Opinion Magazine
Number of visits: 9458769
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શહેરીકરણથી જ્ઞાતિવ્યવસ્થા નબળી પડી છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 May 2022

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાંને સંકુચિતતા, અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા. તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડાં છોડી શહેરોમાં વસવા આહ્વાન કર્યું હતું. બાબાસાહેબને મતે જ્ઞાતિની નાબૂદીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ મહત્ત્વનું કારક બની શકે છે. જ્ઞાતિ નિર્મૂલનની આ આંબેડકરી આશા આઝાદીના અમૃતકાળમાં વાસ્તવિકતાની સરાણે ચકાસવા જેવી છે.

ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ૨૦૦૧માં ૨૭.૮૧ ટકા, ૨૦૧૧માં ૩૦.૧૬ ટકા અને ૨૦૧૮માં ૩૩.૬ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૦૧માં દેશમાં ૫,૧૬૧ શહેરો હતા, જે ૨૦૧૧માં વધીને ૭,૯૩૬ થયા છે. એક અંદાજ મુજબ આ દાયકાના અંતે દેશની ચાલીસ ટકા વસતિ શહેરોમાં વસતી હશે. ૨૦૨૫ સુધીમાં તમિલનાડુની સાઠ ટકા તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકની પચાસ ટકા વસતિનું શહેરીકરણ થયું હશે.

શહેરોમાં જ્ઞાતિનું સામંતી વાતાવરણ હોતું નથી. ગામડાંની તુલનામાં શહેરમાં જ્ઞાતિગત ઓળખ પ્રચ્છન્ન રહી શકે છે. સરકારી અને અન્ય નોકરીનાં સ્થળો, જાહેર પરિવહન, શાળા-કૉલેજ, મોલ, થિયેટર અને મોટા જાહેર મંદિરો વગેરેમાં આભડછેટ પાળી શકાતી નથી. જ્ઞાતિગત ધંધાને બદલે કહેવાતા ઉજળા ધંધાની પણ તક મળી શકે છે. ગામડાં કરતાં શહેરમાં નોકરી-ધંધાના સ્થળોએ જાતિ ઓગળી જઈ શકે છે. આ બધાં કારણોસર દલિતોનું ગામડાં છોડી શહેરોમાં વસવું પ્રમાણમાં ઓછું તકલીફદાયક છે. શહેરો તેમને સારું શિક્ષણ અને રોજગાર તો મેળવી આપે છે તેમની જ્ઞાતિગત ઓળખને પણ ભૂંસી શકે છે.

ડૉ. આંબેડકરની સલાહ અને શહેરીકરણના આટલા બધા ફાયદા પછી દલિતોનું શહેરીકરણ મોટા પાયે થયું હોવું જોઈએ, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. રાજધાની દિલ્હીમાં શહેરની કુલ વસતિમાં ૧૫.૭૬ ટકા, પચરંગી મહાનગર મુંબઈમાં ૬.૪૬ ટકા, નાગપુરમાં ૧૯.૮ ટકા, ચેન્નઈમાં ૧૬.૭૮ ટકા, બેંગલુરુમાં ૧૧.૩૭ ટકા અને કોલકાતામાં ૫.૩૮ ટકા જ દલિતો આવી વસ્યા છે. દીર્ઘ ડાબેરી શાસન ધરાવતા પશ્ચિમ બંગાળમાં દલિતોની વસતિ ૨૩ ટકા છે, પરંતુ નવજાગરણ અને સમાજસુધારાના કેન્દ્ર કોલકાતામાં દલિત વસ્તી માંડ પાંચ ટકા જ છે.

ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી અમદાવાદની કુલ વસ્તીમાં ૧૦.૭ ટકા, રાજકોટમાં ૬.૫ ટકા, વડોદરામાં ૬.૬૨ ટકા અને સુરતમાં ૨.૫ ટકા જ દલિતો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસ્તીમાં દલિતોનું પ્રમાણ ૬.૭૪ ટકા છે તેના કરતાં વધુ પ્રમાણમાં દલિતો એક માત્ર અમદાવાદમાં જ વસ્યા છે.

ભારતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં દલિતોનો વસવાટ ગામથી અલગ ન હોય. તો શું શહેરોમાં દલિતો જ્ઞાતિભેદ વિના સૌની સાથે વસી શકે છે ? જૂન ૨૦૧૮માં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’, બૅંગુલુરુએ પ્રકાશિત કરેલ ભારતના મેટ્રો સિટીઝમાં વસવાટ અને પાડોશ તરીકે દલિતો સાથે આચરાતો સામાજિક ભેદભાવ ગ્રામીણ ભારત કરતાં જરા ય ઉતરતો નથી. નવીન ભારતી, દીપક મલગન અને અંદલીબ રહમાનનું સંશોધન જણાવે છે કે “દેશના સાત સૌથી મોટાં શહેરોમાં વસવાટમાં સામાજિક-આર્થિક કરતાં જ્ઞાતિના આધારે વધારે ભેદ છે.” આ સંશોધકોના અભ્યાસનો આધાર ૨૦૧૧ની બ્લોકવાઈઝ થયેલી વસ્તી ગણતરી છે. અગાઉ વૉર્ડવાર થતી વસ્તી ગણતરી કરતાં આ વસતિગણતરીમાં ઓછી વસતી આવરી લેવામાં આવતી હોઈ તેમાં કેટલી દલિત વસ્તી છે તે તારવવું વધુ સહેલું બન્યું હતું.

ગામડાંની જેમ દેશના મહાનગરોમાં દલિતોની વસ્તી જુદી હોવાનું કે શહેરની બિનદલિત વસ્તીમાં બહુ ઓછા દલિત વસતા હોવાનું બ્લોકવાર વસ્તી ગણતરીના આંકડાઓ પરથી પુરવાર થયું છે. આઈ.આઈ.એમ., બૅંગલુરુ પ્રકાશિત અભ્યાસનું તારણ છે કે કોલકાતાના ૬૦ ટકા મહોલ્લાઓમાં એક પણ દલિત નથી. આઈ.ટી. ક્રાંતિ માટે સુખ્યાત દેશના આધુનિક શહેર બૅંગલુરુની આધુનિક નવી વસાહતોમાં કોઈ દલિતનો વસવાટ શક્ય બન્યો નથી.

શહેરોના સૌથી સલામત, સૌથી સ્વચ્છ, સૌથી મોંઘા, સૌથી સસ્તા, સૌથી પ્રદૂષિત એવા જે વિભિન્ન રેંકિંગ થાય છે તે મુજબ દેશના સૌથી વધુ અલગ દલિત વસતિના શહેર તરીકેનો પ્રથમ ક્રમ ગુજરાતના રાજકોટના ફાળે જાય તેમ છે. ૮૭.૬ ટકા સાક્ષરતા ધરાવતા અને ૮૯.૯ ટકા હિંદુ વસતિના શહેર રાજકોટમાં ૮૬,૨૬૫ દલિતો વસે છે. પરંતુ રાજકોટ શહેરની ૮૦ ટકા વસતિમાં એ કપણ દલિત વસતો નથી.

દલિતોને શહેરી વસ્તીની બહાર વસાવવાનું સૌથી વધુ ચલણ ધરાવતા ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં દલિતોની અલગ વસ્તી બહારપુરા કે સામાકાંઠે તરીકે વસાવી છે. મિશ્ર વસવાટ અને તેને કારણે જાતિનો નાશ શહેરોમાં થઈ શક્યો નથી. આર્થિક રીતે સક્ષમ દલિતો જ્યારે મકાનની ખરીદી માટે જાય છે ત્યારે શહેરોની કથિત સવર્ણ સોસાયટી કે ફ્લેટમાં તેમને જાકારો મળે છે. માલિક કે બિલ્ડર તેમને આડકતરી રીતે, સીધી રીતે કે ક્યારેક કાયદાની બીકે  ઠાવકાઈથી ના પાડે છે.

એકલા અમદાવાદ શહેરમાં જેમાં માત્ર દલિતો જ વસતા હોય તેવી દલિતોની અલગ આશરે ચારસો હાઉસિંગ સોસાયટીઓ છે. દલિતોનું પોતાના જાતભાઈઓ સાથે અલગ વસવાનું કારણ ન તો તેમની પસંદગીનું છે કે ન તો દલિત અસ્મિતાની કોઈ સભાનતાથી છે. કથિત ઉજળિયાત હિંદુ સમાજના દુર્ભાવપૂર્ણ વલણનું તે પરિણામ છે. ગુજરાત અને ભારતના શહેરોમાં ગરીબ દલિતો અલગ ચાલીઓ-ઝૂંપડપટ્ટીઓમાં અને સંપન્ન દલિતો અલગ સોસાયટીઓ – ફ્લેટ્‌સમાં રહે છે. જાણે “ઘેટો(ghetto)માં રહેવું અને જીવવું તે દુભાયેલા દલિતોની જાતિ-ધર્મે સર્જેલી નિયતિ છે.

શહેરોમાં દલિતોને માત્ર વસવાટમાં જ નહીં શિક્ષણ અને વ્યવસાયમાં પણ જ્ઞાતિના કારણે ભેદભાવ સહન કરવા પડે છે. અર્થશાસ્ત્રના અધ્યાપક અસદ ઈસ્લામ અને અન્યએ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની મોબાઈલ સેવાના દરદીઓ અને ડૉકટરો વિશે સર્વેક્ષણ કર્યું હતું.

કાનપુરના ચાળીસ સ્થળોએ મોબાઈલ આરોગ્ય સેવાના આ સર્વેમાં દરદીને અપાયેલા વિકલ્પો પરથી જાણવા મળ્યું હતું કે ઉચ્ચ જ્ઞાતિની અટક ધરાવતા પણ ઓછો અનુભવ અને ઓછી નિષ્ણાત ડિગ્રી ધરાવતા ડોકટરની સરખામણીએ નીચલી જ્ઞાતિની અટકના વધુ અનુભવી અને નિષ્ણાત ડૉકટરની દરદીઓ ઓછી પસંદગી કરતા હતા. અર્થાત દરદી માટે ડોકટરની ડિગ્રી, અનુભવ અને નિષ્ણાતપણું નહીં તેમની જ્ઞાતિ રોગના નિદાન અને સારવાર માટે મહત્ત્વની હતી.

દલિતોને ડૉકટર થયા પછી જ નહીં મેડિકલના શિક્ષણ દરમિયાન પણ ભેદભાવ સહેવા પડે છે. એઈમ્સ દિલ્હીમાં દલિત વિધ્યાર્થીઓ સાથે આચરાતા ભેદભાવ અને તેને કારણે તેમની આત્મહત્યા અંગે તપાસ કરવા યુ.જી.સી.ના પૂર્વ ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિની રચના સરકારે કરી હતી. થોરાટ સમિતિએ રાજધાનીની સૌથી મોટી હોસ્પિટલ અને તબીબી સંસ્થાનમાં દલિત વિદ્યાર્થીઓની કનડગત અને ભેદભાવ અંગે ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા. સમિતિના રિપોર્ટ મુજબ દલિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બિનદલિતને બદલે દલિત સાથે જ રહેવાની ફરજ પડે છે. ૮૫ ટકા દલિત વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે મેડિકલની પરીક્ષામાં સુપરવાઈઝર તેમને ઓછો સમય આપતા હતા, આંતરિક મૂલ્યાંકન પરીક્ષા વખતે ૭૬ ટકા દલિત વિદ્યાર્થીઓની જ્ઞાતિ જાણવા પરીક્ષક પ્રયત્ન કરતા હતા અને ૮૪ ટકા દલિત વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. થોરાટ સમિતિએ તેના અહેવાલમાં એવી ટિપ્પણી કરી હતી કે, “વિજ્ઞાનના નિયમો ભણનારા, વૈજ્ઞાનિક અભિગમ કેળવવાને બદલે વાસ્તવિક જીવનમાં જ્ઞાતિને પ્રાધાન્ય આપીને પોતાની જ્ઞાતિગત ઉચ્ચતા જાળવી રાખવા માગે છે.”

દિલ્હી યુનિવર્સિટીના ૨,૦૦૦ વિદ્યાર્થીઓના સર્વેના તારણમાં, ‘દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની પ્રકૃતિ અનામત વર્ગના વિદ્યાર્થીઓના બહિષ્કરણની હોવાનું’ નોંધી જણાવ્યું છે કે, “એક કુલીન વિશ્વ વિદ્યાલયમાં શહેરી પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓ વચ્ચે મોટા પાયે જાતિઆધારિત ભેદભાવ મોજુદ છે.” રોહિત વેમુલાથી પાયલ તડવીની આત્મહત્યાઓ તેનું જ પરિણામ છે. ભારતની સાયન્સ, ટેકનોલોજી અને મૅનેજમેન્ટની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવોએ પૂરવાર કર્યું છે કે વિજ્ઞાન, તકનિકી અને પ્રબંધનનું શિક્ષણ ગ્રહણ કરનારા પણ જાતિ નિરપેક્ષ બની શક્યા નથી. દલિતોનો શહેરોમાં પણ જાતિભેદથી પૂર્ણ છૂટકારો થઈ શકતો નથી.

અમદાવાદ – મુંબઈની કાપડમિલો હોય કે કોલકાતાની શણની મિલો, દલિતો તેમાં પણ આભડછેટ અને જાતિપ્રથાનો ભોગ બન્યા છે ડો. આંબેડકર સાચું જ કહે છે કે ‘જાતિપ્રથા એ માત્ર શ્રમનું વિભાજન નથી શ્રમિકોનું વિભાજન છે’. જો કે ગટરસફાઈ જેવું જ્ઞાતિગત અને જોખમી કામ શહેરોમાં પણ દલિતોના માથે જ મરાયું છે. ૨૬થી ૩૦ માર્ચના પાંચ જ દિવસોમાં લખનૌ અને રાયબરેલી (ઉ.પ્ર), બીકાનેર (રાજસ્થાન) નૂંહ (હરિયાણા) અને દિલ્હીમાં અનુક્રમે ૨, ૨, ૪, ૨ અને ૬ એમ કુલ ૧૬ દલિતોના ગટરમાં અંદર ઉતરી સફાઈ કરાવવાને કારણે મોત થયા હતા. શહેરોમાં વળી ક્યાં ભેદભાવ કે આભડછેટ જેવું કંઈ છે તેમ કહેનાર જ્ઞાતિગત ગટરસફાઈનાં કામ અને મોત અંગે મૌન રહે છે.

વિશ્વ બૅંકના મતે ભારતમાં આડેધડ, અસ્તવ્યસ્ત અને અઘોષિત શહેરીકરણ થયું છે. નિયોજિત, સતત અને સમાવેશી શહેરીકરણ જાતિવ્યવસ્થાને અટકાવી શકે છે. બહોળી વસતિને એક જ જગ્યાએ વસાવીને કે એક સાથે રાખીને માનવીય વ્યવસ્થામાં સુધારો લાવી શકાય છે સમાજ પરિવર્તનમાં તે ઉત્કૃષ્ઠ ભૂમિકા ભજવી શકે છે ગાંધીનગર અને ચંદીગઠનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં પણ નિરાશા જ સાંપડે છે. ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ ડ્રોથી વસવાટ માટેની જમીન ફાળવાઈ હોવા છતાં દલિતોને એક જથ્થે દૂરના કે અવિકસિત સેકટરોમાં અને એક જથ્થે જમીન ફાળવાય તેવું જાતિગત ભેદ સિવાય કઈ રીતે શક્ય છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર રહેઠાણ અને પાડોશની બાબતમાં સર્વસમાવેશી બની શક્યા નથી. એવું જ મહારાષ્ટ્રના લાતૂર અને ગુજરાતના કચ્છના ભૂકંપ પછીના જાતિઆધારિત પુનર્વસનનું  છે.

૧૯૭૦માં રાષ્ટ્રીય અખબારોમાં દલિતોની લગ્ન વિષયક જાહેરાતોનું પ્રમાણ ૧.૫ ટકા હતું, તે ૨૦૧૦માં વધીને ૧૦ ટકા થયું છે. જ્યાં શહેરીકરણ વધુ છે તેવા રાજ્યોમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધારે છે અને શહેરી મધ્યમવર્ગમાં દલિતોનો પ્રવેશ અને પ્રભાવ શક્ય બન્યો છે તે સ્વીકારીને પણ કહેવું પડશે કે  ભારતની જડ જાતિપ્રથા આધુનિકીકરણ, શહેરીકરણ અને કુદરતી આફતને પણ ગાંઠ્‌યા વિના અકબંધ રહે છે.

ગાંધીજીએ કહ્યું હતું, “અંત્યજોનો પ્રશ્ન કોઈપણ રીતે આ પેઢી દરમિયાન અથવા આવતી કેટલીક પેઢીઓ દરમિયાન નહીં પણ હમણા જ ઉકેલવાનો છે. નહીં તો તે કદી ઉકલવાનો નથી.” ગામડાં કે નાનાં નગરોમાં જ નહીં મહાનગરોમાં પણ આઝાદીના પંચોતેર વરસો પછીની વર્ણગત વિભાજીતતાની વાસ્તવિકતા પછી પ્રશ્ન થાય છે કે શું ભારતમાંથી જ્ઞાતિ વ્યવસ્થા અને તેના બાહ્ય સ્વરૂપ જેવી અસ્પૃશ્યતા ક્યારે ય નાબૂદ થશે નહીં ? ડૉ. રામમનોહર લોહિયા કહેતા હતા તેમ “જાતિ વો હે જો કભી જાતી નહીં” કાયમી સત્ય બની રહેશે ?

Email : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 06-07

Loading

પંડિત શિવકુમાર શર્મા

નિલય ભાવસાર|Opinion - Opinion|16 May 2022

પદ્મભૂષણથી સન્માનિત સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માનું હૃદયરોગના હુમલાને કારણે તારીખ ૧૦ મે, ૨૦૨૨ના દિવસે નિધન થયું. તેઓ ૮૪ વર્ષના હતા. તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના દિવસે જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માએ ક્યારેક કહ્યું હતું કે સંતૂર દુનિયાનું એકમાત્ર એવું તારવાળું વાદ્ય છે જે આ કલમ વડે જ વગાડી શકાય છે.

અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં સંતૂરવાદક શિવકુમાર શર્મા હાજરી આપી ચૂક્યા છે. સપ્તકમાં શિવકુમાર શર્માનું સંગીત સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે તેવો દંભ કરતા શ્રોતાઓની પણ ભીડ જામતી હતી. આ લેખમાં એમના શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રથી અલગ ને ઓછા જાણીતા એવા ફિલ્મ ક્ષેત્રની સફરની વાત કરીશું. ૧૯૮૦ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે કે જેટલા તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં ‘સિલસિલા’ (૧૯૮૧), ‘ફાસલે’ (૧૯૮૫), ‘વિજય’ (૧૯૮૮), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧), ‘પરંપરા’ (૧૯૯૩), સાહિબાન (૧૯૯૩) ‘ડર’(૧૯૯૩)નો સમાવેશ થાય છે.

ખરેખર, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ વર્ષ ૧૯૬૫માં ‘જબ જબ ફૂલ ખીલે’થી ફિલ્મી ગીતો પર સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ઐતિહાસિક રીતે ફિલ્મ સંગીતમાં શિવકુમાર શર્માનું આગમન હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પહેલા થઈ ગયું હતું. શિવકુમાર શર્મા પાસે વર્ષ ૧૯૫૫માં વી. શાંતારામની હિન્દી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંતૂર વગાડનાર પહેલા સંગીતકાર તરીકેનું સન્માન છે. શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા ખૂબ સારા મિત્રો હતા અને તેમણે સાથે મળીને દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતના કૉન્સર્ટ કર્યા હતા. ઘણી ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું. તેમણે પોતપોતાનાં કૌશલ્યમાં પ્રાવિણ્ય હાંસલ કર્યું હતું. હરિપ્રસાદ ચૌરસિયાના જણાવ્યા મુજબ એમણે અને શિવકુમાર શર્માએ મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક સાથે ખૂબ સારો સમય પસાર કર્યો હતો. અમારી ઘણી સારી મિત્રતા હતી. કારણ કે હરિપ્રસાદ ચૌરસિયાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંગીતકાર બનવા માટે પોતાની નોકરી અને અલાહાબાદનું પોતાનું ઘર છોડ્યું હતું. જ્યારે, શિવકુમાર શર્માએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ જમ્મુમાં પોતાનું ઘર અને નોકરીનો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

ફિલ્મમેકર યશ ચોપરા તેમના મિત્ર હતા અને તેઓ બી.આર. ચોપરા સાથે કામ કરવાના સમયથી એક બીજાને જાણતા હતા. રાજકમલ સ્ટુડિયોમાં ‘વક્ત’ અને ‘હમરાઝ’ જેવી ફિલ્મોનાં ગીતોના રેકોર્ડિંગ દરમિયાન શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા, યશ ચોપરા સાથે ફ્રી ટાઈમમાં ચર્ચા કરતા હતા. યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું ત્યારે તેમણે ફિલ્મોના બૅકગ્રાઉન્ડ સંગીત માટે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો. જેમાં ફિલ્મ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’ના બેકગ્રાઉન્ડ સંગીતનો સમાવેશ થાય છે. પણ, જ્યારે યશ ચોપરાએ શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાના ‘Call of the Valley’ નામના આલબમનું સંગીત સાંભળ્યું ત્યારે તેમણે એવો નિર્ણય લીધો કે હવે મારી ફિલ્મોમાં સંગીત પણ શિવ-હરિ(શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડી આપશે.

સૂરજીત સિંહ લિખિત પુસ્તક ‘બાંસૂરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા’માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌ પ્રથમ ફિલ્મ ‘કાલા પથ્થર’ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેના કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે ‘સિલસિલા’ (૧૯૮૧) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવાં લોકપ્રિય કલાકાર હતાં. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. જાવેદ અખ્તરે આ ફિલ્મથી ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ તારીખ ૧ જુલાઈ, ૧૯૩૮ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાંક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.

શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો, કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. ‘સિલસિલા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. ‘સિલસિલા’ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઇચ્છતા હતા કે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે ‘સિલસિલા’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની ‘સિલસિલા’માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે ‘ફાસલે’, ‘વિજય’, ‘ચાંદની’, ‘લમ્હે’ અને ‘ડર’માં યાદગાર સંગીત આપ્યું. ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘ડર’માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ ૧૯૯૩માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.

Eamil : nbhavsarsafri@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 12 તેમ જ 15

Loading

“હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ

કેતન રુપેરા|Gandhiana|16 May 2022

  — 1 —

ઈસવીસન ઓગણીસો ને બોંતેરનું વર્ષ છે. ગાંધીજી, અનસૂયાબહેન, શંકરલાલ બૅંકર, ગુલઝારીલાલ નંદા અને સાથીઓના “ધર્મયુદ્ધ”ને પરિણામે “હિંદુસ્તાનમાં અદ્વિતીય સંસ્થા” બની રહેનારા, અમદાવાદના ‘મજૂર મહાજન સંઘ’ની સ્થાપનાને પાંચ દાયકા થઈ ગયા છે. દેશને આઝાદી મળ્યાને પણ અઢી દાયકા થઈ ગયા છે. અત્યાર સુધીમાં મજૂર મહાજનના પ્રભાવ અને પ્રસાર તળે ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતાં અન્ય સંગઠનો પણ અસ્તિત્વમાં આવ્યાં છે. મજૂર મહાજન થકી મજૂરો અને સાથે તેમના કુટુંબીઓની પણ બધી રીતે સ્થિતિ-સુધારણા માટેનાં કાર્યો ચાલું છે. લોકપ્રિય અને લોકભોગ્ય કહેણીની ટોચ તો એવી ય છે કે અમદાવાદ મહાનગરપાલિકાના બજેટની સમાંતરે મજૂર મહાજન સંઘનું બજેટ નક્કી થાય છે.

ટૂંકમાં, દેશભરમાં મજૂરોનું આ એકમાત્ર એવું સંગઠન બની રહ્યું છે જેમાં મજૂરનાં દીકરા-દીકરી મજૂર જ બની રહે એવી મૂડીવાદી અર્થવ્યવસ્થાને પોષવાને બદલે આખું કુટુંબ સામાજિક-આર્થિક ને અનેક રીતે ઉન્નતિ પામે એવી તક પ્રાપ્ત કરાવવાની ગાંધીવાદી સમાજવાદની કવાયત—એવા નામોલ્લેખ વગર પણ—ચાલુ છે. વળી, એમાં પ્રત્યક્ષ-પરોક્ષપણે અને કેટલેક અંશે મિલમાલિકોનો પણ ફાળો છે!

ગરીબો વધુ ગરીબ અને શ્રીમંતો વધુ ને વધુ શ્રીમંત થઈ રહ્યા હોવાની વાસ્તવિકતા રજૂ કરતા વર્લ્ડ ઇન-ઇક્વાલિટી રિપોર્ટ ૨૦૨૨ બહાર પડ્યાના આ દિવસોમાં તો પરોઢિયાનાં સ્વપ્ન સમી જ રૂડી લાગતી આ સ્થિતિ અમદાવાદના મિલમજૂરો માટે એક સમયે વાસ્તવ હતું. પણ “મિલ-મજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી” ઝીલતા આ અમદાવાદના મજૂરોના જીવનમાં હજુયે કંઈક તો ખૂટતું હતું. એ ખોટ હતી પછાત વર્ગમાં ય પછાત ગણવામાં આવતી સ્ત્રીઓના ઉત્થાનમાં સૂક્ષ્મ દૃષ્ટિની, અસૂક્ષ્મ સક્રિયતાની. હા, મજૂર મહાજનની મહિલા-પાંખ જરૂર હતી. પણ મહિલા-મજૂરોની સમસ્યાઓ યથાવત હતી, અથવા ઓછી ધ્યાને લેવાઈ હતી. તાકડે મજૂર મહાજનમાં જૂનિયર વકીલ તરીકે વર્ષ ૧૯૫૫માં જોડાયેલાં ઇલા ર. ભટ્ટ સીત્તેરના દાયકાના પ્રારંભે આ પાંખનાં વડાં બને છે.

ગુજરાતી વિશ્વકોશના રક્ષા મ. વ્યાસ લિખિત એક અધિકરણમાં નોંધ છે : “મહિલા-મજૂરોની વિટંબણાઓ અને તેની સમસ્યાઓને ‘મજૂર મહાજન’ના ઘટકરૂપે વાચા આપી શકાતી ન હોવાથી મહિલા-મજૂરો માટે વિશેષ સંગઠન જરૂરી હતું. મિલમજૂર સિવાયની સ્વયંરોજગારી કરતી મહિલાઓના પણ અનેક પ્રશ્નો હતા. આ સંદર્ભમાં એક અલગ સંસ્થાએ આકાર લીધો તે ‘સેવા’ હતી.

“‘મજૂર મહાજન’ની મહિલા-પાંખનાં વડાં ઇલાબહેન ભટ્ટે અનુભવ્યું કે મહિલા-મજૂરો કે મહિલા-રોજગારોને ભારે અન્યાય થાય છે. તેમનું શોષણ થાય છે, જેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જરૂરી છે. આથી અન્યાય અને શોષણ-વિરુદ્ધ ‘સ્વાશ્રયી મહિલા સેવા સંઘ’ ૧૨ એપ્રિલ, ૧૯૭૨માં સ્થપાયો. પૂર્ણ રોજગાર અને આર્થિક સ્વાવલંબનની ‘દૂસરી આઝાદી’ ‘સેવા’નું લક્ષ્યાંક બની.”

ગુજરાતીમાં જે ‘સ્વાશ્રયી મહિલા સેવા સંઘ’ એ જ અંગ્રેજીમાં Self Employed Women's Association અને ટૂંકાક્ષરીમાં  S.E.W.A. આ ‘સેવા’એ ગઈ બારમી એપ્રિલે પચાસ વર્ષ પૂર્ણ કરીને ૫૧માં પ્રવેશ કર્યો. આ અવસરે અને આ નિમિત્તે, હાલની ‘સેવા’નાં સંસ્થાપક સભ્યો પૈકીનાં એક એવાં ઇલા ર. ભટ્ટ (આમ એટલા માટે કે આગળનાં વાચનમાં જતાં વાચક અનુભવશે કે ઇલાબહેને પોતે એકલપંડે કશું કર્યું એમ ભૂલથી પણ નથી કહેતાં) સાથે પ્રશ્નોત્તરી, ખરા અર્થમાં તો ‘નિરાંતવો સંવાદ’ જ થયો. સહેતુક જ, ‘સેવા’ સિવાયના વિષયે પણ થયેલી એ વાતો પૂર્ણ હૃદયતા અને પૃષ્ઠમર્યાદા સાથે અહીં પ્રસ્તુત છે.                                                                                                       

— કેતન રુપેરા

'સેવા'નો વડ અને વડવાઈની સંકલ્પના

કેતન રુપેરા : ઇલાબહેન અને 'સેવા’ એકબીજાના પર્યાય બની રહ્યાં છે. 'સેવા’ના રોજબરોજના કાર્યમાંથી નિવૃત્તિ લીધાં પછી અને ધીરે ધીરે એક પછી એક ભૂમિકામાંથી ખસતા ગયાં પછી, હજુ પણ સંસ્થાકીય જાહેરજીવનમાં 'સેવા’ એટલે ઇલાબહેન એમ જ કહેવાય છે, આ બરની એકરૂપતા, આ બરનો પ્રભાવ સમાજમાં, દેશ-દુનિયામાં એમ જ નથી વર્તાતો. કોઈ પણ વ્યક્તિએ એના માટે સમય નહીં, પોતાનું પૂરું જીવન સમર્પી દીધું હોય ત્યારે જ આમ થાય … તો આ અંગે આપની લાગણી શું છે એ જણાવશો?

ઇલા ભટ્ટ : એ તમારું કહેવું સાચું છે, કારણ કે મને મારા જીવનમાં, મારાં સંતાનો પછી મને કોઈ પૂછે તો સેવા-સેવાની બહેનો. આ બહેનોને હું જોઉં તો બહુ મજા આવે. પોતાપણાનો ખ્યાલ આવે. આમ કરું, તેમ કરું. બધાને ભેટી ભેટીને … (ચહેરા પરનાં ભાવ તો એ ક્ષણોમાં સરી પડતાં જણાય છે) એટલે મને બહુ જ આંતરિક રી તે… એક રીતે કહું, કોઈક વાર એવા એવા શબ્દો બોલે ને, એમ થાય કે આ શું … હાશ થાય. આવું છે. મેં એમની પાસેથી જે જુદી જુદી સલાહો લીધેલી. 

કે. : બહેનો પાસેથી?

ઇ. : હા, બહેનો પાસેથી. એટલે ચંદા પપુએ કીધું કે “આવા અભણ કેટલા હશે! બૅંકમાં જાય ને ખાતાં ખોલાવે …” એમણે જ કીધું કે “એ કરતાં બહેન, આપણી જ બૅંક બનાવી દો ને.” એ જે પ્રેરણા આપીને ગયેલા. બધા જ કસ્ટમરનાં ખાતાં શરૂઆતનાં એમની પાસેથી જ આવ્યાં છે.

કે. : અચ્છા, આ વાત સૌથી પહેલાં એમની પાસેથી આવેલી …!

ઇ. : હા … મેં કીધું કે આપણે એટલી બધી મૂડી ક્યાંથી લાવીએ? [કહેવાનો અર્થ એમ કે] આપણે ગરીબ છીએ … અને આ બધું માઇક ઉપર જ. “હા, પણ છૈએ કેટલા બધા!” તરત ચંદાબહેન બોલ્યાં.

કે. : ખરી વાત, અને પછી એ જ તમારા પુસ્તક૧નું  ટાઇટલ બન્યું.

મૂળ રૂપે We Are Poor But So Manyનો 'ગરીબ, છૈએ પણ કેટલા બધાં'નામે ગુજરાતીમાં અનુવાદ (હિમાંશી શેલત, ગૂર્જર પ્રકાશન) થયો છે.

ઇ. : … અને બધી બહેનો પણ આ બૅંક બનાવી કાઢવી એ જાણે સરળ વાત હોય ને હું બી એવી. મને બી એવું કંઈ અઘરું ન લાગ્યું વિચારોમાં, શરૂઆતમાં. હા … ચાલો એમ. હજુ ’૭૨માં તો યુનિયન બનાવું છું ને ૭૪માં સહકારી બૅંક! મને પૈસા-ટકાનો એવો ખ્યાલ નહીં, એને લગતું એવું કંઈ ભણેલી નહીં. અને સ્વભાવમાં પણ એવું કંઈ ખાસ નહીં. એટલે …

કે. : બહુ ખાસ્સી ઝડપી બની ગઈ, એવું લાગ્યું?!

ઇ. : (સ્મિત અને હાસ્ય) હા, એ ટાઇમ જ હોય છે. અને પછી લગભગ નવેક મહિનામાં મૂડી, જે જરૂરી હતી અને શૅર હોલ્ડિંગને એ બધું થયું. રજિસ્ટ્રેશનમાં બહુ બધી જાતભાતની મુશ્કેલીઓ થઈ પણ … થઈ ગયું. અંગૂઠાછાપ બહેન અને એમનો ફોટો. એટલે બૅંકમાં ખાતું ખૂલે. નીચે એમનું નામ લખેલું હોય એમના કાર્ડમાં, એમની પાસબુકમાં. બધામાં એ જ ફોટો.

એકડે એક ગાંધીની રાખો ટેક… મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે

એમાં પણ, પછી તો … સેવાની ઑફિસમાં ક, ખ, ગ, ઘ…નાં બૉર્ડ લગાવ્યાં. ખાસ કરીને દાદર હોય ત્યાં. એ પગથિયાં પર બેસીને લખે. એમ કરતાં કરતાં શીખ્યાં. પછી જાતે ને જાતે થોડું ભણતાં થયાં. … પણ સોલ્યુશન તો ઘણું ખરું આવી ગયું છે. એમની પાસેથી જ આવે છે. અત્યારે સ્ત્રીની લગ્નની ૧૮ વર્ષની મર્યાદા વધારવાની ચર્ચાઓ થઈ રહી છે. આ વખતનું ‘અનસૂયા’૨ જોજો તમે. હું બી સ્પષ્ટ નહોતી (હસતાં હસતાં) કે ૧૮ કહું કે ૨૧ કે શું?! [બહેનો સાથે વાત થઈ તો] એમણે કીધું કે આપણે બહેનોને અને છોકરાઓને એવી રીતે તૈયાર કરીએ કે જેથી ‘હા’ કે ‘ના’ એ પોતે કહી શકે. આ એમનું સોલ્યુશન. જો ૧૮ વરસે પરણવું ન હોય તો એ પોતે જ ના કહે કે ‘ના, હજુ મારે ભણવાનું બાકી છે.’ પર્સનલી, મને તો ૧૮માં ય વાંધો નથી. કેમ કે આપણાં દેશમાં પરિપક્વતા બહુ વહેલી આવી જાય છે – ફિઝિકલી, મેન્ટલી …, કારણ કે કમ્યુનિટીમાં રહે, કુટુંબમાં રહ્યાં-ઉછર્યાં, વ્યવહારોમાં ભાગ લેતા હોય. અને બીજી એક વાત કહું? હાલના શિક્ષણ પરથી મને તો વિશ્વાસ ઊઠી ગયો છે.

આર્થિક સ્વરાજથી આગળ વધીને સામાજિક સ્વરાજની પણ ચર્ચા છેડતા 'અનસૂયા'ના 22 માર્ચ, 2022ના અંકનું પહેલું પાનું.

કે. : હા, એ થોડાં વર્ષો પહેલાં પણ તમે ગૌરાંગભાઈ[જાની]ના પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ના વિમોચન વખતે કહેલું, જો કે ત્યારે આદિવાસી સમાજને ટાંકીને તમે વાત કરેલી કે ૧૨-૧૨, ૧૫-૧૫, ૧૮-૧૮ વર્ષોનું શિક્ષણ હોય છે એ ભારત જેવા દેશમાં વધારે પડતું છે. પ્રાથમિક શિક્ષણ પછી સીધું જ વ્યાવસાયિક શિક્ષણમાં પ્રવેશી જવું પડે. તો જ આ દેશને પાલવે, બાકી તો બેરોજગારીનાં આંકડા વધતા જ જવાના …

મારી બહેનો સ્વરાજ લેવું સહેલ છે : નામ પ્રમાણે આ પુસ્તકમાં બહેનોની આર્થિક સ્વરાજની સફર (ખેરખર તો, સંઘર્ષ) નું આલેખન છે. ઇન્દુકુમાર જાનીની પ્રસ્તાવના પ્રાપ્ત આ પુસ્તકમાં એમના સિવાય જેમનાં અનુભવ આધારિત લખાણો છે તે નામ : ઇલા ર. ભટ્ટ, નીરૂબહેન જાદવ, રેનાના ઝાબવાલા, લલિતા ક્રિષ્ણાસ્વાની, જયશ્રી વ્યાસ,. મિરાઈ ચેટરજી, રીમા નાણાવટી, નમ્રતા બાલી, મનાલી શાહ.

ઇ. : … એટલે જ મને વિદ્યાપીઠમાં રસ છે. એક તો ઉદ્યોગ દ્વારા શિક્ષણ. ઉદ્યોગ એ માધ્યમ છે. અને જેમ જેમ આગળ જાય તેમ તેમ તેમની [સ્ટુડન્ટસની] સ્કિલ વધતી જાય. અને બીજું, જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શિક્ષક પણ એવા હોય કે જે ભૂગોળ કે ઇતિહાસ, ગણિત બધું જે કંઈ શીખવાનું હોય એ ઉદ્યોગ દ્વારા શિખવાડે. આ બધા વિષયો એવા છે કે જેની સાથે ઉદ્યોગને સીધો જોડી શકાય. … પહેલાં, વિદ્યાપીઠનું એટલે નઈ તાલીમનું શિક્ષણ હતું તે સંપૂર્ણ તો નહીં પણ ઘણા પ્રમાણમાં એવું જ હતું. અત્યારે જે કંઈ પણ છે તે ય નષ્ટ થતું જાય છે, આ બહારના શિક્ષણમાં. વિદ્યાપીઠમાં હજુ બધું નથી લૂંટાઈ ગયું – એટલે કે નઈ તાલીમ શિક્ષણમાં બધું નથી લૂંટાઈ ગયું. આપણે એને અલગથી ગાંધીયન શિક્ષણ પણ શું કામ કહીએ?

કે. : … એટલે વિદ્યાપીઠમાં આપના પ્રવેશ પછી,—‘સેવા’માં વર્ષો સુધી કેટલીક મૌલિકતાથી કામ થતું આવ્યું, મૂળ વિચાર એનો એ જ હોય પણ એના એક્ઝિક્યુશનમાં મૌલિકતા હોય, એ અર્થમાં—આપે એવું કશું કરવાનું થયું, કોઈ વિચાર મુકવાનો થયો કે એના આધારે કોઈ કાર્ય ચાલુ પ્રક્રિયામાં હોય …

ઇ. : એ તમે ખીમાણીસાહેબને જ પૂછજો ને૩. હી ઇઝ અ મૅન ઓફ ઍક્શન.

હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન. કેટલાં બધાં કામો કરવાનાં છે, કેટલાં બધાં! વિદ્યાપીઠના અનુભવથી થયું કે થઈ શકે છે. સેવાના અનુભવથી થયું કે થઈ શકે છે.

વિદ્યાપીઠમાં વિષયમાં જ ઉદ્યોગમાં ખેતી અને વસ્ત્રવિદ્યા. [આ નોંધવા જેવું છે કે વિદ્યા તરીકે] ખાદી નથી, વસ્ત્રવિદ્યા છે. છેક વસ્ત્ર બનાવવા સુધી જવાનું છે. બીજું કે, માણસની પાયાની જરૂરિયાતો તો રોટી, કપડાં અને મકાન. હવે ઉદ્યોગમાં અન્ન અને વસ્ત્ર છે. પણ મકાન નથી દાખલ કર્યું. મકાન બાંધવું એ પણ માણસની પાયાની જરૂરિયાત છે ને! આને સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે.

કે. : અચ્છા, એટલે અહીંના વિદ્યાર્થીઓ વિદ્યા તરીકે બાંધકામ વિદ્યા પણ શીખે, એમ તમે કહેવા માંગો છો …

ઇ. : એટલે જેમ ખેતી શીખે છે તેમ બાંધકામ પણ, અને બીજું બધું ય શીખતા જાય. મારો ૧૦૦ માઇલનો સિદ્ધાંત૪ જે છે તેમાં જે પ્રાથમિક જરૂરિયાતો છે એ રોટી, કપડાં, મકાન અને પ્રાથમિક આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક બૅંકિંગ છે. આ થ્રી પ્લસ થ્રી, એનો સસ્ટેઇનેબિલિટી જાળવવાનો મેં સિદ્ધાંત બનાવ્યો છે. એ અમલમાં મૂકીને …

કે. : … એટલે વિદ્યાપીઠનું આપણું અત્યારે જે ચાલુ શિક્ષણ છે ગ્રામવિદ્યાપીઠો અને ગ્રામકેન્દ્રો—સાદરા, રાંધેજા, દેથલી, અંભેટી વગેરે—માં આ સિદ્ધાંત અમલી કરવા આપ ધારી રહ્યાં છો એમ?

રોટી, કપડાં અને મકાનની સાથે પ્રાથમિક આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક બૅંકિંગને પણ પાયાની જરૂરિયાતો તરીકે સિદ્ધ કરી આપતું, ક્ષેત્રકાર્ય-સંશોધન-અનુભવ આધારિત પુસ્તક : અનુબંઘ. આ પુસ્તક 'ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અર્પણ' કરાયું છે.

ઇ. : ના, મારું કહેવું છે કે વિદ્યાપીઠમાં જે ભણતર છે, ત્રીજા ભાગનું તો એ પ્રમાણે થાય છે. પણ એમાં ય, એ જાતના શિક્ષણમાં ય મને જીવનમાં શરૂઆતથી રસ છે. વિદ્યાપીઠમાં એવું શિક્ષણ હોવાના કારણે હું એમાં જોડાઈ. નારાયણભાઈ[દેસાઈ]એ મને કહ્યું એ બધું ખરું પણ તમને ખબર છે ને કે ચાન્સેલર[અહીં કુલપતિ]ની કોઈ એક્ઝિક્યુટિવ ડ્યુટી નથી. મારા મનથી છે એટલે જ તો હું અહીં જોડાઈ છું. દિશા અને માર્ગદર્શન એ મુખ્ય ભૂમિકા છે. અમે તો નાનપણથી જ વિદ્યાપીઠ પ્રકારના શિક્ષણમાં જ ઉછર્યાં એટલે ઓછેવત્તે અંશે એનો પાયો ખરો. એટલે વિદ્યાપીઠમાં બહુ રસ પડ્યો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં.૫ 

કે. : … એટલે વિદ્યાપીઠના કોઈ કેન્દ્રમાં આ વિચારનું પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલીકરણ શરૂ થયું છે?

ઇ. : ના, હું તો મોઢે કહું. એટલે પછી ખાદી-ખાદી હતું એ આગળ વધીને વસ્ત્રવિદ્યા થઈ ગયું છે. પછી, હિન્દુસ્તાની ભાષા શિખવવાની, હિન્દી નહીં …

કે. : હા, એ બહુ મોટી ને મહત્ત્વની વાત છે. અત્યારના સંજોગોમાં ખાસ.

ઇ. : અમે ભણ્યા તે હિન્દુસ્તાની. અમે ઉર્દૂ અને નાગરી લિપિ, બંને ભણ્યા. આજે બી મને આવડે છે.

કે. : હા, આ હિન્દુસ્તાની ભાષા વાળો મુદ્દો બહુ જરૂરી છે. ગાંધીજી રાષ્ટ્રભાષા તરીકે જે ઇચ્છતા હતા, તે સંસ્કૃત અને ઉર્દૂ, બંનેના મિશ્રણવાળી હિન્દી-હિન્દુસ્તાની ભાષા. ’૪૦ના દાયકામાં આઝાદી નજીક વર્તાતી હતી, અને રાષ્ટ્રભાષાનો મુદ્દો ચર્ચાતો હતો ત્યારે ‘હરિજનબંધુ’માં૬ આ વાત એમણે બહુ સારી રીતે મુકેલી છે.

ઇ. : અમારે પ્રાથમિક શાળામાં એ જ હતું. હિંદી, ઉર્દૂ વાળું જ. વળી, ઉર્દૂ લિપિ તરીકે પણ હતી. અમારે પાઠો પણ બધા, બંને લિપિમાં લખવાના અને વાંચવાનાં પણ.

કે. : ખરું. હવે ફરી ‘સેવા’ની વાત પર આવીએ તો, મેં શરૂઆત કરી હતી ‘સેવા’ નિમિત્તે આપના વિશે અને જવાબ આવ્યો ‘સેવા’ની બહેનો … એટલે તમને એવું લાગે છે કે ‘સેવા’ની બહેનો વગર ‘સેવા’ સેવા નથી, બરાબર ને.

ઇ. : (સ્મિત સાથે) હા, એ તો એમ જ ને, અને સંગઠન. એકબીજાની સાથે મૂલ્ય આધારિત સંગઠન.

 — 2 —

Empowerment is a Verb, it is not a Noun : ઇલા ર. ભટ્ટ

વિદ્યાપીઠના પદવીદાન સમારોહની એક છબી. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે વિદ્યાર્થીઓ સાથે સતત અને સીધો સંવાદ સાધતા રહે છે.

મુલાકાતના પહેલા ભાગમાં આપણે જાણ્યું કે … ૧૯પપમાં મજૂર મહાજન સંઘમાં જુનિયર વકીલથી શરૂ થયેલી સફર આગળ વધે છે. મજૂર મહાજનની મહિલા પાંખનાં વડાં નિમાય છે. ’૭રમાં ‘સેવા’ની સ્થાપના થાય છે. જ્યારે બહેનોની – તેમના પરિવારની આર્થિક સંકડામણની વાત થાય છે ત્યારે “એ કરતાં બહેન, આપણી જ બૅન્ક બનાવી દો ને” એમ કરતાં જ વાતવાતમાં ‘સેવા’ની સહકારી બૅન્કનો પણ નિર્ણય થાય છે. આ માટે અને આ પછીનો સંઘર્ષ ઓછો નથી પણ રચનાત્મક અભિગમ રસ્તો કરી આપે છે. એક પછી એક પડાવો પાર કરતાં કરતાં ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિપદની જવાબદારી સોંપાય છે, ત્યારે ત્યાં પણ પોતાના વિશિષ્ટ અને ‘સંવાદ’ કરતા રહેવાના વલણ સાથે એવી જ વિગતો બહાર લઈ આવે છે, જે કદી કલ્પી સુધ્ધાં ન હોય. જુનિયર વકીલથી લઈને કોઈ શૈક્ષણિક સંસ્થાનાં વડાં સુધીની આ સફરમાં પાયાનું તત્ત્વ છે સંગઠન. ઇલાબહેનના શબ્દોમાં, “એકબીજાની સાથે મૂલ્ય આધારિત સંગઠન.”

હવે આગળ …

કે. : હા, એટલે આમ પણ ‘संघे शक्ति कलौ युगे’ કહેવાય જ છે ને, પણ મેં જાણ્યું કે ‘સેવા’ના પ્રારંભમાં અમદાવાદના દિલ્હી દરવાજા પાસેના ત્રણ ખૂણિયા બગીચામાં સભા ભરાઈ ત્યારે અનેક બહેનો ઊમટી પડી હતી. પાંચ રૂપિયાની ફી ભરીને બહેનો સભ્ય બનતી ગઈ. ૧૯૭૨માં સંસ્થા રજિસ્ટર્ડ થઈ, ’૭૪માં સહકારી બૅન્ક, ’૭૭માં મૅગ્સેસે … ને આગળ જતાં ‘સેવા’એ જે મુકામ હાંસલ કર્યું, એ માટે પ્રારંભે આપના મનમાં કોઈ મૉડેલ હતું?

ઇ. : એવું મૉડેલ-બૉડેલ જેવું તો નહીં, પણ સૌથી વધુ જે ખટકે તે તો ગરીબી. ભારતનો ઇતિહાસ તો અમારા ભણવામાં હતો નહીં. અમે બ્રિટિશ ઇતિહાસ ભણેલા. મેટ્રિક થયા. એ પછી લૉ પણ પાસ કર્યું. પણ નજર સામે ગાંધીજી હતા, એટલે [જે વર્ગ માટે કામ કરવાનું છે] એમાં ય બહેનો પહેલાં. હું મહાજનમાં ૧૯૫૫માં જોડાઈ, જુનિયર વકીલ તરીકે. અને મજૂરોના હક માટે કામ કરતાં હતાં, પણ ’૭૨માં એક અનુભવ એવો થયો … જેમાં વકીલ હતી. કોર્ટ કહે કે મિલના વર્કર્સના કેસો લાવો એ તો બરાબર, એ તો મોટે ભાગે સમાધાનથી થાય. પણ જેમને કોર્ટમાંથી કૉમ્પેન્‌સેશન લેવાનું હોય એમાં લૅબર કોર્ટે કહ્યું કે They are not workers. (!)

બન્યું એવું હતું કે એક લારીવાળાને એક જગ્યાએથી બીજી જગ્યાએ હોલસેલમાંથી રિટેલમાં સામાન પહોંચાડવાનો હતો. લાલ દરવાજાથી બ્રીજ પર નીચે ઊતરીએ ત્યાં ઢાળ ઘણો. પોલીસે હાથ કર્યો કે STOP. ત્યારે લાલ-પીળી લાઇટ તો હતી નહીં. બહુ બધો ભાર ભરેલો લારીમાં. ભરેલા ડબ્બા, એટલે જસ્ટ ઇમેજિન … એ અટકાવવા જતાં, એમને બળ એટલું વાપરવું પડ્યું કે એમના પગ વળી ગયા. કેમ કે હાથ લારીને બ્રેક તો હોય નહીં. એટલે … ઘુંટણના ઉપયોગથી જ અટકાવવી પડે ઢોળાવ ઉપર. પછી તો ત્યાંથી સીધા વાડીલાલ હૉસ્પિટલ દાખલ કર્યા. હૉસ્પિટલમાં સારવાર તો મળી ગઈ પણ પછી કોર્ટમાં એમના નામે ફાઇલ કરી તો કોર્ટ કહે કે they are not workers. કેમ કે આ જાતનાં ઇન્ફોર્મલ કામ કરવાવાળાને વર્કર્સ જ ક્યાં કહ્યા છે? ઇવન સેન્સસમાં પણ! એટલે એ દિવસે મને બહુ લાગી આવેલું, કારણ કે આટલાં વર્ષોથી હું લિગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. ત્યાં મજૂરોના પ્રોટેક્શન, અને એ કાયદા અહીં લાગુ ના પાડે, ને પાછા એમને વર્કર્સ પણ ન ગણે! મારી નજર સામે જ તો આ ઘટના બનેલી. હું સ્કૂટર પર હતી. એટલે વધુ લાગી આવ્યું. થોડી વાર તો થઈ ગ્યું કે આવામાં કામ જ કેવી રીતે કરવું!!

કે. :  હા, ક્ષણિક લાગણી થાય ક્યારેક એવી.

ઇ. :  એ જ વખતે બે મિલો બંધ થઈ ગઈ હતી. તો તે જે મિલોના મજૂરો હતા એ મહાજનના કમ્પાઉન્ડમાં બેઠા હોય, સવારથી સાંજ સુધી ત્યાં જ બેઠા હોય. એમને કોર્ટરૂમમાં જવાનું હોય, એમને સરઘસ કાઢવાનું હોય, બધું ત્યાંથી જ થાય. આ જોઈને મેં વસાવડા સાહેબને [શ્યામપ્રસાદ વસાવડા૭] પૂછ્યું કે આ લોકો આખો દા’ડો અહીંયા ને અહીંયા હોય છે તો પછી ઘર કેવી રીતે ચાલતું હશે?! તો કહે કે મને શું કામ પૂછો છો, જોઈ આવો એમના ઘરે જઈને. પછી તો હું એમના ઘરે ગઈ. શાહપુર ને આસપાસનો બધો વિસ્તાર. બધાના ઘરમાં બહેનો કામ કરતી હતી. સ્ત્રીઓ જ કામ કરતી હતી. એમનાથી જ ઘર ચાલતું હતું. આમે ય otherwise also 50% of the income came from the women’s work. એ શું કામ કરે છે? આ બધાં જે કામો છે આ છૂટક મજૂરી, લોડર્સ-અનલોડર્સ, હોકર્સ, વેન્ડર્સ, ઘરમાં બેસીને કામ કરતાં હોય. કોન્ટ્રાક્ટરે સોંપેલું હોય એ કામ. તો આ બધાને મજૂરો માટેનો કોઈ કાયદો લાગુ પડે નહીં, ને એમના માટે કોઈ કાયદો ય નહીં. મૂળે વર્કર્સ, પણ એમને વર્કર્સ ગણે નહીં. ને એ જ અમારી લડત હતી, તે ત્યારથી લઈને આજ લગી ચાલુ છે. આજે તમે જુઓ formal-informal બધા માટેના કાયદા થયા. સોશિયલ પ્રોટેક્શનના કોડ થયા. એ કોડ પણ અમારો, ‘સેવા’નો આઇડિયા હતો, કે આ શું બધા છુટક છુટક કાયદા, લૅબરને લગતા જ લગભગ ૪૩ કાયદા હતા! જૂના-નવા વકીલો જે પણ આવે તે અને જજ આવે એ પણ ગણે જ. પછી તો રવીન્દ્ર વર્મા૮ના વડપણ હેઠળ કમિશન નિમાયું, એ પણ અમારી માગણી હતી. રિપોર્ટ રજૂ થયો કે આ બધા લૅબર લૉ છે તેને સરળ કરીએે. બીજા દેશોમાં જઈને પણ અભ્યાસ કર્યો કે એમના લૅબર લૉઝ કેવા હોય છે. એક જ કાયદો હોય અને એમાં ભલે પછી પેટા કાયદા તરીકે અલગ અલગ હોય. પછી આપણે ત્યાં એના ઉપર કામ થયું. સરકારમાં, મિનિસ્ટ્રીમાં અને એ પછી કોર્ટમાં પણ. કોર્ટની પણ ડિટેઇલ થઈ.

કે. :   … એટલે મજૂર મહાજનની જે કામગીરી હતી, તે મુખ્યત્વે મજૂરોના કલ્યાણની હતી. પણ એક, સ્ત્રીઓ ય મજૂર તરીકે હોય છે, અને બે, પુરુષ મજૂરોની સરખામણીએ સ્ત્રીમજૂરો પર શોષણની ઘટના વધારે છે, આ બાબતોને વધુ અસરકારકપણે ‘સેવા’ બહાર લાવી એવું કહી શકાય?

ઇ. : પણ તમને ખબર જ નથી … મિલોમાં majority of workers were almost women. જો તમે ગાંધીજીની નદીકિનારે મળેલી સભાનું ચિત્ર જુઓ તો પચાસ ટકા નહીં તો, ઓગણપચાસ ટકા તો બહેનો હતી જ. પછી જેમ જેમ આ ઉદ્યોગમાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થતું ગયું તેમ તેમ સ્ત્રીઓની સંખ્યા ઘટતી ગઈ.

કે. :  … એટલે પહેલાં મિલોમાં પણ મજૂર તરીકે બહેનો, આપણે જેને વધુ બળ કે શ્રમ માગી લે એમ કહીએ, એવાં કામ કરતી …

ઇ. :   બહુ જ હતી.

કે. :   ઓ.કે. … તો ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન વધતાં એ સંખ્યા ઘટતી ગઈ એનાં કારણો કયાં?

ઇ. :   એવી માન્યતા કે બહેનોને મશીન ચલાવતાં ન જ આવડે એમ માનવામાં આવે. એમને ટ્રેઇન કરવામાં કોઈએ મહેનત કરી નહીં. હું જોડાઈ ’૫૫માં જુનિયર વકીલ તરીકે ત્યારે તો બહુ જ ઓછી થઈ ગઈ હતી. મારા ધ્યાનમાં આ આવ્યું. મેં કીધું કે આમ બહેનોને કેમ ખારિજ કરતાં જાવ છો, ત્યારે પછી ઓર્ડિનન્સ આવ્યો. કાઁગ્રેસની સરકાર હતી, એમની સાથે વાત કરીને ઓર્ડિનન્સ લાવવામાં આવ્યો કે હવે પછી કોઈ સ્ત્રીને બાકાત કરવાની નહીં, સિવાય કે એની ઉંમર થાય. પણ ત્યાં સુધીમાં ઑલરેડી બહેનો ઓછી થઈ જ ગઈ હતી. કોઈએ પ્રમોશન નહોતું આપ્યું બહેનોને. બહુ અન્યાય થયો હતો એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. પણ ગાંધીઅન હોવાના કારણે વિમેન વિંગ હતી. એટલે પછી મને વિમેન વિંગ પણ સાચવવાનું સોંપ્યું. મજૂર મહાજન પાસે જગ્યા પણ ઘણી. એટલે પછી તો સિવણના વર્ગો ને ઘણું કામ આગળ વધ્યું. મોટે ભાગે જે મિલમજૂરોની વાઇફ, એ સિવણ શિખવા આવે. શિક્ષિકાઓ જે હતી એ પણ બધી હોશિયાર. બહેનો તો હોશિયાર જ હોય છે. હવે સિલાઈ શીખે પણ કામ તો કંઈક મળવું જોઈએ ને. આવક તો થવી જોઈએ ને. એટલે પછી નાનાં મોટાં જૂથ બનાવ્યાં, કોન્ટ્રાક્ટર સાથે સંપર્ક કર્યો ને એ રીતે એમને કામ મળતું થયું. એ બધું થયું પછી, મને યુનિયનની સમજણ પડી.

કે. :   એટલે બહેનોનું આવું કોઈ યુનિયન હોવું જોઈએ એ વિચાર આમ કોઈ પ્રોસેસના ભાગરૂપે હતો કે કોઈ ટર્નિંગ પોઇન્ટ કહી શકાય તેવી ઘટના …

ઇ. :   … મને લાગે છે કે તેનું કોઈક કારણ હોય તો એ કે લૉ ભણી એ પછી કોઈ ગાંધીસંસ્થામાં પ્રેક્ટિસ કરવી હતી એવું તો હતું. પણ મને સીધી સનદ મળી નહીં. કારણ કે એ ગાળામાં જ મારા ફાધર ડિસ્ટ્રિક્ટ જજ હતા, એટલે એમની જ્યુરિડિક્‌શનમાં હું પ્રેક્ટિસ ન કરી શકું. એટલે મજૂર મહાજનમાં જોડાઈ. અને ત્યાં રહીને બધા પ્રશ્નો ઊભા થતાં-સમજતાં જોયું કે બહેનો આટલું બધું કામ કરવા છતાં ગરીબ ને ગરીબ જ રહે છે, ને નથી એમની વિઝિબિલિટી. ગામડાંમાં બેઠી છું એક ઘરમાં. એક બાઈ ગાય દોવે છે અને ત્યારે સેન્સસનો ઇન્સ્પેક્ટર આવે છે. પૂછે છે, “બહેન શું કામ કરો છો?”, નહીં, “બહેન કામ કરો છો?” બહેન કહે, “આ તમે જુઓ છો ને? ગાય દોઉં છું.” નથી એ બહેન એને કામ ગણતી કે નથી ઇન્સ્પેક્ટર એને રોજગાર ગણતો. અને Despite the fact that એ જે દૂધ કાઢે છે તેના પર પ્રોસેસ થાય છે, જુદી જુદી રીતે પૅકિંગ થાય છે અને પછી એ જ દૂધ એ જ ગામમાં વેચાવા આવે છે. એટલે કે એ માર્કેટમાં આવે છે. That is a part of GDP. That is a part of national income, recorded અને તો ય she is not written, noted recorded as a worker. પેલો તો નોન-વર્કર લખીને જ ગયો.

કે. :   આ તમારી નજર સામેની ઘટના! કયા ગામની, યાદ આવે?

ઇ. :   હા, ઝાંપ, ધોળકા તાલુકો. [હાલ સાણંદ]

કે. :   આ પ્રકારનું કામ કરતાં કરતાં આપને રાજ્યસભામાં જવાનું થયું, પ્લાનિંગ કમિશનમાં જવાનું થયું. અત્યાર સુધીનાં કામ એવાં હતાં કે જેમાં તમારે બહેનોની વાત ઉપરના સ્તરે કહેવાની થતી અને કાયદામાં સુધારા કરાવવાના થતા, હવે તમે પોતે જ્યારે એ સ્થાને પહોંચ્યાં તો ત્યાંનો અનુભવ શો રહ્યો?

ઇ. :   અનુભવમાં તો જુઓને, હું કોઈ પાર્ટીમાં નહોતી. નોમિનેટેડ મેમ્બર હતી. એક વાર મારા પર ફોન આવ્યો રાજીવ ગાંધીના સેક્રેટરીનો. મને કહે કે અમે તમને નોમિનેટેડ કરીને રાજ્યસભામાં લેવા માગીએ છીએ. તમે જોડાશો? મેં કીધું કે એટલે મારે પાર્ટીમાં જોડાવાનું? હસી પડ્યા. કહે કે ના. એટલે જ નોમિનેટેડ કહેવાય. પછી તો ઘરે પૂછું એવો વિચાર પણ ના આવ્યો. હા પાડી દીધી. પછી ચાલી ગઈ.

એક વાર દિલ્હીમાં સેવાની મીટિંગ બોલાવી. કારણ કે અમારું વેન્ડર્સનું કામ ખાસ્સું એવું શરૂ થઈ ગયું હતું. વિઝિબલ થતું જતું હતું. છાપાંમાં પણ આવતું. વેન્ડર્સને ઇન્જસ્ટિસ થાય એ મને બહુ લાગી આવતું. એમના પ્રોટેક્શન માટે કોઈક કાયદો હોવો જોઈએ એમ લાગ્યા કરતું. એટલે મેં એક મીટિંગ બોલાવી નવી દિલ્હીમાં. ત્યાં પણ વેન્ડર્સ તો ખરા જ. અને અમારે આ જોઈતું હતું. એમના અંગે કાયદાની વાત કહેવાની તો હિંમત હતી જ નહીં. એટલે કહ્યું કે આ લોકો પર બહુ ત્રાસ થાય છે. પોલીસો એમને હટાવે છે, કમાયેલું બધું લઈ જાય છે. પછી રોજનાં દેવાં કરવાં પડે છે. મેં એક મીટિંગમાં આમ કહ્યું. Rajiv Gandhi was quieten. એ આવ્યા અને આખો હૉલ વેન્ડર્સથી ભરેલો. બધ્ધા વેન્ડર્સ! પહેલી લાઇનથી છેક છેલ્લી લાઇન સુધી વેન્ડર્સ. થોડા જ બીજા હતા, એ એમના ઑફિસર્સ. એ પાછલી સીટોમાં બેઠા અને કેટલાક સ્ટેજ પર પણ. બધાં બોલ્યાં. સાંભળીને રાજીવ ગાંધીએ એ દિવસે જાહેર કર્યું કે There will be a national Commission on Self-employed Women. અને પહેલેથી મેં આખો ઇન્ફોર્મલ ડ્રાફ્ટ તૈયાર કરી રાખ્યો હતો. થેંક્સ ટુ માય હસબન્ડ. આ Self-employed  શબ્દ એમણે શોધી કાઢ્યો હતો અને સ્વાશ્રય – સરસ શબ્દ.

કે. :   અચ્છા, એટલે આ વાત પહેલાં આવેલી છે ક્યાં ય? મને લાગે છે કે જાહેરપણે કદાચ પહેલી વાર. એટલે આ નામ કયા શબ્દોથી બનેલું છે એ રીતે આવેલી હોય, પણ એ શબ્દ આપનાર વ્યક્તિ કે નિમિત્ત કોણ છે એ રીતે પહેલી વાર …?

 "વેન્ડર્સને ઇન્જસ્ટિસ થાય છે એ મને બહુ લાગી આવતું. એમના પ્રોટેક્શન માટે કાયદો હોવો જોઈએ એમ લાગ્યા કરતું. … એટલે કહ્યું કે આ લોકો પર બહુ ત્રાસ થાય છે. પોલીસો એમને હટાવે છે. કમાયેલું બધું લઈ જાય છે. … Rajiv Gandhi was quieten. એ આવ્યા અને આખો હોલ ભરેલો. બધ્ધાં વેન્ડર્સ! … સાંભળીને રાજીવ ગાંધીએ એ દિવસે જાહેર કર્યું કે There will be a National Commission on Self-employed Women."

ઇ. :  (હસે છે) ના, કોઈ દિવસ નહીં. આ પહેલી વાર. કોને પડી હતી?! એ વખતની વાત જ અલગ હતી. આવી તો અનેક વાતો ઇનવિઝિબલ. મારા ફાધરને આમ બહુ નહીં, તો ય માતા-પિતા તરીકે એમને લાગતું કે આટલું બધું ભણાવ્યું ને આ શું આવું બધું કામ … એટલે એ જે કમિશન થયું તે ખરેખર બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ. પછી રાજીવ ગાંધીએ એમે ય કહ્યું કે આને લૅબર મિનિસ્ટ્રી હેઠળ નથી કરવું. એને વિમેન વેલફેરમાં લઈ જઈએ. પછી સીધું કમિશન નિમ્યું પાંચ જણાનું. પાર્ટીવાળા કોઈ નહીં. અને અમે નક્કી કર્યું કે પહેલાં બહેનો પાસે જઈને સાંભળીએ. અમે ૧૮ રાજ્યોમાં ફર્યાં. માત્ર ગરીબ બહેનોને જ મળવાનું. એટલું બધું સાંભળ્યું, એટલું બધું જાણ્યું. ગરીબ હોય એટલે કામ તો કરતાં જ હોય. અને એનો પછી રિપોર્ટ બનાવ્યો. ‘શ્રમશક્તિ’ રિપોર્ટ. અને એમાં આગળ ઇન્ટ્રોડક્શનમાં લખ્યું. લોકો એ વાંચે તો ખબર પડે કે આપણે સવારે ઊઠીને પાણીથી મોં ધોઈએ ત્યાંથી માંડીને રાત્રે સૂઈએ ત્યાં સુધીને, મરી જઈએ તો ત્યાં સુધીનાં જે બધાં કામો, જે નાનાં નાનાં કહેવાય છે તે બધાં મજૂરીથી થાય છે. અને આ મજૂરીમાં જે મોટો ભાગ છે એ સ્ત્રીઓનો છે. એટલે હું જો શ્રમની વાત કરું ઇન્ફોર્મલ સેક્ટરની, મેં જ્યારે શરૂ કર્યું ત્યારે 89% out of total work force were informal. ત્યારે તો આટલું પણ ક્યાં કહેતા હતા! ધીરે ધીરે પછી કામ વધ્યું ત્યારે ૯૨ અને આજે more than 94% in total work force of India. અને આ લોકો જે કામ કરે છે એનાથી તો જી.ડી.પી. ગ્રોથ થાય છે. અને એની જ ગણતરી પછી નૅશનલ ઇન્કમમાં થાય છે. એ ૯૪ ટકાને જ તો આપણે હવે ઇન્ફોર્મલ સેક્ટર કહીએ છીએ. ફોર્મલ સેક્ટર તો …  ક્યાં એટલી બધી નોકરી જ મળે છે!

એટલે તમે જે વાત કરતા હતા કે આ પદ કે જવાબદારીના કારણે શું ફરક પડ્યો તો તે આ. હોમ બેઝ્‌ડ વર્કર્સના બિલ, પછી ખાસ તો અન્‌-ઓર્ગેનાઇઝ્‌ડ સેક્ટરમાં એમના સોશિયલ પ્રોટેક્શન. એનું ફંડ, એનો કાયદો. વેન્ડર્સ બિલ અને ઍક્ટ.

કે. :  એટલે આપ એ રીતના તારણ પર આવી શકો ખરા કે દા.ત. તમે માત્ર ‘સેવા’માં રહ્યા હોત તો ઉપર કે સરકારમાં જે રજૂઆત કરવાની થાય એના કરતાં પ્રત્યક્ષ-પરોક્ષપણે કંઈક અંશે ડિસિઝન મેકિંગ કહેવાય એવા સ્થાને ખુદ પહોંચવાનું થયું તો આ સુધારા, કાયદા થોડા સરળ બન્યા. આમ ન હોવાની સ્થિતિમાં એ કપરું કે અશક્ય થઈ પડ્યું હોત?  

ઇ. :   હા, તો ત્યાં access થઈ શક્યું. અને મને પણ બહુ જાણવા મળ્યું આસપાસ શું શું કામ થતું હોય છે, અને પુરુષો બાબતનો પ્રેજ્યુડાઇસ પણ ઓછો થયો.

કે. :   અચ્છા …

ઇ. :   પુરુષો જોડે જ કામ કરવાનું હોય.

કે. :   એ રીતે પુરુષોનો પણ સ્ત્રીઓ માટેનો પ્રેજ્યુડાઇસ ઓછો થયો હશે. હવે, લગભગ છેલ્લો પ્રશ્ન. આપણા સમાજમાં પરંપરાગત રીતે આર્થિક જવાબદારી પુરુષો જ ઉઠાવે છે એવું માનવામાં આવે છે. સ્વીકૃતિ પણ એની જ રહી છે. જેને આપણે બીજા શબ્દોમાં એમ્પાવર્ડ કહીએ, વિશેષ કરીને આ કિસ્સામાં ઇકોનોમિક એમ્પાવર્ડનેસ, તો ત્યારે શું બનતું હોય છે. કુટુંબનાં સભ્યો દ્વારા કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો આવે સ્ત્રીઓએ, અથવા એ પ્રકારના પ્રશ્નો સેવા પાસે આવ્યા હોય …

ઇ. :   એ બધા મધ્યમવર્ગના પ્રશ્નો છે. બાકી, ગરીબ વર્ગમાં તો સ્ત્રીઓ પહેલેથી કામ કરતી જ આવી છે, કરી રહી છે. શ્રમિક વર્ગમાં સાસુ હોય કે પતિ હોય, જ્યાંથી જે આવક આવે તે માન્ય. અને આ બધાનાં કારણે સંગઠનમાં બહારગામ જવાનું થાય, થોડું મોડેથી આવવાનું થાય, એ જરા ન ગમે પણ અહીં વાતો તે બધી કામની જ થતી હોય. પછી તો કોઈ કોઈ વાર કહે કે અમને ય બોલાવોને મીટિંગમાં. આ બધી વાતો ને કામોને કારણે સ્ત્રીઓમાં જે હિંમત આવી છે. ક્યારેક તો એવું બન્યું છે કે ગામમાં કંઈક આમતેમ થયું હોય ને પોલીસ આવે તો પુરુષો હાંફળાફાંફળા થઈ જાય, પણ સેવાની બહેનો આગળ આવીને પૂછે, “શું છે, શું થયું છે, ગભરાશો નહીં. સીધી વાત કરીએ.” આંખોમાં આંખો મિલાવીને વાત કરે. ગામવાળા ય પછી તો સાથે હોય. કોઈને કંઈ કામ હોય તો પૂછે કે સચિવાલયમાં કેવી રીતે જવાનું? સચિવાલયમાં ફલાણુંફલાણું કરવું હોય તો કેવી રીતે કરવાનું? સેવાની બહેનો આ બધું ગાઇડન્સ આપે, ઉપયોગી થાય. એટલે ધે…ટ ઇઝ એમ્પાવરમેન્ટ. Empowerment is not something that you give and you take. એક ભાષણમાં મને કહ્યું હતું કે તમે બોલો ને બોલો. પછી મેં જ વિષય આપ્યો, જે હું વારંવાર કહ્યા કરું છું કે Empowerment is a verb, it is not a noun.

•••

વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત એવી ગુજરાતની – ગાંધીના ગુજરાતની ‘સેવા’નાં પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેનાં સંસ્થાપિકા ઇલા ર. ભટ્ટ (પતિ રમેશભાઈનો ઇલાબહેનનાં આ સાહસ-સંઘર્ષ-સફર અને તેના કારણે મળેલી સફળતામાં, મુલાકાતમાં કહ્યું જ છે તેમ ‘ઇનવિઝિબલ’ હાથ રહ્યો) સાથેનો આ સંવાદ તો ઘણો લાંબો ચાલ્યો. ‘સેવા’નાં પચાસ કે એમનાં સડસઠ વર્ષના સંસ્થાકીય જાહેરજીવનનો આલેખ ‘નિરીક્ષક’ના કે કોઈ પણ સામયિકના A4 સાઇઝનાં પાંચ-સાત પાનાંમાં ન જ મળી શકે. એટલા માટે જ મુલાકાત થોડી અકૅડેમિક થવાનું જોખમ વહોરીને પણ જ્યાં જ્યાં વાચકને જિજ્ઞાસા થઈ શકે ત્યાં ત્યાં પાદટિપ મૂકીને એમનાં કેટલાંક પુસ્તકોની અને અન્ય વિગતો પણ મૂકવી જરૂરી જણાઈ. બાકી ગાંધીની, મણ જ્ઞાન કરતાં અઘોળ આચરણની વાત તો કાયમ સાબૂત છે જ.

મુલાકાતની પ્રત્યક્ષ-પરોક્ષ પ્રેરણા માટે ચંદુ મહેરિયા, પ્રકાશ ન. શાહ, વિપુલ કલ્યાણી અને રમેશ બી. શાહનો આભાર.

સંદર્ભ :

૧  We Are Poor but So Many : The Story of Self-Employed Women in India by Ela R Bhatt
Publisher (first) : OUP USA; 1st edition (22 December 2005) Language: English • Hardcover: 240 pages

ISBN-10: 0195169840 • ISBN-13: 978-0195169843


ગુજરાતીમાં આ પુસ્તકનો ‘ગરીબ, છૈએ પણ કેટલાં બધાં’ નામે અનુવાદ થયો છે. અનુવાદક : હિમાંશી શેલત, પ્રકાશક :  ગૂર્જર પ્રકાશન

૨  દર મહિનાની છઠ્ઠી અને બાવીસમીએ પ્રકાશતાં ‘અનસૂયા’ના ૨૨ માર્ચ, ૨૦૨૨ના આ વિશેષાંકનો પ્રવેશ : “લોકસભામાં ખરડો મુકાયો છે કે લગ્ન માટે દીકરીઓની ઉંમર ૧૮ વર્ષ છે તે વધારી ૨૧ હોવી જરૂરી છે. આ વિશે અસંગઠિત શ્રમિકબહેનો શું વિચારે છે તેના ઉપર ‘અનસૂયા’નો આ અંક છે. સમાજનું કલેવર બદલાતું જાય છે તે વાત તો એકે-એક લેખમાંથી બહાર આવે છે. તેમ જ આ શ્રમજીવીઓ જે પીડાવેદનામાંથી પસાર થયા છે તે દેખાય છે. આ સમગ્ર ચર્ચા બેધારી તલવાર છે. … સહેલું નથી. … જેના ઉપરથી આ વખતનું ‘અનસૂયા’ બંધાયું છે.” કહેવાની જરૂર ન હોય કે આર્થિક સ્વાશ્રયના મારગે આગળ વધતાં ‘સેવા’ની મજલ બહેનોના સામાજિક શિક્ષણ-અભિવ્યક્તિથી લઈને અન્ય પણ ઘણી દિશાઓમાં આગળ વધી ચૂકી છે.

૩  પ્ર. ગૂજરાત વિદ્યાપીઠમાં ઇલાબહેનના કુલપતિ તરીકેના પ્રવેશ પછી કઈ એવી બાબતો છે જે આપને આ પ્રસંગે ઉલ્લેખવી ગમે?

ઉ. રાજેન્દ્ર ખીમાણી (કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ) : એક બહુ મહત્ત્વનું કામ જે ઇલાબહેને કર્યું એ—આમ જોવા જઈએ તો નારાયણભાઈએ શિક્ષકોના ઓરિએન્ટેશન[અભિમુખતા]નો કાર્યક્રમ કર્યો. બધા શિક્ષકોની અમે લગભગ બે બે શિબિરો કરી.—એમના મનમાં ચાલ્યા કરતું હતું કે મારે વિદ્યાર્થીઓ સાથે બેસવું છે. પછી વિદ્યાર્થીઓ સાથે એમની બેઠકો થઈ એમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓને સમજવાની એમણે કોશિશ કરી, કે આ વિદ્યાર્થીઓને તેઓ જે સમાજમાં છે, રહે છે, એમાં શું મુશ્કેલીઓ લાગે છે. એમાં જે તારણ આવ્યું તે આપણને ચોંકાવનારું લાગે કે ભાઈઓને બહેનો કરતાં વધારે તકલીફો છે. બહેનો શું છે કે રડી લે, કોઈને કહી શકે … આ રીતે એનામાં જે કંઈ પડેલું હોય તે નીકળી જાય. જ્યારે ભાઈઓમાં અહમ્‌-ને કારણે એ ભાર નીકળતો નથી, એ એમણે ઓબ્ઝર્વ કર્યું. પછી તો એ અમને કાયમ કહેતા હોય છે કે ‘બિચારા ભાઈઓ’ છે આ બધા. તે એકલતા અનુભવીને પીડાય છે.

એમનું આ તારણ બહુ અગત્યનો મુદ્દો છે મારી દૃષ્ટિએ. ૧૫-૨૦—૧૫-૨૦ વિદ્યાર્થીઓના ગ્રૂપ સાથે એમણે આવી ગોષ્ઠિ કરી. ૨૦૦થી ૨૫૦ વિદ્યાર્થીઓ સાથે એ આ રીતે બેઠા હશે. અને આવી કુલ ૧૫થી ૨૦ બેઠકો થઈ હશે. એનો ચોક્કસ આંકડો પણ છે, આપણી પાસે. જોઈએ તો એ કાઢી શકાય.

હવે આ ‘ગોષ્ઠિ’ કે ‘સંવાદ’નો ઉપક્રમ એવો રાખતા કે પહેલાં એ પોતે વાત કરે. દા.ત. મને ગુસ્સે ક્યારે આવે. એમ પહેલાં પોતે કહે અને પછી વિદ્યાર્થીઓને પૂછે કે “તમને ગુસ્સો ક્યારે આવે?” વાર્તાલાપનો દોર આ રીતે શરૂ કરે ને પછી નાના નાના પેટાપ્રશ્નો નીકળે અને એમાંથી એ વધુ જાણવા પ્રયત્ન કરે. મુખ્યત્વે, એમનો ઉદ્દેશ એ હતો કે આજના યુવાન-યુવતીઓને મારે સમજવાં છે. આ ખરેખર, બહુ મોટી વાત છે. આજે આપણે કોઈને સમજવાનો પ્રયત્ન કરતાં નથી. આપણે આપણી જ શિખામણો આપ્યા કરીએ છીએ કે તમારે આમ કરવું જોઈએ ને તમારે તેમ કરવું જોઈએ. (હાસ્ય …)

પ્ર. આ જે તારણો નીકળ્યાં કે ભાઈઓ તકલીફમાં વધારે છે, તો એ કયા કારણથી અને કેવી તકલીફ; એમાં – ૧, ૨, ૩… આ બાબતો, એવું કંઈ ખરું અથવા જે તારણો સામે આવ્યાં, એના આધારે વિદ્યાપીઠે આગળ પ્રવૃત્તિ-પગલાં હાથ ધર્યાં હોય એવું કંઈ …

ઉ. એવી કામગીરી હાથ ધરી શકાય એવું હજુ અમારી પાસે હજુ કંઈ આવ્યું નથી, પણ હવે આવશે. આ તો એમની સાથે જે મૌખિક વાતો થઈ એ કહું છું. હવે બહેન ઇચ્છશે અને જ્યારે કહેશે ત્યારે કરીશું.

આ એક મુદ્દો મને જે લાગ્યો તે કહેવા જેવો. બાકી તો, એમની વાતો જે મુક્ત રીતે બધાના વિચારોને જાણવાની હોય છે ને એ રીતે કરતા હોય છે તે તો છે જ.

૪  આ અંગે ઇલાબહેનનું વાચન-સંશોધન-અનુભવ આધારિત પુસ્તક Anubandh: Building Hundred Mile Communities પ્રકાશિત થયું છે. ગુજરાતીમાં તે ‘અનુબંધઃ સો માઇલનો સંબંધ’ (અનુવાદક : રક્ષા મ. વ્યાસ, પ્રકાશક : નવજીવન, ૨૦૧૭) નામે ઉપલબ્ધ છે.

૫  આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ “ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અર્પણ” કરાયો છે. તેમાંનું એક વાક્ય : “તમો ગાંધીજીના આદર્શો મુજબ દેશના નવઘડતર સારુ, શિક્ષણ મારફત ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર તરીકે તૈયાર થઈ રહ્યા છો. તમારા જીવનઘડતરમાં આ પુસ્તક પૂરક બનો.”

૬  “જેઓ એક જ અખિલ ભારતીય ભાષા ચાહે છે તેમણે સૌએ આજે હિંદી અને ઉર્દૂ શીખી લેવી જોઈએ. જેઓ તેમ કરશે તેઓ આપણને એક સામાન્ય (રાષ્ટ્ર) ભાષા આપશે. આમ પ્રજા જે શૈલી વધારે સમજી શકતી હશે અને જે વધારે લોકપ્રિય બનશે તે જ અખિલ ભારતીય બાષા બનશે – પછી ભલે તેનું રૂપ હિંદુ હોય કે મુસ્લિમ હોય. … આજે તો અંગ્રેજી ભાષા, ભણેલાઓની વચ્ચેના પરસ્પરના વ્યવહારનું લગભગ વાહન બનેલી છે અને તેને પરિણામે તેમની અને પ્રજા વચ્ચે મોટું અંતર પડી ગયું છે. જો હિંદુસ્તાની પ્રજાનો સૌથી મોટો ભાગ જે ભાષા બોલે છે તેને જ બનાવીએ તો જ આ દુઃખદ પરિણામ ટાળી શકાય. આથી હિંદી અને ઉર્દૂ વચ્ચે લડાઈ નથી, પણ એક બાજુ તે બે અને બીજી બાજુ અંગ્રેજી વચ્ચે છે. … હું એક એવી સંસ્થા કાઢવા ઇચ્છું ખરો કે જે સભ્યો હિંદી અને ઉર્દૂ બન્નેની શૈલીઓ અને લિપિઓની હિમાયત કરે અને તે ઉદ્દેશથી પ્રચાર કરે અને આશા રાખે કે છેવટે એ બન્નેમાંથી એક જ સ્વાભાવિક રૂપ ધરાવનારી હિંદુસ્તાની નામની આંતરપ્રાંતીય ભાષા નિર્માણ થશે. પછી હિંદુસ્તાનીને હિંદી અને ઉર્દૂ સાથેનો સંબંધ હિંદી ઉર્દૂ = હિંદુસ્તાની નહિ દર્શાવાય, પણ હિંદુસ્તાની = હિંદી = ઉર્દૂ દર્શાવાશે.”

(હરિજનબંધુ, ૮ ફેબ્રુઆરી, ૧૯૪૨)

૭  આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મજૂર આગેવાન. આચાર્ય કૃપાલાનીના કહેવાથી મજૂર-ચળવળમાં જોડાયા હતા. મજૂરોને પઠાણી વ્યાજ અને દારૂની ચુંગાલમાંથી છોડાવવાનું કાર્ય તેમની રાહબરી હેઠળ ચાલ્યું હતું. મજૂરોનાં આંદોલન ગાંધીચિંધ્યા માર્ગેથી ચલિત ન થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખતા. મજૂરો માફક દરે ધિરાણ મેળવી શકે તે માટે મજૂર સહકારી બૅન્કની સ્થાપના કરી હતી. વસાવડાના પ્રયત્નોથી જ બોનસ કમિશનની રચના થઈ હતી અને ખોટ કરતી મિલોએ પણ મજૂરોને ૪ ટકા બોનસ તો આપવું જ જોઈએ એ મતલબનો ચુકાદો આવ્યો હતો. (સંદર્ભ : અધિકરણ : વસાવડા, શ્યામપ્રસાદ – ભારતી ઠાકર, વિશ્વકોશ)

૮  અગ્રણી કાઁગ્રેસી નેતા, કટોકટીનો વિરોધ કરનાર કાઁગ્રેસી નેતાઓમાંના એક, મોરારજી દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં મજૂર અને સંસદીય કાર્યમંત્રી, ગાંધી પીસ ફાઉન્ડેશનના અધ્યક્ષ (૧૯૮૯-૨૦૦૬) અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (૨૦૦૩-૨૦૦૬).

E-mail: ketanrupera@gmail.com

સૌજન્ય : પહેલો ભાગ − “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 08-10; બીજો ભાગ − “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 08-10

Loading

...102030...1,3911,3921,3931,394...1,4001,4101,420...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved