Opinion Magazine
Number of visits: 9569150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારો વરાહ અવતાર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 September 2022

હાસ્ય લેખ

હા, આ મારો વરાહ અવતાર છે. કોઈ માનતું નથી મારી વાત. હું પણ માનતો ન હતો, પણ પછી જાણ્યું કે મને વરાહનું હૃદય બેસાડવામાં આવ્યું છે ને ખુદ ડોક્ટરે જ્યારે મારા ઓપરેશનની ફિલ્મ બતાવી ત્યારે ખાતરી થઈ. બન્યું એવું કે મારું હૃદય ડુક્કરને બેસાડવામાં આવ્યું ને ડુક્કરનું હૃદય મને નાખવામાં આવ્યું. મને ખબર પડી તો મેં ડૉક્ટરને કહ્યું, ‘મને મારું હૃદય પાછું આપો. ડુક્કરનું હૃદય મને નહીં ચાલે. ગમે તેવો તો ય હું માણસ છું.’ તો, ડોક્ટરે કહ્યું, ‘સોરી, સર ! તમારું હૃદય એટલું નબળું હતું કે તે બદલવું પડે એમ જ હતું.’ ‘તે હું ન જાણું, મને મારું હાર્ટ પાછું આપો,’ મેં માંગણી ચાલુ રાખી, તો ડોક્ટરે કહ્યું, ’સોરી, તમારું હૃદય જે સૂવરને નાખેલું, તેનું હૃદય બંધ પડી જવાને કારણે મૃત્યુ થયું છે.’

મને મરવા જેવું લાગ્યું, મારા હાર્ટવાળું ડુક્કર ગુજરી ગયું ને તેનાં હાર્ટવાળો હું જીવતો હતો, ‘કાંઈ તું ગયો ને હું જીવું છું થોડાં સગપણ માટે,’ જેવું પણ ગાઈ શકું એમ ન હતું, કારણ સગપણ જેવું કૈં હતું જ નહીં કે ડુક્કર માટે આવી પંક્તિ ગાવી પડે. મને એ વાતનો આનંદ થયો કે હું મજબૂત હાર્ટવાળો ડુક્કર છું, સોરી, માણસ છું. મને એ સમજાતું ન હતું કે ડુક્કરનું હાર્ટ જ માણસમાં કેમ? વાઘનું નહીં, હાથીનું નહીં, ગધેડાનું નહીં ને ડુક્કરનું? મેં ડૉક્ટરને એ અંગે પૂછેલું તો એમણે કહેલું, ‘ડુક્કરનું હાર્ટ પણ મોડીફાય કરવામાં આવે છે ને તે મનુષ્યનાં હાર્ટ જેટલું જ હોવાથી સહેલાઈથી ફિટ થઈ શકે છે.’ જો કે, મને આ અદલાબદલીવાળી વાત જ ભેજામાં ઘૂસતી નથી. તેમાં કોઈ પ્રાણીનાં પાર્ટ્સ નાખવાનું તો માણસ જાત સાથે ચેડાં કરવા જેવું જ છે. કાલ ઊઠીને એવો માણસ એસેમ્બલ થાય તો નવાઈ નહીં જેમાં તેનાં ઓરિજિનલ પાર્ટ્સ શોધેલા ન જડે. એ ખરું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાને કારણે માણસની આવરદા વધે, પણ એમ કોઈ પશુનું હૈયું લઇને જીવવા જેવું ખરું? ડૉક્ટરને મેં ત્યારે પણ કહેલું, ‘હૃદય બદલવાની જરૂર ઊભી થઈ જ તો કોઈ માણસનું હૈયું નાખવું હતું. આ ડુક્કરનું હૈયું તો બહુ અજુગતું લાગે છે.’ ડોક્ટરે મને એમ કહીને સમજાવેલો, ‘કયો માણસ પોતાનું જીવવું બંધ કરીને બીજાનું જીવવું ચાલુ કરવા પોતાનું હાર્ટ આપે?’ ડોક્ટરની વાત તો સાચી હતી, પણ મને ભૂંડનું હૈયું ગમતું ન હતું. મને એ ધાક હતો કે ડુક્કરની જેમ હું કોઈ ગટરમાં કે ઉકરડામાં તો નહીં પડી રહુંને ! પણ ડૉક્ટરે કહેલું, ‘એવી ચિંતા ન કરો. એવું કશું થવાનું નથી.’ તો પણ હું ગટરનો કે ઉકરડાનો ટેસ્ટ કરવા ગયેલો ને ખાતરી થઈ કે મને એનું કોઈ કાળે આકર્ષણ થાય એવું નથી ત્યારે પાછો વળેલો.

આમ પણ મારા પિતાજી મને ડુક્કર, ભૂંડ, ગધેડો જેવાં ઉપનામોથી વારંવાર ટપારતા રહેતા હતા એટલે ઓલરેડી, ડુક્કર તો હું હતો જ ! એ ઓછું હતું તે ડુક્કરનું હાર્ટ પણ લાઈફમાં ઉમેરાયું? આ ઠીક ન થયું. ‘એ ડુક્કર, ડુક્કર !’ જેવું પીઠ પાછળ કોઈ બોલે એટલે પણ ડુક્કરનું હાર્ટ મને મંજૂર ન હતું. એટલીસ્ટ વરાહ તો કહી શકાયને ! ડુક્કર તો કોઈ ડુક્કરને ય કહેવા જેવું નથી. આપણે માણસને ડુક્કર કહીએ છીએ, પણ ડુક્કરને માણસ કહેતા નથી. કેમ? કારણ ડુક્કરને ય સેલ્ફ રિસ્પેક્ટ જેવું હોય છે. કમ સે કમ વરાહ નામ સાંભળવું તો ગમે. તેને બદલે ડુક્કર, સૂવર, ભૂંડ જેવાં નામોથી કોઈ બોલાવે તો એમાં વરાહની આબરુ જવા જેવું થાય છે. વરાહ એટલે ડુક્કર, સૂવર, ભૂંડ, એની મને ખબર ન હતી. મને તો એમ જ કે ખુદ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીને બચાવી છે તો વરાહ બનવાનું તો કોઈને પણ ગમે ! પણ જેવી ખબર પડી કે વરાહ એટલે સૂવર, ભૂંડ, ડુક્કર, મારું વિષ્ણુ ભગવાન માટેનું માન ઊતરી ગયું. બીજું કૈં ન સૂઝ્યું તે ડુક્કરનો અવતાર લીધો? ખાસો મજાનો ભગવાનનો અવતાર છોડીને ડુક્કર થયા? આ બરાબર ન હતું, પણ એમાં કોઈ સુધારો થાય એમ ન હતું, કારણ વરાહનો અવતાર લેવાઈને તો પૂરો પણ થઈ ચૂક્યો હતો. જો કે, મને ડોક્ટરે વરાહ એટલે ભૂંડ એવું જરાક પણ ક્ળાવા દીધું હોત તો મેં કોઈ પણ રીતે ડુક્કરનું હાર્ટ ન જ લીધું હોત, પણ ત્યારે મારો અવતાર જ જોખમમાં હતો, ત્યાં વિષ્ણુનો અવતાર જાણવા ક્યાં બેસું? પછી એ આશ્વાસન લીધું કે ભગવાન જેવા ભગવાન જો વરાહનું ખોળિયું ધારણ કરી શકતા હોય તો મેં તો ખાલી હાર્ટ જ લીધું છે, મારે શું કામ શરમાવું જોઈએ?

વાત એવી હતી કે હિરણ્યાક્ષ નામના દૈત્યનો નાસ્તો કરવા વિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીને દાંત પર ઊંચકી લીધેલી. વિષ્ણુએ બધા અવતાર દૈત્યોના વિનાશ માટે જ લીધેલા. ભગવાને પણ રાક્ષસોને મારવા નૃસિંહ અવતાર, કૂર્માવતાર, મત્સ્યાવતાર ને એમ કેટકેટલું કરવું પડ્યું. તો ય, રાક્ષસો તો ઘટયા નથી. રૂપ બદલાયું હશે, પણ રાક્ષસો તો છે જ. ભગવાન વિષે શંકા હશે, પણ રાક્ષસો વિષે નથી. તે તો 100 ટકા આસપાસ નજરે ચડતા જ રહે છે. પહેલાં તો હું પણ મને ડુક્કર જ માનવા માંડેલો, પણ પછી ડુક્કરોને વાંધો પડશે એ બીકે માણસમાં જ રહ્યો. પિતાજી મને ભલે ડુક્કર કહેતા, પણ એકવાર એમણે મને ‘એ ડુક્કર આમ આવ !’ કહ્યું તો મેં સામે કહ્યું, ‘બોલો, પિતાજી !’ ને એમને લાગ્યું કે એમને પણ મારી જ ઓળખ આપી છે, તો એ બોલતાં બંધ થયેલા, ત્યારે તો ખબર નહીં કે હું ખરેખર જ વરાહનું હૃદય લઇશ, પણ લીધું ને આજ સુધી તો એના પર જ ટકેલો છું.

પણ, હવે ટકવાનું મુશ્કેલ બનતું જાય છે. બન્યું એવું કે મારી પૂર્વ ગર્લફ્રેન્ડ, પશ્ચિમમાંથી પૂર્વમાં ઓચિંતી આવી ચડી. મને ધારણા નહીં કે એ છેક ન્યૂ જર્સીથી આ જૂની જરસી પાસે આવશે ને આવશે તો મળવા પણ આવશે. સાધારણ રીતે ગર્લફ્રેન્ડ બ્રેક અપ માટે કે પરદેશ જવા માટે જ હોય છે, એમાં પણ પરદેશ ગયા પછી ત્યાં જ વસી ગઈ હોય એવી ગર્લફ્રેન્ડની નવાઇ નથી, ત્યાં તિતાલી ન્યૂ જર્સીથી એકદમ સામે આવીને ઊભી થઈ ગઈ હતી. વર્ષોથી પૂછવાનો બાકી હોય તે સવાલ તેણે પૂછ્યો, ‘કેમ છે?’

છીંક આવી હોય તેવો જવાબ મેં આપ્યો, ’છું.’

એ હસી. ખસી. હું પણ ફલેશમાં બેક થયો. એ અહીં હતી ત્યારે 12માંમાં હતી ને હું બારમું પતાવીને બેઠો હતો. એણે એક્સપોઝ કરતી હોય તેમ પ્રપોઝ કર્યું, ‘વિલ યૂ મેરી મી?’ મને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. અમે લવમાં અને પછી લવલવમાં પડ્યા. એની પાસે પૈસા હતા ને મારી પાસે સમય હતો એટલે અમે એકબીજાનું હૃદય એક્સચેન્જ કરી શક્યા. એ બોલી, ’હું તને છોડીશ નહીં.’

એ એવી રીતે બોલી કેમ જાણે બદલો લેવાની હોય. પછી ઉમેર્યું, ’કદી નહીં ! આજથી મારું દિલ તારું છે ને તારું દિલ મારું છે.’

મેં બીતા બીતા કહ્યું, ‘ને આ કોફીનું બિલ પણ …’ એણે ‘સોરી’ કહીને તરત બિલ ચૂકવી દીધું. હું દિલ આપતો રહ્યો ને એ બિલ, પણ એક દિવસ તિતાલી આવી ને બોલી, ‘એક મૂરતિયો અમેરિકાથી મને જોવા આવ્યો છે.’

એ દિવસે પહેલીવાર બિલ મારે ચૂકવવું પડ્યું ને મારું દિલ પાછું આપીને એ એનું પરત લઈ ગઈ. શોખ હતો તે શોક થઈ ગયો. એ શૉક એવો લાગ્યો કે મારું દિલ નબળું પડતું ગયું ને છેવટે એ દિલ મેં ડુક્કરને આપ્યું ને ડુક્કરે એનું હાર્ટ મને આપ્યું. એ વાતને પણ સમય થયો ને વર્ષો પછી તિતાલી એક પણ તાલી પાડયા વગર મને જોતી બેઠી હતી. બન્યું હતું એવું કે એના હસબંડે હસવાનું બંધ થઈ જાય એ રીતે બીજી શોધી લીધી હતી અને મારી આ પૂર્વ પ્રેમિકા રિડાયરેક્ટ ટપાલ જેવી મારે બારણે આવી પડી હતી. એ રડતી હતી, ’હું તારે ભરોસે છું.’

‘તું મારે ભરોસે છે ને હું રામ ભરોસે છું.’

એણે હાર્ટ શેપની એના હસબંડે આપેલી વીંટી એની આંગળીમાંથી કાઢીને મારી આંગળીમાં પરોવતાં કહ્યું, ‘હું મારું દિલ ફરી તને આપું છું, તું તારું દિલ મને આપીશ?’

હું ચૂપ રહ્યો, તો એણે ફરી પૂછ્યું, ’વિલ યૂ પ્લીઝ ગિવ મી યોર હાર્ટ અગેન?’

મને સમજાતું ન હતું કે હું શું કહું? છેવટે મેં હિંમત રિક્લેક્ટ કરતાં કહ્યું, ’જો, તિતુ ! વાત એમ છે કે તું ગઈ પછી મારું હાર્ટ એટલું નબળું પડી ગયું હતું કે મારામાં વરાહનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું.’

‘તું એક કામ કર. વરાહ પાસેથી તારું દિલ પાછું લઈ લે, સિમ્પલ !’

‘તે લેવાય એમ નથી, તિતુ !’

‘તારી ગર્લફ્રેન્ડ એવી કેવી કે તારું દિલ તને પાછું ન આપે? આફ્ટર ઓલ ઇટ ઈઝ યોર હાર્ટ !’ તિતાલી, તિતલીની જેમ મારી ફરતે ઊડવા લાગી.

‘તે એટલા માટે કે વરાહ હવે આ દુનિયામાં નથી.’

‘ઓહ ! સોરી. બાય ધ વે વરાહને તું પરણેલો?’

‘ફોર યોર કાઈન્ડ ઈન્ફર્મેશન, વરાહ ગર્લફ્રેન્ડ નથી. વરાહ એટલે ડુક્કર, સૂવર, ભૂંડ !’ મારી છાતી પર એનો હાથ મૂકતાં હું માંડ બોલ્યો, ‘મને ડુક્કરનું હાર્ટ બેસાડેલું છે, તને એ ચાલશે?’

તિતાલી માંડ પહેરાવેલી વીંટી કાઢવા મથી, પણ નીકળતી ન હતી …

0

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “કુમાર”, ઓગસ્ટ, 2022

Loading

ટૂંકમાં : અછાન્દસ કાવ્ય : અછાન્દસ કાવ્યનો લય : અને : પારિતોષિકો :

સુમન શાહ|Opinion - Literature|1 September 2022

ટૂંકમાં (૧) : અછાન્દસ કાવ્ય :

 “ટૂંકમાં” શીર્ષક હેઠળ કંઈ ને કંઈ કહેતો રહીશ.

અછાન્દસ કાવ્ય લાંબા લાંબા કાવ્યનામી નિબન્ધો લખવા માટે નથી.

અછાન્દસ કાવ્ય ત્યારે જ કરાય જ્યારે કાવ્યનું બીજરૂપ સંવેદન સંકુલ અને છટકણું હોય. 

અછાન્દસ કાવ્યને દરેકને એનો પોતાનો લય હોય, અને તે પંક્તિઓના સયુક્તિક વિભાજનથી પકડાતો હોય. 

અછાન્દસમાં પ્રાસ ક્વચિત્ હોઈ શકે, પણ હમેશાં નહીં. 

અનિવાર્ય નથી કે કાવ્યબીજનો સમ્બન્ધ આધુનિક સંવેદનશીલતા સાથે હોય. 

અનિવાર્ય નથી કે અછાન્દસ કાવ્યનો કવિ છન્દમાં કાવ્યો કરી ચૂક્યો હોય. 

અનિવાર્ય નથી કે એમાં ચીલાચાલુ અલંકારો ન હોય. 

આવશ્યક છે કે અછાન્દસનો કવિ એવું સામર્થ્ય ધરાવતો હોય કે રસપ્રદ કલ્પનો અને પ્રતીકો વડે કાવ્યાર્થ સાધી શકતો હોય. 

જરૂરી છે કે એ પુરોગામી તેમ જ સમકાલીન અછાન્દસકારોથી જુદો પડે …

(Aug 23, ’22 : USA)

••

ટૂંકમાં (૨) : અછાન્દસ કાવ્યનો લય :

આજનો આ “ટૂંકમાં” લેખ અછાન્દસ કાવ્યના લય વિશે Jigu Bavaravaએ પૂછેલા પ્રશ્નના ઉત્તર રૂપે લખ્યો છે. એમનો આભારી છું.  

દરેક ભાષાનો આગવો લય હોય છે. ગુજરાતી મરાઠી બંગાળી કે અંગ્રેજીના બોલની કલ્પના કરવાથી સમજાઈ જશે. 

ભાષામાં રચાતાં વાક્યો સામાન્યપણે એ લયમાં હોય છે. એ વાક્યો નિયત પદક્રમનું પરિણામ હોય છે. ગુજરાતીમાં, કર્તા કર્મ ક્રિયાપદ એમ નિયત પદક્રમ છે. દાખલા તરીકે, – રમેશ નિશાળે જાય છે. એવાં વાક્યોના નાના કે મોટા સમુચ્ચયને ગદ્ય કહીએ છીએ. એટલે, નમ્બર ૧-ના સ્થાને છે, ભાષાનો કે ગદ્યનો લય.

નમ્બર ૨-ના સ્થાને છે, પદક્રમમાં શક્ય ક્રમથી બદલ થવાથી બનેલી પંક્તિઓનો લય, જેને આપણે પદ્ય કહીએ છીએ. ગુજરાતીમાં, ઉપર્યુક્ત દાખલામાં, આટલા બદલ શક્ય છે : રમેશ જાય છે નિશાળે : નિશાળે જાય છે રમેશ : જાય છે રમેશ નિશાળે : જાય છે નિશાળે રમેશ. 

પદ્યરચનાઓ બે પ્રકારે થતી હોય છે : ૧ : વાક્યોને છન્દના બીબામાં ઢાળી લેવાથી : ૨ : વાક્યોને કશા પણ બીબામાં નહીં ઢાળીને. તો શેમાં? એનો ઉત્તર છે, અછાન્દસમાં. અછાન્દસનો લય ૩ – નમ્બરના સ્થાને છે. 

અને, સ્પષ્ટતા કરવી જોઈશે કે દરેક અછાન્દસ કાવ્યનો લય જુદો હોય છે. અને, વધારે સ્પષ્ટતા કરવી જોઈશે કે એમાં પદક્રમ સચવાય પણ ખરો, ન પણ સચવાય; તાત્પર્ય, એ નથી હોતો એકલા ગદ્યનો લય કે નથી હોતો એકલા પદ્યનો.

સવાલ એ છે કે એ લય શી રીતે જન્મે છે. ઉત્તર છે, પંક્તિઓના સયુક્તિક વિભાજનથી.

હું ભાવાર્થાનુસારી વિભાજનને સયુક્તિક કહું છું. 

ઉદાહરણ :

ન ઘરમાં 

ન બ્હાર 

બોર બોર જેવડાં આંસુની માળા પ્હૅરી 

ઊભી’તી એ ઉમ્બરે 

એનું લ્હૅરિયું લ્હૅરાય 

મેઘશ્યામ અકાશ ગોરમ્ભાયેલું હતું  

વારે વારે વીજ ચમક ચમકે 

ઉરધડક  

શમી ન્હૉતી હજી  

કોઇ બોર બબડતું’તું 

ઝીણું ઝીણું 

વરસાદ વરસ્યો.

આ ઉદાહરણમાં, નાની કે મોટી દરેક પંક્તિ અને તેમાં રહેલો ભાવાર્થ, માગે એટલો સમય આપવો રહે, પછી આપોઆપ અટકાશે, અટકવું, ને પછીની પંક્તિઓ માટે પણ એમ જ કરવું. એવા પાઠથી લય પ્રગટશે. એવા પાઠ પણ સયુક્તિક ઠરશે. એવા પાઠની ફરજ પડે એ રીતે પંક્તિઓને વિભાજિત કરવી એ અછાન્દસકારનો પાયાનો ધર્મ છે. 

નીવડેલાં અછાન્દસ કાવ્યોના આ રીતે પાઠ કરવાથી અછાન્દસના લય વિશેની સમજનો વિકાસ થશે.

(Aug 24, ’22 : USA)

•••

ટૂંકમાં (૩) : પારિતોષિકો :

ભારતીય પ્રાદેશિક ભાષાઓના સાહિત્યોમાં ઇનામ-ઍવૉર્ડ સામાન્યપણે, સામાન્યપણે, ઉચ્ચોચ્ચ ધ્યેય મનાય છે. સામાન્યપણે, મોટા ભાગના સાહિત્યકારોની નજર એ પર મંડાયેલી હોય છે. એટલે જો દિલ્હી સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ લગી પ્હૉંચાય તો એને ભયો ભયો થઈ જાય છે. અને, કે.કે. બિરલા કે જ્ઞાનપીઠ મળે તો એનું જીવન ધન્ય થઈ જાય છે.

આજે આ પારિતોષિકો પ્રાદેશિક સાહિત્યોનાં અપરોક્ષ નિયામકો બની ગયાં છે એમ કહીએ તો હકીકત કહીએ છીએ.

 

કે. શિવરામ કારન્થ (1902-1997)

હવે, વાત એમ છે કે પારિતોષિક આપનારી સંસ્થાની પોતાની નીતિરીતિ હોય છે. તદનુસારનું લેખન જ પારિતોષિકપાત્ર બને છે. એક વાર પૂણેમાં ‘ધરતી ખૉળે પાછો વળે’ નવલકથાના કન્નડ લેખક જ્ઞાનપીઠ વિજેતા (1977) કે. શિવરામ કારન્થ (1902-1997) સાથે મિલનમુલાકાતનો કાર્યક્રમ હતો. અમે ટ્હૅલતા’તા, રાજેન્દ્ર શાહ અને ગુલાબદાસ બ્રોકર આગળ આગળ ચાલતા’તા, હું અને કારન્થ સાથે સાથે થઈ ગયેલા. મેં પૂછ્યું એમને તે ગુજરાતીમાં મૂકું : તમને નથી લાગતું કે જ્ઞાનપીઠ કે એવાં બીજાં મોટાં પારિતોષિકો એ જ કૃતિઓને અપાય છે જેમાં ભારતીય સંસ્કૃતિ અને પારમ્પરિક જીવનમૂલ્યોની હિફાજત થઈ હોય, આઇ મીન, ધ રીફ્લૅક્શન ઑફ ઇન્ડિયન ઇથોસ? : એમણે લંબાણથી ચર્ચા કરેલી પણ છેલ્લે કહ્યું તે આ : યસ્સ મિસ્ટર શાહ, મૉર ઑર લેસ, ઇટિસ સો …

વાતનો ટૂંકસાર એ છે કે સંસ્થાઓ સાહિત્યને ઉત્તમ ગણે છે બલકે ઘડે છે અને કરુણતા એ છે કે એ વસ્તુ ચર્ચામુક્ત આદર્શ મનાય છે. સમીક્ષકો પણ પારિતોષિક પામનારના તમામ સાહિત્યને ઉત્તમ ગણીને ચાલે છે. પામનારો પણ પછી કશું નવું નથી કરી શકતો. અપવાદો મળી આવે છે. હા, આધુનિકમાંથી એ અનુઆધુનિક થઈ જાય ખરો, સર્રીયલ અને ઍબ્સર્ડ ભૂલીને રીયલ ને મીનિન્ગફુલ લખતો થઈ જાય ખરો.

પ્રજાના જીવનકલ્યાણને લક્ષ્ય ગણીને ચાલનારી રાજ્ય કે કોઇપણ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાની એની વૃત્તિ મૃત:પ્રાય થઈ જાય છે. કરે ત્યારે મોટે ભાગે એ સ્થિતસ્ય સમર્થનમ્ કરતો હોય છે. જીવન અને સંસ્કૃતિની સર્જનાત્મક સમીક્ષા – ઍસ્થેટિક ક્રિટિક – કરી આપનારો એનો ‘ના’-વાચી સાહિત્યકલાધર્મ, એનું બેઝિક નૉન-કન્મફર્મિસ્ટ ઍટિટ્યુડ, મન્દપ્રાણ થઈ જાય છે.

આ સ્થિતિ-પરિસ્થતિ ચિન્ત્ય નથી શું?

(Aug 28, ’22 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પવિત્ર પાપી: પરિક્ષિત સાહનીનો જીવનબોધ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 September 2022

હિન્દી સિનેમાના સન્માનીય અભિનેતા બલરાજ સાહનીના એટલા જ પ્રતિભાશાળી પુત્ર પરિક્ષિત  સાહનીએ તેમના પિતા પર એક સંસ્મરણ લખ્યું છે; ધ નોન- કન્ફૉર્મિસ્ટ : મેમરીઝ ઓફ માય ફાધર બલરાજ સાહની (નોન- કન્ફૉર્મિસ્ટ એટલે રૂઢિ વિરોધી). તેમાં એક ફિલ્મના સેટ પર શુટિંગ પહેલાં બંને વચ્ચે થયેલો એક સંવાદ છે. એક રીતે એ સંવાદ એક્ટિંગના કોચિંગ ક્લાસ જેવો છે. પરિક્ષિતની ઉંમર ત્યારે 26 વર્ષની હતી. સામ્યવાદી પિતાના સંગમાં યુરોપિયન ફિલ્મોના રંગે રંગાયેલો પરિક્ષિત નાચવા-ગાવાવાળી હિન્દી ફિલ્મોને લઈને ગંભીર નહોતો, અથવા એવું કહો કે થોડીક નફરત પણ હતી. સેટ પર એક ગીતનું શુટિંગ ચાલતું હતું અને વચ્ચે બ્રેક પડ્યો, ત્યારે યુવાન પરિક્ષિત એક ડાન્સર સાથે ખૂણામાં ફલર્ટ કરતો હતો. ડિરેકટર અને પિતા બંનેએ એ જોયું. પિતા પરિક્ષિત પાસે ગયા અને પૂછ્યું કે શું ચાલે છે. સંવાદ આ રીતનો હતો :

“મારે કશું કામ નથી. સાંજે આ ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે.”

“બેટા, સેટ ઉપર એક એક્ટર પાસે ‘કશું ન કરવાનું’ ન હોય. એવું જ હોત, તો તું આ દૃશ્યમાં જ નહોત. તને આ ગીતનું  મહત્ત્વ સમજ પડે છે?”

“ના. બીજી હિન્દી ફિલ્મોની જેમ ખાલી નાચ-ગાન છે. નરી બેવકૂફી છે. યુરોપિન સિનેમામાં આવા નાચ-ગાન નથી હોતાં.”

“એ ખાલી નાચ-ગાન નથી. તું એક છોકરીના પ્રેમમાં છે અને આ ગીત બીજા છોકરા સાથે તેનાં લગ્નની ખુશીમાં છે. તારા માટે એ દુઃખની ક્ષણ છે. તારે એ રીતે વર્તવાનું ના હોય?”

“અરે, એમાં કશું સિરિયસ નથી, ડેડ. આ કોઈ ત્રૂફો કે ફેલિનિની ફિલ્મ નથી!”

“તું રશિયાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવું ભણીને આવ્યો છું?”

“ઓહ, કમ ઓન ડેડ! ખાલી ગીત જ છે!”

“તું કોણ છે? તું અહીં કેમ છે? તું અહીં ક્યારે આવ્યો? તું અહીં કેમ આવ્યો? તું ક્યાં છે?”

મને આ સવાલોથી વિસ્મય થયું.

“હું તમારો પુત્ર છું! ડિરેકટરે મને આ ફિલ્મ માટે લીધો છે એટલે હું અહીં છું. સવારના અગિયાર વાગ્યા છે અને હું તમારી સાથે કારમાં આવ્યો હતો. એટલે હું અહીં છું,” મેં શબ્દશ: જવાબ આપ્યો.

“ખોટું! અહીં તું મારો પુત્ર નથી. તું કેદાર નાથ છે. મેં તને ઘડિયાળી તરીકે નોકરીમાં રાખ્યો છે એટલે તું અહીં છે અને તું મારા ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહું છું. અત્યારે સવારના અગિયાર નથી વાગ્યા. આ રાતનું દૃશ્ય છે. તું મારી સાથે કારમાં નથી આવ્યો. તું રેલવે સ્ટેશનેથી ચાલતો આવ્યો છું. તારા રોલની આ જરૂરિયાત છે.”

“ઓહ, તમે મારા પાત્રની વાત કરો છો .. આઈ સી, પણ તમે મને આ બધું કેમ કહો છો?”

“સાંભળ બેટા, આ ફિલ્મનો સેટ નથી. માર માટે આ પૂજાસ્થળ છે. હું ધાર્મિક નથી. હું નાસ્તિક છું. હું ઈશ્વરમાં માનતો નથી. હું મંદિર, ચર્ચ કે ગુરુદ્વારામાં જતો નથી. મારા માટે આ જ પૂજાસ્થળ છે. મારા માટે પરિશ્રમ એ જ પરમેશ્વર છે. એ હિન્દી ફિલ્મ હોય કે હોલીવૂડની ફિલ્મ, દૃશ્ય લાંબુ હોય કે ટૂંકું, હું જ્યારે પણ મેક-અપ કરીને સેટ પર આવું છું, દર વખતે મારું શ્રેષ્ઠ આપું છું.”

હું ચૂપચાપ તેમને તાકી રહ્યો. એ બોલતા રહ્યા, “શુટિંગ પછી જ્યાં જવું હોય ત્યાં જજે, જે કરવું હોય તે કરજે, દારૂ પીજે, વેશ્યા પાસે જજે, હું તને નહીં રોકું, તું મોટો થઇ ગયો છું, સારું શું-ખરાબ શું એ તને શીખવાડવાની ઉંમર નથી, પણ એક ફેવર કરજે. હું જ્યાં પૂજા કરું છું તે મંદિરને દૂષિત ના કરતો. મેં કહ્યું તેમ, આ ભૂમિ મારા માટે પવિત્ર છે. જીવનમાં આપણું કામ શ્રેષ્ઠતા માટે સંઘર્ષ કરવાનું છે. તું જે પણ કામ હાથમાં લે, તે તારી પૂરી ક્ષમતાથી કરશે, અથવા કરતો જ નહીં.”

તેમણે દૂર કેમેરા તરફ આંગળી કરી અને બોલ્યા, “આ લેન્સ એક અસલી રાક્ષસ છે. એ દરેકની પાર જોઈ લે છે. એ તમારા સૌથી અંદરના વિચારો અને મૂડ પકડી પાડે છે. તું જો ગંભીર નહીં હોઉં, તો કેમરા લેન્સ દરેક વિચારને પકડીને હજાર ગણો મોટો કરીને બતાવશે. એટલે મારી સલાહ છે કે કાં તો તું આ જ મિનિટે ફિલ્મ છોડી દે, અને જો કામ કરવું હોય, તો ગંભીરતાથી કર. મને ખબર નથી રશિયામાં એ લોકો શું કરે છે, પણ અહીં તું વાતાવણને ગંદુ ના કરીશ. સેટ પર રમત ના કરતો. અહીં આપણે કામ પર ધ્યાન આપવાનું છે.”

તે પાછા જવા લાગ્યા અને મારી તરફ પાછુ જોઇને દોહરાવ્યું, “યાદ રાખજે, મારા માટે આ પૂજાસ્થળ છે.”

એ ફિલ્મનું નામ હતું “પવિત્ર પાપી,” ફિલ્મના ડિરેકટર હતા રાજેન્દ્ર ભાટિયા અને ફિલ્મમાં બલરાજ સહાની, પરિક્ષિત સહાની અને તનુજા મુખ્ય ભૂમિકામાં હતાં. પરિક્ષિતની આ પહેલી હીટ હિન્દી ફિલ્મ હતી. તે પહેલાં તેણે દિલીપ કુમાર-નરગીસની “દીદાર”(1951)માં બાળ કલાકાર તરીકે અને 1968માં સંજીવ કુમારની “આખરી રાત”માં નાનકડી ભૂમિકા કરી હતી.

“પવિત્ર પાપી” ઘણા બધા કારણોસર પરિક્ષિતના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતી. એક તો, ઉપર જોયું તેમ, આ ફિલ્મના સેટ પર જ તેને જીવન અને કારકિર્દીને લઈને પિતા તરફથી અમૂલ્ય બોધપાઠ મળ્યો હતો. બીજું, આ ફિલ્મની પટકથા પરિક્ષિતે જ લખી હતી અને તેનું નિર્દેશન પણ કરવું હતું, પરંતુ ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર ભાટિયાએ તેને અભિનય કરવા મનાવ્યો અને પોતે નિર્દેશન કર્યું. ત્રીજું, આગલી ફિલ્મ “આખરી રાત”માં સંજીવ કુમારે તેનું નામ અજય સાહની રાખ્યું હતું, જે પરિક્ષિતને પસંદ નહોતું અને “પવિત્ર પાપી”માં તેનું અસલી નામ સાથે પદાર્પણ થયું હતું, અને ચોથું પણ અતિ મહત્ત્વનું, પિતા બલરાજ સાહની ત્યારે હિન્દી સિનેમામાં સૌથી સફળ, સાર્થક અને સન્માનીય અભિનેતા હતા અને પરિક્ષિતને તેની પહેલી જ મોટી ફિલ્મમાં પિતા સાથે કામ કરવાની તક મળી હતી.

પંજાબી સાહિત્યના પ્રસિદ્ધ લેખક નાનક સિંહની એ જ નામની વાર્તા પરથી “પવિત્ર પાપી” બની હતી. વાર્તા બેહદ સુંદર અને સંવેદનશીલ હતી. કેદારનાથ (પરિક્ષિત) નામનો પ્રેમાળ યુવાન લાલા અત્તરચંદ(આઈ.એસ. જોહર)ને ત્યાં ઘડિયાળના કારીગર તરીકે નોકરીએ લાગે છે. તેને એ વાતનું દુઃખ છે કે તે જે કારીગર પન્નાલાલ(બલરાજ સાહની)ની જગ્યાએ આવ્યો છે, તેણે નોકરી જતી રહેવાથી આત્મહત્યા કરી છે. તેની વિધવા માયા (અચલા સચદેવ) એવું માને છે કે તેનો પતિ ગુમ થઇ ગયો છે અમને એક દિવસ પાછો આવશે. કેદાર તેના અનાથ પરિવારની સાર-સંભાળ લેવાનું શરૂ કરે છે, અને પન્નાલાલના નામે છોકરી વીણા(તનુજા)ને પરણાવવા માટે પૈસા મોકલતો રહે છે. એમાં તે તેને પ્રેમ પણ કરી બેસે છે. છેલ્લે પન્નાલાલ સાચે જ પાછો આવે છે અને સૌને કેદારની સેવાની ખબર પડે છે.

ફિલ્મમાં સાત ગીતો હતાં, પરંતુ કિશોર કુમારના કંઠે “તેરી દુનિયા સે, હો કે મજબૂર ચલા, મૈં બહોત દૂર” સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં આવે છે. 1987માં જ્યારે કિશોરનું અવસાન થયું, ત્યારે આ ગીત દેશભરમાં રેડીઓ-ટી.વી. પર ગૂંજ્યું હતું. મનોજ કુમારની દેશભક્તિનાં ગીતોથી પ્રખ્યાત થયેલા ગીતકાર પ્રેમ ધવને આ ગીતમાં એક બેબસ પણ સહનશીલ પ્રેમીની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરી હતી. એ લખે છે :

આંખ ભર આયી અગર, અશ્કો કો મૈં પી લૂંગા

આહ નિકલી જો કભી, હોંઠો કો સી લૂંગા

તુજ સે વાદા હૈ કિયા, ઇસ લિયે મૈં જી લૂંગા

બાય ધ વે, ફિલ્મમાં આપણા ઉપેન્દ્ર ત્રિવેદીનો પણ એક નાનકડો રોલ હતો.

પ્રગટ : ‘સુપરહીટ’ કોલમ, “સંદેશ”, 31 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3651,3661,3671,368...1,3801,3901,400...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved