Opinion Magazine
Number of visits: 9458837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગત સાહેબ : મારા ‘વિદ્યાવંત અનંત’ અધ્યાપક

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|18 May 2022

એક પ્રમુખ ગુજરાતી કવિ અને વિવેચક નિરંજન ભગત(1926-2018)નો આજે જ્ન્મદિવસ છે.

સાહિત્યકાર તરીકે ઘણું  સન્માન પામી ચૂકેલાં નિરંજન ભગત વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક હતા.

તેમની પાસે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં હું ત્રણ વર્ષ ભણ્યો. ત્યાર પછી લગભગ એકાદ દાયકો ગુજરાતી સાહિત્ય સહિત વિશ્વસાહિત્ય પરના એમના જાહેર વ્યાખ્યાનો સાંભળ્યાં.

તેમના એક પ્રિય કવિ પ્રેમાનંદે ‘સુદામાચરિત’માં ગુરુ સાંદિપની માટે પ્રયોજેલા શબ્દોમાં કહું તો ભગત સાહેબ મારા માટે ‘વિદ્યાવંત અનંત’ અધ્યાપક હતા.

તેમના વ્યાખ્યાનોમાં મેં 1990ની સાલથી કરેલી નોંધોમાંથી કેટલીક મારા અક્ષરધનમાં સચવાઈ છે. તેનું એક કોલાજ ડિજિટલ કામના કસબી નીતિન કાપૂરેના સૌજન્યથી આ પોસ્ટની સાથે મૂક્યું છે.

ભગતસાહેબ પાસેથી પચાસ જેટલા સાહિત્યકારો અને સોએક કૃતિઓ વિશે મનને ઝળાંહળાં કરી દેનારાં સરાસરી દોઢ કલાકના વિશુદ્ધ વ્યાખ્યાનો સાંભળ્યાં છે.

પશ્ચિમમાંથી અંગ્રેજી, અમેરિકન ગ્રીક, લૅટિન અને ફ્રેન્ચ સાહિત્ય; અને ગુજરાતીમાં પ્રેમાનંદ, નરસિંહ મહેતાથી દલપતરામ-નાન્હાલાલ થઈને કાન્ત, કલાપી, રા.વિ. પાઠક, ઉમાશંકર, હરિશ્ચન્દ્ર, રાવજી જેવા કવિઓ સુધી તેમનાં વ્યાખ્યાન-વિષયો વિસ્તરેલા હતા.

ભગતસાહેબ એટલે પૂરેપૂરો સ્વાધ્યાય કરીને, સાહિત્યકૃતિનો પાઠ સાથે રાખીને વર્ગમાં ઊભા ઊભા, ધોધ જેવા અવાજમાં,  અત્યંત પ્રભાવશાળી રીતે, લાંબા પટે, કલાકો સુધી ઊર્જાથી શીખવતા શિક્ષક.

તેઓ કાવ્યકૃતિની પાંખડીઓ ઉઘાડીને તેના સૌંદર્યનો આસ્વાદ કરાવતા. વિરામચિહ્નોથી માંડીને કવિતાના આખા ય સ્થાપત્યની વિશિષ્ટતા અને સરવાળે કાવ્યપદાર્થની મહત્તા તેમને કારણે પામી શકાઈ.

અમારી ઝેવિયર્સ કૉલેજમાં 1984ના સપ્ટેમ્બરના એક ધન્ય દિવસે તેમણે છંદશાસ્ત્ર પર સવારે નવથી બપોરે અઢી સુધી સળંગ વ્યાખ્યાન આપ્યું હતું. ઘટતાં-ઘટતાં ય અમે દસેક છોકરા-છોકરીઓ છેક સુધી હતાં.

ગુજરાતી, સંસ્કૃત, અને અંગ્રેજી ભાષાની કાવ્યપંક્તિઓ કાળા પાટિયા પર લખીને, શબ્દભાર આંકીને છંદ સમજાવ્યા હતા. સાથે ફ્રેન્ચ, ગ્રીક અને લૅટિન છંદશાસ્ત્રની વાત પણ આવતી. ‘છંદોલય’ના આ સર્જકે વર્ગમાં સર્જેલં છંદોના એ મહાલયમાં વીતાવેલા કલાકો અમૂલ્ય સંભારણું છે.

તે જ રીતે યાદ છે કે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ વિશે ગુજરાતીના અધ્યાપકો માટે ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલાં ઓપવર્ગમાં સાહેબે કલાકના ભોજન વિરામને બાદ કરતાં સવારે દસથી સાંજે પાંચ બોલ્યા હતા (બે વખતની ચા પાટલીઓ પર આવી હતી) !

ઝકઝોળી દેનારાં વિષયાંતરો સાથે ‘વૃક્ષ ચલે નિજ લીલા’ના તાલે ચાલતાં વ્યાખ્યાનો અલબત્ત માત્ર સાહિત્ય પૂરતાં મર્યાદિત ન હતાં. નિબંધકાર-ચિંતક ફ્રાન્સિસ બેકનની ‘I have taken all knowledge to be my province’ ઉક્તિ જાણે ભગતસાહેબનો મુદ્રાલેખ હતી.

સાહેબ એક એવા અધ્યાપક કે જેમણે મને સિવિલાઇઝેશન શબ્દનાં મર્મ અને મહત્ત્વ ચીંધી આપ્યાં. વિજ્ઞાન અને કળા, ઇતિહાસ અને રાજકારણ, ધર્મ અને તત્ત્વજ્ઞાન, શિક્ષણ અને ટેક્નોલૉજી, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવી અનેક જ્ઞાનશાખાઓ આ સિવિલાઝેશનનો હિસ્સો છે, તે પરસ્પર સંબંધિત છે અને ક્યારેક તો એકાકાર સમગ્ર છે એ ભગતસાહેબનાં વ્યાખ્યાનો સાંભળતાં-સાંભળતાં સમજાવા લાગ્યું.

સાહેબે સિવિલાઇઝેશનને કેટલા ય સંદર્ભોમાં મૂકી આપ્યું : સેક્યુલારિઝમ, હ્યુમૅનિઝમ, રેનેસાન્સ, રિફૉર્મેશન, એનલાઇટન્મેન્ટ,વૈજ્ઞાનિક અભિગમ, ફ્રેન્ચ રેવોલ્યૂશન, લોકશાહી, ડાર્વિન, માર્ક્સ, આંબેડકર, ગાંધી, ફ્રૉઈડ, આઇન્સ્ટાઇન, ટૉયમ્બી ….

સિવિલાઇઝેશન સાથે સંકળાયેલી આવી અનેક અત્યંત મહત્ત્વની બાબતોનો પહેલવહેલો પરિચય ભગસહેબના વ્યાખ્યાનો થકી થયો. ગામ અને શહેર, પૃથક અને વિદગ્ધ, પરંપરા અને આધુનિકતા, માહિતી અને જ્ઞાન વચ્ચેના ભેદાભેદ સાહેબના વ્યાખ્યાનોએ ચીંધી આપ્યા.

ભગત માટેનો એક જમાનામાં જે ભક્તિભાવ હતો તે કેટલાં ય વર્ષોથી દૂર થઈ ગયો છે. સિવિલાઇઝેશન અને લોકશાહી અંગે તેમના થકી આવેલી સભાનતાએ જાહેર જીવનના પ્રશ્નો અંગેની તેમની પાસે વિદ્યાકીય અને સક્રિય ભૂમિકાની અપેક્ષા જન્માવી હતી.

એવું પણ લાગે કે જ્યાં પાયાની ભૌતિક જરૂરિયાતો સારે રીતે સંતોષાઈ ચૂકી હોય તેવા, કેવળ અને કેવળ જ્ઞાનના વિશ્વમાં એમનો વિહાર હતો. એ અર્થમાં તેમને માટે છાન્દોગ્ય ઉપનિષદમાં ગુરુમહિમા કરતા શ્લોકનો केवलम ज्ञानमूर्तिम શબ્દપ્રયોગ કરવાનું મન થાય.

દેશકાળની અત્યારની પરિસ્થિતિમાં વિચારું તો લાગે કે કેટલાંક મિત્રો અને પુસ્તકો ન મળ્યાં હોત તો હું કંગાળ હોત. તે જ રીતે અધ્યાપક ભગતસાહેબ ન મળ્યા હોત તો હું વૈચારિક રીતે સાવ રાંક હોત.

જ્ઞાનપ્રદેશમાં તેમના ઋણી હોય તેવા લોકો માટે, ભગતસાહેબ એટલે – તેમને ગમતાં એક કવિ ડબલ્યુ. બી. યેટ્‌સના શબ્દો લઈએ તો – mounument of unageing intellect, અર્થાત્‌, કાલજયી બુદ્ધિપ્રતિભાનું પ્રતીક. 

– (‘કાળની કેડીએ ઘડીક સંગ’ નામે પ્રસિદ્ધ થયેલા નિરંજન ભગત અધ્યયનગ્રંથના મારા લેખને આધારે)

∙ કોલાજ : ભગતસાહેબના વ્યાખ્યાનોમાં લીધેલી નોંધોની ઝલક

∙ કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે

18 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

આંખોનું નામ

બીજલ જગડ|Opinion - Opinion|18 May 2022

આંખોનું નામ નહીં આંખો,
હવે આંખોનું નામ નહીં આંખો,
વેગી વંટોળ ચૈતરનું અંકાશ પાંખો,
હવે આંખોનું નામ નહીં આંખો.

પથ્થરના દરિયામાં મોજાંની ફીણનો ભાર,
શહેરની સીમા તજી મદભરી આંખોની પાર,
જ્યારે પાંપણની પાંદડીઓ થઈ છે આંખો !
હવે આંખોનું નામ નહીં આંખો.

ભમ્મર દરિયો ગાળીને ડૂબી જાવું રે મારે,
પાંપણ પર ઝળુંબતાં આંસુનાં ટીપાં શું જાણે,
અંધારાં પાણીના પ્હાડ થઈ છે આંખો !
હવે આંખોનું નામ નહીં આંખો.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

અટપટું ચટપટું

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 May 2022

કાવ્યકૂકીઝ


'સીંગદાણાની નિકાસ કરો તો તેલ અહીં ઘટેને !'
'મોંઘવારીમાં લોકોનું તેલ નીકળે, એટલું વધે પણને !'

0

'મારું માનો તો ભ્રષ્ટાચાર રહેવા દો.'
'કેમ?'
'કાચોપોચો માણસ હશે તો પકડાઈ જશે.'
'આ તો આઇ.એ.એસ. છે. એને કૈં નહીં થાય.'

0

'અલ્યા, મારી પત્ની બદલાઈ ગઈ છે.'
'એવું કેવી રીતે બને?'
'સમૂહ લગ્નમાં લાઇટ ગઈ ત્યારે બન્યું.'
'ઓકે. પાછી લાઇટ જાય ત્યાં સુધી રાહ જો !'

0

'આખા જગતમાં મારા જેવી બીજી નહીં મળે.'
'મારા જેવો પણ બીજો નહીં હોય, નહીં તો એને મળી હોતને !'

0

'હું તો સાધારણ ડૉક્ટર છું. તમે મને ભગવાન ન કહો.'
'આ તો દર્દીને ભગવાનને ત્યાં મોકલો છો એટલે કહ્યું'

0

શિક્ષક : માણસને એપેન્ડિક્સ કેટલાં હોય?
વિદ્યાર્થી : ત્રણ
શિક્ષક : ડોબા, એપેન્ડિક્સ તો એક જ હોય.
વિદ્યાર્થી : પણ કાલે મારું ત્રીજી વારનું ઓપરેશન છે.'

0

'ડૉક્ટર. ઓપરેશન થાય તો હું બચી તો જઇશને?'
'બચી જાવ તો હું બચીશ કે કેમ તેની ચિંતા છે.'

0

પ્રેમી : તું કોફી તો પીશને?
પ્રેમિકા : હા.
પ્રેમી : તો મંગાવ. હું પાકીટ ભૂલી ગયો છું.'

0

'તમે રવિવારે ઓપરેશન નથી કરતા?'
'હું તો તહેવારોમાં પણ નથી કરતો.'
'એવું કેમ?'
'વાર તહેવારે દર્દીને ત્યાં શોક થાય તે સારું નહીંને !'

0

વહુ : તમને પથરીને બદલે પથરો થાય તો?
સાસુ : તને એના પર પછાડી પછાડીને ધોઉં.'

0

'દર્દી સારો થઈને જાય તો તેને હાર પહેરાવવાનું રાખો.'
'પણ સારો ન થયો તો?'
'સુખડનો હાર તો પહેરાવાય ને !'

0

'ભાભી, મારો મિત્ર નથી?'
'એ તો ડહાપણની દાઢ કઢાવવા ગયા છે.'
'ડહાપણ વગર પણ દાઢ હોય એ તો આજે જ જાણ્યું.'

000

('સંદેશ'ની મારી હાસ્યની બુધવારી કોલમ)

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,3871,3881,3891,390...1,4001,4101,420...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved