Opinion Magazine
Number of visits: 9458713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભા.જ.પ. માટે બહાદુરી બતાવવા જતાં કરગરવાનો વખત આવ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 June 2022

યે તો હોના હી થા. દાવ ઘણો મોટો છે અને સંકડામણ પણ એટલી જ છે એટલે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. અતિરેક કરવામાં એક દિવસ અકસ્માત થવાનો ડર હતો અને થયો. ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓએ ટી.વી. ચેનલ પરની ચર્ચામાં ઇસ્લામ અને પેગંબર વિષે એલફેલ નિવેદનો કર્યાં અને સરકાર તો ઠીક, દેશ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો. આવી નાકચક્કી તો જેને નબળા વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવતા હતા એ ડૉ. મનમોહન સિંહની પણ નહોતી થઈ. નાક દેશનું કપાયું છે એ વાતનું દુઃખ છે. બહાદુરી બતાવવા જતાં કરગરવાનો વખત આવ્યો છે.

પહેલા દાવ સમજી લઈએ.

આ દેશમાં હિંદુરાષ્ટ્રના નામે કેટલાક હિંદુઓનું રાજ સ્થાપિત કરવામાં આવ્યું છે અને એને કોઈ પણ ભોગે અને બને તેટલો સમય ટકાવી રાખવાનું છે, પણ એમાં સમસ્યા એ છે અંદાજે ૬૦ ટકા હિંદુઓ હિંદુ હોવા છતાં હિંદુરાજના વિરોધી છે. દક્ષિણ ભારતના અને મહદ્દ અંશે પૂર્વ ભારતના હિંદુઓ સાગમટે બી.જે.પી.ના પ્રભાવથી મુક્ત છે. લોકસભાની અંદાજે દોઢસો કરતાં વધુ  બેઠકો આ પ્રદેશની છે. આ ઉપરાંત બાકીના ભારતમાં પોતાને ઉદારમતવાદી તરીકે ઓળખાવનારા સેક્યુલર હિંદુઓ બી.જે.પી.ના હિન્દુત્વના વિરોધી છે અને તેમની સંખ્યા હિન્દુત્વવાદી હિંદુઓ કરતાં ઘણી વધુ છે. વાત આટલેથી પૂરી થતી નથી. બી.જે.પી.ના નેતાઓને ખબર છે કે તેમને લઘુમતી કોમના મતદાતાઓના મત મળવાના નથી. ટૂંકમાં દક્ષિણ ભારત, પૂર્વ ભારત, સેક્યુલર હિંદુઓ અને લઘુમતી કોમમાં ગજ વાગવાનો નથી, અને તેમની સંયુક્ત તાકાત એટલી બધી છે કે તેનો મુકાબલો કરવા હિન્દુત્વવાદી ઘેટાંઓને સતત ઘાસ-ચારો નીરતા રહેવું જરૂરી છે અને તેમને નશામાં રાખવા પણ જરૂરી છે. વખત છે કે મોંઘવારી, બેરોજગારી, સંતાનના ભવિષ્યની ચિંતા વગેરે વિકરાળ વાસ્તવિકતાનો એરુ આભડી જાય અને ઘેટાંઓ ઊંચાંનીચાં થવાં લાગે.

તો વાતનો સાર એ કે ભારતના મર્યાદિત પ્રદેશ(સમગ્ર ભારતના નહીં)ના અંદાજે ૩૫ ટકા (માત્ર ૩૫ ટકા, સાદી બહુમતી પણ નહીં.) હિંદુઓને એક સાંકળે બાંધી રાખવાના છે અને એ પણ બને એટલો લાંબો વખત. કોઈ પણ ભોગે હાથ લાગેલા ઘેટાંઓ વાડામાંથી નાસી ન જાય એ માટે હિન્દુત્વના, હિંદુરાષ્ટ્રના, મંદિરો તોડીને બાંધવામાં આવેલી મસ્જિદોના, ઇસ્લામના, મુસલમાનોના દેશદ્રોહના, ઔરંગઝેબના, હિંદુઓને થયેલા કે થઈ રહેલા કે હવે પછી થનારા અન્યાયનાં ડાકલાં ચોવીસે કલાક વગાડતાં રાખવા પડે એમ છે. પાકિસ્તાનમાં સેવાન શહેરમાં આવેલી મસ્તકલંદરની મઝાર પર રોજ રાતના ઢોલ ઉપર દાંડી પડે અને ભાન ભુલાવી દેનારી ધમાલ શરૂ થાય એમ આપણે ત્યાં કેટલીક ટી.વી. ચેનલો ઉપર રોજ રાતના નવના ટકોરે ધમાલ શરૂ થાય છે. અર્ણવ ગોસ્વામીઓ, સંબિત પાત્રાઓ, સુધાંશું ત્રિવેદીઓ, નુપુર શર્માઓ, નવીન કુમાર જીન્દાલોની અંદર પીડિત હિંદુ આત્મા પ્રવેશે છે અને પછી વિધર્મીઓ પ્રત્યે લાનતના, લલકારવાના, રડવાના ખેલ શરૂ થાય છે. જેમ મસ્તકલંદરની મઝાર પરની ધમાલ ખાસ પ્રકારના લોકો માટેની હોય છે એમ ટી.વી. ચેનલો પરની ધમાલ પણ ખાસ પ્રકારના ઓડિયન્સ માટેની હોય છે.

વળી આ ધમાલ રોજેરોજ, અચૂક અને એ પણ પાછી તારસ્વરે યોજવાની. એક પણ ઘેટું નાસી ન જવું જોઈએ. આ કોઈ સહેલું કામ નથી. જોખમી કામ છે અને એમાં અતિરેક થઈ જવાનો કે થાપ ખાઈ જવાનો ડર રહે છે. ક્યારે કોઈ અર્ણવ ગોસ્વામી કયા ભૂવાને પાણી છાંટીને વાસામાં થાપટ મારે એની કોઈ ખાતરી નહીં. ગયા અઠવાડિયે એવું જ થયું. થોડા અપરિપક્વ કે અતિ ઉત્સાહી ભૂવાઓ ઉપર એન્કરે પાણી છાંટ્યુ અને દેશનું નાક કપાયું.

હવે સંકડામણની વાત.

છાશ લેવા જવું ને દોણી સંતાડવાની શી જરૂર છે? પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, ઈરાકમાં, સીરિયામાં, લીબિયામાં કે બીજા અનેક મુસ્લિમ દેશોમાં ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવા માગનારાઓ જેમ ઈમેજની ચિંતા નથી કરતા તેમ હિન્દુત્વવાદી શાસકોએ પણ ન કરવી જોઈએ. શા માટે ઈમેજની ચિંતા કરીને તંગ દોરડા પર નર્તન કરવામાં આવી રહ્યું છે? શા માટે દુનિયાની ચિંતા કરવાની? અમે તો બસ આવા છીએ અને અમને આવો દેશ જોઈએ છે. ભારત અમારો (હિંદુઓનો) દેશ છે અમે કાંઈ પણ કરીએ. તાલેબાનોએ કે ઇસ્લામિક સ્ટેટવાળાઓએ ક્યારે ય ચિંતા કરી છે કે તમે તેમના વિષે શું વિચારો છો? પાસ-નાપાસ કરનારા બીજા તે વળી કોણ? ૫૬ ઈંચની છાતી ધરાવનારાઓએ આ જ માર્ગ અપનાવવો જોઈએ.

પણ આ વિકલ્પ ભારત માટે સહેજે ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ નથી જ એવું નથી, ભવિષ્યમાં કદાચ એ વિકલ્પ અપનાવવામાં પણ આવે, પરંતુ સહેજે ઉપલબ્ધ નથી. એનાં કારણો એ છે કે ભારત એ કોઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે સીરિયા જેવો નાગો ન્હાય શું અને નીચોવે શું એવો ખાખી બાવાઓનો દેશ નથી. પ્રાચીન, હજુ પણ વિદ્યમાન અને વળી સમૃદ્ધ સભ્યતા ધરાવતો આ દેશ છે. આ દેશ જગતમાં ઔપનિષદીક દર્શન, બુદ્ધ, મહાવીર અને ગાંધી થકી ઓળખાય છે. એક ગરીબ દેશ જગતમાં આદર ધરાવતો આવ્યો છે એનું કારણ આપણો અનુઠો વારસો છે અને જગત આ જાણે છે. આ એક એવો દેશ છે જેણે પ્રચંડ માત્રામાં ગરીબી અને નિરક્ષરતા હોવા છતાં આધુનિક સેક્યુલર લોકતાંત્રિક રાજ્યની પસંદગી કરી અને એવું રાજ્ય ઘડ્યું અને અત્યાર સુધી ટકાવી રાખ્યું. આ જગતનો સૌથી મોટો લોકશાહી દેશ છે.

આ થઈ વારસાની વાત. હવે વાસ્તવિકતાની વાત કરીએ.

આ વિરાટ દેશ છે. તેની જગતમાં રાજકીય અને આર્થિક વગ છે. જગતના પાંચ વિશાળ અર્થતંત્ર ધરાવનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આપણું માનવધન જગત આખામાં ફેલાયેલું છે, જેમાંથી કેટલાક લોકો પ્રોફેશનલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને બાકીના લોકોએ ભારતના મનીઓર્ડર અર્થતંત્રને વિકસાવ્યું છે. અમેરિકામાં ભારતીયોને “બ્રેઈની” તરીકે ઓળખવામાં આવે છે. ભારત ચીનની બરાબરી કરી શકે એમ છે એમ જગત માને છે અને ચીનને પણ એ વાતનો ડર છે. ભારત પાસે એક અબજ ચાલીસ કરોડ પેટ છે અને બે અબજ ૮૦ કરોડ હાથ છે. આટલાં પેટ ભરવાનાં, આટલા હાથોને કામ આપવાનું અને આટલા હાથનો ઉજ્વળ ભવિષ્ય ઘડવા માટે ઉપયોગ કરવાનો. કેટલું મોટું દાયિત્વ, કેટલો મોટો પડકાર અને કેટલી મોટી તક! ત્રણેય એક સાથે. ભારત યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદનું દાવેદાર છે. આ ઉપરાંત વૈશ્વીકરણના પરિણામે વિશ્વદેશોનાં હિતો પરસ્પરાવલંબી બની ગયાં છે. ખનીજ તેલની બાબતમાં ભારત જરા ય આત્મનિર્ભર નથી અને ખનીજ તેલનો પુરવઠો મુસ્લિમ દેશોમાંથી આવે છે. જે દેશને જગતમાં પોતાની જગ્યા બનાવવી છે અને તક મળ્યે હજુ મોટી જગ્યા બનાવવી છે એને મસ્તી પોસાય એમ નથી. રશિયાને પણ હવે મસ્તી ભારે પડી રહી છે.

ટૂંકમાં ભારત અફઘાનિસ્તાન-પાકિસ્તાનની જેમ ન પોતાનો વારસો ફગાવી શકે કે ન એક સાથે પડકારજન્ય અને અવસરજન્ય વાસ્તવિકતાઓથી મોઢું ફેરવી શકે. એ થઈ શકે છે અને જો દેશના નસીબ ખરાબ હશે તો થશે પણ, પણ એની કિંમત ઘણી મોટી હશે. એ પછી ભારત ભારત નહીં રહે. આ સંકડામણ છે અને આપણા શાસકો એ જાણે છે.

હવે કરવું શું? રાતના નવ વાગે પ્રાઈમ ટાઈમમાં ધમાલ યોજવી જરૂરી છે કે જેથી ઘેટાં ભાન ભૂલીને ધૂણ્યા કરે અને નીરેલો ચારો ચર્યા કરે. આ સિવાય રસ્તા ઉપર મંદિર-મસ્જિદ, લવ-જિહાદ, ગોરક્ષાના ખેલ કરતા રહેવા જોઈએ કે જેથી ભક્તોને એમ લાગે કે હિંદુરાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે, માત્ર ટી.વી. ઉપર ચર્ચા કરવામાં નથી આવી રહી. જો આ કરવામાં ન આવે તો ઘેટાંઓને મોંઘવારી અને રોજગારીની યાદ આવે. બીજી બાજુ ભવ્ય અને સમૃદ્ધ વારસો ફગાવી દેતા શરમ આવે છે, કદાચ ભય પણ લાગતો હશે તેમ જ પડકારજન્ય અને અવસરજન્ય વાસ્તવિકતાઓ સામે ઊભી છે જેની અવગણના થઈ શકે એમ નથી. વળી આખું જગત ભારત તરફ ઝીણી નઝરે જોઈ રહ્યું છે, કારણ કે જગતને પણ ભારતના એક અબજ ચાલીસ કરોડ વપરાશકારોમાં અને બે અબજ ૮૦ કરોડ હાથોમાં રસ છે. જગત ચીન સામે ભારતને ઊભું રહેલું જોવા આતુર છે. જગતના પહેલી હરોળના દેશોમાં સ્થાન મેળવવાનો ભારતનો હક છે અને નિયતિ પણ છે, પણ એ કયું ભારત?

અત્યારે ભારતીય શાસકો સમક્ષ નિયત અને નિયતિ વચ્ચેનો દ્વંદ્વ છે. માથાભારેપણા દ્વારા મુસ્લિમ વિરોધી કોમીમાનસ ધરાવતા હિંદુને સર્વોપરિતાનો ખોખલો અહેસાસ કરાવવો કે સશક્તિકરણ દ્વારા દેશને તેનું હકનું સ્થાન અપાવવું? બન્ને માર્ગ અલગ છે અને બન્ને માર્ગે એક જ સમયે એક સાથે ચાલી શકાય એમ નથી. પણ આપણા શાસકો એવો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં આ લપસી પડવાની ઘટના બની, જે ક્યારેકને ક્યારેક તો બનવાની જ હતી. માથાભારેપણાની ખોખલી બહાદુરી એકલા હિંદુ બતાવી શકે, પણ સશક્તિકરણ સહિયારું હોય છે.

કેવી ડાહી ડાહી વાતો સાંભળવા મળી રહી છે! રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કહે છે કે દરેક મસ્જિદની નીચે શિવજીનું લિંગ શોધાવાની જરૂર નથી. મુસલમાન વિના આ દેશ અધૂરો છે. આહા, ક્યા બાત હૈ. સરકાર કહે છે કે ભારતની સભ્યતા સહઅસ્તિત્વની અને સહિષ્ણુતાની સભ્યતા છે. બી.જે.પી.ના પ્રવક્તાઓ કહે છે કે અમારો પક્ષ બંધારણીય ભારતને વરેલો છે જેમાં ધર્મ કે બીજા કોઈ નામે ભેદભાવ કરવામાં આવતો નથી. ભારતમાં નાગરિક અધિકારો સુરક્ષિત છે, વગેરે વગેરે. ચારેકોર ડહાપણના ધોધ વહી રહ્યા છે.

પણ તો પછી પક્ષના સત્તાવાર પ્રવક્તાઓએ જે કહ્યું એનું શું? પક્ષ કહે છે કે એ તેમનો અંગત મત હતો. પક્ષનો પ્રવક્તા જ્યારે પ્રવક્તા તરીકે બોલતો હોય ત્યારે એ અંગત મત હોય? હવે કહેવામાં આવી રહ્યું છે કે એ લોકો તો પક્ષમાં હાંસિયામાં સ્થાન ધરાવતા બેજવાબદાર લોકો છે. હશે, પણ “દંગા કોણ કરે છે એ તમે તેમનાં કપડાં ઉપરથી ઓળખી શકશો” એમ કહેનારા વડા પ્રધાન પોતે હાંસિયામાં સ્થાન ધરાવનારા બેજવાબદાર માણસ છે? “દેશમાં લડાઈ ૮૦ ટકા સામે ૨૦ ટકા વચ્ચેની છે” એમ કહેનારા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાંસિયામાં સ્થાન ધરાવનારા બેજવાબદાર માણસ છે? વડા પ્રધાન ખુદ, તેમના પ્રધાનો, મુખ્ય પ્રધાનો અને અન્ય પ્રધાનો, સંઘના નેતાઓ અને પ્રવક્તાઓના સેંકડો નિવેદનો ઉપલબ્ધ છે અને કહો ત્યારે ટાંકી શકું એમ છું. બીજું જ્યારે પણ અનર્થકારી ઘટના બને છે ત્યારે વડા પ્રધાને ક્યારે ય મોઢું ખોલ્યું છે? મૂંગા રહેવું એ મુક સંમતિ છે.

તો વાતનો સાર એટલો જ દાવ ઘણો મોટો છે. ભારતના મર્યાદિત પ્રદેશના હાથ લાધેલા હિંદુઓ ગરીબી, બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થઈને ભાગી ન જાય એ માટે રોજેરોજ સતત રડાવનારાં – ડરાવનારાં ડાકલાં વગાડવાં જરૂરી છે. તેમને માથાભારેપણા દ્વારા હિંદુ વર્ચસ્વનો અહેસાસ કરાવવો જરૂરી છે, પછી ભલે એ છીછરો હોય. બીજી બાજુ દેશ ત્રિભેટે ઊભો છે. આગળ ભવ્ય ભવિષ્ય છે અને પાછળ અફઘાનિસ્તાન નામની હકીકત છે. આગળ કહ્યું એમ નિયત અને નિયતિ વચ્ચેનો દ્વંદ્વ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2022

Loading

મન્તવ્ય-જ્યોત—12

સુમન શાહ|Opinion - Opinion|9 June 2022

જ્યોત ૧૨ : કાવ્યબાની :

કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય !

સાચું, પણ સાવ એમ નથી, એમાં ઊંડું વિચારવાની જરૂર છે.

પ્રાચીનકાળથી સાહિત્યકલાના ચિન્તકોએ સાહિત્યની ભાષા તેમ જ કાવ્યબાની વિશે ઘણું વિચાર્યું છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, અલંકારવાદીઓ અલંકારને ‘સર્વસ્વ’ ગણે છે. કેમ કે બાનીમાં અલંકાર એક ઉપકારક તત્ત્વ છે. કુન્તક વક્રોક્તિને રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણે છે. કેમકે વક્ર ઉક્તિની પણ બાનીમાં ચૉક્કસ ભૂમિકા છે.

હું હમેશાં એક વાત ખાસ કહેતો હોઉં છું કે રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો મુખ્યત્વે સાહિત્યકલાના અનુભવની વાત કરે છે. અલંકાર સમ્પ્રદાય અને વક્રોક્તિવિચાર સવિશેષે કાવ્યભાષાની વાત કરે છે. આપણે યાદ રાખવું જોઈશે કે એથી સંસ્કૃત કાવ્યમીમાંસામાં કલા અને તેને પ્રગટાવનારી ભાષા બન્નેનો વિચાર થયો છે. કહો કે એથી શાસ્ત્રીય પરિપૂર્તિ થઈ છે.

“ઑન ધ સબ્લાઇમ”-માં લૉન્જાઇનસ કહે છે કે ઉત્કૃષ્ટ વિચારનો પ્રકાશ સુન્દર શબ્દોથી પ્રગટે છે. એમણે કહ્યું છે કે તુચ્છ વિષયો માટે ભવ્ય રીતિ પ્રયોજશો નહીં. સાહિત્યભાષાનો કે કાવ્યબાનીનો મિથ્યા મહિમા થતો હોય તો એને પડકારજો, ચલાવી લેશો નહીં. 

“પોએટિક્સ”-માં ઍરિસ્ટોટલે કાવ્યબાની વિશે એક સરસ વિધાન કર્યું છે : કાવ્યબાની ‘સરેરાશ’ હોવાને સ્થાને ‘વિશદ’ હોવી જોઈએ : પછીની સદીઓમાં, કવિઓએ વિશદતા માટે ઘણું કર્યું. ઉપરાન્ત, પુરાકાલીન કવિઓએ પ્રયોજેલાં eftsoons (તુરન્ત બાદ), prithee (સવિનય પ્રાર્થું છું કે), oft (બહુશ:) અને ere (આ પૂર્વે) જેવાં આર્કેઇક – કાલગ્રસ્ત – લટકણિયાં જોડીને પોતાની અભિવ્યક્તિઓને તેઓએ વધારે પડતી ભારે કરી નાખી. આપણા કેટલાક પણ્ડિતો ‘તત્ પશ્ચાત્’ ‘વારુ’ ‘તદપિ’ ‘તથાપિ’ ‘કદાચિત્’ પ્રયોજતા હતા, લગભગ એના જેવું.

“લિરિકલ બૅલેડ્સ”-ની પ્રસ્તાવનામાં વર્ડ્ઝવર્થ એ પ્રયોગોને ‘inane phraseology’ કહે છે – શબ્દગુચ્છો વડે વાતને વ્યર્થ લંબાવવી તે; એક જાતનો વાગાડમ્બર.

કાવ્યસામગ્રીરૂપ હરેક વિષયમાં મનુષ્યચિત્તને રસ પડે તે સિદ્ધિને વર્ડ્ઝવર્થે કવિતાનું મહિમાવન્ત લક્ષણ ગણ્યું છે. કહ્યું છે કે કવિઓનાં સર્જનોમાં એ દેખાશે, નહીં કે વિવેચકોનાં લખાણોમાં. વર્ડ્ઝવર્થે આલંકારિકતાનો વિરોધ કર્યો અને ભાષાથી કાવ્યભાષાની વ્યાવર્તકતા કે જુદાઇ પર ભાર મૂક્યો. એ માટે એટલે લગી કહ્યું કે વિવિધ પરિસ્થતિઓમાં માણસો પ્રયોજે છે એવી ભાષા કવિઓએ કાવ્યોમાં પ્રયોજાવી જોઈએ. એ અર્થમાં તેઓએ કાવ્યબાનીના વિચારને વાણી સાથે સાંકળેલો.

યાદ આવે છે કે સંસ્કૃત કાવ્યાચાર્યોએ સ્વાભાવોક્તિનો કાવ્યપરક મહિમા કર્યો જ છે, વળી, ક્યારેક અલંકૃતિ ન પણ હોય, એટલે લગી પણ કહ્યું છે.

પરન્તુ સૅમ્યુઅલ ટેલર કૉલરિજે “બાયોગ્રાફિયા લિટરેરિયા”-માં વર્ડ્ઝવર્થનાં મન્તવ્યોની સમીક્ષા કરતાં જણાવ્યું કે તેઓ મુદ્દાને વધારે પડતો વિકસાવી રહ્યા છે; તેમનાં પોતાનાં ઉત્તમ સર્જનો તેમની જ એ વાતથી વિરુ્દ્ધ જતાં વરતાય છે. એટલું જ નહીં, માણસોની ભાષામાં લખાયેલી તેમની કેટલીક કૃતિઓ તો કાવ્યના સ્તરે પ્હૉંચતી જ નથી.

હું સાદા વિચારો રજૂ કરું :

ધારો કે, કાવ્ય ગુજરાતી ભાષામાં લખાયું છે, તે છતાં, તે કાવ્ય રસોડામાં કે છાપાંમાં વપરાતી ગુજરાતી ભાષામાં નથી હોતું. તે હમેશાં કાવ્યની ભાષામાં હોય છે. એથી આગળ, કાવ્યની ભાષા વડે કાવ્યબાની – એક જાતની વાણી – પ્રગટતી હોય છે.

દાખલા તરીકે, નિરંજન ભગતનું “પ્રવાલદ્વિપ” ગુજરાતી ભાષામાં લખાયું છે. પણ તે, ‘ચલ મન મુમ્બઇ નગરી’ જેવી કાવ્યભાષામાં છે. એથી એવી બાની પ્રગટી છે જેમાં કાવ્યનાયકનો અવાજ અને કવિની આધુનિક સર્જનપદ્ધતિની આગવી અસર પણ અનુભવાય છે.

અનેક કાવ્યોના સર્જકની નિજી વાણીને બાની કહેવાય. બાની ભાવકે અનુભવવાની વસ છે. દાખલા તરીકે, નામ ન જણાવ્યું હોય તો પણ ગમ પડી જાય કે આ પંક્તિ તો નિરંજન ભગતની છે, નહીં કે કોઈ બીજાની. આ સૉનેટ તો ઉમાશંકરનું છે, ન તો કોઈ અન્યનું. આ ગીત તો રાજેન્દ્ર શાહનું જ છે. વગેરે.

એથી આગળ, સમર્થ કવિની બાની છેવટે એની શૈલીની, સ્ટાઇલની, સિગ્નેચરની, પૂર્વભૂમિકા બને છે. એટલે પછી, જેમ કે, આપણે કહી શકીએ છીએ કે આ શૈલી તો નિરંજન ભગતની છે, આ તો ઉમાશંકર છે, આ તો રાજેન્દ્ર શાહ છે. વગેરે.

શૈલીથી સાહિત્યકારની ઓળખ બને છે, પરન્તુ હરેક ભાષાસાહિત્યમાં ઓળખ વગરનાઓની વસતી મોટી હોય છે.

શૈલીની ઉપપત્તિ રૂપે કહેવાવા લાગે છે કે ઉપમા તો, કાલિદાસની જ; બાણની “કાદમ્બરી”નું ગદ્ય કવિનામ્ નિકષમ્ છે; શ્રીહર્ષનું “નૈષધ૦” વિદ્વદૌષધ છે; પ્રેમાનંદના પૅંગડામાં … વગેરે.

સમર્થોની શૈલી અનનુકરણીય હોય છે અને હમેશાં એમ જ રહે છે. રવીન્દ્રનાથ, શેક્સપીયર કે બૅકેટનું અનુકરણ શક્ય નથી. કોઈ કીર્તિઘૅલો અનુકરણ કરવા જાય તો હાંફી જાય, ઉપહસનીય લાગે, ગાંડો, અને એમ પુરવાર પણ થાય.

આપણા અમુક જ સમકાલિક કવિઓની રચનાઓ કાવ્યબાનીનો અને તેમના અવાજનો તેમજ શૈલીનો અણસાર આપે છે.

સારું છે કે તેઓ આપણી સમક્ષ છે.

= = =

(June 9, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અંગ્રેજી નાટક The Glass Menagerie નો સંતોષકારક પ્રયોગ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 June 2022

વિખ્યાત અમેરિકન નાટકકાર  ટેનિસી વિલ્યમ્સ (1911- 83) – Tennessee Williamsના જાણીતા નાટક  ‘ધ ગ્લાસ મિનાજરી’ – The  Glass Menagerieનો વડોદરાના યુવા કલાકારોની મંડળીએ ભજવેલો ખૂબ સંતોષકારક પ્રયોગ ગયા શુક્રવાર, 3 જૂને અમદાવાદના ‘સ્ક્રૅપયાર્ડ’ નાટ્યગૃહમાં જોવા મળ્યો.

તખ્તા પર ભજવવા માટેની ઘટના action ખૂબ ઓછી હોય તો પણ નાટક કેટલું સરસ અને અસરકારક બનાવી શકાય તેનો એક દાખલો જોવા મળ્યો.

અમેરિકામાં 1930ના દાયકાના પાછોતરા વર્ષોમાં, મહામંદીને પગલે આર્થિક સંકટમાં સપડાયેલાં સફળતાના દેશમાં કપરી હાલતમાં જીવતાં નીચલા મધ્યમવર્ગના સાવ નાનાં Wingfield પરિવારનું આ નાટક છે. મધ્યમ વયની સુંદર અમાન્ડા (વૈદેશા લોબિયાલ) અને તેના યુવાન સંતાનો ટૉમ (શ્રેયસ સાઠે) તેમ જ  લોરા (પ્રશસ્તિ માનેશ્વર) અને ટૉમના મિત્ર જિમ ઓ’કોનર(આયુષ દોશી)ના બહેતર જિંદગી માટેનાં સંઘર્ષ, આશા, આકાંક્ષા, ભ્રમણા અને નિરાશાનું આ નાટક છે. એમનાં સંજોગો અને મનોસ્થિતિની સંકુલતાના વિષયને દિગ્દર્શક Pujitha de Mel બહાર લાવી શક્યા છે.

દરેક દૃશ્ય પર તેમણે મહેનત લીધી છે. મંચના બધા મહત્ત્વના સ્થાનોને આવરી લેતી દૃશ્ય રચનાઓ, લેવલનો ઉપયોગ, વેશભૂષા, અને અનેક જરૂરી વાસ્તવિક property piecesનો યથાયોગ્ય ઉપયોગ – આવી અનેક બાબતો દિગ્દર્શકની કુનેહ બતાવે છે.

Pujitha શ્રીલંકાની કોલમ્બો યુનિવર્સિટીમાં પરફૉર્મિંગ આર્ટસ વિષયના, અનેક સન્માન પામેલા અધ્યાપક છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્યવિદ્યા વિભાગના વિદ્યાર્થીઓને આ નાટક કરાવ્યું હતું. એટલે નાટકની મંડળીમાં એ વિભાગના ઘણા વિદ્યાર્થીઓ છે. જો કે નાટકનું નિર્માણ કોઈ નાટ્યવૃંદના નામ હેઠળ થયું ન હતું.

મંચ પર ચાર જગ્યાએ ભજવાતાં બે કલાકારોવાળાં દૃશ્યો વિશેષ ધ્યાન ખેંચે છે. હળવા અને મંદ સંગીત(મ્યુઝિક ઑપરેટર ધૈર્ય જોશી)ની સૂરાવલીઓનો ઉપયોગ ઓછો ધ્યાનમાં આવે એટલો મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે. વિલ્યમ્સના નાટકોમાં પ્રકાશ આયોજન વિશેષ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે એમ વાંચવામાં આવેલું નિરીક્ષણ યથાર્થ લાગે છે. નાટકમાં મોટે ભાગે માયૂસી અને ક્વચિત આશા-આનંદનો જે માહોલ ઊભો કરવામાં પ્રકાશઆયોજનનો (લાઇટ ઑપરેટર હિન્દ ભટ્ટ, શ્રેયસ ગુપ્તા) મહત્ત્વનો ફાળો છે. નાટક અંત તરફ આગળ વધે છે ત્યારે menagerieને ધીમે ધીમે નજાકતથી સુંદર રીતે ઉપસાવવામાં આવી છે.

Menagerieનો અર્થ થાય છે મોટે ભાગે અંગત માલિકીનો હોય તેવો પ્રાણીબાગ. આ નાટકમાં glass menagerie એટલે કે  કાચનાં બનાવેલાં રમકડાંના પ્રાણીઓનો સંગ્રહ.

આ glass menagerie આખા ય નાટક દરમિયાન સ્ટેજના આગળના હિસ્સામાં પ્રેક્ષકોની સામે રહે છે. આંશિક રીતે શારીરિક વિકલાંગતા અને માનસિક મંદતા ધરાવતી લોરાએ એકઠી કરેલી glass menagerie તેની પોતાની આશા-આકાંક્ષાની નાનકડી દુનિયાનું પ્રતીક છે ,એમ વાંચવામાં આવ્યું છે. જો કે આવી પ્રતીકાત્મકતા ભાગ્યે જ પ્રતીતિજનક લાગે છે. નાટકની એકંદર સંહિતા(script)માં glass menagerieની મહત્તા ઊભી થતી નથી, પણ તેને દિગ્દર્શકે નાટકના  અંત ભાગમાં સારી રીતે ઉપસાવી છે.

ચારેય પાત્રોએ નાટકના સમયગાળાની નજીકની વેષભૂષામાં પોતાની ભૂમિકા ઉત્તમ રીતે નિભાવી છે. જો કે અંગ્રેજી ખૂબ ઝડપથી બોલવું પડે એવી આપણે ત્યાંની એક માન્યતાની અસર આ નાટકના બે કલાકારોમાં પર દેખાય છે. જો કે લાગણીભર્યો અભિનય કરવામાં તેમણે કોઈ કમી રાખી નથી. આ નાટ્યપ્રયોગની નાટકની એક મોટી સિદ્ધિ એ હતી કે એણે પ્રેક્ષકોને ભજવણી સાથે સતત જોડી રાખ્યા.

નાટકની મંડળી વડોદરાની હતી. તેણે બે દિવસમાં બે પ્રયોગો કર્યા. તેના માટે આખી ટુકડી કોઈ  હોટલમાં ન રહી (શોખિયા નાટકવાળાને એ ઐયાષી ભાગ્યે જ પોષાય). કબીરભાઈએ તેમને સ્ક્રૅપયાર્ડમાં જ રાતવાસા માટે શક્ય તેટલી સગવડો કરી આપી. નાટક કરનારા કલાકારોને અને તેમના માટે દરિયાદિલ કબીર-નેહાને આવું તો કેટલું ય કરવાનું  થતું હશે !

નોંધપાત્ર મુદ્દો એ પણ કે ટેનિસી વિલ્યમ્સનું નાટક અમદાવાદમાં પહેલી વાર ભજવાયું, એવું આ લખનારનું માનવું છે. એટલું જ નહીં, ગુજરાતી રંગભૂમિની અરધી સદીના નિરીક્ષક એસ.ડી. દેસાઈ સાહેબને પણ અમદાવાદમાં  ટેનિસી વિલ્યમ્સ ભજવાયા હોય એવું સ્મરણ નથી.

એ પણ કહેવું જોઈએ કે બિનવ્યાવસયિક રંગભૂમિ પર જાહેર પ્રયોગ તરીકે અમદાવાદમાં બહુ વર્ષે પૂરાં કદનું અંગ્રેજી નાટક જોવા મળ્યું. વડોદરામાં પ્રો. યશવંત કેળકર અને ડૉ. હર્ષ હેગડેના નેજા હેઠળ ચાલતી અનુક્રમે ‘બરોડા એમૅટર ડ્રામેટિક ક્લબ’ અને ‘શેક્સપિયર સોસાયટી’ કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનનું ઇન્ગ્લિશ લિટરરી અસોસિએશન, સનદી અધિકારી વરુણ માઇરાની નાટકમંડળી ‘પ્લેકાર્ટ’ અને ક્યારેક બ્રિટિશ લાઇબ્રેરી જેવાં જૂથો દ્વારા દર વર્ષે થઈને  અંગ્રેજી નાટકોના પાંચ-છ ગુણવત્તાવાળા પ્રયોગો  થતા અને તે જોવા લોકો પણ ઘણાં આવતા.

સ્ક્રૅપયાર્ડના પ્રયોગમાં પ્રેક્ષકો ઓછા હતા પણ કોશિશમાં કોઈ ઉણપ ન હતી. હજારોની સંખ્યામાં followers અને લાખોની સંખ્યામાં likesના જમાનામાં પણ કેવળ નાટકના પૅશનને કારણે તન્મય બનીને નાટક કરવું એ મનને અડી જનારી વાત છે. આવું કરનારા બધા રંગકર્મીઓને હંમેશ માટે ધન્યવાદ જ હોય !

8 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3601,3611,3621,363...1,3701,3801,390...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved