Opinion Magazine
Number of visits: 9458753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી

આશા બૂચ|Gandhiana|27 June 2022

“મહાત્મા ગાંધીનો પાઠ ભજવવો એ મારા જીવનની દિશા બદલનારી ઘટના છે.”

— પોલ બેઝલી 

નેશનલ થિયેટર કંપનીએ ઓલિવિયર થિયેટરમાં તારીખ 12 મેથી 18 જૂન સુધી The Father and the Assassin નાટક ભજવ્યું. ગાંધીજીની હત્યા વિષે તેમાં નિરૂપણ થયું છે.

ભારતનાં વિખ્યાત અને બ્રિટનનાં રેસિડેન્ટ નાટ્યલેખિકા અનુપમા ચંદ્રશેખર લિખિત અને ઇંધુ રૂબસિંઘમ્‌ દ્વારા દિગ્દર્શિત આ નાટક તેના શીર્ષક માત્રથી કુતૂહલ જગાવે છે. ફાધર, કોના ફાધર? હત્યા કોણે અને કોની કરી? શા માટે કરી? આવા અનેક સવાલો થાય. જો ફાધર ઓફ ધ નેશન એવું શીર્ષક અપાયું હોત તો રહસ્ય ઉદ્ઘાટિત થઇ ગયું હોત.

પ્રસ્તુત નાટકનો નાયક ગોડસે છે, પણ આપણે વાત માંડવી છે ગાંધીનો પાઠ ભજવનાર પોલ બેઝલીની.

‘Where does it come from’ નામના યુનાઇટેડ કિંગ્ડમસ્થિત સંગઠનના સ્થાપક જો સોલ્ટર દ્વારા આયોજિત પોડકાસ્ટ આ લેખની  માહિતી માટેનો આધારભૂત સ્રોત છે, એથી પહેલાં એ સંગઠન વિષે થોડું જાણીએ. ‘Where does it come from’ એ એક ઔદ્યોગિક સાહસ સંગઠન છે જે આપણા શરીર માટે લાભદાયી હોય અને પૃથ્વીને પણ સંભાળે તેવાં વસ્ત્રોનાં વેંચાણનું કાર્ય કરે છે. એ વસ્ત્રો વિશેની તમામ જાણકારી આપવામાં આવે છે. ખેતરમાં ઊગતા કપાસથી માંડીને કાપડની બનાવટ સુધી, તથા તેના કારીગરો અને વપરાતા માલ વિષે પૂરી પારદર્શકતા રાખવામાં આવે છે.

આ પોડકાસ્ટમાં ત્રણ વ્યક્તિઓ જો સોલ્ટર, નાટ્ય અદાકાર પોલ બેઝલી અને આશા બૂચ વચ્ચે વાર્તાલાપ થયેલો જેનો મુખ્ય આશય હતો આ નાટકના સંદર્ભમાં ગાંધીજીનાં મૂલ્યો, ખાસ કરીને ખાદી, ગ્રામોદ્યોગ અને વિકેન્દ્રીકરણ અને અહિંસા વિષે ચર્ચા કરવાનો.

પોતાની ઓળખ આપતાં પૉલે કહ્યું, તેનાં માતા-પિતા ચેન્નાઈથી આ દેશમાં આવ્યાં. તેનો જન્મ 60ના દાયકાના અંતે લંડનમાં થયો. તેમના પરિવારજનો ગાંધીજી વિષે વાતો કરતાં જાણે તેઓ તેમને ઓળખતા હોય. એ રીતે ગાંધીનું નામ તેમણે બચપણથી જ સાંભળેલું. પૉલે માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં નાટ્યકલાની તાલીમ લીધી અને છેલ્લા ત્રણ દાયકાથી અદાકારીના વ્યવસાયમાં વ્યસ્ત રહે છે. તેમણે રેડિયો, ટેલિવિઝન, સ્ટેજ તેમ જ ફિલ્મોમાં કામ કર્યું છે તેમ જ ઓડિયો બુક્સ પણ બનાવી છે.

‘ધ ફાધર એન્ડ ધ એસાસીન’ નાટક વિષે માહિતી આપતાં પૉલે કહ્યું કે ચેન્નાઇ સ્થિત નાટ્ય લેખિકા અનુપમા ચંદ્રશેખર, કે જેઓ 2017થી લંડનના નિવાસી નાટયલેખિકાના પદ ઉપર રહીને કાર્યરત રહે છે તેમને ગાંધી અને ગોડસેના સંબંધોમાં રસ હોવાનું જણાયું છે. માનવીના મનમાં કટ્ટરપંથી વિચારો અને પરિણામે હિંસા કઈ રીતે વિકસે છે એ બતાવવાનો તેમનો હેતુ છે. આજે વિશ્વ આખામાં ધ્રુવીકરણ અને તેને કારણે થતી હિંસાનો ફેલાવો વધ્યો છે, ત્યારે ખાસ આ નાટકના વિષયવસ્તુની કિંમત છે. તેની વિશેષતા એ છે કે ગોડસેની આંખે તે સમયના બનાવોને જોવા તેનો દૃષ્ટિકોણ રજૂ કરાયો છે. નાટકની શરૂઆતમાં જ ગોડસે દર્શકોની આંખમાં આંખ પરોવીને કહે છે, “આ નાટકના અંતે તમે મારાં પૂતળાં મુકાવશો અને મારી પૂજા કરશો.” તેની તરફેણમાં ગોડસેની દલીલ એ છે કે તેણે ગાંધીને મારીને ભારતની હિન્દુ પ્રજા ઉપર ઉપકાર કર્યો છે. નાટ્યલેખિકા પોતાનું મંતવ્ય કોઈના પર થોપી બેસાડતાં નથી, દર્શકો કયા પક્ષને માન્ય રાખે છે એ તેમના પર છોડી દેવામાં આવ્યું છે. તત્કાલીન ભારત દ્વારા હાલના યુ.કે., યુરોપ, અને સમગ્ર દુનિયાના સમાજનું દર્શન તેમાં થાય છે.

સારાયે નાટકમાં કેટલાંક ડરામણાં અને જોતાં અસ્વસ્થ થઈ જવાય તેવાં દૃશ્યો છે, પરંતુ તેમાં વારંવાર રમૂજ પણ ઉમેરાઈ છે. આ નાટ્ય અદાકારનું માનવું છે કે રમૂજમાં માનવતાની ઝલક દેખાતી હોય છે.

ગાંધી તરીકે પાઠ ભજવવાની દરખાસ્ત વિષે પોતાની લાગણી વ્યક્ત કરતાં પૉલ પોતાના જીવનના કેટલાક તબક્કાઓ વર્ણવે છે. ડેવિડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ પોતાના માતા-પિતા સાથે અને પછી ઘરમાં પણ અનેક વખત જોયાનું યાદ. ત્યારથી ‘ગાંધી’ બનવાના કોડ જાગ્યા. વીસ વર્ષથી ગાંધીને એક વ્યક્તિ તરીકે ઓળખ્યા અને તેમનાં આધ્યાત્મિક પાસાંઓ જાણ્યાં. આત્મકથા અને ‘હિન્દ સ્વરાજ’નું બબ્બે વખત પઠન, મનન કર્યું. પૉલના ધ્યાન યોગ શીખવનાર ગુરુ એકનાથ ઈશ્વરના પુસ્તક ‘ગાંધી ધ મેન’ ની ઓડિયો બુક કરી ત્યારે વધુ ઊંડાઈ માપી. એટલું જ નહીં, ગાંધી અને અહિંસા વિષે પદ્ધતિસર અભ્યાસ પણ કર્યો. ગાંધીને માત્ર રાજકારણી તરીકે જ નહીં, બલકે એક આધ્યાત્મિક પુરુષ તરીકે તેમના તત્ત્વજ્ઞાનના માધ્યમથી ઓળખ્યા.

નાટ્ય દિગ્દર્શક ઇંધુ રૂબસિંઘમ્‌ને માત્ર ગાંધી જેવા દેખાય તેવા નહીં, તેમના ચારિત્ર્યનું ન્યાયી ચિત્રણ કરી શકે તેવા અદાકારની શોધ હતી તે તેમને પૉલમાં મળી. નવાઈની વાત તો એ છે કે પૉલને અહેસાસ થયો કે આટલા દાયકાઓ વીતવા છતાં હજુ પણ જન જનના મનમાં ગાંધીની પ્રતિભા કાયમ છે. એ કહે છે, દુકાનદાર, સ્ટેશન પર મળનાર વ્યક્તિ, અરે, મારા ઘરની છત રીપેર કરવા આવનાર માણસ સુધ્ધાંએ પોતે ગાંધીને જાણે છે તેમ કહ્યું. આશ્ચર્ય જ થયું, પણ ના, નવાઈ ન લાગે કેમ કે એ ખરેખર વૈશ્વિક વિભૂતિ છે. દરેકની તેમને જોવાની દૃષ્ટિ અલગ છે, પરનું તેઓ આપણા બધાની સંસ્કૃતિમાં કાયમ માટેનું સ્થાન જમાવી ગયા એ નક્કી. તેઓ જે રીતે કપડાં પહેરતા, તેમણે જે કામ કર્યું અને જે સિદ્ધાંતો અને મૂલ્યો માટે જીવ્યા તેને કારણે ચિરકાળ સુધી યાદ રહેશે. એવા લોકો બહુ ઓછા છે. હિટલર જુદા કારણોસર યાદ રહેશે, ગાંધી તેનાથી તદ્દન વિપરીત કર્તવ્યો કરનાર તરીકે અમર થયા.

ડેસમંડ ટુટુ અને દલાઈ લામાને  કૈંક અંશે ગાંધીની આધુનિક પ્રતિકૃતિ ગણી શકાય તેમ પૉલનું માનવું છે. એ ત્રણેય વિભૂતિઓની ખાસિયત એ કે તેઓ વારંવાર રમૂજ કરે, બીજાને પ્રેમથી સ્પર્શે અને ખડખડાટ હસે અને બીજી જ ક્ષણે ઊંડી અધ્યાત્મ સંબંધી વાતો કરે. ગાંધી હંમેશાં હસતા અને તેમની આસપાસના તમામ લોકો પણ હસતા. તેઓએ એક વાર કહેલું, “જો હું હસું નહીં તો મારી જાતને મેં ક્યારની ખતમ કરી નાખી હોત.” એનું કારણ એ છે કે ગાંધી ગીતા બોધ ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’માં શ્રદ્ધા ધરાવતા હતા. એટલે જ તો કદાચ તેમની આસપાસ આચરાતા સંહાર, કરવામાં આવતા હળાહળ અન્યાય અને અતિ ભયાનક સંયોગોમાં પણ તેઓ હસી શકતા અને સહુને પ્રેમ કરી શકતા.

‘ગાંધી’ને ચરખો કાંતતા શીખવવાની તક કેવી રીતે મળી અને કેવો અનુભવ થયો એ પ્રશ્નનો ઉત્તર આ મુજબ છે. આ લખનારને ખાદી લંડન તરફથી સંદેશ મળ્યો કે પ્રસ્તુત નાટક માટે ગાંધીનું પાત્ર ભજવનારને ચરખો કાંતતા શીખવવા જવાનું છે. આવા મોટા ગજાના સફળ કલાકારને મળતા સહેજે ક્ષોભ થાય. પણ સાતેક વર્ષની ઉંમરે કાંતતા શીખેલી, સાથી વિદ્યાર્થીઓ અને જરૂર પડ્યે શિક્ષકોને પણ શીખવતી આવેલી વ્યક્તિ માટે ખાદી અને રચનાત્મક કાર્યના ખ્યાલનો પ્રસાર કરવાની તક જતી કરવાનું મુનાસીબ ન લાગ્યું. મુલાકાત થતા જ અહેસાસ થયો કે પૉલ અત્યંત વિનમ્ર, વિવેકી અને શીખવા માટે યોગ્ય વલણ ધરાવનાર કલાકાર છે. આથી જ તો એ બારડોલી ચરખાને ફરતો કરતા નડેલી મુશ્કેલી દૂર કરતાં કરતાં બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાનની ભારતની આર્થિક-રાજકીય દશા, સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા અને ખાદીનું તેમાં મહત્ત્વ જેવા વિવિધ વિષયો વિષે વાત કરતાં પૉલ અને મારી વચ્ચે સંકોચ અદૃશ્ય થયો.

આ વાર્તાલાપમાં ખાદીના રાજકીય અને આર્થિક મહત્ત્વ વિષેનાં મંતવ્યોની પણ આપ-લે થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે પહેલાં આપણા પૂર્વજો તમામ પ્રકારનાં કાપડ હાથથી જ પેદા કરતા. દક્ષિણ આફ્રિકાથી પરત થયેલ ગાંધીજીએ નોંધ્યું કે તેઓ સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા ખરા, પણ ભારત આર્થિક રીતે દેવાળિયું, સામાજિક રીતે અસમાન અને આધ્યાત્મિક રીતે સાવ ભગ્ન દશામાં જીવતું હતું. તેવા વિચ્છિન્ન દેશમાં રાજકીય સ્વતંત્રતા કેમેય નહીં ટકી શકે તે સમજાયું. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવા માટે શસ્ત્ર શોધતા હતા, પણ એક અહિંસક શસ્ત્રની શોધમાં હતા. ખાદીમાં એ શક્તિ ભાળી. કપાસથી કાપડ સુધીની તમામ પ્રક્રિયાઓમાં કુદરતનું રક્ષણ થાય, લાખો ભૂખ્યા અને બેકાર લોકોને રોજી મળે, અને પ્રજાને પોતાની ધરોહર પર પુનઃ વિશ્વાસ બેસે એવો ખાદીનો જાદુ તેમણે જોયો. આજે યુ.કે.ની સરકાર ‘લેવલીંગ અપ’ની વાત કરે છે, ગાંધીની એ રીત હતી અસમાનતા દૂર કરવાની. વીસમી સદીના ભારતમાં ભયંકર ગરીબી અને બીજી બાજુ ચપટી જેટલા ધનિકો હતા. ભયાનક અસમાનતા હતી. વકીલ-બારિસ્ટરથી માંડીને ગરીબ લોકો, વૃદ્ધ અને સ્ત્રીઓ બધાના હાથમાં ગાંધીએ ચરખો મુક્યો. તેનાથી લોકોને પોતાની સદીઓ જૂની ઉત્પાદક અને ક્રિયાત્મક શક્તિનું ભાન થયું. રોજિંદા જીવન માટે અને બધા પ્રસંગો માટે ઉપયોગી એવી ખાદીનું ઉત્પાદન થવા લાગ્યું. વિદેશી કાપડના બહિષ્કારને પગલે પ્રજાને પોતે સ્વનિર્ભર થઈને પોતાના પગ ઉપર ઊભા રહીને ભરણપોષણ કરી શકે તેનો અહેસાસ થયો. બ્રિટિશ શાસન દરમ્યાન ભારતીય અર્થતંત્રને બેવડો માર પડેલો, ખાસ કરીને કપાસની નિકાસ ઉપર કર ભરવો પડતો અને બ્રિટનની મિલોમાં તૈયાર થયેલ કાપડ ઉપર આયાતનો કર ભરવો પડતો. પ્રજાની કમ્મર તૂટી ગઈ. ગાંધીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ લગભગ નગ્ન દશામાં જીવતા લોકો જોયા. આ તમામ સમસ્યાઓનો હલ ખાદી અને ગ્રામોદ્યોગમાં મળ્યો. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાથી સાચો ઉગારો થશે એ સમજાયું. ‘એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી’ આ શબ્દપ્રયોગ ગાંધીજીના સમયે પ્રચલિત નહોતો, પરંતુ એમના સૂચિત માર્ગે જવાથી પર્યાવરણની સુરક્ષાનો હેતુ પણ સરતો હતો.

પૉલે નાટકમાંની વેશભૂષા અને રંગમંચની અધિકૃત સજ્જાનું મહત્ત્વ ઉજાગર કરતાં કહ્યું કે આ નાટકમાં 1917માં કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધી પહેલી વખત જોવા મળે છે, અને છેવટ ટૂંકી ધોતી અને શાલ પહેરેલા દેખાય. ભારતની અર્ધનગ્ન પ્રજા સાથે તાદાત્મ્ય કેળવવા, તેમનું પ્રતિનિધિત્વ કરવા ઓછામાં ઓછા વસ્ત્રો પહેરવા પોતાના સાથીઓને ન કહ્યું, પણ ગાંધીએ પોતે એ સિદ્ધાંત અપનાવ્યો. ગાંધીનો પાઠ ભજવવાથી ખ્યાલ આવ્યો કે પશ્ચિમી સૂટ પહેરનારાઓ વચ્ચે ખાદીનાં ઓછામાં ઓછાં કપડાં અને સાદા ચંપલ પહેરવાથી એક પ્રકારની શક્તિનો સંચાર થયાની અનુભૂતિ થાય. તેમણે ભાષણો કરીને નહીં, આચરણ દ્વારા એ કરી બતાવ્યું. દરેક શૉ પહેલાં અર્ધો કલાક કાંતતી વખતે (અહીં એ વાતની નોંધ લેવી રહે કે નાટકમાં માત્ર બે મિનિટ કાંતવાનું હતું, જેને ખાતર અર્ધો કલાક કાંતવાનું વ્રત આ અદાકારે પોતે લીધેલ નિર્ણય હતો) કપાસની નાની એવી પૂણીમાંથી તાર નીકળે એ જોવાથી એક અદ્દભુત આંતરિક અનુભૂતિ થતી હતી.

છેલ્લા કેટલાક દાયકાઓથી શ્રમ અને શ્રમિકોનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે. આ વાર્તાલાપ દરમ્યાન એ ફલિત થયું કે પશ્ચિમી સમાજે માણસ માત્રને માટીથી દૂર કરી દીધો. જમીન પર કામ કરનારા, હાથ મેલા કરનારા ખેડૂતો, માળીઓ અને કારીગરો નીચા ગણાવા લાગ્યા. એનાથી દૂર પેન અને લેપટોપ લઈને ઓફિસમાં બેસી, જમીન અને ઘરથી દૂર કામ કરનારા શિક્ષિત એટલે ઊંચા ગણાવા લાગ્યા. ગાંધીએ આ સમીકરણને સાવ ઊલટાવી નાખ્યું. તેમણે વકીલ અને બેરિસ્ટરના હાથમાં ચરખો પકડાવી તેમને માટી સાથે જોડી આપ્યા. શ્રમનિષ્ઠાની વાતો ઘણા લોકોએ કરી હતી, ગાંધીએ એ કરી બતાવ્યું. તેનાથી શ્રમ અને શ્રમિકનું સ્થાન ઊંચું ગયું, માન વધ્યું. વિકેન્દ્રીકરણ એ શાંત ક્રાંતિનો રસ્તો છે. ટોલ્સટોય અને જ્હોન રસ્કીને કહેલું કે બીજાની મજૂરી પર આધાર રાખી જીવનારા પરવશ હોય છે, માટે જાત મહેનત જ વ્યક્તિને સ્વતંત્ર બનાવે. ટૂંકી ધોતી પહેરીને બ્રિટનના રાજાને મળવા બકિંગહામ પેલેસના પગથિયાં ગાંધી જ ચડી શકે. કેમ કે તેઓ માનતા હતા કે તેઓ સત્ય આચરે છે, તો શરમ એમને શાની આવે? બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા રાજાઓ અને સરકારી અમલદારોને કિંમતી વસ્ત્રાભૂષણો ત્યાગીને આમ પ્રજા વચ્ચે કામ કરવાનું ગાંધી જ કહી શકે. કેમ કે તેમની પાસે એવું નૈતિક બળ હતું. તેઓ ઉપદેશ આપવામાં નહીં, આચરણ દ્વારા દાખલો બેસાડવામાં માહેર હતા.

જો સૉલ્ટરે નફા કેન્દ્રિત ઉત્પાદન અને વેચાણને પોષતી અર્થવ્યવસ્થાને કારણે ગ્રાહકો પોતે ખરીદે એ તમામ વસ્તુઓ શાની બને છે, તેનાથી પૃથ્વીના સ્રોત ઉપર કેવી અસર થાય, ખેડૂતો, કારીગરો અને ખુદ પોતાના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી માઠી અસર થાય છે એ વિચારવાનું જ ચૂકી જાય છે એ વાત ઉપર ધ્યાન દોર્યું. લેખકે આપણે ‘Solidarity economy’ – પરસ્પરાવલંબી અર્થવ્યવસ્થા રચવી રહી તેના પર ભાર મુક્યો જેમાં માનવી માનવી સાથે, કુદરત સાથે અને અન્ય તમામ જીવો સાથે તાલ મેળવીને કામ કરશે તો જ તેનું અસ્તિત્વ ટકી રહેશે એ ચેતવણી યાદ અપાવી.

આ મુદ્દા વિષે પૉલના વિધાનો ખૂબ જ પ્રસ્તુત લાગ્યા. તેમની માન્યતા છે કે આધુનિક વિકાસને પગલે માનવ માત્ર પાસેથી તેની સર્જનાત્મક શક્તિઓ છીનવાઈ ગઈ છે. લોકો પોતાનાં કપડાં બનાવી ન શકે, જાતે રસોઈ કરીને ભોજન ન પકવી શકે તેવી હાલતમાં તેઓ પાસે દૂર દેશોમાંથી કાચો માલ કે તૈયાર માલ ખરીદીને ગુજારો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. એક સમયની કુશળ પ્રજા શક્તિવિહીન થઈ ગઈ છે. આજની વ્યાપાર પદ્ધતિમાં જૂજ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને કંપનીના ડિરેક્ટર્સ ખૂબ કમાય એ હાલ છે. અને આ સ્થિતિ 1940ના ગુલામ ભારતને જ લાગુ નથી પડતી, આજે, આ દેશમાં પણ નવજીવન પામતી કૃષિ પદ્ધતિ અને સ્વદેશીના આગ્રહની ખૂબ જ જરૂર છે. ખોરાક અને કાપડથી માંડીને દરેક વસ્તુઓ સ્થાનિક સ્તરે પેદા થાય અને વેચાય એ અનિવાર્ય બન્યું છે. ગાંધી તેમના સમયથી પચાસ વર્ષ નહીં, સોથી પણ વધુ વર્ષ આગળનું વિચારી શકતા, એટલે જ તો સ્થાનિક સરકાર વળી વિકેન્દ્રિત લોકશાહીની વાત તેમણે મૂકી. થયું એવું કે પશ્ચિમના દેશો તો એથી વિરુદ્ધ દિશામાં ચાલતા હતા જ, પણ સ્વતંત્રતા મળ્યા બાદ ભારત પણ અવળી દિશામાં દોટ મારવા લાગ્યું. ગાંધીએ એક હાથથી વિદેશી સરકારના દમનને રોકવાનો માર્ગ બતાવ્યો, અને બીજા હાથથી રચનાત્મક કાર્યો થકી નવા સમાજનો પાયો શી રીતે નંખાય જેથી આઝાદી તેના ખરા અર્થમાં ટકી રહે તે બતાવ્યું. તેમણે ભારતની આમ જનતાને સક્રિય કરી અને રચનાત્મક કાર્યો ભણી વાળી; જેમ લાખો-કરોડો કીડીઓ સાથે મળીને કામ કરે તો મોટો પર્વત ખોદી કાઢે તેમ તેમણે ચીંધેલા માર્ગે આજે પણ દુનિયા આખીમાં લોકો અહિંસક રીતે પોતાના અધિકારોની માગ કરી રહ્યા છે એ વિવિધ ચળવળોમાં દેખાઈ આવે છે.

ગાંધીના વ્યક્તિત્વનું કયું પાસું વધુ આકર્ષક છે એ પ્રશ્નના ઉત્તરમાં પૉલે કહ્યું કે પશ્ચિમના લોકોને ગાંધીની રાજકીય પ્રતિભા ગમે, તેનું આધ્યાત્મિક પાસું ન જોઈ શકે. જ્યારે દલાઈ લામા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, ડેસમન્ડ ટુટુ વગેરેએ એ જ પાસું જોયું અને અનુસર્યા. આમ જુઓ તો ગાંધી એક ડરપોક બાળક, વકીલ તરીકે શરમાળ પ્રકૃતિને કારણે નિષ્ફ્ળ ગયેલો અને લંડન અભ્યાસાર્થે ગયો ત્યારે બ્રિટિશ થવાની મથામણ કરતો યુવક હતો. તેવામાં એને ભગવદ્દ ગીતા મળી. પોતાના વ્યક્તિત્વનું પુનર્ગઠન કર્યું. સાધન શુદ્ધિનો સિદ્ધાંત મનમાં બંધ બેસી ગયો, એટલે જ તો યુદ્ધના વિરોધી રહ્યા. હિંસા આચરવાથી કોઈ સંઘર્ષનો ઉકેલ ન આવે અને કાયમી ટકી રહે તેવી શાંતિ ન સ્થપાય એટલું જ નહીં બંને પક્ષને સારું ફળ ન મળે એવી દૃઢ એમની માન્યતા. તેને આચરણમાં મૂકીને ભારતને મુક્તિ અપાવી. આ છે ગાંધીની સહુથી મોટી દેણગી (ટેક અવે પોઇન્ટ).

અહિંસાની વિચારધારા આજના યુગમાં કેટલી પ્રસ્તુત છે એ સવાલના ઉત્તરમાં લેખકે આ નાટકમાં ગાંધીના પાત્રને મુખેથી તેના પર્યાય રૂપે ‘Lack of ill will’ શબ્દ ઉચ્ચરાયેલો તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હિંસાનો અર્થ અન્યને શારીરિક ઇજા પહોંચાડવી એ જ માત્ર નથી. મેટા સેન્ટર ફોર નોન વાયોલન્સના સ્થાપક માઈકલ નાગલરે કહ્યું છે કે સંસ્કૃત અને હિન્દી ભાષાઓમાં ‘અહિંસા’ શબ્દ સદીઓથી અસ્તિત્વ ધરાવે છે કેમ કે એ લોકોની સભ્યતામાં આ સિદ્ધાંતનું ઝીણવટભર્યું પાલન થતું આવ્યું છે, જયારે ઇંગ્લિશ ભાષામાં એ માટે કોઈ શબ્દ છે જ નહીં કેમ કે આપણે અહિંસાના સિદ્ધાંત વિષે કશું જાણતા નથી, તેનું પાલન કર્યું નથી. માટે Non violence એટલે કે જે હિંસા નથી એ શબ્દ આપ્યો. મનસા, વાચા, કર્મણા – મન, વચન અને કર્મથી સદંતર હિંસાથી મુક્ત રહીને જે તમને પોતાના દુશ્મન માને તેના પ્રત્યે પણ અક્રોધ સેવવો તે ખરી અહિંસા તેમ ગાંધીએ આચરી બતાવ્યું. આ મુશ્કેલ કામ છે. એટલે જ તો ગાંધીના આધ્યાત્મિક પથને બહુ થોડા લોકો અનુસરી શક્યા.

ખાદી અને ગ્રામોદ્યોગના સંદર્ભમાં ગ્રાહકવાદ અને હિંસાને શો સંબંધ એ વિષે વાત કરતાં લેખકે સ્પષ્ટતા કરતા કહ્યું, આજે ગ્રાહકવાદ વકર્યો છે. વધુ પડતો કુદરતી સંસાધનોનો માત્ર પોતાના પૂરતો ઉપયોગ અને વેડફાટ એ એક જાતની ચોરી છે, કેમ કે એ સંસાધનો માત્ર થોડા લોકો માટે જ નથી, અન્ય માનવીઓ અને તમામ જીવસૃષ્ટિ માટે છે. Where does it come from એ સંગઠન આપણને દરેક વસ્તુ કોણે બનાવી, કેટલે દૂરથી આયાત કરી, તેની બનવાટમાં શું વપરાયું, કારીગરો કઈ હાલતમાં કામ કરે છે, તેમને કેટલું વળતર મળે છે, માલિકો કેટલો નફો પોતાના ખિસ્સામાં નાખે છે એ બધું જ વિચારવા પ્રેરે છે. આવું વિચારનારો ગ્રાહક જ અહિંસક સમાજ રચવા પ્રતિબદ્ધ થઇ શકે. લડાઈ અસમાનતાને કારણે થાય છે, જે આજે વધતી જાય છે. આજનો નાગરિક ‘જરૂર છે’ માટે નહીં, ‘જોઈએ છે’ માટે ખરીદી કરતો થયો છે. કેમ કે વસ્તુઓ સસ્તી છે. ગ્રાહક માટે સસ્તી હશે, બનાવનાર તો માંડ પેટ પૂરતું રળે છે. અસીમ ભોગવટો એ માનવતા પ્રત્યે થતો ગુનો છે; રાજ્ય સામે ગુનો નથી થતો, એ તો આપણને સજા કરે, આપણે છૂટી જઈએ. માનવતા અને કુદરતનો ગુનો સર્વ વિનાશી હોય છે.

આ વાર્તાલાપનું સમાપન કરતાં પૉલ બેઝલીએ બે વાત બહુ મુદ્દાની કરી. એક તો એ કે આજનો શહેરી અને પશ્ચિમી સમાજમાં રહેતો માનવી ધરતીથી ઉખડી ગયો છે, એ આદિવાસીઓની માફક કહી નથી શકતો કે અમે ધરતી પુત્રો છીએ. એ સ્વામિત્વ કે પોતાના પણાની ખામી દૂર કરવા ખરીદી કરતો જ રહે છે. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવામાં બેવડો ફાયદો છે; એક તો તમે કુદરત સાથે જોડાઓ છો અને બીજું સાદાઈ અપનાવવાથી પોતાને, બીજા માનવીઓને અને કુદરતને થતું નુકસાન અટકે એ નફામાં. બીજી વાત એ કરી કે કોવીડના કટોકટી કાળ દરમ્યાન આપણે કમાણી કરવાનું ચાલુ રાખ્યું પણ પરિવાર, સાથી કાર્યકરો અને સમાજથી વિખૂટા પડી ગયા. સાદું જીવન જીવવા માટે બાગકામ કરવું, રસોઈ કરવી, કાંતવું કે એના જેવી કોઈ પણ શ્રમયુક્ત પ્રવૃત્તિ કરવાથી જીવન સાદું અને આનંદમય રહે એ ગાંધીનો સંદેશ જીવનમાં ઉતારીએ.

e.mail : 71abuch@gmail.com

Loading

પક્ષાંતરના કારણે રાજકીય અસ્થિરતા

રમેશ ઓઝા|Opinion - Opinion|26 June 2022

પક્ષાંતર. ભારતીય લોકતંત્રને ક્ષીણ કરનારી જે કેટલીક બીમારીઓ છે એમાં સૌથી મોટી બીમારી પક્ષાંતરની છે. ઘણા લોકોને સવાલ થતો હશે કે બંધારણ ઘડનારાઓએ બંધારણ ઘડતી વખતે જ આનો ઈલાજ કેમ નહીં કર્યો? શું તેઓ આટલું પણ દૂરનું નહીં જોઈ શક્યા હોય? આઝાદી પછીથી લગભગ સોએક સરકારો પક્ષાંતરની વેદીમાં હોમાઈ ગઈ છે. એમાં પક્ષાંતર કરનારાઓ અને કરાવનારાઓનો નર્યો અંગત અને સત્તાનો સ્વાર્થ જોવા મળ્યો છે, બીજું કશું જ નહીં. બીજું બંધારણ ઘડનારાઓએ ઈલાજ નહીં કર્યો તો નહીં કર્યો, હવે શું થઈ શકે? કોઈ ઈલાજ ખરો?

બંધારણ ઘડનારાઓ સમક્ષ પ્રશ્ન હતો કે લોકો દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ કોને વફાદાર હોવો જોઈએ? પક્ષને? પોતાને મત આપીને ચૂંટી આપનાર મતદાતાઓને? મત આપ્યો હોય કે ન આપ્યો હોય, પણ પોતાના મતદારક્ષેત્રના તમામ નાગરિકોને? દેશના બંધારણને? કે પછી અંતરાત્માને? મારી ભલામણ છે કે આ વિકલ્પો ફરી વાંચી જાવ. કોને વફાદાર હોવો જોઈએ? આના જવાબમાં માત્ર લોકપ્રતિનિધિ જ નહીં, તમારી સમજ અને નિસ્બતની પણ કસોટી થવાની છે. તમે કોને વધારે મહત્ત્વ આપો છો.

ભારતીય બંધારણમાં પક્ષનો કોઈ ઉલ્લેખ જ નહોતો. લોકતાંત્રિક રાજ્યનું મૂળભૂત એકમ નાગરિક, તેનો પ્રતિનિધિ અને પ્રતિનિધિઓએ ચૂંટેલ નેતા જે સરકાર રચે. એ સરકાર દેશની સરકાર (પક્ષની નહીં, દેશની) હોય અને લોકપ્રતિનિધિગૃહને (કોઈ એક પક્ષને નહીં, સમગ્ર ગૃહને) જવાબદાર હોય. પક્ષ એ વ્યવસ્થા માત્ર છે. આ વ્યવસ્થા આદર્શ નથી એની બંધારણ ઘડનારાઓને જાણ હતી, પણ બીજો વિકલ્પ પણ નહોતો. બંધારણ ઘડનારાઓને એમ લાગ્યું હતું કે લોકોના પ્રતિનિધિની વફાદારીને જો પક્ષ સાથે જોડવામાં આવે તો નાગરિકનું મહત્ત્વ ઘટે અને પક્ષનું મહત્ત્વ વધે અને લોકતંત્રમાં નાગરિક સર્વોપરી છે. લોકપ્રતિનિધિ લોકોનો પ્રતિનિધિ છે કોઈ એક પક્ષનો કે પક્ષના સમર્થકોનો નથી. માટે તેમણે લોકપ્રતિનિધિના હાથ નહોતા બાંધ્યા. તેમની પાસેથી અપેક્ષા હતી કે તેની પહેલી વફાદારી પોતાના અંતરાત્મા પરત્વે હોવી જોઈએ. એનાથી મોટું કશું જ નથી. પક્ષ કે પક્ષે રચેલી સરકાર કોઈ નિર્ણય લે અને એ નિર્ણય સ્વીકાર્ય ન હોય તો તેનો વિરોધ કરવાનો અને જોઈએ તો પક્ષ છોડી જવાનો તેને અધિકાર હોવો જોઈએ. ભાષાવાર પ્રાંતરચના માટે દેશના કેટલાંક પ્રદેશોમાં આંદોલન થયાં ત્યારે સી.ડી. દેશમુખ જેવા કેટલાક લોકોએ કાઁગ્રેસ પક્ષની અને જવાહરલાલ નેહરુની નીતિનો વિરોધ કરીને સરકારમાંથી અને પક્ષમાંથી રાજીનામા આપ્યાં હતાં. એ તેમને બંધારણે આપેલી અંતરાત્માને અનુસરીને નિર્ણય લેવાની આઝાદીનું પરિણામ હતું.

ટૂંકમાં બંધારણ ઘડનારાઓ એમ માનતા હતા કે લોકપ્રતિનિધિની પહેલી વફાદારી પોતાના અંતરાત્મા પરત્વે છે. પોતાને જે ઠીક લાગે તે મુજબ વિરોધ સહિત અભિપ્રાય આપવાનો અને નિર્ણય લેવાનો તેનો અધિકાર છે. તેની બીજી વફાદારી બંધારણ પરત્વે છે અને ત્રીજી વફાદારી નાગરિક પરત્વેની છે, પછી તેણે મત આપ્યો હોય કે ન આપ્યો હોય. પક્ષ માટેની વફાદારીનો તો કોઈ સવાલ જ નથી આવતો, કારણ કે તેને પક્ષની ગુલામીથી મુક્ત રાખવો હતો. પક્ષ સર્વોપરી હોય અને લોકપ્રતિનિધિ તેનો ગુલામ હોય તો તેને લોકપ્રતિનિધિ ન કહેવાય, પક્ષ પ્રતિનિધિ કહેવો જોઈએ.

બંધારણ ઘડનારાઓએ લોકપ્રતિનિધિને અંતરાત્માના અવાજને અનુસરવાની જે આઝાદી આપી હતી તેનો લાભ સી.ડી. દેશમુખ જેવાઓએ લીધો હતો, પણ દુર્ભાગ્યે એ અપવાદ જ નીવડ્યા અને એ પણ શરૂનાં વર્ષોમાં. પછીનાં વર્ષોમાં લોકપ્રતિનિધિઓ અંતરાત્માના અવાજને સાંભળવાની જગ્યાએ સત્તાકીય અને પૈસાકીય લાલચના અવાજ સાંભળવા લાગ્યા. તેઓ બંધારણે આપેલી આઝાદીનો દુરુપયોગ કરવા માંડ્યા. આજે એક પક્ષ અને કાલે બીજો પક્ષ. ખાસ કરીને ૧૯૬૭ની સામાન્ય ચૂંટણી પછી આ દૂષણ વધ્યું હતું કારણ કે કેટલાંક રાજ્યોમાં કાઁગ્રેસ નબળી પડી હતી અને વિરોધ પક્ષોની સંયુક્ત સરકારો રચાઈ હતી. તેમની અંદર આપસઆપસમાં સત્તા માટે સાઠમારી ચાલતી હતી અને અત્યારે બી.જે.પી. જે રીતે વિધાનસભ્યો ખરીદીને કે લાલચ આપીને સરકારો તોડે છે એમ ત્યારે કાઁગ્રેસ તોડતી હતી. આને કારણે સ્થિતિ એવી બની કે વિધાનસભ્યો ખુલ્લેઆમ વેચવા લાગ્યા. સવારે એક પક્ષમાં હોય અને સાંજે બીજા પક્ષમાં. ગુજરાતના વિધાનસભ્ય જયદીપ સિંહ બારિયા એક દિવસમાં ત્રણ વખત પક્ષ બદલવાનો વિક્રમ ધરાવે છે. એ જમાનામાં આયારામ અને ગયારામનો વાક્યપ્રયોગ પ્રચલિત હતો.

પક્ષાંતરના કારણે રાજકીય અસ્થિરતા એટલી વધવા માંડી કે તેનો કોઈક ઈલાજ કરવો જ પડશે એવું લાગવા માંડ્યું. બે ઈલાજ હતા. જે લોકપ્રતિનિધિ પક્ષ બદલે એ લોકપ્રતિનિધિ તરીકે રાજીનામું આપે અને પાછી ચૂંટણી લડે. બીજો વિકલ્પ એવો હતો કે પક્ષાંતર ઉપર સંખ્યાનું બંધન નાખવામાં આવે. ૧૯૮૫માં રાજીવ ગાંધીની સરકારે બંધારણમાં સુધારો કરીને બીજો વિકલ્પ પસંદ કર્યો અને તેને લગભગ દરેક પક્ષે ટેકો આપ્યો હતો. એ સમયે રાજીવ ગાંધીની લોકતાંત્રિક મૂલ્યનિષ્ઠા માટે ચારેકોર વાહવાહ થઈ હતી. મને યાદ છે ત્યાં સુધી તેનો બે જણે વિરોધ કર્યો હતો. એક સમાજવાદી નેતા અને વિચારક મધુ લિમયે અને બીજા ગાંધીવાદી વિચારક દાદા ધર્માધિકારી. એમને વાંચીને મને સમજાયું હતું કે ભારતનું બંધારણ ઘડનારાઓને શું અભિપ્રેત હતું અને આ કાયદો કઈ રીતે બંધારણવિરોધી છે. આવા એકાદ-બે અપવાદ છોડીને સર્વત્ર રાજીવ ગાંધીનો જયજયકાર થતો હતો કારણ કે લોકોને એમ લાગવા માંડ્યું હતું કે હવે આ પક્ષાંતરની બીમારીનો અંત આવશે.

સુધારેલી જોગવાઈ એવી હતી કે જે તે પક્ષના કુલ લોકપ્રતિનિધિમાંથી જો એક તૃતીયાંશ સભ્યો પક્ષાંતર કરે તો તેને પક્ષાંતર ન કહેવાય પણ વિભાજન કહેવાય અને વિભાજન હંમેશાં વિચારધારા આધારિત અથવા મતભેદ આધારિત જ હોય. જો એક તૃતીયાંશ કરતાં ઓછા સભ્યો હોય તો એ પક્ષાંતર કહેવાય અને તેઓ તેમનું સભ્યપદ ગુમાવે. આનો અર્થ એ થયો કે ૧૯૮૫ના સુધારા દ્વારા બંધારણે રાજકીય પક્ષને અને રાજકીય પક્ષના દંડકને માન્યતા આપી. રાજકીય પક્ષ અમુક રીતે જ મત આપવાનો દંડક જાહેર કરે તો દરેક સભ્યે અંતરાત્મા કે બંધારણનિષ્ઠાને બાજુએ મૂકીને પક્ષના આદેશ મુજબ મત આપવાનો. જો કોઈ સભ્ય તેનું ઉલ્લંઘન કરે તો તે સભ્યપદ ગુમાવે, પણ જો એક તૃતીયાંશ સભ્ય સાથે મળીને આદેશની અવગણના કરે તો તે પક્ષમાં વિભાજન કહેવાય અને સભ્યપદ કાયમ રહે.

વિભાજન હંમેશાં મતભેદ આધારિત જ હોય એ અનુમાન ખોટું સાબિત થયું. અત્યારે શિવસેનામાં જે વિભાજન થયું છે એને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. ૨૦૧૯માં શિવસેના, રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષ અને કાઁગ્રેસે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો નિર્ણય લીધો, ત્યારે અત્યારે બળવો કરનારા વિધાનસભ્યોના નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય સેના દ્વારા લેવાઈ ગયો હતો. સાથી પક્ષોને જ્યારે આ નિર્ણયની જાણ કરવામાં આવી ત્યારે શરદ પવારે કહ્યું હતું કે અન્ય બે પક્ષના પ્રમાણમાં કદાવર નેતાઓ પ્રધાનમંડળમાં હોય ત્યારે તેમની તુલનામાં મુખ્ય પ્રધાનનું કદ નાનું લાગશે. તેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવાનું સૂચન કર્યું હતું. એ સમયે એકનાથ શિંદેને બી.જે.પી. સિવાયના પક્ષો સાથે સરકાર રચવામાં અને મુખ્ય પ્રધાન બનવામાં કોઈ વાંધો નહોતો. જો ત્યારે મુખ્ય પ્રધાન બનવા મળ્યું હોત તો તેમણે અત્યારે બળવો કર્યો પણ ન હોત. અત્યારે શિવસેના બી.જે.પી. સિવાયના કોઈ પક્ષ સાથે યુતિ કરે તેની સામે તેમને વાંધો છે. આ સિવાય ત્રણ વિધાનસભ્યો એવા છે જેની સામે કેન્દ્ર સરકારે ઇડીના શ્વાન છોડ્યા હતા. ડરીને બચવા માટે તેઓ પક્ષાંતર કરી રહ્યા છે જેને મતભેદ કે વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. મનમાં તો બી.જે.પી.ના નેતાઓને ગાળો આપતા હશે. આમ તેમના બળવાને વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં ૧૯૮૫થી અત્યાર સુધીમાં જેટલી સરકારો તૂટી છે તેમાંની કોઈ સરકાર વિચારધારાને પરિણામે થયેલા વિભાજનને પરિણામે તૂટી હોય એવું મને એક પણ ઉદાહરણ યાદ આવતું નથી.

બીજી ધારણા એવી હતી કે એક તૃતીયાંશ સભ્યો એકઠા કરવા એ અઘરું કામ છે એટલે અપવાદરૂપે ક્યારેક જ સરકાર તૂટવાની ઘટના બનશે. આ ધારણા પણ ખોટી સાબિત થઈ છે. હવે પક્ષાંતર જથ્થાબંધ થાય છે અને તેને વિભાજન તરીકેની માન્યતા અપવવા માટે સ્પીકર અને રાજ્યપાલ ભૂંડી ભૂમિકા ભજવે છે. ગોળા સાથે ગોફણ ગુમાવવા જેવું થયું છે. ૧૯૮૫ પછીથી પચાસેક સરકારો આ રીતે જથ્થાબંધ પક્ષાંતર અને સ્પીકર તેમ જ રાજ્યપાલોના ગોરખધંધા દ્વારા તૂટી છે. ઊલટું ૧૯૮૫ના બંધારણીય સુધારા દ્વારા સરકારો તોડવાનું કામ વધારે સહેલું બની ગયું છે. લોકોના પ્રતિનિધિઓને સાગમટે એક જગ્યાએ લઈ જઇને બંદીવાન બનાવવામાં આવે છે અને તેમને એમાં શરમ પણ આવતી નથી.

તો પછી આનો ઉપાય શું?

ઉપાય એક જ છે. સભ્યપદેથી રાજીનામું. એક વ્યક્તિ પક્ષાંતર કરે કે સાગમટે કરે. દરેકે સભ્યપદેથી રાજીનામું આપવાનું અને પાછી ચૂંટણી લડવાની. જે પક્ષના સભ્ય તરીકે તમે ચૂંટણી લડ્યા હતા એ પક્ષ અત્યારે સ્વીકાર્ય નથી ને? કાંઈ વાંધો નહીં. સભ્યપદેથી રાજીનામું આપો અને જે પક્ષમાં જવું હોય એ પક્ષના ઉમેદવાર તરીકે અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી લડો. લોકો ચૂંટી આપે તો ઠીક નહીંતર ઘરે બેસો. પણ ખરેખર વૈચારિક મતભેદના કારણે પક્ષમાં વિભાજન થાય તો? વિભાજીત સભ્યોની સંખ્યા પક્ષના નેતાને ટેકો આપનારા સભ્યોની સંખ્યા કરતાં વધારે હોય તો? વધારે નહીં, ઘણી વધારે હોય તો? આવું ક્યારેક બની શકે છે. ૧૯૯૫માં આંધ્રપ્રદેશમાં એન.ટી. રામારાવ સાથે આવું બન્યું હતું. રામારાવનાં બીજાં પત્ની લક્ષ્મી પાર્વતીની રાજકીય બાબતોમાં વારંવારની દખલગીરીથી ત્રાસીને પક્ષમાં બળવો થયો હતો અને રામારાવ અક્ષરસઃ એકલા પડી ગયા હતા. આવું ક્યારેક બની શકે છે. તો શું કરવું? તો પણ રાજીનામાં આપવાં રહ્યાં. ભેલ ફેર ચૂંટણી યોજવી પડે, પણ છીન્ડું રાખવામાં જોખમ છે. આમાં થોડો અન્યાય થઈ રહ્યો છે, પણ બીજો ઉપાય નથી. આપણું લોકતંત્ર હજુ પરિપક્વ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જૂન 2022 

Loading

ડિજિટલ ભારતનાં પ્રશ્નોઃ ઇ-કૉમર્સમાં ઇજારાશાહી, ઇન્ટરનેટની પહોંચ અને ધારાધોરણોમાં સંદિગ્ધતા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 June 2022

આપણને એમ લાગે કે આખો દેશ ડિજિટલી સધ્ધર છે પણ આંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમનો મનોરંજન સિવાયનો ઉપયોગ કરનારા લોકો આપણે ધારીએ છે તેની સરખામણીએ ઓછા છે

તાજેતરમાં બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં વડા પ્રધાને દાવો કર્યો કે 2015 સુધીમાં ભારતની ડિજિટલ ઇકોનોમી 1 ટ્રિલયન ડૉલરે પહોંચી હશે. રોગચાળા પછી દેશમાં આવેલા બદલાવને કારણે આ શક્ય બનશે તેવું તેમનું કહેવું છે. ડિજિટલ ભારતનો વિચાર સતત ચર્ચામાં રહ્યો છે, જનતા અને સરકાર બન્ને જ આ વિચાર અંગે આશાસ્પદ છે. દુનિયા આખી રોજેરોજ ઇન્ટરનેટ દ્વારા વધુને વધુ મજબૂત બની રહી છે. ડિજિટાઇઝેશનથી થનારા લાભ વિશે બધા જ જાણે છે. હવે તો ડિજિટલ વૉલેટથી આર્થિક લેણ દેણ કરવું બહુ જ સામાન્ય બની ગયું છે. વિશ્વની દૃષ્ટિએ વાત કરીએ તો યુરોપના ડિજિટલ લીડર તરીકે એસ્ટોનિયાનું નામ મોખરે છે. અહીં હાઇ-ટૅક માળખું તો છે જ પણ ડિજિટલ ક્ષેત્રે આવનારા નવા આર્થિક ખેલાડીઓ વચ્ચે નિયંત્રણ અને યોગ્ય ધારા-ધોરણ સાથેની સ્પર્ધા પણ અર્થતંત્રને મદદરૂપ થાય તે રીતે થાય છે. યુરોપના જ અમુક દેશોમાં સ્પર્ધાથી બચવા માટે થઇને માર્કેટમાં સંપૂર્ણ ડિજિટાઇઝેશન નથી કર્યું. ભારતને ડિજિટલ ઇકોનોમી તરીકે જો સફળતાપૂર્વક વિકસવું હોય તો બહુ વિચારીને નીતિઓ ઘડવી પડશે.

આપણે ત્યાં પણ ડિજિટલ માર્કેટમાં ખડી થયેલી સ્પર્ધાઓ ચિંતાનો વિષય છે. ઇ-કોમર્સ માર્કેટ પ્લેસમાં સ્પર્ધા વિરોધી માહોલ હોવાની વાત ભારતમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઑફ ઇ-કૉમર્સ અંગેના રિપોર્ટમાં નોંધવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓને ઇ-માર્કેટ્સને મામલે ઇજારાશાહીનો ભય હંમેશાંથી રહ્યો છે કારણ કે ઇજારાશાહી હોય એટલે મહત્તમ પરિણામ ન મળે, ઇજારાશાહીને કારણે ભાવમાં વધારો થાય અને નવા માર્કેટ્સ પણ શરૂઆત કરતા ખચકાય. એક રીતે આ તમામ સંજોગોને કારણે ગ્રાહકોને ખોટ જ જતી હોય છે. ડિજિટલ સ્પેસમાં ભાવને લઇને તો ચિંતા છે જ કારણ કે વેચાણકારો આ પ્લેટફોર્મ્સ પર પોતાની પ્રોડક્ટનો ભાવ ફિક્સ નથી કરી શકતા, સ્પર્ધક ઉત્પાદક સાથે સંતુલન કરવાની તેમની મથામણ સતત ચાલતી રહે. આટલું ઓછું હોય તેમ ડિજિટલ ઇકોનોમીની બિજી ચિંતા છે પ્રાઇવસી – ઉપયોગકર્તાના ડેટાનો કોઇ પણ ઉપયોગ થઇ શકે છે અને તેની પર કોઇ પણ પ્રકારનું નિયંત્રણ શક્ય નથી. ઓનલાઇન પ્લેટફોર્મ્સ ડિજિટલ માર્કેટને લઇને સતર્કતા કેળવી રહ્યા છે. ભારતીય ડિજિટલ માર્કેટમાં ઇજારાશાહની વાત કરવી સહેલી નથી કારણ કે કોઇ ચોક્કસ પ્લેયર્સ પર નિર્દેશ કરી શકાય તેમ પણ નથી. પણ જાણીતા ઇ-માર્કેટ્સની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી જ છે. ઘણી કંપનીઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓ ગ્રાહકોને નિઃશુલ્ક પણ આપે છે અને ડિસ્કાઉન્ટને મામલે ડિજિટલ માર્કેટને કોઇ પહોંચી શકે તેમ નથી. ગ્રાહકને ચોક્કસ એમ સવાલ થાય કે ડિસ્કાઉન્ટ મળતું હોય તો વાંધો જ શું છે? પણ ટૂંકા ગાળાના લાભમાં વ્યાપારને લાંબા ગાળાનું નુકસાન થતું હોય છે. મોટા ડિસ્કાઉન્ટમાં વેચનારા ઉત્પાદકની સામે તેના સ્પર્ધકને પોતાની બનાવટો માટે બજારમાં જગ્યા કરવાનું મુશ્કેલ થઇ જાય, કાં તો તેણે ખોટ ખાઇને પોતાનો માલ વેચવો પડે. ડિજિટલ ખરીદી કરનારાઓ સતત જે મળતું હોય તેનો સસ્તો વિકલ્પ શોધવાની પેરવીમાં જ હોય છે અને તેમને ગુણવત્તામાં થોડી ઘણી બાંધછોડ કરીને એ મળી પણ જતો હોય છે. કિંમતોના ભેદભાવને કારણે ડિજિટલ માર્કેટમાં અસંતુલન આવે તે સાહજિક છે.

ઇ-માર્કેટ્સ આપણે ત્યાં પૉપ્યુલર થયા કારણ કે ભાવમાં ફેર પડે, ઘરને બારણે ચીજ વસ્તુની ડિલીવરી થાય અને માથાકૂટ વિના વસ્તુ પાછી આપી પણ શકાય, બદલી પણ શકાય અને રિફંડ પણ મેળવી શકાય. એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વીગિ, ઝોમેટો, મેક માય ટ્રીપ આ બધા એવા ઇ-માર્કેટ્સ છે જે હવે આપણી જિંદગીનો એક સાહજિક હિસ્સો છે. જે લોકો આ માર્કેટ્સ સર્જે છે, આ ઇ-માર્કેટ્સમાં જે પણ પોતાનાં ઉત્પાદનો વેચે છે તેમને સતત ગેરવાજબી વ્યાપાર નીતિઓનો સામનો કરવો પડે છે. વળી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા જાયન્ટ્સની સામે નાના વેચાણકર્તાઓની કોઇ વિસાત ન હોય તે સ્વભાવિક છે. આપણા દેશમાં ઇ-કોમર્સનું નિયમન કઇ રીતે કરવું તે અંગે હજી ઘણી સંદિગ્ધતા છે કારણ કે હજી તો ઇ-માર્કેટ્સનો શરૂઆતી તબક્કો ચાલે છે. વળી કોમ્પિટિશન એક્ટ ૨૦૦૨ અને સમગ્ર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી, ડ્રાફ્ટ ઇ કોમ્ર્સ પૉલિસી ૨૦૨૧ અને ઇન્ફર્મેશન ટૅક્નોલૉજી રૂલ્સ, ઇ-કોમર્સ માટેના કન્ઝ્યૂમર પ્રોટેક્શન રૂલ્સ  ૨૦૨૦ વગેરે ઇ-માર્કેટ્સને નિતંત્રિત કરવા માટે છે ખરાં પણ વિક્રેતાઓની મુશ્કેલીઓ ઉકેલવાને મામલે આ તમામ હજી સુધી બહુ કામ લાગ્યા નથી. વિક્રેતાને લાગે કે તેની સાથે અયોગ્ય થઇ રહ્યું છે ત્યારે ક્યાં જઇને પોતાની લડતનો મુદ્દો મૂકવો તે અંગે તેમની પાસે કોઇ સ્પષ્ટતા નથી. ઇ-કૉમર્સને લગતા પ્રશ્નો ખડા થાય ત્યારે માત્રને માત્ર ઇ-માર્કેટ્સનું નિયંત્રણ કરનારું કોઇ એક માળખું હોય તેવી નથી. તેને લગતા ધારાધરણો પર હજી કોઇ એક જ તંત્ર કામ કરતું હોય તેવું પણ નથી એટલે આ સમસ્યાઓનો નિવેડો આવવાને બદલે તે વધુ ગુંચવાય છે.

વિક્રેતાઓની સમસ્યા તો ખડી છે જ પણ તેની સામે ઇન્ટરનેટ સ્પીડ પણ બહુ મોટો પ્રશ્ન છે. 5G આવી જવાથી બઘું રાતોરાત બદલાઇ નથી જવાનું. આજે ભલે આપણને એમ લાગે કે આખો દેશ ડિજિટલી સધ્ધર છે પણ આંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમનો મનોરંજન સિવાયનો ઉપયોગ કરનારા લોકો આપણે ધારીએ છે તેની સરખામણીએ ઓછા છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ કે પછી સ્વીગી કે ઝોમેટોની પહોંચ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે બિહારના કોઇ સાવ નાનકડા ગામડામાં હશે જ એવું માની લેવાની ભૂલ ન કરવી. વળી જો એ પહોંચ ત્યાં હોય તો ત્યાં રહેનારાઓને ઘરની બાજુની દુકાનેથી વસ્તુ લઇ લેવાનું વધારે માફક આવશે કારણ કે ત્યાં ડિજિટલ સાક્ષરતાનું સ્તર મનોરંજન મેળવવા સુધીનું જ છે.

બાય ધી વેઃ

ડિજિટલ ભારત બનવું હશે તો જોઇશે એક અલાયદું તંત્ર જે દરેક નાગરિક માટે ઉપયોગી હોય, વહીવટ અને સવલતો જે નાનામાં નાના ગ્રાહક કે વિક્રેતા માટે હાજર હોય, નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ, બ્રોડબેન્ડ હાઇવેઝ, પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામ જે દરેક ગામમાં સફળતાપૂર્વક ચાલતો હોય, મોબાઇલ કનેક્ટિવિટી, આઇ.ટી.માં રોજગાર માટે વધુ લોકોને તૈયાર કરવા જેવા ઘણાં પાસાં પર કામ થાય તે જરૂરી છે. સાયબર સિક્યોરિટીનો પ્રશ્ન કેટલા ગિગા બાઇટ્સનો છે તે ગણવું રહ્યું. બીજી ખાસ વાત, શહેરોમાં જે લોકો સતત ડિજિટલી આર્થિક વહેવારો કરે છે તેમને ક્યાંક એ વાતનો અહેસાસ છે કે પાકીટ ખોલીને જ્યારે પૈસા નથી અપાતા, ફોન પર એક ક્લિક માત્રથી જ અપાય છે ત્યારે ધાર્યા કરતાં વધારે પૈસા ખર્ચાય છે અને માટે જ આજે પણ એવાં ઘણાં લોકો છે જે અનિવાર્ય ન હોય ત્યાં સુધી ડિજિટલ લેવડદેવડ કરવાનું ટાળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  26 જૂન 2022

Loading

...102030...1,3421,3431,3441,345...1,3501,3601,370...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved