Opinion Magazine
Number of visits: 9458939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત—6

સુમન શાહ|Opinion - Opinion|19 May 2022

જ્યોત ૬ : સાહિત્યસૃષ્ટિ ૩ ઉપખણ્ડ ધરાવે છે :

એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.

ઘડીભર કલ્પી લો કે સાહિત્યસૃષ્ટિ પૃથ્વી છે. કહેવાયું છે કે સાહિત્યસૃષ્ટિ પણ ઉપખણ્ડ ધરાવે છે; એ ત્રણ છે : ઊર્મિ-કવિતા, કથન-કવિતા, અને નાટ્ય-કવિતા. અંગ્રેજીમાં કહેવું હોય તો, લિરિકલ અથવા લિરિક પોએટ્રી, નૅરેટિવ પોએટ્રી, અને ડ્રામેટિક પોએટ્રી.

અહીં ‘કવિતા’ અને ‘પોએટ્રી’ શબ્દોનો અર્થ ‘સાહિત્ય’ એમ લેવાનો છે.

આપણે માણસો સવારથી રાત સુધીમાં અનેક પ્રકારની ઊર્મિઓ અનુભવતા હોઈએ છીએ. બપોરે કે સાંજે કોઈ કોઈ ઊર્મિની એકબીજા આગળ કથાઓ, ઉપકથાઓ કે અમસ્તાં કથન કરીએ છીએ. અને કોઈ કોઈ ઊર્મિનું આપણી રાતોમાં નાટક ભજવાતું હોય છે – કૉમિક કે ટ્રેજિક.

માણસોનું એથી જુદું કશું જીવન નથી હોતું, અને સાહિત્યકલાના સર્જકો પોતાની આગવી રીતે એની જ વાત કરતા હોય છે.

પહેલા ઉપખણ્ડના સાહિત્યમાં, કેન્દ્રવર્તી હોય છે ઊર્મિ અને તે મનુષ્યના ભાવજગત સુધી વિકસતી હોય. બીજામાં, કથા અને તે વસ્તુજગત લગી વિસ્તરતી હોય. ત્રીજામાં, નાટ્ય અને નાટ્યમાં ભાવજગત અને વસ્તુજગત બરાબ્બર ગૂંચવાયાં હોય.

અલબત્ત, દરેક ઉપખણ્ડના સાહિત્યમાં, અન્યનાં વત્તાઓછાં તત્ત્વ નથી ભળ્યાં હોતાં એમ નથી.

સર્જકો ઊર્મિ, કથા અને નાટ્યકેન્દ્રી કૃતિઓ સરજે છે ત્યારે મનુષ્યના વિભાવાદિ ભાવસમૂહને એવી પ્રક્રિયા વડે સંયોજે છે કે એ સંયોગથી – એ ‘સંયોગાત્’ – ભરત મુનિકથિત રસનિષ્પત્તિ થાય છે. ફૉર્માલિસ્ટ થિન્કરો એ જ પ્રક્રિયાને ફૉર્મ કહે છે. ફૉર્મ વડે પણ રસનિષ્પત્તિ જ થાય છે. સુરેશ જોષી સમેતના સૌ સમજદારોએ વરસો પૂર્વે એ પ્રક્રિયાને ‘રૂપનિર્મિતિની પ્રક્રિયા’ કહી છે. સાર તારવ્યો છે કે ફૉર્મ અથવા આકાર એક પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા છે, અને અવર નામે તે રસનિષ્પત્તિની પ્રક્રિયા છે.

આ મન્તવ્યવ-જ્યોતમાં સવિશેષે નૉંધપાત્ર મુદ્દો આ છે : સામાન્યપણે એમ કલ્પવામાં આવ્યું છે કે ઊર્મિશીલ સાહિત્ય પદ્યમાં હોય છે. એ જ રીતે, કથા કે નાટ્ય ગદ્યમાં હોય છે એમ કલ્પવામાં આવ્યું છે. આમ તો એ સાચું છે. તેમ છતાં, ઊર્મિશીલ પણ ગદ્યમાં હોઇ શકે છે, કથા અને નાટ્ય પણ પદ્યમાં હોઇ શકે છે. બધું સંમિશ્ર પણ હોઇ શકે છે.

કેમ કે, વિવિધ અને સાત સાત ઉપખણ્ડ ખરા પણ તેમ છતાં જેમ પૃથ્વી અખિલ છે તેમ સાહિત્યસૃષ્ટિ પણ અખિલ છે.

જેમ કે, આ દૃષ્ટાન્તો પરખો :

આટલી મોટી “કાદમ્બરી” બાણે ગદ્યમાં સરજી છે છતાં એમની વર્ણનકલા કવિતામાં હોય એવી છે – એનું દૃષ્ટાન્ત છે, ઘડીએ ને પલકે આવતાં કાવ્યસદૃશ કલ્પનો અને એથી સરજાતો દૃશ્ય શ્રાવ્ય ઘ્રાણ્ય આસ્વાદ્ય કે સ્પર્શ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષોનો આલોક. "કાદમ્બરી"-ને 'ગદ્યકાવ્ય' ગણનારાઓએ એ આલોક-દૃષ્ટાન્તને ખાસ આગળ કરવું જોઈએ.

“ધ ગ્રેટ ગૅટ્સ્બી” ફિત્ઝરાલ્ડકૃત કરુણાન્ત નવલકથાનું ગદ્ય ઊર્મિશીલ છે, પણ એમાં મુકાયેલો અન્તસૂચક ભાગ બ્લૅન્ક વર્સમાં છે.

કોઇ પણ બૅલેડમાં કથા હોય છે, પરન્તુ વિલિયમ વર્ડ્ઝવર્થે “લિરિકલ બૅલેડ્સ” લખ્યાં છે. વિનોદ જોશીએ શિખણ્ડીની કથાનું દીર્ઘકાવ્ય રચ્યું છે અને દ્રૌપદી-સૈરન્ધ્રીની કથાનું ચૉપાઇ-દોહરામાં પ્રબન્ધકાવ્ય સરજ્યું છે.

ટી.ઍસ. એલિયટે પાંચ પદ્યનાટકો લખ્યાં છે, એમાંનાં ત્રણ તો પદ્યનાટકનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે : “મર્ડર ઇન ધ કૅથેડ્રલ”. “ફૅમિલિ રીયુનિયન”. “ધ કૉકટેઇલ પાર્ટી”. ઉમાશંકર-કૃત “મહાપ્રસ્થાન” જરૂર યાદ આવે. (પદ્યનાટકના આપણા પ્રયાસો વિશે મેં વરસો પર ‘બ્યુટિફુલ આ પદ્યનાટક’ લેખ કરેલો, મારા કયા પુસ્તકમાં સંઘર્યો છે, યાદ નથી આવતું.)

આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચનાઓ મોટેભાગે પદ્યમાં છે, પણ માણિક્યસુંદર-રચિત “પૃથ્વીચંદ્રચરિત” ગદ્યમાં છે. કહેવાય છે કે મધ્યકાલીન સાહિત્યમાં, એ એકમાત્ર કૃતિ ગદ્યમાં છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં, પદો, ગીતો, સૉનેટ્સ, ખણ્ડકાવ્યો, પદ્યનાટકો, એકાંકી કે અનેકાંકી નાટકો, અ-પૂર્વ લાગે એવી નવલકથાઓ, જીવનકથાઓ કે આત્મકથાઓ નથી.

ઊર્મિ, કથા કે નાટ્ય – એ એકેય ઉપખણ્ડ પર સમકાલીનો નાનું ગામડું ય ઊભું કરી શક્યા નથી.

કીડીને શું જ્ઞાન કે પૃથ્વી કેટલી મોટી છે !

પૂછવું જોઈએ કે સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ગદ્યના તેમ જ પદ્યના કેટલા અને કયા સાહિત્યપ્રકારોમાં લખે છે -? ગણવા બેસીશું તો એક આંગળીનાં વેઢાં પણ વધારે લાગશે.

= = =

(May 19, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

હિંદુઓની શક્તિને પારખવાનો નાનકડો પ્રયાસ

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2022

ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ તેના અસ્તિત્વનાં સંકટનો સામનો કરી રહી છે. આવું સંકટ કૉન્ગ્રેસે ૧૯૦૭નાં સુરત અધિવેશન પછી જોયું હતું, પરંતુ એ યુગ જુદો હતો અને તેના પ્રશ્નો જુદા હતા. અત્યારની કૉન્ગ્રેસ સત્તાલક્ષી રાજકીય પક્ષ છે, એટલે તે ઓછી ખપની છે એવું નથી. લોકતંત્રમાં નાગરિકોને રાજકીય વિકલ્પ મળવો જોઈએ અને તો જ લોકતંત્ર ટકી શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે દેશના નાગરિકોને વૈચારિક વિકલ્પની પણ જરૂર છે અને એ જરૂરિયાત ઘણી મોટી છે. સત્તાકીય વિકલ્પ લોકતાંત્રિક સંતુલન માટે જરૂરી છે, જ્યારે વૈચારિક વિકલ્પ સામાજિક સન્તુલન માટે જરૂરી છે.

આઝાદીની લડત વખતે કૉન્ગ્રેસના નેતાઓએ વિચાર્યું હતું કે દેશનું ભવિષ્ય સામાજિક સન્તુલન જાળવી રાખવામાં છે અને એ જો જાળવી રાખવું હોય તો સહિયારા ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એવું ભારત જેમાં ધર્મ, ભાષા કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ કરવામાં ન આવે. જ્યાં ભેદભાવ હોય ત્યાં બહુમતી કોમની દાદાગીરી હોય અને જ્યાં એક કોમની દાદાગીરી હોય ત્યાં સંઘર્ષ હોય. ઝઘડતી પ્રજા ક્યારે ય બે પાંદડે ન થઈ શકે. ઝઘડતો પરિવાર બે પાંદડે ન થઈ શકે અને વડીલોનાં ડહાપણના પરિણામે બે પાંદડે થયો પણ હોય તો ઝઘડતા વારસો તેને બરબાદ કરી નાખે. આ સનાતન સત્ય છે અને આધુનિક યુગમાં જગતમાં રાજ્યોનાં (નેશન) જેટલાં મોડેલ જોવાં મળતાં હતાં તેમાં સૌથી સફળ મોડેલ સહિયારા સંતુલિત રાજ્યનાં જોવા મળતાં હતાં. માટે કૉન્ગ્રેસના નેતાઓએ સહિયારા ભારતનો વિકલ્પ પસંદ કર્યો હતો. ભારતની પ્રચંડ વિવિધતા જોતાં ભારત માટે એ વધારે ઉપયુક્ત હતો.

પણ એની સામે કેટલાક હિંદુઓને એમ લાગતું હતું કે કમ સે કમ હવે આઝાદી પછી હિંદુઓને સરસાઈ મળવી જોઈએ. સાવ એકસરખાપણું ન ચાલે. કાયર અને પરાજીત પ્રજાનું જે કલંક હિંદુ પ્રજાને લાગેલું છે એ આધુનિક લોકતંત્રમાં સંખ્યાની તાકાત દ્વારા ભૂંસવું જોઈએ. દેશનું ભાગ્યવિધાન હવે હિંદુઓ કરશે અને તેનો એ હક છે. પહેલીવાર લોહી રેડ્યા વિના આવો મોકો મળી રહ્યો છે એટલે એ ગુમાવવો ન જોઈએ. આવી કલ્પનાનો પણ એક રોમાંચ હતો અને છે એટલે કેટલાક હિંદુઓએ આધુનિક યુગમાં લોકશાહીના માર્ગે એટલે કે સંખ્યાના જોરે હિંદુ સરસાઈવાળા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની રાજકીય પાંખ ભારતીય જનસંઘ / ભારતીય જનતા પક્ષ આને વરેલા છે.

એ સમયે બહુમતી હિંદુઓએ સહિયારા ભારતની કલ્પના સ્વીકારી એટલે અત્યારે જે બંધારણીય ભારત અસ્તિત્વ ધરાવે છે એ આકાર પામ્યું. આનો અર્થ એ નથી કે પ્રત્યેક હિંદુને સહિયારું ભારત કબૂલ હતું. ઘણી મોટી સંખ્યામાં હિંદુઓ હતા જેને સહિયારું-સંતુલિત ભારત કબૂલ નહોતું અને તેઓ હિન્દુત્વવાદી રાજકારણનું સમર્થન કરતા હતા.

જ્યારે લોકતાંત્રિક, સેક્યુલર, સહિયારા સ્વતંત્ર ભારતનાં શ્રી ગણેશ બાજોઠે મંડાયા ત્યારે જ તેનો વિરોધ કરનારો હિંદુઓનો એક વર્ગ અને તેની રાજકીય અભિવ્યક્તિનો રાજકીય મંચ અસ્તિત્વમાં હતા. તેમને સહિયારું ભારત કબૂલ નહોતું એ ઊઘાડી વાત હતી. તેમણે એ વાત છુપાવી પણ નહોતી અને તેમણે લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહી માર્ગે હિંદુ સરસાઈ ધરાવનારા ભારતની રચના કરવા રાજકીય પક્ષ રચ્યો હતો. એ તો સાદી સમજની વાત છે કે હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર ત્યાં સુધી અસ્તિત્વમાં ન આવી શકે જ્યાં સુધી બંધારણ બદલવામાં ન આવે, કારણ કે બંધારણમાં સહિયારા ભારતની કલ્પના કરવામાં આવી છે.

બન્યું એવું કે કૉન્ગ્રસે સત્તા ટકાવી રાખવા અને બીજું કોઈ સત્તા સુધી પહોંચી ન શકે એ માટે લઘુમતી કોમને ગાજર બતાવીને સહિયારા ભારતની પવિત્ર કલ્પના સાથે ચેડાં કરવા માંડ્યા. આને કારણે હિંદુઓની અંદર ધીરેર્ધીરે આવો અવળો પક્ષપાત જોઇને નારાજગીની ભાવના પેદા થવા લાગી. બીજી બાજુ કૉન્ગ્રેસનો ગઢ તૂટતો નહોતો એ જોઇને નિરાશ થયેલા વિરોધ પક્ષના નેતાઓ વિચારનિષ્ઠા બાજુએ મૂકીને સમાધાનો કરવા માંડ્યા અને એમાં તેમણે જન સંઘ / ભારતીય જનતા પક્ષનો પણ સાથ લેવા માંડ્યો અને આપવા માંડ્યો. સહિયારા સેક્યુલર ભારતને વરેલા વિરોધ પક્ષોના હતાશાગ્રસ્ત નેતાઓને એટલું ભાન ન રહ્યું કે તેઓ જેને મદદ કરી રહ્યા છે અને મદદ માગી રહ્યા છે તેમને તેમની કલ્પનાનું સહિયારું ભારત સ્વીકાર્ય નથી. સત્તાના રાજકારણમાં ટકી રહેવા માટે અને સત્તા સુધી પહોંચવા માટે અનુક્રમે કૉન્ગ્રેસે અને અન્ય સેક્યુલર વિરોધ પક્ષોએ પ્રજા સાથે વિશ્વાસઘાત અને રાષ્ટ્ર સાથે બંધારણઘાત કર્યો હતો. આને પરિણામ સામે છે.

સામાન્ય પ્રજાની વાત કરીએ તો આઝાદી પહેલાંથી હિંદુઓનો એક વર્ગ હિંદુ સરસાઈવાળા ભારતની કલ્પનાનું રોમાંચ અનુભવતો હતો. એ વર્ગ પ્રમાણમાં નાનો હતો. એમાં કૉન્ગ્રેસનું અવળા પક્ષપાતવાળું રાજકારણ અને વિરોધ પક્ષનું સિદ્ધાંતહીન રાજકારણ જોઇને નારાજ થયેલા થોડા હિંદુઓનું ઉમેરણ થયું હતું. મૂળ હિન્દુત્વવાદીઓ અને ઉમેરાયેલા નારાજ હિંદુઓએ મળીને ભા.જ.પ.ને આજની સ્થિતિએ પહોંચાડ્યો છે. એ વાત ન ભૂલવી જોઈએ કે હિંદુ ઉમેરણ કરી આપવાનું પાપ કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ કર્યું છે, પણ એમાં સૌથી મોટું પાપ કૉન્ગ્રેસનું છે.

સામાન્ય હિંદુ પ્રજાને લાગેવળગે છે ત્યાં સુધી આજે જે સ્થિતિ પેદા થઈ છે તેનો આ એક પક્ષ છે. બીજો વધારે મહત્ત્વનો પક્ષ એ છે કે કૉન્ગ્રેસના પક્ષપાત છતાં ય, પ્રજાકીય સન્તુલન સાથે ચેડાં કર્યા હોવા છતાં ય, કૉન્ગ્રેસમાં પરિવારવાદ હોવા છતાં ય, ભ્રષ્ટાચાર છતાં ય અને બીજા સેક્યુલર રાજકીય પક્ષોએ ભદ્દા સમાધાનો કર્યા હોવા છતાં ય બહુમતી હિંદુઓએ સહિયારા સંતુલિત બંધારણીય ભારતમાંની નિષ્ઠા ગુમાવી નથી. હતાશ થવા માટે અને ગુસ્સો કરવા માટે પર્યાપ્ત કારણો હોવાં છતાં ય આજે પણ દસમાંથી કમ સે કમ છ હિંદુઓ એવા છે જેમને હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી. કાળાં વાદળમાં રૂપેરી કોર આ છે. હિંદુ રાષ્ટ્રવાદીઓનો મુકાબલો આજે રાજકીય સ્તરે ભલે જોઈએ એટલા પ્રમાણમાં ન થતો હોય, નાગરિક સ્તરે પ્રચંડ પ્રમાણમાં થઈ રહ્યો છે અને પૂરી નિષ્ઠા સાથે થઈ રહ્યો છે. એકલા એકલા અદના હિંદુઓ હિંમતપૂર્વક ઝઘડી રહ્યા છે. કોઈ આધાર નહીં હોવા છતાં, પોતાની તાકાતે. સરકાર રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ રાજકીય પક્ષો સામે નથી કરી રહી, વિવેકી હિંદુઓ સામે કરી રહી છે. તેમને ડરાવવા અને અંકુશમાં રાખવા જરૂરી છે. હિંદુરાષ્ટ્ર સામે ખરો ભય ક્યાંથી છે એ તેઓ જાણે છે.

આ એક મૂક પણ પ્રચંડ શક્તિ છે જેનો રાજકીય ઉપયોગ કરવો જોઈએ. કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ સામાધાનોવાળું અનીતિનું રાજકારણ કર્યું હોવા છતાં ય ૬૦ ટકા હિંદુઓ હજુ ય તેમની પડખે ઊભા છે અને ઊભા રહેવા તૈયાર છે. આ સંખ્યાની શક્તિ નથી, વિવેકની શક્તિ છે અને વિવેકની શક્તિ વધારે પવિત્ર હોય છે. આ પાવક જ્વાળા છે. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર એ સનાતન સત્ય આવા વિવેકી હિંદુઓ સમજે છે. પરમેશ્વરનો અર્થ અહીં કલ્યાણ કરો. તેઓ દેશહિતમાં, તેમના પોતાના હિતમાં અને પોતાનાં સંતાનોના હિતમાં નિરાશાજનક સ્થિતિમાં પણ વિવેક જાળવીને બેઠા છે અને તેને છોડતા નથી. કલ્પના કરો આ કેટલી મોટી શક્તિ છે કેટલી રચનાત્મક શક્તિ છે!

કૉન્ગ્રેસની ઉદયપુરની ચિંતનશિબિરની જો કોઈ ઉપલબ્ધિ હોય તો એ એટલી જ કે તેમાં બહુમતી હિંદુઓની આ વિવેકપૂર્ણ રચનાત્મક શક્તિને પારખવાનો પ્રયત્ન કોંગ્રેસપતન પછી પહેલીવાર પ્રયાસ કર્યો છે. આ તો એક નાનકડો પ્રયાસ છે, મઝલ બહુ લાંબી છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 મે 2022

Loading

ભગત સાહેબ : મારા ‘વિદ્યાવંત અનંત’ અધ્યાપક

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|18 May 2022

એક પ્રમુખ ગુજરાતી કવિ અને વિવેચક નિરંજન ભગત(1926-2018)નો આજે જ્ન્મદિવસ છે.

સાહિત્યકાર તરીકે ઘણું  સન્માન પામી ચૂકેલાં નિરંજન ભગત વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક હતા.

તેમની પાસે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં હું ત્રણ વર્ષ ભણ્યો. ત્યાર પછી લગભગ એકાદ દાયકો ગુજરાતી સાહિત્ય સહિત વિશ્વસાહિત્ય પરના એમના જાહેર વ્યાખ્યાનો સાંભળ્યાં.

તેમના એક પ્રિય કવિ પ્રેમાનંદે ‘સુદામાચરિત’માં ગુરુ સાંદિપની માટે પ્રયોજેલા શબ્દોમાં કહું તો ભગત સાહેબ મારા માટે ‘વિદ્યાવંત અનંત’ અધ્યાપક હતા.

તેમના વ્યાખ્યાનોમાં મેં 1990ની સાલથી કરેલી નોંધોમાંથી કેટલીક મારા અક્ષરધનમાં સચવાઈ છે. તેનું એક કોલાજ ડિજિટલ કામના કસબી નીતિન કાપૂરેના સૌજન્યથી આ પોસ્ટની સાથે મૂક્યું છે.

ભગતસાહેબ પાસેથી પચાસ જેટલા સાહિત્યકારો અને સોએક કૃતિઓ વિશે મનને ઝળાંહળાં કરી દેનારાં સરાસરી દોઢ કલાકના વિશુદ્ધ વ્યાખ્યાનો સાંભળ્યાં છે.

પશ્ચિમમાંથી અંગ્રેજી, અમેરિકન ગ્રીક, લૅટિન અને ફ્રેન્ચ સાહિત્ય; અને ગુજરાતીમાં પ્રેમાનંદ, નરસિંહ મહેતાથી દલપતરામ-નાન્હાલાલ થઈને કાન્ત, કલાપી, રા.વિ. પાઠક, ઉમાશંકર, હરિશ્ચન્દ્ર, રાવજી જેવા કવિઓ સુધી તેમનાં વ્યાખ્યાન-વિષયો વિસ્તરેલા હતા.

ભગતસાહેબ એટલે પૂરેપૂરો સ્વાધ્યાય કરીને, સાહિત્યકૃતિનો પાઠ સાથે રાખીને વર્ગમાં ઊભા ઊભા, ધોધ જેવા અવાજમાં,  અત્યંત પ્રભાવશાળી રીતે, લાંબા પટે, કલાકો સુધી ઊર્જાથી શીખવતા શિક્ષક.

તેઓ કાવ્યકૃતિની પાંખડીઓ ઉઘાડીને તેના સૌંદર્યનો આસ્વાદ કરાવતા. વિરામચિહ્નોથી માંડીને કવિતાના આખા ય સ્થાપત્યની વિશિષ્ટતા અને સરવાળે કાવ્યપદાર્થની મહત્તા તેમને કારણે પામી શકાઈ.

અમારી ઝેવિયર્સ કૉલેજમાં 1984ના સપ્ટેમ્બરના એક ધન્ય દિવસે તેમણે છંદશાસ્ત્ર પર સવારે નવથી બપોરે અઢી સુધી સળંગ વ્યાખ્યાન આપ્યું હતું. ઘટતાં-ઘટતાં ય અમે દસેક છોકરા-છોકરીઓ છેક સુધી હતાં.

ગુજરાતી, સંસ્કૃત, અને અંગ્રેજી ભાષાની કાવ્યપંક્તિઓ કાળા પાટિયા પર લખીને, શબ્દભાર આંકીને છંદ સમજાવ્યા હતા. સાથે ફ્રેન્ચ, ગ્રીક અને લૅટિન છંદશાસ્ત્રની વાત પણ આવતી. ‘છંદોલય’ના આ સર્જકે વર્ગમાં સર્જેલં છંદોના એ મહાલયમાં વીતાવેલા કલાકો અમૂલ્ય સંભારણું છે.

તે જ રીતે યાદ છે કે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ વિશે ગુજરાતીના અધ્યાપકો માટે ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલાં ઓપવર્ગમાં સાહેબે કલાકના ભોજન વિરામને બાદ કરતાં સવારે દસથી સાંજે પાંચ બોલ્યા હતા (બે વખતની ચા પાટલીઓ પર આવી હતી) !

ઝકઝોળી દેનારાં વિષયાંતરો સાથે ‘વૃક્ષ ચલે નિજ લીલા’ના તાલે ચાલતાં વ્યાખ્યાનો અલબત્ત માત્ર સાહિત્ય પૂરતાં મર્યાદિત ન હતાં. નિબંધકાર-ચિંતક ફ્રાન્સિસ બેકનની ‘I have taken all knowledge to be my province’ ઉક્તિ જાણે ભગતસાહેબનો મુદ્રાલેખ હતી.

સાહેબ એક એવા અધ્યાપક કે જેમણે મને સિવિલાઇઝેશન શબ્દનાં મર્મ અને મહત્ત્વ ચીંધી આપ્યાં. વિજ્ઞાન અને કળા, ઇતિહાસ અને રાજકારણ, ધર્મ અને તત્ત્વજ્ઞાન, શિક્ષણ અને ટેક્નોલૉજી, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવી અનેક જ્ઞાનશાખાઓ આ સિવિલાઝેશનનો હિસ્સો છે, તે પરસ્પર સંબંધિત છે અને ક્યારેક તો એકાકાર સમગ્ર છે એ ભગતસાહેબનાં વ્યાખ્યાનો સાંભળતાં-સાંભળતાં સમજાવા લાગ્યું.

સાહેબે સિવિલાઇઝેશનને કેટલા ય સંદર્ભોમાં મૂકી આપ્યું : સેક્યુલારિઝમ, હ્યુમૅનિઝમ, રેનેસાન્સ, રિફૉર્મેશન, એનલાઇટન્મેન્ટ,વૈજ્ઞાનિક અભિગમ, ફ્રેન્ચ રેવોલ્યૂશન, લોકશાહી, ડાર્વિન, માર્ક્સ, આંબેડકર, ગાંધી, ફ્રૉઈડ, આઇન્સ્ટાઇન, ટૉયમ્બી ….

સિવિલાઇઝેશન સાથે સંકળાયેલી આવી અનેક અત્યંત મહત્ત્વની બાબતોનો પહેલવહેલો પરિચય ભગસહેબના વ્યાખ્યાનો થકી થયો. ગામ અને શહેર, પૃથક અને વિદગ્ધ, પરંપરા અને આધુનિકતા, માહિતી અને જ્ઞાન વચ્ચેના ભેદાભેદ સાહેબના વ્યાખ્યાનોએ ચીંધી આપ્યા.

ભગત માટેનો એક જમાનામાં જે ભક્તિભાવ હતો તે કેટલાં ય વર્ષોથી દૂર થઈ ગયો છે. સિવિલાઇઝેશન અને લોકશાહી અંગે તેમના થકી આવેલી સભાનતાએ જાહેર જીવનના પ્રશ્નો અંગેની તેમની પાસે વિદ્યાકીય અને સક્રિય ભૂમિકાની અપેક્ષા જન્માવી હતી.

એવું પણ લાગે કે જ્યાં પાયાની ભૌતિક જરૂરિયાતો સારે રીતે સંતોષાઈ ચૂકી હોય તેવા, કેવળ અને કેવળ જ્ઞાનના વિશ્વમાં એમનો વિહાર હતો. એ અર્થમાં તેમને માટે છાન્દોગ્ય ઉપનિષદમાં ગુરુમહિમા કરતા શ્લોકનો केवलम ज्ञानमूर्तिम શબ્દપ્રયોગ કરવાનું મન થાય.

દેશકાળની અત્યારની પરિસ્થિતિમાં વિચારું તો લાગે કે કેટલાંક મિત્રો અને પુસ્તકો ન મળ્યાં હોત તો હું કંગાળ હોત. તે જ રીતે અધ્યાપક ભગતસાહેબ ન મળ્યા હોત તો હું વૈચારિક રીતે સાવ રાંક હોત.

જ્ઞાનપ્રદેશમાં તેમના ઋણી હોય તેવા લોકો માટે, ભગતસાહેબ એટલે – તેમને ગમતાં એક કવિ ડબલ્યુ. બી. યેટ્‌સના શબ્દો લઈએ તો – mounument of unageing intellect, અર્થાત્‌, કાલજયી બુદ્ધિપ્રતિભાનું પ્રતીક. 

– (‘કાળની કેડીએ ઘડીક સંગ’ નામે પ્રસિદ્ધ થયેલા નિરંજન ભગત અધ્યયનગ્રંથના મારા લેખને આધારે)

∙ કોલાજ : ભગતસાહેબના વ્યાખ્યાનોમાં લીધેલી નોંધોની ઝલક

∙ કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે

18 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,3861,3871,3881,389...1,4001,4101,420...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved