Opinion Magazine
Number of visits: 9669175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રેત સમાધિ’ અને અનુવાદની રમતો

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|14 October 2022

અનુવાદ વિશેની અમુક પ્રચલિત માન્યતાઓ હવે જૂની થઈ છે : અનુવાદિત કૃતિ (translated text) મૂળ કૃતિ(source text)ને ‘વફાદારીપૂર્વક’ વળગી રહે છે કે કેમ એ બિલોરીકાચ લઈને નજર રાખતા લોકોનો ઉદ્યમ કંટાળો ઉપજાવે છે. અનુવાદિત કૃતિએ શું ગુમાવ્યું છે એ વાત બહુ ચાલી, અનુવાદિત કૃતિ શું મેળવી આપે છે એની વાત હવે થવી જોઈએ. મુખ્ય પ્રશ્ન છે મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિ વચ્ચે એક પ્રકારનો અધિક્રમિક (hierarchical) સંબંધ ઊભો કરવાનો—મૂળ કૃતિ ઊંચી ને અનુવાદિત કૃતિ નીચી, મૂળનો લેખક ક્રિયેટીવ અને અનુવાદક માત્ર લહિયો. આ માન્યતાઓથી દૂર થઈશું તો અનુવાદ વિશે થોડી સંકુલતાથી વિચારવાનું શરૂ કરી શકાશે.

ગીતાંજલી શ્રી લિખિત, બુકર પ્રાઈઝ વિજેતા કૃતિ ‘રેત સમાધિ’ના બંને વર્ઝન્સ હમણાં એકસાથે વાંચી રહ્યો છું – મૂળ હિન્દી, તેમ જ ડેઈઝી રોકવેલ દ્વારા થયેલો અંગ્રેજી અનુવાદ ‘Tomb of Sand’. અને બંને સાથે રાખીને જોતા અનુવાદની પ્રક્રિયા થોડીઘણી સમજાય છે. એવું સમજાય છે કે મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિ વચ્ચેનો સંબંધ માલિક-સેવકનો નહિ, પણ પ્રેમમાં રહેલા એક યુગલ જેવો છે. પશ્ચિમમાં એક નૃત્ય પ્રકાર છે – Waltz. જેમાં યુગલ એકસાથે નાચે છે, એક વ્યક્તિ ડગલું આગળ લે, તો બીજી વ્યક્તિ પાછળ લે. શરીરો તાલબદ્ધ રીતે એકબીજાને સપોર્ટ કરતા રહે, અને વળી પોતપોતાની મસ્તીમાં ય લહેરાતા રહે. એ નૃત્યમાં એક રમતિયાળપણું રહેલું છે. ‘રેત સમાધિ’ અને તેનો અંગ્રેજી અનુવાદ પણ જાણે એક Waltz છે. મૂળ નવલકથા વિશે અનુવાદક ડેઈઝી રોકવેલ કહે છે કે ‘રેત સમાધિ’ એવી રમતિયાળ નવલકથા છે, જ્યાં અલગ અલગ કથાઓના તાર કોઈએ ગૂંથી આપ્યા હોય. એનું માળખું ય નવીન છે, પણ મુખ્ય રમત છે તેની ભાષામાં. આખાને આખા પ્રકરણ જાણે શબ્દરમત હોય એવું લાગે, શબ્દો એકબીજાને ચીપકતા, અથડાતા, પડઘાતા લાગે. એ ચીપકવું, અથડાવું, પડઘાવું જ નવા દરવાજા ખોલી આપે, નવા અર્થો પ્રગટાવી આપે, નવા સંવેદનો ધ્વનિત કરે. ડેઈઝી રોકવેલ માટે આ શબ્દધ્વનિ જ નવલકથાનો મુખ્ય આત્મા છે, અને અનુવાદમાં એ ધ્વનિ પ્રગટાવવો એ જ તેમનો મુખ્ય હેતુ પણ છે. શબ્દનો અનુવાદ થઈ શકે, પણ ધ્વનિનો અનુવાદ કેમ કરવો? માત્ર શબ્દધ્વનિનો નહિ, પણ ધ્વનિત થતા અર્થનો પણ. અનુવાદક માટે આ એક ચેલેન્જ છે, અને એટલે જ કદાચ અનુવાદકને મજા પણ પડતી હોય છે.

‘રેત-સમાધિ’ના અનુવાદક આ ધ્વનિને અંગ્રેજીમાં ઉતારવા માટે કઈ કઈ ટેકનીક વાપરે છે? શબ્દધ્વનિ અને અર્થ વચ્ચેની ખેંચ-તાણમાં કોને પ્રાધાન્ય આપે છે? ધ્યાનથી, ઊંડાણપૂર્વક સમજી શકાય એટલા માટે મેં એક નાનકડો અંશ પસંદ કર્યો છે, મૂળ હિન્દીમાં પૃષ્ઠ ૨૩૨-૨૩૩ (રાજકમલ પ્રકાશન, છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૨) અને અંગ્રેજીમાં પૃષ્ઠ ૪૭૧-૪૭૩ (પેંગ્વિન બુક્સ, ૨૦૨૨).

ડેઈઝી રોકવેલ મુખ્યત્વે ત્રણ ટેકનીક્સનો ઉપયોગ કરે છે : ૧) સરવાળો  ૨) બાદબાકી ૩) બદલાવ.

‘સરવાળો’ એને કહીશું જ્યારે મૂળ કૃતિના ધ્વનિને ખોલવા માટે અનુવાદક અનુવાદમાં નવા શબ્દો જોડે. જેમ કે, હિન્દીમાં “ચીટી નિકલ ગયી, સીમાપાર, ખૈબર પાસ પાસ કરકે, એક ઔર જગ મેં. પાસ સે પાસ”- આ પંક્તિનો અનુવાદ રોકવેલ આ રીતે કરે છે – “The ant crosses over to the other side […] passes the Khyber pass […] Past the pass. Close to the Close.” અનુવાદમાં ‘Close to the close’ વાક્યનું ઉમેરણ તે અનુવાદકનું ઉમેરણ છે. મુખ્ય કૃતિમાં એ નથી. અને છતાં, એ અહીં ખૂંચતું નથી કારણ કે આખો ફકરો શબ્દોના પુનરાવર્તન (repetition) પર નભે છે. એકનો એક શબ્દ ફરી-ફરી સામે આવે છે અને નવા અર્થો ખોલે છે. ત્યારે ‘close to the close’ પણ એ ચાલી રહેલી પેટર્નમાં ઉમેરણ કરે છે. વળી, માત્ર પુનરાવર્તિત શબ્દોનો ધ્વનિ ન બની રહેતા એ આખી કથામાં વ્યંજિત થતા અર્થમાં પણ ઉમેરણ કરે છે. અંગ્રેજીમાં ‘Close’ શબ્દના ત્રણ જાણીતા અર્થો છે—એક છે ‘બંધ’, બીજો છે ‘અંત’ અને ત્રીજો છે ‘નિકટ’. અહીં, અંગ્રેજીમાં ઉમેરેલું વાક્ય આ ત્રણે અર્થોની ત્રુગલબંધી (!!) થકી મુખ્ય કથાનકને આગળ ધપાવે છે, અને નાયિકા કેવી રીતે પોતાની મંઝીલની નજીક છે એ પણ દર્શાવે છે. આમ, સરવાળા થકી અનુવાદ મુખ્ય કૃતિમાં વૃદ્ધિ કરે છે. 

બાદબાકીના દાખલા પણ અહીં હાજર છે. જે મુખ્ય કૃતિમાં હોય પણ અનુવાદમાં સદંતર ગેરહાજર હોય એ પ્રક્રિયાને ‘બાદબાકી’ કહીશું. મૂળ હિન્દીમાં એક વાક્ય છે – “તભી અંધે કી આંખ દૂર દેખતી રહ જાતી હૈ”. પણ આ વાક્ય અંગ્રેજી અનુવાદમાં ગેરહાજર છે. કેમ? એક દેખીતું કારણ છે વિરોધાભાસ. આંધળાની આંખો દૂર સુધી જોઈ શકે એ વિરોધાભાસ ટાળવા કદાચ અનુવાદકે એ વાક્ય ન રાખ્યું હોય. પણ રોકવેલ એટલા સરળ નથી. નવલકથામાં ઠેકઠેકાણે વિરોધાભાસી વાક્યો આવે છે પણ રોકવેલ દરેક વખતે એવું નથી કરતા. અહીં કરે છે એનું કારણ છે પુનરાવર્તન ટાળવા. આ પહેલા આપેલા દાખલામાં શબ્દોના પુનરાવર્તનમાં ઉમેરણ થકી નવા અર્થો ખોલવાની મથામણ હતી, પણ અહીં અર્થનું પુનરાવર્તન ટાળવાની મથામણ છે. આ વાક્યથી હિન્દીમાં નવા ફકરાની શરૂઆત થાય છે. આગળના ફકરાની અંતિમ પંક્તિ, અને આ વાક્ય પછીની પંક્તિ જોઈશું તો સમજાશે કે એ બંને પંક્તિઓ કશુંક છુપાવવા વિશે છે, અને એ છુપાયેલું ક્યાં હશે એના વિશે છે. ટૂંકમાં, એક જ મૂડ ને આ પંક્તિઓ ઘૂંટે છે. એવામાં આ બંને પંક્તિ વચ્ચે “અંધે કી આંખ દૂર દેખતી રહ જાતી હૈ” વાક્ય મૂકવામાં આવ્યું છે, જે આ મૂડને તોડે છે. આનાથી એવું સમજાય છે કે મૂડનું સાતત્ય જાળવવા રોકવેલ બાદબાકીનો સહારો લે છે.

ત્રીજી ટેકનીક છે બદલાવની. આમાં અનુવાદક મૂળ કૃતિનો અનુવાદ તો કરે છે, પણ એનો અર્થ બદલી નાખે છે. કહો કે વિસ્તારે છે. દાખલા તરીકે હિન્દીમાં વાક્ય છે – “બાતે ઉલજ કર આતી હૈ જૈસે સંવાદ”. આનો અનુવાદ અંગ્રેજીમાં આ રીતે થયેલો છે – “Lines get crossed like conversations”. અહીં ‘બાતે’નું સાદું અંગ્રેજી ‘Talk’ અથવા ‘dialogue’ કરી શકાયું હોત. પણ રોકવેલ ‘lines’ પસંદ કરે છે, ત્યારે અર્થ એ છે કે કોઈ એક્ટર જાણે પોતાની લાઈન બોલતો હોય. એ રીતે અનુવાદ મૂળની નજીક જ છે કારણ કે બોલાયેલા શબ્દની જ વાત થઈ રહી છે, પણ છતાં ‘lines’નો ગર્ભિત અર્થ અહીં મૂળ કૃતિના અર્થને વિસ્તારે છે. ‘Lines’નો અર્થ સીમા કે રેખા પણ છે, અને આખી નવલકથા સીમાઓ ઓળંગવાની વાત કરે છે. વળી, ‘crossed’ શબ્દનો ઉપયોગ પણ અર્થ-વિસ્તારમાં મદદ કરે છે. ‘crossed’ના બંને અર્થો છે – ગૂંચવાઈ જવું (જે હિન્દીના મૂળ ‘ઉલજના’ શબ્દનો અનુવાદ છે) અને ઓળંગવું. ૧૯૪૭ના ભાગલાને મુખ્ય ઘટના બનાવી નવલકથા અલગ અલગ પ્રકારના સીમાડાઓ ઓળંગે છે; તેના વસ્તુ અને સ્વરૂપ બંનેમાં સીમાઓ ઓળંગવાની વાત ફલિત થાય છે. એટલે જ ‘lines get crossed’ ખૂબ જ સમજી વિચારીને થયેલો અનુવાદ છે. આમ, મુખ્ય કૃતિની નજીક રહીને પણ સીધો શબ્દાનુવાદ ન કરતા રોકવેલ અહીં અર્થમાં ઊંડે ઉતરે છે.

આ ત્રણે દાખલાથી દેખીતું છે કે અનુવાદ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે, અને લગભગ દરેક વાક્ય અનુવાદક સામે નવા રસ્તા ખોલતું હોય છે. અનેક ખુલ્લા રસ્તાઓમાંથી અનુવાદક કયો રસ્તો પસંદ કરે છે એ અનુવાદકની આવડત, કળા, વિચારધારા અને વૈયક્તિક પસંદગી – આ બધાનો મામલો છે. અનુવાદને સર્જનથી ઉતરતું ન ગણીએ તો આ પ્રકારની ઊંડાણપૂર્વકની પ્રક્રિયામાં જવાનું પણ આપણા માટે સરળ બને. એનાથી આપણી સાહિત્યિક આબોહવાને ફાયદો થશે જ એમાં કોઈ શંકા નથી.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માનસિકતા સામે સવાલ

દિવ્યાશા દોશી|Opinion - Opinion|14 October 2022

બે દિવસ પહેલાં સમાચાર આવ્યા કે કેરાલામાં એક દંપતીએ સુખ-સમૃદ્ધિની ઈચ્છાને કારણે બે સ્ત્રીઓની બલિ ચઢાવી. એના પછી જૂનાગઢની ઘટના બહાર આવી કે એક પિતાએ પુત્રની લાલસામાં પોતાની સગી દીકરીની બલિ ચઢાવી, તો પશ્ચિમ બંગાળમાં એક તાંત્રિકે આઠ વરસની બાળકીની બલિ ચઢાવી. આવી કેટલી ય ઘટનાઓ હશે જે સમાચાર સુધી નહીં પહોંચી હોય. ગઈ કાલથી સોશિયલ મીડિયામાં ઊહાપોહ છે ને મગજ સુન્ન થઈ ગયું. તેમાં ય જૂનાગઢના મામલાનો વધુ ઉલ્લેખ જોવા મળ્યો. લોકોના પ્રતિભાવ વાંચતાં સમજાયું કે પોતાના સમાજમાં કે પોતે જેની સાથે સંકળાયેલા હોય તેમાં કોઈ બનાવ બને તો બે ઘડી લોકો હેબતાઈ જાય છે. પછી બે દિવસ બાદ એ ભૂલાઈ જાય છે. કેરાલાની ઘટના પણ એટલી જ ઘૃણાસ્પદ છે, પણ તેના વિશે કોઈ પ્રતિભાવ જોવા ન મળ્યા.

ખેર, નરબલિએ ખરેખર તો હત્યા જ છે. પોતાની સફળતા, સમૃદ્ધિ કે ઈચ્છા માટે કોઈની હત્યા કરતાં માનવીઓ અચકાતા નથી. કેરાલાની ઘટનામાં તો સ્ત્રી પણ એ હત્યાની ભાગીદાર બની બીજી સ્ત્રીનાં શરીરના ટુકડાઓ રાંધે છે. જૂનાગઢની ઘટનામાં ક્યાં ય માતા વિશે કશું જ લખાયું નથી. માતાએ કેમ વિરોધ ન કર્યો કે પોલીસને જાણ ન કરી? એ સવાલ સતત થાય જ. દરેક અખબારે એ બાબતે મૌન જ સેવ્યું છે. શક્ય છે પિતૃસત્તાક માનસિકતા સામે સ્ત્રી અવાજ ઊઠાવી નહીં શકી, પણ મૌન એ સંમતિ ન ગણાય?

શિવાજીના શાસન દરમિયાન પોતાના સંતાન માટે હીરાકણી મધરાત્રે કિલ્લામાંથી નીકળી ઘોર જંગલ માર્ગે ઘરે પહોંચે છે એ વીરગાથા આપણે ભણ્યા છીએ. દિવસે પણ જે ડુંગર પરથી ઉતરવું સહેલું ન હોય ત્યાંથી એક સ્ત્રી મધરાત્રે એકલી ઉતરે છે પોતાના ભૂખ્યા બાળક સુધી પહોંચવા માટે. તો આજના આધુનિક સમયમાં જૂનાગઢની ઘટનામાં શું બન્યું? એ વિશે અધૂરી કથાઓ અખબારોમાં છપાય છે, ત્યારે એક જર્નાલિસ્ટ કીડો અંદર સળવળીને અનેક સવાલો ઊભા કરે છે. માણસ આટલી હદે આજે પણ ક્રૂર કેમ બને છે? દરેકને કશુંક મેળવવું છે. જીવનમાં બધું જ હોવા છતાં સંતોષ નથી. આ દરેક ઘટનામાં સામેલ વ્યક્તિઓ ભૂખે નહોતી મરતી કે તેમણે નરબલિ ચઢાવવી પડે. એ લોકો ખાધેપીધે સુખી હતાં. બધા તાંત્રિકને દોષ આપે છે પણ સામે પોતાની ઈચ્છાપૂર્તિ માટે વ્યક્તિઓ છે એમની માનસિકતા સામે કોઈ સવાલ નથી ઊઠાવતું.

ડ્યુક યુનિવર્સિટિમાં આવી ઘટનાઓ બાબતે સંશોધન થયું છે અને તેઓ કહે છે કે, “માણસને પોતાની પાસે ન હોય અને બીજા પાસે હોય એવી દરેક બાબત મેળવવી છે. એવો કોઈ ચમત્કાર થાય કે તેમને પણ એ મળે જે બીજા પાસે છે. એ ચમત્કાર થઈ શકે છે એવું કોઈ કહે એટલે માનસિક રીતે તેઓ બદ્ધ થઈ, બસ એના તરફ દોટ મૂકે છે. હકીકતમાં માણસ સમાનતા ઈચ્છે છે. બીજા પાસેની સમૃદ્ધિ, સંતાન, સુખ પોતાની પાસે ચમત્કારથી જ આવી શકે એની તેને ખાતરી હોય છે. એટલે તે કોઈ પણ રીતે ચમત્કાર તરફ દોટ મૂકે છે. સારઅસાર તેને દેખાતો નથી.” આ વાત વિચારણીય છે. અસંતોષની આગ સારઅસારના ગુણોને પહેલાં બાળી નાખે છે. પછી જે ઘટનાઓ બને છે તે વિશે માણસ સભાન નથી હોતો. અસંતોષ આજે માનવને રેટરેસ માટે પણ પ્રેરે છે. સફળ થવા માટે આપણે કેટલી ય માનસિક હત્યાઓ કરતાં હોઈએ છીએ. કેટલી ય વ્યક્તિઓનું શોષણ કરીએ છીએ. એ બધું આપણને અખરતું નથી. ધીમે ધીમે આપણે નિંભર થઈ જઈએ છીએ. આપણી વ્યક્તિઓને આપણે સમય આપી શકતા નથી. બીજાનો સમય લઈ લેતા અને વ્યક્તિઓનો અધિકાર છીનવી લેતા પણ આપણું અંતકરણ બળતું નથી. આ જ બાબત કેટલાકમાં વધુ તીવ્ર હોવાને કારણે બીજાનો જીવ લેવા પ્રેરતી હોય છે. બધાની માનસિકતા ઓછા વધતા અંશે અસંતોષ સાથે કામ પાર પાડતી જ હોય છે. કેટલાક એના પર વિજય મેળવે છે તો કેટલાક તેની સાથે સમાધાન કરે છે તો કેટલાક સતત તેને પોષે છે. એ જ લોકો તાંત્રિકના રવાડે ચઢતા હોય છે. વાંક તાંત્રિક કરતાં પણ વ્યક્તિની ઈચ્છાઓનો વધુ હોય છે.

સૌજન્ય : દિવ્યાશબહેન દોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડૉ. રતન રુસ્તમજી માર્શલ

ડૉ. અશ્વિનકુમાર|Opinion - Opinion|14 October 2022

ડૉ. રતન રુસ્તમજી માર્શલ જન્મદિન (૧૪–૧૦–૧૯૧૧) નિમિત્તે, ‘ઓપિનિયન‘ કાજે, આ લેખ પ્રગટ :

“ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ” જેવો શબ્દપ્રયોગ આંખે-કાને-જીભે આવતાંની સાથે જે વિદ્યાપુરુષનું ઝટ દઈને સ્મરણ થાય તેમનું નામ ડૉ. રતન રુસ્તમજી માર્શલ જ હોવાનું! જિંદગીના એકસોમા જન્મદિનની ઉજવણીમાં સહભાગી-સદ્ભાગી થયા બાદ, તેમનું નિધન ૧૬-૦૧-૨૦૧૧ના રોજ અમદાવાદમાં થયું. ૧૪-૧૦-૧૯૧૧ના રોજ ભરૂચમાં જન્મેલા, ‘પારસીઓના વિશ્વકોશ’ સમાન માર્શલસાહેબ ‘સુરતનું ઘરેણું’ હતા. તેઓ ‘સુરત પારસી પંચાયત’ તેમ જ ‘નર્મદ સાહિત્ય સભા’ સાથે દાયકાઓ સુધી સંકળાયેલા રહ્યા. તેઓ સામાજિક કાર્યકર, નાટ્યકર્મી, સંશોધક, ઇતિહાસવિદ્દ અને લેખક હતા. રતન રુસ્તમજી માર્શલ અદ્ભુત અવાજ અને રમૂજ ધરાવનાર ઉત્તમ વક્તા અને નેકદિલ બંદા હતા.

રતન માર્શલ મુંબાઈ વિદ્યાપીઠના ગુજરાતી સાહિત્ય વિભાગમાં વિદ્યાવાચસ્પતિ(પી.એચડી.)ની પદવી મેળવનાર સૌ પ્રથમ વિદ્યાર્થી હતા. તેમણે ઈ.સ. ૧૯૪૯માં ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ શીર્ષક હેઠળ સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું. આ મહા નિબંધના માર્ગદર્શક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી અને નિર્ણાયક કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા હતા. આ સંશોધન-નિબંધ ઈ.સ. ૧૯૫૦માં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેને મુંબઈ સરકાર દ્વારા ઈ.સ. ૧૯૫૬માં એક હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું.

રતનજી આજીવન વિદ્યાવ્યાસંગી રહ્યા. મૂળે તો તેઓ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયેલા. પાંસઠની વય વટાવ્યા બાદ, તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો, એ પણ પોતાના પુત્ર રુસ્તમ સાથે! પોતાનાથી ઘણી નાની વયના અધ્યાપકોના વર્ગોમાં અતિ નિયમિત હાજરી આપીને, માર્શલસાહેબ કાયદાના સ્નાતક થયા. આયુષ્યના નેવુમા વર્ષના પ્રવેશ વખતે તેમણે ‘કથારતન’ નામે આત્મકથા લખી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા ઈ.સ. ૨૦૦૦માં તેમનું વિદ્યાવારિધિ(ડી.લિટ.)ની માનદ પદવીથી સન્માન થયું.

રતન માર્શલે પંદરેક પુસ્તકો લખ્યાં છે. ‘મોંઘું ઘરેણું’ તેમનો પ્રથમ નિબંધ સંગ્રહ છે. તેમણે ચાળીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૫૧માં મુંબઈનાં સેવા-સમર્પિત સ્ત્રીરોગ-તબીબ ડૉ. ફ્રેની હોરમસજી બીલીમોરીઆ સાથે લગ્ન કર્યાં. એમનાં પત્ની ફ્રેનીએ મુંબઈના દાક્તરી વ્યવસાયમાં મળતાં નામ-દામ જતાં કરીને, સુરતમાં ગરીબ દરદીઓની આજીવન સેવા-સારવાર કરી. રતન માર્શલની એક કૃતિનું નામ ‘ફ્રેની, મારી અર્ધાંગિની’ છે.

રતન રુસ્તમજી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. ભરૂચમાં ૨૩-૦૩-૧૯૭૦ના રોજ ભૂકંપ આવ્યો ત્યારે તેઓ દિવસો સુધી રાહત અને પુનર્વસન કાર્યમાં જોડાયેલા રહ્યા. એ સમયે તેમણે ‘જામે જમશેદ’ના પ્રવાસી પ્રતિનિધિ તરીકે કામગીરી કરી હતી. આ ઉપરાંત તેઓ ‘નરીમાન હોમ એન્ડ ઇન્ફરમરી’, ‘નરીમાન પારસી ઝોરોષ્ટ્રીઅન ગર્લ્સ ઓર્ફનેજ’, ‘પાર્વતીબાઈ રક્તપિત્ત આશ્રમ’ અને ‘લેડી વિલ્સન લેપ્રસી ક્લિનિક’ જેવી સમાજ-સંસ્થાઓ સારુ સેવારત રહ્યા.

રતન રુસ્તમજી માર્શલ મજાકમાં કહે છે : “મારું રતન નામ ગુજરાતીનું, મારા પિતાનું રુસ્તમ નામ ઈરાનીનું  અને મારી અટક માર્શલ અંગ્રેજની. છે ને મારા નામમાં વિશ્વબંધુત્વની ભાવના!” (‘કથારતન’, ૨૦૦૩, પૃ.૧૮) આપણે ગુજરાતી હોવાના સીમિત ગૌરવ-વર્તુળની બહાર જઈને જગત-નાગરિક તરીકેની વ્યાપક ઓળખ-ક્ષિતિજ તરફ ડગ માંડતાં રહીએ. ગુજરાતના બૌદ્ધિક-જગતમાં સ્વાધ્યાય, સંશોધન, સાહિત્યસર્જનની સાથેસાથે સંવેદના, સમજણ અને સેવાભાવના વિસ્તરતી રહે, એ જ માર્શલસાહેબ જેવા શતાબ્દી-પુરુષને આપેલી સો સો સલામ છે.

સૌજન્ય : “બુદ્ધિપ્રકાશ”, ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
E-mail : ashwinkumar.phd@gmail.com
Blog-link : https://ashwinningstroke.blogspot.com

Loading

...102030...1,3591,3601,3611,362...1,3701,3801,390...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved