Opinion Magazine
Number of visits: 9458939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય પ્રસાર-માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા

ધર્મેશ ભટ્ટ|Opinion - Opinion|15 May 2022

'ભારતમાં પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા’ : લેખક – ધર્મેશ ભટ્ટ : પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨ : મૂલ્ય – રૂ.૨૫૦

બિનસાંપ્રદાયિકતાનો વિષય વિશ્વના તમામ દેશોમાં ભારતને વધારે લાગુ થાય છે. ધર્મ, જાતિ, ભાષાઓ અને પ્રાંતીય સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે કુનેહપૂર્વક ઘડાયેલા બંધારણ હેઠળ લોકતાંત્રિક સરકાર રચાઈ હોવા છતાં સમતુલા જાળવવી અઘરી બને છે. કારણ કે મેકિયાવેલી સહિત અનેક રાજકીય વિચારકો કહે છે કે લોકશાહી, રાજાશાહી કે સમાજવાદી, સામ્યવાદી કોઈ પણ પ્રકારના શાસનને ભ્રષ્ટાચાર તથા સત્તાલોભની આંટીઘૂંટીઓથી મુક્ત રાખવું લગભગ અશક્ય હોય છે. લોકશાહીમાં સમાનતાનો મુદ્દો શિરમોર રહે છે. બંધારણ અને કાયદા હેઠળ જાતિ અને ધર્મ સહિત તમામ પ્રકારે સમાનતા જાળવવાનો મુદ્દો આધાર રૂપ બને છે. ભારતમાં એ સમાનતામાં બિનસાંપ્રદાયિકતા-ધર્મનિરપેક્ષતાનો મુખ્ય રૂપે સમાવેશ છે. લોકતાંત્રિક પ્રવાહોમાં પ્રસાર માધ્યમોનું મહત્ત્વ મધ્યવર્તી ધોરણે ગણી શકાય. બિનસાંપ્રદાયિકતા જાળવવામાં જમણેરીઓ, ડાબેરીઓ અને કૉન્ગ્રેસ ત્રણેય ઓછા વત્તા અંશે કંગાળ રહ્યા હોવાનું કહી શકાય. કારણ કે રાજકારણમાં પોતાનો વાવટો ઊંચો રાખવા માટે તેમને સાંપ્રદાયિક મુદ્દાના ખભાની પણ જરૂર રહે છે. પરંતુ આ સ્થિતિમાં અત્યાર સુધી ટેકનોલોજીના નવા આયામો સાથે ફુલતા ફાલતા રહેલા પ્રસાર માધ્યમોએ તેમનો ધંધાદારી વિકાસ કેટલો કર્યો તેનો અભ્યાસ મીડિયા મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્‌સ કે સર્વેક્ષણો કરનારી કંપનીઓ કરતી રહે છે. આ પ્રવાસ દરમ્યાન પ્રસાર માધ્યમો સમાજ પ્રત્યે નૈતિક ફરજો નિભાવવામાં કેટલા સફળ રહ્યા એ તપાસનો વિષય બને છે. તેથી પી.એચડી માટેના મહાનિબંધનો વિષય ‘ભારતીય પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા’ પસંદ કર્યો.

કથાકથન દ્વારા ઘટનાઓ વર્ણવતા નિયન્જરધલ અવસ્થાના માનવો, ખભે સમાચાર લખેલા પાટિયાં લઈને ફરતા મંખ વગેરે અવસ્થાઓમાંથી પસાર થતા પ્રસાર માધ્યમોને રાજાશાહીને ઉથલાવવા અને લોકતાંત્રિક કે સામ્યવાદી સરકારો સ્થાપવા સાથે સામાજિક સુધારાના અભિયાનોમાં સફળતાને આધારે મૂલવવામાં આવતા હતા. હવે તેમની મૂલવણી સરક્યુલેશન, રેવન્યુ, માર્કેટિંગ અને ટી.આર.પી.ને આધારે કરવામાં આવે છે. આ માપદંડોમાં ઉચ્ચાંક પ્રાપ્ત કરવા માટે પ્રસાર માધ્યમો મિશનથી માર્કેટિંગની દિશામાં બેફામ દોડ્યા. તેમાં નૈતિકતા તરફ બેધ્યાન બનવા સહિત અનેક બાબતોમાં ક્ષતિઓ-ત્રુટિઓ માધ્યમોના વ્યવહારમાં સામેલ થઈ. એક તરફી રજૂઆત, સ્પિનિંગ ઑફ ન્યૂઝ અને પેઇડ રાઇટઅપ, સુધીના અનેક દૂષણો, ઉપરાંત છેક બ્લેક મેઇલિંગ સુધીની મેલી મથરાવટીમાં પરોવાયેલા મીડિયા હાઉસિસ કે ફૂટકળિયાં છાપાં કે ચેનલોના કિસ્સા પણ સપાટી પર આવે છે.

મુદ્રણયંત્રની શોધ સાથે પ્રસાર માધ્યમોના વ્યાપની શરૂઆત થઈ હતી. સમાજ, રાજકારણ અને જનતાની ન્યૂઝ અને વ્યુઝની ભૂખ છપાયેલા શબ્દને વણદીઠેલી ભોમકાના પ્રવાસે લઈ ગઈ. ઔદ્યોગિકીકરણના દાયકાઓમાં મોટા ભાગના દેશોમાં રાજાશાહી, તાનાશાહી કે સામ્રાજ્યવાદી શક્તિઓ સામે લડતો, ક્રાંતિઓ ચાલતી હતી. દરેક દેશમાં આઝાદીની લડતના વિચારો સાથે ચાલતા અખબારો અને સામયિકો લોકપ્રિય હતા. રેડિયો સ્ટેશનોમાં ક્રાંતિના વિચારો પર આધારિત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હતા. આઝાદીની લડતો અને ક્રાંતિઓ પૂરી થયા પછી એ અખબારોમાં લોકરુચિનું પરિબળ અગ્રેસર બન્યું.  સમય વીતતાં પ્રસાર માધ્યમોમાં લોકરંજકતા અને રાજકારણનો પ્રભાવ વધતો ગયો. આવક માટે એડવર્ટાઈઝમેન્ટ અને કોર્પોરેટ કંપનીઓના પીઠબળનો મહિમા વધતાં તેની અસર પ્રસાર માધ્યમોના કવરેજ અને માળખાંકીય વ્યવસ્થાઓ પર પડી. રાજકીય પક્ષોની માલિકીના અખબારો અને ટી.વી. ચેનલો સ્થપાવા માંડ્યા.

મોગલોના આગમન વેળા બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો જેટલો જ્વલંત નહોતો એટલો અંગ્રેજોના આગમન પછી સળગતો થયો હતો. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'આનંદ મઠ'માં  સંન્યાસી આંદોલનનો અહેવાલ લખ્યો એ એક રીતે ભારતના પત્રકારત્વમાં શરૂઆતથી બિનસાંપ્રદાયિકતાના વિષયનું મહત્ત્વ દર્શાવે છે. ૧૮૫૭નો બળવો એ વિષયને કેન્દ્રમાં મૂકે છે.

૧૯૩૧માં કાનપુરમાં રમખાણો થયા. એ રમખાણોની તપાસ માટે સમિતિ નિમવામાં આવી હતી. એ સમિતિએ નોંધ્યું કે કાઁગ્રેસમાં ગણેશ શંકર વિદ્યાર્થી અને ગાંધીજી  જેવા શુદ્ધ બિનસાંપ્રદાયિકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યાર બાદ અંગ્રેજોના દુષ્પ્રચારથી દૂષિત જનમાનસને પગલે અલગ મુસ્લીમ રાષ્ટ્રની માગણી ઊભી થતાં દેશનું વિભાજન થયું દેશના વિભાજન વેળા અંગ્રેજોએ વાવેલાં કોમી વેરઝેરનાં બીજ કેવું રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યાં હતાં, એ જોવા મળ્યું હતું. એ ગતિવિધિઓ અખબારોમાં આઝાદીની પ્રક્રિયાના ન્યુઝ-વ્યુઝ રૂપે નોંધાઈ. વિવિધ કારણોસર રાજકીય પક્ષો દ્વારા પ્રેરિત રમખાણો વધ્યાં.

૧૯૭૫ની કટોકટી, સુવર્ણ અમૃતસરમાં ઓપરેશન બ્લુ સ્ટાર, ૧૯૮૫ના શીખ વિરોધી રમખાણો, અયોધ્યા વિવાદ અને બાબરી મસ્જિદ ધ્વંસ, ૧૯૯૦ના દાયકામાં રામમંદિર માટેની રથયાત્રા અને ત્યાર પછીના પ્રસંગો, ૨૦૦૨માં ગુજરાતના રમખાણો બિનસાંપ્રદાયિકતા સંદર્ભે પ્રસાર માધ્યમોમાં કવરેજની  દૃષ્ટિએ અભ્યાસનો વિષય બને છે. રમખાણો તથા અન્ય વિશ્લેષણમાં પ્રસાર માધ્યમોના અમુક વર્ગો  નીરક્ષીર વિવેક ચૂકતા રહ્યાં હોવાનું પ્રેસ કાઉન્સિલ અને ક્યારેક અદાલતો પણ નોંધી ચૂકી છે. એ વિષય નાટકો અને ફિલ્મોમાં પણ પડઘાતો રહ્યો છે. આ પ્રકારના બહુવિધ મુદ્દાનું પૃથક્કરણ પુસ્તક 'ભારતમાં પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા'માં કરવામાં આવી છે. 

Email : dharm.bhatt@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 13

Loading

‘રાજદ્રોહ’, રુખસદ ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2022

ઘણાને અગિયારમી મે એક ઐતિહાસિક દિવસ લાગ્યો : સર્વોચ્ચ અદાલતે ‘રાજદ્રોહ’ની ઘોર સાંસ્થાનિક જોગવાઈને અંગે ‘રુક જાવ’નો રવૈયો અસંદિગ્ધ શબ્દોમાં પ્રગટ કર્યો એ જોતાં હર્ષોદ્રેકનું એક લૉજિક પણ હતું અને છે. પણ ભાઈ, ‘રુક જાવ’ અને ‘રૂખસદ’ વચ્ચે જે અંતર છે એનો ખ્યાલ તો કરો જરી. હોઠ અને પિયાલા વચ્ચેનું અંતર કપાય ત્યારે સાચું … કેટલી બધી બાબતો એવી છે આપણે ત્યાં કે સ્વરાજનું પ્રભાત અને સંસ્થાનવાદનો મધ્યાહ્‌ન, બેઉ જાણે સાથેલગાં ન ચાલતાં હોય!

હોઠ અને પિયાલા વચ્ચેના અંતરની જિકર પૂંઠે બને કે કોઈને દૂધે દાઝ્‌યાની છાશફૂંક ચિંતા લાગે. પણ સતર્ક બલકે સાશંક રહેવા બાબતે એલાર્મ બેલ તો સન્માન્ય કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ તરત જ વગાડ્યો કે સર્વોચ્ચ અદાલતે ય લક્ષ્મણરેખામાં રહેવાપણું છે.

રિજ્જુ મશાયના આ બે ડહાપણબોલ અખરવાનું તત્કાળનિમિત્ત પણ અહીં મારે નોંધવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે અગ્નિર્ભા તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાની અરજીને પગલે આગળ વધવાના સંકેત આપ્યા અને ‘આ પાર, પેલે પાર’ની ઢબે મોટી બૅન્ચ રચી આખરી સુનાવણીનો વિકલ્પ ખોલી કાઢ્યો ત્યારે વડા પ્રધાન મોદીએ સોલિસિટર જનરલ મારફતે હૃદયનો ઉચ્ચ અભિલાષ પાઠવ્યો કે સ્વરાજનાં પંચોતેર વરસના સ્પિરિટમાં અમે રાજદ્રોહની જોગવાઈ બાબતે પુનર્વિચાર સારુ તત્પર છીએ. સર્વોચ્ચ અદાલતે રાજદ્રોહના નવા કેસો ન નોંધવાની તેમ જ ચાલુ કેસોમાં જામીન માટે સુવાણની ભૂમિકાએ આ વિનંતી ગ્રાહ્ય રાખી લગીર ખમી ખાવાનું વલણ લીધું. કેન્દ્ર સરકારના ઉચ્ચ અભિલાષની વાસ્તવિકતા શું હોઈ શકે એનો એક બુલંદ અણસાર કાયદા પ્રધાન રિજ્જુએ લક્ષ્મણરેખાનો ચીપિયો પછાડીને અલબત્ત આપ્યો જ છે.

જ્યાં સુધી વડા પ્રધાને દાખવેલ પુનર્વિચારતત્પરતાનો પ્રશ્ન છે, અહીં એ એક વિગત વેળાસર સંભારી લેવી જોઈએ કે આ એમનું મૂળ વલણ નથી. ૧૯૬૨ના કેદારનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ અને ગેરઅમલ ટાળવા કેટલીક માર્ગદર્શક રેખાઓ આપી હતી, પછીથી આ રેખાઓ એના ઘોર ભંગ થકી જ ઓળખાતી રહી છે. એટલે ‘રાજદ્રોહ’ની જોગવાઈ બાબતે આમૂલ ફેરફારની માંગ ઉત્તરોત્તર અનિવાર્ય અનુભવાતી રહે છે. વરસેક પર ફરી અવાજ ઊઠ્યો ત્યારે ભારત સરકારે સર્વોચ્ચ અદાલતમાં એવું વલણ લીધું હતું કે ૧૯૬૨માં કેદારનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે તે ‘ગુડ લૉ’ છે અને એમાં કોઈ ફેરફારની જરૂર નથી. દરમિયાન, સર્વોચ્ચ અદાલત સમક્ષ મોઈત્રા પહેલથી જે વિગતો આવવા લાગી અને ન્યાયપીઠ પરથી પણ જે બેબાક નુક્તેચીની થવા લાગી એના ઉજાસમાં વડા પ્રધાને એમના સુપરિચિત રણનીતિકૌશલને શોભીતી રીતે સ્વરાજનાં પંચોતેર વરસના સ્પિરિટનો હવાલો આપવાનું દુરસ્ત લેખ્યું. અલબત્ત એની હેસિયત કથિત ‘ડેમેજ કન્ટ્રોલ’થી વધુ નહોતી તે કાયદા પ્રધાનના ઉદ્‌ગારોથી સમજાઈ રહે છે.

સાંસ્થાનિક ઓથારમાંથી સદંતર મુક્તિ અને સ્વરાજની પૂર્ણ અનુભૂતિની દૃષ્ટિએ જે અંતર કાપવું રહે છે એ અંગે રાજકીય શાસકીય અગ્રવર્ગની પ્રતિબદ્ધતા વસ્તુતઃ કેવી અને કેટલી છે એનું અચ્છું નિદર્શન રિજ્જુ મશાયની એ પ્રગટ ટિપ્પણી વાટે મળી રહે છે કે અગાઉની સરકારે (એન.ડી.એ. નહીં પણ યુ.પી.એ. સરકારે) આવા તો હજારો કેસ કર્યા છે. ભલા’દમી, જે ખોટું છે એના બચાવમાં સામેવાળાએ ખોટું કર્યાનો આક્ષેપ ક્યાં સુધી કામ આવી શકે, કોઈ તો કહો. આમ પણ, જો કે, ૨૦૧૦થી ૨૦૧૪ અને ૨૦૧૪થી આજ સુધીની ટકાવારીમાં ગુણાત્મક અંતર છે, પણ તે કાયદા પ્રધાનને કોણ બોલી બતાવે.

૧૮૭૦થી ચાલુ આ સાંસ્થાનિક જોગવાઈમાં ૧૯૭૩માં ઇંદિરાઈ કાળમાં વગર વૉરન્ટે અટકાયત શક્ય અને એવો સુધારો (ખરું જોતાં જો કે કુધારો) આમેજ થયો હતો. જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધીના મિસા-શાસનનો એ પૂર્વાભાસ હતો. જનતા સરકારે કટોકટીરાજની દોષદુરસ્તી કરતા ઠીક સુધારા કીધા, પણ સાંસ્થાનિક ઓથારમાંથી મુક્ત થવાની પ્રક્રિયા લાંબી છે એ વખતોવખત સમજાતું રહે છે.

મુદ્દે, સરકારમાત્રની – રિપીટ, સરકારમાત્રની, પ્રકૃતિ સત્તાના કેન્દ્રીકરણ ને મનમુરાદ સુવાંગ ભોગવટાની હોય છે. અને એમાં પણ ચોક્કસ વિચારધારાત્મક ધોરણે એકશાહી ચલાવવા ઈચ્છતી સરકારનું પૂછવું જ શું. રાજદ્રોહના જે કેસો છેલ્લાં વરસોમાં નોંધાયા એમાંના કેટલા બધા વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની ટીકા સબબ નોંધાયા છે એનું કોઈકે પ્રગટ સર્વેક્ષણ કરવું રહે છે. વસ્તુતઃ કોઈની ટીકા પોતે થઈને ‘ક્રાઇમ’ નથી, સિવાય કે એ ટીકા હિંસક ઉશ્કેરણી પ્રેરતી હોય. સર્વોચ્ચ અદાલતે એકથી વધુ વખત આ સ્પષ્ટતા કરેલી છે, પણ –

આરંભે જ સતર્ક, સાવધ ને સાશંક રહેવાની જે જિકર કરી એની એક સમજૂત લેખે વાતનો બંધ વાળતી વખતે મારે સાથી નાગરિકને નાતે સૌ વાચકોનું ધ્યાન એ હકીકત તરફ પણ દારેવું જોઈશે કે વખત છે તે ૧૨૪ એ (‘રાજદ્રોહ’ની જોગવાઈ) રદ્દ થઈ તો પણ યુ.એ.પી.એ. [અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ]થી માંડીને એન.એસ.એ. [નૅશનલ સિક્યોરિટી ઍક્ટ] સહિતની કેટલી બધી કાનૂની જોગવાઈઓ મનમુરાદ સત્તાતંત્રની સેવામાં સાક્ષાત્‌ હાજરાહજૂર હોવાની છે.

સ્વચિત્રનું પ્રભાત અને પરચક્રનો મધ્યાહ્‌ન … નાગરિકની આ દોધારી નિયતિ ક્યાં સુધી?

મે ૧૩, ૨૦૨૨

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 01-02 

Loading

અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના વિજયની ક્ષણ

મનીષી જાની|Opinion - Opinion|14 May 2022

યાદ આવે છે ૧૯૨૨નું વર્ષ. બરાબર સો વર્ષ પહેલાંની વાત. એ વર્ષે અંગ્રેજ સરકારે કલમ ૧૨૪-છ હેઠળ ગાંધીજી પર અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજદ્રોહનો ખટલો ચલાવ્યો હતો. અંગ્રેજ સરકાર સામે 'યંગ ઈન્ડિયા’ સામયિકમાં ત્રણ લેખ લખવા બદલ રાજદ્રોહની કલમ લગાવી ગાંધીજીને દોષિત ઠેરવી, છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.*

આ વાંચતા ગયા વર્ષે આપણા ગુજરાતમાં જ ધવલ પટેલ નામના યુવા પત્રકાર પર ‘રૂપાણી મુખ્ય મંત્રી પદેથી જશે’ એવું લખવા બદલ રાજદ્રોહની કલમ ૧૨૪-છ લગાવી આપણા 'કાળા અંગ્રેજો’એ ધરપકડ કરી હતી, એવું ઘણાને યાદ આવશે જ!

૧૯૨૨માં સરકારને ડર હતો કે જો આ ગાંધીજી પરનો કેસ અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં આવેલી સેશન્સ કોર્ટમાં ચલાવીશું તો હજારો લોકો કોર્ટમાં આવી જશે એટલે આ કેસ શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસમાં ચલાવ્યો. જેમાં હાજર રહેવા માટે પાસની વ્યવસ્થા રાખી હતી ને માત્ર ૨૦૦ વ્યક્તિઓને જ પ્રવેશ આપ્યો હતો, જેમાં સરોજિની નાયડુ હતાં, આપણા સુપ્રસિદ્ધ ચિત્રકાર રવિશંકર રાવળ પણ ત્યાં હાજર રહેલા. તેમણે કોર્ટમાં જે જોયું તેનું રેખાંકન ત્યાં જ બેસીને કર્યું અને પછી ઐતિહાસિક તૈલચિત્રનું સર્જન કર્યું … જે હજી ય આપણે અમદાવાદ જૂના સર્કિટ હાઉસમાં જોઈ શકીએ છીએ..

ગાંધીજીએ ત્યાં કહ્યું હતું કે તમે જે રીતે કહો છો એ રીતે તો હું ગુનેગાર છું જ .. આ કલમ ૧૨૪-છ હેઠળની કડકમાં કડક સજા મને કરો ..!

અને અંગ્રેજ જજે ગાંધીજી ને છ વર્ષની સજા કરી.

આજે આ વાતને સો વરસ થયાં ..

ઠેઠ ૧૮૧૨માં ગુલામ ભારતમાં રાજ્યકર્તાઓ એ આ કાયદો અમલમાં મૂક્યો હતો તેને દેશ આઝાદ થયો એ પછી પણ પોતાના સ્વાર્થ ખાતર દરેક સરકારે એ ચાલુ રાખ્યો અને સત્ય માટે, હક માટે સરકાર સામે અવાજ ઉઠાવનારને પાઠ ભણાવવા તેનો ઉપયોગ થતો રહ્યો છે.

છેવટે આ દેશની સર્વોચ્ચ અદાલતે પોતે જાતે જ 'સુઓ મોટો’ અરજી દાખલ કરી તેની નાબૂદી માટે સરકાર પાસે જવાબ માગ્યો. સરકાર ઠાગાઠૈયા કરવા માંડી. અનિર્ણિત

રહી સમય વીતાવતી રહી. છેવટે પુનઃવિચારનો સમય માગ્યો … પણ સુપ્રીમ કોર્ટે આ કલમ પર રોક લગાવી, ૧૨૪-છના અમલને સ્થગિત કરી પોતાની તાકાતનો પરિચય આપ્યો છે .. એ દેશની આમજનતા માટે ગૌરવની ક્ષણ છે. ગુલામીની મુક્તિની ક્ષણ છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના વિજયની ક્ષણ છે.

૧૯૨૨માં કૉર્ટમાં આ કલમ ૧૨૪-છ માટે ગાંધીજીએ જે કહ્યું હતું તે આપણે સૌએ યાદ રાખવા જેવું છે :

Calling section 124-A, the “prince among the political sections of the Indian Penal Code designed to suppress the liberty of the citizen", Gandhi said, “Affection cannot be manufactured or regulated by law. If one has no affection for a person or system, one should be free to give the fullest expression to his disaffection, so long as he does not contemplate, promote, or incite to violence. But the section under which Mr. Banker and I are charged is one under which mere promotion of disaffection is a crime…I have studied some of the cases tried under it (section 124A) and I know that some of the most loved of India’s patriots have been convicted under it. I consider it a privilege, therefore, to be charged under that section.”

* જો કે ૧૯૨૪માં ગાંધીજીની તબિયત લથડતાં તેમના સજાની મુદ્દત પૂરી થયાં પહેલાં ૫ ફેબ્રુઆરી, ૧૯૨૪ના રોજ જેલમુક્ત કરાયા હતા.

૧૧ મે ૨૦૨૨

(મનીષી જાનીની ફેસબુક વૉલ પરથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 16 

Loading

...102030...1,3941,3951,3961,397...1,4001,4101,420...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved