આર્થિક સત્તાઓ પરનું પરાવલંબન અચાનક જ ઘટી નથી જતું. જો કે સુરક્ષા અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રે મહાસત્તા ગણાતા રાષ્ટ્રને બદલે મેક્સિકો, ભારત, વિએટનામ અને ટર્કી જેવા દેશોની ભવિષ્યમાં ચાવીરૂપ ભૂમિકા હોય તેમ બને કારણ કે યુ.એસ.એ. અને ઇ.યુ. જ્યારે ડાઇવર્સિફિકેશન કરશે ત્યારે આ રાષ્ટ્રોને ફાયદો થઇ શકે છે. આ ફાયદા પાછળના કારણોમાં ભૌગોલિક સ્થાન, લેબરની નીચી કિંમત અને ફ્રી ટ્રેડને લગતા કરારનો સમાવેશ થાય છે.

અત્યારે પણ રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં ટર્કી દ્વારા યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં ડ્રોન્સ સપ્લાય કરવામાં આવે છે તો રશિયાએ કરેલા આ હુમલા સામે ટર્કીને કોઇ વાંધો નથી. છતાં પણ જે યુક્રેન પર રશિયાએ ચઢાઇ કરીને દુનિયાની વ્યવસ્થાને હચમચાવી નાખી છે તે બન્ને વચ્ચે પડીને ટર્કીએ જ ઘઉં અને બીજા અનાજનો વ્યાપાર વિશ્વના બીજા દેશો સાથે ફરી ચાલુ કરવાનો નિર્ણય કરાવ્યો. નાના દેશોની ભૂમિકાની આ પ્રકારે વ્યાપાર વાણિજ્યની બ્લૉક ચેઇનમાં અગત્યની છે. યુદ્ધને કારણે યુક્રેન અનાજનો સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં પણ નિકાસ નહોતો કરી શકતો જેની સીધી અસર હતી – બીજા રાષ્ટ્રોમાં આસમાને પહોંચેલો ફુગાવો. ટર્કીને આ આખી વાતમાં રસ હતો કારણ કે ત્યાં તો ફુગાવો ૮૦ ટકાના દરે હતો, ભારતમાં ૭ ટકાના ફુગાવાના દરે વિરોધનો વંટોળ જગાવ્યો છે ત્યારે ટર્કીમાં શું હાલત હશે તેની કલ્પના જ કરવી રહી. ટર્કીએ કેમ યુક્રેન અને રશિયા વચ્ચે પડવાનું નક્કી કર્યું તે સમજી શકાય છે.

હવે મોટાં માથાંઓની વાત કરીએ તો થોડા વખત પહેલાં યુ.એસ. ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને સાઉથ કોરિયાના અધિકારીઓને કહ્યું કે હવે યુ.એસ.એ.નું માનવું છે કે તે એવાં જ રાષ્ટ્રો સાથે વ્યાપાર કરશે જેની સાથે તેને સારાસારી છે. આ વાત કહેવા માટે ‘ફ્રેન્ડ શોરિંગ’ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. સાઉથ કોરિયા અને અમેરિકા વચ્ચે દોસ્તી છે એટલે કંઇ વાંધો નથી. યુ.એસ.એ.નો આ અભિગમ ફ્રી ટ્રેડની નીતિને ફ્રેન્ડ ટ્રેડની નીતિમાં ફેરવી દેશે.

ચીન પરનો યુ.એસ.એ.નો વધુ પડતો આધાર રોગચાળાના કટોકટી ભર્યા સમયમાં તેને ભારે પડ્યો, સપ્લાય ચેન પડી ભાંગી અને સાબિત થયું કે ફ્રી-ટ્રેડ હોય તો હંમેશાં ચીજ-વસ્તુના ભાવ પર સારી અસર નથી પડતી. રશિયાએ તો બીજા વિશ્વયુદ્ધ પછીની યુરોપિયન શાંતિને ધરમૂળથી હચમચાવી દીધી, જેનો આધાર જ ફ્રી-ટ્રેડ હતો.

આવી ગોઠવણો થાય ત્યારે ગ્લોબલાઇઝેશનનો મૂળ હેતુ નેવે મુકાઇ જાય અને પછી દોસ્તી, શત્રુતા, બળજબરી એવાં પાસાંઓને આધારે થતી લેવડ-દેવડ રાષ્ટ્રો વચ્ચે થવા માંડે. ફ્રી ટ્રેડનું ગાણું ગનારા યુ.એસ.એ.માં હવે દોસ્તીને આધારે થતા વ્યાપાર પર ઝૂકાવ વધવા માંડ્યો છે. આમ કરવાનું સીધું કારણ છે સ્વાર્થ – જે યુ.એસ.એ. હોય કે રશિયા હોય કે ચીન હોય – બધી જ મહાસત્તાઓના અભિગમમાં દેખાઇ આવે છે. ઉદાહરણ તરીકે યુ.એસ.એ.માં રશિયન ઓઇલ પહોંચતું અટક્યું એટલે ભાવ વધારો ઝીંકાયો, ચીનમાંથી સેમિકન્ડક્ટર ચિપ આવવાની અછત થઇ એટલે કાર્સ અને ઇલેક્ટ્રોનિક સંસાધનો ખરીદવાને મામલે સમસ્યા ખડી થઇ – હવે આવામાં ટંગડી ઊંચી રાખવાને બદલે દોસ્તી આગળ ધરીને દુનિયાદારી ચલાવવાનું યુ.એસ.એ.ના સત્તાધીશોએ નક્કી કર્યું. હવે આવા અભિગમમાં કોણ દોસ્ત અને કોણ શત્રુ? અને કોણ દોસ્ત જેવો છતાં ય જોખમી શત્રુ બની શકે તેવો દેશ – એ પણ યુ.એસ.એ. – રશિયા રાષ્ટ્રોએ પોતાની ત્રિરાશીઓ માંડીને નક્કી કરવું પડે. ગુજરાતી કહેવત પ્રમાણે ગરજે ગધડાને પણ બાપ કહેવો પડે વાળી સ્થિતિ પણ આવામાં ખડી થાય – જેમ કે રશિયા, ટર્કી અને યુક્રેને કરેલી વાટાઘાટોમાં સાબિત થઇ ગયું કે ભલે અંદરો અંદર યુદ્ધ ચાલતું હોય પણ જરૂર પડ્યે વ્યાપારી ગણતરીઓને કેન્દ્રમાં રાખીને દુશ્મન દેશો પણ એકબીજા સાથે બાંધછોડ કરી લેતા હોય છે.

વૈશ્વિક વ્યાપાર લૉ-કાર્બન અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવી શકે છે, વળી તે સર્વાંગી એટલે કે ઑલ ઇન્ક્લુઝિવ હોઇ શકે છે અને ડિજિટલ વિશ્વમાં કનેક્ટિવિટી વધારવામાં પણ તે હકારાત્મક પરિણામ લાવી શકે છે. કમનસીબે વૈશ્વિકરણમાં સ્થાનિકીકરણ થઇ રહ્યું છે – જેમાં ખોટું તો કંઇ નથી પણ ફ્રી ટ્રેડની નીતિનો હેતુ તેમાં અભેરાઇએ ચઢે છે અને વહાલાં-દવલાંનું ગણિત જ મંડાય છે. જેને માટે અંગ્રેજીમાં ઇકોનોમિક વર્લ્ડ ઓર્ડર જેવો શબ્દપ્રયોગ કરવો પડે તે વ્યવસ્થાતંત્ર હચમચી ઊઠે.

બાય ધી વેઃ

એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં રોનાલ્ડ રેગને ફ્રી ટ્રેડની વાત કરતાં એમ કહ્યું હતું કે વ્યાપાર કંઇ યુદ્ધ નથી, તેમાં કોઇ હારતું નથી બધા જીતે જ છે, ફ્રી ટ્રેડ એ ફ્રી વર્લ્ડને મજબૂત કરવામાં મદદ કરે છે. અમેરિકા હવે જ્યારે મિત્રો અને અ-મિત્રો સાથેના વ્યાપાર માટેની નીતિઓ બદલે છે એ સાબિત કરે છે કે વ્યાપારથી મિત્રો નથી બનતા પણ મિત્રોને કારણે વ્યાપાર ખડો થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષનો અંત જે રીતે આવશે તેના આધારે વૈશ્વિક અર્થતંત્રના સમીકરણો મોટા પાયે બદલાશે. ભારત કયા દેશ માટે શું સાબિત થશે તે જોવું રહ્યું, જો કે નિકાસને મામલે આપણે જો પકડ મજબૂત રાખી તો વિદેશમાં મજૂરી આધારિત ઉત્પાદનો એટલે કે કપડાં – બૅગ્ઝ – ફૂટવેર વગેરેના માર્કેટમાં વિસ્તાર કરવો અઘરો નહીં હોય. જો કે ભારત સાથેના વ્યાપારમાં મહાસત્તા ગણાતા રાષ્ટ્ર ભારતની કોણીએ ગોળ ન લગાડે તેની કાળજી રાખવી રહી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 જુલાઈ 2022

Loading

અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|31 July 2022

આઝાદીનો અમૃતમહોત્સવ લગભગ કોઈ ગણનાપાત્ર ઉત્સવ મનાવ્યા વિના પૂરો થઈ રહ્યો છે. આમાં આશ્ચર્ય માટે કોઈ કારણ નથી. ગાંધીજીની સાર્ધ-શતાબ્દી પણ આ રીતે જ ઉજવવામાં આવી હતી. વર્તમાન શાસકો જે વિચારકુળમાંથી આવે છે એ કુળને ભારતની આઝાદી સાથે કોઈ હાર્દિક સંબંધ નથી. નહોતો પહેલાં કે નહોતો અત્યારે. કારણ એ હતું કે આઝાદીનાં આંદોલન વખતે ભાવિ ભારત(આઈડિયા ઑફ ઇન્ડિયા)ની જે કલ્પના કરવામાં આવી હતી એ તેમને મંજૂર નહોતી. તેમનો પ્રતિકાર તેઓ કરી શક્યા નહોતા, કારણ કે ગાંધીજી સામે રાજકીય રીતે ટકવું ત્યારે મુશ્કેલ હતું. ખુદ લોકમાન્ય તિલક જેવા તિલકે તેમના અનુયાયીઓને કહ્યું હતું કે હવે વિકલ્પ બે જ બચ્યા છે; કાં ગાંધીનું નેતૃત્વ સ્વીકારો અને કાં જાહેરજીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. મને ગાંધીનું નેતૃત્વ સ્વીકારવામાં કોઈ વાંધો નથી એમ કહીને તેમણે તેમના અનુયાયીઓને સલાહ આપી હતી કે તેમણે ગાંધીને સાથ આપવો જોઈએ. કારણ? કારણ કે આ માણસ આઝાદી અપાવી શકે એમ છે. પાછળથી ગાંધીજીએ જેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું એ વલ્લભભાઇ પટેલે પણ ગુજરાત ક્લબમાં ચેસ રમતા રમતા ઉદ્ગાર કાઢ્યા હતા કે, “માવલંકર, આ માણસ દેશને આઝાદી અપાવી શકે એમ છે.” તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન વખતે ગાંધીજીએ આપેલું મર્દાનગીની મિસાલ જેવું, પણ સંયમ અને સભ્યતાથી તરબોળ ભાષણની વિગતો છાપામાં વાંચી હતી અને તેમના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા હતા.

એ સમયે આ માણસ આઝાદી અપાવી શકે એમ છે એની પ્રતીતિ માત્ર લોકમાન્ય તિલક કે સરદારને જ નહોતી થઈ, દેશના લગભગ તમામ નેતાઓને અને દેશની સમગ્ર પ્રજાને પણ થઈ હતી. અહીં ‘સમગ્ર’ શબ્દ મહત્ત્વનો છે અને તેને મનમાં કેન્દ્ર સ્થાને રાખજો. ગાંધી દેશને આઝાદી તો અપાવી શકે એમ હતા, પણ ભાવિ ભારત વિશેની ગાંધીની એક કલ્પના હતી. માત્ર ભાવિ ભારત અંગેની જ નહીં, ભાવિ માનવ-સમાજ વિશેની પણ ગાંધીની ચોક્કસ કલ્પના હતી. ગાંધીજી તેમની કલ્પનાના ભારતનાં સ્વરૂપ વિષે અને તેમની કલ્પનાના માનવ-સમાજના સ્વરૂપ વિષે લખતા-બોલતા પણ હતા અને એ પણ સતત અવિરત. સંભાળીને બોલવું, અનેક અર્થ નીકળે એ રીતે બોલવું, વિરોધાભાસી વિધાનો કરવાં, આજે એક કહેવું કાલે બીજું કહેવું, છુપાવવું, બોલવું કાંઈક અને કરવું કાંઈક એ ગાંધી માટે અગ્રાહ્ય હતું. પાપ હતું. એટલે ગાંધીએ ફોડ પાડીને અને વારંવાર પોતાની કલ્પનાના ભારત વિશેની અને માનવ-સમાજ વિશેની રૂપરેખા રાખી હતી.

હવે જેમને ગાંધીની કલ્પનાનું ભારત અને ગાંધીની કલ્પનાનો માનવ-સમાજ સ્વીકાર્ય નહોતા તેમની પાસે બે વિકલ્પો હતા. એક પ્રતિકાર અને બીજો પ્રતિવાદ. સ્વાભાવિકપણે આ બે જ વિકલ્પો હોઈ શકે. વળી ગાંધીની કલ્પનાનું ભારત અને ગાંધીની કલ્પનાનો માનવ-સમાજ સ્વીકાર્ય નહોતા એવા ભારતમાં ઘણા લોકો હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ મહાસભા આમાં અગ્રેસર હતા. થોડા કૉંગ્રેસીઓ પણ હતા. પણ તેમણે નહોતો ગાંધી સામે ઈમાનદારીપૂર્વક પ્રતિવાદ કર્યો કે નહોતો હિંમતથી પ્રતિકાર. શા માટે? જો તેમણે ગાંધી સામે પ્રતિવાદ અને ગાંધીનો પ્રતિકાર કર્યો હોત તો અંગ્રેજોએ તેમને છૂટા હાથે મદદ કરી હોત. અંગ્રેજો તો તત્પર હતા કે કોઈ ગાંધી સામે પ્રતિવાદ અને ગાંધીનો પ્રતિકાર કરે. અંગ્રેજોએ ડૉ. આંબેડકરને મદદ કરી હતી, ઝીણાને મદદ કરી હતી, તો આ લોકો તો હિંદુ હતા અને ગાંધી જે ધર્મસમાજમાંથી આવતા હતા અને ગાંધીજીને જે પ્રજાનો સૌથી વધુ ટેકો મળતો હતો તેમાં ઘોંસ પાડી શકે એમ હતા. પણ તેમણે નહોતો ઈમાનદારીપૂર્વક ગાંધી સામે પ્રતિવાદ કર્યો કે નહોતો ગાંધીનો પ્રતિકાર.

શા માટે? આ લાખ રૂપિયાનો સવાલ છે અને તમે પણ એ વિષે વિચારો. જોઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈ નેતાને પૂછો કે શા માટે તમારા ગાંધીના સમકાલીન નેતાઓએ ત્યારે ગાંધી સામે કોઈ પ્રતિવાદ નહોતો કર્યો કે કરવો જોઈતો હતો એવો પ્રતિકાર નહોતો કર્યો? શા માટે?

હમણાં જ મેં કહ્યું કે ‘સમગ્ર’ શબ્દ મનમાં કેન્દ્રસ્થાને મૂકી રાખજો. દેશની સમગ્ર પ્રજા અને સકળ જગતની સમગ્ર પ્રજા ગાંધીની કલ્પનાના ભારતમાં અને ગાંધીની કલ્પનાના વિશ્વમાં કેન્દ્રસ્થાને હતી. સમગ્ર એટલે સમગ્ર, ભેદભાવ કે કોઈને તારવ્યા કે તરછોડ્યા વિના સમગ્ર. જેને રૂઢ અર્થમાં આપણે નિર્બળ કહીએ છીએ અને ‘પ્રજા’ના ખાતામાં નિર્બળને ખતવી દઈએ છીએ એ અદના ઇન્સાન ઉપર ગાંધીની અખૂટ અને અતુટ શ્રદ્ધા હતી. એ દુન્યવી અર્થમાં સામાન્ય છે પણ આધ્યાત્મિક અર્થમાં અસામાન્ય છે એ ગાંધીજીએ બતાવી આપ્યું હતું. ભૌતિક તાકાત કરતાં આત્મિક તાકાત અનેકગણી વધારે શક્તિશાળી હોય છે અને તે વિશ્વના સૌથી શ

ક્તિશાળી સામ્રાજ્યને પણ ધરાશયી કરી શકે છે એની ગાંધીજીએ ખાતરી કરાવી હતી. દેશનો અદનામાં અદનો માણસ તેની અંદર રહેલી, પણ અત્યાર સુધી નહીં ઓળખેલી કે નહીં સ્વીકાર પામેલી શક્તિનો અહેસાસ કરવા લાગ્યો હતો. લોકો પ્રજાસમૂહનો હિસ્સો હોવા છતાં અંગત રીતે પોતે શક્તિપૂંજ હોવાનો અનુભવ કરવા લાગ્યા. એ માટે તેઓ કોઈ ઓળખના મોહતાજ નહોતા. માણસ તરીકેનું હોવાપણું પૂરતું હતું.

હવે એ તો દેખીતી વાત છે એક નવા પ્રકારના ઉઘાડને રોકવો હોય તો એવા જ પ્રબળ પ્રતિવાદ માટે સામગ્રી (આજકાલ અંગ્રેજીમાં વપરાતો શબ્દપ્રયોગ કરીએ તો કાઉન્ટર નેરેટિવ્ઝ) હોવી જોઈએ જે તેમની પાસે હતી નહીં. આજે પણ નથી. માટે ગાંધીજી સામે પ્રતિવાદ કરવાની જગ્યાએ ગાંધીજીને બદનામ કરવાનો સસ્તો અને સહેલો માર્ગ અપનાવામાં આવે છે. બીજું પોતાની અંદર રહેલી શક્તિનો અહેસાસ થયા પછી લોકો પાછળ વળીને કોઈને જોવા-સાંભળવા તૈયાર નહોતા. એવું નથી કે ત્યારે તમામ લોકોને ગાંધીજીની કલ્પનાનું ભારત અને ગાંધીની કલ્પનાનો મનાવ-સમાજ કેવો હશે એ સમજાઈ ગયું હતું અને તેને તેમણે આત્મસાત કરી લીધાં હતાં, પણ ગાંધીમાં શ્રદ્ધા અખૂટ હતી. આમ સહિયારા, ન્યાયી અને અહિંસક માનવીય સમાજ અને એવા જ ભારતની ગાંધીની કલ્પનાનો પ્રતિવાદ કરવા માટે હિન્દુત્વવાદીઓ પાસે ગળે ઉતરે એવી સામગ્રી નહોતી અને પ્રજાની ગાંધીશ્રદ્ધા જોતાં પ્રતિકાર કરવા જેટલી હિંમત પણ નહોતી. મુસ્લિમ કોમવાદી નેતાઓએ હિંદુ બહુમતીનો ડર બતાવીને અને દલિત નેતાઓએ સવર્ણ હિંદુઓના વર્ચસનો ડર બતાવીને અનુક્રમે મુસલમાનોને અને દલિતોને ગાંધીના પ્રભાવમાં આવતા રોકવામાં થોડીઘણી સફળતા મળી હતી, પરંતુ બહુમતી હિંદુઓને ગાંધીના પ્રભાવમાં આવતા રોકવાનું હિન્દુત્વવાદીઓ માટે અઘરું હતું.

હવે બે વાત બનવાની હતી અને બની પણ. એક એ કે ગાંધીની કલ્પનાનું ભારત બંધારણ દ્વારા બંધારણીય રીતે અસ્તિત્વમાં આવ્યું. શબ્દપ્રયોગ પર લક્ષ આપવામાં આવે; માત્ર બંધારણ દ્વારા બંધારણીય રીતે અસ્તિત્વમાં આવ્યું. તેની અંદર આત્મા પૂરવો બાકી હતો. આ આત્મા પૂરવાનું કામ દેશની સમગ્ર પ્રજા તેને આત્મસાત કરે ત્યારે જ થાય એમ હતું. ગાંધીજીએ ભૂમિકા બનાવી આપી હતી, રસ્તો કંડારી આપ્યો હતો, મંજીલ સુધી પહોંચવાની અને પહોંચાડવાની જવાબદારી આઝાદ ભારતનાં પહેલી-બીજી પેઢીના શાસકોની અને ગાંધીજીની કલ્પનાના ભારતને જે લોકો સમજ્યા હતા અને સ્વીકાર્યું હતું એવા લોકોની હતી. દેશના દુર્ભાગ્યે એ બન્યું નહીં. શાસકો સત્તાની સાઠમારીમાં રચ્યાપચ્યા રહ્યા અને દેશના પ્રગલ્ભ નાગરિકો આઈડિયા ઑફ ઇન્ડિયાની કલ્પનાને લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા.

બીજું એ કે જેમને ગાંધીજીની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નહોતું તેમને એક વાત સમજાઈ ગઈ કે જ્યાં સુધી ગાંધીના ભારતની કલ્પના લોકો સુધી નહીં પહોંચે અને લોકો તેને આત્મસાત નહીં કરે ત્યાં સુધી તેમના માટે (હિન્દુત્વવાદીઓ માટે) જગ્યા છે. ગાંધીને પૂજનારી પેઢી સમાપ્ત થાય એ પછી આવનારી પેઢીઓના માનસ ઉપર કબજો જમાવી શકાય એમ છે. જેમણે ગાંધીજીને જોયા નથી, ગાંધીનો ચમત્કાર અનુભવ્યો નથી એવા લોકોના માનસમાં ગાંધીજી વિષે ભ્રમ પેદા કરી શકાય. તેમણે ત્રણ માર્ગ અપનાવ્યા. એક, ગાંધીજી વિષે ભ્રમણાઓ પેદા કરી અને ચારિત્ર્યહનન કરવાનું શરૂ કર્યું. બીજું, તેમણે ગાંધીજીની કલ્પનાનું ભારત સહિયારું નથી, પણ પક્ષપાતી મુસ્લિમ તરફી છે એવો પ્રચાર શરૂ કર્યો. કૉંગ્રેસે સત્તા માટે મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરીને અને સહિયારા ભારતને વરેલા લોકોએ મુસ્લિમ કોમવાદી રાજકારણને ભયગ્રસ્ત લઘુમતીનું રાજકારણ તરીકે ઓળખાવીને તેના તરફ આંખ આડા કાન કર્યા એને કારણે હિન્દુત્વવાદીઓનો પ્રચાર કામયાબ નીવડ્યો. અને તેમણે અપનાવેલો ત્રીજો માર્ગ હતો બંધારણનિર્મિત ભારતની લોકતાંત્રિક જોગવાઈઓનો ઉપયોગ કરીને લોકશાહી માર્ગે સત્તા સુધી પહોંચવાનો.

અત્યારે તેઓ સત્તા સુધી પહોંચી ગયા છે અને રાજ્ય ઉપર પૂરી પકડ તેમણે મેળવી લીધી અને યોગાનુયોગ એવો થયો કે એ વખતે જ ગાંધીજીની સાર્ધ-શતાબ્દી અને દેશની આઝાદીનો અમૃતમહોત્સવ આવી પડ્યા. ઉપરનું વિવેચન વાંચ્યા પછી હવે તમે જ કહો કે તેમને એ બેમાંથી કોઈ ઘટનામાં રસ હોય? તેમને ભેદભાવરહિત ન્યાયી અને સહિયારા ભારતની ગાંધીની કલ્પના જ જો સ્વીકાર્ય ન હોય તો ઉજવણી તો કેવી હોય! તેમને ગાંધીજીની કલ્પનાનું બંધારણીય રીતે આકાર પામેલું ભારત સ્વીકાર્ય ન હોય તો આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી તો કેવી હોય!

આ બન્ને ઉજવણી ફિક્કી નીવડી એનાં આ કારણો છે. આઝાદીના અમૃતમહોત્સવના વર્ષમાં સહિયારા અને ન્યાયી ભારતનાં આત્મા સમાન બંધારણીય ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યા છે એ દેશનું દુર્ભાગ્ય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 જુલાઈ 2022 

Loading

ચલ મન મુંબઈ નગરી—156

દીપક મહેતા|Opinion - Opinion|30 July 2022

પારસી તવારીખના અમૂલ્ય ગ્રંથના ભેખધારી લેખક બહમનજી પટેલ

પારસીઓ અંગેનો જાણે સર્વજ્ઞાનકોષ

“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફતર અતરે ખતમ થયું છે. એ દફતર ૧૦ વર્ષે છપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોકેલો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉપયોગી થઈ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દિલમાંની મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકયો છું, એવો હું સંતોષ લઈશ.” 

૧૮૮૮ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બેહરામજી પટેલ. 

બહમનજી પટેલ

બીજી જમાતના લોકોની વાત જવા દો, આજે તો બહુ ઓછા પારસીઓ પણ બહમનજીનું નામ જાણતા હશે. જો એક વાક્યમાં એવણની ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર તવારીખી ગ્રંથના બનાવનાર. પારસી પ્રકાશનું પહેલું દફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાનું છે, અને તે ય મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. તેમાં આરંભથી ૧૮૬૦ સુધીની તવારીખ સમાવી છે. પછી તો એવા જ બીજા બે ભાગ બહાર પડ્યા. એ જમાનાના ચાલ પ્રમાણે પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલા દફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફતર પણ પહેલાં આઠ ભાગમાં છપાયું અને પછી ૧૯૧૦માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલે કર્યું હતું. કારણ ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા.

 

રુસ્તમ બરજોરજી પેમાસ્તર

ત્રીજા દફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોમ્બે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરજોરજી પેમાસ્તરે. આ દફ્તર પણ ૧૯૨૦માં ગ્રંથ રૂપે છપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે.

 

બહમનજી પટેલ જ્યાં ભણ્યા તે એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલ

ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો, તેમાં વસતા પારસીઓ, તેમનાં ધર્મ, ભાષા, સાહિત્ય, છાપાં અને સામયિકો, નાટકો અને રંગભૂમિ, છાપખાનાં, પુસ્તકાલયો, વ્યવસાયો, મળેલાં માન-અકરામ આ બધાં સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ – આ અને આવા બીજા અનેક વિષયો અંગે ખરેખરી લગન અને જહેમતથી સંશોધન, અભ્યાસ, વિવેચન, સંદર્ભ, વગેરે કરનાર અભ્યાસી માટે આજે પણ પારસી પ્રકાશનાં ત્રણ દફતર સોનાની ખાણ જેવાં છે. મુંબઈમાં આવી વસનારા પહેલવહેલા પારસી પટેલ ખાનદાનના વંશજ હતા બહમનજી. પણ ત્યાં સુધીમાં એ ખાનદાનની જાહોજલાલીની સાંજ ઢળી ચૂકી હતી. બહમનજીનો જન્મ ૧૮૪૯ના ડિસેમ્બરની ૨૮મી તારીખે, મુંબઈમાં. ભણ્યા એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અને મુલ્લાફિરોઝની મદરેસામાં. ૧૮૭૧માં એક ઇનામી નિબંધ સ્પર્ધામાં પહેલું ઇનામ મેળવ્યું. એટલું જ નહિ, તેમનું એ લખાણ પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. ૧૮૭૨માં પ્રગટ થયું ‘ઈરાનની મુખ્તેસર હકીકત’ છે તો ઈરાનના ઇતિહાસનું પુસ્તક, પણ એક બાપ પોતાની બેટીને (નોંધ્યું? ‘બેટા’ને નહિ, ‘બેટી’ને) પત્રો લખતો હોય તે રીતે આખું પુસ્તક લખાયું છે. 

પણ ‘પારસી પ્રકાશ’માં એવું તે શું છે? પહેલા દફતરના ટાઈટલ પેજ પર છાપ્યું છે : “પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાન આવ્યા ત્યારથી તે અત્યાર સુધીમાં તેઓના સંબંધમાં બનેલા અગત્યના બનાવોની વર્ષોને અનુક્રમે નોંધ.” ‘અત્યાર સુધી’ એટલે ૧૮૬૦ સુધી. ત્રણે દફ્તરોમાંની બધી જ માહિતી કાલાનુક્રમે (ક્રોનોલોજિકલ ઓર્ડરમાં) રજૂ થઈ છે. મોટા ભાગની એન્ટ્રીઓની બાબતમાં મૂળ એન્ટ્રી એક-બે લીટીની હોય, પણ તેની સાથેની પાદ ટીપ લાંબી લચક અને વધુ ઉપયોગી હોય તેવું બન્યું છે. ઘણી વાર તો પાદ ટીપ એક-બે પાનાં પણ રોકે છે. પાદ ટીપ વગરની તો આ પુસ્તકમાં ભાગ્યે જ કોઈ એન્ટ્રી જોવા મળે છે. એટલે પુસ્તકનો ઘણો મોટો ભાગ પાદ ટીપો રોકે છે. આ પાદ ટીપો બીજા એક કારણસર પણ ખૂબ મહત્ત્વની બની રહે છે. લેખકે જે વર્તમાનપત્રો, સામયિકો, દસ્તાવેજો, વગેરેને અહીં ટાંક્યાં છે તેમાંનાં ઘણાં આજે નાશ પામ્યાં છે, અથવા અત્યંત દુર્લભ બની ગયાં છે. 

પણ પારસી પ્રકાશનાં પહેલાં ત્રણ દફતરમાં માહિતીનો જે ભંડાર ભર્યો છે તેમાંથી જોઈતી માહિતી શોધવી કઈ રીતે? જે વખતે ‘રિડર ફ્રેન્ડલી’ જેવો શબ્દપ્રયોગ પ્રચારમાં આવ્યો નહોતો, કમ્પ્યુટરની તો કોઈએ કલ્પના કરી નહોતી ત્યારે વાચક, અભ્યાસી, સંશોધકને અત્યંત ઉપયોગી થાય એવી સૂચિ ત્રણે દફતરને અંતે મૂકી છે. દરેક સૂચિને પહેલાં બે ભાગમાં વહેંચી છે. એક, વ્યક્તિ નામ સૂચિ, જેને ‘આ પુસ્તકમાં આવેલા પારસી નામોનું સાંકળિયું’ તરીકે ઓળખાવી છે. સંદર્ભ ગમે તેટલો ગૌણ હોય, નામ તો સૂચિમાં હોય જ. બીજું સાંકળિયું છે ‘આ પુસ્તકમાં આવેલી બાબદોનું’ એટલે કે આજની પરિભાષામાં વિષય સૂચિ. વળી તેમાં વિષયોનું ગ્રૂપિંગ કર્યું છે, જેમ કે, પુસ્તકો પારસીઓનાં, ચોપાનિયાં પારસીઓનાં, વ્યવસાયો પારસીઓના, વગેરે. આથી વાચક શોધતો હોય તે માહિતી ઉપરાંત તેની આસપાસની બીજી માહિતી પણ તેને સાથોસાથ મળી રહે તેમ છે. પહેલા દફતરમાં વ્યક્તિ નામોની સૂચિ ૮૮ પાનાં રોકે છે તો વિષય સૂચિ ૪૩ પાનાં. બીજા દફતરમાં વ્યક્તિ નામ સૂચિ ૯૯ પાનાંની છે, તો વિષય સૂચિ ૭૨ પાનાંની. ત્રીજા દફતરમાં બંને સૂચિ કુલ ૨૨૦ પાનાં રોકે છે. આ બધી જ સૂચિઓ બે કોલમમાં છપાઈ છે.

પારસી પ્રકાશ કરતાં ઓછું જાણીતું, પણ તેટલું જ મહત્ત્વનું અને મહેનતભર્યું તેમનું બીજું પુસ્તક છે ‘પારસી મરત્યુકો.’ મુંબઈમાં અંગ્રેજી અને ગુજરાતી છાપાં શરૂ થયાં ત્યારથી માંડીને ૧૮૬૦ સુધીમાં તેમાં પારસીઓ માટેની જે જે મૃત્યુનોંધો પ્રગટ થઈ હતી તેનું સંકલન આ પુસ્તકમાં કર્યું છે. આવી ૫૫૯ નોંધો અહીં આપી છે. તેમાંની ૪૧૬ ગુજરાતી અને બાકીની અંગ્રેજી છાપાંઓમાંથી લીધેલી છે. મુંબઈમાં પહેલી વાર મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ પારસી વિસ્તારોમાં ઘરે ઘરે ફર્યા હતા અને મરકી અટકાવવાની દવા લેવા માટે લોકોને સમજાવ્યા હતા. તેમની આ સેવાની કદર રૂપે બ્રિટિશ સરકારે તેમને ‘ખાન બહાદુર’નો ઈલ્કાબ આપ્યો હતો, અને ૧૮૮૪માં તેમને ‘જસ્ટિસ ઓફ પીસ’નો માનભર્યો હોદ્દો આપ્યો હતો. ૧૯૦૦-૧૯૦૧માં તેઓ મુંબઈની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા હતા. 

‘બ.બે.પ.’ની સહીથી ‘જામે જમશેદ’માં પ્રગટ થતા તેમના લેખો પણ સારા એવા લોકપ્રિય થયા હતા. ‘સાંજ વર્તમાન’ તેમને અંજલિ આપતાં લખે છે કે “જો કે મરહુમ મી. બમનજી પૈસે તવંગર ન હતા, તોબી દિલે તવંગર હતા.” ‘રાસ્ત ગોફતાર અને સત્ય પ્રકાશ’ તેમને અંજલિ આપતાં લખે છે: “જાતે સાદા, સ્વભાવે મિલનસાર, ખવાશે ઉમદા હોવાથી મી. બહમનજી પટેલ ઘણું સાંભળતા, ઘણું કરી બતાવતા, પણ થોડું જ બોલતા હતા.” કુટુંબોના, જ્ઞાતિઓના, ગામ કે શહેરના ઇતિહાસ કે તવારીખનાં પુસ્તકો આપણે ત્યાં છે. પણ એક આખી કોમની આટલી વિગતવાર, સાધાર, સળંગ, લાંબા સમય ગાળાને આવરી લેતી, વિસ્તૃત એવી બીજી કોઈ તવારીખ આપણી ભાષામાં તો લખાઈ નથી જ, પણ દેશની પણ બહુ ઓછી ભાષાઓમાં લખાઈ હશે. અને આવું ગંજાવર કામ કરવાનો ભેખ લઈને એકલે હાથે તે કામ કરનાર હતા આપણા મુંબઈના બહમનજી બેહરામજી પટેલ. ફકત મોતી શોધવા માટે જ મરજીવા થવું પડતું નથી. આવાં કામ પણ મરજીવા થયા વગર થઈ શકતાં નથી.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx 
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 30 જુલાઈ 2022

Loading

...102030...1,3991,4001,4011,402...1,4101,4201,430...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved