Opinion Magazine
Number of visits: 9458900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશી-મથુરા તો ઝાંખી હૈ ….

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 May 2022

2014માં, વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પહેલીવાર ભાષણમાં કહ્યું હતું, “સદીઓથી આપણે કોઈને કોઈ કારણથી સાંપ્રદાયિક તનાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાંપ્રદાયિકતાના કારણે આપણે વિભાજન સુધી પહોંચી ગયા. આ પાપચાર ક્યાં સુધી ચાલશે? બહુ લડી લીધું, બહુ બચકાં ભરી લીધાં, બહુ લોકોને મારી નાખ્યા. ભાઈઓ-બહેનો, એકવાર પાછળ વાળીને જુઓ, કોઈને કશું મળ્યું નથી. ભારતના દામન પર ડાઘ સિવાય આપણને કશું નથી મળ્યું. એટલે હું દેશવાસીઓને અપીલ કરું છું કે સાંપ્રદાયિકતા, જાતિવાદ, પ્રાંતવાદ, ઊંચ-નીચના ભાવ પર દશ વર્ષ સુધી રોક લગાવી દો અને પ્રણ લો કે આપણે તમામ તનાવોથી મુક્તિની તરફ જવું છે. શાંતિ, એકતા, સદભાવના અને ભાઈચારાથી આગળ વધવામાં કેટલી તાકાત છે. મારા શબ્દો પર વિશ્વાસ કરજો. આપણે અત્યાર સુધી કરેલાં પાપોને છોડી દઈએ અને દેશને આગળ લઇ જવાનો સંકલ્પ કરીએ.”

વડા પ્રધાનની આ વાતને આઠ વર્ષ થાય છે ત્યારે, તેમણે કહેલા આ સુંદર શબ્દો કેટલા સાર્થક છે તેનો જવાબ બહુજન સમાજ પાર્ટીની નેતા માયાવતીના એક તાજા બયાનમાં મળે છે. બુધવારે મીડિયા સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું હતું, “દેશમાં ગરીબી, બેરોજગારી નિરંતર વધી રહી છે અને આકાશને આંબી રહેલી મોંઘવારી જેવા મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી સંગઠન ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યાં છે. એનાથી અહીં ક્યારે ય માહોલ બગડી શકે છે. જ્ઞાનવ્યાપી, મથુરા, તાજમહેલ વગેરેની આડમાં જે પ્રકારે કાવતરું કરીને લોકોની ભાવનાઓને ભડકવામાં આવી રહી છે તેનાથી દેશ મજબૂત નહીં બલકે કમજોર થઇ જશે.”

માત્ર માયાવતી જ નહીં, કાઁગ્રેસના અજય માકન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પી.ડબ્લ્યુ.ડી. પાર્ટીની મહેબૂબા મુફ્તીએ પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારીના અસલી મુદ્દાઓ પર ચર્ચા ન થાય તે માટે ભા.જ.પ. જ્ઞાનવ્યાપી જેવા મુદ્દાઓ લાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ભા.જ.પ.ના સહયોગથી મુખ્ય મંત્રી બનેલી મહેબૂબાએ કહ્યું હતું કે, “મસ્જિદ લઇ લેવાથી જો બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા હલ થઇ જવાની હોય તો પછી ભારતીય જનતા પાર્ટીએ મસ્જિદોની એક યાદી બનાવી લેવી જોઈએ.”

આ નેતાઓનાં નિવેદન ત્યારે જ આવ્યાં હતાં જ્યારે એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર રેકોર્ડ 15.08 ટકા પર પહોંચી ગયો હતો. માર્ચમાં આ આંકડો 14.55 ટકા હતો. ગયા વર્ષે એપ્રિલમાં તે સંખ્યા 10.74 ટકા હતી. કોમર્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે મિનરલ ઓઈલ, બેઝિક મેટલ્સ, ક્રુડ પેટ્રોલિયમ અને ગેસ, ખાદ્ય અને બિન-ખાદ્ય વસ્તુઓ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થયેલી વૃદ્ધિની આ અસર છે.

ભા.જ.પ. આને જનતાના મુદ્દા ગણે છે. પાર્ટીના મહાસચિવ વિજયવર્ગીએ વિપક્ષને જવાબ આપતાં કહ્યું હતું કે, “વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદનો વિવાદ તેમની પાર્ટી નહીં પણ જનતા ઉઠાવી રહી છે. આમ લોકોને ભા.જ.પ.ની સરકાર પાસે અપેક્ષા છે કે તે આવા મુદ્દાઓનો ઉકેલ લાવે.”

જે આમ જનતાની તેઓ વાત કરે છે તે જ જનતાની વચ્ચે જઈને પૂછો તો મોટા ભાગના લોકો એ વાતથી સંમત છે કે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી વખતે ધ્રુવીકરણનો કોઈને કોઈ મુદ્દો લઇ આવે છે. છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણીમાં આપણે આ જોયું હતું અને હવે જ્ઞાનવ્યાપી મસ્જિદનો મુદ્દો જે રીતે કાનૂની દાવપેચમાં થઈને સમાચારોની હેડલાઇન્સમાં આવ્યો છે તે જોતા એવું લાગે છે કે 2024ની લોકસભા ચૂંટણી સુધી આ મુદ્દો સળગતો રહેશે.

એ બહુ જાણીતી વાત છે કે વારાણસી અને મથુરાની મસ્જિદોને લઈને જુનો વિવાદ છે. અયોધ્યાનો વિવાદ જ્યારે ચરમસીમા પર હતો અને મંદિરના પક્ષમાં સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ફેંસલો આવ્યો ત્યારે ભા.જ.પ. અને તેનાં સમર્થક સંગઠનોનો એક નારો હવામાં ગુંજતો હતો, “અયોધ્યા-બાબરી સિર્ફ ઝાંખી હૈ કાશી-મથુરા અભી બાકી હૈ.”

જ્ઞાનવ્યાપી અને પૂજા સ્થળ કાનૂન

વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહને લઈને અયોધ્યાની જેમ કોઈ જનઅંદોલન નથી થયું, પરંતુ “પુન:સ્થાપના માટેની ઇસ્લામિક જગ્યાઓ”ની યાદીમાં એ મોખરે હતાં. હવે તો રાજ્યમાં અને કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર છે એટલે અયોધ્યા જેવી રથયાત્રા જેવું જનઅંદોલન શક્ય નથી એટલે તેના માટે કાનૂની દાવપેચનો રસ્તો અપનાવામાં આવ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, અયોધ્યામાં મંદિર માટે ફેંસલો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે ૧૯૯૧ના પૂજા સ્થળોના કાનૂનનો હવાલો આપીને કહ્યું હતું કે દેશમાં પૂજા સ્થળોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે અને તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો કરીને હવે ૧૯૯૧ના પૂજા સ્થળોના કાનૂનમાં જ પરિવર્તનની માંગણી કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે હવે આ કાનૂની લડાઈ લાંબી ચાલશે. એ યાદ રાખવા જેવું છે કે ભા.જ.પ. અને અન્ય હિંદુ સંગઠનો આ કાનૂનમાંથી અયોધ્યા, કાશી અને મથુરાને બાકાત રાખવાની માંગણી ઘણા વખતથી કરી રહ્યાં છે.

૧૯૯૧માં, અયોધ્યા અંદોલન વચ્ચે, તત્કાલીન પ્રધાન મંત્રી પી.વી. નરસિમ્હા રાવની સરકાર પૂજા સ્થળ કાનૂન લઈ આવી હતી. આ કાનૂન અનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાંથી અસ્તિત્વમાં હોય તે કોઈ પણ ધાર્મિક પૂજા સ્થળને બીજા કોઈ ધર્મના પૂજા સ્થળમાં બદલવામાં નહીં આવે. એવું જો કોઈ કરે તો તેને ત્રણ વર્ષની જેલ અને દંડ થઇ શકે. અયોધ્યાનો મુદ્દો ત્યારે કોર્ટમાં હતો એટલે તેને આ કાનૂનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

આ કાનૂનની કલમ-બે કહે છે કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ હયાત કોઇ પણ ધાર્મિક સ્થળના ચરિત્ર્યમાં પરિવર્તનને લઈને કોઈ અરજી કે અન્ય કાર્યવાહી કોઈ પણ અદાલતમાં હોય, તો તેને તત્કાળ બંધ કરી દેવી. તેની કલમ-ત્રણ કોઇ પણ પૂજા સ્થળને બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલવા પર રોક લગાવે છે. તેની કલમ-4 નવા વિવાદોને દાખલ કરવા પર પણ રોક લગાવે છે.

આ કાનૂનની બંધારણીય વૈધતા સામે એ મુદ્દા પર સર્વોચ્ચ અદાલતમાં અગાઉથી જ બે પિટીશન થયેલી છે. એક અરજી લખનૌના વિશ્વ ભદ્ર પુજારી પુરોહિત મહાસંઘ અને અન્ય સનાતન ધર્મના લોકોની છે. બીજી અરજી ભા.જ.પ.ના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે.

અરજીકર્તાઓની દલીલ એવી છે કે આ કાનૂન ધાર્મિક સ્થળોની અદાલતી સમીક્ષા પર રોક લગાવે છે, જે બંધારણની વિશેષતા છે. એ ઉપરાંત, આ કાનૂને મનસ્વીપણે કટ ઓફ ડેટ (૧૫ ઓગસ્ટ ૧૯૪૯) નક્કી કરી છે, જે હિંદુ, જૈન, બૌદ્ધ અને શિખ ધર્મના અનુયાયીના અધિકારને સીમિત કરે છે. અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી, પણ તેનો જવાબ હજુ ફાઈલ કરવામાં આવ્યો નથી.

આ કાનૂન જ્યારે સંસદમાં આવ્યો હતો ત્યારે ભા.જ.પે. તેનો વિરોધ કર્યો હતો અને રાજ્ય સભામાં અરુણ જેટલી અને લોકસભામાં ઉમા ભારતીએ તેને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલવાની માંગણી કરી હતી. વાસ્તવમાં, હિંદુ સંગઠનો અને પક્ષો કાશી-મથુરા સહિત દેશભરમાં 100 જેટલાં પૂજા સ્થળો પર મંદિર હોવાનો દાવો કરી રહ્યાં છે, પરંતુ ૧૯૯૧ના પૂજા સ્થળ કાનૂનના કારણે કોર્ટ તેમની માંગણી પર ધ્યાન નથી આપતી. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં મુસ્લિમ પક્ષકારોએ આ જ કાનૂનનો ભંગ થતો હોવાની દલીલ પેશ કરી છે. એટલે હવે થશે એવું કે એક તરફ જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવનું મંદિર હતું તે સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડશે અને બીજી તરફ ૧૯૯૧નો કાનૂન અન્યાયી છે એટલે તેને ગેરમાન્ય ઠેરવવા (અને અન્ય પૂજા સ્થળોના મામલા કોર્ટોમાં લાવવા) માટે જંગ છેડવામાં આવશે.

અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં કહ્યું છે કે દેશમાં ૯૦૦ મંદિરો એવાં છે જેમને ૧૧૯૨થી ૧૯૪૭ વચ્ચે તોડીને તેની પર મસ્જિદ અથવા ચર્ચ બનાવી દેવામાં આવ્યાં હતાં. તેમાંથી ૧૮નો ઉલ્લેખ તો પુરાણોમાં પણ છે. તેઓ કહે છે કે આ કાનૂનની કટ ઓફ ડેટ વાસ્તવમાં ૧૧૯૨ હોવી જોઈએ. ટૂંકમાં, મહેબૂબા મુફ્તીના નિવેદનને યાદ કરીએ તો, મંદિર-મસ્જિદના વિવાદોની એટલી મોટી યાદી તૈયાર છે કે દાયકાઓ સુધી કાનૂનના દરબારમાં અને જનતાના દરબારમાં તેની દલીલો ચાલતી રહેશે.

ના કાનૂન, ના ઇતિહાસ, પણ રાજનીતિ

નોંધવા જેવું એ છે કે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં જે ઝડપે ઘટનાઓ બની છે – સ્થાનિક કોર્ટના હુકમથી સર્વે આવી ગયો, સર્વે લીક થયો, એમાં “શિવલિગ” મળી આવ્યું, સર્વોચ્ચ અદાલતે “શિવલિંગ”વાળો ભાગ સીલ કરવા અને બાકીના ભાગમાં નમાજ અદા કરવા હુકમ કર્યો અને છેલ્લી સુનાવણીમાં આ કેસને વારાણસી સિવિલ કોર્ટમાંથી ખસેડીને જિલ્લા કોર્ટમાં સોંપવા હુકમ કર્યો તે પરથી સ્પષ્ટ દેખાય છે કે બહુ ઝડપથી આ મામલો ગંભીર બની ગયો છે. હવે તો, મથુરાની સિવિલ કોર્ટે પણ ઇદગાહ પર કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની અરજીને “મેઇન્ટેનેબલ” ગણીને તેમાં ય એક નવું કાનૂની પ્રકરણ શરૂ કર્યું છે.

છેલ્લા દોઢ વર્ષથી હિંદુ-મુસ્લિમને લઈને દેશમાં સતત કોઈને કોઈ ચર્ચા-વિવાદ ચાલતો રહ્યો છે. ચાહે હિઝાબનો વિવાદ હોય, ધર્મસંસદ હોય, હલાલ માંસનો મુદ્દો હોય, રામનવમી અને હનુમાન જયંતીનાં તોફાનો હોય, લાઉડસ્પીકર હોય, બુલડોઝર હોય, તાજમહેલ કે કુતુબ મીનાર હોય, એવો એક પણ દિવસ પસાર થતો નથી જ્યાં ધ્રુવીકરણના, ધાર્મિક ભાવનાના અને કાયદો અને વ્યવસ્થાના સમાચારો આવતા ન હોય. એમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ અચાનક સૌથી મોટો વિવાદ બની ગઈ છે.

આગળ કહ્યું તેમ, ત્યાં મંદિર હોવાનો દાવો નવો નથી અને કોર્ટમાં આ મામલો ઘણા સમયથી છે, પરંતુ અયોધ્યાના ફેંસલા પછી, અને ખાસ તો બીજાં કોઈ પૂજા સ્થળમાં ફેરફાર કરવામાં નહીં આવે તેવા કોર્ટના નિરીક્ષણ પછી, કોઈને એવી આશા નહોતી કે જ્ઞાનવ્યાપીનો મુદ્દો અયોધ્યાની જેમ મોટો થઇ જશે. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ અયોધ્યાના ચુકાદા પછી વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે “આજનો દિવસ કડવાહટ ભૂલી જવાનો છે.” ઇન ફેક્ટ, મુસ્લિમો સહિત બહુમતી લોકોએ પણ એક પીડાદાયક પ્રકરણ પૂરું થયું છે તેમ માનીને આગળ વધવાનું નક્કી કર્યું હતું.

એ જ દિવસે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતને પણ એવું પૂછવામાં આવ્યું હતું કે શું સંઘ હવે વારાણસી અને મથુરાનો મુદ્દો ઉઠાવશે? ત્યારે તેમણે કહ્યું હતું કે,” અયોધ્યાની ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હોવાથી એક સંગઠન તરીકે સંઘ એમાં જોડાયું હતું. એ એક અપવાદ હતો. હવે અમે માનવીય વિકાસના કામોમાં ધ્યાન આપીશું.”

જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને જે રીતે હેડલાઈન્સ આવી રહી છે તે જોતાં તો એવું લાગે છે કે પૂજા સ્થળ કાનૂનને રદ્દ કરવા માટે અને દેશમાં મંદિરોની પુન:સ્થાપના કરવા માટેની એક વ્યવસ્થિત મુહિમ છેડાઈ ચુકી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશાં “જનતાની ભાવના”ને સર્વોપરી માનીને માથે ચઢાવતી આવી છે. એવું લાગે છે કે જનતાની ભાવના ફરી એકવાર જાગી રહી છે. કોર્ટમાં આ મુદ્દાનું જે થવું હોય તે થાય, ભા.જ.પ. માટે તો કાશી-મથુરાની નવી ઝાંખી ઉઘડી રહી છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કાઁગ્રેસમાં સવાલ ઉઠાવનારા અને પક્ષ છોડનારા મોવડીઓની રાજનૈતિક મજલનો આગલો પડાવ શું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 May 2022

ભા.જ.પા.ને કાઁગ્રેસ મુક્ત ભારત જરા ય માફક આવે એમ નથી. ભા.જ.પા.ને એક ચોક્કસ પ્રકારની વિરોધીની જરૂર છે અને બીજા કોઇ પણ પક્ષ કરતાં કાઁગ્રેસ એ રોલ વધારે સારી રીતે ભજવતો આવ્યો છે.

કાઁગ્રેસમાં હવે કોણ નથી? આ સવાલ જાણે સામાન્ય બની રહ્યો છે. કપિલ સિબ્બલના નામ આગળ પણ હવે પૂર્વ કાઁગ્રેસ લીડર એમ લખવાનું થયું. તેમણે પોતાની એક્ઝિટ કાઁગ્રેસના ચિંતન શિબિર પહેલા જ પ્લાન કરી રાખી હતી. G-23 – એટલે કાઁગ્રેસના એવા 23 ચહેરા જેમણે પક્ષમાં ધરમૂળથી ફેરફારોની માંગ કરી, જે છે તેની સામે પોતાના વાંધા જાહેર કર્યા છે. આ 23નો આંકડો બદલાયો પણ છે. કપિલ સિબ્બલે કાઁગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની વાત ભલે આ અઠવાડિયે બહાર આવી પણ એક રિપોર્ટ અનુસાર તેમણે ૧૬મી મેએ જ પક્ષને આવજો કહી દીધું હતું અને ૧૫મી એપ્રિલથી તેમણે પક્ષના સભ્યપદને પણ વિલીન કરી દીધું હતું કારણ કે ત્યારે જે સભ્યપદ અભિયાન થયું તેમાં તેમણે પોતાનું નામ જ નહોતુ નોંધાવ્યું. વળી તેમણે સમાજવાદી પાર્ટીના ટેકાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્ય સભાના ઉમેદવાર તરીકે પોતાનું નોમિનેશન પણ નોંધાવ્યું.

છેલ્લા પાંચ મહિનામાં કાઁગ્રેસ પક્ષમાંથી મોટાં નામો, વરિષ્ઠ નેતાઓ નીકળી ગયા છે. સુનિલ જાખડ, હાર્દિક પટેલ, અશ્વિની કુમાર, આર.પી.એન. સિંઘ, અમરિંદર સિંઘ જેવા નેતાઓએ છેલ્લા પાંચ મહિનામાં કાઁગ્રેસને આવજો કહી દીધું છે. વળી જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સીંધિયા, સુશ્મિતા દેવ પણ કાઁગ્રેસમાંથી પહેલાં નીકળી ગયા છે. કાઁગ્રેસનું બળ જાણે દર દાયકાએ ઓછું થતું ગયું. પક્ષની રાજકીય સફર પર નજર કરીએ તો તો તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. સૌથી પહેલાં હતી ‘ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ’ જે સ્વતંત્રતા સાથે આકારમાં આવી અને ૧૯૭૧માં ઇંદિરા ગાંધીએ જ્યારે પોતાના પિતાને ઓળખતા નેતાઓથી બનેલા આ પક્ષને છોડીને પોતાનો પક્ષ બનાવ્યો. ઇંદિરા ગાંધીનું ૧૯૮૪માં મૃત્યુ થયું ત્યાર બાદ પણ ૧૯૯૧માં દીકરા રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યાં સુધી આ પક્ષ ચાલ્યો. ૧૯૯૨ અને ૧૯૯૭ સુધીનો એવો વખત હતો જ્યારે પક્ષનું નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારના કોઇ સભ્યના હાથમાં નહોતું. ૧૯૯૭માં સોનિયા ગાંધીએ પક્ષની લગામ હાથમાં લીધી અને એ હતી કાઁગ્રેસ પક્ષની સાવ જુદા વર્ઝન સાથેની ત્રીજી ઇનિંગ્ઝ. સોનિયા ગાંધીએ ૨૦૦૪માં કાઁગ્રેસ પક્ષને બેઠો કર્યો અને સત્તાનું જોમ ભર્યું. એક દાયકા સુધી કાઁગ્રેસ પક્ષે, સાથી પક્ષો સાથેની સંધિની મદદથી રાજ કર્યું. ૨૦૧૪માં કાઁગ્રેસ પક્ષને ભા.જ.પા.ના જોર સામે પાછી પાની કરવી પડી. ભા.જ.પા.એ સત્તા પર આવ્યા પછી પોતાની લીટી લાંબી કરવાને બદલે કાઁગ્રેસની લીટી ભૂંસવાનું કામ વધારે જોરશોરથી કર્યું. બચાવ કરવામાં કાઁગ્રેસને કાં તો શાલીનતા નડી ગઇ, કાં તો ઝનૂન ઓછું પડ્યું, કાં તો દિશાહિનતાનો વ્યાપ વધી ગયો.

જોવાનું એ છે કે કાઁગ્રેસના ઇતિહાસમાં જેણે પણ પક્ષ છોડ્યો તેણે પોતાનો પક્ષ ખડો કર્યો, તે પોતાની આગવી ઓળખ બનાવી શક્યા. પરંતુ અત્યારે જે સંજોગો છે તેમાં G-23 આવું કંઇ કરી શકશે ખરા? આપણે એવા સંજોગોમાં તો નથી જ્યાં માત્ર બે જ પક્ષ હોય. પરંતુ આ નેતાઓ એવા ચહેરા છે જે કોઇ પણ પક્ષ સાથે પોતાનું નામ જોડાય એવું પસંદ નહીં કરે. G-23વાળી થયા પછી સોનિયા ગાંધીએ ઘણાં પગલાં લીધા જેમ કે કાઁગ્રેસ વર્કિંગ કમિટી ફરી બનાવાઇ જેમાં આ ૨૩ ચહેરાઓમાંના અગત્યના ચહેરાઓને આગળ કરાયા, મહત્ત્વનું પદ સોંપાયું. સંયુક્ત નેતૃત્વની માંગને ધ્યાનમાં રાખી સોનિયાએ ૬ સભ્યોને સમિતિ બનાવી જે તેમને જ આસિસ્ટ કરે તેમાં પણ G-23ના ચહેરા હતા. મુકુલ વાસનિકે આ પગલાં પછી પોતાની જાતને G-23થી દૂર કરી દીધા. ગાંધી પરિવારે G-23ને પ્રત્યાઘાત નહીં પણ પ્રતિભાવ આપ્યો અને કળપૂર્વક એ જૂથને તોડવાની કોશિશ કરી. G-23ને પક્ષમાં આંતરિક પસંદગીઓ માટેની ચૂંટણી થશેનું વચન અપાયું હતું, પણ કોરોના વાઇરસ રોગચાળાને કારણે એ બધું પાછું ઠેલાયું. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોઆની વિધાનસભાની ચૂંટણીમાં કાઁગ્રેસનો દેખાવ નબળો રહ્યો અને ફરી G-23એ સવાલ કર્યા, આ વખતે ૨૩ના ૧૮ થઇ ગયા કારણ કે નવ જણા નીકળ્યા અને નવા ચાર ઉમેરાયા. ઉદયપુરની નવ સંકલ્પ શિબિરના પ્રતિનિધિઓ પણ સોનિયા ગાંધીએ જાળવીને પસંદ કર્યા. પક્ષમાં નેતાઓને મહત્ત્વ અપાયું – જેમ કે ભુપિંદર સિંઘ હૂડાને સમિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનું સુકાન અપાયું અને તેમના વફાદાર ઉદઇ ભાણને હરિયાણા કાઁગ્રેસના પ્રેસિડન્ટ બનાવાયા, પછી ભલે આવું કરવામાં રાહુલ ગાંધીના ખાસ ગણાતા લેફ્ટનન્ટ રણદીપ સિંઘ સૂરજેવાલાને સાઇડમાં કરવા પડ્યા હોય. ટાસ્કફોર્સ – ૨૦૨૪ પણ સોનિયા ગાંધીએ તૈયાર કર્યો જેમાં પણ એ નેતાઓને લેવાયા જેમણે કાઁગ્રેસમાં ફેરફારની જરૂર છેની વાત મૂકી હતી. પક્ષમાં સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રૂપ પણ છે, જે ભારત જોડો યાત્રા પર કામ કરશે. સિબ્બલ જ્યારે પોતાનું રાજ્ય સભા માટેની ઉમેદવારી નોંધાવતા હતા ત્યારે આ કમિટીઓ અને ગ્રૂપ કાઁગ્રેસમાં જાહેર થઇ રહ્યા હતા. કાઁગ્રેસ રાજ્ય સભાની ઉમેદવારી માટે શું કરશે તેની પર જ બધાની નજર ટકેલી છે. ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા રાજ્ય સભામાં નથી અને તેમને પુનઃઉમેદવારીની આશા છે. હવે જો તેમને જે જોઇએ છે તે મળી જશે તો કાઁગ્રેસમાં આ આંતરિક સ્તરે ઊભી થયેલી ક્રાંતિ પર ઠંડું પાણી ફરી વળશે? સિબ્બલે કાઁગ્રેસના નેતૃત્વ અંગે આકરી ટીકાઓ ખુલ્લે આમ કરી હતી અને તેમને કદાય એવો ખ્યાલ આવી ગયો હશે કે હવે કાઁગ્રેસ પક્ષ મારફતે તે રાજ્ય સભામાં નહીં પહોંચી શકે. તે ભા.જ.પા.ના આકરા વિરોધી છે એટલે તે ભા.જ.પા.માં જોડાય તે શક્ય જ નથી.

કાઁગ્રેસ નાના જૂથ બનાવી G-23ની આખી વિચારધારાને વિખેરવા માટે મક્કમ તો છે પણ પક્ષમાં ટેલેન્ટ ન બચે એ ખરેખર જોખમી કહેવાય. મજબૂત નેતાઓએ કાઁગ્રેસને આવજો કહ્યું છે કારણ કે તેમને પક્ષમાં પોતાનું ભવિષ્ય નથી દેખાયું. કાઁગ્રેસના મોવડીઓએ કામના મોવડીઓને રોકવા હવાતિયાં મારવા જ પડશે નહીંતર ‘એક હતી કાઁગ્રેસ…’ના દિવસો માથે આવી જશે.

બાય ધી વેઃ

આ હાલતમાં ભા.જ.પા. પોરસાતો હશે એ ખરું પણ તેમને કાઁગ્રેસ મુક્ત ભારત પોસાય એમ નથી. જ્યાં કાઁગ્રેસનું જોર ઘટ્યું છે ત્યાં પ્રાદેશિક પક્ષો જામ્યા છે. ચૂંટણીનું ગણિત એ જ સાબિત કરી છે કે આવા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, ઓરિસ્સા, કેરળ વગેરે રાજ્યોમાં ભા.જ.પા. માટે જીતવું અઘરું થઇ પડે. ભા.જ.પ.ને જીતવા માટે કાઁગ્રેસ સાથે સીધો સામનો થતો હોય તેવી બેઠકોની જરૂર છે. આપની રાજકીય વિચારધારા સામે ભા.જ.પા. માટે લડવાનું આસાન નથી કારણ કે આપ પણ ભા.જ.પા.ની નીતિઓમાંથી બોધ લઇ રહ્યો છે, વળી પક્ષના વિકાસને મામલે આપના નેતાઓ ભા.જ.પા.નું ઉદાહરણ આપે છે કે બે બેઠકોમાંથી ત્રણસો બેઠકો સુધી પહોંચી શકાય છે. ભા.જ.પા.ના વિકાસ મૉડલ સામે આપનું સામાન્ય લોકોના કલ્યાણનું મૉડલ બરાબર ટક્કર આપે છે. આવામાં ભા.જ.પા.ને કાઁગ્રેસ મુક્ત ભારત જરા ય માફક આવે એમ નથી. ભા.જ.પા.ને એક વિરોધીની જરૂર છે અને બીજા કોઇ પણ પક્ષ કરતાં કાઁગ્રેસ એ રોલ વધારે સારી રીતે ભજવતો આવ્યો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  29 મે 2022

Loading

મન્તવ્ય-જ્યોત—9

સુમન શાહ|Opinion - Opinion|29 May 2022

જ્યોત ૯ : નાટ્યકેન્દ્રી સાહિત્ય (‘નાટ્યશીલ’ પણ કહી શકાય) :

નાટ્યકેન્દ્રી સાહિત્ય વિશેની સમજનો પ્રારમ્ભ બે કે વધુ વ્યક્તિઓ વડે થતા સંવાદથી કરવો જોઈએ. એટલે, સૌ પહેલાં, સંવાદ.

પહેલાંની શાળાઓમાં ‘ગામડું સારું કે શહેર?’ જેવા સંવાદના કાર્યક્રમો થતા. બે વિદ્યાર્થીઓ સામસામે દલીલો કરીને પોતાનો મત જીતવા મથે. ત્યારે એ બન્ને જણા નાટકનાં પાત્રો લાગતા … હું ‘શહેર સારું’  – પક્ષે બોલતો ને સ્પર્ધા જીતી જતો; ઇનામમાં પિત્તળનું પવાલું મળતું.

એ પછીના ક્રમે મૂકી શકાશે : ઓપેરા. ૧૦-મિનિટનું નાટક. એકોક્તિ. એકાંકી. ત્રિ  અંકી. અનેકાંકી – શૂદ્રકકૃત “મૃચ્છકટિક” ૧૦ અંકનું નાટક છે.

સંસ્કૃત સાહિત્ય 1500 BC-થી આશરે AD 1100 દરમ્યાન વિકસ્યું મનાય છે.

સંસ્કૃત સાહિત્યમાં પહેલા નાટ્યકાર મનાય છે ત્રીજી સદીમાં થઈ ગયેલા, ભાસ.

એમણે ૧૩ નાટકો લખ્યાં છે એ હવે સ્પષ્ટપણે સ્વીકારાયું છે; એમાં “સ્વપ્નવાસવાદત્તા” શ્રેષ્ઠ મનાયું છે. નાટ્યોચિત અનેક કથાવસ્તુ ભાસે “રામાયણ” અને “મહાભારત”-માંથી મેળવ્યાં છે.

કેટલાક વિદ્વાનોએ પાંચમી સદીમાં થઈ ગયેલા નાટ્યકાર કાલિદાસ પર ભાસનાં નાટકોનો પ્રભાવ હોવાના નિર્દેશ કર્યા છે. કેટલાક એમ જણાવે છે કે કાલિદાસ ઇસવી સનની પહેલી સદીમાં થઈ ગયા હોવાની સંભાવના છે, અને ભાસ પાંચમીમાં થઇ ગયાની સંભાવના છે. તો કોનો પ્રભાવ કોના પર કે કોઇનો કોઇના પર નહીં એમ ગણીને ચાલવું.

આ ક્ષણે મને યાદ આવે છે ધોતી-ઝભ્ભામાં સજ્જ સાહેબો જેઓ કાલિદાસ કઇ સદીમાં થઇ ગયેલા તેની આવી સંભાવનાઓની કેટલા ય પીરિયડો લગી એવી તો ચૂંથાચૂંથ કરતા કે ન પૂછો વાત. "શાકુન્તલ" ક્યારે ભણાવશે એની ચિન્તાથી માથું દુ:ખી જતું. ભાસ કે કાલિદાસ સાહિત્યકલારસિકોના ચિત્તમાં જન્મે છે ને ચિર કાળ માટે ત્યાં જ વસે છે.

ભાસના જેટલો જ મહિમા ભરત મુનિનો છે. એમનો સમય 200 BCE અને 200 CE વચ્ચેનો મનાય છે, પણ એમ પણ મનાય છે કે અંદાજે 500 BCE અને 500 CE વચ્ચેનો હોઈ શકે.

ભારતીય નાટ્યકલાને સુગઠિત શાસ્ત્રરૂપ આપનાર ભરત છે, એમના જગવિખ્યાત ગ્રન્થનું નામ “નાટ્યશાસ્ત્ર” છે. એમાં, નાટક ઉપરાન્ત કવિતા રંગભૂમિ નૃત્ય અને સંગીતને વિશેની પણ પાયાની સિદ્ધાન્તસરણીઓ જોવા મળે છે. એમાં, ભરતે આપેલું રસસૂત્ર ‘વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત્ રસનિષ્પત્તિ:’ અને એથી વિકસેલો રસ-ધ્વનિવિચાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પ્રાણ છે.

અલંકાર, રીતિ, વક્રોક્તિ, રમણીયતા વગેરે સૌ સમ્પ્રદાયોમાં રસતત્ત્વની સર્વોપરીતા સ્વીકારાઇ છે. રસ વ્યંજિત કે ધ્વનિત થઈને જ હોઇ શકે છે. ધ્વનિવાદના પ્રવર્તક આચાર્ય આનન્દવર્ધન ધ્વનિનો ઘણો મહિમા કરે છે, પરન્તુ એમ ઠેરવવા કે રસ સર્વથા સ્પૃહણીય છે અને સર્જકે તેમ જ સહૃદયે એની હમેશાં આશાઅપેક્ષા સેવવી જોઇએ અને તદનુસાર વર્તવું જોઈએ.

ભરત સમેતના સૌ પ્રાચીનો ટૂંકમાં એટલું જ કહેવા ચાહે છે કે રસાનુભૂતિ અને અ-લૌકિક આનન્દ જ સાહિત્યકલાની સર્વોચ્ચ લબ્ધિ હોઈ શકે, ન કશું બીજું.

એ ટૂંકમાં કહેવાયેલાનો સાહિત્યના કોઈ પણ અધ્યેતાએ એના પૂર્ણ સ્વરૂપમાં સાક્ષાત્કાર કરવો જોઇએ. એટલે કે, સંસ્કૃત નાટક (શૂદ્રક, ભાસ, કાલિદાસ, ભવભૂતિ વગેરેની કૃતિઓ) અને કાવ્યશાસ્ત્રને જાણવાં તેમ જ સમજીને આત્મસાત્ કરવાં એના માટે અનિવાર્ય છે. બાકી એને ‘અધ્યેતા’ કહેતાં પહેલાં વિચાર કરવો. 

ટ્રેજેડી અને કૉમેડીના પ્રકારો નાટ્ય-સાહિત્યની પૂરા કાળથી ચાલી આવેલી પરમ્પરાઓ છે.

‘ટ્રેજેડી’-ને ‘કરુણાન્ત નાટક’ કહીએ તે ખોટું તો નથી પણ એથી એમ સૂચવાઈ જાય છે કે ટ્રેજેડીમાં કરુણ, અન્તે હોય છે, અથવા ‘એકલો, અન્ત કરુણ’ હોય છે ! હકીકત એ છે કે સમગ્ર નાટકમાં કરુણનો ક્રમે ક્રમે ઉપચય થતો હોય છે, શોકાદિ ભાવોની કિંકિણી અવારનવાર બજતી હોય છે.

ત્રણ ગ્રીક નાટ્યકારો ઍસ્કેલિસ (c. 525/524 – c. 456/455 BC), સૉફોક્લિસ (c. 497/ 6 – 406/5 BC) અને યુરિપિડિસ (c. 484 BC – 406) મહાન ટ્રેજેડીકાર મનાયા છે.

ઍસ્કેલિસ તો ‘ટ્રેજેડીના પિતા’ કહેવાય છે. એમ પણ કહેવાય છે કે એમનાં નાટકોનાં અધ્યયનોની ભૂમિકાએ ટ્રેજેડીની એક નાટ્યપ્રકાર તરીકેની સ્થાપના-પ્રતિષ્ઠા થઈ હતી. પોતા માટે એમણે ‘નાટ્યત્રયી’ લખવાનો શિરસ્તો અપનાવેલો. એક પછીનું બીજું અને તે પછીનું ત્રીજું નાટક કશા એક કથાતન્તુએ બંધાઈ જાય – કાઇન્ડ ઑફ સિકવલ. “ઑરેસ્ટિયા” ત્રયીના “ઍગેમેમ્નૉન”-માં ક્લિટેમ્નેસ્ટ્રા ઑરેસ્ટિસની હત્યા કરે છે એ, તેમ જ ઑરેસ્ટિસ ક્લિટેમ્નેસ્ટ્રાની હત્યા કરે છે એ, બન્ને કથાવસ્તુ વણાયેલાં છે.

ઍરિસ્ટોટલ જણાવે છે કે ઍસ્કેલિસે રંગભૂમિ પરનાં પાત્રોની સંખ્યામાં વધારો કર્યો અને તેમની વચ્ચે સંઘર્ષનું તત્ત્વ ઉમેર્યું; બાકી તો બધું કોરસથી – વૃન્દગાનથી – નભી જતું’તું. ઍસ્કેલિસે ૯૦ નાટકો લખ્યાં છે, બધાં નથી સચવાયાં, પણ એમાં “પ્રોમિથિયસ બાઉન્ડ” ખૂબ વખણાયું છે.

સૉફોક્લિસે ૧૨૦થી વધુ નાટકો લખેલાં પરન્તુ માત્ર ૭ એના પૂરા સ્વરૂપમાં બચ્યાં છે -“એજૅક્સ”, ખૂબ જાણીતું “ઍન્ટિગની”, એટલું જ જાણીતું “ઇડિપસ રૅક્સ”, “વીમેન ઑફ ટ્રેચસ”, “ઇલેક્ટ્રા”, “ફિલૉક્ટીટીસ”, “ઇડિપસ ઍટ કોલોનસ”.

યુરિપિડિસે ૯૫ નાટકો લખ્યાં છે, એમાં “મીડીઆ” સર્વોત્તમ ગણાય છે. મીડીઆ રાજકુંવરી હતી, જેસન સાથે એનાં લગ્ન થયાં હતાં. પરન્તુ જેસન બેવફા નીકળ્યો, ગ્રીસના કોરિન્થની રાજકુંવરીથી લલચાયો ને મીડીઆને છોડી ગયો. મીડીઆએ વૅર વાળ્યું. શી રીતે? પેલી કોરિન્થવાળીની હત્યા કરી, તેના બે પુત્રોની પણ હત્યા કરી ! ઍથેન્સ પાછા ફરીને એણે નવજીવન શરૂ કર્યું.

આ નાટકમાં જગજાણીતું કથાવસ્તુ છે – સ્ત્રી સાથે બેવફાઈ. એમાં, સનસનાટીનું તત્ત્વ છે, બદલો લેવાય છે અને તે પણ હત્યાથી બલકે એ જ સ્ત્રીને હાથે ! સ્વાભાવિક છે કે પ્રાથમિક કક્ષાના નારીવાદીઓને એમાં ‘ન્યાય’ દેખાયો અને નાટક આપણા સમયમાં યે ઊપડ્યું. એનાં ૩૫થી પણ વધુ ઍડેપ્ટેશન થયાં છે, કેટલાક તો પદ્યમાં ! ટીવી-શોઝ તેમ જ એકથી વધુ ફિલ્મો બની છે, જો કે સૌથી નૉંધપાત્ર હકીકત એ છે કે આ નાટક અનેકાનેક વાર રંગમંચ પર ભજવાયું છે.

નાટ્યસાહિત્યમાં ‘ક્લોસેટ ડ્રામા’ નામનો એક પ્રકાર વિકસ્યો છે. મૂળ નાટક તો ભજવણી માટે જ હોય પણ ક્લોસેટમાં તેને વાચન કે પઠન માટે બદલી નાખવામાં આવે છે. અભિનેતાઓ અને નાટકના જાણતલો તેનો સમુચિત પાઠ કરીને નાટકના હાર્દને પકડતા હોય છે.

આ સંદર્ભમાં મારે “સેનેકન ટ્રેજેડી”નો નિર્દેશ કરવો જોઇએ. સેનેકાએ સવિશેષે એ ત્રણ ટ્રેજેડીકારોનાં નાટકો પર કામ કર્યું છે. એમાં ૯ ‘ક્લોસેટ' નાટકો સંઘરાયાં છે, પઠનાર્થે નવેસર લખાયાં છે, બ્લૅન્ક વર્સમાં પદ્યાવતારે રચાયાં છે ! સેનેકા પહેલી સદીમાં થઇ ગયેલા. તેઓ રોમન હતા, ફિલસૂફ હતા. મૂળ કૃતિઓના નાટ્યપટને એમણે ટુંકાવી નાખ્યો છે, ઍક્શનને ઓછું કરી નાખ્યું છે, વાગ્વૈભવને પણ આછો કરી લીધો છે. “સેનેકન ટ્રેજેડી” ૧૬મી સદીમાં ફરીથી ઉપલબ્ધ થઈ અને તેને પ્રતાપે, કહે છે કે રૅનેસાંસ સમયમાં ટ્રેજેડીનો નવ્ય અવતાર પ્રગટ્યો અને તેથી ‘ફ્રૅન્ચ નીયોક્લાસિકલ ટ્રેજેડી’ તેમ જ ‘ઍલિઝાબેથન ટ્રેજેડી’ જેવી નાટ્યધારાઓ જન્મી.

જાણીતું છે કે ૧૬મી સદીમાં શેક્સપીયર થઇ ગયા અને ‘શેક્સપીયરિયન ટ્રેજેડી’-નું નૉંધપાત્ર ઉમેરણ થયું. છેલ્લી સદીમાં બૅકેટ અને આયોનેસ્કો થઈ ગયા અને “ટ્રેજી-કૉમેડી” જેવા આધુનિક પ્રકારનો આવિર્ભાવ થયો. બૅકેટે પોતાના “વેઇટિન્ગ ફૉર ગોદો”ને ‘એ ટ્રેજીકૉમેડી’ કહ્યું છે.

મને કહેવું ગમે છે કે “પોએટિક્સ”-ના કર્તા ઍરિસ્ટોટલે ટ્રેજેડીની વ્યાખ્યા કરી તેની ભૂમિકામાં આ ગ્રીક ટ્રેજેડીકારોની કૃતિઓનું ભાવન-અનુભાવન હતું. ઍરિસ્ટોટલ કે કોઈપણ સન્નિષ્ઠ સિદ્ધાન્તકાર કલાનુભવ વિના નથી બોલતો. બાકી, બીજાના સિદ્ધાન્તોને પોતાને નામે ચડાવનારા ખોખલા ઘણા હોય છે, આજુબાજુ ઝીણી નજર નાખવાથી દેખાઈ જતા હોય છે.

મૂવિ અથવા ફિલ્મ અથવા ચલચિત્ર ભલે અલગ કલાપ્રકાર ગણાય છે, એના હાર્દમાં નાટક છે. જે ફિલ્મમાં નાટ્ય-નામી ઍક્શન નથી હોતી, એને ઝાઝી વાર લગી જોઈ શકાતી નથી, સિવાય કે એ કશો ધીંગો પ્રયોગ હોય. બાકી એવી રચનાઓને ‘ટૉકેટિવ’ કહેવાય છે. અને એ એમ છે એવી પ્રામાણિક જાહેરાત પણ કરાય છે.

સર્વોપરી સત્ય એ છે કે નાટક પ્રેક્ષક સામે ઘટવું જોઈએ, બનતું જોઈ શકાવું જોઈએ, ઇટ મસ્ટ હૅપ્પન ! પાત્રો વાતો જ કર્યા કરે, તે ન ચાલે. વાતો માટે કે કથન કરવા માટે નાટક નથી, એ એના ઉત્તમોત્તમ અર્થમાં નાટ્ય છે, કાર્ય છે, ઍક્શન છે. આ જરૂરતને આપણે ત્યાં ‘મંચનક્ષમતા’ કહેવાય છે.

આપણે જો યાદી બનાવીએ તો કેટલાં ગુજરાતી નાટકો મંચનક્ષમ નીકળે?

અરે ! કૉમેડીના નાટ્ય-સાહિત્ય વિશે કહેવાનું તો રહી જ ગયું ! ફરી કોઈવાર.

= = =

(May 29, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,3751,3761,3771,378...1,3901,4001,410...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved