Opinion Magazine
Number of visits: 9458904
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદિવાસી સ્વાયત્ત રાજ્યની ચર્ચા

અરુણ વાઘેલા|Opinion - Opinion|4 June 2022

ભારતમાં જગજૂની પ્રજા તરીકે આદિવાસીઓનું અસ્તિત્વ છે. અગાઉ આદિવાસી સમાજ એટલે સ્થિર, અચળ અને પ્રાથમિક સ્વરૂપનો સમાજ છે, એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી. છેલ્લા ચારેક દાયકાથી આદિવાસી જીવનશૈલીનો વિવિધ દૃષ્ટિકોણથી અભ્યાસ થઈ રહ્યો છે, તેમાં સાંપ્રતમાં આદિવાસી-ઓળખ(Tribal Identity)નો મુદ્દો ખાસ ઊભરી રહ્યો છે. પ્રસ્તુત વિચારણાના સંદર્ભમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનો મુદ્દો પણ મહત્ત્વનો રહ્યો છે. તેનો ઇતિહાસ ઘણો લાંબો છે અને ઇતિહાસ ઉપરાંત રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના સંશોધકો તેમાં પીએચ.ડી. કે સ્વતંત્ર ગ્રંથ લખી શકે તેટલી શક્યતા પડેલી છે. ગુજરાતની જ વાત કરીએ તો અહીં અઢળક માત્રામાં આદિવાસી સ્વાયત્ત રાજ્યની વિચારણા અને પ્રયાસો થયાં છે. તેમાં પુરવાર કરવો અઘરો બને તેવો આદિવાસીઓ મૂળનિવાસી અને બાકીના બહારના એવો સુષુપ્તભાવ પણ રહેલો છે. સ્વાયત્ત આદિવાસી રાજ્યની માંગણી પાછળ ભૂતકાળમાં અને સાંપ્રતમાં બિનઆદિવાસીઓ દ્વારા આદિવાસીઓને થતાં અન્યાય અને પક્ષપાતી વલણ જવાબદાર છે.

ગાયકવાડી આદિવાસી કલ્યાણપ્રવૃત્તિઓ (૧૮૮૫–૧૯૩૯), ગાંધીવાદી રચનાત્મક કાર્યો (૧૯૨૨–૧૯૪૭) અને પંચમહાલમાં ભગત આંદોલન (૧૯૦૫–૧૯૩૧) તથા બીજી સુધારાપ્રવૃત્તિઓ પછી આદિવાસીઓમાં સામાજિક સ્તરીકરણ(SocialStratification)ની પ્રક્રિયાને વેગ મળ્યો હતો. ઉક્ત પ્રવૃત્તિઓના લાભાર્થીઓમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યની સ્થાપનાનો મુદ્દો ઘણો બુલંદ રહ્યો છે. સ્વાયત્ત આદિવાસી રાજ્યની પછવાડે આદિવાસી – બિનઆદિવાસી સંબંધો સારી રીતે વિકસી શકે જ નહિ, એવો ગર્ભિતાર્થ પણ રહેલો છે. કારણ કે આદિવાસી – બિન-આદિવાસી વચ્ચે અંતર ભલે ઓછું થયું હોય, પણ નષ્ટ તો નથી જ થયું એ નોંધવું રહ્યું. ભૂતકાળમાં આશાવલ, સુન્થ, ઝાલોદ, ડાંગ, ગંગથા, સાગબારા, વાડી જેવાં અનેક નાનાંમોટાં રાજ્યો અસ્તિત્વ ધરાવતાં હતાં. એકાધિક નેતાઓ અને વિચારધારાઓએ સ્વાયત્ત રાજ્યનો મુદ્દો ઉપાડ્યો હતો. પણ સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈએ લખેલાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનું સૂત્ર (સુરત, ૧૯૭૦) પુસ્તક અને છૂટાછવાયા લેખોને બાદ કરતાં આ મુદ્દા પર શાસ્ત્રીય વિચારણા થઈ હોય તેવું જાણવામાં નથી. આ લેખમાં ગુજરાતના આદિવાસીઓમાં સ્વાયત્ત રાજ્યના ઇતિહાસ અને સાંપ્રત સંદર્ભની ચર્ચા કરવામાં આવી છે.

ગુજરાતમાં ૨૫ જેટલી આદિવાસી જાતિઓ અને અંદાજે ૯૦ લાખ જેટલું વસ્તીબળ ધરાવતા આદિવાસીઓનો સ્વાયત્ત આદિવાસી રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ ઘણો લાંબો, હિંસક-અહિંસક અને રોમાંચક રહ્યો છે. અહીં આદિવાસીઓ એટલે બધી જાતિઓના આદિવાસીઓ ભલે તેમાં ન જોડાયા હોય, પણ બહુમતી અને પ્રભાવી આદિવાસી જાતિઓના પ્રયાસોને આદિવાસી સ્વાયત્ત રાજ્યના ભાગ રૂપે ગણવામાં આવ્યા છે. તેમાં સૌ પહેલાં વાત કરીએ પંચમહાલના નાયક આદિવાસીઓની …

આદિવાસી સ્વાયત્ત રાજ્યનો પહેલો પ્રયત્ન જાંબુઘોડા વિસ્તારમાં જોરિયા પરમેશ્વર(૧૮૩૮–૬૮)ના રૂપમાં પ્રાપ્ત થાય છે. આદિવાસીઓના જંગલના હક્કો (વેઠ પ્રથા, શાહુકારી શોષણ વગેરે મુદ્દાઓને લઈ તેણે આંદોલન ઉપાડ્યું હતું. તેનું આંદોલન બ્રિટિશ શાસન ઉપરાંત સ્થાનિક રિયાસતો અને જમીન-જાગીરદારો સામે પણ હતું. જોરિયાએ લડવૈયા નાયકાઓનું સુવ્યવસ્થિત તંત્ર તૈયાર કરી આરપારનો જંગ શરૂ કર્યો હતો. તેનો ઇરાદો હાલોલથી લઈ છોટાઉદેપુર વચ્ચેની પટ્ટીમાં નાયકીરાજ (નાયક આદિવાસીઓનું રાજ્ય) સ્થાપવાનો હતો. જેતપુર, રાજગઢ, જાંબુઘોડા અને શિવરાજપુર ખાતે નાનીમોટી લડાઈઓ (જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૮૬૮) લડી અંગ્રેજ શાસનને મજબૂત પડકાર આપ્યો હતો, પરંતુ જગતસત્તા બ્રિટન સામે તે વામણો પુરવાર થયો. તેનાં ગામ વડેકની તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૧૮૬૮ની આખરી લડાઈમાં જોરિયો પરાસ્ત થયો અને અંગ્રેજોએ અન્ય ચાર નાયક યોદ્ધાઓ સાથે જોરિયાને ફાંસીએ લટકાવી દીધો. સેંકડોની સંખ્યામાં નાયક યુવાનો શહીદ થયા તે જુદું. આમ, આદિવાસીઓના પહેલા સ્વાયત્ત રાજ્યના સપનાનું બાળમૃત્યુ થયું. બિરસા મુંડાની લગોલગ બિરાજે તેવો જોરિયા જેવો કદાવર આદિવાસી નેતા બિન-આદિવાસીઓ માટે તો ખરો જ, ખુદ આદિવાસીઓમાં પણ વિસ્મૃતપાત્ર રહ્યો છે.

આદિવાસીના સ્વાયત્ત રાજ્યનું બીજું ઉદાહરણ ભરૂચનાં તળાવિયાઓએ પૂરું પાડ્યું છે. લખાભગત નામના એક ધાર્મિક ગુરુ તેમના નેતા હતા. તેમની ગણતરી હતી કે જિલ્લાનો વહીવટ કરનાર કલેક્ટર જ સરકાર ગણાય અને તેને મારી નાંખીએ, તો આપણું રાજ આવી જાય. તેને અમલમાં મૂકવા તારીખ ૨૨ નવેમ્બર, ૧૮૮૫ના રોજ તેમની ૧૫૦ માણસોની ટોળી ભરૂચના રસ્તાઓ પર સશસ્ત્ર નીકળી પડી. તેમણે ફરવા નીકળેલા પ્રેસ્કોટ નામના પોલીસ-સુપ્રિટેન્ડન્ટને કલેક્ટર સમજી મારી નાંખ્યો અને ભરૂચમાં આવેલી બૉમ્બે પ્રેસિડેન્સી બૅન્ક પર હુમલો કર્યો. તળાવિયાઓએ તીરકામઠાં અને તલવારોથી ભરૂચમાં ભય ફેલાવી દીધો. ત્યાં થયેલી ઝપાઝપીમાં બંને પક્ષે હતાહત થઈ હતી. થોડા સમય માટે સંતાકૂકડી ચાલ્યા પછી કેટલાક બળવાખોરો ઝડપાઈ ગયા. તેમાંથી ત્રણને ફાંસી અને ૫૧ને  જન્મટીપની સજા પછી તળાવિયાઓનું સ્વાયત્ત રાજ્યનું સપનું પણ અધૂરું રહ્યું. ગુજરાતના ઇતિહાસનો આટલો મહત્ત્વપૂર્ણ ઉપક્રમ હોવા છતાં ડૉ. સી.સી. ચૌધરીના અપવાદને ગણતાં બહુ ઓછા સંશોધકોનું ધ્યાન તે તરફ ગયું છે.

તળાવિયાઓનું પ્રકરણ પૂરું થયા પછી અનુક્રમમાં સ્વામી ગોવિંદગુરુ અને ભગતઆંદોલન (૧૯૦૫–૧૯૩૧) એ ભીલ રાજ્ય સ્થાપનાનો મહત્ત્વપૂર્ણ મુકામ હતો. મૂળ તો ગોવિંદ ગુરુ (૧૮૭૪–૧૯૩૧) નામના વણઝારા જાતિના ગુરુએ આદિવાસીઓમાં સંપસભા (૧૯૦૫) નામનું સંગઠન ઊભું કરી તેઓમાં સામાજિક અને ધાર્મિક સુધારણાનું ઉત્તમ વાતાવરણ તૈયાર કર્યું હતું. તેમની સુધારા-પ્રવૃત્તિઓને પરિણામે લાખો ભીલો તેમના ભક્તો બન્યા હતા. માંસાહાર–મદ્યપાનનિષેધ અને આદિવાસીઓના જંગલના હક્કો, વેઠ પ્રથા જેવા મુદ્દાઓ ઉપાડી ગોવિંદ-ગુરુએ ભીલોની ચેતનાને ઝંકૃત કરી હતી. તેમની પ્રવૃત્તિઓને પરિણામે દેશી રજવાડાંઓ અને અંગ્રેજ સરકારની દારૂમાંથી થતી આવકમાં ધરખમ ઘટાડો થયો હતો. પ્રતિક્રિયા રૂપે સ્થાપિત હિતો ભગત-આંદોલનને કચડવા તૈયાર થયા. સામંતશાહી શક્તિઓએ ભીલોની ધાર્મિક આસ્થાઓને જલીલ કરવામાં કોઈ કસર ન છોડી. આખરી ઉપાય રૂપે ગોવિંદગુરુએ માનગઢ ખાતે દોઢ લાખ ભીલોને ભેગા કરી ભીલરાજનું રણશિંગું ફૂક્યું. પરિણામે ગુજરાત અને રાજસ્થાનના સીમાડે આવેલા માનગઢ ખાતે ભીષણ હિંસક સંઘર્ષ થયો. ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ બનેલી માનગઢની ઘટનામાં સેંકડો ભીલો શહીદ થયા હતા, ગોવિંદ ગુરુ અને તેમના મુખ્ય શિષ્ય પૂંજા ધીરજી પારગી સમેત સેંકડો ભીલોને જન્મટીપથી લઈ આકરી કેદની સજાઓ કરવામાં આવી. માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ વધુ કરુણ ઘટના ગણાય છે. ભગત-આંદોલન થકી ઊભો થયેલો ભીલરાજ્યનો વિચાર ભલે ચરિતાર્થ ન થયો, પરંતુ લાંબા સમય સુધી આદિવાસી સ્વાયત્ત રાજ્યની સ્થાપનાનું પોષણ આદિવાસી અગ્રજો તેમાંથી મેળવતા રહ્યા હતા. આજે તો પંચમહાલ અને દક્ષિણ રાજસ્થાનનાં લાખો આદિવાસીઓ માટે માનગઢધામ અને ગોવિંદગુરુ પ્રેરણાસ્રોત સમાન છે અને આદિવાસી યુવાઓ સંપસભા જેવાં ગોવિંદગુરુએ સ્થાપેલા સંગઠનના નકશેકદમ પર સંગઠિત થવા કમર કસી રહ્યા છે.

માનગઢ અને ભગતઆંદોલનની સમાંતર યાદ કરાતી બીજી ઘટના ઓસવાળ વણિક જ્ઞાતિના મોતીલાલ તેજાવત (૧૮૮૮-૧૯૬૩) પ્રેરિત એકી ચળવળ અને દૃઢવાવ હત્યાકાંડ છે. ૭ માર્ચ, ૧૯૨૨ના રોજ સર્જાયેલા દૃઢવાવ હત્યાકાંડ એ એકી આંદોલનની કરુણાંતિકા હતી. આદિવાસીઓના સામાજિક-આર્થિક મુદ્દાઓને લઈ આંદોલન છેડનાર મોતીલાલે ભીલ સમાજની સમસ્યાઓનું સમાધાન ન આવતા ભીલરાજનો ઉપાય અજમાવ્યો હતો. પણ તેમનો આ પ્રયત્ન પણ ગોવિંદ ગુરુના ભગતઆંદોલનની જેમ નિષ્ફળતાની કડી જ પુરવાર થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દૃઢવાવ હત્યાકાંડમાં પણ શહીદોની સંખ્યા સેંકડોમાં હતી. એકી ચળવળ ભીલરાજના મુકામને આંબવામાં ભલે અસફળ રહી હોય, પણ મોતીલાલ તેજાવતે પોતાના ભીલરાજ આંદોલન થકી આદિવાસીઓની બિનઆદિવાસી નેતા પ્રત્યે ત્યાગ અને સમર્પણની ઉચ્ચતમ મિસાલ પેશ કરી છે.

૧૯૪૭માં રૂમઝૂમ કરતી આઝાદી આવી, પણ આદિવાસીઓ જેવાં અનેક વંચિત જૂથો માટે ભારતની રાજકીય આઝાદી કોઈ નવો સંદેશ લાવી ન હતી. ભારતમાં સત્તાપરિવર્તન જરૂર થયું હતું, પણ આદિવાસીઓની હાલતમાં કોઈ વિશેષ પરિવર્તન આવ્યું ન હતું. પરિણામે આદિવાસી સમસ્યાઓ અને સ્વાયત્ત રાજ્ય બાબતે નવેસરથી વિચારણા શરૂ થઈ હતી. તેમાં કેટલીક વિચારસરણીઓએ આદિવાસીઓને ઈંધણ પૂરું પાડ્યું હતું. આઈ.પી. દેસાઈએ તેમના અભ્યાસમાં સામ્યવાદી, પ્રજાસમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષને સ્વાયત્ત આદિવાસી રાજ્ય આંદોલનના પોષક ગણાવ્યા છે.

આઝાદી પછી આદિવાસીઓનું અલગ રાજ્ય હોવું જોઈએ, તેનો સૌથી અસરકારક નમૂનો કેસરીસિંહ ગામીતે પૂરો પાડ્યો છે. તેમની ચળવળ સતીપતિ અથવા આપકી જયવાળા કે આરતીસમાજ તરીકે પણ ઓળખાઈ હતી. કેસરીસિંહ મૅટ્રિક પાસ અને આદિવાસી સમસ્યાઓની સારી સૂઝ ધરાવતા હતા. કેસરીસિંહે ૧૫ જેટલી પ્રાર્થનાઓની પણ રચના કરી હતી. દર પૂનમ અને અમાસના દિવસે હજારો અનુયાયીઓ તેમનો ધાર્મિક ઉપદેશ સાંભળવા વ્યારા તાલુકાના કટાસવણ ગામે આવતાં હતાં. દારૂ-તાડી અને માંસાહારનો ધિક્કાર, સાદું-નિષ્પાપ જીવન તથા બિનઆદિવાસીઓથી આદિવાસી સમાજ અને સંસ્કૃતિને કેવી રીતે બચાવવી એ તેમના ઉપદેશનો કેન્દ્રીય સૂર રહેતો હતો. સતીપતિના અનુયાયીઓએ પોતે મૂળ નિવાસી હોવાથી જમીન–મહેસૂલ ન ભરવું, વીજળી બિલ ન ભરવું વગેરે સરકારી પ્રયોજનોને પડકારવાનું શરૂ કર્યું, પરિણામે ઘણે ઠેકાણે સતીપતિના અનુયાયીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ પણ સર્જાયો હતો. સતીપતિના અનુયાયીઓ પરસ્પરને મળતી વખતે ‘આપ કી જય’ બોલી એકબીજાનું અભિવાદન કરતા હતા. શિક્ષિત આદિવાસીઓને ‘ભેંસોનું ટોળું બની રહેવું સારું કે ગધેડાઓનું’ એમ કહેનાર કેસરીસિંહ સતીપતિવાળાને શાસન ચલાવવાની સત્તા બ્રિટિશ શાસન દ્વારા મળી હોવાનું જણાવતા હતા. ઇંગ્લૅન્ડની મહારાણી સાથે તેઓ પત્રવ્યવહાર પણ કરતાં હતા. સતત હિંસક સંઘર્ષ પછી કેસરીસિંહે પોતાના કાર્યક્ષેત્રમાં તબદીલી કરી હતી. પાછળથી તેમના સંગઠનને આધ્યાત્મિક જ્યોત, જ્યોતિ પ્રદીપ્ત સમાજ અને વંશીય સંબંધોનું બોર્ડ અને વિવાદ પતાવટ સમિતિ એવાં નામો આપ્યાં હતા. મતદાન ન કરવું, વ્યવહારમાં હિન્દીનો ઉપયોગ, મૃત્યુ પ્રસંગે રોવું–કૂટવું નહિ અને દાદા ઉર્ફે કેસરીસિંહ ગામીતની હાજરીમાં સાદાઈથી લગ્નવિધિ વગેરે સતીપતિ આંદોલનના વિશેષ હતાં. આદિવાસી સ્વાયત્ત રાજ્યના ઇતિહાસમાં કેસરીસિંહનું કેસરીસિંહદાદા તરીકે આજે પણ આદરપૂર્વક સ્મરણ થાય છે

આદિવાસી સ્વાયત્ત રાજ્ય સ્થાપનામાં કેટલીક રાજકીય વિચારધારાઓએ પણ ઝંપલાવ્યું હતું. ઉદાહરણ તરીકે ૧૯૬૯માં ગુજરાત વિધાનસભાની બજેટબેઠકમાં પ્રજાસમાજવાદી પક્ષના સભ્ય અને ડાંગ વિસ્તારના નેતા રતનસિંહ ગામીતે કહ્યું હતું કે હાલનું રાજ્ય ડાંગીઓના પ્રશ્નો હલ કરી શક્યું નથી, અમે ડાંગી સેના ઊભી કરી અલગ રાજ્યની માંગણી કરીશું. તે પછી ડાંગના પાટનગર આહવામાં મે, ૧૯૬૯માં આદિવાસી સ્વાયત્ત રાજ્યની માંગણી કરતી પરિષદ મળી હતી અને દક્ષિણ ગુજરાતમાં સ્વાયત્ત આદિવાસી રાજ્યનું સૂત્ર વહેતું થયું હતું. પાછળથી તેઓએ ડાંગના મહારાષ્ટ્રમાં વિલીનીકરણને બદલે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી હતી. તેઓ પાડોશના તાલુકાના ઢોડિયા આદિવાસીઓને પણ બહારના ગણતા હતા (જુઓ : આઈ.પી. દેસાઈ, પૃષ્ઠ. ૧૭) આ જ  શુન્ખલામાં ૧૫ જૂન, ૧૯૭૦નાં રોજ સ્વતંત્ર પક્ષના ચાર આદિવાસી ધારાસભ્યોએ સ્વાયત્ત આદિવાસી રાજ્યની માંગણી અર્થે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું જાહેર કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં ભીલરાજની માંગણી પૂર્વસાંસદ સોમજીભાઈ ડામોરે કરી હતી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભીલ બાહુલ્યવાળા વિસ્તારમાં ભીલ રાજ્ય સ્થાપવાની તેમની ખેવના હતી. તેણે થોડો સમય પૂર્વ ગુજરાતમાં હલચલ ઊભી કરી અને પછી દૂધના ઊભરાની જેમ શમી ગયું હતું.

ટૂંકમાં, ગુજરાતમાં સ્વાયત આદિવાસી રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ વિચારસરણી, નેતૃત્વ અને કાર્યપદ્ધતિની રીતે વિવિધરંગી રહ્યો છે.

આદિવાસીઓના સ્વાયત રાજ્યરચનાનાં ૧૫૦ વર્ષના પ્રયાસોની ઝાંખી અહીં આપણે જોઈ. તે પછી ભૂતકાળમાં થયેલી આદિવાસી રાજ્યની માંગને ન્યાયી ઠેરવવા કે નકારવા એવા સવાલોમાં અહીં પડવું નથી. પણ આદિવાસી રાજ્યની માંગ કરતી વખતે આટલા મુદ્દાઓ ગાંઠે બાંધવા જેવા છે :

૧.       આદિવાસીઓનું પોતાનું રાજ્ય બની જશે, તો તેમની બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે? સ્વાયત્ત રાજ્યમાં આદિવાસી સમાજજીવન સમસ્યામુક્ત બની જવાનું હોય, તો તે માટેના પ્રયાસો આજથી જ શરૂ થઈ જવા જોઈએ .

૨.       ગુજરાતના આદિવાસીઓમાં ૨૫ જેટલાં પેટા જૂથો છે. શું તે તમામ જૂથોને સ્વાયત્ત આદિવાસી રાજ્યમાં વિકસવાની સમાન તક મળશે? કારણ કે અહીં મુખ્ય ધારાના સમાજના પ્રભાવમાં આદિવાસી ઉત્કર્ષને અવકાશ નથી માટે સ્વાયત્ત આદિવાસી રાજ્ય જરૂરી છે, એવો ખ્યાલ આદિવાસીઓની પ્રભાવી જાતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારની માંગણી સ્વાયત્ત આદિવાસી રાજ્ય બન્યા પછી તેમની સમસ્યાઓનું નિવારણ ન આવતાં અન્ય જૂથો નહીં કરે તેની કોઈ ખાતરી ખરી? શું સ્વાયત્ત આદિવાસી રાજ્યમાં આદિવાસી સમાજ પેટાજાતિવાદમાંથી મુક્ત રહી શકશે?

૩.       કોમ, ધર્મ, સંપ્રદાય અને ભાષાઈ ધોરણે રચાયેલાં રાજ્યો કે રાષ્ટ્રો તેમની સ્વાયત્તતાની માંગણી પહેલાની વિચારધારાને સ્વાયત્ત રાજ્ય સ્થપાયા પછી કેટલી સાચવી શક્યાં છે, તેનાં ઇતિહાસમાં પણ લટાર મારવા જેવી છે. ઉદાહરણ તરીકે આપણું પાડોશી પાકિસ્તાન અને બાલ્કન સમુદ્રના કાંઠે વસેલાં કેટલાક રાજ્યો.

૪.       ગુજરાતમાં સ્વાયત્ત આદિવાસી રાજ્યના અનેક સૂચિતાર્થો હતા. તેના માટેની માંગણી ખુદ આદિવાસી સમાજમાંથી ઓછી અને બાહ્ય પરિબળોથી પ્રેરિત વધુ હતી. કહો કે આદિવાસીઓના ખભે બંદૂક મૂકી સ્વાયત્ત રાજ્યનો પ્રયત્ન વધુ થયો હતો. એ જે પણ રાજકીય પરિબળોથી પ્રેરિત હોય એ ખરું પણ તેનાથી આદિવાસીઓની રાજકીય અને પ્રજાકીય સભાનતાને ઉત્તેજન મળ્યું એ પણ નક્કર વાસ્તવિકતા છે .

૫.       આદિવાસી સ્વાયત્ત રાજ્યની ખેવનામાં જે-જે નેતાઓએ રણશિંગું ફૂંક્યું હતું. તેમાં મોટા-ભાગના કિસ્સાઓમાં આદિવાસી અનુયાયીઓએ બહુ મોટી કુરબાની આપવી પડી હતી. તે જોરિયાનું નાયક આંદોલન, તળાવિયાઓની ચળવળ, માનગઢ-આંદોલન કે છેલ્લે કેસરીસિંહ ગામીતની સતીપતિ ચળવળ હોય તેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી. પંચમહાલમાં નાયક જેવી ઝુઝારુ જાતિ તો નાયકીરાજના પ્રયાસોમાં કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ હતી. આજે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાવરિયા ગામે વસતાં જોરિયા નાયકના વંશજોની દયનીય સ્થિતિના તો અમે પ્રત્યક્ષ સાક્ષી છીએ. એ જ રીતે ૧૮૮૫માં ભરૂચમાં આદિવાસી રાજ્યનું સ્વપ્ન સેવનાર લખાભગતના તળાવિયા વારસદારો તો આજે શોધ્યા જડતા નથી.

સાંપ્રતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યની વિચારણા એ આજે કશું કરી છૂટવા થનગની રહેલી, વૈશ્વિક ફલક પર ડગલાં માંડી રહેલી યુવા આદિવાસી પેઢીને રિવર્સ ગિયરમાં નાંખવા જેવી પ્રવૃત્તિ બની શકે તેમ છે. ઇતિહાસ એ માનવઅનુભવોની પ્રયોગશાળા છે, અતીત એ શીખવા અને પદાર્થપાઠો મેળવવાનું ઠેકાણું છે, ભૂલોને દોહરાવવાનું નહિ. એ આદિવાસીઓ અને વંચિતો માટે સમયનો તકાદો પણ છે. સારો વિકલ્પ એ છે કે ભારતીય સંવિધાનમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે થોકબંધ જોગવાઈઓ થઈ છે. તેનો આદિવાસી સમુદાયોએ વધતેઓછે અંશે લાભ પણ લીધો છે. એ આપણે કેમ પામી શક્યા ? આ જ પરંપરામાં બાકીના બંધારણીય હક્કો આદિવાસીઓ કેમ ન મેળવી શકે? હિંસક સંઘર્ષોનો દોર ક્યારનો ય પૂરો થઈ ચૂક્યો છે. તેમાં આદિવાસીઓનાં ફાળે ગુમાવવા સિવાય કશું જ આવ્યું નથી. હવે બંધારણીય માર્ગ અને કૂટનીતિનો રાજકીય માર્ગ બચ્યો છે. કયા માર્ગે જઈશું ?

E-mail : arun.tribalhistory@gmail.com

સંદર્ભસાહિત્ય

૧.       આઈ.પી. દેસાઈ, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનું સૂત્ર, સુરત, ૧૯૭૦.

૨.       અરુણ વાઘેલા, સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૨૦૧૯.

૩.       સંજય પ્રસાદ, અરુણ વાઘેલા અને અન્ય (સંપા.), ગુજરાતની આદિવાસી ચળવળોનો ઇતિહાસ, અમદાવાદ, ૨૦૧૯.

૪.       ઈશ્વરલાલ દેસાઈ, રાનીપરજમાં જાગૃતિ, સુરત, ૧૯૭૧.

૫.       આદિલોક (દ્વિમાસિક), જુલાઈ–ઑગસ્ટ, ૨૦૧૦માં ‘દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર સતીપતિ પંથનો પ્રભાવ’ નામનો  ડૉ. રાજેશ ગામીતનો લેખ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 10-12

Loading

‘એ લોકો’ ગરમીથી નહીં, ગરીબીથી મરે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2022

આ વરસનો ઉનાળો બહુ આકરો હતો. કહે છે કે ઓણની ગરમીએ પાછલાં સવાસો વરસનો વિક્રમ તોડી નાંખ્યો છે. વિક્રમી ઠંડી પછી ભીષણ ગરમીની સંભાવના તો હતી જ, પરંતુ આ તો આરંભથી જ બહુ અસહ્ય બની હતી.

ગરમીના આરંભ સાથે જ ગરમીથી થતાં મૃત્યુના પણ ખબર આવતા રહે છે. માનવશરીર આમ તો બદલાતી ઋતુઓ સાથે સંતુલન સાધી લેતું હોય છે, પરંતુ તીવ્ર ઠંડી-ગરમી-વરસાદ સામે ગરીબી અને અભાવોમાં જીવતા લોકો ઝીંક ઝીલી શકતા નથી. જે મૃત્યુ ગરમી કે ઠંડીને કારણે થયાનું કહેવાય છે, તે વાસ્તવમાં તો ગરીબી અને અભાવોનું પરિણામ છે.

વિશ્વખ્યાત આરોગ્ય  સામયિક ‘ધ લૈન્સેટ’માં પ્રગટ એક સંશોધનલેખ મુજબ, કાતિલ ઠંડી અને ભીષણ ગરમીથી દુનિયાભરમાં દર વરસે ૫૦ લાખ લોકોનાં મોત થાય છે. તેમાં સૌથી વધુ એશિયામાં થાય છે. એશિયાખંડના દેશોમાં પ્રતિ વરસ ઠંડીથી ૨૪ લાખ અને ગરમીથી ૨.૨૪ લાખ લોકોનાં મરણ થાય છે. ભારતમાં દર વર્ષે ૮૩,૭૦૦ લોકોનાં મોત ગરમીને કારણે થાય છે. જે કદાચ આખી દુનિયામાં સૌથી વધુ છે. એક અન્ય અભ્યાસ મુજબ, ભારતમાં ખરાબ વાતાવરણને કારણે ૧૯૭૧થી ૨૦૧૯માં ૧,૪૧,૩૦૮ લોકોનાં મોત થયાં હતાં. તેમાં એકલી લૂ લાગવાથી થયેલાં મોત ૧૭,૩૬૨ હતાં.

સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી માનવશરીર માટે સહ્ય ગણાય છે. ભારતીય હવામાન વિભાગના માપદંડ મુજબ, દેશના પર્વતીય પ્રદેશોમાં ૩૦ અને મેદાની વિસ્તારોમાં ૪૦ ડિગ્રી ગરમી સામાન્ય ગણાય છે. તેમાં થતો વધારો સાવધાનીથી ખતરાનો સંકેત આપનાર છે. હવામાન  વિભાગ માનવ અને પશુ-પંખી માટે તેથી વધુ ગરમીને લૂ, ગ્રીષ્મલહેર કે હીટવેવ ગણે છે અને તેનાથી સાવધાની માટે તેની તીવ્રતા પ્રમાણે યલો, ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કરે છે. અસામાન્ય ગરમી અને બફારાની આ લૂ ગરીબો, બીમાર, અસહાય, વૃદ્ધો, બેઘર અને કામદારો માટે જીવલેણ બની શકે છે.

લૂ કે હીટવેવ ત્રીજી સૌથી મોટી કુદરતી આફત છે. હવે તેની તીવ્રતાની સાથે સાથે અને દિવસોમાં પણ વધારો થયો છે. આઈ.આઈ.ટી., દિલ્હી અને કૅલિફોર્નિયા યુનિવર્સિટીના અધ્યયન પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ૧૯૬૦-૮૪નાં વરસોની તુલનામાં ૧૯૮૫-૨૦૦૦માં હીટવેવની ઘટનાઓમાં પચાસ ટકાની અને દિવસોમાં પચીસ ટકાની વૃદ્ધિ થઈ છે.

ગરમીથી બફાઈને, ઠંડીથી ઠૂંઠવાઈને અને પૂરમાં તણાઈને થતાં મોતના ખબર સમાજના એક વર્ગ માટે બહુ સામાન્ય બિના છે. વરસે એકાદ લાખ ગરમીથી અને સવા બે લાખ લોકો ઠંડીથી મરે છે, પરંતુ તે રાજકીય ચર્ચાનો કે આંદોલનનો વિષય બનતો નથી. શહેરી બોલકાવર્ગ માટે તો આટલાં બધાં મોત માટે પણ હવામાનની વિષમતાનું સરળ કારણ હાથવગું છે. એટલે કુદરત આગળ માનવી લાચાર હોવાનું કહી દઈને આ મોત માટે આપણી સામાજિક-આર્થિક અનવસ્થા અને અસમાનતા જવાબદાર છે, તે બાબત આબાદ રીતે ભુલાવી દેવાય છે.

જ્યાં સૌથી વધુ ઠંડી-ગરમી-વરસાદ હોય, ત્યાં મૃત્યુઆંક ઓછો હોય અને અન્યત્ર મૃત્યુઆંક વધુ હોય એવું ય બને છે. દક્ષિણ ભારતનાં મોટા ભાગનાં રાજ્યોનાં નગરો-મહાનગરો સમુદ્રતટે કે તેની નજીક છે અને ત્યાં ગરમી ઓછી હોય છે. ઉત્તર ભારતમાં ગરમી વધુ હોવા છતાં કેટલાંક વરસોથી દક્ષિણનાં રાજ્યો, આંધ્ર અને તેલંગાણામાં, ગરમીથી વધુ મોત થાય છે. એટલે તાપમાનમાં અસાધારણ વધારો-ઘટાડો થવાથી લોકો મરે છે, તેના કરતાં તેની પાછળનાં સામાજિક-આર્થિક કારણો વધુ જવાબદાર છે.

ગરમીથી થતાં મોતની સમસ્યા માત્ર હવામાનની વિષમતાની નથી. આપણા દેશમાં પ્રવર્તતા અને દિન-બ-દિન વકરતા સામાજિક-આર્થિક ભેદભાવ ખરી સમસ્યા છે. આ મોત ઠંડી-ગરમીને લીધે નહીં, રોટી-કપડાં-મકાનની પ્રાથમિક જરૂરિયાતના અભાવને કારણે થતાં હોય છે. જે મરે છે તે ગરીબ, અશક્ત, વૃદ્ધ, લાચાર અને બીમાર લોકો છે. કુપોષણ, નબળું શરીર, ગરીબી, અભાવગ્રસ્ત જિંદગી – જેમાં ખાવાને રોટલો, પહેરવાં લૂગડાં અને રહેવા મકાનનો અભાવ, તેમનાં મોતનું ખરું કારણ છે, નહીં કે ગરમી-ઠંડી-વરસાદ. દેશના અસંગઠિત શ્રમિકવર્ગના મોટા હિસ્સાને તો ધોમધખતા તાપ, કાતિલ ટાઢ અને વરસતા વરસાદમાં ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં રોજી રળવી પડે છે, એટલે આ કહેવાતી ભીષણ ગરમી એનો જ ભોગ લે છે.

હવામાનની વિષમ સ્થિતિથી થતાં મોત માટે સરકારો બાપડી શું કરે એવો નાદાન સવાલ પણ થતો હોય છે. તો સરકારો શું કરે છે, તે જાણીને રંજ અને રમૂજ થાય છે. સરકાર ગરમી સામે લડવા જે પગલાં લઈ રહી છે કે લોકોને જે પગલાં લેવા જણાવી રહી છે, તે ગરીબોની ક્રૂર મજાક સમાન છે. મોટા ભાગની રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્રો લોકોને બપોરના બારથી ચાર ઘરની બહાર ન નીકળવા, છાંયડામાં રહેવા, તરસ ન હોય તો પણ ભરપૂર પાણી પીવા, છાસ, લીંબુ, શરબત અને લસ્સી જેવાં ઘરનાં પીણાં પુષ્કળ માત્રામાં પીવા, લાઇટ કલરના, ખૂલતાં સૂતરાઉ કપડાં પહેરવાં, માથે ટોપી, છત્રી કે ભીનું કપડું રાખવા સલાહ આપે છે.

જે દેશનો મોટો કામદાર-કિસાનવર્ગ ભરબપોરે મહેનત-મજૂરી કરવા વિવશ હોય તેને છાંયડામાં રહેવા કે બપોરે આરામ કરવાનું કહેવું કેટલું વાજબી છે? જો સરકારોને તેના નાગરિકોના ક્ષેમકુશળની ખરેખર ફિકર હોય, તો તેણે ઉનાળામાં કમ સે કમ ‘મનરેગા’ મજૂરોને પગાર સહિતના આરામની સવલત આપવી જોઈએ. આમ ન કરતાં તંત્રોની ઉનાળુ બપોરે આરામ ફરમાવવાની સલાહ તેમની મજાક છે.

દેશમાં પાણીની તીવ્ર તંગી હોય, મહિલાઓને પીવાના પાણી માટે બળબળતા બપોરે બેચાર ગાઉ ચાલીને જવું પડતું હોય અને માંડમાંડ તરસ મિટાવી શકાતી હોય, ત્યારે ગરમી સામે રક્ષણના ઉપાય તરીકે વગર તરસે ભરપૂર પાણી પીવાની સલાહ સંવેદનહીન લાગે છે. આપણા આપદા–પ્રબંધકો અને નીતિનિર્માતાઓ સામાન્ય માણસની વાસ્તવિક સ્થિતિથી કેટલા વિમુખ છે, તે આવી માર્ગદર્શક સૂચનાઓથી જણાઈ આવે છે. આવી જ સલાહ કપડાં વિશેની છે. ખરેખર તો લોકોને રહેવા યોગ્ય ઘર અને ઠંડી-ગરમી સામે ટકી શકે તેવો ખોરાક મેળવી શકે તેવી રોજીની જરૂર છે. તે ખરો ઉપાય કેમ દેખાતો નથી ?  

અગાઉનાં વરસો કરતાં હવે વધુ ઠંડી કે ગરમી કેમ પડે છે અને વરસાદ ઘટી ગયો છે, તે શોધવાનું ખરું અગત્યનું કામ કોઈ કરતું નથી. એ હકીકત જગજાહેર છે કે શહેરોની ઇમારતોનાં બાંધકામમાં કાચ અને લોખંડનો વપરાશ હવે વધ્યો છે, એને કારણે ગરમી વધુ લાગે છે, એટલે તેનાથી બચવા ઍરકંડિશનરોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બીજી તરફ કહેવાતા વિકાસ માટે વૃક્ષોનું છેદન થાય છે. તેણે શહેરોને વધુ ગરમ બનાવ્યાં છે, પરંતુ શહેરી આયોજનમાં સુધાર કરવાનું સૂઝતું નથી.

શહેરી સત્તાધીશોને સૂઝે છે તો કેવું તે જાણવા જેવું છે. છેલ્લાં કેટલાંક વરસોથી અમદાવાદ મહાનગરપાલિકા ગરમીથી ગરીબોને બચાવવા ચાલીઓ અને ઝૂંપડાંઓનાં લોખંડનાં પતરાં કે છાપરાંને સફેદ ચૂનાથી રંગે છે. આ વરસે કમિશનર સાહેબે કૉર્પોરેશનના બાબુઓને ચૂનાનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બદલે કંપનીઓના સી.એસ.આર. ફંડમાંથી મેળવવા આદેશ કર્યો છે. હજી શહેરમાં હજારો – લાખો લોકો કેમ આવી અવસ્થામાં રહે–જીવે છે, તે સવાલ વિસારે પાડીને,  તંત્રની કોઈ જવાબદારી કે સામાજિક-વહીવટી નિસબતની લગીરે ફિકર કર્યા વિના, ગરીબોના પરસેવે તગડો નફો રળતી ખાનગી કંપનીઓના કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી ફંડમાંથી, ગરીબોના છાપરે ચૂનો લગાવવાનો આઇડિયા વાસ્તવિકતા પર ચૂનો લગાવવા બરાબર છે.

કથિત ગરમીને કારણે થતાં ગરીબોનાં મોત કુદરતસર્જિત નહીં, માનવ, વ્યવસ્થા કે સમાજસર્જિત છે. ગરમીનો કાળો કેર સામાજિક, આર્થિક ભેદભાવને ઉઘાડા પાડે છે, તેને ઢાંકવા છાપરે ચૂનો લગાવવાથી તે ઢંકાશે નહીં.

ઠંડી અને વરસાદ જેવી બાર કુદરતી આપદાઓમાં ગરમીનો સમાવેશ થતો નહોતો. છેક ૨૦૧૫માં નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ પ્રથમ વખત હીટવેવ એકશન પ્લાન ઘડ્યો હતો. તેણે હીટવેવને કુદરતી આપત્તિ ગણવાનું રાજ્યો પર છોડ્યું છે. નાણાપંચે સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના ફંડમાંથી દસ ટકા ખર્ચની મંજૂરી આપી હતી.

ગરમીથી થતાં મોત નક્કી કરવા મુશ્કેલ હોવાનું જણાવીને આપદા-પ્રબંધન કાયદા અને નિયમોમાંથી તેને બાદ કરવામાં આવેલ છે. તડકામાં કામ કરતાં બીમાર પડે, સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત થાય, પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગરમી કે લૂ દર્શાવેલ હોય, સિવિલસર્જન, સ્થાનિક પોલીસ અધિકારી અને મામલતદારની બનેલી સમિતિ સંમતિ આપે, એ સઘળું મળીને  ૧૨૪ પાનાંનો રિપોર્ટ તૈયાર થયેથી ગરમીથી થયેલું મોત ગણાય અને આર્થિક સહાય મળી શકે ! અન્ય કુદરતી આફતના જેવું આર્થિક સહાયનું ધોરણ પણ એક સરખું નથી. કોઈ રાજ્ય માત્ર ત્રીસ હજાર જ આપે છે, તો કોઈ ચાર લાખ.

સરકારો ગરીબોનાં મોત અંગે ભાગ્યે જ સંવેદનશીલ હોય છે. ગરમીથી ભલે ગરીબો મરે પણ એ શાસનની નાલેશી બને છે, એટલે આંકડાઓની રમત આદરવામાં આવે છે. પહેલાં તો હીટવેવ કે ઍલર્ટ જાહેર જ કરાતું નથી અને જાહેર કરાય તો યલો કે ઑરેન્જ જ કરાય છે. રેડ ઍલર્ટ જાહેર કરવું જ પડે તો તેનો સમય ઘટાડી દે છે. મરણના આંકડા છુપાવીને ઘટાડી દેવાય છે. ૨૦૧૫માં તેલંગાણામાં ૫૪૧, ૨૦૧૬માં ૩૨૪ મોત થયાં હતાં. પણ ૨૦૧૭માં માત્ર ૧૨ જ થયાં. આટલો મોટો ઘટાડો તંત્રની કરામત જ છે. આંધ્રએ પણ ૨૦૧૫નો ૧,૪૨૨ અને ૨૦૧૬નો ૭૨૩ મૃત્યુઆંક ૨૦૧૭માં ૧૦ કરી દેખાડ્યો હતો. માનવીની જિંદગીની જ જે દેશમાં કિંમત નથી, ત્યાં ગરીબનાં મોતની તો શી ચિંતા ?

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 07 તેમ જ 12

Loading

ચલ મન મુંબઈ નગરી—148

દીપક મહેતા|Opinion - Opinion|4 June 2022

સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન અને એમાંથી જાગી કવિતા

લગ્નગીતોનું પહેલું સંપાદન કર્યું કવિ નર્મદે

“કવિતા લગ્નમાંથી ન જાગે તો પછી બીજે ક્યાંથી જાગે? સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન. એમાંથી કવિતા જાગી. પણ એ તો સરિતા જેવી જાગી. કોઈ એકાદ બગીચાના નાના નળ જેવી એ નહોતી. એકાદ કોઈ ભણેલ ગણેલ કે પ્રેમની પોપટિયા વાણી ગોખેલ યુગલને સંતોષવા અથવા દેખાડો કરવા માટેની એ ‘રસ’ શબ્દના અતિરેકે ઊભરાતી કવિતા નહોતી; એ તો નાનાં મોટાં ને ઊંચાં નીચાં તમામ ખેતરોમાં રેલી જનારી સર્વસ્પર્શી કાવ્ય-સરિતા રૂપે જ રેલી હતી. એ કવિતાએ તો રાયથી લઈ રંક સુધી તમામ વર-કન્યાને એક જ સરખી રીતે લાગુ પડી મનધાર્યા મનોભાવ જગાવે તેવાં શબ્દચિત્રો આલેખ્યાં.” આ શબ્દો છે ગુજરાતના લોકસાહિત્યના અનન્ય સંગ્રાહક, સંપાદક, વિવેચક, અને પ્રગટકર્તા ઝવેરચંદ મેઘાણીના. ૧૯૨૮ના એપ્રિલમાં પ્રગટ થયેલા ‘ચુંદડી : ગુર્જર લગ્નગીતો’ નામના પુસ્તકના વિસ્તૃત પ્રવેશકમાં એ લખાયેલા. લગ્નગીતોના સંગ્રહો તો આપણી ભાષામાં ઘણા પ્રગટ થયા છે, પણ આ ‘ચુંદડી’ની તોલે આવે એવા બહુ ઓછા.

ગુજરાતી લગ્નગીતોનો સંગ્રહ કરી તેને પુસ્તક રૂપે પ્રગટ કરવાની પહેલ કરી હતી અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે. તેનું ૧૮૭૦માં પ્રગટ થયેલું ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો’ આ પ્રકારનું આપણી ભાષાનું પહેલું પુસ્તક. તેમાં નર્મદે વિસ્તૃત પ્રસ્તાવના લખી છે જેમાં આ ગીતો વિષે લખવા ઉપરાંત જે વિધિ વખતે એ ગવાય છે તે વિધિઓની પણ સમજૂતી આપી છે. જો કે નર્મદને ઘણાં ખરાં લગ્નગીતોના ‘રાગ’ રુદન જેવા લાગ્યા હતા! છતાં તે કહે છે : “ગીતનો રાગ, ગીતની ભાષા, ગીતમાં રહેલા અર્થ, ગીતમાં રહેલી કવિતા, ગીતમાંની રીતભાત, ઇત્યાદિ જોતાં સુરતની નાગર સ્ત્રીઓની ઊંચી કુલીનતા ને તેઓની નાગરી સુઘડતા એ બેથી ઊભરાતો જે રસાનંદ, તે આ પુસ્તકમાં ચાંદરણારૂપ દીપી રહ્યો છે.”

લોકસાહિત્યના સંપાદન-સંશોધનમાં મૌખિક પરંપરાનું, અને તેમાં ય સ્ત્રીઓની મૌખિક પરંપરાનું મહત્ત્વ જાણનાર અને સમજનાર નર્મદ કદાચ પહેલો હતો. તેનો મૂળ વિચાર તો ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને બધા પ્રદેશોમાં ગવાતાં લગ્નગીતો એકઠાં કરી તુલનાત્મક અભ્યાસ સાથે છપાવવાનો હતો. પણ તે માટે જરૂરી સમય અને પૈસાના અભાવને કારણે તેણે સુરતની નાગર જ્ઞાતિની સ્ત્રીઓમાં ગવાતાં ગીતો એકઠાં કરી સંતોષ માનવો પડ્યો.

ઝવેરચંદ મેઘાણી લોકગીતો મેળવવા ગામડાંની સ્ત્રીઓને મળીને તેમની પાસે ગીતો ગવડાવતા અને તેનો પાઠ પોતે નોંધી લેતા. પણ નર્મદનાં સ્થળ-કાળમાં આમ કરવું શક્ય નહોતું. સુરત જેવા શહેરની સ્ત્રીઓ પણ અજાણ્યા પુરુષ પાસે ગીતો ગાય નહિ. એટલે આ પુસ્તક પર નામ નર્મદનું છાપ્યું છે, પણ ગીતો ભેગાં કરવાનું કામ તેણે પોતે કર્યું નથી. એ માટે તેણે બે પત્નીઓ ડાહીગૌરી અને સુભદ્રાગૌરી, ઉર્ફે નર્મદાગૌરીની મદદ લીધી હતી. પણ એ બે કરતાં ય વધુ મદદ કરી હતી સવિતાગૌરીએ. તેમનાં લગ્ન બાળવયમાં થયાં હતાં અને ૧૫મે વરસે તે વિધવા થયાં હતાં. સાસરિયાં અને માતા, બંનેથી તરછોડાયેલી આ સ્ત્રીને નર્મદે ૧૮૬૫માં પોતાના ઘરની બાજુના ઘરમાં રાખી હતી. સવિતાગૌરી પદો રચતાં, સાહિત્યમાં રસ ધરાવતાં, એટલે તે અને નર્મદ એકબીજાંની નજીક આવતાં ગયાં. તેમનાં કાવ્યો ‘એક સ્ત્રીજન’ના ઉપનામથી ‘વિશ્વજ્યોતિ’ અને ‘સમાલોચક’ જેવાં સામયિકોમાં છપાતાં. આ સંપાદનમાંનાં ગીતોમાંથી ઘણાં સવિતાગૌરીએ મેળવી આપ્યાં હતાં. જો કે પછીથી નર્મદ સાથેના સંબંધને કારણે વગોવાઈ ગયેલાં સવિતાગૌરીને તેમના ભાઈ અને પાલીતાણાના દેશી રાજ્યના દીવાન છોટાલાલ જાનીએ પોતાની પાસે બોલાવી લીધાં હતાં. છતાં નર્મદ અને સવિતાગૌરી વચ્ચેનો સ્નેહતંતુ કાયમ રહ્યો હતો. પાછલી ઉંમરે તેમણે દૃષ્ટિ ગુમાવી હતી. ૧૯૨૫માં તેમનું અવસાન થયું.

આમ, ગુજરાતી લગ્નગીતોના પહેલવહેલા સંગ્રહ માટેનું સ્પેડ વર્ક એક સ્ત્રીએ કર્યું હતું. છતાં પુસ્તકની પહેલી આવૃત્તિમાં સવિતાગૌરીના નામનો ઉલ્લેખ સુધ્ધાં નર્મદે કર્યો નથી. માત્ર પોતાની અંગત નકલમાં સવિતાગૌરીનો આભાર માનતી નોંધ લખી હતી! ‘ગુજરાતી પ્રેસ’ તરફથી ૧૯૧૦માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં નર્મદની નોંધ છાપવામાં આવી હતી : “જે સંગ્રહ થયો છે તે જોતાં આ સંગ્રહ સંતોષકારક છે. એની ગોઠવણી કરવામાં બહુ ચતુરાઈ બતાવી છે. તે માટે સવિતાગવરીનો આભાર માનવાનો છે. એના વગર આ સંગ્રહ આવી ઉત્તમ રીતે સંગ્રહાઈ, ગોઠવાઈ શકાત નહિ.”

નર્મદનું પુસ્તક ૧૮૭૦માં પ્રગટ થયું તો કવીશ્વર દલપતરામનું ‘માંગલિક ગીતાવાલી’ ૧૮૮૩માં પ્રગટ થયું. તેમાં પણ મુખ્યત્વે લગ્નગીતોનો સમાવેશ થાય છે. ફરક એ કે અહીં દલપતરામને ગીતોના ‘કર્તા’ તરીકે ઓળખાવ્યા છે. વઢવાણના દેશી રાજ્યના ઠાકોર દાજીરાજજીના લગ્ન પ્રસંગે રાજ્યના એડમિનિસ્ટ્રેટર હરિદાસ વિહારીદાસે લગભગ એક સો લગ્ન ગીતો લખી આપવા દલપતરામને કહ્યું. દલપતરામે બીજા માંગલિક પ્રસંગોએ ગાવા માટેનાં ગીત પણ ‘રચ્યાં’ અને ૧૪૧ ગીતોનો સંગ્રહ પ્રગટ થયો. પુસ્તક છપાયું હતું મુંબઈમાં નાનાભાઈ રુસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં, અને વઢવાણના દેશી રાજ્યે પ્રગટ કર્યું હતું.

નર્મદના પુસ્તક પછી, અને દલપતરામના પુસ્તક પહેલાં લગ્નગીતોનું એક પુસ્તક મુંબઈથી પ્રગટ થયું હતું પણ તેની નોંધ ભાગ્યે જ કોઈએ લીધી છે. ૧૮૭૯માં પ્રગટ થયેલા પૂરા ૪૭૪ પાનાંના આ પુસ્તકનું લાંબુ લચક નામ હતું ‘પારસી સ્ત્રી ગરબા તથા લગનસરામાં બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ.’ અને આ પુસ્તકના ‘બનાવનાર’ હતા શોરાબજી હોરમજી. પુસ્તકના ટાઈટલ પેજ પર તેમની ઓળખાણ આ રીતે આપી છે : ‘ચિકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ અને આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. અગાઉ તેમણે ત્રણ ભાગમાં ‘રમૂજી ગરબાઓની ચોપડી’ પ્રગટ કરેલી.

શોરાબજીનો જન્મ ક્યારે થયો તે તો જાણવા મળતું નથી, પણ ૧૮૯૪ના ફેબ્રુઆરીની સાતમી તારીખે ૭૪ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા એમ જાણવા મળે છે. એવણની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. પહેલાં કેટલાંક વરસ સર જમશેદજી જીજીભાઈ, શેઠ જગન્નાથ શંકરશેઠ જેવા મુંબઈના આગેવાનોનાં માટીનાં પૂતળાં બનાવીને પૈસો-બે પૈસા લઈ લોકોને બતાવવાનું કામ કર્યું. રોજ ‘પાયધોણી’ પાસે પૂતળાં બનાવતા. પણ અહીં જ કેમ? મુંબાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તારમાં અગાઉ મુંબઈના ટાપુને વરળી-મઝગાંવના ટાપુઓથી જૂદો પાડતી છીછરી ખાડી હતી. ભરતી વખતે તેમાં સારું એવું પાણી ભરાતું, પણ ઓટ વખતે કાદવ-કીચડ રહેતો, પાણી નહિ. ભરતી ન હોય ત્યારે આવા કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. ત્યારે કાદવથી ખરડાયેલા પગ ધોવા માટે થોડો વખત આ ‘પાયધોણી’ ખાતે રોકાતા, થાક ઉતારતા. એ વખતે એક-બે પૈસા આપી કેટલાક લોકો પૂતળાં જોવાની મોજ માણતા.

એ જમાનામાં ખાસ કરીને પારસીઓમાં સપરમે અવસરે ચિકનની સાડી પહેરવાનો રિવાજ. એટલે શોરાબજી ચિકનની સાડી પર છાપકામ કરવાનો ધંધો કરતા. અને તેની સાથે સંકળાયેલો ધંધો તે પારસી કુટુંબોમાં લગન હોય ત્યારે ત્યાં જઈ ગરબા ગવડાવવાનો. આવાં કામો કરી કરીને શોરાબજી કેટલું કમાતા હશે તે તો ખોદાયજી જાણે. છતાં બચત કરીને, પોતાને પૈસે તેમણે આ પુસ્તકો છપાવેલાં, અને એ વેચતા પણ પોતે જ. આ પુસ્તકનાં પહેલાં ૩૦૪ પાનાં ગરબાએ રોક્યાં છે. પણ આ ગરબા એટલે આજના જેવાં ટૂંકા ઊર્મિ ગીતો નહિ. પણ મધ્યકાલીન સાહિત્યમાં જે લાંબા, ચરિત્ર કે પ્રસંગનું નિરૂપણ કરતા ગરબા જોવા મળે છે તેવા ગરબા. ચરિત્ર વર્ણનના ગરબા કાં પારસી અગ્રણીઓ વિષે, કાં અંગ્રેજ અમલદારો વિષેના છે. પારસીઓ હસે-હસાવે નહિ એવું તો કેમ બને? એટલે અહીં ‘રમૂજી ગરબા’ મોટી સંખ્યામાં છે. તો બીજી બાજુ ‘મુખ્ય ધારા’ના ઘણા ગરબાનાં પારસી રૂપાંતરો પણ અહીં જોવા મળે છે. નરસિંહ મહેતાના જીવનના હૂંડી અને કુંવરબાઈનું મામેરું જેવા પ્રસંગોને લગતા પારસી બોલીમાં લખાયેલા ગરબા પણ અહીં જોવા મળે છે. પારસી કોમનાં મન કેટલાં ખુલ્લાં હોય છે તેનું એક ઉદાહરણ આ પુસ્તક છે. અહીં અંગ્રેજો પ્રત્યેની રાજભક્તિ છે, તો હિંદુ દંતકથાઓ સાથેનો ઘરોબો પણ છે.

અને ખાસ નોંધવા જેવી વાત તો એ કે, ઘૂમતાં ઘૂમતાં ગાવા માટેના આ ગરબા નથી. પણ બેઠાં બેઠાં ગાવા માટેના છે. આવા ‘બેઠા ગરબા’ આજે પણ નાગર જ્ઞાતિની વિશિષ્ટતા ગણાય છે. પણ ૧૯મી સદીમાં આ પ્રથા પારસીઓમાં પણ પ્રચલિત હતી એ દેખીતું છે.

ગુજરાતી ગરબા વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો વિષે હવે પછી વાત.

°°°°°°°

ચલ મન મુંબઈ નગરી પુસ્તકનું આજે  પ્રકાશનપર્વ

વિવિધરંગી કાર્યક્રમ ‘મનને ગમે મુંબઈ’

સાહિત્યપ્રેમીઓને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ

‘ચલ મન મુંબઈ નગરી’ કોલમમાં પ્રગટ થયેલા લેખોમાંથી ચૂંટેલા ૭૪ લેખો અને ૩૦૦ જેટલાં ચિત્રો ધરાવતા પુસ્તકના પ્રકાશન પ્રસંગે મુંબઈ શહેર જેવો જ વિવિધરંગી કાર્યક્રમ ‘મનને ગમે મુંબઈ’ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને અમદાવાદના નવજીવન સાંપ્રત તરફથી આજે સાંજે યોજવામાં આવ્યો છે. પુસ્તકનું પ્રકાશન કરશે આપણાં અગ્રણી સર્જક વર્ષા અડાલજા. વિશેષ ઉપસ્થિતિ : ગુજરાતી ‘મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યા અને ‘નવજીવન સાંપ્રત’ના પ્રતિનિધિ અપૂર્વ આશર.

અભિનય, પઠન અને ગાન દ્વારા મુંબઈની વિવિધતા અને મહત્તાનું દર્શન કરાવશે રંગભૂમિ અને ફિલ્મનાં જાણીતાં કલાકારો ઉત્કર્ષ મઝુમદાર, નીલેશ જોશી, પ્રીતિ જરીવાળા, મીનળ પટેલ, સનત વ્યાસ, સંજય છેલ, સેજલ પોન્દા, અને સ્નેહલ મુઝુમદાર. કાર્યક્રમનું સંકલન કરશે ડો. ખેવના દેસાઈ. અમદાવાદના ‘નવજીવન સાંપ્રત’ દ્વારા પ્રગટ થયેલું આ પુસ્તક તથા આ પ્રકાશકનાં બીજાં પુસ્તકો કાર્યક્રમ વખતે ખાસ વળતર સાથે ખરીદી શકાશે. સાહિત્યપ્રેમીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ.

કાર્યક્રમનાં સ્થળ-સમય : શનિવાર, ૪ જૂન, સાંજે સાડા છ વાગ્યે. SPJIMR ઓડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી, પશ્ચિમ, મુંબઈ.

deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 જૂન 2022

Loading

...102030...1,3661,3671,3681,369...1,3801,3901,400...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved