Opinion Magazine
Number of visits: 9670947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકમાં (૯) : લિટરરી કૅનન અને ગ્રાન્ડ નૅરેટિવ : 

સુમન શાહ|Opinion - Literature|18 September 2022

(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)

સાહિત્યના સર્વોત્તમ વાચકો મોટે ભાગે સાહિત્યકારો જ હોય છે. તેઓ સહૃદય હોય છે, તેઓએ ઉત્તમ કૃતિઓનું વાચન અને પરિશીલન કર્યું હોય છે. તેઓ ઊંચા અધિકારી દરજ્જાના વાચક ગણાય છે.

તેઓ વાંચીને બેસી નથી રહેતા. પોતાના વાચન વિશે પોતાના જેવા બીજા જોડે વાત કરે, બીજો પોતાના વાચન વિશે વાત કરે. ઘણી વાર તેઓ અન્યોનાં વાચનની પણ વાત કરતા હોય છે.

તેઓ વાત કરીને બેસી નથી રહેતા, સાહિત્યપદાર્થના આવિર્ભાવનું તન્ત્ર શોધી કાઢે છે. કયા તત્ત્વને કારણે રચના રસપ્રદ બની તેની ચર્ચા માંડે છે. તેવાં તત્ત્વોનાં વર્ગીકરણ કરે છે. ચર્ચામાંથી ધોરણો ઊભાં કરે છે. નિયમો બનાવે છે. નિયમોના આગ્રહો રાખે છે. પોતે બનાવેલા નિયમોની સાર્થકતા બતાવવા માટે કેટલુંક તેઓ જાતે પણ સરજી કાઢે છે -એવું સરજેલું ભલે કૃતક લાગે !

અને તેથી, ભવિષ્યમાં આવનારી કોઈપણ કૃતિ એમણે નક્કી કરેલાં ધોરણસરની કે નિયમસરની ન લાગે તો નાપાસ કરે છે. એમના મહાનુભાવી બહુમતને કારણે કેટલાક સર્જકોને ‘મહાકવિ’, ‘સદીના શ્રેષ્ઠ વાર્તાકાર’ ‘મહાન નવલકથાકાર’ જેવાં બિરુદ પ્રાપ્ત થાય છે.

કોઈ કોઈ બિચારા એમના દૃષ્ટિપાત માત્રથી ભૂમિસાત થઈ જાય છે.

આ સર્વોત્તમોમાંના કેટલાક સહૃદય તો હોય છે જ, પણ રચનાને રસપ્રદ બનાવનારા કોઈ એક મહત્ તત્ત્વનાં સ્વરૂપ અને કાર્યનો વિચારપૂર્વક નિર્ણય લે છે, મત બાંધે છે અને પછી તેને વળગી રહે છે.

સંસ્કૃત કાવ્યમીમાંસામાં એવા અનેક મત જોવા મળે છે, જેમ કે, અલંકાર. અલંકારને એ વિચારકે, રુય્યકે, ‘સર્વસ્વ’ ગણ્યો. જેમ કે, રીતિ. રીતિને એ વિચારકે, વામને, કાવ્યનો ‘આત્મા’ ગણ્યો. જેમ કે, વક્રોક્તિ. વક્રોક્તિને એ વિચારકે, કુન્તકે, રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણી. જેમ કે, રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ. એને એ વિચારકે, જગન્નાથે, ‘કાવ્ય’ ગણ્યો. વગેરે.

સર્વોત્તમ વાચકમાંથી તેઓની એક સ્વરૂપે ઉત્ક્રાન્તિ થાય છે – કોઇ ‘કાવ્યશાસ્ત્રી’ કહેવાય છે – કોઈ ‘ટીકાકાર’ કહેવાય છે – કોઈ ‘આચાર્ય’ – કોઈ ‘મહા વિવેચક’ – કોઈ ‘સાહિત્યજ્ઞ’ – કોઈ ‘સાહિત્યસમીક્ષક’.

આવાઓની જમાતને લિટરરી કૉમ્યુનિટી કહેવાય છે.

આવા ઉત્ક્રાન્ત જીવો નિયમો અને સિદ્ધાન્તોના તો આગ્રહી તો ખરા જ પણ તદુપરાન્ત પોતાની ભાષાની, દેશની તેમજ વિશ્વની ઉત્તમ કૃતિઓના વાચન-મનનના પણ આગ્રહી બની જાય છે. અવારનવાર તેઓ પોતાના આગ્રહોને દોહરાવતા હોય છે.

“આ ૫૦ કૃતિઓ તમારે મૃત્યુ પહેલાં વાંચવી અનિવાર્ય છે” એવી ધમકીભરી જાહેરાતો પણ કરતા હોય છે.

પરિણામે, ધીંગું સાહિત્યશાસ્ત્ર રચાય છે. આપણી પરમ્પરામાં ભરત મુનિનું “નાટ્યશાસ્ત્ર” અને પશ્ચિમમાં ઍરિસ્ટોટલનું “પોએટિક્સ” સાહિત્યશાસ્ત્રના મૂળાધારો ગણાય છે.

ચુસ્તતાથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે લિટરરી કૅનન રચાય છે – સર્વકાલીન સર્વોત્તમ કૃતિઓ, સામાન્ય નિયમો, સિદ્ધાન્તો, ધોરણો અને માપદણ્ડોનો સમવાય.

લિટરરી કૅનનનાં ચુસ્ત પાલનને પ્રતાપે આખી પરમ્પરા ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે. એને મૅટાનૅરેટિવ પણ કહેવાય છે. સાહિત્યની એ કેટલીયે બાબતો તર્કસંગત, સિદ્ધાન્તસંગત અને સ્વીકાર્ય લાગે એ પ્રકારનું લૅજિટિમેશન કરી આપે છે, અને એ પોતે તો સૅલ્ફલૅજિટિમેટેડ હોય છે !

ઉદાહરણ તરીકે, ફૂટપટ્ટી કોઈપણ વસ્તુનું માપ કાઢી આપે છે, અને તે માપ હમેશાં સર્વસ્વીકાર્ય હોય છે. મોનિયર વિલિયમ્સ લૅજિટિમેશનને ‘ઔરસસમીકરણમ્’ કહે છે. સાદું એટલું સમજવાનું છે કે વસ્તુઓ કાયદેસરની છે એમ મહોર મારીને બધું જડબેસલાક નક્કી કરી આપે છે.

ગ્રાન્ડ નૅરેટિવ્ઝના અવસાનને ફ્રૅન્ચ ફિલસૂફ લ્યોતાર્-આધુનિકતાનું મહત્ લક્ષણ કહે છે.

Pic courtesy : SlidePlayer

વૈચિત્ર્ય તો એ છે કે ફૂટપટ્ટી કાયદાથી પર મનાય છે, અને તેથી એના માપ વિશે કોઈને પ્રશ્ન થતો જ નથી. જેમ ફૂટપટ્ટી સ્વયંસિદ્ધ હોય છે તેમ ગ્રાન્ડ કે મૅટાનૅરેટિવ પણ સ્વયંસિદ્ધ હોય છે.

સૌના વિચારવિમર્શ માટે ૪ પ્રશ્નો :

પ્રશ્ન : ૧ :

કોઈ મનુષ્ય આવા લિટરરી કૅનનને કે ગ્રાન્ડ નૅરેટિવને જાણતો જ ન હોય, એવો અજ્ઞાની હોય, સહૃદય ન હોય, પણ સંવેદનશીલ મનુષ્ય હોય, અને એને સાહિત્યકૃતિ જો આનન્દ આપી શકતી હોય, ભલે એને રસાનુભૂતિ ન કહેવાય, એવા દૃષ્ટાન્તમાં, એ કૅનન, એ નૅરેટિવ, ફેરવિચાર માગે કે કેમ? કે પછી પેલાને એમ જ કહ્યા કરે કે અમારું કથ્યું જેને સૌ અનુસર્યા, તે જાણીને આવ, એમ હઠ પકડે?

પ્રશ્ન : ૨ :

લિટરરી કૅનનના કે ગ્રાન્ડ નૅરેટિવના નકશામાં કે વાતાવરણમાં ન બેસે એવી સાવ જ નૂતન કે પ્રયોગશીલ સર્જનાત્મક કૃતિની ગુણસમૃદ્ધિનો નિર્ણય કેવી રીતે થાય? કોણ કરે?

પ્રશ્ન : ૩ : 

કૅનનનું ‘વિઘટન’ કરી આપે, ડિકન્સ્ટ્રક્શન, અને ગ્રાન્ડમાંથી ‘લિટલ’ નૅરેટિવ રચાય તે શું સાહિત્યપદાર્થના જીવનસાતત્ય માટે જરૂરી બલકે અનિવાર્ય નથી?

પ્રશ્ન : ૪ :

ગુજરાતી સાહિત્યક્ષેત્રે સમાજસુધારો, પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિઓનો સમન્વય, ગ્રામ-વાસ્તવિકતા અને કલાસૌન્દર્યને માટે એના એ પ્રત્યેક યુગમાં જે માંગ ઊઠી એ દરેકને ‘લિટલ’ નૅરેટિવને માટેનો ધખારો કે પ્રારમ્ભ ગણી શકાય કે કેમ?

કોશિયાને સમજાય એવું સાહિત્ય એઓશ્રીએ માગ્યું તે ‘લિટલ’ નૅરેટિવને માટેની જિકર હતી કે કેમ?

(Sep 18, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 September 2022

સર સૈયદ અહમદ ખાનને મુસલમાનોના રાજા રામ મોહન રોય તરીકે ઓળખાવવામાં આવે છે અને મહમ્મદ અલી ઝીણાના મનોરથ મુસલમાનોના ગોપાલકૃષ્ણ ગોખલે થવાનો હતી. જો સર સૈયદ ખરેખર મુસલમાનોના રાજા રામ મોહન રોય નીવડ્યા હોત તો મહમ્મદ અલી ઝીણા ખરેખર મુસલમાનોના ગોખલે થઈ શક્યા હોત અને ભારતનું કોમી વિભાજન ટાળી શકાયું હોત. પણ એવું બન્યું નહીં. મુક્ત વિમર્શ માટે ઇસ્લામ્મમાં જોઈએ એવી મોકળાશ નથી.

રાજા રામ મોહન રોયનો જન્મ ૧૭૭૨માં થયો હતો અને ૧૮૩૩માં અવસાન થયું હતું. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને અવસાન ૧૮૯૮માં થયું હતું. બન્નેના જન્મ વચ્ચે ૪૫ વરસનું અંતર હતું અને મૃત્યુ વચ્ચે ૬૫ વરસનું અંતર હતું. આ બન્ને અંતર વચ્ચેનો સમયગાળો નિર્ણાયક હતો. પહેલા ૪૫ વરસના બે મહાપુરુષોના જન્મના અંતરના સમયગાળામાં ભારતમાં અંગ્રેજિયત લાગુ કરવામાં આવતી હતી અને એ પછીના ૬૫ વરસના મૃત્યુ વચ્ચેના અંતરના સમયગાળામાં અંગ્રેજિયત અને અંગ્રેજી રાજ સાથે ભારતીય પ્રજાએ કેમ કામ પાડવું એનો વિમર્શ ચાલી રહ્યો હતો. એક રીતે જોશો તો સર સૈયદ બન્ને છેડે રાજા રામ મોહન રોય કરતાં ફાયદામાં હતા. સર સૈયદ અહમદ ખાને જ્યારે જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારે અંગ્રેજિયત લાગુ થઈ ચૂકી હતી અને અંગ્રેજી રાજ અંગ્રેજિયત સાથે તેની પૂર્ણકળાએ ખીલી ચુક્યું હતું.

રાજા રામ મોહન રાયના સમયમાં દેશમાં જ્યારે અંગ્રેજિયત લાગુ કરવામાં આવતી હતી ત્યારે ભારતીય પ્રજાએ અંગ્રેજિયત અર્થાત્ અંગ્રેજી શિક્ષણ, પાશ્ચાત્ય દૃષ્ટિકોણ અને પાશ્ચાત્ય જીવનમૂલ્યો સાથે કેમ કામ પાડવું એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. રાજા રામ મોહન રાયે ત્યારે સલાહ આપી હતી કે આમાંથી જે આપણા માટે હિતકારી છે એ અપનાવવું જોઈએ પછી ભલે એ આપણી પરંપરાનો હિસ્સો હોય કે ન હોય. કોઈ ચીજ આપણી નથી એટલે એ અનિવાર્યપણે પરાઈ ન બનવી જોઈએ. તેમણે એવી પણ સલાહ આપી હતી કે આપણી પરંપરામાં જે સાચવી રાખવા જેવું છે એ ધરાર સાચવવું જોઈએ, અંગ્રેજિયતની આણના પ્રભાવ હેઠળ આવીને તે છોડવાની જરૂર નથી. તેમણે શું છોડવું જોઈએ અને શા માટે છોડવું જોઈએ અને શું પકડી રાખવું જોઈએ અને શા માટે પકડી રાખવું જોઈએ એની પણ વાત કરી હતી. આનો અર્થ થયો પરંપરાઓ વચ્ચેનો વિવેક.

વિવેકમાં સ્વીકાર અને અસ્વીકાર બન્ને રહેલા છે. એ વિના વિવેક કરવો શક્ય નથી. અને એ તો દેખીતી વાત છે કે કોઈ પણ ચીજના સ્વીકાર કે અસ્વીકાર માટે મનને તૈયાર કરવું પડે છે. ખાસ કરીને કોઈ ચીજ પરંપરાનો હિસ્સો હોય તો તેને છોડવામાં તફલીફ પડતી હોય છે અને કોઈ ચીજ પરંપરાનો હિસ્સો ન હોય, બલકે તેનાથી વિરુદ્ધ હોય તો તેને અપનાવવામાં તકલીફ પડતી હોય છે. આ મનની કેળવણી લોક-ભાગીદારીવાળા વ્યાપક સંવાદ વિના શક્ય નથી. એમાં નિંદા, બદનામી, શારીરિક હુમલા કે હત્યાના જોખમ રહેલાં છે; પણ જોખમ ઉઠાવ્યા વિના ચાલવાનું નથી. આ પરંપરાઓ અને માન્યતાઓ વચ્ચે સારાસાર વિવેક કરવો એ સુધારો. એનું નામ જ આધુનિકતા. માનવીય હિત જેમાં રહેલું છે એ અપનાવવું જોઈએ પછી એ આપણું હોય કે પરાયાનું.

રાજા રામ મોહન રાય આ રીતે સારાસારવિવેક કરનારી મનની કેળવણી કરનારા અને મનની મોકળાશ વધે એ માટે આંદોલન કરનારા ભારતના આધુનિક યુગના આદ્ય સુધારક હતા. એ પછી કુડીબંધ સુધારકો થયા હતા જેમણે પોતપોતાની રીતે સુધારાનું આંદોલન આગળ ચાલાવ્યું હતું. દરેક પડકારને, દરેક પ્રશ્નને, દરેક અવસરને તેઓ અલગ અલગ દૃષ્ટિકોણથી તપાસતા હતા. એમાં હિંદુ ધર્મ અને ધર્મવચનોની પણ ચિકિત્સા કરવામાં આવતી હતી. સનાતન ધર્મ ભલે સનાતન હોય, પણ તે ઊણપોથી મુક્ત નથી એ સ્પષ્ટ રીતે કહેવામાં આવતું હતું. એ આંદોલનને ભારતનાં નવજાગરણનાં આંદોલન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. નવજાગરણ માટેનું આંદોલન રાજા રામ મોહન રાયે ઘડી આપ્યું હતું એવું સંઘેડાઉતાર નહોતું. સુધારકો વચ્ચે વ્યાપક વિમર્શ થયો હતો.

વિમર્શનો કેન્દ્રવર્તી વિષય હતો શું અપનાવવું અને શું છોડવું. અલબત્ત એ નવજાગરણનું આંદોલન ખામી વિનાનું નહોતું. બહુ મોટી ખામી હતી. સુધારાની હિમાયત કરનારાઓએ અને તેના ફાયદા ગણાવનારાઓએ માત્ર સવર્ણ હિંદુઓની જ ચિંતા કરી હતી. તેના જ ફાયદાઓ જોયા હતા. દલિતોની અને બહુજન સમાજની તેમણે ચિંતા નહોતી કરી. માટે મહાત્મા ફૂલેએ આધુનિકતાના આંદોલનમાં ન્યાય નામનો માનવીય મૂલ્યોનો એક નવો ખૂણો ઉમેર્યો હતો જેની ઉપેક્ષા થઈ શકે એમ નહોતી.

સર સૈયદ અહમદ ખાન રાજા રામ મોહન રાય પછી ૪૫ વરસે થયા હતા અને તેમણે જ્યારે જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારે હિંદુઓમાં સુધારાનું આંદોલન તેની સર્વોચ્ચ ઊંચાઈએ હતું. હકીકતમાં અંગ્રેજી માધ્યમમાં આધુનિક શિક્ષણ મેળવેલી અને નવા દૃષ્ટિકોણ સાથેની હિંદુઓની એક પેઢી અસ્તિત્વમાં પણ આવી ગઈ હતી. એની વચ્ચે ૧૮૫૭ના વિપ્લવમાં મળેલી નિષ્ફળતાએ હિંદુ અને મુસલમાનોના અંગ્રેજો પરત્વેના અભિગમને પ્રભાવિત કર્યો હતો. બન્ને કોમને એમ લાગવા માંડ્યું હતું કે કમ સે કમ સો-દોઢસો વરસ ભારતમાં અંગ્રેજો રાજ કરવાના છે એટલે ડહાપણ એમાં છે કે અંગ્રેજોના રાજ્યનો સ્વીકાર કરી લેવામાં આવે અને તેને અનુકૂળ બનવામાં આવે.

હવે એ સમયે સર સૈયદ સામે બે કફોડી વાસ્તવિકતા હતી. એક તો એ કે ત્રણ દાયકા પહેલાં રાજા રામ મોહન રાયે હિંદુઓને અંગ્રેજિયત અથવા તો પાશ્ચાત્ય દૃષ્ટિકોણ, પાશ્ચાત્ય જીવનમૂલ્યોની બાબતે વિચારતા કરી મુક્યા હતા અને સારાસાર વિવેક આધારિત આપ-લેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. બીજી બાજુ મુસલમાનો તેનો પ્રતિકાર કરતા હતા. ૧૮૫૭ના વિદ્રોહમાં વસ્તીના પ્રમાણની દૃષ્ટિએ જુઓ તો મુસલમાનોએ હિંદુઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં હિસ્સો લીધો હતો. એનું કારણ એ હતું કે મુસલમાનો અંગ્રેજીરાજને ઇસ્લામ પરના આક્રમણ તરીકે જોતા હતા. વિદ્રોહમાં મુસલમાનોએ વધુ મોટા પ્રમાણમાં હિસ્સો લીધો હતો અને મૌલવીઓ અંગ્રેજિયતના અસ્વીકારના ફતવાઓ કાઢતા હતા અને મસ્જિદોમાં અંગ્રેજવિરોધી તકરીર કરતા હતા એટલે અંગ્રેજોનો ગુસ્સો મુસલમાનો ઉપર ઉતર્યો હતો એ સર સૈયદ સામે બીજી કફોડી વાસ્તવિકતા હતી.

ટૂંકમાં ભારત કંપની સરકારથી મુક્ત થઈને સીધું અંગ્રેજી સંસ્થાન બન્યું ત્યારે રાજા રામ મોહન રાય અને તેમની પછીના સુધારકોના કારણે હિંદુઓ એક ડગલું આગળ હતા અને આગળ જઈ રહ્યા હતા અને મુસલમાનો એક ડગલું પાછળ હતા અને જો અંગ્રેજિયત અને અંગ્રેજી રાજનો સ્વીકાર કરવામાં ન આવે તો હજુ પાછળ જવાના હતા. ઉપરથી અંગ્રેજો તેમના ઉપર ખફા હતા. સર સૈયદ આ જાણતા હતા.

સર સૈયદની અહીં કસોટી થઈ હતી. રાજા રામ મોહન રાય અને તેમની પછીના હિંદુ સુધારકોની માફક વિવેકપુર:સર આધુનિકતાનો વ્યાપક પરિઘ અપનાવે તો ઇસ્લામની સર્વકાલીન પ્રાસંગિકતા કે અપ્રાસંગિકતા વિષે વિમર્શ કરવો પડે જેમાં તેમને જોખમ લાગ્યું હતું. માટે તેમણે આધુનિકતા એટલે પાશ્ચાત્ય અંગ્રેજી શિક્ષણ એવો સાંકડો અર્થ કર્યો હતો. અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુઓની સમકક્ષ બનો અને અંગ્રેજી શાસકોનો વિશ્વાસ રળીને જીવનમાં આગળ વધો. આખું આંદોલન અંગ્રેજી શિક્ષણ અપનાવવા માટેનું અને હિંદુઓની બરાબરી કરવા માટેનું હતું. હિંદુ સામે હરીફાઈનું હતું. તે ખરા અર્થમાં જેને આધુનિકતા કહેવાય તે માટેનું નહોતું. વળી સર સૈયદને આટલું પણ મનાવવા માટે નાકે દમ આવી ગયો હતો.

અહીં વાચકના મનમાં સવાલ થઈ શકે કે સર સૈયદ કોમની અંદરના પ્રતિકારને કારણે વ્યાપક અર્થમાં જેને આધુનિકતા કહેવાય તેની વકીલાત કરી શક્યા નહોતા કે તેમને પોતાને તેમાં રસ નહોતો? બીજા શબ્દોમાં કહીએ તો તેમણે પોતે સુધારાનો પરિઘ ટૂંકો રાખ્યો હતો કે રાખવો પડ્યો હતો? મને એમ લાગે છે કે તેમને પોતાને પરિઘ વિસ્તારવામાં કોઈ રસ નહોતો. માટે રાજા રામ મોહન રાય સાથેની તેમની સરખામણી ખોટી છે. કદાચ તે તેમને અસંભવ અને બિનજરૂરી બન્ને લાગ્યાં હોય. તેમનો ઉદ્દેશ માત્ર અને માત્ર મુસલમાન અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુ સાથે હરિફાઈમાં ઊભો રહે એટલો જ હતો. વળી મુસલમાનોએ પાશ્ચાત્ય અંગ્રેજી શિક્ષણ લેવું જોઈએ એની વકીલાત કરવા માટે પણ તેમને કુરાન અને હદીસનો આશરો લેવો પડતો હતો અને તેમાં પણ સામેથી વળતાં પ્રમાણોનાં તીર ફેંકાતા હતાં. તેમણે હાથ જોડીને વિરોધીઓને કહેવું પડ્યું હતું કે જો હદીસનો હવાલો આપવો હોય તો માત્ર બુખારીની હદીસનો હવાલો આપવામાં આવે જે પ્રમાણમાં પ્રામાણિક છે. શબ્દ પર ધ્યાન આપવામાં આવે; પ્રમાણમાં પ્રામાણિક છે.

આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે પ્રત્યેક હદીસ ભેળસેળ વિનાની પ્રામાણિક નથી અને ૧૪૦૦ વરસ દરમ્યાન ઉત્તરોત્તર જરૂરિયાત મુજબ તેમાં વધારો થતો ગયો છે. વિશ્વના સંપૂર્ણ અને માનવકલ્યાણ માટેના આખારી ધર્મમાં પ્રક્ષેપણ થયાં છે. માટે ઈરાની વિદ્વાન મહમ્મદ ઈબ્ન બુખારીએ નવમી સદીમાં હદીસોની પ્રામાણિકતાનો અભ્યાસ કરીને તેનું સંકલન કર્યું હતું જે બુખારીની હદીસ તરીકે ઓળખાય છે. અને બુખારીની હદીસ પણ ક્યાં આજે એક સરખી છે! તેમાં પણ પ્રક્ષેપણો અને પાઠાંતરો મળે છે. શા માટે મુસલમાનો આ બધી વાસ્તવિકતાઓનો સ્વીકાર નથી કરતા? અને અસ્વીકાર કરવાથી વાસ્તવિકતા મટી જવાની છે? ક્યાંકથી તો નાનકડી શરૂઆત થવી જોઈએ. રોજ સરેરાશ સો મુસલમાન ઇસ્લામના નામે રહેંસાઈ જતા હોય ત્યારે એક નાનકડી બારી ખોલવાનો પણ કોઈ પ્રયાસ ન કરે! મુસલમાનો ઇસ્લામની બહારની વાસ્તવિકતાના સ્વીકાર માટે તૈયાર થાય એ માટે પ્રયાસ થવો જરૂરી છે અને હવે એ જરૂરિયાત તેની પરાકાષ્ટાએ છે.

જો સર સૈયદે આવો નાનકડો પણ પ્રયાસ કર્યો હોત તો તેમની સરખામણી રાજા રામ મોહન રાય સાથે થઈ શકત. તેમનું આધુનિકતા માટેનું આંદોલન મુસ્લિમ અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુની બરાબરી કરતો થાય એટલું સાંકડું હતું. જો નાનકડી પણ બારી ખોલી હોત તો અંગ્રેજી શિક્ષણ મેળવેલી મુસલમાનોની પહેલી-બીજી પેઢી આધુનિકતાના આંદોલનના બીજા ચરણરૂપે તેને હજુ વધુ આગળ લઈ ગયા હોત. શિક્ષિત મુસલમાનોની પછીની પેઢીએ પરિઘ વિસ્તાર્યો હોત. પણ એવું બન્યું નથી. આનું પરિણામ એ આવ્યું કે ઈ. સ. ૧૯૦૦થી લઈને ૧૯૪૭ સુધીના નિર્ણાયક સમયગાળામાં મુસલમાનોનું નેતૃત્વ કરનારા મુસ્લિમ નેતાઓ અંગ્રેજી શિક્ષણ મેળવેલા સાંકડા અર્થમાં આધુનિક હતા, વ્યાપક અર્થમાં આધુનિક નહોતા. કેટલાક વ્યાપક અર્થમાં આધુનિક હતા તો અંગત જીવનમાં હતા, જાહેરજીવનમાં નહોતા.

માટે નવયુવાન મહમ્મદ અલી ઝીણાનું મુસલમાનોના ગોખલે બનવાનું સપનું પૂરું થયું નહોતું અને તેઓ પણ આગળ જતા હિંદુઓના પ્રતિસ્પર્ધી બની ગયા હતા. ગોખલે બનવા માટેની સર સૈયદ જગ્યા બનાવીને નહોતા ગયા અને એવી જગ્યા બનાવવાની ઝીણામાં હિંમત નહોતી અને ભારતનું વિભાજન થયું હતું.

માનવી હોવાપણું મુસલમાન હોવાપણા કરતાં અદકેરું છે એનો સ્વીકાર કરવાનો સમય આવી ગયો છે. હિન્દુત્વવાદીઓએ પણ સમજવાની જરૂર છે કે માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે. જે હિંદુ આ વાત સ્વીકારતો હોય તેને જે મુસલમાનની અને ઇસ્લામની ટીકા કરવાનો અધિકાર છે. ટીકામાં સભ્યતા અને નિસ્બત એની મેળે આવી જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 સપ્ટેમ્બર 2022 

Loading

ચલ મન મુંબઈ નગરી—162

દીપક મહેતા|Opinion - Opinion|17 September 2022

ગ્રાહકે શું શું ન કરવું તેની સૂચનાનું પાટિયું દરેક ઈરાની હોટેલમાં હોય જ

ઈરાની બેકરીનાં પાઉંની સોડમ દૂર સુધી ફેલાઈ જાય

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

કાવ્યપ્રેમીઓના લાડકા કવિ રમેશ પારેખની આ પંક્તિઓ યાદ આવવાનું કાંઈ કારણ? કારણ મુંબઈ એક એવું શહેર છે જ્યાં સતત મનસૂબા ઘડાય છે અને અણધારી રીતે મનસૂબા ઉથલી પડે છે. અગાઉ શંકર વિલાસ હોટેલની કડક મીઠી ચા અડધી અડધી પીતાં આપણે મનસૂબો કરેલો મુંબઈની ઈરાની હોટેલો અને બીજી હોટેલોની મુલાકાત લેવાનો. પણ વચમાં ટીચર્સ ડે આવ્યો અને આપણે હોટેલને બદલે પહોંચી ગયા મુંબઈની કેટલીક હાઈ સ્કૂલમાં! હોટેલના ચહેરા પર ચિપકાવી દીધો હાઈ સ્કૂલનો ચહેરો! પછી વળી આવી શુક્રવારે અનંતચતુર્દશીની રજા. એટલે શનિવારનો અંક નહિ. એટલે હવે આજે જઈએ મુંબઈની ઈરાની હોટેલોની મુલાકાતે.

મુંબઈમાં મરાઠી ખાણાવળ અને ગુજરાતી વીશી પહેલાં આવ્યાં, કે ઈરાની હોટેલ પહેલી આવી, એનો જવાબ આપવો મુશ્કેલ છે. કદાચ બંને લગભગ સાથે પણ આવ્યાં હોય. કારણ ઈરાની હોટેલની શરૂઆત પણ ૧૯મી સદીના પહેલા અડધિયામાં થઈ હતી. ઈરાનથી આવેલા લોકોમાંથી કેટલાકે પોતાના વતનમાં હતી તેવી ‘કેફે’ અહીં પણ શરૂ કરી. આજે આપણા દેશમાં મુંબઈ ઉપરાંત પૂણે અને હૈદરાબાદમાં જ ઈરાની હોટેલ જોવા મળે. બીજા કોઈ શહેરમાં નહિ.

 

ઈરાની હોટેલ, અંદરથી

પણ માદરે વતન છોડીને ઈરાનીઓ હિન્દુસ્તાન આવ્યા શા માટે? પહેલું કારણ ઈરાનના મુસ્લિમ શાસકોના અત્યાચાર, જોરજુલમથી બચવા. તો બીજા કેટલાક આવ્યા ઈરાન કરતાં હિન્દુસ્તાનમાં વેપારવણજ, કામધંધાની તક વધુ ઉજળી છે એમ તેમને લાગ્યું એટલે. એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે બધા ઈરાનીઓ હોય જરથુસ્તી. હા, મોટા ભાગના ખરા, પણ બધા નહિ. મુસ્લિમ અને બહાઈ પંથના અનુયાયીઓનો પણ ઈરાનીઓમાં સમાવેશ થાય, અને તેમણે પણ અહીં હોટેલ કે ભઠિયારખાનાં કહેતાં બેકરી શરૂ કર્યા. જે જરથુસ્તી ઈરાનીઓ જોરજુલમથી બચવા આવ્યા તે તો લગભગ પહેરેલે કપડે અહીં આવેલા. તેમનો અને અહીંના પારસીઓનો ધર્મ એક જ, એટલે અહીંના પારસીઓએ તેમને આવકાર્યા, રહેવા-ખાવાની સગવડ કરી આપી.

ઈરાની હોટેલની આગવી ઓળખ જેવી ખુરસી

ઈરાનમાં કેફે કહેતાં ચાની દુકાનનું ચલણ. એટલે કેટલાકે અહીં પણ એ શરૂ કરી. જેવી આગવી-અલાયદી ચા એવી જ આગવી હોટેલની સજાવટ. કથ્થાઈ અને કાળા રંગની ચોરસ લાદીઓ જડેલી ફર્શ. વાળેલા લાકડાની – કે નેતરની – કાળી ખુરસીઓ. લાકડાનાં ચોરસ ટેબલ ઉપર ટેબલ ક્લોથ પાથર્યો હોય અને તેના પર હોય પારદર્શક કાચ. દરેક ટેબલ પર પહેલાં તો કાચની એક-એક બરણી રહેતી. તેમાં ખારી, નાનખટાઈ, દેશી બિસ્કિટ – આજની કુકીઝ. હા, ઘણીખરી ઈરાની હોટેલ નોનવેજ વાનગીઓ પણ રાખે જ. એટલે ‘ધાર્મિક’ માણસો ત્યાં ન જાય. અથવા બીજું કોઈ જોતું તો નથી ને, એની ખાતરી કરી ઝડપથી ઘૂસી જાય. એ જમાનામાં મેનુ કાર્ડ જોવા ન મળે. ચારે ભીંત પર મોટાં રંગેલાં પાટિયાં પર વાનગીઓનાં નામ અને કિંમત લખ્યાં હોય, અંગ્રેજીમાં. 

દરેક ઈરાની હોટેલમાં ગ્રાહકોને જાતજાતની સૂચનાઓ આપતું પાટિયું હોય, હોય, ને હોય જ, અંગ્રેજીમાં. જેનો માયનો હોય : બીડી-સિગારેટ પીવાં નહિ, ઉધાર માગવું નહિ, બહારથી આણેલું કશું ખાવુંપીવું નહિ, વિનાકારણ બેસી રહેવું નહિ, મોટે મોટેથી બોલવું નહિ, ભાવ અંગે રકઝક કરવી નહિ, છુટ્ટા પૈસા માગવા નહિ, બાકસ કે દિવાસળી માગવાં નહિ, જુગાર રમવો નહિ, અરીસામાં જોઈ વાળ ઓળવા નહિ, ખુરસી પર પગ રાખીને બેસવું નહિ, વગેરે વગેરે વગેરે. હવે આ બધી સૂચનાઓમાં નવા જમાનાની સૂચનાઓ ઉમેરાઈ છે : અહીં ચાર્જિંગ પોઈન્ટ નથી, વાંચવા માટે છાપાં માગવાં નહિ, લેપટોપનો ઉપયોગ કરવો નહિ, પોતાના કે બીજાના ફોટા પાડવા નહિ, મોબાઈલ ગેમ્સ રમવી નહિ, વગેરે.

ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત એ કે એમાં ધર્મ કે ન્યાત-જાતના ભેદ નહિ. બારણાં બધા માટે ખુલ્લાં. આજથી ૫૦-૬૦ વરસ પહેલાં ઘણી ઈરાની હોટેલો બહાર બોર્ડ મારતી કે ન્યાત-જાતના ભેદ વગર બધાને માટે અહીં પ્રવેશ છે. એક જમાનામાં ઈરાની હોટેલ એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા. બન મસ્કા અને ચાથી પણ અડધું પેટ ભરાઈ જાય. અને એ પણ બે-ચાર આનામાં! ખારી મગાવો તો ચામાં બોળી બોળીને ખાવાની જે લિજ્જત આવે! અને હા, ઈરાનીની ચાનો ટેસડો જ જૂદો. ઈરાનીઓ ઈંડાના ભારે ચાહક. એટલે ઈરાની હોટેલોમાં ઈંડાંની જાતજાતની વાનગી મળે. અગાઉ ‘ઉજળિયાત’ વર્ગનાં ઘરોમાં ઈંડાને પ્રવેશ નહોતો. ત્યારે ઘણા જુવાનો ‘ભારે હિંમત કરી’ કોઈ ઈરાની હોટેલમાં જઈને ઓમલેટ-પાંવથી શરૂઆત કરી મટન પેટિસ કે મટન ખીમાની લિજ્જત માણી આવે.

બન મસ્કા અને ચા

ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત તે તેમની બ્રિટિશ રાજપરસ્તી. હજી આજે પણ ઘણીખરી ઈરાની હોટેલોમાં રાણી એલિઝાબેથનો કે મુંબઈના કોઈ બ્રિટિશ ગવર્નરનો કે કોઈ વાઈસરોયનો ફોટો જોવા મળે. પારસી ઈરાનીની હોટેલ હોય તો અશો જરથુસ્તસાહેબનો મોટો ફોટો દિવાલ પર હોય ને હોય જ. તો કેટલીક હોટેલોમાં જૂના – ૧૮મી કે ૧૯મી સદીના – મુંબઈના ફોટા પણ જોવા મળે. એકંદરે ઘણી ખરી ઈરાની હોટેલમાં બેઠા હો ત્યારે કાળ જાણે થંભી ગયો હોય એવું લાગે. ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત: કોઈ મકાનની ખૂણાવાળી જગ્યાએ તે આવેલી હોય. કારણ ઘણા હિંદુ આવી જગ્યાને અપશુકનિયાળ માને એટલે ભાડે કે વેચાતી લે નહીં. પણ ઈરાનીઓને આવો કોઈ બાધ નહિ. અને બીજું, આવી જગ્યા પ્રમાણમાં સસ્તામાં મળી જાય.

ઘણી ઈરાની હોટેલોની પોતાની બેકરી પણ ખરી. તેમાં પાઉં બનતાં હોય ત્યારે તેની સોડમ દૂર સુધી ફેલાઈ જાય. રૂનાં પોલ જેવાં નરમ તાજાં પાઉં કડક ચામાં બોળીને ખાવાની તો લિજ્જત જ જૂદી. આ ઉપરાંત શ્રૂબેરી બિસ્કિટ, ખારી, નાનખટાઈ, અને આજે ‘કૂકીઝ’ તરીકે જાણીતી જાતજાતની બિસ્કિટ બનાવે. જો કે છેલ્લાં ૫૦-૬૦ વરસથી મુંબઈની ઈરાની હોટેલોની માઠી દશા બેઠી છે. ૧૯૫૦ના અરસામાં મુંબઈમાં આશરે સાડા ત્રણ સો નાનીમોટી ઈરાની હોટેલ હતી. આજે માંડ ૨૫-૩૦ બચી હશે. એક કારણ એ કે ઘણી ઈરાની હોટેલ સમય સાથે ચાલીને બદલાઈ શકી નહિ. બીજું, દેશના જ નહિ, વિદેશના પણ જુદા જુદા ભાગોની અવનવી વાનગીઓ પીરસતી નવી નવી હોટેલ આવી. લોકોને નવું નવું ખાવાનો ચસકો લાગ્યો. હોટેલમાં ખાવા જવું એ પહેલાં એક જરૂરિયાત હતી, કહો કે મજબૂરી હતી. હવે તો હર કોઈ દિવસ વાર-તહેવાર હોય છે અને શનિ-રવિમાં તો ઘણીખરી હોટેલોની બહાર લાંબી લાઈન લાગે છે. પણ કેટલીક ઈરાની હોટેલ સમય પ્રમાણે ચાલીને ટકી શકી છે.

માત્ર દેશમાં જ નહિ, આખી દુનિયામાં મુંબઈની એક ઈરાની રેસ્ટોરાંનું નામ થોડા વરસ પહેલાં ગાજ્યું હતું. એ હોટેલ તે તાજ મહાલ હોટેલ અને ગેટ વે ઓફ ઇન્ડિયા નજીક આવેલી લિયોપોલ્ડ કાફે. શરૂ થયેલી છેક ૧૮૭૧માં. પણ બીજી ઈરાની હોટેલ કરતાં જરા હટ કે. મધ્યમ વર્ગના લોકો કરતાં અહીં અમીરોનાં અને પરદેશી મુલાકાતીઓનાં પગલાં વધારે પડે. ૨૦૦૮ના નવેમ્બરની ૨૬મી તારીખની રાત. મુંબઈ પર અભૂતપૂર્વ આતંકવાદી હુમલો. બીજાં ઘણાં સ્થળો સાથે એ હુમલાનો ભોગ બની લિયોપોલ્ડ કાફે. રાતે સાડા નવ વાગે અંધાધૂંધ ગોળીબારમાં દસનાં મોત, ઘવાયા તો કેટલા ય. પણ પછી વખત જતાં ફરી બેઠી થઈ આ લિયોપોલ્ડ કાફે. જાણે કહેતી ન હોય : તમે મુંબઈને હલાવી શકશો, પણ હરાવી નહિ શકો. મુંબઈ શહેરની એક ખાસિયત છે: ગમે તેવી આપત્તિ આવી પડે, વહેલામાં વહેલી તકે – બહુ બહુ તો બીજે કે ત્રીજે દિવસે તે ફરી ધમધમતું થઈ જાય. લોકો હોય સાવધાન, પણ ડરેલા નહિ, હારેલા તો નહિ જ નહિ.

પણ જિંદગીનાં પહેલાં ૩૨ વરસ ગિરગામમાં વિતાવ્યાં હોય અને તેમાંનાં ચાર સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવામાં ગાળ્યાં હોય તેને સૌથી પહેલી યાદ આવે તે ધોબી તળાવ પરની કયાની. એ હોટેલની ચાના જેટલા કપ પેટમાં ઠાલવ્યા તેટલા બીજી કોઈ હોટેલના નહિ. દાયકાઓ પછી આ વરસના ફેબ્રુઆરીમાં એક રવિવારની સવારે માણ્યું તેનું સ્મરણ કરવા ત્યાં જઈ ચડ્યા આપણા આ રામ બીજા બે જુવાનિયા સાથે. અને અહો આશ્ચર્યમ! હોટેલમાં દાખલ થવા માટે લાંબી લાઈન! – હા જી, રવિવારની સવારે. માલિકના દીકરા થડા પાસે ઊભા રહીને બધા પર નજર રાખતા હતા. તેમની નજર પડી! લાઇનમાંથી જૂદો તારવીને અંદર લઈ ગયા અને સાથેના બે યુવાનોને પણ બેસાડ્યા. અગાઉની ઓળખાણ તો ક્યાંથી હોય? પણ ઉંમરને અસાધારણ માન આપવાની પારસી પરંપરાએ કામ કર્યું હશે. ચા-નાસ્તો કરતાં નજર સતત ચારે બાજુ ફરતી હતી. ખાસ કશું જ બદલાયું નથી. હા, પહેલાં કરતાં જગ્યા વધુ સાફસૂથરી અને વ્યવસ્થિત લાગે છે. વાનગીઓનું વૈવિધ્ય વધ્યું છે. અને ભાવનું તો પૂછવું જ શું! બે આનામાં રોજ પીતા એ ચાના વીસ રૂપિયા. પણ ચાના સ્વાદમાં મીનમેખ નહિ! એ જ રૂપ, એ જ રંગ, એ જ સ્વાદ! આપણા રામથી રહેવાયું નહિ, એટલે બહાર જતી વખતે માલિકના દીકરા પાસે જઈને thank you કહીને ઊમેર્યું : ઝેવિયર્સમાં ભણતો ત્યારે અહીં રોજ ચા પીવા આવતો. આછા સ્મિત સાથે તેમણે કહ્યું : Please do come again, Sir. હવે ફરી કયાનીની ચા પીવા જવાશે કે નહિ? નથી ખબર.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,3871,3881,3891,390...1,4001,4101,420...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved