Opinion Magazine
Number of visits: 9458758
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉખાણું

બીજલ જગડ|Opinion - Opinion|22 June 2022

હથેળીમાં ચીતરી રેખાઓનું ગામ,
લૂમખઝૂમખ રેખા ડાળભરેલું ગામ.

ડુંગર ફરતાં આંટા કેટકેટલા ફરીશ,
આરે સંસાર કુરુક્ષેત્રનું અમર ધામ.

સૂરજ જીવાડે ધરતી એને પાલવે,
ભીતર ભાત્યું પાડે મારો ઘનશ્યામ.

યુગયુગનાં અંધારા છતાં દીસે નકશો,
મારાગ ને મારગમાં ભળવાનું ઠામ.

જોગાનુજોગ છે, સંબંધ કંઈ નથી ?
કાગા રે કાગા ઉખાણું તારું નામ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

જ્ઞાન(ચંદ)નો શિકાગો રેડિયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 June 2022

સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી”માં આલિયા ભટ્ટનું એક દૃશ્ય છે. તે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલા સ્ત્રી-સંમેલનમાં એક ભાષણ આપે છે. વાસ્તવમાં, ગંગુબાઈ કોઠેવાલી નામની અસલી મેડમે પણ આવું જ ભાષણ આપ્યું હતું, અને તેનાથી પ્રભવિત થઇને જ સ્થાનિક રાજકારણીઓએ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે તેની મુલાકાત ગોઠવી હતી. ફિલ્મમાં આલિયા આગ ઝરતું ભાષણ આપે છે, તે ઘણું લોકપ્રિય થયું છે. થોડા અંશો :

“હમારે દરવાજે પર કોઈ ભી આયે, હમ કિસી કો ભી હિકારત સે નહીં દેખતે. હમ ના મજહબ પૂછતે હૈ, ના જાત. કાલે સે જ્યાદા નહીં, ગોરે કમ નહીં. અમીર હોય યા ગરીબ, સબ કા રેટ એક. જબ હમ કિસી સે યે ભેદભાવ નહીં કરતે, તો હમસે યે ભેદભાવ કયું? હમ હી આપકે સમાજ સે બાહર કયું? હમારા ધંધા શરીર કા હૈ, તો હમ શરીર બેચતે હૈ. બદન તુડવા કર કામ કરતે હૈ હમ, તો ક્યા ગલત કરતે હૈ? ઇનકો સિર્ફ હમારી દુકાન પે ઈતરાજ કયું? આદમી લોગ આતે હૈ આપકે હી મહોલ્લે સે હમારે મહોલ્લે મેં. ફિર ભી, હમારા હી મહોલ્લા બદનામ કયું?”

 

આલિયાનો અવાજ અને આ શબ્દો તો ગંભીર હતા જ, પરંતુ એ અવાજ અને શબ્દોમાં વધુ તાકાત આવી હતી શિકાગો રેડિયોમાંથી. તમે જો એ ભાષણને ધ્યાનથી સાંભળ્યું/જોયું હોય, તો તમને યાદ હશે કે આલિયા “શિકાગો રેડિયો” લખેલા માઈક્રોફોનમાંથી બોલે છે. કદાચ ધ્યાન ના પણ ગયું હોય. બહુ સાધારણ વસ્તુ હતી. પિરિયડ ફિલ્મો હોય એટલે એમાં નાની-મોટી ઘણી ચીજો એવી હોય છે, જે સેટ ડિઝાઈનરના માથાનો દુ:ખાવો હોય, આપણો નહીં.

જો કે, ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શિકાગો રેડિયોની ભૂમિકા બહુ મોટી છે એટલે તેને યાદ કરવો જરૂરી છે. તમે જો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના તેઓ સાર્વજનિક ભાષણ આપતાં ફોટોગ્રાફ્સ જોયા હોય તો, તમને તેમના માઈકની આગળ અર્ધ ચંદ્રકારમાં “શિકાગો રેડિયો” લખેલું વાંચવા મળ્યું હશે. આ લખનારે કેટલીય વાર એ જોયું હતું, પણ અમેરિકાના શિકાગોની કોઈ કંપની લાઉડસ્પીકરની સિસ્ટમ બનાવતી હશે એવું માનીને જોયું-ન જોયું કર્યું હતું, પરંતુ “ગંગુબાઈ કાઠિયાવાડી”ના એ દૃશ્યને યાદ કરીને, ઇતિહાસ, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ અને રાજનીતિનાં ક્ષેત્રને લગતી અવનવી વાર્તાઓના ડિજીટલ પોર્ટલ “પેપરક્લિપે” શિકાગો રેડિયોનો ઇતિહાસ દોહરાવ્યો, ત્યારે ખબર પડી કે અવાજ મોટો કરવાની આ સિસ્ટમ સંપૂર્ણપણે ભારતીય છે અને આપણને આઝાદી મળી તેના ૩૮ વર્ષ પહેલાં તેનો જન્મ થયો હતો.

જ્ઞાનચંદ ચન્દુમલ મોટવાણી નામના સિંધ, પાકિસ્તાનના એક સિંધી યુવાને, 12 વર્ષની ઉંમરે રબ્બર સ્ટેમ્પ અને પતંગો બનાવતાં-બનાવતાં ટેલિગ્રાફની તકનીક શીખી લીધી હતી. એમાં તેને બ્રિટિશ રેલવેમાં સિગ્નલરની નોકરી મળી ગઈ. એમાં એની કુનેહ એટલી સરસ હતી કે નોર્થ-વેસ્ટર્ન રેલવેના પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેકટિંગ ટેલિગ્રાફ માસ્ટરનું પ્રમોશન મળ્યું હતું. નોકરીમાંથી બચાવેલા ૩૦૦ રૂપિયામાંથી તેણે ૧૯૦૯માં સિંધમાં ઈસ્ટર્ન ઇલેક્ટ્રિક એન્ડ ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી.

એ કંપનીનો પહેલો ધંધો ફ્લેશલાઈટ અથવા બેટરીનો હતો. આ એ સમય હતો જ્યારે ટેલિફોનની તકનીક પણ ભારતમાં આવી હતી. દસ વર્ષ સુધી બેટરીના ધંધામાં મહારત હાંસલ કર્યા પછી, ૧૯૧૯માં, જ્ઞાનચંદે મુંબઈની વાટ પકડી, અને ત્યાં એક નવી જ કંપની સ્થાપી; શિકાગો ટેલિફોન સપ્લાય કંપની. તે વખતે અમેરિકાના શિકાગોમાં એ જ નામની કંપની હતી, અને મોટવાણીએ તેની પરવાનગી લઈને મુંબઈ, કોલ્હાપુર અને ત્રાવણકોર રાજ્યમાં સરકારી ઓફિસો, ફેકટરીઓ, મિલો અને રેલવેને ટેલિફોન સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.

ટેલિફોનની તકનીકની સાથે, વિશ્વમાં બ્રોડકાસ્ટિંગ પણ પ્રચલિત થઇ રહ્યું હતું. મોટવાનીને એમાં રસ પડ્યો. ૧૯૨૩ સુધીમાં તો તે રેડિયો રિસીવિંગ સેટ્સની આયત કરીને ભારતમાં વેચતો હતો. ૧૯૨૬ સુધીમાં તો તેની શિકાગો રેડિયો કંપની રેડિયો, ટેલિ-કોમ્યુનિકેશન્સ અને લાઉડસ્પીકરનાં સાધનો વેચતી હતી. ૧૯૨૫માં, શિકાગો રેડિયોની બ્રાંચ લાહોર, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, બેંગલોર, લખનૌ, કાનપુર અને સિકંદરાબાદમાં ફેલાયેલી હતી. 

કહેવાય છે કે, 1929ની શરૂઆતમાં એક મંચ પરથી બીજા મંચ પર જઈને હજારોની મેદનીને સંબોધતા ગાંધીજીને જોઈને મોટવાનીને તેમનો અવાજ મોટો થાય તેવું સાધન બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમાંથી શિકાગો રેડિયો લાઉડસ્પીકરનો જન્મ થયો હતો. થોડા જ સમયમાં, ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રસના નેતાઓ શિકાગો રેડિયોમાંથી અંગ્રેજો વિરુદ્ધ લોકોમાં જુસ્સો ભરતા હતા.

તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ રાજકીય રેલીઓમાં લાઉડસ્પીકર પર જુસ્સાદાર ભાષણ આપવાની રીત પાછળ ધાર્મિક પરંપરા જવાબદાર છે. રેલીઓમાં તો ખેર રાજકીય વિચારોને એક જ જગ્યાએથી એક સાથે હજારો લોકો સુધી પહોંચાડવાનો ઉદેશ્ય છે, પરંતુ બોલતા શબ્દનો એક ધાર્મિક ઇતિહાસ પણ છે.

પૌરાણિક સમયમાં શબ્દને ભ્રહ્મ અથવા ઈશ્વર સ્વરૂપ માનવામાં આવતો હતો. આપણે ત્યાં શબ્દને શબ્દભ્રહ્મ અથવા નાદભ્રહ્મ કહે છે. પ્રાચીન ઋષિઓ સૃષ્ટિની ઉત્પતિ નાદમાંથી થયાનું માનતા હતા.

અનાદિનિધનં ભ્રહ્મ શબ્દટવાયદક્ષરમ
વિવર્તતે અર્થભાવેન પ્રક્રિયા જગતોયત:

અર્થાત્‌, શબ્દરૂપી ભ્રહ્મ અનાદિ, વિનાશ રહિત અને અક્ષર (નષ્ટ ન થાય તેવો) છે તથા તેની વિવર્ત પ્રક્રિયાથી જ આ જગત ભાસિત થાય છે. બાઈબલમાં વિધાન છે; આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વર પાસે હતો, અને શબ્દ ઈશ્વર હતો.

મધ્ય મેક્સિકોની માયા સંસ્કૃતિનું સંશોધન કરતાં આર્કીઓલોજીસ્ટનો દાવો છે કે મંદિરોની રચના એવી રીતે કરવામાં આવતી હતી કે તેના ગુંબજોમાં શબ્દ એમ્પલીફાય થઇને દૂર સુધી જતો હતો. વિશાળ મંદિરો એ રીતે લાઉડસ્પીકરની ગરજ સારતાં હતાં.

દેશમાં અત્યારે મસ્જિદોમાં અઝાન વખતે લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ચાલે છે. પરંતુ જ્યારે લાઉડસ્પીકર નહોતાં ત્યારે, મસ્જિદનો મૌઝિન (અઝાન માટે સાદ પાડે તે) મસ્જિદની મિનારતમાંથી બાંગ પોકારતો હતો. એ અર્થમાં મિનારત લાઉડસ્પીકરનું જ સ્વરૂપ હતું.

ટૂંકમાં, અવાજને તેના પ્રાકૃતિક અંતરથી આગળ લઇ જવા માટે અને તેને એક સાથે અનેક લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાતમાંથી લાઉડસ્પીકરની શોધ થઇ હતી. જૂના જમાનામાં ગામમાં કોઈને બૂમ પાડવી હોય તો, તે બે હાથની હથેળીઓ ભેગી કરીને તેનું ભૂંગળું બનાવતો અને પછી એમાં બોલતો, જેથી તેનો અવાજ એમ્પલીફાય થતો.

ભારતની સ્વતંત્રતા ચળવળના નેતાઓએ એ રીતે જ લોકો સુધી આઝાદીનો નારો પહોંચાડ્યો હતો. લાઉડસ્પીકરની કમાલ પર ગાંધીજીએ કહ્યું હતું, “મારી વાતોમાં લોકો જે રીતે જયજયકાર કરતાં હતા તે પરથી લાગે છે કે લોકો બહુ ધ્યાનથી મને સાંભળતા હતા.” પંડિતજીએ કહ્યું હતું, “તમારા લાઉડસ્પીકરોએ કમાલનું કામ કર્યું છે અને એ એરેન્જમેન્ટની બધા સરાહના કરે છે.” પંડિતજી આઝાદીની પૂર્વસંધ્યાએ તેમના “ટ્રાયસ્ટ વિથ ધ ડેસ્ટીની” ભાષણના સંદર્ભમાં વાત કરતા હતા. એ ભાષણ શિકાગો રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું. કેવું કહેવાય, આઝાદીનું જ્ઞાન જ્ઞાનચંદ મોટવાનીના શિકાગો રેડિયોમાંથી આવ્યું હતું!

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જૂન 2022

Loading

અગ્નિપથ, અગ્નિરથ બાળવા માટે તો નથી જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 June 2022

‘અગ્નિપથ’ આમ તો હરિવંશરાય બચ્ચનની કવિતા છે. એમાં કાંટાળો માર્ગ પસંદ કરી આગળ વધવાની ને કોઈ અપેક્ષા ન રાખવાની વાત છે. આ નામની જ બે ફિલ્મો પણ આવી ગઈ છે. એનાથી પ્રેરિત થઈને કે સાવ સ્વતંત્ર રીતે સરકારે ‘અગ્નિપથ’ નામની યોજના જાહેર કરી, જેમાં 17.5થી 26ની વયમર્યાદા ધરાવતા 10 કે 12 પાસ યુવાનો અને યુવતીઓને સૈન્યમાં નોકરી આપવાની વાત છે. પસંદગી પામેલા યુવાનોની 6 મહિનાની તાલીમ પછી, 4 વર્ષ સુધી ‘અગ્નિવીર’ તરીકે સેવા લેવાનો અને 30થી 40 હજારનો માસિક વેતનનો લાભ આપવાનો હેતુ સરકારનો છે. એ ઉપરાંત 4 વર્ષ પછી નિવૃત્ત થનારને 11.71 લાખનો નિવૃત્તિ લાભ આપવાની યોજના પણ છે, પણ 14 જૂને બહાર પડેલી યોજનાનો, એક જ દિવસમાં યોજના પરત ખેંચવાની માંગ સાથે બિહાર અને ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ શરૂ કર્યો ને તેની ઝાળ તેલંગાણા, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ જેવાં 19 રાજ્યો સુધી ફેલાઈ અને 369 ટ્રેન સેવાઓ રદ્દ કરવી પડી. આ વિરોધમાં સંખ્યાબંધ ટ્રેનો ફૂંકી મારવામાં આવી તો ક્યાંક બસ સળગાવવાના પ્રયત્નો પણ થયા. પથ્થરમારો ને આગજનીની ઘટનાઓ વધતાં પોલીસે હિંસાને કાબૂ કરવા લાઠીચાર્જનો, ગોળીબારનો આશરો લેવો પડ્યો છે. આ બબાલમાં બે મોત થયાં છે. જેમાં એક ગોળીબારથી તો બીજું આત્મહત્યાથી થયું છે.

જે ઝડપથી હિંસા વકરી છે તે પરથી વિપક્ષો દૂધે ધોયેલા નથી તેની પ્રતીતિ થાય છે. એ જે હોય તે, પણ કોઈ પણ સંજોગોમાં હિંસાનું સમર્થન ન થાય. ન જ થાય. ટ્રેન ફૂંકવાથી નોકરી મળે એવી કોઈ યોજના ક્યાં ય નથી એટલે હિંસા તમામ સ્તરે વખોડવાની જ હોય, એ સાથે જ આપણી સરકારો શાંત વિરોધને કાને ભાગ્યે જ ધરે છે તે પણ હકીકત છે. આવું વલણ પણ વખોડને પાત્ર છે. ખાસ કરીને આ યોજના પૂરતું એટલું છે કે યોજનામાં લૂપ હોલ્સ હોય તો પણ, સરકારનો ઇરાદો યુવાનોને નોકરી આપવાનો છે એ વાત જમા પક્ષે નોંધવી જ પડે. ભલે ચાર વર્ષ માટે પણ સરકાર 30 હજારનો પગાર પહેલે વર્ષે આપવા માંગે છે ને ચાર વર્ષને અંતે તે 40 હજાર સુધી પહોંચે તેમ છે. આ કોઈ રીતે એવું પગલું નથી કે સંખ્યાબંધ ટ્રેનો ફૂંકી મારવાને કોઈ કારણ મળે. નોકરીના ચાર વર્ષ પછી 11.71 લાખ નિવૃત્તિ ફંડ મળે તે પણ એવી વાત નથી કે તેનો હિંસક વિરોધ કરવો જ પડે. આમાં કોઈ બદઇરાદો સરકારનો જણાતો નથી, તો આટલો ભયંકર હિંસક વિરોધ આ યોજનાનો કેમ? એમ લાગે છે કે સરકાર યુવાનોને યોજના સમજાવવામાં નિષ્ફળ ગઈ છે અથવા તો યુવાનોએ યોજના સમજવામાં ઉતાવળ કરી છે. એવો વહેમ પડે છે કે યોજના બહાર પડે કે ન પડે, પણ હિંસક વિરોધ કરવાનું અગાઉથી જાણે નક્કી જ હતું. એવું હોય તો તે નિંદનીય ને શરમજનક છે. સાદી વાત તો એટલી જ છે કે આ યોજના ફરજિયાત નથી, જેને ન ફાવે તે એનાથી દૂર રહે, પછી આટલા વિરોધને અવકાશ જ ક્યાં રહે છે?

એવું પણ નથી કે સરકાર ભોળા ભાવે બધું કરે છે. ચાર વર્ષની નોકરીનો વિચાર અમેરિકાથી પ્રેરિત હોય તો નવાઈ નહીં. અમેરિકામાં આમ જ ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર યુવાનોને નોકરી અપાય છે. ફ્રાંસ, ચીન, બ્રિટન, રશિયા જેવા દેશોમાં પણ આવી યોજનાઓ છે જ. એટલે સરકારનો આ વિચાર મૌલિક છે એવું નથી, પણ વિદેશના આવાં આયોજનનાં કારણો ને ભારતનાં કારણો જુદાં હોય એ શક્ય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને બે વર્ષનાં કોન્ટ્રાક્ટ પર જ એરફોર્સમાં ભરતી કરેલી. દેખીતું છે કે પછી એવી ભરતી ચાલુ રાખવાનું કોઈ કારણ ન રહે. એવું કામચલાઉ કારણ ભારતમાં ન હોય એટલે ખરેખર તો યોજનાને એ રીતે વિચારીને અમલમાં મૂકવાની રહે.

આ સરકારની સૌથી મોટી મર્યાદા એ છે કે એ પ્રજાને વિશ્વાસમાં લીધા વગર જ યોજનાઓ ઠોકી બેસાડે છે. એક રાત્રે હજારની નોટ રદ્દ કરવાની જાહેરાત થોડાં વર્ષો પર થઈ. તેનો હેતુ કાળું નાણું બહાર કઢાવવાનો હતો. તે તો ખાસ ન થયું, પણ ઘણાંએ કાળું નાણું વાઇટમાં ફેરવી લીધું. હજારની નોટની સંગ્રહખોરી રોકવા એ નોટ રદ્દ થઈ અને ગમ્મત એ થઈ કે સરકારે 2 હજારની નવી નોટ બહાર પાડી. એનાથી સંગ્રહખોરી કઇ રીતે ઘટે એ આજ સુધી સમજાયું નથી. એમ જ ખેડૂતોને લગતા ત્રણ કાયદા લાગુ કરી દેવાયા ને જે ખેડૂતોને એ લાગુ કરાયા હતા, એમને જ વિશ્વાસમાં લેવાયા ન હતા, પરિણામે લાંબું આંદોલન છેડાયું. પછી તો ચૂંટણી આવતી હતી ને ખેડૂતો નારાજ રહે તો જીતવાનું અઘરું હતું એટલે ત્રણે કૃષિ કાનૂનો પાછા ખેંચાયા. અત્યારે પણ જે રીતનો વિરોધ અગ્નિપથનો થઈ રહ્યો છે, એ જોતાં લાગે છે કે આ યોજના સરકારે પાછી ખેંચવી પડશે અથવા તો તેમાં યુવાનોને રીઝવવા જરૂરી ફેરફારો કરવા પડશે.

અહીં સવાલ એ થાય કે એવું વાંધાજનક શું છે અગ્નિપથમાં કે યુવાનોએ આટલો જલદ વિરોધ કર્યો? જોઈએ. યોજના પહેલાં તો 17.5થી 21ની વયના યુવાનોને જ લાગુ પડે એવું હતું. આ એટલે વિરોધ કરવા યોગ્ય બન્યું કે બે વર્ષથી યુવાનો કોરોનાને કારણે લગભગ નિષ્ક્રિય રહ્યાં. એમાં બીજું તો કૈં ન વધ્યું, પણ ઉંમર વધી ગઈ. આ યોજના બે વર્ષ પહેલાં અમલમાં આવી હોત તો 21ની ઉંમરનો આટલો વાંધો ન પડ્યો હોત, પણ કોઈ વાંક વગર યુવાનોને બે વર્ષ મોટા થવાનું જ આવ્યું ને ઉંમર 23 થઈ. એટલે જે 23ના થઈ ચૂક્યા હતા એમને 21ની લિમિટ હોય તો તક મળે એમ ન હતું. એટલે ઉંમરનો વિરોધ હતો તે યોગ્ય જ હતો. સરકારને પણ એ વાત ધ્યાનમાં આવી ને તરત જ તેણે જાહેર કર્યું કે 17.5થી 21 નહીં, પણ 23ની ને હવે 23 પણ નહીં, 26ની ઉંમરના યુવાનો પણ આ યોજનાને માટે પાત્રતા ધરાવે છે.

સરકાર એવું માને છે કે સંરક્ષણ બજેટનો મોટો ભાગ પગાર અને પેન્શનમાં ખવાઈ જાય છે. તેની ગણતરી એવી છે કે પગાર, પેન્શન ઘટે તો બચતમાંથી અતિ આધુનિક શસ્ત્રો ખરીદી શકાય ને એ ખરીદી શકાય તો ઓછાં માણસોએ તેનો વ્યાપક ને વધુ સંહારાત્મક ઉપયોગ શક્ય બને. આ ખરીદી તો જ શક્ય બને જો પગાર અને પેન્શનનો આંકડો ઘટે. એ ઘટાડવા આ આખું કમઠાણ ઊભું કરાયું છે. બ્રિટનમાં નક્કી સમય મર્યાદાવાળી કામચલાઉ યોજના ‘ટૂર ઓફ ડ્યૂટી’ બીજા વિશ્વયુદ્ધ વખતે સફળ થઈ તો બીજા દેશોએ પણ તે અપનાવી. એમાં ભારતને રસ એટલે પડ્યો કે એમાં મોટા પગાર અને પેન્શનની જવાબદારીમાંથી છટકી શકાય એમ હતું. એટલે 4 વર્ષની અગ્નિપથ યોજના સૈન્યની ત્રણે પાંખમાં જાહેર કરી. મેડિકલ અને ફિઝિકલ ફિટનેસનાં ધોરણો અન્ય લશ્કરી ભરતીના નિયમો જેવાં જ રખાયાં. ટ્રેનિંગ ઓછી, પણ છ મહિનાની તો ખરી જ. આટલી ‘કસરત’ કર્યા પછી 30 વર્ષે યુવાન નિવૃત્ત થાય, પછી નોકરીની કોઈ ગેરંટી આપવા સરકાર રાજી ન હતી. તે 25 ટકાને કાયમી રીતે સેનામાં સમાવી લેવાની વાત કરતી હતી, પણ બાકીના 75 ટકાની કોઈ ખાતરી મળતી ન હતી. હવે આટલા હિંસક વિરોધ પછી સરકાર વયમાં ત્રણથી પાંચ વર્ષની છૂટછાટની અને 10 ટકા અનામતની વાત લાવી છે. આ ઉપરાંત તે અર્ધ લશ્કરી દળોમાં ને આસામ રાઈફલ્સમાં પ્રાયોરિટી આપવાની વાત પણ કરે છે, એ સાથે જ સ્પોર્ટ્સ મંત્રાલય પણ ફિઝિકલ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ પણ નિવૃત્ત અગ્નિવીરોથી ભરવાની વાત કરે છે, કારણ 15 લાખ જગ્યાઓ ખાલી છે. આ જ્ઞાન પણ સ્પોર્ટ્સ મંત્રાલયને આટલી હિંસા પછી થયું. નાણાં મંત્રીએ પણ જીવદયાને ધોરણે કોઈ જગ્યા ઊભી કરી શકાય તો તેમ કરવાની વાત કરી છે, પણ આ બધી વાતો છે. ખરેખર તો આ વાતોને યોજનાનો ભાગ બનાવીને પછી ફૂલપ્રૂફ સ્કિમ જાહેર કરવી જોઈએ, પણ સરકાર એ બધું પછી વિચારે છે, પહેલાં તો તે યોજના ઠોકી જ બેસાડે છે. સરકાર નિવૃત્તિ પછી ‘અગ્નિવીર’ને પ્રમાણપત્ર આપવા તૈયાર છે જેથી બીજા ક્ષેત્રમાં પણ નોકરીની તકો વધે, પણ તેનું કશું ચોક્કસ નથી એટલે કે ચાર વર્ષ પછી નોકરીની ચિંતા તો રહે જ છે. ચાર વર્ષનાં પગાર ને ફંડ મળે, પણ ચાર વર્ષમાં મોંઘવારી વધે તો અત્યારે મોટી લાગતી રકમ ત્યારે નાની થઈ જાય એમ બને. વારુ, ચાર વર્ષ પછી આ નોકરી છૂટે તો ઉંમર 30થી વધી ગઈ હોય. ત્યારે ન ભણવાની તક રહે, ન નોકરીની. અનિશ્ચિતતા જ સિલકમાં રહે. આ કારણો સર દેશભરમાં અગ્નિપથનો વિરોધ થઈ રહ્યો છે.

નોકરી દરમિયાન મૃત્યુ થાય તો 44 લાખ બીજા મળે, પણ પેન્શન ના મળે. ખરેખર તો પેન્શન ના આપવું પડે એટલે સરકારે કામચલાઉ નોકરીની આવી તકો ઊભી કરી છે, પણ ચાર વર્ષ પછી પણ નોકરીની નિશ્ચિતતા ન રહે તો આટલી મહેનતે મેળવેલી નોકરીનો અર્થ જ કેટલો રહે? ચાર વર્ષ પછી યોગ્યતાને ધોરણે સરકાર 25 ટકા માટે કાયમી તક ઊભી કરે, પણ બાકીના 75 ટકા માટે એવી કોઈ ખાતરી નહીં. ચાર વર્ષ પછી બધી જ સમાન પાત્રતા હોવા છતાં એક કાયમી થાય અને બીજાએ નોકરી શોધવાની રહે, એ બરાબર નથી. ચાર વર્ષનાં કોન્ટ્રાક્ટ પર સરકાર નોકરીની તકો ઊભી કરવા એટલે તૈયાર થઈ છે જેથી મોટો પગાર ન આપવો પડે ને પેન્શનનો લાભ તો યોજનામાં પહેલેથી જ નથી એટલે પેન્શન પણ બચે. આ કંજૂસી યોગ્ય નથી.

જે સૈનિક વફાદારીથી સરહદી સુરક્ષાની ફરજ બજાવે, એમ કરતાં શહીદ થાય ને તેને પેન્શન આપવામાં દિલચોરી થાય એ ઠીક નથી. સેના જેટલી પ્રમાણિકતા બીજા કોઈ ક્ષેત્રમાં ભાગ્યે જ હશે. સૈનિકને પેન્શન આપવું પડે એની તકલીફ થતી હોય તો સરકારે પહેલાં તો સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરોનાં પેન્શન તાત્કાલિક અસરથી બંધ કરવા જોઈએ. આમાંના ઘણા તો એકથી વધુ પેન્શન મેળવે છે, એટલું જ નહીં, એમને આ બધું પાછું કરમુક્ત પણ છે. જો પેન્શન જ બચાવવું હોય તો સરકારે પહેલ સંસદથી કરવી જોઈએ. એ બંધ થાય પછી જ બીજાની વાત છેડવી જોઈએ. આ તો ડાહી સાસરે ન જાય … જેવું કરે છે તે તો કેમ ચાલે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જૂન 2022

Loading

...102030...1,3471,3481,3491,350...1,3601,3701,380...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved