Opinion Magazine
Number of visits: 9458741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022

ભદ્રા વડગામા|Diaspora - Features|3 July 2022

ભારતમાં ૧૮૫૭ના બળવા પછી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીને નામંજૂર કરી ભારતનું રાજતંત્ર બ્રિટનના રાજવીઓએ હાથમાં લીધું. આ બનાવ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચેની દરિયાઈ મુસાફરી કરનાર બ્રિટિશ કુટુંબોની સંખ્યા વધી ગઈ. બ્રિટિશ આયાઓ કરતાં હિંદી આયાઓ સસ્તી પડે, તેથી ઘણાં કુટુંબો આ લાંબી મુસાફરી દરમિયાન બાળકોની સંભાળ રાખવા તેમને નોકરીમાં રાખતાં. એમાં મદ્રાસી આયાઓ ખાસ વખણાતી.

બ્રિટિશ કુટુંબોના ઘણા ફોટાઓમાં આ આયાઓ તેમનાં બાળકે જોડે આપણને જોવા મળે છે. એમને ફોટાઓમાં સાથે રાખવામાં એ કુટુંબોનો પૈસાપાત્ર તરીકેનો મોભો વધે એ જ આશય હતો.

૧૮૬૯માં સૂએઝ નહેર (કનાલ) ખૂલ્યા પછી, આ મુસાફરીઓનું પ્રમાણ વધી ગયું. એવું મનાય છે કે દર વર્ષે લગભગ ૧૪૦ આયાઓ ઈંગ્લંડ આવતી. દુ:ખની વાત તો એ હતી કે ઈંગ્લંડ પહોંચ્યાં પછી આ આયાઓને નેકરીમાંથી છૂટી કરવામાં આવતી. અમુક ભાગ્યશાળી આયાઓને ભારત પાછાં જતાં કે નવાં કુટુંબો નોકરીમાં રાખી લેતાં, પણ ઘણી આયાઓને ઈંગ્લંડ આવી પોતાનું પોષણ જાતે કરવું પડતું. પગારમાં મળેલી રકમ પૂરી ન થતાં ઘણી વાર તેમને ભીખ માગવાનો વારો આવતો. બિચારી એ સ્ત્રીઓ કંગાળ હાલતમાં ગંદા ઘરોમાં રહીને એકબીજાંને આધારે પેટ ભરતી.

એમની આવી હાલત જોઈ અમુક ક્રિશ્ચિયન મિશનરીઓ અને સ્થાનિક ચર્ચોએ ફાળો એકઠો કરી આ આયાઓને એક ઘર લઈ આપ્યું. પણ સાથે સાથે એમનો આશય આયાઓને ક્રિશ્ચિયન ધર્મમાં વટલાવવાનો હતો, જો કે એ આશયમાં તેમને કેટલી સફળતા મળી, એ માટે કોઈ નિશ્ચિત આંકડા મોજૂદ નથી.

૧૯૦૦ની સાલમાં લંડન સિટી મિશને આયાઓને પૂર્વ લંડનના હેક્ની બરોમાં, ૨૬ કિન્ગ એડવર્ડ રોડ પર, ઘર ખરીદી આપ્યું. ફક્ત ભારતીય જ નહીં પણ ચીન, મલેઝિયા વગેરે દેશોની આયાઓ પણ ત્યાં હતી. અમુક અમ્મા તરીકે ઓળખાતી હતી. ત્યાર પછી તેમને ૧૯૨૧માં ૪ કિન્ગ એડવર્ડ રોડ પર ઘર આપવામાં આવ્યું હતું, પણ તે મકાનની જગ્યાએ નવા ફ્લેટ્સ બની ચૂક્યા છે. એટલે તક્તિ મૂકાઈ છે ૨૬ નંબરના મકાન પર.

૨૬ કિન્ગ એડવર્ડ રોડના મકાન પર બ્લૂ તક્તિ મૂકાવવાની ઝૂંબેશ હાથ ધરી ફરહાના મામુજી નામની એક ગુજરાતી યુવતીએ.

ફરહાનાનો આશય એના જ શબ્દોમાં અહીં મૂકું છું :

“The first aim was to campaign for a Blue Plaque with English Heritage to raise a fundamental awareness amongst the public. This was after discovering records online, which I highlighted in my application. It’s been dishearteningly hard to find first-hand accounts from the Ayahs themselves  due to their background being obliterated, but I was able to find second-hand sources via English matrons or law officials and other documented evidence e.g. there’s a story about a group of Ayahs who were found in a dilapidated shack, getting horrendously drunk together; another reports an Ayah who stole jewellery from their owner to pawn in order to secure the passage back to India. Often caught by police, some were even referred to as murderesses in the press. There are also many visual records of Ayahs in the background of period paintings as well as in photographs.”  

ફરહાનાને પોતાના સંશોધન માટે આધારભૂત વધુ માહિતિ મળી બીજી એક ગુજરાતી બહેન ડો. રોઝિના વિસરામનાં બે પુસ્તકોમાંથી. જે માટે એ રોઝિનાનું ઋણ અદા કરે છે. એ પુસ્તકો હતાં :

Originally published in 1986

Published in 2002

ફરહાનાએ ઉપાડેલી ઝૂંબેશ આખરે ફળીભૂત થઈ ૧૬ જૂન ૨૦૨૨ના દિવસે. એ અવસર પર હું હાજર હતી અને એ તક્તિ પર ઢાંકેલો પડદો ખોલી આ મકાનને લંડનનું ઐતિહાસિક સ્મારક બનાવનાર બહેનો હતી – બ્રિટનની લેખિકા અને એક્ટર મીરા સ્યાલ અને અનિતા આનંદ, જે બ્રિટિશ રેડિયો અને ટેલિવિઝનની પ્રિઝેન્ટર, પત્રકાર અને લેખિકા છે.

તે પ્રસંગે શરૂઆતમાં The English Heritage London Blue Plaque Schemeના CEO Kate Mavor એ આ સ્કીમનો ઇતિહાસ જણાવતાં કહ્યું કે રાષ્ટ્રીય ક્ષેત્રે આ સ્કીમ ૧૮૬૬માં શરૂ થઈ હતી અને લંડનની સ્કીમ ૧૯૮૬માં સ્થપાઈ. સ્ત્રીઓને પણ પુરુષો જેટલું મહત્ત્વ મળે તે માટે ૨૦૧૬માં ‘Plaques for Women’ની સ્કીમ શરૂ થઈ. એમણે એમ પણ જણાવ્યું કે લંડનમાં ૯૫૦ બ્લૂ તક્તિઓ છે, જેમાં ફક્ત ૧૪% પ્રસિદ્ધ સ્ત્રીઓનાં રહેઠાણો પર છે, જેમાં લઘુમતિ પ્રજાની સ્ત્રીઓ જવલ્લે જ જોવા મળે છે, એટલે આજનો આ પ્રસંગ ઐતિહાસિક દૃષ્ટિએ પણ બહુ મહત્ત્વનો છે, જેનો જશ ફરહાના અને રોઝિનાને જાય છે.

ત્યાર બાદ રોઝિના વિસરામે આયાઓ વિશેની પાર્શ્વભૂમિકા રજૂ કરતું વક્તવ્ય આપ્યું, તે ઉપરાંત બ્રિસ્ટલ યુનિવર્સિટીના લેક્ચરર ડો. Florian Stadtlerએ પણ એ વિષયમાં તેમણે કરેલા સંશોધન વિશે કહ્યું અને ત્યા રબાદ ફરહાનાએ પોતાના ઝૂંબેશની વાત કરી; અને છેવટમાં, હેક્નીનાં એક મહિલા કાઉન્સિલરે ૫૦ જેટલી હાજર રહેલી વ્યક્તિઓ, જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ હતી, એમનો આભાર માન્યો હતો. એ પ્રસંગના ફોટાઓ અહીં પ્રસ્તુત છે.

e.mail: bv0245@googlemail.com

પ્રસંગોચિત છબિઓ :

Loading

ગર્ભપાત ગેરકાયદેસરઃ સ્ત્રીઓના અધિકારનું હનન કરી યુ.એસ.એ આધુનિકતાનો વીંટો વાળ્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 July 2022

આ કાયદો માત્ર સ્વાસ્થ્ય નહીં પણ સામાજિક દૃષ્ટિ પણ સ્ત્રીને માટે સંજોગો વિકટ બનાવશે, એક જાણીતી સિટકોમનો ડાયલોગ છે, “નો યુટ્રસ, નો ઓપિનિયન.”

આમ તો અમેરિકા પ્રત્યેનો મોહ, ત્યાંના સમાજમાં સાહજિક રીતે રહેલી સ્વતંત્રતા પ્રત્યે અચંબો, ઓપન-સોસાયટીની પ્રસંશા ભારોભાર કરાઇ છે. પરંતુ તાજેતરમાં યુ.એસ.એ. સુપ્રિમ કોર્ટે એક બહુ મોટો ચુકાદો આપ્યો અને ગર્ભપાતને મૂભળૂત અધિકાર ગણાવતા કાયદાને – જે રો વર્સિસ વેડ જજમેન્ટ 1973- ના નામથી જાણીતો છે તેને ફેરવી તોળ્યો. હવે અમેરિકન રાજ્યો પાસે સત્તા રહેશે કે ગર્ભપાતને કાયેદસર ગણવો કે ગેરકાયદેસર. અમેરિકા એક એવો દેશ છે જ્યાં એક સમયે સજાતીયતા દૂર કરવા માટે ઇલેક્ટ્રિક શોક ટ્રિટમેન્ટનો સહારો લેવાતો, એક એવો દેશ છે જ્યાં ગર્ભપાતને માન્યતા ન અપાતી, એક એવો દેશ છે જ્યાં રંગભેદે સમાજમાં ગુનાને ઊગવાની જગ્યા આપી – આવું ઘણું બધું અમેરિકન સોસાયટીમાં થતું આવ્યું છે – સરઘસ, વિરોધો, મુદ્દાઓ પર ચર્ચાઓ બધું કરતાં કરતાં આ દેશે ઘણું બધું બદલ્યું.

આમ જોવા જઇએ તો અમેરિકા – યુ.એસ.એ.નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો નથી. તેમની પાસે સંદર્ભ માટે ઇતિહાસનું ભાથું નથી. રેફરન્સ લેવા તો ક્યાંથી લેવા? અન્ય રાષ્ટ્રોની સરખામણીએ સ્વાર્થી માનસિકતા ધરાવતો દેશ, જેમને માટે પોતાના દેશની બહારની દુનિયા ભાગ્યે જ કોઇ મહત્ત્વ ધરાવે છે. યુ.એસ.એ. વિશે લોકોના મનમાં જાતભાતના ભ્રમ છે, કોઇ સારા છે તો કોઇ નરસા. મૂળ વાત એમ છે કે સમૃદ્ધિ તરફ જ દોડતા રહેતા આ દેશમાં ઘણાં બધાં સાંસ્કૃતિક ગાબડાં છે અને તાજેતરમાં આવેલો આ ચુકાદો ભવિષ્યને બદલે જેને ઇતિહાસમાં ‘ડાર્ક એજીઝ’ કહેવાયો છે તેવા અંધાર યુગની ખીણમાં આ મોટોમસ કૂદકો લાગે છે.

એક વાત આપણે સમજી લેવી જરૂરી છે કે વિદેશમાં ટીનએજમાં ડેટિંગ શરૂ કરનારા છોકરા છોકરીઓ બિંધાસ્ત હોય છે એટલે એવું કરે છે એમ નથી. તેઓ ડેટિંગ કરે અને તેમાંથી અનુભવે પોતાની ઇમોશનલ નીડ્ઝ સમજે અને પછી જ લગ્ન જેવો મોટો નિર્ણય લેવાનું પસંદ કરતા હોય છે – આ તેમની સમાજ વ્યવસ્થા છે અને તેમાં કશું ય અજુગતું નથી. અજાણ્યા માણસને કોટે વળગાડી હેરાન થવા કરતાં જેને સરખી રીતે જાણી લીધો હોય તેવા સાથીદાર સાથે જ જિંદગી પસાર થાય તે યોગ્ય છે. ત્યાં લગ્નનો પ્રસ્તાવ બહુ મોટી ઘટના ગણાય છે.

આવા સમાજમાં, આવા સમયમાં જ્યારે સ્ત્રી-સશક્તિકરણના નવા આયામો રચાતા હોય ત્યારે કોઇપણ સ્ત્રી પાસેથી તેના શરીર સાથે તેણે પોતે શું કરવું એ નક્કી કરવાનો અધિકાર છીનવી લેવાય તેનાથી બોગસ વાત બીજી કઇ હોઇ શકે? ગર્ભપાત એક પર્સનલ ચોઇસ છે – પ્રેગનન્ટ સ્ત્રી થાય છે, બાળકને જન્મ તેણે આપવાનો છે – હજાર જાતના શારીરિક પરિવર્તનોમાંથી તેણે જ પસાર થવાનું છે – એ ઘટના માટે એ માનસિક કે શારીરિક કે આર્થિક રીતે તૈયાર ન હોય તો એ અંગે સ્ત્રીએ શું કરવું એ દસ્તાવેજો પર કેવી રીતે નક્કી થઇ શકે. તમને યાદ હશે કે આપણે ત્યાં, ભારતમાં એક સમયે દોઢસો રૂપિયામાં ગર્ભપાત પ્રકારની જાહેરાતો ઠેર ઠેર લગાડાતી. રેઢિયાળ રીતે થતી આ પ્રક્રિયા પછી અનેક યુવતીઓ કે મહિલાઓ કાં તો રોગનો ભોગ બનતી કે પછી મોતને ભેટતી. આપણો દેશ તો હજી પણ ત્રીજા વિશ્વના દેશોમાં ગણાય છે, આપણે પણ રાષ્ટ્ર તરીકે સમય સાથે ઘણું બધું શીખી રહ્યા છીએ, જો કે ભૂલોનો પાર નથી. પરંતુ અમેરિકા જેવા કહેવાતા આધુનિક દેશમાં આવો નિર્ણય લેવાય એ માનવ અધિકાર પર બહુ મોટો પ્રહાર કહેવાય.

21મી સદીમાં સ્ત્રી પાસેથી પસંદગી કરવાનો અધિકાર છીનવી લેવાય એ કેવી રીત ચાલે? માતૃત્વ સ્વૈચ્છિક જ હોય અને હોવું જોઇએ – સ્ત્રી કોન્ટ્રાસેપ્ટીવ વાપરવાનું કે પછી ગર્ભપાત કરાવવાનું નક્કી કરે તે તેનો અંગત નિર્ણય જ હોઇ શકે. આ માત્ર કોઇ મહિલાવાદી વિચારધારાની વાત નથી પણ સ્ત્રી સ્વતંત્રતાની વાત છે અને તે તેના પોતાના શરીર અંગે જો તેને ન મળતી હોય તો તે કોઇ પણ કાળે અયોગ્ય જ કહેવાય. ધી અમેરિકન કૉલેજ ઑફ ઓબસ્ટેરટ્રિશિયન્સ એન્ડ ગાયનેકૉલૉજિસ્ટ્સ અનુસાર ગર્ભપાત મેડિકલ અનિવાર્યતા પણ હોઇ શકે છે – તબીબી વિજ્ઞાન વ્યક્તિલક્ષી ન હોઇ શકે, ક્યારે ય એવા સંજોગો પણ હોય જ્યાં મેડિકલી સ્ત્રીનો ગર્ભાપત કરવો તેનો જીવ બચાવવાનો એક માત્ર વિકલ્પ હોય. લગ્ન પહેલાં બંધાતા શારીરિક સંબંધો પણ સહજ છે, તેમાં જો ક્યારેક યુવતીને ગર્ભ રહી જાય અને તે સમયે તે કોઇપણ કારણોસર બાળકને જન્મ આપવા ન માગતી હોય તો આ આકરો કાયદો તેને પોતાની ઇચ્છા પ્રમાણેની જિંદગી જીવવામાં આડો આવશે. ગર્ભપાત વિરોધી કાયદો જીવલેણ સાબિત થઇ શકે છે અને ભૂતકાળમાં થયો પણ છે. 2012માં આયરલેન્ડમાં રહેતી ભારતીય મૂળની ડેન્ટિસ્ટ સવિતા હલાપ્પાનવરને ગર્ભપાત કરી આપવાની ના પાડવામાં આવી અને સેપ્ટિકમેનિયાને કારણે તેનું મૃત્યુ થયું. તેના મોતના પગલે વિરોધનો વંટોળ ઊઠ્યો અને આખરે 2018માં સ્વાસ્થ્ય કાયદા અંતર્ગત ગર્ભપાતને લગતું બિલ પસાર કરાયું.

યુ.એસ.એ.માં જે થયું છે તેને માનવાધિકાર જૂથોએ વખોડ્યું છે, સ્વાભાવિક છે કે આ નિર્ણય સ્ત્રીઓ સાથેનો સીધો ભેદભાવ છે. જો યુ.એસ.એ.ના અડધોઅડધ રાજ્યોએ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકી દીધો તો ત્યાં રહેનારી સ્ત્રીઓને જ્યારે ગર્ભપાત કરાવવો હશે તો ગર્ભપાત કરાવવા કાં તો લાંબી મુસાફરી કરવી પડશે અથવા તો અનિચ્છનીય ગર્ભાવસ્થા વેઠવી પડશે. એક સ્ત્રી માટે બાળકને જન્મ આપવો એ અત્યંત વ્યક્તિગત બાબત છે – આવું એકથી વધારે વાર લખવું પડે એ પણ ત્રાસજનક છે કારણકે આ વાસ્તવિકતા સૂરજ પૂર્વમાં ઊગે છે એટલી જ સાહજિક છે – છતાં પણ એક વિકસિત રાષ્ટ્રમાં કાયદાને નામે આ વ્યક્તિગત પસંદગીની સ્વતંત્રતા છીનવી લેવાઇ. સ્ત્રીઓ ભૃણ સર્જનાર વાહક નથી કે તેમની ઇચ્છા અનિચ્છાને ગણતરીમાં લીધા વગર કોઇપણ કાયદાઓ તેમની સાથે સંકળાયેલી બાબત અંગે ઠોકી બેસાડાય. જ્યાં ગર્ભપાત પર પ્રતિબંધ હોય તેવા દેશોમાં ગેરકાયદેસર ગર્ભપાતને કરાણે થતા મોતનો આંકડો મોટો હોય છે. 1973માં જ્યારે યુ.એસ.એ.માં ગર્ભપાત પરનો પ્રતિબંધ હટાવાયો ત્યારે કિશોરવયની એટલે કે ટીનએજર છોકરીઓ વહેલાં લગ્ન અને માતૃત્વને ટાળી શકતી થઇ. કાચી ઉંમરે બીજું કંઇ ન વિચારીને ઘરની જવાબદારીમાં દબાઇ જવાને બદલે તે પોતાના રસ્તા શોધતી થઇ અને હવે ગર્ભપાતને ગેરકાયદે બનાવવું સામાજિક વ્યવસ્થાને જોખમમાં મુકનારું જ સાબિત થાય તેમાં કોઇ બેમત નથી.

યુ.એસ.એ જે પગલું ભર્યું તેના કારણે વર્ષો સુધી ચાલેલી નારીવાદી ચળવળો પર પાણી ફરી વળ્યું છે. કોઇપણ સ્ત્રી માતૃત્વ સ્વીકારે એટલે તેની આખી જિંદગી પર તેના આ નિર્ણયની અસર પડતી હોય છે. સ્ત્રીઓને આમે ય જાતભાતની લડાઇઓ સતત લડવી પડતી હોય છે તેની સામે આવા નિર્ણયો કાળ કોટડી જેવા સાબિત થશે તે ચોક્કસ.

બાય ધી વેઃ

યુ.એસ.એ.માં મહિલાઓએ પોતાનો બંધારણીય હક ગુમાવી દીધો છે, ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનેન્સી એક્ટ 1971થી લાગુ કરાયેલો છે. આમ તો વસ્તી નિયંત્રણ માટે આ કાયદો અસ્તિત્વમાં આવ્યો પણ તે હેઠળ 24 અઠવાડિયા સુધીના ગર્ભનો નિકાલ પણ મહિલા કરાવી શકે છે. જો કે ભારતમાં ગર્ભપાત માટે ડૉક્ટરની માન્યતા જરૂરી છે, વળી તેની સાથે પૂર્વગ્રહો જોડાયેલા છે અને તેમાં ય જો સ્ત્રી અપરિણીત હોય તો ખાસ. ગર્ભપાતનો અધિકાર છીનવી લેવો એ આધુનિકતાનો વીંટો વાળીને મૂકી દેવા જેવું કામ છે. કાયદેસર રીતે અને મેડિકલી સલામત રીતે થતા ગર્ભપાત વિના સ્ત્રીઓની જિંદગી વધુ જોખમમાં મુકાશે અને તે માત્ર સ્વાસ્થ્ય નહીં પણ સામાજિક દૃષ્ટિ પણ સ્ત્રીને માટે સંજોગો વિકટ જ બનાવશે.  એક જાણીતી સિટકોમનો ડાયલોગ છે, “નો યુટ્રસ, નો ઓપિનિયન.”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 જુલાઈ 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—152

દીપક મહેતા|Opinion - Opinion|3 July 2022

એક જમાનામાં આપણા દેશમાં બધી મોટર ઈમ્પોર્ટેડ જ હતી

મુંબઈના પોલીસમાંથી વડોદરાના દીવાન બનેલા ધાકજી દાદાજી

પાઠારે પ્રભુ મૂળ પાટણના વતની?

આજે જેમની ઉંમર સિત્તેરેક વરસની હશે તેવા ઘણા મુંબઈગરાઓને યાદ હશે, આ જગ્યા. રોયલ ઓપેરા હાઉસથી ચોપાટી જવું હોય તો સેન્ડહર્સ્ટ બ્રિજ પર થઈને જવું પડે. આજનું નામ મામા વરેરકર પૂલ. ડાબી બાજુએ ત્રણ માળનું એક ફાંકડું મકાન. તેના ભોંય તળિયે દાદાજી ધાકજીનો વિશાળ શો રૂમ. આજે ફોરેન કાર હોવી એ સ્ટેટસ સિમ્બલ મનાય છે. પણ એક વખત એવો હતો કે દેશમાં જેમની પણ પાસે મોટર હતી તે બધા પાસે ‘ઈમ્પોર્ટેડ’ મોટર જ હતી. કારણ? કારણ એ વખતે બીજી ઘણી વસ્તુઓની જેમ દેશમાં મોટર બનતી જ નહોતી. બધી મોટર પરદેશથી જ આવતી. અને મુંબઈમાં એ વેચાતી દાદાજી ધાકજીના શો રૂમમાં. પણ પછી ૧૯૫૭થી દેશમાં મોટર બનવા લાગી. પહેલાં આવી ‘એમ્બેસડર’ અને પછી ૧૯૯૭માં આવી ફિયાટ, જે પાછળથી બની પદ્મિની. બીજી બાજુ આયાતી કાર પર કમરતોડ આયાત વેરો લાદવામાં આવ્યો. થોડો વખત તો ‘દેશી’ મોટરો પણ વેચી. પણ પછી છેવટે એ લેન્ડમાર્ક શો રૂમ બંધ થયો.

દાદાજી ધાક્જીનો શોરૂમ

ના, ભાઈ ના. દેશી કે પરદેશી કોઈ મોટરની જાહેરાત કરવા આ લખ્યું નથી. વાત તો કરવી છે દાદાજી ધાકજીની અને એમના ખાનદાનની. ‘રાવસાહેબ’ તરીકે ઓળખાતા ધાકજી મૂળ તો ઠાણેના વતની. ધંધો ખેતીવાડીનો. પણ પછી ત્યાંના અંજળપાણી ખૂટ્યાં હશે એટલે ઈ.સ. ૧૭૧૫માં ઠાણે છોડી આવ્યા મુંબઈ. જાતે પાઠારે પ્રભુ. એક જ દીકરો, નામે દાદાજી. જન્મ ઈ.સ. ૧૭૪૦, મુંબઈમાં. તેમના ચાર દીકરાનાં નામ: સૌથી મોટા ધાકજી દાદાજી. પછીના ત્રણ તે રઘુનાથ, પાંડુરંગ, અને બાલકૃષ્ણ. તેમાં ધાકજીનો જન્મ ૧૭૬૦માં, મુંબઈમાં. ધાકજીએ કારકિર્દીની શરૂઆત પોલીસ ખાતામાં નોકરીથી કરી. પણ પછી કઈ રીતે એ તો કોને ખબર, પણ એક અંગ્રેજ વેપારી પેઢીમાં જોડાયા. બસ, ત્યારથી શરૂ થયો એમનો ભાગ્યોદય.

થોડા વખત પછી રિવેટ વિલ્કિન્સન નામની નવી શરૂ થયેલી પેઢીના દલાલ બન્યા. પૈસાની રેલમછેલ. ઘરમાં ત્રણ ત્રણ દીકરા: વિનાયકરાવ, હરિચંદ, અને મોરેશ્વર. ઉપરાંત ત્રણ દીકરી. એ જમાનામાં દીકરીઓનાં નામ તો કોણ નોંધે? પછી જેમ્સ રિવેટ કંપનીના વેપાર ખાતાના વડાએ ધાકજીનો હાથ ઝાલ્યો. તેમની કુશળતાથી એ પૂરેપૂરા વાકેફ. એટલે કપાસની જથ્થાબંધ ખરીદી કરવાનું કામ ધાકજીને સોંપ્યું. વળી મુંબઈના બારામાં નાંગરતાં વહાણોને જરૂરી માલસામાન પૂરો પાડવા માટે આડતિયા તરીકે પણ તેમની નિમણૂક કરી. એ વખતના હોર્નબી રોડની પાછળ આવેલી રઘુનાથ દાદાજી સ્ટ્રીટમાં તેમણે પોતાને માટે રહેણાકનું મોટું મકાન બાંધ્યું. જાહોજલાલી વધ્યા પછી કાલબાદેવી રોડ પર મોટી જગ્યા લઈ ત્યાં આલિશાન ‘વાડો’ બાંધ્યો, અને ત્યાં રહેવા ગયા. સરકારે ગ્રાંડ જ્યુરીમાં દેશીઓની નિમણૂકની શરૂઆત કરી ત્યારે પહેલી યાદીમાં ધાકજીશેઠનું નામ હતું, અને શરૂઆતના જસ્ટિસ ઓફ પીસ(જે.પી.)માંના પણ તેઓ એક.

દાદાજી ધાક્જીની જાહેર ખબર

ફરી એક વાર ભાગ્યચક્ર ફર્યું. વડોદરા રાજ્યના દીવાન ગંગાધર શાસ્ત્રી પંઢરપુરની યાત્રાએ ગયેલા ત્યાં કોઈ દુશ્મનના દગાથી માર્યા ગયા. ત્યારે વડોદરા રાજ્યના રેસિડન્ટ કેપ્ટન જેમ્સ રીવેટ કર્નાકની નજર ધાકજી શેઠ પર પડી. વડોદરા રાજ્યનાં દીવાનની ખાલી પડેલી ખુરસી માટે તેમણે ધાકજીની સિફારિશ કરી. ઈ.સ. ૧૮૧૬માં પોતાનો બધો વેપાર નાના દીકરા મોરેશ્વરને સોંપીને વડોદરા રવાના થયા. ચાર-પાંચ વરસમાં તો ધાકજી દીવાને વડોદરા રાજ્યમાં ઘણા સુધારા દાખલ કર્યા. ખુશ થઈને રાજાએ મુંબઈના ગવર્નર સર ઇવાન નેપિઅનને આભારનો પત્ર લખ્યો જેમાં ધાકજી દીવાનનાં ઘણાં વખાણ કર્યાં. રાજાએ ધાકજીને ૬૦ હજાર રૂપિયાનું વાર્ષિક સાલિયાણું બાંધી આપ્યું. ઉપરાંત વરસે ૩૦ હજારની ઊપજ થાય તેવી જાગીર વંશપરંપરા આપી. અંગ્રેજ સરકારે પણ આ અંગે મંજૂરી આપી.

પણ પછી ભાગ્યચક્ર ફર્યું, ઊલટી દિશામાં. કેપ્ટન કર્નાક સ્વદેશ પાછા જતાં તેની જગ્યાએ આવ્યા મિસ્ટર વિલિયમ્સ. ધાકજી દીવાન તેમની પ્રામાણિકતા, રાજ્ય પ્રત્યેની વફાદારીને કારણે કેટલાકને આંખના કણાની જેમ ખૂંચતા હતા. પણ કર્નાક આગળ તેમનું કશું ઉપજતું નહિ. પણ નવા રેસિડન્ટ આવતાં જ આવા વિરોધીઓએ તક સાધી. વડોદરા રાજ્યના દીવાન થયા પછી પણ ધાકજીની પેઢીનો ધીખતો વેપાર તો ચાલુ જ હતો. વિરોધીઓએ રાજાને ફરિયાદ કરી કે આ ધાકજી તો બડો લાંચિયો છે અને રાજ્યનાં ઘણાં કામ તો તે આડકતરી રીતે પોતાની પેઢીને જ સોંપે છે. કહેવત છે ને કે રાજા, વાજા, ને વાંદરા, ત્રણેનો ભરોસો નહિ. રાજાએ ફરિયાદ નવા રેસિડન્ટને કાને નાખી. કાચા કાનના રેસિડન્ટે ફરિયાદ સાચી માની લીધી. અને બન્નેએ મળીને રાતોરાત ધાકજીને દીવાનપદેથી છુટ્ટા કર્યા! એટલે વર્ષાસન તો બંધ થયું, પણ વંશપરંપરા જે જાગીર આપેલી તે પણ જપ્ત કરી! એ માટે બહાનું એવું કાઢ્યું કે ધાકજી દીવાનની જેમ વર્તવાને બદલે ઘણી વાર પોતે રાજા હોય તેમ વર્તતા હતા અને આ તો ‘રાજદ્રોહ’નો ગૂનો થયો! બીજી બાજુ રેસિડન્ટે એવો હુકમ જારી કીધો કે લાંચરુશ્વત લીધાની સજા તરીકે ધાકજીએ તાબડતોબ રાજાને સાડા સાત લાખ રૂપિયાનો દંડ ભરી દેવો! ધાકજીએ દંડ ભરી દીધો. છતાં ન વર્ષાસન પાછું મળ્યું, ન મળી વંશપરંપરા આપેલી જાગીર.

તાકડે બરાબર એ જ વખતે મુંબઈમાં ધાકજીના દીકરા મોરેશ્વર ગંભીર માંદગીમાં પટકાયા. દેશી તો ઠીક, અંગ્રેજ મિત્રોએ પણ કહ્યું કે દીકરાનું મોઢું જોવું હોય તો વહેલી તકે મુંબઈ આવી જાવ. એટલે વડોદરાનું ગૂંચવાયેલું કોકડું પડતું મૂકીને ધાકજી દોડ્યા મુંબઈ. તેઓ મુંબઈ પહોંચ્યા તે પછી મોરેશ્વરનું અવસાન થયું. બે મોટા દીકરા તો તે પહેલાં જ મૃત્યુ પામેલા હતા. ધાકજીશેઠે પોતાના બધા વેપારનો વીંટો વાળી દીધો. ફક્ત કેટલીક બ્રિટિશ કંપનીના આડતિયાનું કામ ચાલુ રાખ્યું. બટક્યા ખરા ધાકજીશેઠ, પણ તૂટ્યા નહિ. આવા કપરા સંજોગોમાં પણ ૧૮૩૧માં મહાલક્ષ્મી ખાતે ‘ધાકલેશ્વર’નું શિવ મંદિર બંધાવ્યું જે હજી આજે ય ઊભું છે. ઢળતી ઉંમરે વારસ વિનાના ધાકજી શેઠે પોતાની વચલી દીકરીના દીકરા કાશીનાથને વિધિસર દત્તક લીધા.

પાઠારે પ્રભુ જમાતના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ, ૨૦૧૯

બીજી બાજુ, વડોદરા રાજ્યમાં થયેલા અન્યાય અંગે ધાકજીએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટરો પાસે ધા નાખી, એક વાર નહિ પણ ચાર વાર. પણ દર વખતે મુંબઈ સરકાર અને ગાયકવાડ સરકાર લંડનનાં ચુકાદાને ઘોળીને પી જતી. છેવટે લંડનના સાહેબો મુંબઈ સરકાર પર બગડ્યા. તેમણે સીધું કલકત્તાની વડી સરકારને આગલા ચુકાદાનો તાબડતોબ અમલ કરવા લખી જણાવ્યું. (એ વખતે હિન્દુસ્તાનની રાજધાની કલકત્તા હતી, અને ત્યાંની સરકાર ‘કેન્દ્રીય સરકાર’ ગણાતી.) છેવટે અઢાર વરસની લડત પછી ગુમાવેલી જાગીર પેટે ગાયકવાડ સરકારે વગર વ્યાજે નવ લાખ રૂપિયા ચૂકવવાનું સ્વીકાર્યું. અને વંશપરંપરાગત ગામ પાછાં સોંપ્યાં.

નવ લાખમાંથી ચાર લાખ નેવું હજાર રૂપિયા ચૂકવ્યા પણ ખરા ગાયકવાડે. પણ ત્યાં તો ગવર્નર કર્નાક માંદા પડ્યા અને સ્વદેશ ભેગા થઈ ગયા. આ ખબર મળતાં જ બાકીની રકમ ધાકજીને ચૂકવવી નહિ એવો હુકમ ગાયકવાડે બહાર પાડ્યો! આટલું ઓછું હોય તેમ ધાકજી પર એક નવો આરોપ મૂક્યો: તેઓ જે લાંચ લેતા હતા તે હકીકતમાં રેસિડન્ટ કર્નાક વતી લેતા હતા, અને લાંચની અડધી રકમ તેમને આપી અડધી પોતે રાખતા હતા! ધાકજીના મુંબઈના બંગલા પર ધાડ પાડવામાં આવી. તેમના બધા હિસાબી ચોપડા તપાસાયા. પણ ક્યાં ય એક પૈસો પણ ખોટી રીતે આવ્યો કે ગયો હોય એવું જોવા ન મળ્યું. ફરી ધાકજીએ લંડન ધા નાખી. ઇનામી જમીન ધાકજીને પાછી સોંપવાનો હુકમ. છેવટે જાગીર ને જમીન ધાકજીને પાછી મળી. આથી ધાકજીએ હાશકારો અનુભવ્યો, પણ થોડા વખત માટે જ. ઈ.સ. ૧૮૪૬માં ધાકજીશેઠે આ ફાની દુનિયા છોડી દીધી.

આ દાદાજી ધાકજી હતા પાઠારે પ્રભુ જમાતના. મુંબઈના મૂળ વતનીઓ તો કોળીઓ. પણ પછી જુદી જુદી જાત-જમાતના લોકો મુંબઈ આવવા લાગ્યા, ઠરીઠામ થવા લાગ્યા. તેમાંના એક આ પાઠારે પ્રભુ. પણ મુંબઈ આવ્યા ક્યાંથી? એ વિષે જાણકારોમાં મતભેદ છે. ઘણા કહે છે કે આ પાઠારે પ્રભુ તે મૂળ તો ગુજરાતના પાટણ શહેરના વતની. એટલે જ કેટલાક પાટાણે પ્રભુ તરીકે ઓળખતા. તો કેટલાક કહે છે કે આ લોકો મૂળ રાજસ્થાનના વતની. ત્યાંથી ગયા પાટણ અને ત્યાંથી આવ્યા મુંબઈ. પણ એ પાટણ તે કિયું? કારણ ગુજરાતમાં બે પાટણ છે – એક અણહિલપુર પાટણ અને બીજું સોમનાથ કે પ્રભાસ પાટણ. પણ વધુ મોટી મુશ્કેલી તો એ છે કે ગુજરાતના રાજાઓની વંશાવળીમાં ક્યાં ય ‘બિંબદેવ’ નામના રાજાનું નામ જોવા મળતું નથી. આના જવાબમાં કહેવાય છે કે આ બિંબદેવ તે પ્રસિદ્ધ રાજા ભીમદેવ. ભલે, પણ કયો ભીમદેવ? કારણ આ નામના બે રાજા ગુજરાતમાં થઈ ગયા. પણ એ બેમાંથી એકે ભીમદેવ મુંબઈ તો જવા દો, મહારાષ્ટ્ર તરફ આવ્યો હોય એવો એક પણ ઉલ્લેખ ગુજરાતના ઇતિહાસમાં જોવા મળતો નથી.

પ્રભાદેવીનું મંદિર

બિંબદેવ અને મુંબઈને લગતી કેટલીક દંતકથા પણ પ્રચલિત છે. મુંબઈ તરફ આવેલા બિંબદેવે પોતાની રાજધાની મહિકાવતી ખાતે સ્થાપેલી. અને આ મહિકાવતી તે આજનું માહિમ. રાજાના માતંગ કહેતાં હાથીઓને બાંધવા માટેના તબેલા જ્યાં હતા તે બન્યું માતંગાલય, આજનું માટુંગા. રાજાની અદાલત જ્યાં આવેલી તે સ્થળ ઓળખાતું ન્યાયગ્રામ તરીકે. એ જ આજનું નાયગાંવ. પણ આ બધી વાત કપોલકલ્પના જ છે. કારણ બિંબદેવ નામનો એક રાજા જે આ તરફ આવેલો તે આજના માહિમ સુધી નહિ, પણ મુંબઈની ઉત્તરે આવેલા કેળવે-માહિમ સુધી જ આવેલો. એટલે કે પાઠારે પ્રભુ જમાત વિષે આજે કશું ખાતરીથી કહી શકાય તેમ નથી. સિવાય કે તેમણે મુંબઈમાં બંધાવેલાં બે મંદિરો. એક પ્રભાદેવીનું, બીજું ગિરગામની નવી વાડીમાં આવેલું માહેશ્વરી માતાનું મંદિર.

આવતે અઠવાડિયે બીજી કોઈ જમાતના બીજા કોઈ કુટુંબ-કબીલાની વાત.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 02 જુલાઈ 2022

Loading

...102030...1,3371,3381,3391,340...1,3501,3601,370...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved