Opinion Magazine
Number of visits: 9458710
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાર ભારતીયો ફોટોગ્રાફરને પુલિત્ઝર સન્માન : ક્લિકથી બયાન થતી કોરોનાકાળની વ્યથા …

કિરણ કાપુરે|Opinion - Opinion|17 May 2022

દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું પુલિત્ઝર સન્માન આ વખતે ભારતના ચાર ફોટોગ્રાફરોને મળ્યું છે. પુલિત્ઝર પ્રતિષ્ઠિત સન્માન છે અને ફોટોજર્નાલિઝમ ક્ષેત્રે આ સન્માન મૂઠી ઊંચેરું છે. તેમાં એક નામ ગુજરાતના અમિત દવેનું પણ છે. અન્ય ત્રણ ફોટોગ્રાફરોમાં દાનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને સન્ના અર્શાદ મટ્ટૂ છે. વિશ્વભરમાં થતી ન્યૂઝ ફોટોગ્રાફીની સ્પર્ધામાં ભારતીય ફોટોગ્રાફરોની પસંદગી થાય તે આનંદની વાત છે. આ ચારે ય ફોટોગ્રાફરોને ફિચર કેટેગરીમાં સન્માન મળ્યું છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન દેશમાં સર્જાયેલી કટોકટીને તસવીરમાં કેદ કરી છે અને તે તસવીરો આજે પણ મહામારીનો ખોફ દર્શાવે છે.

પુલિત્ઝર સન્માન પત્રકારત્વ ક્ષેત્ર ઉપરાંત સંગીત અને જુદીજુદી લેખન કેટેગરીમાં પણ આપવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી આ સન્માન વિશ્વભરની પ્રતિભાને સન્માને છે અને તે પણ કોઈ વિવાદ વિના. પુલિત્ઝર સન્માનને લઈને એક સદી જેટલા સમયમાં વિવાદોની સંખ્યા નજીવી રહી છે. આજે પણ આ સન્માનની શાખ અકબંધ છે. જે ભારતીય ફોટોગ્રાફરોને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે તે તમામ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ માટે કાર્યરત છે. તેમાંથી દાનિશ સિદ્દીકી આજે હયાત નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈ, 2021માં ફોટોગ્રાફી કરતી વખતે જ તેમનું અવસાન થયું. અફઘાન સુરક્ષા બળ અને તાલિબાનો વચ્ચે આમને સામને ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યારે દાનિશને એકથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. વિદાય લેતાં પહેલાં 38 વર્ષીય દાનિશ સિદ્દીકી વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ફોટોગ્રાફી કરી છે.

કોવિડ દરમિયાન આ ચારે ય ફોટોગ્રાફરોએ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ અર્થે ઉમદા કામ કર્યું અને તેમની 14 ફોટોની સિરીઝની સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. આ ફોટોગ્રાફમાંથી એક છે નવી દિલ્હીની પ્રણવ મિશ્રા નામના યુવકની સ્મશાનમાં લેવાયેલી તસવીર. 19 વર્ષીય પ્રણવની માતા મમતા મિશ્રાનું કોવિડના કારણે અવસાન થયું છે. તેમાં પ્રણવ તેની માતાને અગ્નિદાહ આપતી વેળાએ ઘૂંટણીયે પડીને રડી રહ્યો છે. આ તસવીર કોવિડ દરમિયાન સ્વજનો ગુમાવવાની વ્યથાને બયાન કરે છે અને સાથે સાથે ભારતમાં કોવિડની સ્થિતિને પણ. પ્રણવ જ્યાં પોતાની માતાને અગ્નિદાહ આપવા આવ્યો છે તેની આસપાસ પણ અનેક અગ્નિદાહ અપાયાનું ચિત્ર દેખા દે છે. આ તસવીર દાનિશે લીધી છે.

આ સિરીઝની બીજી એક તસવીર નવી દિલ્હીની છે. તે પણ સ્મશાનની તસવીર છે. અદનાન આબિદીએ આ તસવીર લીધી છે. અદનાન મૂળ દિલ્હીના છે, પણ તેમણે રોઇટર્સ વતી નેપાળ ભૂકંપ, ભારતીય વિમાનનું કંદહાર અપહરણ, 2004ની સુનામી અને કાશ્મીર ભૂકંપમાં નોંધનીય કામ કર્યું છે. અદનાને કોરાના દરમિયાન પણ આપણી આસપાસ પ્રસરેલા ડર અને મજબૂરીને પોતાના તસવીરમાં કેદ કરી છે. દિલ્હીના સ્મશાનની આ તસવીરમાં કોવિડથી મૃત્યુ પામેલી એક વ્યક્તિનો અગ્નિસંસ્કાર અર્થે મૃતદેહ છે. આ મૃતદેહની આસપાસ કોઈ નજર આવી રહ્યું નથી. બસ, તેની પાછળ સ્મશાનમાં પ્રગટી રહેલી ચિતાઓ દેખાય છે. આબિદના આ ફોટો જોઈને આપણે અનુભવેલી કોરોનાની કરુણાંતિકા સ્મૃતિમાં દસ્તક દે છે.

કોરોના દરમિયાન દેશભરમાં મૃતદેહનો જે રીતે અગ્નિસંસ્કાર થઈ રહ્યો હતો અને સામે મૃત્યુના આંકડા આવી રહ્યા હતા તેને લઈને ખૂબ વિવાદ થયો. સ્મશાનોની આગ ઠરતી નહોતી અને સંખ્યામાં તે પ્રમાણ દેખાતું નહોતું. આ વિવાદોનો જવાબ દાનિશ સિદ્દીકીને નવી દિલ્હીમાં ખેંચેલી એક તસવીર બયાન કરે છે. દિલ્હીના રહેણાંક વિસ્તારની વચ્ચે સ્મશાન છે અને તેમાં એક સાથે અનેક મૃતદેહને અગ્નિદાહ અપાયો છે. આ તસવીર દાનિશે એરિઅલ વ્યૂથી લીધી છે એટલે કેટલી મોટી સંખ્યામાં મૃતદેહ છે તેનો અંદાજ આવી શકે. સરકારના આંકડાઓની પોલ આ રીતે એક તસવીરથી જ ખૂલી જાય છે. જો કે હવે તો ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને’ પણ કહ્યું છે કે ભારતે કોરોના દરમિયાન દાખવેલો મૃત્યુઆંક વાસ્તવિકતાથી ઘણો ઓછો છે.

આ સિરીઝમાં ઘણાં ખરાં ફોટોગ્રાફ નવી દિલ્હીના છે. એક બીજો ફોટો અદનાન આબિદનો છે તેમાં બે સ્વયંસેવકો કોરોનાગ્રસ્ત મૃત્યુ પામનારને અગ્નિદાહ આપ્યા પછી તેમના અસ્થિ એકઠા કરી રહ્યા છે. અહીંયા પણ ફોટોગ્રાફર એ નિર્દેશ કરી રહ્યા છે કે રોજના કેટલાં બધાં અગ્નિદાહ અપાતાં હશે જ્યારે ત્યાં અસ્થિઓને એકઠી કરવા અર્થે સ્વયંસેવકોની જરૂર પડી! દાનિશનો એક ફોટો આ રીતે કોરોનાથી થયેલાં મૃત્યુના અસ્થિઓને ખાનામાં મૂકવામાં આવી હતી તેનો છે. આ અસ્થિઓની પાછળ નંબર દેખાય છે અને લોકડાઉનના કારણે તે અસ્થિઓને નદીઓમાં વહાવાની પ્રક્રિયા બાકી રહી ગઈ છે. પરિવારજનો અસ્થિ લેવા ન આવ્યા હોવાથી તેને આ રીતે સ્મશાનમાં સુરક્ષિત રાખવામાં આવી છે. હિંદુ ધર્મમાં અસ્થિઓને નદીમાં વહાવવાની પ્રથા મહત્ત્વની છે, તે માટે સગાંવહાલાંઓ દિવસો આપે છે, પણ લોકડાઉન દરમિયાન આ અસ્થિઓ મહિનાઓ સુધી આમ જ રહી.

આ સિરીઝનો એક ફોટો નાગા સાધુઓનો છે. આ ફોટો દાનિશ સાદિકીએ એપ્રિલ, 2021માં હરિદ્વારમાં યોજાયેલાં કુંભમેળામાં લીધો છે. એક સાધુએ તેમાં માસ્ક પહેર્યું છે પણ તેમની વચ્ચે કોઈ સોશિયલ ડિસ્ટસિંગ નથી. આ બધા સાધુઓ મળીને ગંગામાં શાહી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફોટો લેવામાં આવ્યો ત્યારે દેશભરમાં કોવિડની લહેર પિક પર હતી. લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હતા અને મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો હતો. પરંતુ હરિદ્વારમાં કોઈ ઝાઝા નિયમ વિના ટોળાં એકઠાં થયાં હતાં. આ ટોળાંમાં નાગા સાધુઓ મોખરે હતા.

દેશના ગામડાંમાં કોવિડથી શું સ્થિતિ નિર્માણ પામી હતી તેનું બયાન અદનાન આબિદીની ઉત્તર પ્રદેશની એક તસવીર કરે છે. ઉત્તર પ્રદેશના પરસોઅલ ગામની આ તસવીર છે, જ્યાં એક વ્યક્તિ કોવિડગ્રસ્ત તેની પત્નીની સાથે છે. પત્નીની સારવાર ગામમાં જ ખાટલો પાથરીને થઈ રહી છે અને તે સારવારમાં તેમને બોટલ દ્વારા લિક્વિડ સાથે દવા આપવામાં આવી રહી છે. કોવિડનો ઇલાજ કેટલાંક ઠેકાણે કેવી રીતે થતો હતો તે માટે આ તસવીર નમૂનારૂપે મૂકી શકાય.

પુલિત્ઝર સન્માનમાં અદનાન આબિદી અને સિદ્દીકી સાથે કાશ્મીરની એક મહિલા ફોટોગ્રાફર સન્ના ઇરશાદ મટ્ટૂનું નામ પણ છે. સન્નાની એક તસવીર રસીકરણ કાર્યક્રમની છે. આ કાર્યક્રમ કાશ્મીરની ઘાટીઓમાં કેવી રીતે થયો તે બયાન કરે છે, જેમાં પાછળ દુર્ગમ પહાડીઓ વચ્ચે પણ હેલ્થકેર વર્કર્સ રસીકરણ કરી છે. આ રીતે કોવિડમાં તાવનાં લક્ષણો તપાસવા અર્થે ‘ગનકલ્ચર’ વિકસ્યું હતું. જ્યાં જઈએ ત્યાં તમારાં કપાળ કે હાથ પર ગન મૂકી દેવામાં આવે. અમદાવાદની થોડે અંતરે આવેલા કવેઠા ગામમાં આવી રીતે જ હેલ્થકેર વર્કરે એક બહેનના કપાળે ગન મૂકી છે અને તે તસવીર અમિત દવેએ લીધી છે. આ તસવીરની ખૂબી તેની પાછળનું દૃશ્ય છે અને તેનાથી ઉપસતો કોરોનાકાળનો માહોલ છે. આ તસવીર કોવિડ મહામારીની લાક્ષણિકતાને ઝડપથી રૂબરૂ કરાવે છે. આ તસીવરે અમિત દવેને પુલિત્ઝરના સન્માન મેળવનારાંઓની ટીમમાં જગ્યા અપાવી.

કોરોનાનો કાળને હજુ ઝાઝો સમય નથી વીત્યો તેમ છતાં તે જાણે ભૂલાઈ ગયો છે. પરંતુ રોઇટર્સની આ ટીમે લીધેલી તસવીરો હજુ પણ ભયાવહ સમયને આપણી સમક્ષ લાવી મૂકી દે છે. સિદ્દીકીની એક તસવીર ગાઝિયાબાદની છે. ગાઝિયાબાદમાં ગુરુદ્વારાની પાર્કિંગની એ તસવીર છે અને તેમાં મનોજકુમાર નામના એક ભાઈ તેમની માતાને કારમાં સૂવડાવીને તેમને રૂમાલથી હવા નાંખી રહ્યા છે. મનોજકુમારના માતાનો ઓક્સિજન ઘટી રહ્યો છે અને ગુરુદ્વારા તરફથી તેમના માટે કારમાં જ ઑક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કરુણ દૃશ્ય દેશના શહેરેશહેરે જોવા મળ્યા હતા. અનેક લોકોએ તેમાં વિદાય લીધી અને હવે તે પૂરો સમય પણ જાણે ભૂલાઈ ગયો.

2020માં પણ ત્રણ ભારતીય ફોટોગ્રાફરોને પુલિત્ઝર સન્માન મળ્યું હતું. એસોશિયેટેટ પ્રેસના દાર યાસિન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદે કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ ત્યાંના કોમ્યુનિકેશન બ્લેકઆઉટને તસવીરમાં ઉતારી હતી. કેમેરાની એક ક્લિક જે-તે સમયની પૂરી પરિસ્થિતિ આપણી સમક્ષ લાવી મૂકી છે. આજે મોબાઈલથી તસવીર લેવી સામાન્ય થઈ ચૂક્યું છે તેમ છતાં હજુ પણ વ્યવસાયી ધોરણે થતી ન્યૂઝ ફોટોગ્રાફીનો યુગ આથમ્યો નથી.

e.mail : kirankapure@gmail.com

Loading

ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં આનંદ પટવર્ધનને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત …

કિરણ કાપુરે|Opinion - Opinion|17 May 2022

ફિલ્મોમાં એક પ્રવાહ ડોક્યુમેન્ટરી ફિલ્મોનો છે. આ ફિલ્મોનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થાય છે અને જુદી-જુદી કેટેગરીમાં તેમાં એવોર્ડ્સ આપવામાં આવે છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હોટ ડોક્સ કેનેડીઅન ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલ’ ખાસ્સો જાણીતો છે અને નોર્થ અમેરિકાનો તે સૌથી મોટો ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ છે. આ વર્ષે હોટ ડોક્સ ફેસ્ટિવલમાં આપણા દેશના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં મોખરાનું નામ ધરાવતાં આનંદ પટવર્ધનને સન્માનવામાં આવશે. તેઓને ‘આઉટસ્ટેડિંગ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત થશે. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં તેમની ચાર ફિલ્મોનું સ્ક્રિનિંગ પણ થશે.

આનંદ પટવર્ધનની ડોક્યુમેન્ટરી ફિલ્મની યાદી લાંબી છે પણ તેમાંથી કેટલીક પસંદીદા ફિલ્મોનું નામ લેવું હોય તો તેમાં ‘બોમ્બે : હમારા શહેર’, ‘રામ કે નામ’, ‘ફાધર, સન એન્ડ હોલીવોર’, ‘અ નર્મદા ડાયરી’, ‘વૉર એન્ડ પીસ’ અને ‘જય ભીમ કોમરેડ’ જેવી ફિલ્મો છે. તેમણે પોતાના કામનાં જોરે આંતરરાષ્ટ્રિય-રાષ્ટ્રિય સ્તરે ખૂબ નામના મેળવી છે અને એવોર્ડ્સ પણ એટલાં જ મેળવ્યા છે. આનંદ અત્યારે સિત્તેર વટાવી ચૂક્યા છે પણ હજુ ય તેમના તરફથી ફિલ્મો મળી રહી છે. છેલ્લે 2018માં તેમની ‘રીજન : વિવેક’ ફિલ્મે ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. આનંદ પટવર્ધનની આ કાર્યસફર વિશે હાલમાં ‘સ્ક્રોલ’ ન્યૂઝ પોર્ટલ દ્વારા વિસ્તૃત મુલાકાત થઈ છે. તેમના પાંચ દાયકાના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ વિશે તેમણે ઘણી રસપ્રદ વાતો કરી છે.

આનંદની ફિલ્મો આંખ ઉઘાડનારી રહી છે અને એટલે જ તેઓનો પ્રયાસ એ રહ્યો છે કે વધુ ને વધુ દર્શકો તેમની ફિલ્મ જુએ. આ સંદર્ભે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારા દૃષ્ટિકોણથી દર્શકો સહમત ન હોય તેમ છતાં તમે પબ્લિક સ્ક્રિનિંગ યોજો છો અને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરો છો. આ વિશે આનંદ કહે છે : “મારા ફિલ્મનિર્માણનો આરંભ આપણાં દેશમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તે દર્શાવવાનો, તેને દસ્તાવેજિત અને મૂલ્યાંકન કરવાનો છે. એટલે હું ઇચ્છું છું કે મારી ફિલ્મ વધુ દર્શકો જુએ ન કે માત્ર તે ફિલ્મ ફેસ્ટિવલ સુધી સિમિત રહે. જો તેમ ન થતું હોય તો ફિલ્મ નિર્માણ કરવાનો કોઈ અર્થ નથી. આ પૂરી પ્રક્રિયામાં ફિલ્મ દર્શાવવી અને દર્શકો સાથે તેની ચર્ચા કરવી અગત્યનો હિસ્સો છે. દરેક વખતે સ્ક્રિનિંગ કરવાનો એક વિશેષ ઉત્સાહ હોય છે. જુદાં જુદાં વર્ગોમાં ફિલ્મ દર્શાવવી તે તદ્દન વેગળો અનુભવ કરાવે છે. મને સંવાદ ગમે છે અને અમે સ્ક્રિનિંગ વખતે જ ચર્ચા કરીએ છીએ.”

આ પછી આનંદ તેમના ફિલ્મ સ્ક્રિનિંગ દરમિયાન થતાં હુમલા વિશે વાત કરે છે. આ માટે તેઓ જમણેરી વિચારધારા ધરાવનારાં અસમાજિક તત્ત્વોને જવાબદાર ઠેરવે છે. પરંતુ ઘણી વખત એવું ય બન્યું છે જે આનંદની ફિલ્મનો વિરોધ કરતાં હોય અને તેમની ફિલ્મ જોઈ હોય પછી તેઓ આનંદના દૃષ્ટિકોણથી સહમતી દર્શાવી હોય. આ અનુભવ ખુદ આનંદ ટાંકતાં કહે છે, “એકથી વધુ કારસેવક જેઓ બાબરી ધ્વંસમાં સામેલ રહ્યા હોય તેઓએ ‘રામ કે નામ’ ફિલ્મ જોઈને મારો સંપર્ક કર્યો છે અને તેમણે સ્વીકાર્યું છે કે દેશના હિત સંદર્ભે અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.” જો કે આ અનુભવોને આનંદ ઉત્સાહથી નથી ટાંકતા બલકે તેમનો ઉદ્દેશ જણાવતાં કહે છે : “આવું સામાન્ય રીતે થતું નથી. લોકો એક ફિલ્મ સ્ક્રિનિંગથી પોતાના વિચાર બદલતાં પણ નથી. અને મારી ફિલ્મનો એ ઉદ્દેશ પણ નથી કે લોકો આ રીતે પોતાના વિચાર બદલે. અમારો પ્રયાસ સંવાદ શરૂ કરવાનો છે. ઘણી વાર આ સંવાદ અપશબ્દો સુધી પણ પહોંચે છે. જો કે તેમ છતાં ય જો વાતાવરણમાં હળવાશ હોય તો તેમાંથી સારું પરિણામ નિપજી શકે.”

આનંદ પટવર્ધનની ફિલ્મોના વિષય મહદંશે દેશમાં બનતી મસમોટી ઘટનાઓ રહી છે. જેમ તેમણે 1974ના અરસામાં બિહાર આંદોલનને વિષય બનાવીને ‘ક્રાંતિ કે તરંગે’ બનાવી હતી. એ રીતે કટોકટી દરમિયાનની તેમની ફિલ્મ ‘ઝમીર કે બંદી’ હતી. મુંબઈ જેવાં મોટા શહેરોમાં ચાલી-છાપરાંમાં રહેતાં લોકોને અસ્તિત્વ ટકાવવાના કેવાં પ્રશ્નો હોય છે તેને લઈને તેમણે ‘બોમ્બે : હમારા શહેર’ નિર્માણ કરી. બાબરી ધ્વંસ પર તેમની ફિલ્મ ‘રામ કે નામ’ છે. એ જ રીતે નર્મદા આંદોલન આધારિત પણ તેમની ‘અ નર્મદા ડાયરી’ નામની ફિલ્મ છે.

આમ આનંદની ફિલ્મી સફર જોઈએ તો દેશની અતિ મહત્ત્વના અને સંવેદનશીલ વિષયો પર તેમણે ફિલ્મ નિર્માણ કરી છે. આ વિષયોની પસંદગી કરવા બદલ તેમની છબિ ‘એક્ટિવિસ્ટ’ તરીકેની ઘડાઈ છે. અને એટલે તેઓ પોતે તેમનાં વલણને કેવી રીતે જુએ છે તે વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું : “જે જોવું છું તેની જ પ્રતિક્રિયા હું આપું છું. હું સ્વકેન્દ્રિય ફિલ્મમેકર નથી. કોઈ પણ બાબત થિએરોટીકલી વિચારતો નથી અને પહેલાં હું તેને પ્રેક્ટિસમાં લાવું છું. હું સીધું કામ કરવામાં માનું છું અને થિયરી કહો કે અન્ય લેબલ તે પછી તેના પર લાગે છે. જે પ્રકારની ફિલ્મ મેં બનાવી છે તે સ્ક્રીપ્ટ પર આધારિત નથી. જે કોઈ ઘટના બને તે પહેલાં તે બનશે કે કેમ તે વિશે હું જાણતો નથી.” આ પૂરી પ્રક્રિયાને તેઓ ‘serendipity’થી વર્ણવે છે. આનો અર્થ છે કે કોઈ આકસ્મિક ઘટનાને અપ્રત્યક્ષ રીતે શોધવી. આવું તમે ક્યારે કરી શકો તે પણ આનંદ કહે છે : “તમને આ પ્રકારનું કન્ટેન્ટ ત્યારે જ મળે જ્યારે તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હો. જ્યારે ઘટના બનતી હોય ત્યારે ત્યાં હાજર હોવું તે તેની ચાવી છે.”

તેમની એક્ટિવિસ્ટ તરીકેની જે છબિ ઘડાઈ છે તે વિશે તેમનું કહેવું છે કે, “છેલ્લાં પચાસ વર્ષની કારકિર્દીમાં તેમને વેગવેગળા લેબલ લગાવવામાં આવ્યા છે. અગાઉ જ્યારે મારા રાજકીય વિચારથી લોકો સહમત નહોતા ત્યારે મારા માટે ‘પ્રોપાગેન્ડા’ આધારિત ફિલ્મમેકર એવું લેબલ લાગ્યું. જો કે હું તો હંમેશાં મારી રજૂ કરેલી વાત સંદર્ભે મહત્ત્વના આધાર મૂકતો આવ્યો છું.” પછી તેમની ફિલ્મોને ‘Agitprop’પણ કહેવામાં આવી. આ શબ્દ સોવિયત રશિયાના કાળમાં પોપ્યુલર મીડિયા માટે ઉપયોગમાં લેવામાં આવતો, જેમાં કોમ્યુનિઝમનો સંદેશ ફિલ્મ કે અન્ય મીડિયા દ્વારા પ્રસાર કરવાનો હેતુ હોય.

હાલના સમયમાં તેમની ફિલ્મોને નિબંધપ્રકારની ફિલ્મ તરીકે જોવાય છે. જે ખરેખર યોગ્ય છે. તે કેમ યોગ્ય છે તે વિશે આનંદ કહે છે : “હું એક વકીલ જેવો છું જે કોર્ટમાં પુરાવા સાથે મારી દલીલ મૂકું છું. અને મારી દલીલને હું વધુ વિસ્તૃત રીતે મૂકું છું. આનો ન્યાય મારા દર્શકો તોળે છે. તેઓ જ જણાવે છે કે મેં મારા પક્ષને યોગ્ય રીતે મૂક્યો છે કે નહીં.”

આનંદ પટવર્ધને કરેલું ગંજાવર કાર્ય દેશના ઇતિહાસ અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજવા અર્થે ખૂબ ઉપયોગી છે અને તેમણે આ બધું ડોક્યુમેન્ટરી સ્વરૂપે મૂક્યું છતાં તે રસપ્રદ છે. લાંબા પટાનું આ કાર્ય આનંદ કરી શક્યા તેની પાછળ તેમની શૈક્ષણિક યાત્રાની પણ ભૂમિકા છે. તેઓ પહેલાં તો એ સ્પષ્ટતા કરે છે કે તેઓ ફિલ્મમેકર બનવા અર્થે ભણ્યા નથી. તેમણે મુંબઈમાં એલ્ફિસ્ટન કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ મેળવ્યું તે પછી અમેરિકાની બ્રૅન્ડીસ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અમેરિકામાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે વિયેતનામ યુદ્ધનો વિરોધ જોરશોરથી થઈ રહ્યો હતો. તેમણે યુનિવર્સિટી પાસેથી કેમેરા મેળવ્યો અને તે ઘટનાઓ કેદ કરી. આ રીતે તેઓ ફિલ્મમેકિંગમાં સંકળાયા. ભારત પાછા આવીને તેમણે બિહાર આંદોલન અને કટોકટી પર ફિલ્મ નિર્માણ કરી. તે પછી 1979માં તેઓ ફરી વાર માસ્ટર્સ ઇન કોમ્યુનિકેશનની ડિગ્રી માટે કેનેડા ગયા. આ રીતે તેમની શિક્ષણની સફર રહી.

તેઓ આ કામ કરી શક્યા તેનું એક કારણ આપતાં આનંદ કહે છે : “હું નસીબદાર છું. હું એક સમૃદ્ધ પરિવારમાંથી આવું છું. મારે મારા અસ્તિત્વ ટકાવવા અર્થે પૈસા કમાવવાના નહોતા. મારા પરિવાર અને મિત્રોએ મને હંમેશાં મદદ કરી છે. જો કે તે પછીથી ફિલ્મનો ખર્ચ તેનાં વેચાણ અને લેક્ચર સ્ક્રિનિંગ ટુર્સથી નીકળતો ગયો.” અંતે તેઓ મુલાકાતમાં કહે છે : “હું છેલ્લાં 51 વર્ષથી ફિલ્મ નિર્માણ કરું છું, પરંતુ મારી ફિલ્મનો હિસ્સો ઘણો નાનો છે. ફિલ્મનિર્માણની દરેક પ્રક્રિયાને હું માણતો હોવા છતાં હું કંઈ આ ફરિયાદના સૂરમાં નથી કહેતો. બલકે તે સત્ય છે.”

e.mail : kirankapure@gmail.com

Loading

પંડિત શિવકુમાર શર્મા

નિલય ભાવસાર|Opinion - Opinion|16 May 2022

પદ્મભૂષણથી સન્માનિત સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માનું હૃદયરોગના હુમલાને કારણે તારીખ ૧૦ મે, ૨૦૨૨ના દિવસે નિધન થયું. તેઓ ૮૪ વર્ષના હતા. તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના દિવસે જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માએ ક્યારેક કહ્યું હતું કે સંતૂર દુનિયાનું એકમાત્ર એવું તારવાળું વાદ્ય છે જે આ કલમ વડે જ વગાડી શકાય છે.

અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં સંતૂરવાદક શિવકુમાર શર્મા હાજરી આપી ચૂક્યા છે. સપ્તકમાં શિવકુમાર શર્માનું સંગીત સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે તેવો દંભ કરતા શ્રોતાઓની પણ ભીડ જામતી હતી. આ લેખમાં એમના શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રથી અલગ ને ઓછા જાણીતા એવા ફિલ્મ ક્ષેત્રની સફરની વાત કરીશું. ૧૯૮૦ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે કે જેટલા તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં ‘સિલસિલા’ (૧૯૮૧), ‘ફાસલે’ (૧૯૮૫), ‘વિજય’ (૧૯૮૮), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧), ‘પરંપરા’ (૧૯૯૩), સાહિબાન (૧૯૯૩) ‘ડર’(૧૯૯૩)નો સમાવેશ થાય છે.

ખરેખર, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ વર્ષ ૧૯૬૫માં ‘જબ જબ ફૂલ ખીલે’થી ફિલ્મી ગીતો પર સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ઐતિહાસિક રીતે ફિલ્મ સંગીતમાં શિવકુમાર શર્માનું આગમન હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પહેલા થઈ ગયું હતું. શિવકુમાર શર્મા પાસે વર્ષ ૧૯૫૫માં વી. શાંતારામની હિન્દી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંતૂર વગાડનાર પહેલા સંગીતકાર તરીકેનું સન્માન છે. શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા ખૂબ સારા મિત્રો હતા અને તેમણે સાથે મળીને દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતના કૉન્સર્ટ કર્યા હતા. ઘણી ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું. તેમણે પોતપોતાનાં કૌશલ્યમાં પ્રાવિણ્ય હાંસલ કર્યું હતું. હરિપ્રસાદ ચૌરસિયાના જણાવ્યા મુજબ એમણે અને શિવકુમાર શર્માએ મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક સાથે ખૂબ સારો સમય પસાર કર્યો હતો. અમારી ઘણી સારી મિત્રતા હતી. કારણ કે હરિપ્રસાદ ચૌરસિયાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંગીતકાર બનવા માટે પોતાની નોકરી અને અલાહાબાદનું પોતાનું ઘર છોડ્યું હતું. જ્યારે, શિવકુમાર શર્માએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ જમ્મુમાં પોતાનું ઘર અને નોકરીનો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

ફિલ્મમેકર યશ ચોપરા તેમના મિત્ર હતા અને તેઓ બી.આર. ચોપરા સાથે કામ કરવાના સમયથી એક બીજાને જાણતા હતા. રાજકમલ સ્ટુડિયોમાં ‘વક્ત’ અને ‘હમરાઝ’ જેવી ફિલ્મોનાં ગીતોના રેકોર્ડિંગ દરમિયાન શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા, યશ ચોપરા સાથે ફ્રી ટાઈમમાં ચર્ચા કરતા હતા. યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું ત્યારે તેમણે ફિલ્મોના બૅકગ્રાઉન્ડ સંગીત માટે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો. જેમાં ફિલ્મ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’ના બેકગ્રાઉન્ડ સંગીતનો સમાવેશ થાય છે. પણ, જ્યારે યશ ચોપરાએ શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાના ‘Call of the Valley’ નામના આલબમનું સંગીત સાંભળ્યું ત્યારે તેમણે એવો નિર્ણય લીધો કે હવે મારી ફિલ્મોમાં સંગીત પણ શિવ-હરિ(શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડી આપશે.

સૂરજીત સિંહ લિખિત પુસ્તક ‘બાંસૂરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા’માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌ પ્રથમ ફિલ્મ ‘કાલા પથ્થર’ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેના કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે ‘સિલસિલા’ (૧૯૮૧) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવાં લોકપ્રિય કલાકાર હતાં. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. જાવેદ અખ્તરે આ ફિલ્મથી ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ તારીખ ૧ જુલાઈ, ૧૯૩૮ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાંક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.

શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો, કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. ‘સિલસિલા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. ‘સિલસિલા’ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઇચ્છતા હતા કે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે ‘સિલસિલા’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની ‘સિલસિલા’માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે ‘ફાસલે’, ‘વિજય’, ‘ચાંદની’, ‘લમ્હે’ અને ‘ડર’માં યાદગાર સંગીત આપ્યું. ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘ડર’માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ ૧૯૯૩માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.

Eamil : nbhavsarsafri@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 12 તેમ જ 15

Loading

...102030...1,3891,3901,3911,392...1,4001,4101,420...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved