Opinion Magazine
Number of visits: 9458776
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકવીસમી સદીમાં અસ્તિત્વ ટકાવવાના બોધપાઠ ….

કિરણ કાપુરે|Opinion - Opinion|18 May 2022

“અપ્રાસંગિક માહિતીના પૂરમાં ડૂબેલી આ દુનિયામાં સ્પષ્ટતા એક મોટી શક્તિ છે. કોઈ વ્યક્તિ મનુષ્યના ભવિષ્યની ચર્ચામાં ભાગ લઈ શકે છે, પણ તેની માટે સ્પષ્ટ દૃષ્ટિ રાખવી એ પડકાર છે. એવું હંમેશાં જોયું છે કે કોઈ ચર્ચા ચાલતી હોય ત્યારે આપણું ધ્યાન તે તરફ નથી હોતું, અથવા તો આપણે ચર્ચામાં મહત્ત્વનો પ્રશ્ન શો છે તે નથી જાણતા. તે વિશે જાતતપાસ કરવી તે વિલાસ-સમૃદ્ધિ સૌની પાસે હોતી નથી. કારણ કે તેનાથી જરૂરી કામો આપણી પાસે છે, જે આપણે કરવાં પડે છે. આપણે કામ પર જવાનું હોય છે. બાળકોનું પાલન પોષણ કરવાનું હોય છે અથવા તો આપણાં વૃદ્ધ મા-બાપની સારસંભાળ રાખવાની હોય છે. બદકિસ્મતે, ઇતિહાસ કોઈ જ છૂટ આપતું નથી. જો મનુષ્યના ભવિષ્યનો નિર્ણય તમારી ગેરહાજરીમાં થાય છે, તો તેનો અર્થ એ નથી કે તમે તેના પરિણામોથી બચી શકો છો. પછી ભલે તમે એવું કારણ ધરો કે તમે તમારાં બાળકોના પેટ ભરવા કે તેનું શરીર ઢાંકવા અર્થે ખૂબ વ્યસ્ત હતા. આ અન્યાયની વાત છે; પરંતુ કોણ કહે છે કે ઇતિહાસ ન્યાયપૂર્ણ હોય છે?”

જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.

યુવાલ નોઆહ હરારીએ અહીં કેટલાંક પ્રશ્નો આપણી સમક્ષ મૂક્યા છે કે, આપણી અંતરદૃષ્ટિ વર્તમાન ઘટનાઓ અને માનવ સમાજોની તત્કાલ મુશ્કેલીઓનો અર્થ સમજવામાં આપણી કેવી રીતે મદદ કરી શકે છે? આ સમયે ખરેખર શું થઈ રહ્યું છે? આપણે કંઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? આપણે બાળકોને શું શિખવાડવું જોઈએ? આ સવાલો અગત્યના છે, પણ સમયના વહેણમાં અત્યારે અટકીને વિચારવાનું જૂજ લોકો જ કરે છે. તે વિશે આગળ યુવાલ નોઆહ હરારી કહે છે કે, “નક્કી સાત અરબ લોકો પાસે સાત અરબ એજન્ડા છે. અને જેમ પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારવું એ એક દુર્લભ વિલાસિતા છે. મુંબઈના ચાલીછાપરાંમાં બે બાળકોનું પાલન કરી રહેલી તેમની એકલી માતાનું ધ્યાન આવનારાં જૂન મહિનામાં ભોજનની વ્યવસ્થા કરવામાં લાગેલું છે. ભૂમધ્ય દરિયાની વચ્ચે હોડીમાં સવાર શરણાર્થી જમીનના કોઈ ટુકડાની શોધમાં ક્ષિતિજમાં દૂરસુદૂર જોઈ રહ્યા છે. અને ક્ષમતાથી વધુ ભરાયેલાં લંડનની એક હોસ્પિટલમાં મૃત્યુ પામી રહેલી એક વ્યક્તિ એક વધુ શ્વાસ લેવા માટે પોતાની પાસેની બધી જ શક્તિ લગાવી રહી છે. આ બધાની વચ્ચે પૃથ્વી પર વધી રહેલું તાપમાન અથવા તો ઉદાર લોકશાહીના સંકટની સરખામણીએ ઘણી બધી તત્કાલની સમસ્યાઓ છે.”

યુવાલ હરારી એ બાબતે ખૂબ સ્પષ્ટ છે કે આ સમસ્યાઓનો ઉકેલ તે નહીં આપી શકે બલકે તે એમ કહે છે કે, “હું તેમની પાસેથી શિખવાની આશા રાખું છું.” મતલબ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે ટકે છે તેનું આશ્ચર્ય યુવાલને પણ છે. આ બધી ચર્ચાનો કેન્દ્રબિંદુ યુવાલ હરારીએ આલેખિત કરી આપ્યો છે કે, “આજની દુનિયામાં શું થઈ રહ્યું છે, અને આ ઘટનાઓનો ગર્ભિત અર્થ શો છે?” આ સંલગ્ન તેમણે કેટલાંક વર્તમાન પ્રશ્નોને સામે મૂક્યા છે જેમ કે, “ખોટાં સમાચારોની મહામારીથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ? ઉદાર લોકતંત્ર સંકટમાં કેમ છે? એ કંઈ સભ્યતા છે જેની હાલમાં બોલબાલા છે – પશ્ચિમી, ચીની, ઇસ્લામી? શું યુરોપ બહારથી આવનારાં લોકો માટે પોતાના દ્વારા ખુલ્લા રાખવા માંગે છે? આંતકવાદની સમસ્યાને આપણે કેવી રીતે ઉકેલીએ?”

આ બધા પ્રશ્નોનો ઠીકઠીક જવાબ યુવાલ હરારીએ મૂકી આપ્યો છે. તેઓના કથનક આપણી આસપાસ જે ચાલી રહ્યું છે તેનું પરિણામ આપણને દર્શાવી રહ્યા છે. એક સ્થાને તેઓ કહે છે : “વીસમી સદીના અંત વખતે એવું અનુભવ થઈ રહ્યો હતો કે, ફાસીવાદ, સામ્યવાદ અને ઉદારવાદની વચ્ચે વિચારધારાની લડાઈમાં અંતે ઉદારવાદે જબરજસ્ત જીત મેળવી છે. એવું લાગતું હતું કે, દુનિયાની લોકતાંત્રિક, રાજનીતિ, માનવધિકાર અને મુક્ત બજારમાં મૂડીવાદનો વિજય નિશ્ચિત છે. પરંતુ જેમ થતું આવ્યું છે હવે ઇતિહાસે એક વળાંક લીધો છે અને ફાસીવાદ તથા સામ્યવાદને ધ્વસ્ત કરનાર ઉદારવાદ હવે મુશ્કેલીમાં છે. તો આપણે કંઈ દિશામાં જઈ રહ્યા છે?”

આ પ્રશ્નને ઊંડાણથી સમજવાનો છે અને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં યુવાલ તે વિશે લખે છે : “ઉદારવાદ પોતાની વિશ્વસનીયતા એવી વખતે ખોઈ દીધી છે જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીની ક્રાંતિએ આપણી સામે સૌથી મોટા પડકારો ઊભા કર્યા છે. આ પ્રકારના પડકાર મનુષ્ય જીવન સામે ક્યારે ય આવ્યા નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીનું મિલન ઝડપથી અરબો મનુષ્યોના રોજગાર છીનવી લેશે અને સ્વતંત્રતા, સમાનતાને આપણાથી દૂર હડસેલી જશે. બિગ ડેટા એલ્ગોરિથમ એક એવી ડિજિટલ સરમુખત્યારશાહીની રચના કરી શકે છે, જેમાં તમામ શક્તિ નાનકડાં સમૃદ્ધ વર્ગ પાસે હશે. તે વેળાએ આ લોકો શોષણના નહીં, બલકે તેનાથી પણ ખરાબ બાબત અપ્રાંસગિકતાનો શિકાર બનશે.”

આ રીતે યુવાલ હરારીએ 21મી સદીના શિખમાં કામ, આઝાદી, સમાનતા, સમુદાય, સભ્યતા, રાષ્ટ્રવાદ, ધર્મ, આંતકવાદ, યુદ્ધ, ઈશ્વર, ધર્મનિરપેક્ષતા, ન્યાય, સત્ય અને શિક્ષણ જેવી ગંભીર બાબતો ઉમેરી છે. આ તમામ મુદ્દા એવા છે જેની સ્પષ્ટ સમજ આપણી સમક્ષ મૂકાતી નથી અને ખાસ તો એવું વાતાવરણ બનાવી રાખવામાં આવે છે કે બહુમતિ લોકો આ બધા જ મુદ્દા પર અટવાયેલાં રહે અને તેનાથી રાજકીય ઉદ્દેશ હાંસલ કરી શકાય.

આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.

e.mail : kirankapure@gmail.com

Loading

સપનાંનો સોદાગર

સુરેશ બી. જાની|Opinion - Opinion|17 May 2022

હા! ડો. ચેન્ના રાજુ સપનાંનો સોદાગર છે. જાતે તો સપનાં જુએ જ છે, પણ વહેંચે પણ છે. બન્ગલુરૂથી દિલ્હી જતી ફ્લાઈટમાં ચેન્ના સપનામાં ખોવાઈ ગયો છે. એ સપનાં શી રીતે શરૂ થયાં – તેની વારંવાર આવતી યાદ તેને અત્યારે પણ એટલી જ તાજી છે. એનાં સપનાંઓની શરૂઆત બન્ગલુરૂની નજીક આવેલા અરેહલ્લી ગામની નિશાળમાં મજૂરીનું કામ કરતાં થઈ હતી – ઉઘાડી આંખનાં સપનાં.

૧૯૭૦

એ માત્ર આઠ જ વર્ષનો હતો. નાનકડો ચેન્ના એના અત્યંત ગરીબ માબાપનું છેલ્લું અને બારમું સંતાન હતો. નિશાળના મેદાનમાં તે નીંદણ કામ કરી રહ્યો હતો. નીંદતાં નીંદતાં આકાશમાં ધીમી ગતિથી સરકી રહેલાં વાદળો વચ્ચે એને સપનું દેખાયું. એ મોટો થશે અને આ વાદળો વચ્ચેથી હમણાં જ પસાર થઈ ગયેલા વિમાન જેવા જ વિમાનમાં બેઠો હશે.

પણ અરે! નિશાળમાં જવાનો સમય થઈ ગયો હતો. હાથ ધોતાંકને એ તો દોડ્યો. અલબત્ત તેને ભણવાનું તો ગમતું જ હતું, પણ વધારે આકર્ષણ હતું – બાર વાગે ગરમ ગરમ ભાત અને સંભાર. ઘેર તો આવું સોડમદાર ભોજન ક્યાં મળવાનું હતું? એના વ્હાલા બાપુએ એટલે જ તો તેને નિશાળમાં ભરતી કરાવ્યો હતો ને? મોટાં અગિયાર ભાઈ બહેનોને આ સવાદ ક્યાં મળતા હતા? આખા દિવસની કમરતોડ મજૂરી પછી, એમાંના કોઈને તેની સાથે રમવા પણ ક્યાં સમય હતો? અહીં નિશાળમાં તો દોસ્તારો હારે કેવી મજા? નીંદણ કામમાંથી મળતી નાનકડી આવક પણ કેટલી કિમતી હતી? એમાંથી જ તો તેના અંગ્રેજી ટ્યુશનનો ખર્ચ નીકળતો હતો ને?

પણ … સંભારના સબડકા મારતાં મારતાં પણ એને ઉઘાડી આંખના સપનામાં તો ઓલ્યું વિમાન જ દેખાતું હતું.

આમ ને આમ છ વર્ષ નીકળી ગયા. દસમા ધોરણમાં હતો ત્યારે ચેન્નાની નિશાળમાં જાહેરાત થઈ કે, ‘ચૌદ માઈલ દૂર આવેલા વ્હાઈટ ફિલ્ડમાં સત્ય સાંઈબાબાના આશ્રમે  સ્થાપેલી ‘સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યુટ’માં ભારતના રાષ્ટ્ર પ્રમુખ બી.ડી. જટ્ટી નવી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવા આવવાના છે. ચેન્નાને આટલા મોટા મહાનુભાવને જોવા મન થઈ ગયું. પણ એટલે દૂર જવા માટેની બસ ટિકિટનાં ફદિયાં તો એની પાસે થોડાં જ હોય ?  ચેન્નાભાઈ તો બીજા એક દોસ્તની સાથે તેની સાઈકલ પર ડબલ સવારી ઉપડયા. થાકીને લોથ થઈ ત્યાં પહોંચ્યા, ત્યારે જટ્ટી સાહેબ તો વિદાય થઈ ગયા હતા.

પણ વિદ્યાર્થીઓને રહેવા માટે, સફેદ બાસ્તા જેવી ચાદર પાથરેલા પલંગ, ચકચકાટ ટેબલ-ખુરશી અને પંખા સાથેની આવી સગવડ હોય, તેનો તેના કોઈ સપનામાં સમાવેશ થયો ન હતો! તેના સપનાંનું વિમાન તો ખાલી ઊડતું પક્ષી જ હતું. એમાં મુસાફરને બેસવા માટે કેવી સીટ હોય તેનો અંદાજ઼ ઝૂંપડાવાસીને થોડો જ હોય? બન્ને મિત્રો અહોભાવથી આ સપન મહેલને અચંબાથી જોઈ રહ્યા.

એટલામાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી. રાઘવાચાર ત્યાં આવી પહોંચ્યા. બન્ને લઘર વઘર ગામડિયા કિશોરોને એમણે મમતાથી આવવાનું કારણ પુછ્યું. જ્યારે તેમને ખબર પડી કે, જટ્ટી સાહેબના દર્શન કરવા આ અબુધ કિશોરો આટલી બધી જહેમત ઊઠાવીને આવ્યા છે, ત્યારે એમની આંખમાં આંસું આવી ગયા. તેમણે બન્નેને આખી કોલેજ બતાવવાની વ્યવસ્થા કરી આપી.

કોલેજ જોયા બાદ પાછા વળતાં બન્ને મિત્રો રાઘવાચાર સાહેબનો આભાર માનવા એમની ઓફિસમાં ગયા. ત્યાં સાહેબે બન્નેને કોફી અને નાસ્તો કરાવ્યા. સાથે કહ્યું કે, દર રવિવારે સત્ય સાંઈબાબા આશ્રમમાં ગરીબ બાળકોની બે બેચ માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમણે કોઈક વાર સમય કાઢીને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. ઘેર પહોંચતાં રસ્તામાં ચેન્નાએ સંકલ્પ કર્યો, ”દર રવિવારે સવારે વહેલો ઊઠીને હું આશ્રમમાં જઈશ અને આ કાર્યક્રમમાં  સેવા આપીશ.”

એ ધોમધખતા વૈશાખી બપોરમાં, ચેન્ના એકલાની જ નહીં પણ, અરેહલ્લીનાં બાળકોની જિંદગી પણ બદલાઈ ગઈ.

બે વર્ષ માટે દર રવિવારે ૨૮ કિલોમિટરની  પદયાત્રા અને આશ્રમમાં સેવા એ ચેન્નાનો નિયમિત ક્રમ બની ગયો. ચેન્ના બારમા ધોરણમાં ઝળહળતી સફળતા સાથે ઉત્તીર્ણ થઈ ગયો. હવે તે અંગ્રેજી કડકડાટ બોલી શકતો હતો. ગણિતમાં તો સોમાંથી સો માર્ક લાવ્યો હતો. રાઘવાચાર સાહેબે ચેન્નાને કોલેજમાં દાખલ કરી દીધો.

પણ કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે? એક કારખાનામાં ફીટર તરીકે તેને નોકરી મળી ગઈ. ચેન્નાએ હરખથી નિમણૂંકનો એ કાગળ એના  જીગરી દોસ્તો પ્રવીણ અને નવીન રાજાને બતાવ્યો. બન્નેએ વાંચ્યા વિના જ એ કાગળ ફાડી નાંખ્યો અને કહ્યું, ‘તારા કોલેજ ખર્ચની વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી.’

બેન્કમાંથી લોન અને હંગામી કારકૂન તરીકે એક ખાનગી પેઢીમાં નોકરી મળી ગઈ. ચેન્ના સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યૂટમાં વિજ્ઞાનના અભ્યાસક્રમમાં જોડાઈ ગયો. રાઘવાચાર સાહેબની કૃપા અને તેણે બે વર્ષ કરેલી નિસ્વાર્થ સેવાના પ્રતાપે હોસ્ટેલમાં બહુ જ ઓછા દરથી રહેવાની સગવડ થઈ ગઈ હતી.

આવું જ સતત ઊડાણ અને ચેન્ના રાજુ ચાર વર્ષે ગોલ્ડ મેડલ સાથે વિજ્ઞાનનો સ્નાતક બની ગયો. આમ જ બીજી છલાંગ અને તે અન્ના યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે અનુસ્નાતક પણ બની ગયો. ચેન્નાની ફ્લાઈટ આટલેથી અટકે તેવી થોડી જ હતી? આવી જ એક ઓર છલાંગ અને આ સ્વપ્નદૃષ્ટાએ આઈ.આઈ.ટી. ચેન્નાઈમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી લીધી. હવે તે ડો. ચેન્ના રાજુ બની ગયો.  આઠ વર્ષની ઉમરથી વિમાનમાં બેસવાના જે સ્વપ્નાં તે જોતો હતો; તે વિમાનોની એરોડાયનેમિક ડિઝાઈનનો હવે તે નિષ્ણાત બની ગયો હતો.

૧૯૯૭

અને જુઓ તો ખરા – ચેન્નાને ક્યાં નોકરી મળી ? વિમાનમાં બેસવાનાં સપનાં જોતાં જોતાં એનાથી  હજારો ગણા ઊંચા કારકિર્દીના શિખર પર – દેશની વિમાનોની ડિઝાઈન અંગે સંશોધન કરતી સંસ્થા  National Aerospace Laboratories, Bangaloreમાં વૈજ્ઞાનિક તરીકે !

૨૦૦૦ની સાલમાં તેને કામ અંગે જર્મની પણ મોકલવામાં આવ્યો. આખું વિશ્વ ચેન્ના માટે ખુલ્લું થઈ ગયું. તે ધારત તો વિકસિત દેશોમાં તેના જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓને બહુ સહેલાઈથી મળી શકતી, વિકાસની તકો ઝડપી શક્યો હોત. પણ ચેન્નાનાં સપનાંએ હવે નવો આકાર ધારણ કરી લીધો હતો. પોતાનાં મૂળને ચેન્ના આટલી ઊંચાઈએ પહોંચ્યા છતાં ભુલ્યો ન હતો. અરેહલ્લીનાં ગરીબ બાળકોની સેવાનો સાદ તેનાં સપનાંઓમાં પડઘાતો રહ્યો, પડઘાતો જ રહ્યો.  ચેન્નાએ બીજો સંકલ્પ જર્મનીમાં કર્યો.

 એ ગરીબ બાળકોનો વિકાસ અને ઉત્થાન એ જ મારો ધર્મ અને એ જ મારા જીવનની ફલશ્રુતિ.

દેશ પાછા ફરીને, અરેહલ્લીમાં નવા અને નાનકડા પણ વ્યવસ્થિત મકાનની સામે આવેલા આંબલીના ઝાડ નીચે, તેણે પોતાના ફાજલ સમયમાં, આજુબાજુનાં ગરીબ બાળકોને તાલીમ અને પ્રેરણા આપવાનું શરૂ કર્યું. તેની જેમ જ ડો.ની પદવી પામેલા હમ્મેશના સાથીઓ પ્રવીણ અને નવીને આ યજ્ઞકાર્યમાં પણ સાથ આપવો ચાલુ રાખ્યો. દોઢ જ વર્ષ અને ગામની ફાજલ જમીનમાં લાકડાંની વળીઓ, નાળિયેરનાં પાનનાં છાપરાં અને છાણના લીંપણની ફર્શ વાળી,  એક નાનકડી શાળા શરૂ થઈ ગઈ. તેનું  નામ તેણે માતાના નામ પરથી ‘અંજના વિદ્યા કેન્દ્ર’ રાખ્યું. હવે તો આ શાળામાં ૮૦-૯૦ બાળકો ભણવા લાગ્યાં. આ માટે પોતાની બચતમાંથી ચેન્નાએ ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.

અગરબત્તીની સુવાસ ફેલાતાં કાંઈ વાર લાગે છે? મદદનો પ્રવાહ અસ્ખલિત વહેતો થઈ ગયો. વધારે ને વધારે બાળકો એમાં જોડાવા માટે આતૂર હતાં.

૨૦૦૧

ચેન્ના અને તેના મિત્રોએ સાથે મળી ‘બ્રાહ્મી શિક્ષણ અને સાંસ્કૃતિક ટ્રસ્ટની (Brahmi Educational and Cultural Trust) સ્થાપના કરી. બંગલુરૂથી ૪૦ કિલોમિટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં દેશપાન્ડે ગુટ્ટાહલ્લી ગામમાં દોઢ એકરના વિસ્તારમાં ‘અંજના વિદ્યાકેન્દ્ર’ કામ કરતું થઈ ગયું. બાજુની અઢી એકર જમીનમાં બાળકોના ભોજન અને દૂધની વ્યવસ્થા. આ માટે ઘણા બધા મિત્રો અને ખાસ તો તેની નોકરીની સંસ્થા ‘National Aeronautical Laboratory ( CSIR) તરફથી પણ સારી એવી રકમ અને પ્રોત્સાહન મળી શક્યાં.

શરૂઆતમાં પાંચ ધોરણ સુધી જ શિક્ષણ આપવાની સગવડ હતી, પણ હવે દસમા ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવે છે – કોઈ પણ જાતની ફી લીધા વિના. આજુબાજુનાં ૧૨ ગામડાંઓનાં બાળકો આ શાળાનો લાભ લે છે. ઘણાં માબાપ પણ વિના મૂલ્યે એમની સેવાઓ આપે છે. બાળકે મહિનામાં એક દિવસ શાળામાં સેવા આપવાની હોય છે. આમ શિક્ષણ સાથે સ્વાશ્રય અને સેવાના પાઠ પણ બાળક શીખતું રહે છે. અભ્યાસક્રમની સાથે યોગ, કસરત અને ધ્યાનની પણ તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શાળામાંથી ચાર બેચના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર પડ્યાં છે.

‘સપનાંના સોદાગર’ ચેન્નાની જેમ, એના જેવા બનવાનાં સપનાં હવે અંજના વિદ્યાકેન્દ્રનાં બાળકો સેવવા લાગ્યાં છે.

એક વીડિયો :  https://www.youtube.com/watch?v=ERm0Uwc6Sg8

સાભાર – ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’, ‘હિન્દુ’, ‘બેટર ઇન્ડિયા’.

સંદર્ભ –

http://epaper.timesofindia.com/Repository/ml.asp?Ref=VE9JQkcvMjAwOC8wOS8wNyNBcjAwNzAw&Mode=HTML&Locale=english-skin-custom

http://www.thebetterindia.com/25776/channa-raju-bengaluru-brahmi-anjana-vidya-kendra/

http://www.thehindu.com/news/national/karnataka/a-days-labour-is-one-months-fee-in-anjana-vidya-kendra/article5059418.ece

સ્કૂલનો બ્લોગ : https://anjanavidyakendra.wordpress.com/team-anjana/

બ્રાહ્મી ફાઉન્ડેશનની વેબ સાઈટ : http://brahmi.org/index.htm

e.mail : surpad2017@gmail.com

Loading

ચાર ભારતીયો ફોટોગ્રાફરને પુલિત્ઝર સન્માન : ક્લિકથી બયાન થતી કોરોનાકાળની વ્યથા …

કિરણ કાપુરે|Opinion - Opinion|17 May 2022

દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું પુલિત્ઝર સન્માન આ વખતે ભારતના ચાર ફોટોગ્રાફરોને મળ્યું છે. પુલિત્ઝર પ્રતિષ્ઠિત સન્માન છે અને ફોટોજર્નાલિઝમ ક્ષેત્રે આ સન્માન મૂઠી ઊંચેરું છે. તેમાં એક નામ ગુજરાતના અમિત દવેનું પણ છે. અન્ય ત્રણ ફોટોગ્રાફરોમાં દાનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને સન્ના અર્શાદ મટ્ટૂ છે. વિશ્વભરમાં થતી ન્યૂઝ ફોટોગ્રાફીની સ્પર્ધામાં ભારતીય ફોટોગ્રાફરોની પસંદગી થાય તે આનંદની વાત છે. આ ચારે ય ફોટોગ્રાફરોને ફિચર કેટેગરીમાં સન્માન મળ્યું છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન દેશમાં સર્જાયેલી કટોકટીને તસવીરમાં કેદ કરી છે અને તે તસવીરો આજે પણ મહામારીનો ખોફ દર્શાવે છે.

પુલિત્ઝર સન્માન પત્રકારત્વ ક્ષેત્ર ઉપરાંત સંગીત અને જુદીજુદી લેખન કેટેગરીમાં પણ આપવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી આ સન્માન વિશ્વભરની પ્રતિભાને સન્માને છે અને તે પણ કોઈ વિવાદ વિના. પુલિત્ઝર સન્માનને લઈને એક સદી જેટલા સમયમાં વિવાદોની સંખ્યા નજીવી રહી છે. આજે પણ આ સન્માનની શાખ અકબંધ છે. જે ભારતીય ફોટોગ્રાફરોને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે તે તમામ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ માટે કાર્યરત છે. તેમાંથી દાનિશ સિદ્દીકી આજે હયાત નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈ, 2021માં ફોટોગ્રાફી કરતી વખતે જ તેમનું અવસાન થયું. અફઘાન સુરક્ષા બળ અને તાલિબાનો વચ્ચે આમને સામને ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યારે દાનિશને એકથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. વિદાય લેતાં પહેલાં 38 વર્ષીય દાનિશ સિદ્દીકી વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ફોટોગ્રાફી કરી છે.

કોવિડ દરમિયાન આ ચારે ય ફોટોગ્રાફરોએ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ અર્થે ઉમદા કામ કર્યું અને તેમની 14 ફોટોની સિરીઝની સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. આ ફોટોગ્રાફમાંથી એક છે નવી દિલ્હીની પ્રણવ મિશ્રા નામના યુવકની સ્મશાનમાં લેવાયેલી તસવીર. 19 વર્ષીય પ્રણવની માતા મમતા મિશ્રાનું કોવિડના કારણે અવસાન થયું છે. તેમાં પ્રણવ તેની માતાને અગ્નિદાહ આપતી વેળાએ ઘૂંટણીયે પડીને રડી રહ્યો છે. આ તસવીર કોવિડ દરમિયાન સ્વજનો ગુમાવવાની વ્યથાને બયાન કરે છે અને સાથે સાથે ભારતમાં કોવિડની સ્થિતિને પણ. પ્રણવ જ્યાં પોતાની માતાને અગ્નિદાહ આપવા આવ્યો છે તેની આસપાસ પણ અનેક અગ્નિદાહ અપાયાનું ચિત્ર દેખા દે છે. આ તસવીર દાનિશે લીધી છે.

આ સિરીઝની બીજી એક તસવીર નવી દિલ્હીની છે. તે પણ સ્મશાનની તસવીર છે. અદનાન આબિદીએ આ તસવીર લીધી છે. અદનાન મૂળ દિલ્હીના છે, પણ તેમણે રોઇટર્સ વતી નેપાળ ભૂકંપ, ભારતીય વિમાનનું કંદહાર અપહરણ, 2004ની સુનામી અને કાશ્મીર ભૂકંપમાં નોંધનીય કામ કર્યું છે. અદનાને કોરાના દરમિયાન પણ આપણી આસપાસ પ્રસરેલા ડર અને મજબૂરીને પોતાના તસવીરમાં કેદ કરી છે. દિલ્હીના સ્મશાનની આ તસવીરમાં કોવિડથી મૃત્યુ પામેલી એક વ્યક્તિનો અગ્નિસંસ્કાર અર્થે મૃતદેહ છે. આ મૃતદેહની આસપાસ કોઈ નજર આવી રહ્યું નથી. બસ, તેની પાછળ સ્મશાનમાં પ્રગટી રહેલી ચિતાઓ દેખાય છે. આબિદના આ ફોટો જોઈને આપણે અનુભવેલી કોરોનાની કરુણાંતિકા સ્મૃતિમાં દસ્તક દે છે.

કોરોના દરમિયાન દેશભરમાં મૃતદેહનો જે રીતે અગ્નિસંસ્કાર થઈ રહ્યો હતો અને સામે મૃત્યુના આંકડા આવી રહ્યા હતા તેને લઈને ખૂબ વિવાદ થયો. સ્મશાનોની આગ ઠરતી નહોતી અને સંખ્યામાં તે પ્રમાણ દેખાતું નહોતું. આ વિવાદોનો જવાબ દાનિશ સિદ્દીકીને નવી દિલ્હીમાં ખેંચેલી એક તસવીર બયાન કરે છે. દિલ્હીના રહેણાંક વિસ્તારની વચ્ચે સ્મશાન છે અને તેમાં એક સાથે અનેક મૃતદેહને અગ્નિદાહ અપાયો છે. આ તસવીર દાનિશે એરિઅલ વ્યૂથી લીધી છે એટલે કેટલી મોટી સંખ્યામાં મૃતદેહ છે તેનો અંદાજ આવી શકે. સરકારના આંકડાઓની પોલ આ રીતે એક તસવીરથી જ ખૂલી જાય છે. જો કે હવે તો ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને’ પણ કહ્યું છે કે ભારતે કોરોના દરમિયાન દાખવેલો મૃત્યુઆંક વાસ્તવિકતાથી ઘણો ઓછો છે.

આ સિરીઝમાં ઘણાં ખરાં ફોટોગ્રાફ નવી દિલ્હીના છે. એક બીજો ફોટો અદનાન આબિદનો છે તેમાં બે સ્વયંસેવકો કોરોનાગ્રસ્ત મૃત્યુ પામનારને અગ્નિદાહ આપ્યા પછી તેમના અસ્થિ એકઠા કરી રહ્યા છે. અહીંયા પણ ફોટોગ્રાફર એ નિર્દેશ કરી રહ્યા છે કે રોજના કેટલાં બધાં અગ્નિદાહ અપાતાં હશે જ્યારે ત્યાં અસ્થિઓને એકઠી કરવા અર્થે સ્વયંસેવકોની જરૂર પડી! દાનિશનો એક ફોટો આ રીતે કોરોનાથી થયેલાં મૃત્યુના અસ્થિઓને ખાનામાં મૂકવામાં આવી હતી તેનો છે. આ અસ્થિઓની પાછળ નંબર દેખાય છે અને લોકડાઉનના કારણે તે અસ્થિઓને નદીઓમાં વહાવાની પ્રક્રિયા બાકી રહી ગઈ છે. પરિવારજનો અસ્થિ લેવા ન આવ્યા હોવાથી તેને આ રીતે સ્મશાનમાં સુરક્ષિત રાખવામાં આવી છે. હિંદુ ધર્મમાં અસ્થિઓને નદીમાં વહાવવાની પ્રથા મહત્ત્વની છે, તે માટે સગાંવહાલાંઓ દિવસો આપે છે, પણ લોકડાઉન દરમિયાન આ અસ્થિઓ મહિનાઓ સુધી આમ જ રહી.

આ સિરીઝનો એક ફોટો નાગા સાધુઓનો છે. આ ફોટો દાનિશ સાદિકીએ એપ્રિલ, 2021માં હરિદ્વારમાં યોજાયેલાં કુંભમેળામાં લીધો છે. એક સાધુએ તેમાં માસ્ક પહેર્યું છે પણ તેમની વચ્ચે કોઈ સોશિયલ ડિસ્ટસિંગ નથી. આ બધા સાધુઓ મળીને ગંગામાં શાહી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફોટો લેવામાં આવ્યો ત્યારે દેશભરમાં કોવિડની લહેર પિક પર હતી. લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હતા અને મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો હતો. પરંતુ હરિદ્વારમાં કોઈ ઝાઝા નિયમ વિના ટોળાં એકઠાં થયાં હતાં. આ ટોળાંમાં નાગા સાધુઓ મોખરે હતા.

દેશના ગામડાંમાં કોવિડથી શું સ્થિતિ નિર્માણ પામી હતી તેનું બયાન અદનાન આબિદીની ઉત્તર પ્રદેશની એક તસવીર કરે છે. ઉત્તર પ્રદેશના પરસોઅલ ગામની આ તસવીર છે, જ્યાં એક વ્યક્તિ કોવિડગ્રસ્ત તેની પત્નીની સાથે છે. પત્નીની સારવાર ગામમાં જ ખાટલો પાથરીને થઈ રહી છે અને તે સારવારમાં તેમને બોટલ દ્વારા લિક્વિડ સાથે દવા આપવામાં આવી રહી છે. કોવિડનો ઇલાજ કેટલાંક ઠેકાણે કેવી રીતે થતો હતો તે માટે આ તસવીર નમૂનારૂપે મૂકી શકાય.

પુલિત્ઝર સન્માનમાં અદનાન આબિદી અને સિદ્દીકી સાથે કાશ્મીરની એક મહિલા ફોટોગ્રાફર સન્ના ઇરશાદ મટ્ટૂનું નામ પણ છે. સન્નાની એક તસવીર રસીકરણ કાર્યક્રમની છે. આ કાર્યક્રમ કાશ્મીરની ઘાટીઓમાં કેવી રીતે થયો તે બયાન કરે છે, જેમાં પાછળ દુર્ગમ પહાડીઓ વચ્ચે પણ હેલ્થકેર વર્કર્સ રસીકરણ કરી છે. આ રીતે કોવિડમાં તાવનાં લક્ષણો તપાસવા અર્થે ‘ગનકલ્ચર’ વિકસ્યું હતું. જ્યાં જઈએ ત્યાં તમારાં કપાળ કે હાથ પર ગન મૂકી દેવામાં આવે. અમદાવાદની થોડે અંતરે આવેલા કવેઠા ગામમાં આવી રીતે જ હેલ્થકેર વર્કરે એક બહેનના કપાળે ગન મૂકી છે અને તે તસવીર અમિત દવેએ લીધી છે. આ તસવીરની ખૂબી તેની પાછળનું દૃશ્ય છે અને તેનાથી ઉપસતો કોરોનાકાળનો માહોલ છે. આ તસવીર કોવિડ મહામારીની લાક્ષણિકતાને ઝડપથી રૂબરૂ કરાવે છે. આ તસીવરે અમિત દવેને પુલિત્ઝરના સન્માન મેળવનારાંઓની ટીમમાં જગ્યા અપાવી.

કોરોનાનો કાળને હજુ ઝાઝો સમય નથી વીત્યો તેમ છતાં તે જાણે ભૂલાઈ ગયો છે. પરંતુ રોઇટર્સની આ ટીમે લીધેલી તસવીરો હજુ પણ ભયાવહ સમયને આપણી સમક્ષ લાવી મૂકી દે છે. સિદ્દીકીની એક તસવીર ગાઝિયાબાદની છે. ગાઝિયાબાદમાં ગુરુદ્વારાની પાર્કિંગની એ તસવીર છે અને તેમાં મનોજકુમાર નામના એક ભાઈ તેમની માતાને કારમાં સૂવડાવીને તેમને રૂમાલથી હવા નાંખી રહ્યા છે. મનોજકુમારના માતાનો ઓક્સિજન ઘટી રહ્યો છે અને ગુરુદ્વારા તરફથી તેમના માટે કારમાં જ ઑક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કરુણ દૃશ્ય દેશના શહેરેશહેરે જોવા મળ્યા હતા. અનેક લોકોએ તેમાં વિદાય લીધી અને હવે તે પૂરો સમય પણ જાણે ભૂલાઈ ગયો.

2020માં પણ ત્રણ ભારતીય ફોટોગ્રાફરોને પુલિત્ઝર સન્માન મળ્યું હતું. એસોશિયેટેટ પ્રેસના દાર યાસિન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદે કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ ત્યાંના કોમ્યુનિકેશન બ્લેકઆઉટને તસવીરમાં ઉતારી હતી. કેમેરાની એક ક્લિક જે-તે સમયની પૂરી પરિસ્થિતિ આપણી સમક્ષ લાવી મૂકી છે. આજે મોબાઈલથી તસવીર લેવી સામાન્ય થઈ ચૂક્યું છે તેમ છતાં હજુ પણ વ્યવસાયી ધોરણે થતી ન્યૂઝ ફોટોગ્રાફીનો યુગ આથમ્યો નથી.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,3881,3891,3901,391...1,4001,4101,420...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved