Opinion Magazine
Number of visits: 9456310
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુનાં સંભારણાં

વિનોદિની નીલકંઠ|Gandhiana|30 May 2025

વિનોદિની નીલકંઠ

અમે ખૂબ નાનાં હતાં ત્યારની આ વાત છે. ત્યારે અહીં (સાબરમતી આશ્રમમાં) મકાનો હજી બંધાવાના હતાં. કાચાં મકાનો હતાં એમાં આશ્રમ ચાલતો. ત્યારે કંઈ આશ્રમનો વિસ્તાર મોટો નહીં, એટલે બા-બાપુજીને જંજાળ ઓછી. અમે સૌ રમતાં રમતાં તરસ્યાં થઈએ એટલે બા કને દોડી જઈએ. બા અમને ખૂબ પ્રેમથી પાણી પાય. તે સ્નેહ તો હજી એવો ને એવો યાદ છે. 

મારા પિતા સ્વ૦ શ્રી રમણભાઈ નીલકંઠને બાપુ સાથે સારો સંબંધ એટલે અમારા પગ આશ્રમમા જવા ઝટ ઊપડતા. અને અમે બાને પાણી પીવાના બહાના હેઠળ ઠીકઠીક ઊઠવેઠ કરાવીએ. પણ બા કંટાળે જ નહીં. બા તો બસ, એ જ પ્રેમથી જ્યારે જઈએ ત્યારે પાણી પાય. એવો પરમ પ્રેમ શી રીતે ભૂલી શકાય ?

બીજો પ્રસંગ પ્રાર્થનાનો છે. ત્યારે પ્રાર્થના બાપુ પોતે કરાવતા. અમે ભાઈબહેનો કોઈકોઈ વાર પ્રાર્થનામાં જઈ ચઢતાં. ત્યારે અમે બહુ નાનાં. બાપુ અમને શીખવે : “પ્રાર્થનામાં આંખ મીંચીને બેસીએ તો આપણે સહેલાઈથી એકચિત્ત થઈ શકીએ. કોઈની સામે નજર ન પડે અને મન વિચારે ન ચઢે.”

એક દિવસ એક બાળાએ પ્રાર્થનામાં આંખ ઉઘાડી રાખેલી. બાપુ તે જોઈ ગયા. પ્રાર્થના પૂરી થઈ કે તરત બાપુએ મીઠી ટકોર કરી : “પેલાં બહેને આજે પ્રાર્થનામાં આંખ મીંચી ન હતી!”

“બાપુ, ત્યારે તમે ય આંખ નહીં મીંચી હોય ! નહીં તો તમને કેમ ખબર પડે કે અમુક જણે આંખ ઉઘાડી રાખી છે?”  પેલી હાજરજવાબી છોકરીએ તરત બાપુને જવાબ આપ્યો.

બાપુ ખડખડાટ હસી પડ્યા. શું તેમનું એ મુક્ત હાસ્ય! આખા ય જગતમાં મહાન પુરુષ ગણાતી વિભૂતિ નાનકડી બાળાના કહેવા પર આવું મોકળા મને હસે એ અમારા માટે બહુ મોટી વાત ગણાય.

બાપુનું એ મુક્ત હાસ્ય હજી મારા કર્ણપટે અથડાયા કરે છે ! 

-2-

વડોદરાના  દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી એક વાર અમારે ત્યાં આવ્યાં. અમે એમને આશ્રમમાં લઈ ગયાં. બાપુની નજર બહુ ઝીણી; નવો ચહેરો આવ્યો કે તેના પર દૃષ્ટિ પડ્યા વિના રહે નહીં. અમને તરત પૂછયું : “તમારી સાથે આ કોણ આવ્યું છે ?”

“વડોદરાનાં અમારાં બહેનપણી છે. પ્રજ્ઞા એમનું નામ.” અમે જ્વાબ આપ્યો.

“પ્રજ્ઞા એટલે ડાહી. જણાય છે તો એવી જ!” બાપુએ હસતાં હસતાં કહ્યું. પછી પૂછ્યું :  ‘પ્રજ્ઞા, તું કાંતે છે ખરી?’

‘”ના. .” પ્રજ્ઞાએ શરમાતા શરમાતા કહ્યું.

“દીકરી ગમે તેવી ડાહી હોય પણ જો તે કાંતે નહીં તો હું એને પ્રજ્ઞા (ડાહી) ન કહું! ‘ બાપુએ હસીને ટકોર કરી. 

અને છેલ્લે એક વિદેશનો પ્રસંગ યાદ આવે છે. હું અમેરિકા ભણવા ગઈ હતી. તે વખતે મારે કેટલીક સંસ્થા જોવા જવાનું થયું.

એક કેળવણી સંસ્થામાં ગઈ અને મારે બોલવાનો પ્રસંગ આવ્યો. વિદ્યાર્થીઓએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો : “તમે તો ગાંધીના દેશનાં છો. ગાંધી કેવા છે તે કહો !”

બાપુ વિષે હું જે કંઈ જાણતી હતી તે બધું મેં કહ્યું. એ સાંભળી એક બદામી રંગના વાંકડિયા વાળવાળા ને આસમાની રંગની આંખવાળા એક મઝાના છોકરાએ આંગળી ઊંચી કરી. એને પ્રશ્ન પૂછવો હતો. મેં પ્રશ્ન પૂછવા કહ્યું.

“મારી મમ્મી કહે છે કે જે માણસે પૂરો પોશાક પહેર્યો હોય તે જ માણસ સભ્ય અને સજ્જન કહેવાય. ત્યારે ગાંધી આવડા મોટા માણસ ગણાય તોયે ઢીંચણની ઉપર રહે એવુ ટૂંકું કપડું કેમ પહેરે છે? એવાં કપડાં પહેરનારને સભ્ય, સજ્જન કહી શકાય ખરા કે ?”

એનો પ્રશ્ન, અમેરિકન સમાજની રહેણીકરણી, રીતરિવાજ જોતા સાવ સ્વાભાવિક હતો.

મેં બાપુ શા કારણે માત્ર એક ટૂંકી ધોતી પહેરે છે ને માત્ર એક પછેડી ઓઢે છે તે માટેની એમની પ્રતિજ્ઞા કહી સંભળાવી. જ્યાં સુધી કરોડો હિન્દીઓને પૂરતાં વસ્ત્ર ન ન મળે ત્યાં સુધી હું પૂરાં વસ્ત્ર નહીં પહેરું એવી બાપુની પ્રતિજ્ઞા હતી એ કહ્યું.

પેલો છોકરો ને બધાં વિદ્યાર્થીઓ મારો ખુલાસો દંગ થઈને સાંભળી રહ્યા.

પ્રશ્ન પૂછનાર છોકરો કહે : “ત્યારે તો હવે તમને થોડા દિવસમાં જ ગાંધીના કારણે સ્વરાજ મળવાનું, ને ત્યારે દેશમાં સૌને પૂરતાં કપડાં મળવાનાં. અને ત્યારે ગાંધી પણ પૂરો પોશક પહેરશે. એમનો એ પૂરા પહેરવેશવાળો ફોટો પડાવીને તમે મારા પર મોકલી આપશો?”

“જરૂર!” મેં ખુશીથી હા પાડી.

સ્વરાજ તો મળ્યું, પણ બાપુએ પૂરાં કપડાં પહેર્યાં હોય એવી એમની છબિ પાડવાનું ન બન્યું !

હજી મને એ અમેરિકન બાળકની વાતો યાદ આવે છે! એ બાળ વિદ્યાર્થીના મનોરથ પાર પડે તે પહેલાં જ બાપુને આપણી પાસેથી છીનવી લેવાયા.

29-30 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 327-328

Loading

આખો દેશ કોન્ટ્રાક્ટ પર આપવાનો છે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 May 2025

રવીન્દ્ર પારેખ

એનો આનંદ છે કે ઓપરેશન સિંદૂરને કારણે આખો દેશ સિંદૂરિયો થઈ ગયો છે, પણ હવે આત્મ નિરીક્ષણ કરીને, વાસ્તવિક પરિસ્થિતિ કેવીક છે, તે જોવાની જરૂર છે. એવું નથી કે 11 વર્ષનાં ભા.જ.પ.નાં કાર્યકાળમાં કૈં થયું જ નથી. જનધન, આયુષ્યમાન, ઉજ્જવલા જેવી યોજનાઓ દ્વારા લોકકલ્યાણનાં કામ થયાં જ છે. મોદી સરકારનાં ત્રણ ત્રણ કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, તીન તલાકનો ગુનાહિત કૃત્યમાં સમાવેશ, મહિલા આરક્ષણ કાયદો, વકફ કાયદામાં સંશોધન, 370મી કલમની નાબૂદી  જેવાં ઘણાં કામ થયાં છે, તેની ના પાડી શકાશે નહીં. નોટબંધી, ન્યાયપાલિકામાં સુધાર, સ્માર્ટ સિટી એવમ્ આદર્શ ગ્રામ યોજના, નવી શિક્ષા નીતિનો અમલ- જેવામાં ધારી સફળતા મળી નથી, પણ 81.5 કરોડ જનતા સરકારની મફત અન્ન યોજનાથી ધરાયેલી છે તે પણ સ્વીકારવું ઘટે. પણ, દયનીય સ્થિતિ શિક્ષિતોની છે –

હજારો, લાખો રૂપિયા ખર્ચીને જે ભણી પરવાર્યા છે, તેમને માટે નોકરી નથી. જે છે તે હંગામી છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી છે. એ નોકરી નથી, લાઇસન્સ છે જે રિન્યૂ કરાવતાં રહેવાનું છે. જે પ્રકારની મોંઘવારી છે, તેની સામે કોન્ટ્રાક્ટ નોકરીનો પગાર મશ્કરી જેવો છે. દેશ તો વર્લ્ડ ઇકોનોમીમાં જાપાનને પછાડીને ચોથા નંબરે પહોંચી ગયો છે ને કાલે ત્રીજા નંબરે પણ પહોંચશે, પણ એથી સામાન્ય નાગરિકનો દા’ડો વળ્યો છે કે કેમ તે જોવાનું રહે જ છે. વર્લ્ડ ઇકોનોમીમાં દેશ આગળ વધ્યો હોય ને આખો દેશ કોન્ટ્રાક્ટ નોકરી પર મુકાયો હોય તો, આનંદ કે ગૌરવ થાય એવું ઓછું જ છે.

મંત્રીઓના રસાલા પાછળ કોઈ કરકસર થતી ન હોય, ઉચ્ચ અધિકારીઓ કાયમીનો લાભ મેળવતા હોય, કારણ વગરનાં ઉજવણાંમાં કરોડોનો ધુમાડો થતો હોય ને શિક્ષિતોને કોન્ટ્રાક્ટ પર નોકરી દસ-વીસ હજારની આપતાં પણ હાથ ખેંચાતો હોય, તો સમાનતા અને સમભાવ પાયામાંથી નથી તે સ્વીકારવું પડે. વાત શિક્ષણ ક્ષેત્રની જ નથી, નોકરીનાં તમામ ક્ષેત્રોમાં આ હાલત છે. આ કરકસર નથી, કંજૂસાઈ છે. ક્યાંક વહીવટી વિવાદો પણ ભાગ ભજવે છે ને જગ્યાઓની મંજૂરી સરકારે આપી હોવા છતાં, ભરતી ઘોંચમાં પડે છે.

28 મે, 2025ના જ સમાચાર છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક સમયે વહીવટી કર્મચારીઓની સંખ્યા 500ની હતી, તે હવે 50 પર ઊતરી આવી છે. રાજ્ય સરકારે બબ્બે વખત મંજૂરી આપી હોવા છતાં, વહીવટી વિવાદોને કારણે ભરતી અટકી પડી છે. યુનિવર્સિટી દ્વારા ફરી ભરતીની દરખાસ્ત કરવામાં આવી છે ને કમાલ એ છે કે હવે ભરતી માટે મંજૂરી મળતી નથી. અત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, સિસ્ટમ મેનેજર, મદદનીશ કુલસચિવ, પ્રકાશન અધિકારી … જેવી અનેક જગ્યાઓ ખાલી છે. આવતાં જૂનમાં વધુ કાયમી કર્મચારીઓ નિવૃત્ત થશે, એ સ્થિતિમાં નવી નિમણૂક થાય એ જરૂરી છે, પણ સરકાર બને ત્યાં સુધી નિમણૂક ન થઈ જાય એની કાળજી રાખે છે. ગુજરાતનું વિકાસ અને રોજગારીનું મોડેલ વાયદા અને ફાયદા પર નિર્ભર છે. સરકારી વિભાગોમાં, પોલીસ ખાતામાં, કોર્પોરેશનમાં, હેલ્થ સેક્શનમાં, એરપોર્ટ પર, પોસ્ટમાં જરૂર મુજબ કરાર આધારિત નોકરીઓ અપાય છે. સચિવાલયમાં ફેશન જરા જુદી છે, ત્યાં નિવૃત્ત અધિકારીને જ કોન્ટ્રાક્ટ પર રાખી લેવામાં આવે છે. એથી ડિપાર્ટમેન્ટને અનુભવી અધિકારી તો મળે જ છે, પણ નવી નિમણૂકનો અધિકાર આંચકી લેવાય છે. આપણે ત્યાં કોન્ટ્રાક્ટનું ગુજરાતી, શોષણ થાય છે, કારણ નજીવા પગારે માણસો રાખી લેવાતા પૈસાની બચત થાય છે ને પૂરું કામ ધાકધમકીથી લેવાતું રહે છે.

પેટ્રોલ કે પોકેટમની જેટલા ભાવમાં સરકાર અપેક્ષા રાખે છે કે કર્મચારી ઈમાનદારીથી નોકરી કરે ને પરિવારનું પેટ પાળે. એવા પાંચેક લાખથી વધુ કર્મચારીઓ હશે, જે દસેક હજારના પગારમાં કુટુંબનો નિર્વાહ કરવા વિવશ છે. એક ટ્રાફિક પોલીસ કે કોન્સ્ટેબલ દસેક હજારના કોન્ટ્રાક્ટ પર હોય ને તે કરપ્ટ હોય તો તેને માથે માછલાં ધોવાય છે. અહીં કરપ્શનનો બચાવ નથી, પણ ભૂખે ભજન કરાવવાની દાનત ખોરી છે. ટ્રાફિક પોલીસનો જ દાખલો લઈએ. સિગ્નલ પર ટાઢ-તડકા-વરસાદમાં ધુમાડા, ઘોંઘાટ અને લોકો સાથેની રકઝક વચ્ચે એ ઊભો હોય છે. નથી એને પીવાનાં પાણીની પૂરી સગવડ કે નથી હોતાં ટોઇલેટ-બાથરૂમનાં ઠેકાણાં. આવામાં ટૂંકા પગારમાં ઘર ચલાવવા, લાંચ માટે ક્યાં સુધી ન લલચાય તે પ્રશ્ન જ છે.

કોર્પોરેશન શાળાઓમાં જ નહીં, અન્ય વિભાગોમાં પણ 400-500ના રોજ પર રોજમદારો રાખે છે. તેમાં રજા હોય તો રોજ મળતો નથી. ઓછા પગારે કામચોરી કે લાંચ તરફ ખેંચાવાનું એવા કર્મચારીઓમાં સામાન્ય થઈ પડે છે. એની દાઝ ઘણી વખત સામાન્ય લોકો પર કઢાય છે ને વેઠવાનું એમને આવે છે, જેમનો કોઈ વાંક નથી. શિક્ષિતોને રોજગારી મળતી નથી, મળે છે તો પગાર ભીખ જેવો હોય છે ને કરપ્ટ નેતાઓ એ શિક્ષિત ભિખારીઓને ઈમાનદારી અને પ્રમાણિકતાનો ઉપદેશ આપતા રહે છે. દેખીતું છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. સરકાર, સાંસદો અને વિધાનસભ્યોને રાતોરાત પગાર અને ભથ્થાં તોતિંગ આપે છે, પણ નાના કર્મચારીઓને પગાર આપવામાં ગરીબ થઈ જાય છે. સરકારને પોતાને માટે ગરીબી નડતી નથી, ઉજવણાં કરવાં પણ તિજોરી ખુલ્લી રહે છે, પ્રજા પાસેથી ઠેર ઠેર ટેક્સ અનેક રીતે નીચોવાય છે, પણ પ્રજાને આપવાનું આવે છે, તો સંકોચાય છે.

સૌથી વધુ કંજૂસાઈ કદાચ શિક્ષણ વિભાગમાં ચાલે છે. એમાં મજૂરો રાખવા કરતાં માસ્તરો રાખવાનું સસ્તું પડે છે. તે તો દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી જ છે ! ભણાવવા સિવાયનાં બધાં કામ તેની પાસેથી કઢાવાય છે. તેને ભણાવવા દેવાતો નથી, પણ નેતાઓનાં ભાષણ માટે તે ભીડ એકઠી કરી આપે છે. રસીકરણ કે ટીકાકરણમાં, વસ્તી ગણતરીમાં, ચૂંટણી મથકોમાં, પ્રવેશોત્સવમાં, ગુણોત્સવમાં, કસોટીઓમાં, પરિપત્રોના જવાબો આપવામાં, ડેટા મોકલવામાં માસ્તર બહુ કિફાયતી છે. એ બધું તે વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયકની ટેગ નીચે ફિક્સ પગારમાં કરતો રહે છે. કાયમી શિક્ષક કરતાં તે વધારે વૈતરું કરે છે, પણ પગાર ત્રીજા ભાગનો જ મેળવતો હોય તો નવાઈ નહીં ! આટલું કરવામાં કસૂર થાય તો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આફત આવી પડે છે. આને શોષણ કહેવાય એની ખબર સરકાર સિવાય બધાંને છે.

હેલ્થ, સફાઇ જેવાં ક્ષેત્રોમાં પણ મોટે ભાગનાં કામ કોન્ટ્રાક્ટ પર અપાય છે. સારું છે કે ડોકટરો કોન્ટ્રાક્ટ પર નથી રખાતા, નહિતર દવાનો ડૉક્ટર, ઇન્જેક્શનનો ડૉક્ટર, ઓપરેશનનો ડૉક્ટર .. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારે રખાય એમ બને. સફાઇ કામદારોને પણ સમ ખાવા પૂરતો પગાર અપાય છે. આમ તો વિધાનસભા કે લોકસભા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર જ ચાલે છે, પણ સફાઇ કામદાર કે શિક્ષકના કોન્ટ્રાક્ટમાં પાયાનો ફરક એ છે કે સફાઇ કામદારનો કોન્ટ્રાક્ટ પૂરો થતા તે ઘર ભેગો થાય છે ને સાંસદ કે વિધાનસભ્ય ટર્મ પૂરી થતાં પેન્શન અને અન્ય લાભો મેળવવા હકદાર બને છે. પેન્શન ને અન્ય નિવૃત્તિ લાભો ન આપવા પડે એટલે શિક્ષક કે સફાઇ કામદારને કોન્ટ્રાક્ટ પર રખાય છે. હલકું નામ હવાલદારનું એ ન્યાયે કોન્ટ્રાક્ટ પર રખાયેલાનો ભ્રષ્ટાચાર છાપે ચડે છે ને તે શિક્ષાને પાત્ર પણ ઠરે છે, જ્યારે કોર્પોરેટરો, વિધાનસભ્યો, સાંસદો અનેક કોન્ટ્રાકટોમાં કરોડોનાં ભ્રષ્ટાચાર કરે છે ને પકડાવાનું થાય તો એકાદ નાના માણસને વધેરીને દોષનો ટોપલો તેને માથે નાખી દેવાય છે.

કાયમી કમાય ને કોન્ટ્રાક્ટવાળો પસ્તાય – એ સ્થિતિ છે. એનું કોઈ બેલી નથી. એની ક્યાં ય રજૂઆત નથી. જો કે, સુપ્રીમ કોર્ટે આની નોંધ ગયા ફેબ્રુઆરીમાં જ લીધી છે. તેનું કહેવું છે કે ભારતીય શ્રમ કાયદો, કાયમી કામ હોય ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિની ફેવર નથી કરતો. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ કર્મચારીનાં શોષણ માટે કે તેને લાભથી વંચિત કરવા ન કરી શકાય. કામચલાઉ ભરતીમાં પણ કર્મચારીઓ વર્ષો સુધી સેવાઓ આપતા હોય તો તેમનું યોગદાન કાયમીથી ઓછું ન અંકાવું જોઈએ – એવો ચુકાદો સુપ્રીમે આપ્યો છે. પણ સરકારને એ કોણ સમજાવે? તેણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ જ એટલે કરી છે કે વર્ષો સુધી હંગામી તરીકે સેવા આપી હોય, તો પણ તેને કાયમી કર્મચારીઓ જેવા અધિકારો ન મળે. આ બધી રીતે નિંદનીય છે. શિક્ષણનું કામ હંગામી ન હોય, તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કેટલીક સરકારી ઓફિસોમાં કાયમી સેવાની ગરજ રહેતી જ હોય છે, ત્યાં કોન્ટ્રાક્ટ પર રખાતા કર્મચારીઓ કે અન્યત્ર એ રીતે રખાતા કર્મચારીઓ, શોષણને ઇરાદે રખાતા હોય તો તેનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ. કેટલાક લાલચુ અને કંજૂસોનું ચાલે તો તે રૂપિયો ય ઓછો લે એમ નથી, પણ ફાયદો થતો હોય તો આખો દેશ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપી દે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 મે 2025

Loading

બાપુની સેવાભાવના

નવીન ગાંધી|Gandhiana|29 May 2025

સ્નેહ અને કારુણ્ય વરસાવતાં બાપુનાં નેત્રોએ ઘણાંને મુગ્ધ કર્યાં છે. એમના જીવનમાં એક આકર્ષક તત્ત્વ હતું અને તે એમનું ‘અકોદ્ધેન જિને કોધ.’ અક્રોધથી ક્રોધને જીતવાની એમની શક્તિ અજબ હતી. પોતાની સામે ઊઠતા વિરોધનો તેઓ શાંતિથી અને વિશ્વાસપૂર્વક પ્રતિકાર કરતા.

કોઈકવાર વિરોધીઓ સામે કડક હાથે કામ લેવાનું પણ મિત્રો સૂચવતા. બાપુ શાંતિથી કહેતા : “મારા વિરોધીઓ પહેલાં હતા તેમ આજે પણ છે. છતાં મને તેએાના પ્રત્યે રોષ નથી આવ્યો. સ્વપ્નામાંયે મેં તેમનું ભૂંડું નથી ઈછ્યું. પરિણામે ઘણા વિરોધીઓ મિત્ર બન્યા છે. કોઈનો વિરોધ મારી સામે આજ લગી કામ નથી કરી શક્યો. ત્રણ વાર તો મારી જાત ઉપર ગયા (હુમલો કર્યો) છતાં હજુ લગી ઊભો છું. તેનો અર્થ એમ નથી કે વિરોધી કોઈ દહાડો પોતે ધારેલી સફળતા ન જ મેળવે. મેળવે કે ન મેળવે તેની મારે લેવા દેવા ન હોય; મારો ધર્મ તેમનું હિત ઈચ્છવાનો છે, અને પ્રસંગ આવ્યે તેમની સેવા કરવાનો છે. આ સિદ્ધાંતનો મેં યથાશક્તિ અમલ કર્યો છે. એ મારા સ્વભાવમાં રહેલી વસ્તુ છે એમ મારી માન્યતા છે. લાખો લોકો મારી પૂજા કરે છે ત્યારે મને થાક ચડે છે. કોઈ દહાડો એ પૂજામાં રસ આવ્યાનું કે તેથી તેને યોગ્ય છું એમ મને નથી ભાસ્યું; પણ મારી અયોગ્યતાનું ભાન રહ્યું છે. માનની ભૂખ મને કોઈ દિવસ રહી હોય એવું યાદ નથી. પણ કામની ભૂખ રહી છે. માન આપનારની પાસેથી કામ લેવા મથ્યો છું. તે નથી આપ્યું ત્યારે તેના માનથી હું ભાગ્યો છું. હું કૃતાર્થ તો ત્યારે થાઉં કે જ્યારે મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચું.”

આશ્રમમાં પણ બાપુ બાળકો, યુવાનો તેમ જ મોટાઓ આવી ઉદારતા વિરોધીઓ સામે કેળવે એમ ઈચ્છતા.

આશ્રમમાં ભણતી એક બહેનને સંજોગવશાત્ ભાવનગર જવાનું થયું. બાપુના આશીર્વાદ મેળવવા જ્યારે તે બહેન વહેલી સવારે પહોંચી ત્યારે બાપુએ જોરથી ધબ્બો મારી પ્રેમલ હાસ્ય વેરી કહ્યું : ‘શરીરને લોખંડ જેવું’ બનાવી તારા અભ્યાસ સાથે ખાદીના પણ પ્રચાર કરજે.’ બહેને વચન આપ્યું અને બાપુની વિદાય લીધી.

થોડા દિવસ પછી એ બહેનનો બાપુ ઉપર લાંબો પત્ર આવ્યો. ખાદીની વાતો કરે તો આજુબાજુના પડોશીઓ એને ન અપનાવવા માટે કેવો લૂલો બચાવ કરે છે અને કેવી ગરમ ચર્ચા થાય છે તેનું એમાં વર્ણન હતું.

બાપુએ તે બહેનને લખ્યું : 

“જે બાઈની સાથે તેં ખાદીની વાત કરી તેઓની સાથે એક જ જાતનો વહેવાર હોય. એ જ વસ્તુનું વિનયપૂર્વક સિંચન કર્યા કરવું. બીજાઓનાં ઉદાહરણ આપવા. નિરાશ ન જ થવું ને તેઓની સેવાના પ્રસંગ શોધી લેવા. સેવા ને ખાદીને સંબંધ નથી છતાં સેવા પ્રેમ ઉત્પન્ન કરે છે ને જેની ઉપર પ્રેમ પેદા થાય તેની વાત વહેલી ગળે ઊતરે છે.”

સેવાનું કાર્ય અત્યંત મુશ્કેલીભર્યું હોય છે. એમાં ધીરજની પણ ઘણી જરૂર રહે છે. સેવાના કામમાં ઘણીવાર એવું બને છે કે જેઓની આપણે સેવા કરવા ઇચ્છીએ છીએ તેઓ અજ્ઞાનને કારણે અથવા ચાલી આવતા રીતરિવાજોને કારણે કે રહેણીકરણીને કારણે તેમ જ આળસ, મંદતા કે શિથિલતા લીધે આપણે તેઓને કેટલી ય સારી વસ્તુ કહીએ તોયે તેઓને એ વાત ગળે ઊતરતી નથી અને ઘણી વાર તેઓ સારી વસ્તુનો ૫ણ વિરોધ કરવા લાગી જાય છે. એવે સમયે આપણે બહુ ધીરજ ધરીને તેઓ પર જરાયે ગુસ્સે થયા વિના, બધો વિરોધ હસતે મુખે સહન કરીને તેઓની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. શુદ્ધ પ્રેમભાવ સામી વ્યક્તિના હૃદય પર અસર કર્યા વિના રહેતો જ નથી. અવશ્ય એ પ્રેમ બાહ્ય દેખાવ પૂરતો નહિ પણ હૃદયની સચ્ચાઈભર્યો હોવો જોઈએ. નિષ્કામ પ્રેમભાવે કરેલી સેવા જ શુભફળદાયી લાંબે ગાળે પણ બને જ છે. તેથી આપણામાં પ્રથમ પ્રેમભાવ અને તેમાંથી નીપજતો સેવાભાવ હોવો જરૂરી છે એમ બાપુ માનતા.

(આવા હતા બાપુ)
28 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 326

Loading

...102030...133134135136...140150160...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved