Opinion Magazine
Number of visits: 9458837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 June 2022

મહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે અલગ ભૂમિ(પાકિસ્તાન)ની માગણી શરૂ કરી ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત આવડો મોટો દેશ છે, જેમાં મુસલમાન પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ દરેક પ્રદેશમાં પથરાયેલા છે અને એ જ રીતે જ્યાં પાકિસ્તાન સ્થપાવાની વાત છે ત્યાં હિંદુઓ પથરાયેલા છે તો શું આટલા મોટા પ્રમાણમાં પ્રજાકીય સ્થળાંતર થશે? શું ગામડેગામડેથી કુટુંબો સ્થળાંતર કરશે? આ વ્યવહારુ હશે ખરું? આખો દેશ તળેઉપર થશે અને ઊથલપાથલ થશે એની કિંમતનો કોઈ અંદાજ ખરો અને કોણ ચૂકવશે એની કિંમત? અને જો ધર્મના આધારે સંપૂર્ણ પ્રજાકીય સ્થળાંતર કરવામાં નહીં આવે તો હિંદુ અને મુસલમાનોના સહઅસ્તિત્વનો પ્રશ્ન કાયમ રહેવાનો છે. આજે પણ છે અને કાલે પણ હશે. જો સરવાળે સાથે જ રહેવાનું છે તો અલગ ભૂમિની માગણી શા માટે? તો પછી સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે?

ઝીણા પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ નહોતા અને તેઓ તેનાથી ભાગતા હતા. ભારતનાં વિભાજન પછી ઝીણા પાકિસ્તાન જવા રવાના થયા, ત્યારે પત્રકારોને અને વળાવવા ગયેલા મુસ્લિમ નેતાઓને તાકીદ કરવામાં આવી હતી કે તેમણે પાછળ રહેલા ભારતીય મુસલમાનોનું શું થશે અને તમે તેમને માટે શું કરવાના છો એવા પ્રશ્નો ન પૂછવા. એક સર્વોચ્ચ મુસ્લિમ નેતા ભારતીય મુસલમાનોને ખુદાને ભરોસે છોડીને ભાગી રહ્યો હતો. તેઓ એ સમયે શરમ અનુભવતા હતા કે પછી નવા સ્થપાયેલા દેશના સ્થાપક, રાષ્ટ્રપિતા અને શાસક તરીકેનો નશો અનુભવતા હતા એ જાણવાનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી. કેટલાક લોકો કહે છે કે ઝીણા શરમસાર ગ્લાનિગ્રસ્ત હતા તો બીજા કેટલાક લોકો કહે છે કે તેમણે રતિભાર પણ શરમ અને સંકોચ નહોતા અનુભવ્યા.

કોમવાદી રાજકારણ કરનારાઓ શરમ અને સંકોચથી પર હોય છે અને ઝીણા અંગત જીવનમાં ગમે એટલા સેક્યુલર હોય તેમનું રાજકારણ કોમી હતું. દેખીતી રીતે ઉપર કહ્યા એ વ્યવહારુ સવાલો તો તેમને વારંવાર પૂછવામાં આવતા હતા અને એમાં એક વાર તેમણે, થોડા ચિડાઈને શો જવાબ આપ્યો હતો એ જાણો છો? તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની બહુમતી પ્રજા પોતાને ત્યાંની લઘુમતી પ્રજાને બાનમાં (હોસ્ટેજ) રાખશે અને એ રીતે કોમી સંતુલન જળવાશે. અર્થાત્ તેઓ એમ કહેવા માગતા હતા કે જો ભારતમાં હિંદુઓ મુસલમાનોને સતાવશે તો પાકિસ્તાનમાં મુસલમાનો હિંદુઓને સતાવીને વેર વાળશે અને એવું ન થાય એ માટે બન્ને દેશની બહુમતી પ્રજા સંયમ જાળવશે.

ઝીણાના આ કથનમાં બેશરમી તો જોવા મળે છે, પણ એનાથી વધુ રાજકીય ભોળપણ જોવા મળે છે. રાજકીય નાદારી જોવા મળે છે. તેમને એ વાત નહોતી સમજાઈ કે જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે માણસ સગા ભાઈ સાથે દગો કરે છે, તો સહધર્મી તો દૂરની વાત થઈ. તમને ખબર છે? જ્યારે ભારતીય મુસલમાનો ભારતમાંથી ઉચાળા ભરીને ટ્રેનમાં પાકિસ્તાન જતા હતા, ત્યારે પાકિસ્તાન પંજાબના પંજાબી મુસલમાનો ગેરપંજાબી મુસલમાનોને લાહોર કે બીજા પંજાબનાં સ્ટેશને ઉતરવા નહોતા દેતા. ‘પાકિસ્તાન આગે હૈ, પાકિસ્તાન આગે હૈ’ કહીને તેમને પરાણે સિંધ મોકલવામાં આવતા હતા. ઇસ્લામના નામે પાકિસ્તાનની રચના થઈ હતી, પણ બેઘર બનેલા મુસ્લિમ માટે આવકારો નહોતો. આજે પણ ભારતીય મુસલમાનો સાથે પાકિસ્તાનમાં ઓરમાયો વહેવાર કરવામાં આવે છે.

તો બન્યું એવું કે પાકિસ્તાનની સ્થાપના પછી પાકિસ્તાની મુસલમાનોએ તેમને ત્યાનાં હિંદુઓને સતાવવાનું શરૂ કર્યું કે જેથી તેઓ ઘરબાર અને જમીનજાયદાદ છોડીને જતા રહે. એમ કરતી વખતે તેમને ભારતના તેમના હમમઝહબી મુસ્લિમ ભાઈની લેશ માત્ર ચિંતા નહોતી. એનું જે થવાનું હોય તે થાય, અત્યારે પડોશી હિંદુની સંપત્તિ હાથ લાગવી જોઈએ. મુસ્લિમ બનીને હિન્દુને સતાવનારા મુસલમાનને ભારતમાં વસતા મુસલમાનની ચિંતા નહોતી. આમ લઘુમતી કોમને બાન પકડીને કોમી સંતુલન જાળવવાની ઝીણાની ધારણા ખોટી પડી. પાકિસ્તાનના મુસલમાનોએ સ્વાર્થથી પ્રેરાઈને હિંદુઓને સતાવવાનું શરૂ કર્યું હતું અને તેમાં તેમણે કોમવાદનો ઉપયોગ કર્યો હતો જેની કિંમત આજે ભારતીય મુસલમાન ચૂકવી રહ્યા છે. ધર્મ માત્ર સપાટી પર હોય છે, બાકી તો સ્વાર્થ અંદર સુધી છુપાયેલો હોય છે અને સ્વાર્થનો કોઈ ધર્મ હોતો નથી. મહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના નેતાઓએ કેવળ સત્તા માટે ભારતીય મુસલમાનોને મોતના મોંમાં ધકેલી દીધા હતા. પણ ફરક શો પડે છે? જો વિવેકથી, પોતાની બુદ્ધિથી ન જીવો તો ઘેટાંની કિંમત વધેરાવા પૂરતી જ હોય છે.

આપણી વાત કરીએ તો ભારતમાં અત્યારે કયો હિન્દુત્વવાદી હિંદુ બહુમતી કોમી રાજકારણ કરતી વખતે વિચાર કરે છે કે આની કિમંત અન્ય પ્રદેશોમાં કે દેશોમાં જ્યાં હિંદુ લઘુમતીમાં છે ત્યાં તેણે કઈ રીતે ચૂકવવી પડશે? કાશ્મીરમાં પંડિતોને, બંગલાદેશ અને પાકિસ્તાનમાં હિંદુઓને (આજે પણ બંગલાદેશમાં દસ ટકા હિંદુ વસ્તી છે), ગલ્ફના દેશોમાં વસતા હિંદુઓને અને અન્ય દેશોમાં કોમવાદી ખ્રિસ્તીઓની વચ્ચે વસતા હિંદુઓને આની કેવી કિંમત ચૂકવવી પડશે એનો કોઈ વિચાર કરતું નથી. તો પછી હિંદુ એકતા અને હિંદુ ધર્મબંધુતા ક્યાં ગઈ? આપણી શેરીમાં આપણે શેર પછી બીજી શેરીમાં બાપડા હિંદુનું જે થવાનું હોય તે થાય. જેને ઉશ્કેરીને અને રડાવીને સત્તા ભોગવવી છે એ લોકો ગલીના શેરોનો ઉપયોગ કરે છે અને બીજી ગલીમાં વસતા લોકોને મોતના મોંમાં ધકેલી દે છે. આ બાજુ પોતાની શેરીમાં શેર બનીને ફરવાનો નશો (કે પછી નપુંસકતા છુપાવવાની વૃત્તિ) એવો હોય છે કે તે પોતાના ધર્મબંધુની ચિંતા કરતો નથી. આ કોમી રાજકારણનું સ્વરૂપ છે. મુસલમાનોએ અનુભવી લીધું છે અને હિંદુઓ હવે અનુભવી રહ્યા છે. કાશ્મીરમાં રોજ પંડિતોની હત્યા થઈ રહી છે.

આ જગતમાં અને અત્યારના જગતમાં તો વિશેષ, સહઅસ્તિત્વનો કોઈ વિકલ્પ નથી. અને જો સાથે રહેવું જ નિર્માયેલું છે, તો પછી સહઅસ્તિત્વને જ એક ચાન્સ શા માટે આપવામાં ન આવે? મહમ્મદઅલી ઝીણાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જૂન 2022

Loading

અનાજની કટોકટીઃ પર્યાવરણ, યુદ્ધ અને રોગચાળાને કારણે દુનિયા ભર્યા ભંડારે ભૂખી રહેશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 June 2022

ભવિષ્યમાં ભૂખમરો વેઠનારા લોકોની સંખ્યા 276 મિલિયનથી 323 મિલિયન થઇ શકે છે – યુદ્ધો રોકીને પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં જોર લગાડવાની તાતી જરૂર છે.

રાજકીય સ્વતંત્રતાનો અર્થ ત્યાં સુધી નથી સરતો જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતાને મામલે આપણે એક રાષ્ટ્ર તરીકે સધ્ધર હોઇએ. ખાધ્ય અનાજને મામલે આપણે એક દેશ તરીકે, તે પણ ખાસ કરીને આપણે જ્યારે એક ખેતીપ્રધાન દેશ હોઇએ ત્યારે – આત્મનિર્ભર હોઇએ તે સૌથી અનિવાર્ય બાબત છે. સ્વતંત્રતા હાથમાં આવી, પણ ત્યારે આપણે ખાદ્યની તંગીમા જીવનારો દેશ હતા અને સાંઇઠના દાયકામાં આ પરિસ્થિતિ વધુ આકરી બની. આ એ દિવસો હતા જ્યારે આયાત કરાયેલું ધાન – ખાદ્ય સામગ્રી બને એટલી જલદી લોકોના ઘર સુધી પહોંચે તેની સગવડ કરવી એક માત્ર ઉકેલ હતો. અંગ્રેજીમાં હેન્ડ ટુ માઉથના વાક્યપ્રયોગનો ઉપયોગ થાય છે, ત્યારે ‘શિપ ટુ માઉથ’ એવો વાક્યપ્રયોગ થતો – જહાજો મારફતે ધાન ભારત પહોંચતું. પણ એ ત્યારની વાત છે. આજે એવા સંજોગો છે કે ફુડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ગોડાઉન્સ અનાજના ભંડારોથી ઉભરાઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમતો ચુકવવાને મામલે કોઇ ખાતરી નથી આપી શકતી.

આ બદલાવ પણ ઝડપથી નથી આવ્યો. વિચારો કે સાંઇઠના દાયકામાં વડા પ્રધાનને અન્ય રાષ્ટ્રો પાસે અનાજ માંગવુ પડતું – અણગમતી સ્થિતિ ખરી પણ ટાળી ન શકાય એવી હાલત. કૃષિ વિજ્ઞાન પર સતત કામ કરાયું અને અનાજ ઉત્પાદનને મામલે ભારતને આત્મનિર્ભર કરાયો અને ભારતે જોઇ હરિયાળી ક્રાંતિ. 7 જૂનને વર્લ્ડ ફૂડ સેફટી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે કંઇ નહોતું ત્યારે પણ પ્રશ્નો હતા અને આજે અધધધ છે ત્યારે પણ પ્રશ્નો છે – સ્વાભાવિક છે કે પ્રશ્નો જુદાં હોય પણ સમસ્યાઓ ઉકલે નહીં તે ઘણું બધું કહી જાય છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો – આ પ્રતિબંધ પણ ત્યારે આવ્યો જ્યારે થોડા દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વ આખું ઘઉંની અછત વેઠી રહ્યું છે ત્યારે ભારતના ખેડૂતો આગળ આવ્યા. આ પ્રતિબંધનો નિર્ણય લેવાનું કારણ હતું હીટવેવ જેને લીધે પાકને નુકસાન થયું. વિદેશ વ્યાપારના ડિરેક્ટોરેટના સરકારી ગેઝેટમાં એક નોટિસ હતી જે અનુસાર વૈશ્વિક સ્તરે ઘઉંની કિંમતોમાં જે વધારો થયો છે તે ભારત અને આસપાસના સંવેદનશીલ દેશોની ફૂડ સિક્યોરિટી – ખાદ્ય સુરક્ષા પર જોખમી સાબિત થશે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલાં આ બન્ને દેશ ઘઉં અને બારલીની નિકાસને મામલે વિશ્વમાં ત્રીજા ક્રમાંકે હતા. યુક્રેનના બંદરો બંધ કરાયેલા છે અને અનાજના ભંડારો – માળખું બધું નાશ પામ્યું છે. આપણે ઘઉંના ઉત્પાદનને મામલે વિશ્વમાં બીજા ક્રમાંકે છીએ પણ સૌથી વધુ ઘઉંનો વપરાશ કરનારા દેશમાં આપણે મોખરે છીએ. ભારતે 2022-23 દરમિયાન 10 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી યુરોપ, આફ્રિકા અને એશિયાના નવા માર્કેટ્સ ખડા થઇ શકે કારણ કે યુદ્ધને કારણે ત્યાં સંજોગો કપરા હતા. જો યુદ્ધ ન થયું હોત તો આ ઘઉં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં પહોંચ્યા હોત. મોસમે તો પાક બગાડ્યો જ પણ રોગચાળા દરમિયાન 800 મિલિયન લોકોને અનાજની નિઃશુલ્ક વહેંચણી કરાઇ છે. પુરવઠા અને માંગને સંતુલિત કરવા માટે સરકારને દર વર્ષે 25 મિલિયન ટન ઘઉંની દર વર્ષે જરૂર પડે છે ખાદ્ય કલ્યાણ યોજના અંતર્ગત જેનાથી 80 મિલિયન લોકોને નિઃશુલ્ક અનાજ પહોંચાડી શકાય.

વૈશ્વિક સ્તરે જોઇએ તો અનાજની કિંમતો આકાશે આંબી છે, ખાદ્ય સુરક્ષાની સ્થિતિ મોટા ભાગના વિકાસશીલ દેશોમાં વણસી છે.  2021માં 200 મિલિયન લોકોએ ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે. આ આંકડો 2016ના આંકડા કરતા બમણો છે. આખરે આ સંજોગો શેને કારણે? પર્યાવરણમાં આવતા બદલાવ, રોગચાળો અને છેલ્લાં બે વર્ષમાં થયેલા રાજકીય સંઘર્ષો આ હાલતના મુખ્ય કારણ છે. ઇથોપિયા, દક્ષિણ સુદાન, દક્ષિણ માડાગાસ્કરમાં ભૂખે મરનારાઓનો આંકડો કૂદકે અને ભૂસકે વધ્યો છે. 2021ની સરખામણીએ ખાદ્યની કિંમતોમાં 26 ટકા વધારો થયો છે. ઘઉંની કિંમતોમાં 61 ટકા વધારો થયો છે અને વર્લ્ડ બેંકની ધારણા છે કે આ કિંમતો હજી વધે તેવી વકી છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાની સમસ્યા જેટલી આકરી બની રહી છે તેટલી જ કપરી સ્થિતિ ભારત માટે થાય કારણ કે મોટા જથ્થામાં અનાજ મોકલવું પડે. આપણે ત્યાં અર્થતંત્ર બરડ બન્યું છે, રોગચાળા પછી લોકોને એક કોળિયો નસીબમાં નથી ત્યારે આપણે નિકાસ કરીએ તો ઘરનાં ભૂખ્યાં મરે. પણ શું આ માત્ર માંગ અને પુરવઠાનો ખેલ છે? એક રિપોર્ટ અનુસાર આ કોમોડિટી માર્કેટ્સ અંગે ધારણાઓ જાહેર કરતી રોકાણકારી સંસ્થાઓ અને ફંડિગ આપતી સંસ્થાઓને કારણે ભાવ વધારો થયો છે. આ હાલત માટે લૉબીઇસ્ટ અને ખાદ્ય ક્ષેત્ર પર કાબૂ રાખનારાઓ પણ જવાબદાર છે. છેલ્લાં બે વર્ષમાં રોકાણકારોએ કૃષિ ઉત્પાદનોમાં પોતાની ભાગીદારી વધારી, હેજ ફંડ્ઝ, ઇવેસ્ટમેન્ટ બેંક્સ, પેન્શન ફંડ તમામે વૈશ્વિક સ્તરે ભૂખ અને ગરીબી વધારી છે. આ એક એવું સટ્ટાબજાર છે જે ભૂખ પર ખેલાય છે.

ઘઉંની ચિંતા આખી દુનિયા કરે છે કારણ કે મકાઇ અને સોયાબીન પછી ઘઉં સૌથી વધુ વપરાતો પાક છે. ખાદ્ય સુરક્ષા માટે તે સૌથી અગત્યનું અનાજ છે. આપણે વૈશ્વિક ખાદ્ય કટોકટીની ધાર પર ઊભા છીએ. રોબિન્સન મેયર નામના વિશ્લેષકે લખ્યું છે કે ઘઉં નથી એ સમસ્યા નથી પણ ઘઉં ખોટા સ્થળોએ છે તે જ મોટી સમસ્યા છે. રશિયા અને યુક્રેન મળીને 55 મિલયન ટન ઘઉં પેદા કરે છે – જે હાલમાં પણ છે – પણ એ પુરવઠાનું થશે શું તેનો કોઇ ઉત્તર નથી.  વળી યુદ્ધ એક માત્ર કારણ નથી. ક્લાઇમેટ ચેન્જને લગતી ઘટનાઓ ખાદ્ય સુરક્ષાનો પ્રશ્ન વધુને વધુ મોટો બનાવે છે. 2021માં વિશ્વમાં ઘઉંની અછત કેનેડા અને યુ.એસ.એ.ના હીટવેવ અને દુકાળને કારણે સર્જાઇ. ચીને પણ ગયા વર્ષે જે વરસાદ વેઠ્યો તેમાં 30 મિલયન એકર જેટલો પાક બગડ્યો અને આ મોસમને કારણે 18 મિલિયન એકર જમીન પર વાવણી મોડી થઇ અને પછી સર્જાઇ ખાદ્ય કટોકટી.

સમય પાક્યો છે કે રાષ્ટ્રો ખાદ્ય સુરક્ષાને મુદ્દે પર્યાવરણમાં આવતા આકરા પરિવર્તનોનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે કારણ કે સત્તાનું જોર, યુદ્ધમાં વિજય કે શસ્ત્રોનું જોર બતાડીને દેશવાસીઓના પેટ નહીં ભરી શકાય.

બાય ધી વેઃ

ભારત પર આખી દુનિયાની નજર છે. એમાં ય આપણે સ્થાનિક બજારને પ્રાધાન્ય આપીને નિકાસ અટકાવી તેની આકરી ટીકા થઇ રહી છે. આપણે સમજવું પડશે કે ઘઉંની અછત માત્ર ખોરાકની વાત નથી. જ્યારે દેશોને સાવ પ્રાથમિક કહી શકાય તેવા ખોરાકના પુરવઠાના પણ વાંધા હોય ત્યારે તેની અસર અર્થતંત્ર અને સમાજ વ્યવસ્થા પર એક સરખી જ પડે છે. ભવિષ્યમાં ભૂખમરો વેઠનારા લોકોની સંખ્યા 276 મિલિયનથી 323 મિલિયન થઇ શકે છે – યુદ્ધો રોકીને પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં જોર લગાડવાની તાતી જરૂર છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  05 જૂન 2022

Loading

મન્તવ્ય-જ્યોત —11

સુમન શાહ|Opinion - Opinion|5 June 2022

જ્યોત ૧૧ : કાવ્યમાધ્યમ :

કાવ્યનાં માધ્યમો જાણીતાં છે : પદરચના. અક્ષરમેળ. પ્રવાહી પદ્યરચના. માત્રામેળ. પરમ્પરિત. અછાન્દસ. વગેરે.

આમ તો કાવ્યમાધ્યમ પદ્યને કે ગદ્યને ઢાળવા માટેનું બીબું કહેવાય. કાવ્યમાધ્યમ અક્ષરમેળથી હોય, માત્રામેળથી કે અછાન્દસમાં હોય છે એવા શકલોથી હોય, પણ હમેશાં જન્માવે છે, લય. અને તેથી એ માત્ર બીબું નથી રહી જતું, સર્જનપ્રક્રિયાનું અવિનાભાવી અંગ બની જાય છે.

કોઈપણ લયમેળથી સિદ્ધ થયેલું પદ્યવહન, તે કાવ્યરચનાનું માધ્યમ છે.

‘લય’ માટે અંગ્રેજીમાં શબ્દ છે, rhythm. રીધમનો અર્થ ‘લય’-ને બિલકુલ સમાન નથી, વળી તે સંગીતકલાની ચર્ચામાં પણ પ્રયોજાય છે અને ત્યાં એનો બીજો અર્થ ’તાલ’ પણ થાય છે, તેમ છતાં, કામચલાઉ ધૉરણે રીધમ શબ્દનો ઉપયોગ કાવ્યમાધ્યમની ચર્ચામાં કરી શકાય.

કેમ કે મૂળે તો એ ધ્વનિના સુયુત એકમોનું નિયમસરનું પુનરાવર્તન હોય છે. જેમ કે, ધ્વનિશાસ્ત્રમાં – ફોનેટિક્સમાં – સ્ટ્રેસ, ટાઇમિન્ગ અને સિલેબલની માત્રાથી અંકિત થયેલી વાણીની ગતિ રીધમ છે. કાવ્યશાસ્ત્રમાં – પોએટિક્સમાં – પદ્યમાં કે વાક્યોમાં આવતા ધ્વનિ અને શાન્તતાનાં લઘુ કે ગુરુ, કોમળ કે પરુષ, વગેરે તત્ત્વોના આવર્તક પરિવર્તનથી અનુભવાય તે રીધમ છે.

ગુજરાતીનો છે તેમ દરેક ભાષાનો પોતાનો લય હોય છે. ભાષાના લય પર સર્જક કામ કરે એટલે એક સર્જનાત્મક લય પ્રગટે છે. કાવ્ય હમેશાં લયમાં હોય, તે ગદ્યમાં હોય તો પણ. સમજવાનું એ છે કે સર્જકને પોતાની ભાષા – નેટિવ લૅન્ગ્વેજ – આત્મસાત્ થઈ હશે તો જ એ કાવ્યભાષાના સ્વરૂપ અને કાર્ય વિશે સરખું વિચારી શકશે, અને તો જ એ પોતાના કાવ્યને અનુરૂપ માધ્યમ શોધી શકશે.

એવું અનુરૂપ માધ્યમ સંગીત પ્રગટાવે છે અને કૃતિને એ સંગીત નિર્વ્યાજ કાવ્યત્વ અર્પે છે. કાવ્ય ગદ્યમાં હોય તો પણ ગદ્યની લુખ્ખાસ ઓગળી જાય છે અને પદ્યની સુંવાળપ અનુભવાય છે.

સમજની એ બેવડ ત્રેવડ ભૂમિકાએ ઊભીને સર્જકે પોતાની રચના કયા માધ્યમમાં કરવી તેનો પાકો નિર્ણય કરવાનો હોય છે. એ નિર્ણય પાકો પુરવાર ત્યારે જ થશે જ્યારે સરજાનારી કૃતિને એ જ માધ્યમ વહી શકતું હશે, કૃતિને આકાર આપવામાં એ જ માધ્યમ કાર્યક્ષમ પુરવાર થતું હશે.

વિચારો કે “મેઘદૂત”-માં કાલિદાસે યક્ષના વિરહની વાર્તા ૧૦૦થી પણ વધુ શ્લોકોમાં પણ એક જ છન્દ મન્દાક્રાન્તામાં કેમ કરી છે. કાલિદાસે “અભિજ્ઞાન શાકુન્તલમ્” નાટક ગદ્યમાં લખ્યું છે પણ તેમાં કાવ્યશીલ શ્લોકો વિવિધ છન્દોમાં મૂક્યા છે, તેથી શું સિદ્ધ થયું છે.

પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોમાં કડવાના રાગ કે ઢાળ સૂચવ્યા છે, તે કેમ.

દલપતરામે રૂડા લખ્યા છન્દ પણ તેથી કાવ્યત્વ પ્રગટ્યું કે કંઈક બીજું.

કાન્તે ‘સાગર અને શશી’ ઝૂલણા છન્દમાં જ કેમ લખ્યું છે. પોતાના ખણ્ડકાવ્યોમાં, બહુશ: દરેકમાં, કાન્તે છન્દવૈવિધ્ય કેમ પ્રયોજ્યું છે.

'ક્લાન્ત કવિ' બાલાશંકરે પ્રયોજેલા શિખરિણી છન્દથી ઉમાશંકરે પ્રયોજેલો શિખરિણી કેમ રસાળ છે. ઉમાશંકરે શિખરિણી વારંવાર વાપર્યો છે, તે કેમ.

શ્રીધરાણીએ ‘ક્રાન્તિનાદ’ અને ‘ભરતી’ પૃથ્વી છન્દમાં લખ્યાં છે, છતાં, બન્નેની કાવ્યપરક ઉપલબ્ધિ જુદી જુદી રીતે આસ્વાદ્ય કેમ છે.

સુરેશ જોષીએ ‘એક રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ કશા સુખ્યાત છન્દમાં કેમ નથી કર્યું.

લાભશંકર ઠાકરના કોઈ કોઈ અછાન્દસ કાવ્યોમાં છન્દના ટુકડા પણ છે, તે શું સાભિપ્રાય છે કે ઘુસાડેલા છે.

વિચારવાથી મુદ્દો બરાબર અવગત થશે.

કાવ્યમાધ્યમ પાકા નિર્ણય પછી પણ પુરવાર થયું કે કેમ તેની ખરાખરી કાવ્યસિદ્ધાન્તોનો કોઈ મતિયો નહીં કરી શકે, કેમ કે એ કામ કાવ્યકલામર્મજ્ઞ સમીક્ષાપુરુષનું છે.

લયમેળ માટે લઘુ-ગુરુની કે માત્રાઓની કે સિલેબલ્સની ગણતરીમાં સર્જક પાવરધો તો હોવો જ જોઈએ. પરન્તુ લાગે કે કાવ્યત્વને કોઇ વર્ણ કે ધ્વનિ કે શ્રુતિ નડે છે તો એણે યથાશક્ય છૂટ લેવી જોઇએ, બલકે, જરૂર જણાય તો નક્કી કરેલા માધ્યમને ફગાવીને અનુકૂળની શોધમાં નીકળી પડવું જોઇએ.

કોઇ પણ કાવ્યમાધ્યમ સર્જન માટે હોય છે, નહીં કે સર્જન કાવ્યમાધ્યમ માટે ! જોડામાં પગ બેસતો ન હોય તો પગને ચૉમેરથી છોલી નથી નાખતા, જોડો મોટો પડતો હોય તો પગ પર પાટા નથી વીંટી લેતા, નવો જોડો શોધીએ છીએ, એના જેવું !

= = =

(June 5, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,3651,3661,3671,368...1,3801,3901,400...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved