Opinion Magazine
Number of visits: 9458647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દોસ્ત

દેવિકા ધ્રુવ|Poetry|10 June 2022

તારી સાથે ચાલી નીકળવાની

ન તો કોઈ ઉતાવળ છે;
ન કોઈ અધીરાઈ.
ગમે ત્યારે આવજે ને?
ટાઢ, તાપ કે વરસાદ, સાંજ, સવાર કે રાત,
ગમે ત્યારે, ગમે ત્યાં,
તું આવીશ ત્યારે તૈયાર રહીશ.
કશી આનાકાની નહિ કરું.
તું ચોક્કસ આવીશ, એની તો ખાત્રી છે જ!
વિધાન પાળવામાં,
તારી તોલે કોઈ ન આવે.
કદાચ એટલે જ તો,
તારું માન છે, સ્વીકાર છે.
ફરી કહું છું,
ગમે તેવાં અધૂરાં કામ
પડતાં મૂકીને પણ આવીશ.
અરે, ઘોડે ચડીને આવવાની
તને છૂટ છે જા! પણ દોસ્ત,
એક વિનંતિ કરું ?
ભવ્યતાથી આવજે હોં!
મને અને સૌને ગમે
તે રીતે આવજે.
યાદગાર રીતે આવજે.

કોઈ નિશ્ચિત્ત તો નહિ,

પણ થોડી આગાહી આપજે.

જેથી સજધજ થઈ,

આનંદપૂર્વક તારી રાહ જોવાય.

આરતી ઉતારી,

તારું સન્માન થાય,

જન્મની જેમ જ;

દોસ્ત યમરાજ!!

 

http://devikadhruva.wordpress.com

e.mail : ddhruva1948@yahoo.com

Loading

‘ગાંધી સ્મૃતિ ભવન’ બંધ છે, પણ નાટક ચાલે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 June 2022

‘ગાંધી સ્મૃતિ ભવન’ સુરતનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું, પણ તે 2019માં રિપેરિંગ માટે બંધ કરાયું. 12 જુલાઇ, 2019ના રોજ કોઈ શો ન હતો એવા સમયમાં પ્રેક્ષક ગેલરીના પી.ઓ.પી.નો પોપડો તૂટી પડ્યો હતો. આ બનાવ પછી ભવન બંધ કરીને તેને ઉતારી પાડવાનું નક્કી કરાયું હતું. હવે તો બાજુનું મલ્ટિલેવલ પાર્કિંગ પણ જમીન દોસ્ત કરાયું છે. આમ તો 2019ની આ વાત, પણ 2022 સુધી કોરોનાને કારણે ખેંચાઈ હોય એમ બને. સરકારી કામ કોને કહ્યું છે ! ગાંધી સ્મૃતિ ભવન 1980માં ખુલ્લું મુકાયું હતું. એ વાતને ય 41 વર્ષ થયાં. 2011ની આસપાસ મોટું રિપેરિંગ નીકળ્યું હતું, ત્યારે પણ તે થોડો સમય માટે બંધ રહ્યું હતું એવો ખ્યાલ છે. એ ઉપરાંત ચોમાસામાં નાનાંમોટાં રિપેરિંગ તો નીકળ્યાં જ છે, પણ ત્યારે ભવન બંધ રહ્યું નથી. ટેકનોલોજીના આટલાં વિકાસ પછી બાંધકામ બાબતે આપણે ખરેખર ઘણો વિકાસ કર્યો છે. આપણાં સેંકડો વર્ષોથી ઊભેલાં સ્થાપત્યો જોઈએ છીએ ત્યારે થાય છે કે એ સમયના લોકો ટેકનોલોજીના અભાવમાં મૂરખ જ જણાય છે. કેવી રીતે આવું હજારેક વર્ષ ચાલે એવું તકલાદી બાંધકામ તેમણે કર્યું તે નથી સમજાતું. એ આજના બાંધકામની સામે તો કૈં જ નથી. આ ગાંધી સ્મૃતિ ભવન 41 વર્ષમાં નવું કરવું પડે એવી આધુનિક સગવડોનો લાભ એ પૂર્વજોના નસીબમાં ન હતો. ક્યાં આ આજનું 41 વર્ષનું મજબૂત બાંધકામ ને ક્યાં પેલાં સેંકડો વર્ષ જૂનાં તકલાદી સ્થાપત્યો !

જો કે, હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ઓડિટોરિયમ હેરિટેજ થીમ પર બનાવવાનું નક્કી કર્યું છે. હેરિટેજ થીમ એટલે આજથી જ તેને હેરિટેજ ગણવું એવું નહીં, પણ એનો લુક હેરિટેજનો હોય એટલું જ ! એનો અર્થ એવો તો નહીં જ કે બાંધ્યા પછી એને હેરિટેજમાં ખપાવવું પડે. 41 વર્ષમાં ગાંધી સ્મૃતિ ભવન ખાસું ધમધમ્યું જ છે. જો બંધાશે તો ફરી ધમધમશે જ એમાં શંકા નથી. બાકી, હેરિટેજનું માન આપવા ઇમારત પણ તો સામે હોવી જોઈએને ! એટલું ખરું કે ઇમારત બાંધવાની વિધિવત જાહેરાત બુધવારની સભામાં થઈ છે. આમ તો 2019થી ભવન બંધ પડ્યું છે ને હવે તે બાંધવાની વાત પાકે પાયે બહાર આવી છે એટલે એ બંધાશે કે કેમ એવી શંકા હવે રહેતી નથી. એ વાત જુદી છે કે ભવનનાં બાંધકામની જાહેરાત કરતાં ત્રણ વર્ષ લાગ્યાં, પણ સારી વાત એ છે કે જાહેર બાંધકામ સમિતિમાં ભવન બાંધવાનું મંજૂર થયું છે, એટલે હવે ટેન્ડરો બહાર પડાશે, તે મંજૂર થશે ને બાંધકામ શરૂ થશે ને શક્ય છે કે થોડાં જ વર્ષોમાં હેરિટેજ થીમ સાકાર થાય. બંધાતાં બંધાતાં જ હેરિટેજ ન બનતું જાય તેની કાળજી પણ કોર્પોરેશન લેશે એવી શ્રદ્ધા છે. જો કે, બંધાઈને તૈયાર થશે ત્યારે તેની આભા જુદી જ હશે, કારણ આ આખી ઇમારત માટે 24 મહાનુભાવોની સમિતિ બનાવાઇ છે ને તેનાં માર્ગદર્શનમાં આ સ્થાપત્ય તૈયાર થવાનું છે. આ ઈમારતનું નિર્માણ હેરિટેજ લુક ગ્રેહા રેટિંગ સાથે થવાનું છે તે તેની વિશેષતા છે. તેને માટે 46 કરોડથી વધુ રકમ ફાળવવાનું સભામાં નક્કી કરાયું છે. આ રકમ વધશે પણ ખરી, કારણ કે આ ઇમારત કૈં રાતોરાત તો બંધાઈ જવાની નથી. એ બંધાઈ રહે ત્યાં સુધીમાં ભાવો ડબલ ન થાય તો જ નવાઈ ! તેનો અંદાજ અત્યારથી તો કેમ આવે? ભાવો ડબલથી ય વધે તો થોડો જ કૈં કોઈનો હાથ પકડાવાનો હતો ! જો કે, કોર્પોરેશન સજાગ છે એટલે આનો વિચાર પણ તેણે કર્યો જ હશે તે નક્કી છે.

એની વે, ઇન્ટિરિયર પાછળ 5.58 કરોડ, વીજળિક કામો માટે 5.79 કરોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે 1.65 કરોડ, ઓડિટોરિયમ સિસ્ટમ સંદર્ભે 2 કરોડ, સ્ટેજ લાઇટિંગ્સ, પડદા વગેરે માટે 1.48 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. વીસેક કરોડ સિવિલ વર્કના અંદાજાયા છે. ટૂંકમાં, ગાંધી સ્મૃતિ ભવન થશે કે કેમ તેની દહેશત હતી, તે હવે દૂર થઈ છે ને એવી આશા બંધાઈ છે કે કરોડોને ખર્ચે પણ તે થશે તો ખરું જ !

આ ભવન થવું જ જોઈએ, કારણ અહીં નાટક, સાહિત્ય, સંગીત, નૃત્ય … વગેરે કાર્યક્રમો હજારોની સંખ્યામાં થયા છે. એ અત્યારે બંધ છે. એમાં હાલનું કારણ કોરોનાનું તો ખરું જ ! અન્ય પ્રવૃત્તિઓની જેમ, કોરોનાએ કળાકીય પ્રવૃતિઓને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે ને માંડ બધું થાળે પડ્યું છે ત્યારે આ ભવન હવે વહેલી તકે સજીવ થવું જોઈએ. અહીં સપ્તર્ષિ, ઓર્બિટ, રાષ્ટ્રીય કલાકેન્દ્ર, આવિષ્કાર જેવી અનેક સ્થાનિક સંસ્થાઓએ સંગીત, નાટક, નૃત્યના ઢગલો કાર્યક્રમો કર્યાં છે ને સુરતની પ્રજાએ તેને મન ભરીને માણ્યા પણ છે. અહીં જ ગુલામ અલી, શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, ઝાકિર હુસેન જેવા અનેક રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય સ્તરના કલાકારો રજૂ થયા છે. મધર ટેરેસા, ગુણવંત શાહ, ભગવતીકુમાર શર્મા જેવાં અનેકોનાં અહીં વ્યાખ્યાનો થયાં છે. આમાંના કેટલાક કાર્યક્રમો તો કોર્પોરેશનની વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત થયા છે. આ ઉપરાંત બહારથી આઈ.એન.ટી., કાંતિ મડિયા જેવાનાં નાટકોએ અનેક પ્રેક્ષકોને હસાવ્યા, રડાવ્યા છે. આ ભવન સાથે સુરતી પ્રજાની આત્મીયતા બંધાયેલી છે ને એ અત્યારે આથમી જવા પર છે, ત્યારે થાય છે કે ગાંધી સ્મૃતિ ભવને કોઈ વરદાનની જેમ વહેલી તકે પ્રગટ થવું જોઈએ.

વિશ્વમાં કોઈ નગર પાલિકા 45થી વધુ વર્ષથી પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા કરતી હોવાનું જાણમાં નથી. એ સ્પર્ધા સાડા ચાર દાયકાથી ય વધુ સમયથી સુરત મહાનગર પાલિકા કરતી આવી છે. એ સ્પર્ધાઓ કોરોના પહેલાંથી બંધ પડી છે. એમાં જીવ આવવો જ જોઈએ. વિશ્વ રંગભૂમિ દિને આ શહેર સળંગ ત્રણ દિવસ પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટરમાં ‘રંગહોત્ર’ને નામે 65થી વધુ નાટકો કરીને રંગદેવતાનું અનુષ્ઠાન કરે છે. આવું  જગતમાં બીજે ક્યાં થતું હશે? સાચું તો એ છે કે આ શહેરનાં લોહીમાં કળા છે. આમ તો નાટય સ્પર્ધા કૈં કોર્પોરેશનનું કામ નથી, પણ ગટર, પાણી ને રસ્તાની સાથોસાથ જ કોર્પોરેશને સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરી. અનેક મહાનુભાવોનાં વ્યાખ્યાનો, સન્માનો થયાં. એ બધું વર્ષોથી બંધ છે. ઘણાં નહીં જાણતા હોય, પણ આ જ કોર્પોરેશને એકાંકી અને પૂર્ણકદનાં નાટકોની લેખન સ્પર્ધાઓ પણ વર્ષો સુધી કરી. એ વર્ષોથી બંધ છે. જો સાંસ્કૃતિક સમિતિ જીવંત હોય તો આ બધું પણ જીવંત થવું જોઈએ. કોર્પોરેશન આગલાં પાનાં ફેરવશે તો તેને આ બધું થયું છે એની ને હવે કેમ નથી થતું એની પણ ખબર પડશે. કોર્પોરેશન પાસે ભજવણી અને લેખનની સ્પર્ધાઓ નિમિત્તે દર વર્ષે ઓછામાં ઓછી પચાસેક સ્ક્રિપ્ટ જમા હશે. એ સ્ક્રિપ્ટ જો ગેરવલ્લે ન ગઈ હોય તો સેંકડો સ્ક્રિપ્ટ એકાંકીની, દ્વિઅંકી-ત્રિઅંકીની, મૌલિક કે રૂપાંતરની ભેગી થઈ હશે. એ ધારે તો સ્ક્રિપ્ટ બેન્ક તૈયાર કરી શકે. યાદ રહે, આ ખજાનો જગતની કોઈ કોર્પોરેશન પાસે નથી. આ સ્ક્રિપ્ટ હોય તો તેની જાળવણી અંગે કોર્પોરેશને ગંભીરતાથી વિચારવું જોઈએ.

કોર્પોરેશનને એ પણ ખબર હશે જ કે અહીંની સ્પર્ધાઓને કારણે જ કેટલા ય લેખકો, દિગ્દર્શકો, અભિનેતાઓ, અભિનેત્રીઓ સક્રિય થયાં ને રાજ્યમાં ને રાજ્યની બહાર પણ, તેમણે સુરતનું નામ ઉજાળ્યું. કેટલી ય નવી સંસ્થાઓ ઊભી થઈ અને એને પ્રાણવાયુ કોર્પોરેશનની સ્પર્ધાઓએ પૂરો પાડ્યો. ગાંધી સ્મૃતિ ભવનને કારણે આ શહેરની સાંસ્કૃતિક આબોહવા ઊભી થઈ હતી, એ હવે કેવળ સ્મૃતિઓ રૂપે તો નહીં રહી જાયને એવો પ્રશ્ન થાય છે.

આજે છુટીછવાઈ પ્રવૃત્તિઓ તો થાય છે, પણ તેને સાંસ્કૃતિક જળ છંટકાવની જરૂર છે. તે થોડો વખત ખીલીને મુરઝાઈ જાય તે બરાબર નથી. આજની સ્થિતિ એવી છે કે આ શહેર સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નિર્જીવ થવા પર છે. એક સમયે અહીં કવિઓ, લેખકો, કળાકારોની કદી ખોટ ન હતી, પણ આજે એક સારો વાર્તાકાર, સારો નિબંધકાર, સારો નવલકથાકાર, સારો વિવેચક ખોળવો પડે એ સ્થિતિ છે. નર્મદ, નંદશંકર, નવલરામ, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી., ‘ગની’ દહીંવાલા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, મનહરલાલ ચોક્સી, ભગવતીકુમાર શર્મા, સરોજ પાઠક, રમણ પાઠક, જ્યોતિ વૈદ્ય, વસંત ઘાસવાલા જેવાં અનેક સાહિત્યકારો, નાટ્યકારો આ શહેરે આપ્યાં છે. યાદ રહે, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો એકડો સુરતમાં ઘૂંટાયો છે ને આજે આ શહેરનો સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નાભિ શ્વાસ ચાલતો હોય એવી સ્થિતિ છે. એ કમનસીબી છે કે બહુ જ ટૂંકી દૃષ્ટિના, અંગત લાભ શોધનારા ને સૂંઠને ગાંગડે સાહિત્યકાર થઈ જનારાઓની ચોમેર ભીડ ફેલાયેલી છે. પોતાની આરતી ઉતરાવવા થોડું ઘણું થતું પણ હશે, પણ ગુણવત્તા હવે આઉટ ડેટેડ થઈ ગઈ છે. ઘણાંને માથે વેચાણ કિંમતની ટેગ લાગેલી છે ને બધાં જ વેચાવાની રાહ જોઈને ઊભાં હોય એવો સીનારિયો છે. એમાં સાહિત્ય ને શરમ સિવાય બધું જ છે.

આવી સ્થિતિમાં ગાંધી સ્મૃતિ ભવન એક સીમા સ્થંભને સ્થાને હતું. આ શહેર ભલે મેટ્રો કે વર્લ્ડ ક્લાસ વિકાસમાં ગમે તેટલો રસ લે, પણ તેની સાંસ્કૃતિક, સાહિત્યિક ધરોહરને ન ભૂલે. એના પર બુલડોઝર ન ફરે તેટલું અનિવાર્યપણે જોવાવું જોઈએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધી જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે જે તેણે અગાઉ કરી જ છે ને આ શહેરને સાંસ્કૃતિક ખંડેરમાંથી બહાર કાઢી નવપલ્લવિત કરે તો તેનો આ શહેર પર ઉપકાર જ હશે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જૂન 2022

Loading

મન્તવ્ય-જ્યોત—12

સુમન શાહ|Opinion - Opinion|9 June 2022

જ્યોત ૧૨ : કાવ્યબાની :

કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય !

સાચું, પણ સાવ એમ નથી, એમાં ઊંડું વિચારવાની જરૂર છે.

પ્રાચીનકાળથી સાહિત્યકલાના ચિન્તકોએ સાહિત્યની ભાષા તેમ જ કાવ્યબાની વિશે ઘણું વિચાર્યું છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, અલંકારવાદીઓ અલંકારને ‘સર્વસ્વ’ ગણે છે. કેમ કે બાનીમાં અલંકાર એક ઉપકારક તત્ત્વ છે. કુન્તક વક્રોક્તિને રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણે છે. કેમકે વક્ર ઉક્તિની પણ બાનીમાં ચૉક્કસ ભૂમિકા છે.

હું હમેશાં એક વાત ખાસ કહેતો હોઉં છું કે રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો મુખ્યત્વે સાહિત્યકલાના અનુભવની વાત કરે છે. અલંકાર સમ્પ્રદાય અને વક્રોક્તિવિચાર સવિશેષે કાવ્યભાષાની વાત કરે છે. આપણે યાદ રાખવું જોઈશે કે એથી સંસ્કૃત કાવ્યમીમાંસામાં કલા અને તેને પ્રગટાવનારી ભાષા બન્નેનો વિચાર થયો છે. કહો કે એથી શાસ્ત્રીય પરિપૂર્તિ થઈ છે.

“ઑન ધ સબ્લાઇમ”-માં લૉન્જાઇનસ કહે છે કે ઉત્કૃષ્ટ વિચારનો પ્રકાશ સુન્દર શબ્દોથી પ્રગટે છે. એમણે કહ્યું છે કે તુચ્છ વિષયો માટે ભવ્ય રીતિ પ્રયોજશો નહીં. સાહિત્યભાષાનો કે કાવ્યબાનીનો મિથ્યા મહિમા થતો હોય તો એને પડકારજો, ચલાવી લેશો નહીં. 

“પોએટિક્સ”-માં ઍરિસ્ટોટલે કાવ્યબાની વિશે એક સરસ વિધાન કર્યું છે : કાવ્યબાની ‘સરેરાશ’ હોવાને સ્થાને ‘વિશદ’ હોવી જોઈએ : પછીની સદીઓમાં, કવિઓએ વિશદતા માટે ઘણું કર્યું. ઉપરાન્ત, પુરાકાલીન કવિઓએ પ્રયોજેલાં eftsoons (તુરન્ત બાદ), prithee (સવિનય પ્રાર્થું છું કે), oft (બહુશ:) અને ere (આ પૂર્વે) જેવાં આર્કેઇક – કાલગ્રસ્ત – લટકણિયાં જોડીને પોતાની અભિવ્યક્તિઓને તેઓએ વધારે પડતી ભારે કરી નાખી. આપણા કેટલાક પણ્ડિતો ‘તત્ પશ્ચાત્’ ‘વારુ’ ‘તદપિ’ ‘તથાપિ’ ‘કદાચિત્’ પ્રયોજતા હતા, લગભગ એના જેવું.

“લિરિકલ બૅલેડ્સ”-ની પ્રસ્તાવનામાં વર્ડ્ઝવર્થ એ પ્રયોગોને ‘inane phraseology’ કહે છે – શબ્દગુચ્છો વડે વાતને વ્યર્થ લંબાવવી તે; એક જાતનો વાગાડમ્બર.

કાવ્યસામગ્રીરૂપ હરેક વિષયમાં મનુષ્યચિત્તને રસ પડે તે સિદ્ધિને વર્ડ્ઝવર્થે કવિતાનું મહિમાવન્ત લક્ષણ ગણ્યું છે. કહ્યું છે કે કવિઓનાં સર્જનોમાં એ દેખાશે, નહીં કે વિવેચકોનાં લખાણોમાં. વર્ડ્ઝવર્થે આલંકારિકતાનો વિરોધ કર્યો અને ભાષાથી કાવ્યભાષાની વ્યાવર્તકતા કે જુદાઇ પર ભાર મૂક્યો. એ માટે એટલે લગી કહ્યું કે વિવિધ પરિસ્થતિઓમાં માણસો પ્રયોજે છે એવી ભાષા કવિઓએ કાવ્યોમાં પ્રયોજાવી જોઈએ. એ અર્થમાં તેઓએ કાવ્યબાનીના વિચારને વાણી સાથે સાંકળેલો.

યાદ આવે છે કે સંસ્કૃત કાવ્યાચાર્યોએ સ્વાભાવોક્તિનો કાવ્યપરક મહિમા કર્યો જ છે, વળી, ક્યારેક અલંકૃતિ ન પણ હોય, એટલે લગી પણ કહ્યું છે.

પરન્તુ સૅમ્યુઅલ ટેલર કૉલરિજે “બાયોગ્રાફિયા લિટરેરિયા”-માં વર્ડ્ઝવર્થનાં મન્તવ્યોની સમીક્ષા કરતાં જણાવ્યું કે તેઓ મુદ્દાને વધારે પડતો વિકસાવી રહ્યા છે; તેમનાં પોતાનાં ઉત્તમ સર્જનો તેમની જ એ વાતથી વિરુ્દ્ધ જતાં વરતાય છે. એટલું જ નહીં, માણસોની ભાષામાં લખાયેલી તેમની કેટલીક કૃતિઓ તો કાવ્યના સ્તરે પ્હૉંચતી જ નથી.

હું સાદા વિચારો રજૂ કરું :

ધારો કે, કાવ્ય ગુજરાતી ભાષામાં લખાયું છે, તે છતાં, તે કાવ્ય રસોડામાં કે છાપાંમાં વપરાતી ગુજરાતી ભાષામાં નથી હોતું. તે હમેશાં કાવ્યની ભાષામાં હોય છે. એથી આગળ, કાવ્યની ભાષા વડે કાવ્યબાની – એક જાતની વાણી – પ્રગટતી હોય છે.

દાખલા તરીકે, નિરંજન ભગતનું “પ્રવાલદ્વિપ” ગુજરાતી ભાષામાં લખાયું છે. પણ તે, ‘ચલ મન મુમ્બઇ નગરી’ જેવી કાવ્યભાષામાં છે. એથી એવી બાની પ્રગટી છે જેમાં કાવ્યનાયકનો અવાજ અને કવિની આધુનિક સર્જનપદ્ધતિની આગવી અસર પણ અનુભવાય છે.

અનેક કાવ્યોના સર્જકની નિજી વાણીને બાની કહેવાય. બાની ભાવકે અનુભવવાની વસ છે. દાખલા તરીકે, નામ ન જણાવ્યું હોય તો પણ ગમ પડી જાય કે આ પંક્તિ તો નિરંજન ભગતની છે, નહીં કે કોઈ બીજાની. આ સૉનેટ તો ઉમાશંકરનું છે, ન તો કોઈ અન્યનું. આ ગીત તો રાજેન્દ્ર શાહનું જ છે. વગેરે.

એથી આગળ, સમર્થ કવિની બાની છેવટે એની શૈલીની, સ્ટાઇલની, સિગ્નેચરની, પૂર્વભૂમિકા બને છે. એટલે પછી, જેમ કે, આપણે કહી શકીએ છીએ કે આ શૈલી તો નિરંજન ભગતની છે, આ તો ઉમાશંકર છે, આ તો રાજેન્દ્ર શાહ છે. વગેરે.

શૈલીથી સાહિત્યકારની ઓળખ બને છે, પરન્તુ હરેક ભાષાસાહિત્યમાં ઓળખ વગરનાઓની વસતી મોટી હોય છે.

શૈલીની ઉપપત્તિ રૂપે કહેવાવા લાગે છે કે ઉપમા તો, કાલિદાસની જ; બાણની “કાદમ્બરી”નું ગદ્ય કવિનામ્ નિકષમ્ છે; શ્રીહર્ષનું “નૈષધ૦” વિદ્વદૌષધ છે; પ્રેમાનંદના પૅંગડામાં … વગેરે.

સમર્થોની શૈલી અનનુકરણીય હોય છે અને હમેશાં એમ જ રહે છે. રવીન્દ્રનાથ, શેક્સપીયર કે બૅકેટનું અનુકરણ શક્ય નથી. કોઈ કીર્તિઘૅલો અનુકરણ કરવા જાય તો હાંફી જાય, ઉપહસનીય લાગે, ગાંડો, અને એમ પુરવાર પણ થાય.

આપણા અમુક જ સમકાલિક કવિઓની રચનાઓ કાવ્યબાનીનો અને તેમના અવાજનો તેમજ શૈલીનો અણસાર આપે છે.

સારું છે કે તેઓ આપણી સમક્ષ છે.

= = =

(June 9, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3591,3601,3611,362...1,3701,3801,390...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved